સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો દીવાને સ્વચ્છ રાખી શકીએ માત્ર. જીવન એ એક ઉત્પાદન છે, એક મિશ્રણ છે, અને એવું હોવાથી તે તેનાં મૂળ તત્ત્વોમાં પાછું ભળી જ જવાનું.”
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 3, Pg. 285)
કેટલું સુંદર અને કાવ્યાત્મક અવતરણ છે! આપણે દીપક છીએ અને આપણું પ્રજ્વલિત થવું એ જીવન છે. કોઈ જ્યોતિ કે અગ્નિને પ્રકાશમાન રાખવા માટે ઑક્સિજનની જરૂર હોય છે. જ્યારે ઑક્સિજન સમાપ્ત થઈ જાય છે ત્યારે આ દીપક કે જ્યોતિ બુઝાઈ જાય છે.
આપણું કામ શું છે? જેમ કે, ફાનસના કાચના ગોળામાં મેંશ જામી જવાથી હવાની અવરજવરનો રસ્તો બંધ થઈ જાય તો ફાનસની અંદરની અગ્નિ કે જ્યોતિ ઓલવાઈ જાય. જેવી રીતે દીપકનું જીવન ઑક્સિજન પર આધારિત હોવાથી શુદ્ધ હવાનો પુરવઠો પ્રદીપને મળતો રહે, એટલું જ આપણે કરી શકીએ છીએ અર્થાત્ આપણું જીવન નીતિપરાયણ છે કે નહિ એ બાબતનું આપણે ધ્યાન રાખી શકીએ છીએ. આ નીતિ, ધર્મ તથા અધ્યાત્મ વગેરે આપણા જીવનમાં ઑક્સિજનનું કામ કરે છે, જેને ગ્રહણ કરીને આપણો આ જીવનરૂપી પ્રદીપ હરપળ પ્રજ્વલિત રહે છે.
દીપકને પ્રકાશમાન રાખવા માટે ઘી, તેલ કે મીણ વગેરે ઇંધણ જરૂરી છે, માટે દીવડાની અંદર આપણે એ પુરીએ છીએ. આ ઇંધણ ઉત્પાદન અર્થાત્ મિશ્રણ કે સંયોજન છે. એને પ્રજ્વલિત કરવાથી એ તો પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે. એવી જ રીતે આપણું જે આ શરીર છે તે પણ ધી-તેલ કે દીપકની માફક પ્રજ્વલિત થાય છે. અગ્નિમાંથી પ્રગટ થતો પ્રકાશ છે આધ્યાત્મિક ઓજસ. હવે આનો અર્થ શું થાય? ઓજસ છે આપણી પ્રાણશક્તિ અથવા તો આધ્યાત્મિક શક્તિ. જે વ્યક્તિમાં ઓજસનું પ્રમાણ જેટલું વધારે હશે, તે વ્યક્તિ તેટલી જ આધ્યાત્મિક કે સાત્ત્વિક હશે તથા જે વ્યક્તિમાં ઓજસનું પ્રમાણ ઓછું હશે, તે વ્યક્તિ વધુ પ્રમાણમાં રાજસિક હશે. દીપક ઓલવાઈ જવાથી જેમ અંધારું ફેલાઈ જાય, તેમ ઓજસ વધુ માત્રામાં ઓછું થઈ જવાથી તે વ્યક્તિ તામસિક બની જશે.
કેટલી સુંદર ઉપમા! આપણું શરીર કે આપણું જીવન એક પ્રદીપ સમાન છે. એ પંચમહાભૂતનું બનેલું છે અને જેમ જેમ આપણે સાધનામાં પ્રગતિ કરીશું, તેમ તેમ આ પ્રદીપની જ્યોતિ-શિખા પ્રકાશિત થતી જશે, ઝળહળી ઊઠશે તથા તેમાંથી જે ઓજસ કે આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે, તેનાથી સમસ્ત સમાજનું કલ્યાણ આપણે કરી શકીશું.
જગાઈ-મઘાઈ નામના બે પાપીઓ હતા. તેમણે જીવનમાં અનેક દુષ્કૃત્યો કર્યાં હતાં, પરંતુ ભગવાન ચૈતન્ય મહાપ્રભુની શરણમાં આવીને તેમણે પોતાનું જીવન ધન્ય બનાવી લીધું હતું. જેમ કે, દક્ષિણેશ્વર કાલીમંદિરના સ્થાપક રાણી રાસમણિના જમાઈ મથુરબાબુ. તેઓ અતિ ધનાઢ્ય હતા, ધનનું મહત્ત્વ સમજતા હતા, ધનની મહત્તા જાણતા હતા, અને માનતા હતા કે ધન-દૌલત-પૈસા જ જીવનનું સર્વસ્વ છે. તેમને લાગતું હતું કે સંસારના બધા લોકો ધન માટે જ લાલાયિત છે અને દરેક વ્યક્તિની એક કિંમત હોય છે. એ કિંમત ચૂકવવાથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખચકાટ કે બહાના કાઢ્યા વગર તમારું સારું કે નરસું કામ કરી આપશે. જ્યારે તેમણે ઠાકુરનાં દર્શન કર્યાં, ઠાકુરનું શુદ્ધ-પવિત્ર જીવન જોયું ત્યારે તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. વિચાર્યું કે અરે, આ મહાપુરુષ તો રૂપિયા-પૈસા સામે જરા અમથી નજર પણ નથી નાખતા! એ ધન-દૌલતની પરવા પણ નથી કરતા. કોણ છે આ સંતપુરુષ? જુઓ, જે ધનનું મહત્ત્વ સમજે છે, પૈસાની ગરિમા જાણે છે, અને સાથે સાથે જ ઈશ્વર ઉપર થોડા ઘણા શ્રદ્ધાવાન હોય છે તેઓ ધનદોલતને તરછોડી દેનાર મહાપુરુષને જુએ તો તરત જ જઈને તેમનાં ચરણોમાં પડી જશે.
મથુરબાબુની ઠાકુર પ્રત્યે ઘણી શ્રદ્ધા-ભક્તિ હતી છતાં પણ તેઓ વિષયાસક્ત માણસ હોવાથી દરેક વસ્તુને છેવટે તો પૈસાથી જ માપતા. આથી તેઓ મનોમન વિચારતા કે, “હું કંઈ કાયમને માટે તો કાલીવાડીનો કર્તાહર્તા રહેવાનો નથી, તો ચાલો, ઠાકુર માટે કોઈ કાયમી આર્થિક વ્યવસ્થા કરીને જઉં.” મથુરબાબુ તો રાણી રાસમણિના જમાઈ હતા, પુત્ર નહીં. તેથી જો મથુરબાબુનાં પત્નીનું મૃત્યુ થાય તો તેનો વહીવટ તાત્કાલિક ધોરણે અન્ય જમાઈને મળી જાય. ત્યાર પછી વાસ્તવમાં આવું બન્યું પણ હતું. મથુરબાબુની પહેલી પત્નીનું નિધન થયું. તેથી તેમના હાથમાંથી આ વહીવટ ચાલ્યો જ જવાનો હતો, પરંતુ મથુરબાબુ વહીવટમાં ઘણા કાર્ય-કુશળ હતા, તેથી રાણી રાસમણિ કોઈ પણ ભોગે તેમને પોતાના પરિવારમાં રાખવા માગતાં હતાં. આથી તેમણે પોતાની નાની પુત્રીનો વિવાહ મથુરબાબુ સાથે કરી દીધો.
ઠાકુરનો ભાણેજ હૃદય ઠાકુરની સાથે રહીને એમની સેવા કરતો હતો. હૃદય સાથે મળીને મથુરબાબુ આ વિષયક રૂપરેખા ઘડવા લાગ્યા. એક દિવસ જ્યારે ઠાકુર કાલીમંદિરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે હૃદય અને મથુરબાબુ મંદિરની બહાર ઊભા હતા. મથુરબાબુએ હૃદયને કહ્યું કે, “ઠાકુરની સેવા સારી રીતે ચાલતી રહે એ માટે હું ઇચ્છું છું કે કેટલાક પરગણાં હું ઠાકુરના નામે લખી આપું, જેથી એ જમીનદારીના કરવેરામાંથી ઠાકુરની સેવા ચાલતી રહેશે.” પહેલાંના સમયમાં આવું થતું હતું. રાજા કોઈ મોટું મંદિર બનાવતા તો થોડાક પરગણાં મંદિરના નામે લખી દેતા, જેથી એ પરગણામાંથી વસૂલ કરેલા કરવેરામાંથી મંદિરની સારસંભાળ રાખી શકાય.
હૃદય અને મથુરબાબુ નહોતા ઇચ્છતા કે ઠાકુરને આ વાતની જાણ થાય, કેમ કે તેમને ખબર હતી કે ઠાકુર આવી વાતો સાંભળીને નારાજ થઈ જાય છે. તેથી છૂપાઈને વાતો કરતા હતા. પરંતુ ઈશ્વરની ઇચ્છાથી ઠાકુરે આ વાત સાંભળી લીધી અને મથુરબાબુને મારવા દોડ્યા કે, સાલા! તું મને વિષયી અર્થાત્ સંસારી બનાવી દેવા માગે છે? મથુરબાબુ તો બાપડા ડરી ગયા કે જો ઠાકુર નારાજ થઈ જશે તો મારું અહિત થશે. તેથી તેઓએ આ વિચાર હંમેશને માટે પડતો મૂકી દીધો.
રાણી રાસમણિ અને મથુરબાબુ ઠાકુર જ્યાં રહેતા હતા એ દક્ષિણેશ્વર કાલીમંદિરનાં માલિક હતાં. પરંતુ જે લોકો પાસેથી તેમને રહેવા-ખાવાનું મળતું હતું, એમને જ ઠાકુર સજા આપવા તૈયાર થઈ જતા હતા! રાણી રાસમણિને પણ એક વાર થપ્પડ મારી દીધી હતી! એક દિવસ ઠાકુર મંદિરમાં બેઠા હતા, ત્યાં રાસમણિ આવ્યા અને ઠાકુરને ભજન ગાવાનું કહ્યું. ઠાકુર માનું ભજન ગાવા લાગ્યા, પરંતુ રાસમણિનું મન બીજે ક્યાંક રમી રહ્યું હતું, હોઈ શકે કે કોર્ટના કેસ અંગે વિચાર કરી રહ્યાં હોય. જ્યારે ઠાકુરે જોયું કે માના ભજનમાં તેમનું ધ્યાન નથી તો ઊભા થઈને તેમને તમાચો મારી દીધો!
જુઓ તો ઠાકુરનાં ત્યાગ અને વૈરાગ્ય! ન તો એમને આ સંસારની કંઈ ફિકર હતી કે ન તો રૂપિયા- પૈસાની. પણ એવું તો નથી કે રોટી-કપડાં-મકાન વગર જગતમાં રહી શકાય. રામકૃષ્ણ સંઘની સ્થાપના થયા બાદ યુવાન સાધુઓ જ્યારે તપસ્યા માટે જવાની વાત કરતા ત્યારે શ્રીમા કહેતા કે, “અરે! તમે તડકામાં ભિક્ષાટન કરવા ક્યાં ભટકતા ફરશો? ઠાકુરને તો મથુરબાબુએ ખીર-ભોજનની વ્યવસ્થા કરી આપી હતી, માટે તેઓ શાંતિથી સાધના કરી શક્યા હતા.”
આમ, શ્રીમાને પણ આ વાતનો ખ્યાલ હતો. ઠાકુર સ્વયં પણ આ વાત સારી રીતે જાણતા હતા, પરંતુ તેઓ ઈશ્વરીયભાવમાં એટલા તન્મય રહેતા અને જગદંબા ઉપર એટલા નિર્ભર રહેતા હતા કે જ્યારે એમને એવું પ્રતીત થતું કે સામેની વ્યક્તિમાં ભૌતિક સુખોપભોગની લાલસા છે અથવા એવી કોઈ વાત છેડે છે, ત્યારે ઠાકુર અત્યંત નારાજ થઈ જતા અને તેને સજા આપવા દોડી જતા!
ઠાકુરનાં માતૃશ્રી ચંદ્રામણીદેવી તેમનાં પૌત્ર અક્ષયના મૃત્યુથી ખૂબ જ દુઃખી થઈ ગયેલાં હોવાથી કામારપુકુરમાં રહેવાની તેમની ઇચ્છા નહોતી, આથી તેઓ દક્ષિણેશ્વરમાં બારેક વર્ષ સુધી રહ્યાં હતાં. તેઓ નોબતખાનામાં રહેતાં હતાં. ઠાકુર દિવસમાં એકાદ બે વાર પોતાની જન્મદાત્રી મા પાસે જઈને બેસતા, સારી સારી વાતો કરતા.
ચંદ્રામણીદેવી ખૂબ જ સહજ, સરળ સ્વભાવના હતાં. ઈશ્વર પ્રત્યે એમને ખૂબ શ્રદ્ધા-ભક્તિ હતાં. એમને અતૂટ વિશ્વાસ હતો કે આ જગતમાં ઈશ્વર સાક્ષાત્ બિરાજમાન છે અને તેમની બધી વાત સાંભળે છે. આપણી એટલી પ્રબળ ધારણા નથી હોતી કે ઈશ્વર સાક્ષાત્ આપણી સામે મંદિરમાં બિરાજમાન છે. આપણા માટે તો ઈશ્વર એક અમૂર્ત પરિકલ્પના-ધારણા માત્ર છે. આપણે એટલું અવશ્ય સ્વીકાર કરીશું કે હા, એક નીતિપરાયણ જીવન, સાધન-ભજનમય જીવન જીવવું જરૂરી છે, પરંતુ ઈશ્વર મંદિરમાં સાક્ષાત્ બિરાજમાન છે અને આપણે ઇચ્છા થાય ત્યારે તેમની સાથે વાત કરી શકીએ છીએ—આવાં દૃઢ વિશ્વાસ કે શ્રદ્ધા આપણા જેવા ભણેલા-ગણેલા લોકોમાં સહેલાઈથી નથી આવતાં.
ચંદ્રામણીદેવી આધુનિક વ્યાખ્યા અનુસાર સાક્ષર કે ભણેલાં-ગણેલાં ન હતાં. પરંતુ આપણી ભારતીય પરંપરા તથા દસ હજાર વર્ષ પુરાણી આપણી આધ્યાત્મિક સંપદનો સાર શું છે? સાર છે, ઈશ્વરના અસ્તિત્વમાં દૃઢ વિશ્વાસ.
સ્વામીજીએ જ્યારે ઠાકુર પાસે જઈને પૂછ્યું કે શું આપે ઈશ્વરને જોયા છે? ત્યારે ઠાકુરે ઉત્તર આપ્યો હતો કે જેવી રીતે હું તને જોઈ શકું છું, તે જ પ્રમાણે ઈશ્વરને જોઉં છું, અને એટલું જ નહિ, હું તને પણ તેમનાં દર્શન કરાવી શકું છું.
તો ઈશ્વર સાક્ષાત્ આપણી સમક્ષ બિરાજમાન છે, તેમની સાથે આપણે વાર્તાલાપ કરી શકીએ છીએ, તેમનાં સલાહ-સૂચન લઈ શકીએ છીએ, આપણાં અહંકાર, કામના-વાસનાનો ત્યાગ કરી શકીએ છીએ, એમનાં શ્રીચરણોમાં આપણું જીવન સમર્પિત કરી શકીએ છીએ—આ બાબતની દૃઢ ધારણા આપણને નથી થતી. આપણે તો ઈશ્વરના અસ્તિત્વ વિશે માત્ર બૌદ્ધિક અનુમાન જ ચલાવીએ છીએ. પરંતુ ચંદ્રામણીદેવીનો તો દૃઢ વિશ્વાસ હતો. આ અર્થમાં તેઓ આપણા કરતાં વધુ સાક્ષર હતાં.
દક્ષિણેશ્વરમાં એક મિલ હતી. એ મિલના વિશ્રામ કે ચાલુ-બંધ થવાના સમયે ભૂંગળું વાગતું. એ સાંભળીને ચંદ્રામણીદેવી એવું સમજતાં કે વૈકુંઠનો શંખ વાગે છે અને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવવામાં આવે છે. મિલના કર્મચારીઓને માટે બાર વાગ્યે ભોજન માટે જ્યાં સુધી મિલનું ભૂંગળું ન વાગતું, ત્યાં સુધી ચંદ્રામણીદેવી પણ ભોજન ગ્રહણ કરતાં નહીં. ક્યારેક ક્યારેક તો ઠાકુર સ્વયં ખૂબ ચિંતિત થઈ જતા કે માને કેવી રીતે મનાવે? મિલના નિયમ મુજબ ભૂંગળું ક્યારેક વહેલું તો ક્યારેક મોડું પણ વાગતું. એ ન સંભળાય ત્યાં સુધી ચંદ્રામણીદેવી ઉપવાસ કરતાં! તદુપરાંત, રવિવારે મિલમાં રજા રહેવાથી ભૂંગળું વાગતું જ નહીં, પરિણામે ચંદ્રામણીદેવી ભોજન કરતાં નહીં.
એક દિવસ હૃદય ક્યાંકથી શંખ લઈ આવ્યો અને નોબતની પાછળ જઈને શંખમાં ફૂંક મારીને ભૂંગળા જેવો અવાજ કાઢવા લાગ્યો, ત્યાર બાદ ચંદ્રામણીદેવીને કહ્યું કે ચાલો, ભૂંગળું વાગી ગયું, હવે ભોજન ગ્રહણ કરી લો. તો ચંદ્રામણીદેવી હસતાં હસતાં કહેવાં લાગ્યાં કે અરે, નહીં. મને ખબર છે કે એ ભૂંગળું તો તું વગાડી રહ્યો હતો. એ વૈકુંઠનું ભૂંગળું નથી, તેનો અવાજ તો અલગ જ છે. આમ, એટલો સહજ, સરળ તેમનો વિશ્વાસ હતો કે ઠાકુર ખુદ એમને ભોજન કરાવવા માટે પરેશાન થઈ જતા હતા. ઠાકુર કરતાં પણ ચંદ્રામણીદેવીનો વિશ્વાસ અનેકગણો વધારે હતો.
હવે મથુરબાબુએ એક અલગ યોજના બનાવી કે જો ઠાકુર તેમની પાસેથી પૈસા ગ્રહણ નહીં કરે તો ચંદ્રામણીદેવી પાસે જઈને તેમને મનાવશે કે આપ કંઈક ગ્રહણ કરો, જેથી ભવિષ્યમાં ઠાકુરની સેવા થઈ શકે. મથુરબાબુ વચ્ચે વચ્ચે નોબતખાનામાં ચંદ્રામણીદેવીને મળવા જતા. ‘દાદીમા’ કહીને એમને આદર-સન્માન આપતા. ચંદ્રામણીદેવી પણ તેમનાથી બહુ પ્રસન્ન રહેતાં કે મારો પુત્ર મથુર આવ્યો છે અને મારી સાથે વાતચીત કરે છે. એક દિવસ મથુરબાબુએ વાતચીત દરમિયાન લાગ જોઈને ચંદ્રામણીદેવીને કહ્યું કે, “દાદીમા, હું આપની સેવા કરવા ઇચ્છું છું. થોડાક પૈસા હું તમારે નામે લખાવી દેવા માગું છું. શું આપ ગ્રહણ કરશો? આપ તેનો સ્વીકાર કરશો તો મારા મનને સંતોષ થશે કે આપની સેવાનો અવસર મને મળ્યો.” આ વાત સાંભળીને બિચારાં ચંદ્રામણીદેવી તો દ્વિધામાં પડી ગયાં અને બોલ્યા કે, “અરે! મને તો કોઈ વસ્તુનો અભાવ નથી! આ જમીનદારી-પૈસા વગેરે લઈને હું શું કરીશ?” મથુરબાબુએ પૂછ્યું, “શું તમને સાચે જ કોઈ વસ્તુનો અભાવ નથી?”
જુઓ, ચંદ્રામણીદેવી નોબતખાનાની નાની એવી ઓરડીમાં રહી રહ્યાં હતાં. આપણી પાસે તો બેંક-બેલેન્સ છે, મેડિકલ ઇન્શ્યોરન્સ છે, પેન્શન આવે છે. આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે આપણે કેટલાં પ્રયત્નો કરીએ છીએ! જ્યારે ચંદ્રામણીદેવી પાસે તો નથી કોઈ બેંક-બેલેન્સ કે ઇન્શ્યોરન્સ અથવા કોઈ જમીન-જાયદાદ! પુત્રોમાં પણ મોટા પુત્રનું નિધન થયું હતું, વચેટ પુત્ર રામેશ્વર કોઈ કામધંધો કરે ને ન પણ કરે અને રામકૃષ્ણ પણ પાગલ થઈને બેઠા છે! તો ભવિષ્યમાં તેમની કોણ દેખભાળ રાખશે કંઈ નક્કી નથી. છતાં પણ તેઓ કેટલુંય વિચારવા છતાં શોધી શકતાં નથી કે તેમને કંઈ વસ્તુનો અભાવ છે!
અંતમાં, જ્યારે મથુરબાબુ ખૂબ જ વિનંતી કરવા લાગ્યા કે દાદીમા, આપ મારી પાસેથી કંઈક તો ગ્રહણ કરો; મને સેવા કરવાનો મોકો આપો. છેવટે ચંદ્રામણીદેવી બોલ્યાં કે અચ્છા, અચ્છા, ઠીક છે, મારી પાસે તમાકુનાં પત્તા ખલાસ થઈ ગયાં છે તો તમાકુનાં થોડાં પત્તા મને લાવી આપો. આ સાંભળીને મથુરબાબુની આંખોમાં આંસુ આવી ગયા! જેને પૈસાનો બહુ ગર્વ હોય, અને જેને માટે પૈસા જ મહત્ત્વના હોય એવી વ્યક્તિ જ્યારે જુએ કે જેમને માટે ભવિષ્યની સુરક્ષા, જમાપૂંજી વગેરેની કોઈ દરકાર નથી તો તેમને લાગે કે આ લોકો તો દેવતા સમાન છે! મથુરબાબુએ કહ્યું, “જુઓ, તમારાં જેવાં માતા ન હોત તો ઠાકુર જેવા પુત્ર પણ પેદા ન થાત.”
શ્રીમા સાથે પણ આવી એક ઘટના બની હતી. તેઓ એક વાર દક્ષિણ ભારતમાં પધાર્યાં હતાં ત્યારે શશી મહારાજ તેમને રામેશ્વરમ્ મંદિરે દર્શન કરવાં લઈ ગયાં. પછીથી ત્યાંના સ્થાનિક રાજા સ્વયં શ્રીમાનાં દર્શન કરવા માટે આવ્યા અને શ્રીમાને વિનંતી કરી કે, “હું મારો ખજાનો ખોલીને રાખું છું. તમને જે કંઈ પણ પસંદ આવે તે લઈ શકો છો.”
શશી મહારાજ શ્રીમાની સાથે રાધુ, માકુ વગેરેને લઈને ત્યાં ગયા. શ્રીમાએ જોયું તો ખજાનામાં હીરા-માણેક, મણિ-રત્નો, સોનામહોર, વગેરેના ઢગલેઢગલા છે. આટલાં ધન-દૌલત, ઐશ્વર્ય-વૈભવ જોઈને શ્રીમાને થયું કે આમાંથી શું લેવું? શ્રીમાને તો આ ખજાનામાંથી કશું લેવા યોગ્ય ન લાગ્યું! છેવટે એમણે વિચાર્યું કે રાધુને કંઈ લેવું હોય તો લઈ લે. આથી તેમણે રાધુને પૂછ્યું કે તને આમાંથી શું જોઈએ છે? જુઓ, આપણે જાણીએ છીએ કે રાધુ કેવી પાગલ હતી. એ અને પાગલી મામી શ્રીમાને કેવા પરેશાન કરી દેતા હતાં. એક વાર તો રાધુએ ગુસ્સામાં શ્રીમાને પીઠ પર રીંગણ જોરથી ફેંકીને માર્યું હતું! તેથી શ્રીમાને લાલ ચાઠું પડી ગયું હતું.
પરંતુ રાધુ, આટલું બધું પ્રલોભન તેની સામે હોવા છતાં વિચારે છે કે, “હું આમાંથી શું લઉં?” બીજી તરફ શ્રીમાએ પણ આ પ્રસંગનું વર્ણન કરતાં કોઈને કહ્યું હતું કે, “મારું હૃદય તો ધક ધક થતું હતું કે પ્રલોભનમાં આવીને રાધુ આ હીરા-ઝવેરાત, સોનામહોર માગી ન લે તો સારું!” જુઓ, રાધુ તો યોગમાયાનો અંશ હતી. શ્રીમા ઠાકુરની મહાસમાધિ બાદ દેહત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયાં હતાં, પરંતુ શ્રીઠાકુરે જ શ્રીમાને કહ્યું હતું કે, “આ રાધુનો આધાર લઈને તમે આ પૃથ્વી પર રહેજો. એ યોગમાયાનો અંશ છે.”
અંતે, રાધુએ ચારેતરફ નજર ફેરવીને કહ્યું, “મારી એક પેન્સિલ તૂટી ગઈ છે તો મને એક પેન્સિલ લાવી આપો.” આ સાંભળીને શ્રીમાએ હાશકારો અનુભવ્યો, તેમનું હૃદય શાંત પડ્યું, અને રસ્તામાં એક દુકાન હતી ત્યાંથી દસ પૈસાની એક પેન્સિલ રાધુને ખરીદી આપી.
સ્વામીજી કહે છે કે આ જીવનરૂપી પ્રદીપને શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ રાખવાનો છે, જેથી સાધન-ભજનરૂપી પ્રાણવાયુ તેને મળતો રહે તથા આપણો દેહ દીપશિખાની માફક પ્રજ્વલિત થતો રહે. મથુરબાબુ જેવા ધનવાન માલિક પણ ચંદ્રામણીદેવી પાસે જઈને બેસતા હતા અને તેમની સાથે વાતચીત કરીને આનંદ મેળવતા હતા.
ઠાકુરની તો વાત જ છોડી દઈએ, તેઓ તો ઈશ્વરના અવતાર છે, આધ્યાત્મિકતાના પૂર્ણ સ્રોત છે. માત્ર પ્રદીપ નથી પણ દાવાનળ છે. જંગલમાં દાવાનળ લાગે ત્યારે કેવો પ્રચંડ અગ્નિ પ્રગટ થાય છે! આપણું જીવન પણ જ્યારે સાધનાથી પ્રજ્વલિત થશે ત્યારે આપણે પણ ઓજસરૂપી આધ્યાત્મિક શક્તિનો પ્રકાશ બધાને આપીશું અને કેટલાય લોકો આપણા સાંનિધ્યમાં આવીને, આપણી વાણીનું શ્રવણ કરીને તૃપ્ત થશે, ધન્ય બનશે.
Your Content Goes Here