સ્વામી ચેતાનાનંદના પુસ્તક ‘Stories of Vedanta Monks’ Vol. 1 માં સમગ્ર રામકૃષ્ણ મઠ-મિશનના કેટલાક પ્રેસિડેન્ટ મહારાજ તેમજ ઘણા વરિષ્ઠ સંન્યાસીઓના જીવન-પ્રસંગોનાં વર્ણન ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલાં છે. તેમના એક વરિષ્ઠ સંન્યાસી સ્વામી ભાસ્વરાનંદ (૧૯૦૦ થી ૧૯૭૮) વિશેના લેખમાં સુભાષચંદ્ર બોઝ વિશે અને તેમના સિંગાપુર ખાતેના ‘રામકૃષ્ણ આશ્રમ’ ના સંપર્કની રસપ્રદ માહિતી મળે છે. સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ ૨૩મી જાન્યુઆરીને ભારત સરકારે ‘પરાક્રમ દિવસ’ તરીકે ઊજવવાનું નક્કી કરેલ છે. આ નિમિત્તે પુસ્તકમાંના થોડા પ્રસંગો અહીં પ્રસ્તુત છે:
સ્વામી ચેતનાનંદ જણાવે છે કે અદ્વૈત આશ્રમના પુસ્તકાલયમાં ‘ઉદ્બોધન’ના જૂના અંકો જોતાં જોતાં સ્વામી ભાસ્વરાનંદજીનો એક લેખ વાંચવામાં આવ્યો. લેખનું શીર્ષક હતું ‘Shonane Netaji’ (‘શોનાનમાં નેતાજી’ વર્ષ ૫૧, નં. ૧ અને ૨) સ્વામી ભાસ્વરાનંદ રામકૃષ્ણ મિશન સિંગાપુરના ૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન અધ્યક્ષ હતા. આ લેખમાં તેમણે સુભાષચંદ્ર બોઝ વિશે ઘણી માહિતી આપી છે. આ લેખમાં સ્વામી ભાસ્વરાનંદ લખે છે:
“થોડાક મહિના પછી અમે સાંભળ્યું કે સુભાષ બોઝ ટોકિયો આવ્યા હતા અને જલદીથી રેડિયો પર સંબોધન કરશે. તેમનાં ત્રણ પ્રવચનો રેડિયો પરથી પ્રસારિત થયાં હતાં. આ પ્રવચનોનો સાર હતો: ‘ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સોનેરી તક આપણી સામે આવી છે. જો આપણે આ ચૂકી જઈશું તો આના જેવી બીજી તક વર્ષો સુધી નહીં આવે. હું આ દેશમાં કેટલાક ખાસ સંજોગોને લઈને આવી શક્યો છું. જેવી રીતે અંગ્રેજી શાસનકર્તાઓ ભારત છોડતી વખતે મારા માર્ગમાં આવી શક્યા નથી, તેઓ મને ફરી દાખલ થવા માટે પણ અટકાવી શકે તેમ નથી. તમે સૌ જાણો છો કે હું એક ક્રાંતિકારી છું. તમે ઇતિહાસ જાણો છો કે આયર્લેન્ડની આઝાદીની ચળવળનું સંચાલન ડી. વાલેરાએ અમેરિકાની મદદથી કર્યું હતું. આપણને પણ સ્વતંત્ર દેશ તરફથી કંઈક મદદ મળવાની તક છે. આધુનિક જગતમાં અતિશય શક્તિશાળી દેશ જાપાન છે. આપણે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તેમની મદદથી આગળ ધપાવી શકીશું. તમે સૌ આ કાર્યમાં મને મદદ કરશો, તેવી આશા રાખું છું. હું જલદીથી શોનાન (shonan) જઈ રહ્યો છું.”
“એક અઠવાડિયામાં નેતાજી શોનાન પહોંચી ગયા. શહેરના સારામાં સારા કાથે થીએટરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જર્મનીમાં કાયમી વસવાટ કરતા કેટલાક ભારતીયો તેમની સાથે જોડાયા. રાસબિહારી બોઝ નેતાજી સાથે મંચ પર આવ્યા. વિશાળ જનમેદની સમક્ષ તેમણે જાહેરાત કરી: ‘આ રહ્યા તમારા લાડીલા નેતા સુભાષ બોઝ. હું તેમની સોંપણી આપ સૌને કરું છું. આજથી તેઓ તમારા સુપ્રીમ કમાન્ડર રહેશે. હું ઘણો વૃદ્ધ થયો છું; મને હવે નિવૃત્ત થવા દો. ભારતની સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં તેઓ તમને નેતૃત્વ પૂરું પાડશે. હું આશા રાખું છું કે તમે સૌ તમારા નેતા તરીકે તેમને અનુસરશો.’ ત્યારબાદ નેતાજીએ ટૂંકું પ્રવચન કરી, તેમની યોજના વિશે જણાવ્યું અને સભા પૂરી થઈ.
“મલાયામાં તેમના આગમનની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ. જેઓએ નેતાજીને ભારતમાં જોયા હતા, તેઓએ તેમને ઓળખી કાઢ્યા. ટોકિયો રેડિયો પરથી પ્રસારિત થયેલું તેમનું ભાષણ સાંભળ્યા પછી કેટલાક લોકોએ વિચાર્યું કે તેઓ જાપાન તરફી વલણ ધરાવે છે. પરંતુ હવે તેમની પ્રવૃત્તિ વિશ્વસનીય સ્રોત દ્વારા જાણ્યા પછી લોકોની શંકાનું નિવારણ થયું.
જાપાનીઓએ તેમની સલામતી અને જરૂરિયાતોનું આયોજન અને વ્યવસ્થા કર્યાં હતાં. તેમને પાયલોટ સહિત એરક્રાફ્ટ પણ આપવામાં આવ્યું હતું.”
“નેતાજીએ રાસબિહારી બોઝ પાસેથી સુકાન સંભાળ્યા પછી અત્યંત નિષ્ઠાપૂર્વક પાછું જોયા વિના તનતોડ મહેનત કરી અને આત્મવિશ્વાસપૂર્વક કાર્ય શરૂ કર્યું. નેતાજીના મદદનીશે મને કહ્યું હતું કે, ‘તેઓ ક્યારેય રાત્રે ત્રણ કલાકથી વધારે ઊંઘ્યા નથી, અને આખો દિવસ પ્રવૃત્તિમાં પસાર થઈ જતો.’ રાસબિહારી બોઝ પાસેથી જવાબદારીઓ સ્વીકાર્યા પછી નેતાજીએ જાહેરસભાનું આયોજન કર્યું. શોનાન મ્યુનિસિપલ ઓફિસ સામેના વિશાળ મેદાનમાં મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી. એક કલાક અને ત્રીસ મિનિટ સુધી ચાલેલા ભાષણમાં તેમણે પોતાની યોજના અને મલાયા આવવાનું કારણ સમજાવ્યું. સભાની શરૂઆતમાં જ ભારે વરસાદ શરૂ થયો. વરસાદ તરફ ધ્યાન આપ્યા વગર નેતાજીએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું. શ્રોતાઓએ પણ પલળતાં પલળતાં શાંતિથી એકાગ્રતાપૂર્વક તેમને સાંભળ્યા અને નીતરતાં કપડે મનમાં આનંદ તથા ખુશીના ભાવ સાથે ઘરે ગયા. પાછળથી આ સભાનો ઉલ્લેખ કરીને નેતાજીએ કહેલું, ‘આટલો વરસાદ હોવા છતાં લોકોએ કેટલી શાંતિપૂર્વક વાતો સાંભળી! આ જ બતાવે છે કે આપણા કામને લોકોનો સહકાર મળશે, તેમાં કોઈ જાતની શંકા નથી.’
“૧૯૪૩માં દુર્ગાપૂજાના સમાપનના દિવસે નેતાજીએ ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ મારફતે મારા માટે ગાડી મોકલી અને તેમના નિવાસસ્થાને આવવા માટે સવિનય આમંત્રણ મોકલ્યું. હું તે કાર દ્વારા પહોંચ્યો. આર્મગાર્ડ મને તેમના સેક્રેટરી પાસે લઈ ગયા અને મારો પરિચય કરાવ્યો. રાતના લગભગ ૯:૦૦ વાગ્યા હતા. શ્રી હસન મને ઉપરના માળે લઈ ગયા. મને જોઈને તરત જ નેતાજી ઊભા થઈ ગયા અને અત્યંત નમ્રતાપૂર્વક મારા પગને સ્પર્શીને પ્રણામ કર્યા. મને બેસવાનું કહીને, તેમના આસિસ્ટન્ટને ચા લાવવા જણાવ્યું. દરમ્યાન અમે વાતચીત શરૂ કરી. આપણાં કામમાં તેમને પડેલો રસ જોઈને મેં તેઓને આપણા સિંગાપુર આશ્રમની પ્રવૃત્તિઓ અંગે જણાવ્યું. મેં કહ્યું, ‘આપ અમારી ફિલોસોફી અને કાર્યપ્રણાલીથી સારી રીતે વાકેફ છો. અમારા ઓર્ડરના ધ્યેય અને આદર્શને ધ્યાનમાં રાખીને અમે પણ આપના કાર્યમાં શક્ય તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરીશું.’ તેઓના આદરપૂર્વકના આગ્રહથી રાત્રિનું ભોજન મેં તેમને ત્યાં જ લીધું. લગભગ મધ્યરાત્રિએ હું આશ્રમમાં પાછો ફર્યો. જ્યારે જ્યારે હું તેમને મળવા જતો, ત્યારે ત્યારે તેઓ મને ઉત્તમ ભોજન કરાવ્યા વગર જવા દેતા નહીં. તેઓની ઉદારતા અને તેમનો આતિથ્યસત્કાર ખરેખર પ્રશંસાપાત્ર હતાં.
“શ્રીમા શારદાદેવીની જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં અમારા આમંત્રણથી નેતાજી આપણા આશ્રમમાં આવ્યા હતા. તે દિવસે તેઓ મંદિરમાં બેઠા અને લગભગ અડધો કલાક ધ્યાન કર્યું. પૂજા થઈ ગયા પછી તેમણે પ્રસાદ લીધો અને અમે લગભગ એક કલાક સુધી વાતો કરી. તેમણે શ્રીચંડીમાં વિશેષ રસ દાખવ્યો, જેથી મેં મારું પુસ્તક તેમને આપ્યું, આથી તેઓ ખૂબ પ્રસન્ન થયા.”
“નેતાજી અમારા કામના ખૂબ જ સમર્થક હતા. અમે જ્યારે અનાથાશ્રમ બનાવવાની જાહેર વિનંતી કરી અને દાન માટે અપીલ કરી, ત્યારે તેઓએ સારી મદદ કરી હતી. વ્યક્તિગત રીતે તેમણે ૫૦,૦૦૦ ડોલરનું દાન કર્યું અને વધારે ૫૦,૦૦૦ ડોલર ભેગા કરી આપ્યા. અમારા ‘બોયઝ હોમ’ નું ઉદ્ઘાટન કરવા તેઓ જાતે આવ્યા હતા. અનાથ બાળકો માટે ખોરાકની તેમજ કપડાંની વ્યવસ્થા તેઓએ કરી હતી. યુદ્ધના સમયે બ્લેક માર્કેટ અને ફૂડ રેશનિંગના સંજોગોમાં તેમની મદદ વગર ૩૦૦ બાળકોની વ્યવસ્થા કરવાનું કાર્ય અમારા માટે ઘણું મુશ્કેલ હતું.”
આ લેખમાં સ્વામી ભાસ્વરાનંદ જણાવે છે કે જ્યારે જ્યારે સમય મળતો ત્યારે ત્યારે સુભાષચંદ્ર બોઝ સિંગાપુર ખાતેના આપણા ‘રામકૃષ્ણ આશ્રમ’માં ધ્યાન કરવા માટે આવતા.
(આ લેખની સામગ્રી સ્વામી ચેતનાનંદના પુસ્તક ‘Stories of Vedanta Monks’ vol. 1, પ્રકાશન- અદ્વૈત આશ્રમ, કોલકાતામાંથી સાભાર સ્વીકૃત છે.)
Your Content Goes Here