(ભાષાંતરકારઃ શ્રી નલિનભાઈ મહેતા)
ભીષ્મ – મહાભારતના આધારસ્તંભ
એક દિવસ રાજા શાન્તનુ ગંગા કિનારે એક હરણનો પીછો કરી રહ્યા હતા. તેના પર તીર ચલાવ્યા પછી રાજાએ નદી તરફ જોયું તો તેમાં એક જગ્યાએથી પાણી ખસી ગયું હતું. આ વિચિત્ર ઘટના જોઈને તેઓ ચકિત થઈ ગયા અને મનમાં ને મનમાં તે વિષયમાં વિચાર કરવા લાગ્યા. ત્યારે તેમણે જોયું કે એક સોળ વર્ષનો સુંદર બાળક પાણીમાં તીર ચલાવીને એક આડશ બનાવી રહ્યો હતો. તે યુવક એકલો જ એ વિશાળ નદી વચ્ચે એક બંધ બનાવી રહ્યો હતો. રાજા અચંબિત થઈને એ તરુણની આવડત પર વિચાર કરવા લાગ્યા. એ સમયે મા ગંગા પ્રગટ થયાં અને એ કિશોરને રાજાના હાથમાં સોંપીને કહેવા લાગ્યાં, ‘આ તમારો જ આઠમો પુત્ર છે. મેં તેને બહુ પ્રયત્નપૂર્વક પાળી-પોષીને મોટો કર્યો છે. તેણે વશિષ્ઠ મુનિ પાસેથી બધા વેદ અને વેદાંગ વાંચી લીધાં છે. એક યોદ્ધા તરીકે તે ઇન્દ્ર સમાન કુશળ ધનુર્ધર છે. તે રાજાનો ધર્મ પણ ખૂબ સારી રીતે જાણે છે.’
આટલું કહીને બાળકને શાન્તનુના હાથમાં સોંપીને ગંગાજી અંતર્ધ્યાન થઈ ગયાં. પોતાના પ્રિય પુત્રને મેળવીને શાન્તનુની ખુશીનો પાર ન રહ્યો. તેઓ આનંદવિભોર થઈને એ સુંદર બાળકની સાથે પોતાના પાટનગરમાં પરત ફર્યા. તે પછી થોડા સમયમાં જ તેમણે પોતાના તે પુત્ર ગાંગેય અથવા દેવવ્રતને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો.
ચાર વર્ષ બહુ જ આનંદમાં વીતી ગયાં. એક દિવસ શાન્તનુ યમુના નદીને કિનારે ટહેલી રહ્યા હતા. તેમની નજર એક અત્યંત સ્વરૂપવાન કન્યા પર પડી. એક ઋષિના વરદાનના ફળસ્વરૂપે તેના દેહમાંથી એક દિવ્ય સુગંધ પ્રસારિત થતી હતી અને તે સમયે એ સુગંધ સમગ્ર જંગલમાં ફેલાઈ ગઈ હતી.
રાજાએ તેને પૂછ્યું, ‘ઓ સુંદર કન્યા, તું કોણ છે અને અહીં શું કરી રહી છે?’ કન્યાએ ઉત્તર આપ્યો, ‘હું માછીમારોના નેતાની પુત્રી સત્યવતી છું. હું પુણ્ય કમાવા માટે યાત્રીઓને નદીને પેલે પાર પહોંચાડું છું.’
શાન્તનુએ તેના પ્રતિ આકર્ષણ અનુભવ્યું અને તેની સાથે લગ્ન કરવા ઉત્સુક થઈ ગયા. તેઓ તેના પિતા પાસે ગયા અને એ કન્યા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
પરંતુ માછીમારે કહ્યું, ‘હે રાજા, આ અમારે માટે બહુ ગૌરવની વાત છે કે આપ મારી પુત્રી સાથે લગ્ન કરવા માગો છો, પણ તેની સાથે લગ્ન કરતાં પહેલાં તમારે મને એક વચન આપવું પડશે.’
શાન્તનુએ કહ્યું, ‘પરંતુ હું તમને વચન આપું એ પહેલાં તમે મને એ જણાવો કે તમારી શરત શું છે?’ માછીમાર બોલ્યો, ‘ફક્ત એટલી જ કે તેનો પુત્ર તમારો ઉત્તરાધિકારી બને.’
શાન્તનુ તે કન્યા પ્રત્યે આકર્ષિત થયા હોવા છતાં એવું વચન કદાપિ આપી શકે તેમ ન હતા. તેઓ દેવવ્રતને સિંહાસનથી વંચિત કરવાની કલ્પના પણ કરી શકે તેમ ન હતા. ભારે હૃદય સાથે તેઓ પોતાના મહેલમાં પાછા ફર્યા.
આ ઘટનાનો ઉલ્લેખ તેમણે કોઈની પણ પાસે ન કર્યો, પરંતુ તેઓ ઉદાસીનતા અને એકાંતમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યા.
પરંતુ દેવવ્રત સમજી ગયા કે મારા પિતા શોકમગ્ન છે. તેઓ શાન્તનુ પાસે ગયા અને બોલ્યા, ‘પિતાજી, આજકાલ આપ બહુ દુઃખી દેખાઓ છો. આપના દુઃખનું શું કારણ છે? મને કહો કે હું તમારી શી મદદ કરી શકું.’
રાજાએ કહ્યું, ‘બેટા, હું તને મારા શોકનું કારણ કહીશ. તું મારો એકનો એક પુત્ર છો. જ્યારે હું આ જીવનની અનિશ્ચિતતા વિષે વિચારું છું ત્યારે મને એવું થાય છે કે તને જો કંઈ થઈ ગયું તો હું ફરી પુત્ર વિનાનો થઈ જઈશ. આમ તો તું એકલો જ મારા સો પુત્ર સમાન છો. એટલા માટે હું ફરી લગ્ન કરવા નથી માગતો. મારી તો કેવળ એ જ ઇચ્છા અને પ્રાર્થના છે કે તને લાંબું આયુષ્ય મળે અને લાંબા સમય સુધી તું આપણો વંશ ચલાવતો રહે. પરંતુ જ્ઞાની લોકો કહી ગયા છે કે માત્ર એક પુત્રનું હોવું તે નિ:સંતાન હોવા બરાબર જ છે. હું એ પણ જાણું છું કે તારા જેવો પુત્ર હોવાના કારણે મને જરૂર સ્વર્ગ પ્રાપ્ત થશે. આમ તો તું એક મહાન યોદ્ધો છે, પરંતુ કોઈ અઘટિત પરિસ્થિતિમાં જો તારું મૃત્યુ થઈ જાય તો આપણા વંશનું શું થાય? આ ચિંતાએ જ મને શોકમગ્ન બનાવી દીધો છે.’
બુદ્ધિમાન દેવવ્રતે થોડી વાર વિચાર્યું અને રાજાના વૃદ્ધ મંત્રીને પૂછીને તેમના શોકનું સાચું કારણ જાણી લીધું કે રાજા માછીમારની કન્યા સાથે લગ્ન કરવા માગે છે, પણ સાથે સાથે દેવવ્રતને કોઈ અન્યાય કરવા પણ માગતા નથી.
દેવવ્રત દરબારીઓ અને અમલદારોને સાથે લઈ તે માછીમારના ઘેર પહોંચ્યા અને તેના પિતા માટે તેની પુત્રીનો હાથ માગ્યો.
માછીમારે પોતાની શરત ફરી કહી. તે સાંભળી દેવવ્રત બોલ્યા, ‘હે માછીમારોના નેતા, મારી પ્રતિજ્ઞા સાંભળી લો. હું વચન આપું છું કે તમારી કન્યાનો પુત્ર જ અમારો હવે પછીનો રાજા બનશે.’
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા)
Your Content Goes Here