મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી
જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી
હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ અને સુભાષબાબુને
આકાશના જલરંગોથી માતૃભૂમિનાં નેત્રોમાં આંસુનાં શાશ્વત ટીપાંની જેમ..!!!
બંકીમચંદ્રના ‘વંદેમાતરમ્’ અને કવિ ઠાકુરના ‘જનગણમન’ હજી રચવાનાં બાકી હતાં
ભારતના લોકસાગરતીરે હજી સ્વાતંત્ર્યની નૌકા ડોલતી ડોલતી આવવાની બાકી હતી –

આઝાદીના આંદોલનના એ પીજન-બ્લડ રૂબી સમા ચમકતા દિવસો હતા
૧૯૪૨ની ‘કિવટ ઇન્ડિયા મુવમેન્ટ’માં ગાંધીજી હજી ગોવાલિયા ટૅન્ક પર
એમનું અમર ભાષણ આપવાના હતા –

ખારાશ પીતાં પીતાં સરદારનો ચહેરો થતો જવાનો હતો સમુદ્રના શિલ્પ સમો!
સ્વતંત્રતાનાં પ્રકાશના દોરાથી જખ્મોને સીવીને નહેરૂ બિમાર કમલાને મળવા આવવાના હતા.
અગ્નિ અને બરફ વચ્ચેથી, આંસુ અને રક્તના સમુદ્ર વચ્ચેથી
ઝાડી-ઝાંખરાં સોંસરવા સૌ ઘર તરફનો રસ્તો શોધતા હતા…

હજી આજેય રાતના સ્તબ્ધ સન્નાટામાં બારીના કાચ ઉપર
સોનાની ઘૂઘરીઓ પહેરેલી આંગળીઓથી ટકોરા મારી જાય છે સ્વતંત્રતા…

રૉક એન રૉલ અને બ્રેક-ડાન્સના એમ.ટી.વી.ના મોડી રાતના પ્રોગ્રામ પછી

હમણાં ઘસઘસાટ સૂઈ ગયેલાં છોકરાંઓને ડીસ્ટર્બ ન થાય એમ
ક્યારેક ધીમેથી ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે –
આઝાદીના આંદોલનની કરેણના ફૂલ જેવી ચમકતી સ્મૃતિના પરોઢમાં…!

– ડૉ. યશવંત ત્રિવેદી

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.