સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા
ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓએ ટર્ક સ્ટ્રીટ નામક શેરીમાં માર્ચ, 1900ના બીજા અઠવાડિયાથી લઈ લગભગ મહિનાભર માટે એક એપાર્ટમેન્ટના બીજા માળે એક ફ્લેટ ભાડે લઈ નિયમિત રૂપે રાજયોગના વર્ગો લેવાનું શરૂ કર્યું હતું. આ વિસ્તાર અર્ધગરીબ હતો પરંતુ સ્વામીજી પાસે વધુ નાણાં ન હોવાથી સારા વિસ્તારમાં મકાન ભાડે લઈ શકાય એમ હતું નહીં. આ વિશે સ્વામીજીએ કહ્યું હતું, “કારણ કે હું સંન્યાસી છું અને મને કશી સારી વસ્તુઓ મળી શકે નહીં.”
સ્વામીજીના બે એકનિષ્ઠ અનુયાયીઓ મિસિસ એસ્પિનોલ અને મિસિસ હેન્સબ્રો સ્વામીજીને મદદ કરવા માટે એમની સાથે આ મકાનમાં રહેવા માટે આવ્યાં હતાં. મિસિસ એસ્પિનોલ ‘સત્યસદન’નાં સંચાલિકા હતાં. તેમના પતિની ઇચ્છા ન હતી કે તેઓ સ્વામીજીની સાથે રહેવા જાય. મિસિસ એસ્પિનોલે એમને કહ્યું, “તમને ખબર છે કે આપણી પાસે કોઈ પ્રકારનું સત્ય નથી, આપણે માત્ર વાતોનાં વડાં જ કરીએ છીએ.”
સ્વામીજીએ મિસિસ એસ્પિનોલને કહ્યું હતું, “જો તમે સર્વોચ્ચ પહાડના શિખરે પણ રહેતાં હોત તો પણ તમારે મારી કાળજી રાખવા માટે ઊતરી આવવું પડ્યું હોત.”
આ ટર્ક સ્ટ્રીટ વર્ગો વિશે વિચારીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. કલ્પના કરી જુઓઃ માનવસમાજમાં અવતરિત સર્વશ્રેષ્ઠ ઈશ્વરીય સંદેશવાહકોમાંના એક સ્વામી વિવેકાનંદ પોતાના દેશથી હજારો યોજન દૂર આવેલ એક અજાણ્યા દેશના એક અર્ધગરીબ વિસ્તારના એક નાનકડા ઓરડામાં આધ્યાત્મિક સમજથી અનભિજ્ઞ વિદેશીઓને મુક્તિરૂપી હિમાલય સર કરાવવા માટે રાજયોગ જેવી અતિ જટિલ સાધના શીખવી રહ્યા છે.
તેઓ અતિ કાળજી અને સ્નેહપૂર્વક શીખવતા, વિદ્યાર્થીઓ ઉપર પોતાની હૃદયની મમતાનું વર્ષણ કરતા, તણાવ હળવો કરવા હસી-મજાક કરતા, આવશ્યકતા અનુસાર ઠપકો પણ આપતા, અને સાથે જ જો વિદ્યાર્થીઓ ગભરાઈ જતા તો એમના રક્ષણની બાંહેધરી પણ આપતા. પ્રતિમુહૂર્ત, પ્રતિશબ્દ, અને પ્રત્યેક અવસ્થામાં સ્વામીજીનો નીરવ આશીર્વાદ તો તેમની ઉપર વરસતો જ રહેતો. શીખવવામાં અને આશીર્વાદ આપવામાં તેમણે કશી જ કમી રાખી ન હતી. ઠાકુર પાસેથી જે મળ્યું હતું, એનું તેમણે મુક્તહસ્તે વિતરણ કરી દીધું હતું.
મનના નિયમનનો પ્રભાવ
યોગવર્ગમાં નિયમિત આવતા વિદ્યાર્થીઓ સ્વામીજી પાસે પોતાની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે અંગત મુલાકાત આપવાની વિનંતી કરતા. સ્વામીજીએ અવશ્ય ઘણા આગંતુકો, યોગવિદ્યા શીખવા ઇચ્છુક જિજ્ઞાસુઓ, તથા મિત્રોને આવી અંગત મુલાકાતો આપી હશે, પરંતુ માત્ર બે વ્યક્તિઓએ જ આ મુલાકાતોનું વર્ણન લખ્યું છે, જેમાંના એક હતા ફ્રેંક રોડહેમલ. તેઓ લખે છે, “સ્વામી આદર્શ યજમાન હતા. વાતો કરવામાં, વાદવિવાદ કરવામાં, કે વાર્તા કહેવામાં તેઓ વિના સંકોચે આનંદપૂર્વક ઝંપલાવી દેતા.” જેમ મધપૂડામાં ટકોર કરતાં મધ ઝરે, એમ રોડહેમલ સ્વામીજીને એવા તીક્ષ્ણ પ્રશ્નો કરી શકતા કે જે સ્વામીજીના અગાધ ભંડારમાંથી અમૃતમય ઉત્તરો વર્ષાવી શકતા. તેઓ લખે છે:
“મનને આધ્યાત્મિક કેળવણી આપવા વિશે સ્વામીજી કહેતા કે, ‘તમે જેટલું ઓછું વાંચો એટલું જ તમારા માટે સારું છે. પુસ્તકો શું છે વળી—બીજા લોકોના મનની ઊલટી જ તો? છેવટે તો જેને ત્યજી જ દેવાના છે, એવા વિચારોથી તમારા મનને ભરી દેવાનો લાભ શું છે? ગીતા તથા વેદાંત ઉપરના અન્ય સદ્ગ્રંથો વાંચો. તમને માત્ર આટલાની જ જરૂર છે.’
“અન્ય સમયે સ્વામીજી કહેતા, ‘વર્તમાન કેળવણીની વ્યવસ્થા સાવ ખોટી છે. વિચારતાં શીખે એ પહેલાં તો મનને માહિતીથી ઠાંસી દેવામાં આવે છે. મનનું નિયમન સૌથી પહેલાં શીખવવું જોઈએ. જો મારે ફરીથી શાળામાં ભણવાનું હોત, અને જો મારું ભણતર મારા હાથમાં જ હોત તો હું સર્વપ્રથમ મારા મનને વશમાં લાવવાનું શીખત અને ત્યાર બાદ જેટલી જરૂર હોત એટલી માહિતી એકત્ર કરત. લોકોને કશું પણ શીખવામાં લાંબો સમય લાગે છે, કારણ કે તેઓ ઇચ્છાનુસાર મનને એકાગ્ર કરી શકતા નથી… લોકો હંમેશાં કષ્ટ સહન કરતા રહે છે, કારણ કે તેઓ પોતાના મનને સંયમિત કરી શકતા નથી. એક અભદ્ર ઉદાહરણ આપું તો, એક વ્યક્તિને પત્ની સાથે અણબનાવ હતો. પત્ની એને છોડીને બીજા પુરુષ સાથે ચાલી ગઈ. એનો કેટલો ત્રાસ! પરંતુ બીચારો પતિ, એ ભાગી ગયેલી પત્ની ઉપરથી મનને છોડાવી શકતો નથી અને પરિણામે સંતાપ વેઠે છે.’
“મેં એમને પૂછ્યું કે આધ્યાત્મિક સાધકોમાં ભિક્ષા માગવાની પરંપરા શું ત્યાગની વિરોધાભાસી નથી? (અર્થાત્ જેણે ત્યાગ કર્યો છે એ શું કામ લોકો પાસે કશું માગે?) સ્વામીજીએ ઉત્તર આપ્યો, ‘આ તો મનની ઉપર જ બધું છે. જો મન કશી આશા રાખશે, તો એ પરિણામથી પ્રભાવિત થશે. આ ખોટું જ કહેવાય. ભિક્ષા મુક્ત મને આપવી અને સ્વીકારવી જોઈએ. જો આમ ન થાય તો ત્યાગ સાચો ન કહેવાય. જો તમે આ ટેબલ પર મારા માટે એકસો ડોલર રાખશો અને બદલામાં હું તમારો આભાર માનું એવી અપેક્ષા રાખશો તો મારે એ ડોલર નથી જોઈતા, તમે એ પાછા લઈ લો. હું એને સ્પર્શ પણ કરીશ નહીં. મારા અહીંયાં (અમેરિકામાં) આવતા પહેલાં જ, અરે મારા જન્મ પહેલાં જ મારા રહેવા-ખાવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. મારે એની કશી જ ચિંતા નથી. એક મનુષ્યને જે પ્રાપ્ય છે એ તેને મળશે જ. એના જન્મ પહેલાં જ એ એના માટે તૈયાર રાખવામાં આવ્યું હતું.’
(જેઓ કશી અપેક્ષા રાખીને સ્વામીજીને દાન આપે છે, એ લોકોનું દાન સ્વીકારવા માટે સ્વામીજી બિલકુલ તૈયાર ન હતા. કારણ કે લોભ રહિત વ્યક્તિઓ માટે ઈશ્વર જ રોટી-કપડાં-મકાનની વ્યવસ્થા કરી દે છે.)
“જિસસના કુમારીની કૂખે જન્મ વિશે તેઓનું શું માનવું છે? એ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું હતું, ‘આ એક જૂનો દાવો છે. ભારતમાં પણ ઘણાએ આ પ્રકારના દાવાઓ કર્યા છે. હું આ વિશે કશું જાણતો નથી, પરંતુ મને એ વાતની ખુશી છે કે મારાં સ્વાભાવિક પિતા અને માતા હતાં.’
(કુમારીની કૂખે જન્મ તો ચમત્કાર જ કહેવાય. સ્વામીજી રમૂજ કરતાં કહે છે કે એમનો પોતાનો જન્મ કશા ચમત્કાર વગર થયો છે.)
“મેં પૂછ્યું કે શું કુમારીની કૂખે જન્મ એ પ્રકૃતિના નિયમોનો ભંગ નથી? એમણે ઉત્તર આપ્યો, ‘સર્વ શક્તિમાન પ્રભુ માટે વળી પ્રકૃતિના નિયમોની શું વિસાત? આ તો બધી એમની લીલા છે. આપણે તો પ્રકૃતિના ગુલામો છીએ. ઈશ્વર છે પ્રકૃતિના માલિક. તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. જો તેઓ ઇચ્છે તો પોતે એક સાથે એક ડઝન શરીર ધારણ કરી શકે છે. આપણે એમને કેવી રીતે સીમિત કરી શકીએ?’”
પરંતુ સ્વામીજીની વાણી કરતાં તો ફ્રેંક રોડહેમલ સ્વયં સ્વામીજીથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. સ્વામીજીને મળ્યાનાં દસ વર્ષ બાદ તેઓએ લખ્યું હતું કે, “આટલા દિવસો બાદ મારા સ્મૃતિપટે ઉજ્જ્વળ રૂપે અંકિત છે એ મહાન સંન્યાસી સાથેનો મારો સંબંધ તથા એમનાથી પ્રાપ્ત પ્રેરણા, કે જે મારા જીવનનું સૌથી મોટું સંભારણું છે.”
સ્વામીજીની આશીર્વાદમય સ્મૃતિ
સ્વામીજી સાથેની મુલાકાતોની સ્મૃતિનું આલેખન કરનાર બીજાં અનુયાયી હતાં થોમસ એલનનાં પત્ની એડિથ એલન. મુલાકાતનો સમય નક્કી કરતાં સ્વામીજીએ એમને કહ્યું હતું, “કાલે સવારે આવજો.” એડિથ એલન લખે છે: “મોટા ભાગની રાત હું એમને શું પ્રશ્ન કરીશ, એ ચિંતન કરવામાં જ વીતી ગઈ. કારણ કે હું કેટલાક મહિનાઓથી ઘણી સમસ્યાઓથી પીડાઈ રહી હતી અને હું મદદ મેળવવા માટે જેમની પાસે ગઈ હતી એમાંથી કોઈ મને સહાય કરી શક્યું ન હતું.”
એડિથ એલન એ સમયે 35 વર્ષનાં હતાં, પણ તેઓ પોતાની ઉંમર કરતાં વધુ યુવાન દેખાતાં હતાં. સ્વામીજીને મળ્યાનાં બે વર્ષ બાદ લીધેલ એક ફોટામાં તેઓ આલામેડા સ્થિત ‘સત્યસદન’માં ગાતાં જોવા મળે છે. ફોટામાં તેઓ થોડી ઉદાસીન, થોડી જિદ્દી કોલેજની કોઈ વિદ્યાર્થિની જેવાં દેખાય છે. સ્વામીજીને મળવાના સમયે તેઓ ફોટાથી પણ વધુ યુવાન અને અપરિપક્વ દેખાતાં હશે, એવું આપણે અનુમાનપૂર્વક કહી શકીએ છીએ. આ સાથે જ ખાતરીપૂર્વક કહી શકીએ કે એ સમયે તેઓ નાજુક અને ચંચળ હતાં, કારણ કે સ્વામીજીને મળતા પહેલાં એક-બે વર્ષથી તેઓ શારીરિક અને માનસિક રીતે બીમાર હતાં અને એમને કશેથી કોઈ રાહત મળી ન હતી. તેઓ ઉપમા આપતાં લખે છે: “આગની સાથે રમત કરવા જતાં તેઓએ માનસિક બીમારી નોતરી લીધી હતી.”
કોઈ કોઈ કહે છે કે તેઓ પ્રેતતત્ત્વના પ્રયોગો કરવા જતાં માનસિક ભંગાણનો શિકાર બની ગયાં હતાં. સ્વામીજીએ પ્રેતતત્ત્વ વિશે વારંવાર ચેતવણીઓ આપી હતી. એડિથ એલનને પ્રથમ વાર નિહાળતાં જ સ્વામીજી એમની ભૂલ સમજી ગયા હશે, અને એને મદદની જરૂર છે, એમ જાણી ગયા હશે. તેથી જ સ્વામીજીએ એમને મુલાકાત માટે બોલાવ્યાં હશે.
મુલાકાતનો દિવસ હતો 10 માર્ચ, 1900 અને સમય હતો અનુમાનત: સવારના નવ વાગ્યાનો. એડિથ એલન સમયાનુસાર ટર્ક સ્ટ્રીટ સ્થિત મકાનમાં આવી પહોંચ્યાં કે જ્યાં સ્વામીજી પહેલે માળે ભાડે રહેતા હતા. એમણે દરવાજો ખટખટાવ્યો ત્યારે એ પહેલા માળના યંત્ર દ્વારા ખોલવામાં આવ્યો અને કોઈએ ઉપરથી કહ્યું કે સ્વામીજી બહાર જઈ રહ્યા છે અને કોઈને મળી શકશે નહીં. જો તેઓને મદદની તાતી જરૂર ન હોત તો તેઓ ત્યાંથી જ પાછાં ફરી ગયાં હોત. પરંતુ એડિથ એલન મક્કમ રહ્યાં. તેઓએ કહ્યું, “સ્વામીજી મને અવશ્ય મળશે, કારણ કે એમણે જ મને આવવાનું કહ્યું છે.”
સ્વામીજીનું નામ લેવાથી જ એમને ઉપર આવવાનું કહેવામાં આવ્યું. ઉપર આવતાં જ તેઓને બેઠકગૃહમાં બારીની પાસે એક ખુરશી આપવામાં આવી અને રાહ જોવાનું કહેવામાં આવ્યું. અને સાચે જ, ટૂંક સમયમાં સ્વામીજી હળવા સ્વરે મંત્રપાઠ કરતાં કરતાં આવી પધાર્યા. તેઓ બહાર જવા માટે એક લાંબો ડગલો તથા પાઘડી પહેરી સજ્જ થયા હતા. તેઓ સામેની ખુરશી ઉપર વિરાજમાન થયા. એડિથ એલન લખે છે:
“બેઠા પછી પણ તેઓએ પોતાની આગવી ઢબમાં હળવો મંત્રપાઠ ચાલુ રાખ્યો. થોડી વાર બાદ મને પૂછ્યું, ‘શું કામ છે, મેડમ?’ ઉત્તર આપવાને બદલે હું રોવા લાગી અને રોતી જ ગઈ, જાણે કે નદી પરના બંધના દરવાજા ખોલી કાઢ્યા હોય.”
સ્વામીજીએ એમને રડવા દીધાં. તેઓ અડધા કલાક સુધી રડતાં રહ્યાં. છેવટે જ્યારે આંસુઓનું પૂર ઓસરી ગયું ત્યારે એમણે કહ્યું, “આવતીકાલે સવારે આ જ સમયે પાછાં આવજો.”
બસ, પહેલે દિવસે આટલી જ વાત થઈ હતી. વર્ષો બાદ એડિથ એલન લખે છે કે એટલામાં જ “મારી બધી સમસ્યાઓનું સમાધાન આવી ગયું હતું અને મારા બધા પ્રશ્નોનો ઉત્તર મળી ગયો હતો. એમણે મને કશું પૂછ્યું પણ ન હતું. જ્યારે હું શેરીમાં પાછી આવી ત્યારે રસ્તામાં પથરાયેલ પ્રત્યેક કાંકરી મને જાણે કે મણિ જેવી દેખાતી હતી. મને ખબર નથી કે હું ઘરે પાછી કેવી રીતે ફરી. આજે સ્વામીજી સાથે થયેલ એ પ્રથમ મુલાકાતને ચોવીસ વર્ષ વીતી ગયાં છે, છતાં એ મુલાકાત મારી સ્મૃતિમાં મારા જીવનના સર્વશ્રેષ્ઠ આશીર્વાદ સ્વરૂપ પ્રજ્જ્વલી રહેલ છે.”
તેઓ બીજે દિવસે સવારે સ્વામીજીને મળવા માટે પાછાં ફર્યાં તથા સંભવત: બીજી એક-બે સવારે પણ મુલાકાતે આવ્યાં હતાં. એ મુલાકાતો દરમિયાન સ્વામીજીએ એમને આધ્યાત્મિક સાધના કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેઓ લખે છે: “સ્વામીજીએ મને ધ્યાન કેવી રીતે કરવું એ શીખવ્યું હતું. સાથે જ તેઓએ મને પ્રાણાયામની કેટલીક સરળ ક્રિયાઓ શીખવી હતી. પરંતુ તેઓએ મને ચેતવણી આપી હતી કે પ્રાણાયામ એમની હાજરીમાં જ કરવો.”
Your Content Goes Here