રામકૃષ્ણ મિશનના કાર્યકારિણી સમિતિનાં અહેવાલનો સારાંશ (૧૯૯૪-૯૫)

રામકૃષ્ણ મિશનની ૮૬ મી સાધારણ સભા, બેલૂરમઠમાં ૩૧ ડિસેમ્બર, ૧૯૯૫ ના રોજ બપોરે ૩.૩૦ વાગે યોજાઈ ગઈ.

આ વર્ષ દરમિયાન ‘રામકૃષ્ણ સંગ્રહ મંદિર’ સર્વસાધારણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સંગ્રહાલયમાં, ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ તેમ જ શ્રીરામકૃષ્ણદેવના અન્ય અંતરંગ શિષ્યોની ઉપયોગમાં લેવાયેલ ચીજવસ્તુઓ અને અન્ય સામગ્રી, કલાકૃતિઓ ઈત્યાદિ પ્રદર્શિત કરવામાં આવી છે. શ્રીરામકૃષ્ણદેવની જન્મભૂમિ કામારપૂકુરમાં તીર્થયાત્રીઓ માટે એક ‘યાત્રી-નિવાસ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કલકત્તાના ‘સેવા-પ્રતિષ્ઠાન’ હોસ્પિટલમાં એક ‘સી.ટી. સ્કૈનર’ મૂકવામાં આવ્યું. ચંદીગઢ કેન્દ્રમાં એક ‘હરતી-ફરતી ચિકિત્સા-સેવા’ (Mobile Medical Service) શરૂ કરવામાં આવી. ભુવનેશ્વર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ‘આવાસ-ભવન’ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું.

મિશને ૬ રાજ્યોમાં વિશાળ પાયા પર રાહતનું અને પુનર્નિર્માણની યોજનાઓનું કાર્ય કર્યું છે; જેમાં રૂા. ૩.૪૧ કરોડનું ખર્ચ કરવામાં આવ્યું, જે પૈકી મહારાષ્ટ્રના ભૂકંપગ્રસ્ત ‘લાતુર’ જિલ્લામાં પુનઃ વસવાટ અંગેની યોજના કરવામાં આવી, જેમાં એક વિદ્યાલય ભવન તથા એક ‘સમાજ-મંદિર’નો પણ સમાવેશ થાય છે, તેમ જ ૪૨૪ ભૂકંપ – પ્રતિરોધક મકાનોનું પણ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું; જેનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે. અન્ય કલ્યાણનાં કાર્યો – ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, વૃદ્ધો અને અસહાય લોકોને આર્થિક મદદ જેવી સમાજકલ્યાણની પ્રવૃત્તિ પાછળ પાંચ લાખ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું.

૯ (નવ) હૉસ્પિટલો અને ૮૮ દવાખાનાઓ દ્વારા અડતાલીસ લાખ લોકો કરતાં પણ વધારે લોકોની ચિકિત્સા-સેવા કરવામાં આવી, જેની પાછળ ૧૧.૯૦ કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું. આ ઉપરાંત ૯ નેત્ર-શિબિર, ૮ દંત-મહા શિબિરો, ૧ શ્રવણયંત્ર-શિબિર, ૧ ૨કત શિબિર અને ૭ સામાન્ય ચિકિત્સા શિબિરોનું આયોજન ચિકિત્સા-સેવા કેન્દ્રો સિવાયનાં કેન્દ્રો દ્વારા કરવામાં આવ્યું; જેમાં ૫,૪૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી.

શિક્ષણ સંસ્થાઓ – માધ્યમિકથી લઈ સ્નાતકોત્તર – સંસ્થાઓએ ઘણાં ઊંચાં પરિણામો પ્રાપ્ત કર્યાં છે. માધ્યમિક શાળાઓના ૪૮૦ જેટલા વિદ્યાર્થીઓએ, પશ્ચિમ બંગાળમાં, તારાંકિત ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. (૭૫ % અને ઉપરના આશરે) આ નીચે આપેલ ટૂંકી વિગતો એમ દર્શાવે છે કે ૧૯૯૪ના વર્ષે શાળા, બોર્ડો અને વિશ્વવિદ્યાલયોએ યોજેલ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ ઊંચી સિદ્ધિઓ અને પરિણામો પ્રાપ્ત કર્યા છે:

બોર્ડ/યુનિવર્સિટી                      પરીક્ષા (૧૯૯૪)                                         પ્રાપ્ત કરેલ સ્થાન (ક્રમાંક)

સેન્ટ્રલ બોર્ડ                                  માધ્યમિક                                                      અરુણાચલપ્રદેશની મેરીટ લીસ્ટમાં ૧, ૪ અને ૯ ક્રમે

સેન્ટ્રલ બોર્ડ                                 ઉચ્ચ માધ્યમિક                                             અરુણાચલપ્રદેશની આદિવાસી – યાદીમાં ૧ ક્રમે

મેઘાલય બોર્ડ                              માધ્યમિક                                                      આદિવાસી – યાદીમાં ક્રમ ૧, ૪ અને ૧૦ ક્રમે

પશ્ચિમ બંગાળ બોર્ડ                    માધ્યમિક                                                      ૫, ૬, ૧૨ અને ૧૪ ક્રમે

પશ્ચિમ બંગાળ બોર્ડ                    ઉચ્ચ માધ્યમિક                                              ૫ અને ૧૭ ક્રમે

ભારતીયા૨ યુનિ.                         બી. પી. એડ્.                                                  ૧ થી ૭

એમ. પી. એડ્.                                                ૧ થી ૩

કલકત્તા યુનિ.                              બી. એસસી. (ઑનર્સ)રસાયણશાસ્ત્ર               ૪

કલકત્તા યુનિ.                             બી. એસસી. (ઑનર્સ)ગણિતશાસ્ત્ર                  ૧ અને ૩ ક્રમે

બી. એસસી. (ઑનર્સ)                આંકડાશાસ્ત્ર                                                   ૧

મદ્રાસ યુનિ.                               બી. એ. સંસ્કૃત                                                 ૨ થી ૫

બી. એ. દર્શનશાસ્ત્ર                                          ૨ અને ૩

એમ. એ. સંસ્કૃત                                               ૧ અને ૨

એમ. એ. દર્શનશાસ્ત્ર                                         ૧ થી ૩

એમ. એસસી. વનસ્પતિશાસ્ત્ર                           ૯

મ્હૈસૂર યુનિ.                               બી. એડ્.                                                          ૧, ૩, ૪, અને ૫

૫. બં. નર્સીંગ કાઉન્સીલ             જનરલ નર્સીંગ                                                  ૧

એકંદરે ૨.૦૭ લાખ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હતી, જેમાં ૮૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થિનીઓ હતી. આ ખાતે રૂા. ૩૪.૭૨ કરોડનું ખર્ચ કરવામાં આવ્યું.

મિશને રૂા. ૪.૬૯ કરોડના ખર્ચે, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની વિકાસ – યોજનાઓ પણ હાથ ધરી હતી; સર્વાંગીણ ગ્રામ્ય – વિકાસ – યોજનાઓમાં ઓછી – કિંમતનાં ઘરો બનાવવાની યોજનાનો પણ સમાવેશ થાય છે; જે પૈકી કામારપૂકુર અને જયરામવાટી વિસ્તારમાં, ગરીબો અને ઓછી આવકવાળા લોકોને માટે રૂા. ૧૩.૫ લાખને ખર્ચે ૪૫ મકાનો તૈયાર કરવામાં આવ્યાં. એ બાબતનો વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે કે નરેન્દ્રપુરની લોકશિક્ષા – પરિષદ, પશ્ચિમ બંગાળના કેટલાયે જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં વિશાળ ફલક પર ‘ગ્રામીણ – વિકાસ’ યોજનાઓનું સંચાલન કરતી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રાજકોટમાં યોજાયેલ યુવ – સમેલનમાં

રાષ્ટ્રીય યુવા દિન – સ્વામી વિવેકાનંદજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૨મી જાન્યુઆરી ’૯૬ના રોજ સવારના ૮થી બપોરના ૧૨-૩૦ સુધી એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૧,૨૦૦ યુવા ભાઈ-બહેનોએ તેમ જ 300 શિક્ષકો અને અતિથિઓએ ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી – શ્રી સુરેશભાઈ મહેતાએ મુખ્ય અતિથિપદેથી બોલતાં યુવા વર્ગને સ્વામી વિવેકાનંદજીના ત્યાગ અને સેવાના સંદેશાને અપનાવવાની હાકલ કરી હતી અને રાજનૈતિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં પ્રવર્તમાન સ્વાર્થ અને ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવાનો પડકાર ઝીલી લેવા આહ્વાન કર્યું હતું. પોરબંદર ખાતે સ્વામી વિવેકાનંદજીના સ્મારકનું નિર્માણ કરવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

સંસદ સદસ્ય શ્રી ચીમનભાઈ શુકલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને મિટાવી દેવાના અનેક પ્રયત્નો છતાં આ પુરાતન સંસ્કૃતિ ટકી રહી છે કારણ કે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ જેવા અવતારોનું પ્રે૨ક કાર્ય અને જીવનસંદેશ પથપ્રદર્શક બની રહ્યાં છે. ગુજરાતના સર્વાંગી પરિવર્તનનો સંકલ્પ સાકાર કરવામાં મુખ્યમંત્રીશ્રીને રામકૃષ્ણ મિશનનું પ્રેરણાબળ મળી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

રાજકોટના મેયર શ્રીમતી ભાવનાબહેન જોષીપુરાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ભારતને વિશ્વમાં ૫૨મ મહાસત્તા બનાવવાનો પુરુષાર્થ થઈ રહ્યો છે ત્યારે યુવા વર્ગ માટે સ્વામી વિવેકાનંદજીનો પ્રેરક સંદેશ આત્મસાત કરવાનો આજે શ્રેષ્ઠ સમય છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘પથદર્શક પયગમ્બર સ્વામી વિવેકાનંદ’ પુસ્તિકાનું વિમોચન થયું હતું.

સ્વામી જિતાત્માનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં ભારત કેવી રીતે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે અને સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે તેની વિગતો રજૂ કરી હતી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવા વર્ગ માટે સ્વામી વિવેકાનંદજીનો સંદેશ પંચશીલ – આત્મશ્રદ્ધા, આત્મ-નિર્ભયતા, આત્મ-જ્ઞાન, આત્મ-સંયમ અને આત્મ-ત્યાગ – રૂપે રજૂ કર્યો હતો અને યુવા ભાઈ-બહેનોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.

કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત બારસો યુવા ભાઈ-બહેનોને પ્રસાદ તેમ જ ‘પથદર્શક પયગમ્બર સ્વામી વિવેકાનંદ’ પુસ્તિકા અને સ્વામી વિવેકાનંદજીનું મોટું ચિત્ર ભેટરૂપે આપવામાં આવ્યાં હતાં.

શૈક્ષણિક પરિસંવાદ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનની સહાયતાથી આશ્રમના પ્રાંગણમાં ૧૬ અને ૧૭ જાન્યુઆરીના સવારના ૯ થી સાંજના ૫ સુધી એક શૈક્ષણિક પરિસંવાદ યોજાયો હતો, જેમાં ૪૫૦થી વધુ શિક્ષક ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પરિસંવાદનો વિષય હતો – ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન.’ યુનેસ્કો, યુનિસેફ, વર્લ્ડબેંક વગેરે સાથે સંકળાયેલ સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી રવીન્દ્ર દવે, સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઈ શુકલ, ગુજરાત હાયર સૅકૅન્ડરી બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન શ્રી આર. એસ. ત્રિવેદી વગેરે વિદ્વાનોના પ્રવચનો, પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં શિક્ષક ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.