(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં)

દયા અને કરુણાવિહીન મનુષ્ય પશુ સમાન છે. આ બે ઉમદા ગુણો જીવનને મધુર, સરળ અને આનંદમય બનાવે છે. આ બંને ગુણ પ્રત્યેક મનુષ્યમાં વિભિન્ન માત્રામાં વિદ્યમાન હોય છે. તે વ્યક્તિ મહાન છે, જે અન્ય પર પ્રેમ અને કરુણા વરસાવે છે. પ્રેમ અને કરુણા દ્વારા વ્યક્તિ પાપરૂપ ગણાતા સ્વાર્થીપણા પર વિજય મેળવે છે. ઈસુએ પોતાના શિષ્યોને એમના પાડોશીઓને પ્રેમ કરવાનું તેમજ માર્ગમાં ઘાયલ બનીને પડેલ મનુષ્યને બચાવનાર સજ્જન ‘સમરિટન’ની જેમ બીજાઓ સાથે વર્તવાનું શીખવ્યું. બુદ્ધ, શ્રીરામકૃષ્ણ અને અન્ય મહાન પુરુષોએ તેમના અનુયાયીઓને અંત:કરણપૂર્વક લોકોને ચાહવાનું અને તેમની સેવા કરવાનું શીખવ્યું છે. શ્રીમા દયા અને કરુણાનો મૂર્તિમંત વિગ્રહ હતાં અને આ બેઉ સદ્‌ગુણો લોકો સાથેના તેમના સર્વ ક્રિયાકલાપોમાં પ્રગટ થતા હતા.

જો કે શ્રીમા તત્કાલીન રૂઢિ-આચારનું પાલન કરતાં હતાં, પરંતુ શ્રીમાને મન તે બધું સ્વીકાર્ય ન હતું. ઉદાહરણ રૂપે, શ્રીમાના જીવનકાળે રૂઢિચુસ્ત હિંદુ મહિલાઓ અત્યંત તપસ્વી જીવન વિતાવતી: તેઓ દિવસમાં એક જ વાર શાકાહારી ભોજન લેતી, એકાદશીના રોજ ઉપવાસ કરતી, મસ્તક મુંડન કરાવતી, શરીરે તેલ ન ચોળતી, સફેદ સાદી સાડી પહેરતી, આધ્યાત્મિક સાધનાઓ કરતી, અને એવું બધું કેટલુંય. શ્રીમા પોતે એ બધા કડક નિયમોનું અનુપાલન કરતાં ન હતાં. ઠાકુરની મહાસમાધિ બાદ શાકાહારી ભોજન લેતાં, સાંકડી લાલ કિનારની સફેદ સાડી પહેરતાં પણ મસ્તક મુંડન કરાવતાં ન હતાં.

સામાજિક દબાણ હેઠળ કેટલીક વિધવાઓ એવાં કષ્ટદાયક તપ કરતી કે જાણે સ્વયંને મારી નાખવા ન માગતી હોય! આવી એક મહિલાને શ્રીમાએ સલાહ આપી, ‘રાત્રે ઠાકુરને રોટલી, દૂધ, ફળ અને મીઠાઈ ધરાવીને પછી ભોજન રૂપે લે.’ તે સમયના રિવાજ મુજબ વિધવા રાંધેલો ભાત દિવસમાં બે વાર ખાઈ શકે નહીં. ઉપર્યુક્ત મહિલાના નબળા સ્વાસ્થ્યને લક્ષમાં લઈ શ્રીમાએ પ્રવર્તમાન નિયમમાં સુધારો કર્યો હતો.

બાંગ્લાદેશમાંથી ક્ષીરોદબાલા નામની વિધવા દીક્ષા અર્થે ઉદ્‌બોધનમાં આવી. તે અતિ તપસ્વિની મહિલા હતી અને હદ બહાર પ્રવર્તમાન નિયમો અનુસરતી. તેણે સંસ્મરણમાં નોંધ્યું:

“મારી સામે એકીટસે જોઈને શ્રીમાએ પૂછ્યું, ‘દીકરી, એકાદશીના રોજ તું શું ખાય છે?’ મેં જવાબ આપ્યો, ‘મોટેભાગે હું સાબુદાણા ખાઉં છું, પરંતુ તેમાં અન્ય ધાન્યનું મિશ્રણ કરાય છે, તેવું જાણીને હવે હું તે પણ લેતી નથી.’ શ્રીમાએ એ સાંભળતાંવેંત કહ્યું, ‘ના, ના, હું કહું છું કે તારે સાબુદાણા ખાવા, તે તારા શરીરને ઠંડું રાખશે.’ પછી દુ:ખભર્યા સ્વરે શ્રીમા બોલ્યાં, ‘દીકરી, તું ઘણું કઠોર તપ કરી રહી છે. હું કહું છું કે હવે તું વધુ ન કરીશ. તારું શરીર કાષ્ઠવત્‌ થઈ ગયું છે. દીકરી, તારું સ્વાસ્થ્ય ભાંગી પડશે તો તું આધ્યાત્મિક સાધના કેવી રીતે કરીશ?’

શ્રીમાએ મને પૂછ્યું કે શું હું તેલ વાપરું છું? મેં કહ્યું, ‘વિધવા થયા બાદ મેં તેલ વાપર્યું નથી.’ સાંભળીને શ્રીમાએ કહ્યું, ‘તેલ વાપરવાથી માથું ઠંડું રહે છે. તેથી તેલ વાપરજે.’ મેં કહ્યું, ‘લાંબા સમયથી મેં તેલ વાપર્યું નથી તેથી હવે મને તેની સૂગ આવે છે. મા! હું તેલ વાપરી શકવા અક્ષમ છું.’ ગોલાપ માએ કહ્યું, ‘તે યુવાન છે છતાં ઉપવાસ અને એવાં બીજાં વ્રત-તપ કરીને તેણે પોતાનું સ્વાસ્થ્ય નષ્ટ કરી નાખ્યું છે.’ ગૌરી માએ કહ્યું, ‘વહાલી  દીકરી, તું તારા વાળ કેમ કાપે છે?’ મેં કહ્યું, ‘અમારા પ્રદેશમાં વિધવા વાળ રાખતી નથી.’ ગૌરીમાએ જવાબ આપ્યો, ‘વાળ ન હોય તો આપણી આંખોની દૃષ્ટિ-શક્તિ નબળી પડે છે. જ્યારે તેં તારી જાતને શ્રીકૃષ્ણ ચરણે સમર્પિત કરી છે, તો પછી તે વાળ તારા ક્યાં રહ્યા?’ પછી યોગિન મા બોલ્યાં, ‘શરીર પરમાત્માનું મંદિર છે. તેને સમું-સુથરું રાખવું ડહાપણભર્યું છે.’ પણ શ્રીમાએ કહ્યું, ‘તેં સારું કર્યું છે. વાળ વધારવાથી કેટલેક અંશે સૌંદર્ય-ભાવમાં વૃદ્ધિ થાય છે, કારણ કે તેની સારસંભાળ લેવી પડે છે. તેથી તેં જે કર્યું તે યોગ્ય છે. તેં વિલાસિતાના ભાવને જીત્યો છે અને વળી તું અહીં આવી છે. તેં જેના માટે આટલું તપ કર્યું છે, તેના પરિણામ રૂપે તને હાલમાં આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. હું કહું છું કે હવે આવી તપસ્યાઓ વધુ કરીશ નહીં. કાલે તારી મંત્રદીક્ષા થશે. સવારે આઠ વાગે અહીં આવજે. ગંગામાં ડૂબકી લગાવીને માર્ગમાંના મંદિરમાં કાલીમાતાનાં દર્શન કરીને આવવું સારું.’

ઠાકુર જ્યારે જીવિત હતા ત્યારે એક વાર યોગિન મા એમનાં વિધવા માસીને લઈને દક્ષિણેશ્વર ગયાં. તે દિવસે એકાદશી હતી અને તે વિધવા સ્ત્રીએ ઉપવાસ કર્યો હતો—ન તો અન્ન, ન તો જળ. તેણે આગલા દિવસે પણ ઉપવાસ કર્યો હતો. જ્યારે તે વૃદ્ધ સ્ત્રી નોબતખાનામાં પહોંચી ત્યારે હાંફતી હતી અને ટટ્ટાર ઊભી પણ રહી શકતી ન હતી. શ્રીમાએ તેને પકડી રાખી અને પૂછ્યું, ‘હું તને થોડુંક શરબત આપું?’ તેણે ઉપવાસ કર્યો હતો માટે તે લેવાનો ઇન્કાર કર્યો. થોડીક વાર પછી શ્રીમા અને યોગિન મા તેને ઠાકુરના ઓરડામાં લઈ ગયાં. પગથિયાં ચઢતાં તે પડી જવા લાગી. ઠાકુર આગળ આવ્યા અને પોતે તેને પકડી લીધી. ઠાકુરે પૂછ્યું, ‘કેમ હાંફે છે?’ યોગિન માએ સઘળી બિના જણાવી, એટલે ઠાકુરે માને કહ્યું કે તેને શરબત કેમ ન આપ્યું? શ્રીમાએ કહ્યું, કે મેં તો તેને શરબત આપવા કહ્યું હતું પણ તેણે ઇન્કાર કર્યો. એટલે ઠાકુરે છાજલી પરથી થોડીક ખાંડ લીધી, ગંગાજળ લઈ તેમાં ઓગાળી અને તે સ્ત્રીને શરબત પીવા આપ્યું. તેણે ઠાકુર સામે જોયું અને કંઈ જ બોલ્યા વિના પી ગઈ. તેણે કૃતજ્ઞતાપૂર્વક કહ્યું, ‘બાબા, હવે મારું અંત:કરણ શાંત થયું.’ શ્રીરામકૃષ્ણ અને શ્રીમાએ દેહદમન માટે ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી. ભૂખથી પીડાતી વ્યક્તિ ક્યારેય પોતાનું મન ઈશ્વર પ્રતિ એકાગ્ર ન કરી શકે. ઠાકુર કહેતા, ‘ભૂખ્યા પેટે ઈશ્વર-ભજન ન થાય.’ શ્રીમા પણ કહેતાં, ‘પહેલાં અન્ન-જળથી તમારા દેહને શાંત કરો, પછી ઈશ્વરને પોકારો.’ આ અત્યંત વહેવારુ ઉપદેશ છે.

શ્રીમાનાં ભાભી સુરબાલા તેમના પતિના અવસાન બાદ અત્યંત દુ:ખી થઈ ગયાં અને તેમણે ઉકાળેલા ભાત સાથે ઘી દિવસમાં એક જ વાર ખાવાનો અને નિર્જળા એકાદશી કરવાનો નિર્ધાર કર્યો. શ્રીમાએ તેમને કહ્યું, ‘આત્મદમન ન કર, પાણી તો પી. જુઓ, જીવાત્મા કંઈક ખાવાનું માગે છે તો તેને ખાવાનું આપવું જોઈએ, અન્યથા ઉપવાસ હાનિકારક કૃત્ય બને છે. જીવાત્મા પોકારી ઊઠે છે, ‘તેણે મને અન્નથી વંચિત રાખ્યો.’ શ્રીમા, યોગિન મા અને ગોલાપ મા એકાદશીના રોજ પૂર્ણ ઉપવાસ કરતાં ન હતાં; તેઓ પૂરી, ફળ અને મીઠાઈ ખાતાં.

શ્રીમાને સમાજના દરિદ્રો અને દલિત-પતિત લોકો પ્રત્યે સહાનુભૂતિ હતી. ક્ષીરોદબાલા રાયે નોંધ્યું હતું:

એક દિવસે એક સ્ત્રી ધાબળા વેચવા આવી. નલિનીદીદી ધાબળાની કિંમત નક્કી કરતાં હતાં. વેચનાર બાઈ સવા રૂપિયો કહેતી હતી, અને નલિનીદીદી એક રૂપિયો કહેતાં હતાં. માએ દૂરથી રઝઝક સાંભળી, નલિનીદીદીને બોલાવીને તેમણે કહ્યું, ‘તું એની સાથે શી રકઝક કરે છે?’ નલિનીદીદી કહે, ‘ધાબળાનો હું એક રૂપિયો આપવા માગું છું, એ પાવલી વધારે માગે છે.’ આથી થોડાં નારાજ થઈને શ્રીમા બોલ્યાં, ‘પાવલી બચાવવા માટે તું ક્યારની કેટલી રકઝક કરે છે? થોડા પૈસા પ્રાપ્ત કરવા માટે, માથે ધાબળા ઊંચકી એ ઘેર ઘેર ભટકે છે, ને તેં થોડા પૈસા બચાવવા માટે એને ક્યારની ખોટી કરી છે. વળી તારે ધાબળાનું શું કામ છે? તારી પાસે બધુંય છે. છતાં તું એક વધારે ધાબળો ખરીદવા માગે છે?’ પછી મારી સામે જોઈ શ્રીમા કહે, ‘તું મારી દીકરીને ધાબળો આપ તો સારું. એક ધાબળાથી વધારે એ કશું વાપરતી નથી. એની પાસે ધાબળો પણ એક જ છે. એ વડે જ એ શિયાળો પસાર કરે છે. છતાં એ કોઈ પાસે ધાબળો માગતી નથી.’ ક્ષીરોદબાલાને શ્રીમાની કરુણા સ્પર્શી ગઈ અને શ્રીમા કેવી રીતે જીવનયાપન કરે છે તે જોઈ વિસ્મય પામી.

પ્રેમ માનવ-માનવ વચ્ચેનાં હૃદયને જોડે છે. પ્રેમવિહોણું જીવન નિષ્પ્રાણ અને શુષ્ક, કંટાળાજનક અને ઉદ્વિગ્નતાપૂર્ણ, બોજારૂપ અને નીરસ, દુ:ખપૂર્ણ અને નિરાનંદ હોય છે. ટેનિસને કહ્યું છે, ‘કદાપિ પ્રેમ ન કરવા કરતાં પ્રેમ કરીને અંત પામવો સારો છે.’

એક તોફાની છોકરીને શ્રીમાએ એના પરિવારજનોને કેવી રીતે પ્રેમ કરવો તે શીખવ્યું. ભવનાથ ચટ્ટોપાધ્યાયની પૌત્રી પોતાનાં માતાપિતા સાથે નિયમિતપણે ઉદ્‌બોધન આવતી અને શ્રીમા તેને પુષ્કળ મીઠાઈ ખાવા માટે આપતાં. તે નવ વર્ષની હતી ત્યારે શ્રીમાએ તેને મંત્રદીક્ષા આપી. એક વાર જ્યારે શ્રીમા જયરામવાટી જવા રવાના થતાં હતાં ત્યારે તેમણે તે છોકરીને કહ્યું, ‘દીકરી, તું ઘણા સમયથી અહીં આવે છે. તું મને ચાહે છે?’

‘હા, હું તમને ઘણો પ્રેમ કરું છું.’ શ્રીમાએ પૂછ્યું, ‘કેટલો?’ છોકરીએ જેટલા પહોળા થઈ શકે તેટલા તેના હાથ પહોળા કર્યા અને કહ્યું, ‘આટલો.’

શ્રીમા: હું હાલ જયરામવાટી જઈ રહી છું, ત્યારે પણ તું મને પ્રેમ કરતી રહીશ?

નાની છોકરી: હા, હું પહેલાં જેટલો જ પ્રેમ કરતી રહીશ. હું તમને નહીં ભૂલું.

શ્રીમા: મને તેની કેવી રીતે ખબર પડશે?

નાની છોકરી: હું તમને એ જણાવવા શું કરી શકું?

શ્રીમા: તું તારા ઘેર જો બધાંને પ્રેમ કરીશ તો મને મારા પ્રત્યેના પ્રેમની ખાતરી થશે.

નાની છોકરી: જરૂર, હું તે બધાંને પ્રેમ કરીશ. હું કોઈને પજવીશ નહીં.

શ્રીમા: ઘણું સારું. મને કેવી રીતે ખબર પડશે કે તું બધાંને સમાનપણે પ્રેમ કરે છે, કોઈને વત્તો-ઓછો નહીં?

નાની છોકરી: મારે બધાંને સમાનપણે પ્રેમ કરવા શું કરવું જોઈએ?

શ્રીમા: બધાંને સમાનપણે કેવી રીતે પ્રેમ કરાય તે હું તને કહું. તને જે વસ્તુ ગમતી હોય તેની માગણી કરવી નહીં. જો તું કંઈક માગીશ તો તને કોઈ વધારે આપશે અને કોઈ ઓછી. જે તને વધારે આપશે તેને તું વધુ પ્રેમ કરીશ અને તને જે ઓછું આપશે તેને ઓછો પ્રેમ કરીશ. આમ તારો પ્રેમ બધાં પ્રત્યે સમાન નહીં રહે. તું બધાંને નિષ્પક્ષપણે પ્રેમ કરી શકીશ નહીં.

છોકરીએ શ્રીમાને વચન આપ્યું કે તે બદલામાં કશાયની અપેક્ષા વિના બધાંને પ્રેમ કરશે. તેના પરિવારજનોએ જણાવ્યું કે તે સમય બાદ તે છોકરીનું વર્તન નોંધપાત્ર રીતે બદલાયું.

Total Views: 770

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.