સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે.

ગાંધીજીને અહિંસામાં અતૂટ વિશ્વાસ હતો, પણ ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી એક વાર પાકિસ્તાનથી હિંદુઓનું એક ટોળું ગાંધીજીને મળવા આવ્યું અને કહ્યું કે જ્યારે એ લોકો અમારાં પત્ની-બાળકોને ઉઠાવીને લઈ જઈ રહ્યા હતા ત્યારે અહિંસાનું પાલન કરવા માટે અમે તેનો કોઈ પ્રતિકાર ન કર્યો. આ સાંભળીને ગાંધીજીએ નારાજ થઈને કહ્યું કે અરે, મૂર્ખાઓ! આ અહિંસા નથી, આ તો કાયરતા છે. સંસારમાં રહેવું હોય, તો શક્તિનું પ્રદર્શન તો કરવું જ પડશે.

સ્વામી વિવેકાનંદના જીવનમાં આપણે જોઈએ છીએ કે તેમણે ઘણી વાર શક્તિ-પ્રદર્શન કર્યું છે. અમેરિકામાં ખ્રિસ્તી મિશનરી એક પછી એક તેમના પર પ્રહાર કરે છે. પરંતુ સ્વામીજી ‘જેવા સાથે તેવા’ (tit for tat)ના ન્યાયે સભ્ય ભાષામાં તેનો પ્રત્યુત્તર આપે છે. સ્વામીજીએ ક્યારેય પોતાને દયાજનક સ્થિતિમાં નહોતા આવવા દીધા, કારણ કે તેઓ ફક્ત પોતાનો બચાવ નહોતા કરતા, પરંતુ સનાતન હિંદુ ધર્મની પ્રતિષ્ઠા-ગરિમાની રક્ષા કરી રહ્યા હતા. પોતાના સ્વયંના ચરિત્ર પર વ્યક્તિગત આઘાત થઈ જાય એ ચાલશે, પરંતુ સનાતન વૈદિક સંસ્કૃતિ પર આઘાત થશે અને આપણે ચૂપચાપ સાંભળી લઈએ એવું તો કદાપિ બનશે નહીં, જે એવું કરે છે એ કાયર છે અને તેને સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાનો કોઈ અધિકાર નથી.

આપણે જ્યાં સુધી માયામાં બંધાયેલા છીએ, ત્યાં સુધી તેના નિયમો માનવા જ પડશે. પરંતુ એ પણ યાદ રાખવાનું છે કે આ માયાના જગતની પેલે પાર એક માયાતીત જગત છે, અને આ માયાતીત જગતના નિયમો માયાના જગતથી સંપૂર્ણરૂપે ભિન્ન છે. તો આ જગતના નિયમો છોડીને માયાતીત જગતના નિયમો પાળવાનું અધિકારત્વ આપણને ક્યારે મળે છે? જ્યારે આપણી સાધના આપણને એ આયામ સુધી લઈ જાય, આપણું વ્યક્તિત્વ સંપૂર્ણ બદલાઈ જાય, ત્યારે. ઠાકુર કહે છે તેમ પરમહંસ કેવા હોય છે? તે જડવત્‌, પિશાચવત્‌ અને બાળકવત્‌ હોય છે. આ ત્રણેયનું વર્તન સામાન્ય વ્યક્તિઓ કરતાં તદ્દન ભિન્ન પ્રકારનું હોય છે. આથી જ સ્વામીજીએ આપણને ફક્ત જ્ઞાનયોગ કે રાજયોગનું જ્ઞાન નથી આપ્યું, પરંતુ સાથે સાથે કર્મયોગ અને ભક્તિયોગ પણ શીખવ્યા છે. જ્ઞાનયોગ અને રાજયોગ માયાતીત જગતને જાણવાનું જ્ઞાન આપે છે, જ્યારે કર્મયોગ અને ભક્તિયોગ આપણને આ માયાના જગતમાં કઈ રીતે જીવનયાપન કરવું તે શીખવે છે. ઈશ્વર પર સંપૂર્ણ નિષ્ઠા તથા આપણા સાથીઓ પ્રત્યે આપણા હૃદયમાં કરુણા-અનુકંપા હોવી જરૂરી છે, જેથી આપણે ક્રૂર અને સ્વાર્થી ન બની જઈએ.

સ્વામીજીએ પહેલાં તો આપણને એ સમજાવ્યું કે આ પ્રકૃતિનું ભવ્ય સૌંદર્ય જોઈને આપણે દિનપ્રતિદિનનું આપણું જે આ જીવન છે, તેનાથી સહેજ ઉપર ઊઠીને વિચારવાનું શરૂ કરીએ છીએ. મનુષ્યના મનમાં પ્રશ્ન થાય છે કે આ સૌંદર્યમયી પ્રકૃતિની રચના કોણે કરી હશે? મનુષ્યના આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં સ્વામીજી વિશ્વના સ્વરૂપનું વર્ણન કરે છે. વિશ્વનું સાચું સ્વરૂપ સમજાવવા માટે સ્વામીજી એક પછી એક સુંદર દૃષ્ટાંતો અને ઉપમાઓ આપે છે.

જો સાચું હોય કે પ્રકૃતિ સર્વત્ર એકસમાન છે; જો સાચું હોયઅને અત્યાર સુધી કોઈપણ માનવીય અનુભવે તેવો વિરોધ નથી કર્યોકે જે પ્રક્રિયાથી નાનો રેતીનો કણ તૈયાર થાય છે, તે પ્રક્રિયા વિરાટ સૂર્યો, તારાઓ અને સમગ્ર વિશ્વને ઉત્પન્ન કરવાનું કાર્ય કરી રહી છે; જો સાચું હોય કે સમગ્ર વિશ્વ બરાબર એક અણુના જેવી યોજના પર બંધાયેલું છે; જો સાચું હોય કે સમસ્ત બ્રહ્માંડની અંદર એક નિયમ પ્રવર્તી રહ્યો છે; તો જેમ વેદોમાં કહ્યું છે તેમयथैकेन मृत्पिण्डेन विज्ञातेन सर्वं मृण्मयं विज्ञातं स्यात्’ ‘માટીના એક પિંડાને જાણવાથી વિશ્વમાં જે કાંઈ માટીથી નિર્મિત થયેલું છે, તેનું સ્વરૂપ જાણી શકાય છે.’

સ્વામીજી કહે છે કે જ્યાં પણ પ્રકૃતિ છે, ત્યાં તેનું સ્વરૂપ એકસમાન જ છે. બધે એક જ નિયમ, વિજ્ઞાન લાગુ પડે છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, મંગળ ગ્રહ પર એકસમાન જ છે. હા, પદાર્થના જથ્થા અનુસાર ગુરુત્વાકર્ષણબળમાં વધ-ઘટ થાય છે. જેમ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણબળ વધુ તો ચંદ્ર પર ઓછું છે, જ્યારે બૃહસ્પતિ ગ્રહ પર ગુરુત્વાકર્ષણનું બળ પૃથ્વી કરતાં અનેકગણું વધારે છે. અત્યાર સુધી મનુષ્યનો એવો અનુભવ નથી કે આ નિયમો ભિન્ન ભિન્ન હોય. એક માટીના નાના કણનું સર્જન કરવામાં જે નિયમો લાગુ પડ્યા છે; આ પ્રચંડ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા તથા આ વિશ્વ-બ્રહ્માંડની રચના એ જ નિયમો અનુસાર થઈ છે. જો એ સત્ય છે કે એક જ નિયમ, વિજ્ઞાન સંપૂર્ણ બ્રહ્માંડમાં કાર્ય કરે છે, તો વેદાંતમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે માટીના એક કણને સમજવાથી આ વિશ્વ-બ્રહ્માંડમાં જેટલા પણ માટીના કણો છે તેને જાણી શકાય છે. તર્કશાસ્ત્ર, વ્યાકરણ કે અંગ્રેજી ભાષાની દૃષ્ટિથી કહો, આ વાક્ય ઘણું જ જટિલ છે તેમજ અસરકારક છે.

એક રોપો લો; તેના જીવનનો અભ્યાસ કરો એટલે વિશ્વ જે પ્રકારે છે, તે પ્રકારે આપણે તેને જાણી શકીશું. જો આપણે રેતીના એક કણને જાણીએ તો આપણે સમસ્ત વિશ્વના રહસ્યને સમજી શકીએ. તર્કની પદ્ધતિ વિશ્વની ઘટનાને લાગુ કરીએ તો આપણને સૌથી પહેલું જણાય છે કે દરેક વસ્તુ આદિમાં અને અંતે લગભગ સમાન છે. પર્વત રેતીમાંથી જન્મે છે અને પાછો રેતી બને છે; નદી વરાળમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી વરાળનું રૂપ પામે છે; વનસ્પતિ બીજમાંથી ઊગે છે અને વળી બીજમાં પરિણમે છે; માનવજીવન માનવજીવાણુઓમાંથી ઉદ્ભવે છે અને પાછું માનવજીવન માનવજીવાણુઓમાં સમાય છે; તારા અને ગ્રહો સહિતનું વિશ્વ નિહારિકા જેવી અવસ્થામાંથી ઉત્પન્ન થયું છે અને અંતે અવસ્થામાં પાછું લય પામશે.

આપણા ભારતીય ઋષિમુનિઓના મનમાં પ્રકૃતિની આ વિરાટ ભવ્યતા જોઈને પ્રશ્ન જાગ્યો કે આ સુંદર પૃથ્વી, પર્વત-નદીઓ, મહાસાગરો, પશુ-પંખી આ બધાંનું અસ્તિત્વ ક્યાંથી ઉદ્‌ભવ્યું અને ક્યાં જશે? શું મૃત્યુની પરે પણ જીવન છે? આ બધા પ્રશ્નો આપણા ભારતીયોના મનમાં હજારો વર્ષો પહેલાં પ્રગટ થયા હતા, અને આપણી ભારતીય ઋચાઓમાં એ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

સ્વામીજી આપણને વિવિધ દૃષ્ટાંતો, ઉપમાઓ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે કે એક બીજમાંથી વિરાટ વટવૃક્ષનો જન્મ થાય છે, અને એ જ વટવૃક્ષ ફરી અન્ય બીજોનું સર્જન કરે છે. તો સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયનું જ આ ચક્ર છે. કોઈ નાની અમથી અવસ્થા, વસ્તુમાંથી એક વિરાટ વસ્તુનું સર્જન થાય છે, અને અંતમાં એ વિરાટ પાછું નાની અમથી અવસ્થામાં અંતર્નિહિત થઈ જાય છે. આમ, સ્વામીજી કહે છે કે આ પૃથ્વીનું અસ્તિત્વ બીજના રૂપમાં હંમેશાં રહ્યું હશે, નહીં તો આ પૃથ્વીનું સર્જન ક્યાંથી થયું હોત?

તો એક બ્રહ્મ છે અને બ્રહ્મમાંથી વિવિધ નામરૂપે માયાનું અસ્તિત્વ રહે છે, જેમાંથી આ પૃથ્વી ઉદ્‌ભવે છે અને ફરી તેમાં જ સમાહિત થઈ જાય છે. આમ, સ્વામીજી કહે છે કે આપણે રેતીના એક કણને જાણી લઈએ, તો રેતીથી સર્જન પામેલી પૃથ્વી પરની સર્વે વસ્તુઓનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ, સ્વામીજી વિવિધ ઉદાહરણો દ્વારા એ મહાવાક્યને પ્રતિપાદિત કરે છે કે જીવાત્મા ચાહે ગમે તેટલો કામ, ક્રોધ, મદ, લોભ, મોહથી ખરડાયેલો હોવા છતાં તેની ભીતરમાં એક અનંત ચેતન-સત્તા મોજૂદ છે જ. આથી, જો આપણે આપણી આ ભીતરની અનંત સત્તાને જાણી લઈશું, તો આ વિરાટ અનંત સત્તાથી ઉત્પન્ન થયેલા આ સંપૂર્ણ વિશ્વ-બ્રહ્માંડનું જ્ઞાન મેળવી શકીશું.

આમ, સ્વામીજી ભિન્ન ભિન્ન ઉપમાઓ, દૃષ્ટાંતો દ્વારા એ પ્રતિપાદિત કરે છે કે મારી ભીતરમાં જે જીવાત્મા છે, અને વિશ્વ-બ્રહ્માંડનો જે આત્મા કે બ્રહ્મ છે, તે બંને એક જ છે. अहम्‌ ब्रह्मास्मि, तत् त्वम् असि અર્થાત્‌ तत् એટલે તે અને त्वम् એટલે તું અને असि અર્થાત્‌ એક જ છો. ગુરુ જ્યારે શિષ્યને આ સમજાવે છે, ત્યારે શિષ્યને બ્રહ્મજ્ઞાન થઈ જાય છે. તો આ મહાવાક્યને પ્રતિપાદિત કરવા માટે એક પછી એક દૃષ્ટાંતો, ઉદાહરણો સ્વામીજીએ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યાં છે.

આજનું આધુનિક ભૌતિક વિજ્ઞાન પણ સ્વામીજીની આ વાતનું સમર્થન કરે છે. એટમ છે અને તેની ભીતરમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. આજકાલ વિજ્ઞાને એટલો વિકાસ કર્યો છે કે આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કે જેને સબ એટમિક પાર્ટિકલ કહે છે, તેની ભીતરનું બંધારણ પણ શોધવાની શરૂઆત થઈ ગઈ છે, જેને ક્વાર્ક કે સ્ટ્રિંગ થિયરી કહેવામાં આવે છે. તો સ્વામીજી જે કહે છે, તેને આજના ભૌતિકશાસ્ત્રનું પણ અનુમોદન મળે છે.

સ્વામીજીનો જે મૂળભૂત વિચાર છે કે એક એટમને જાણવાથી એટમનાં જેટલાં પણ સંયોજનો (combination) છે તેને જાણી શકાય છે. તો સ્વામીજીની વાતને આજના નવીન સ્વરૂપમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે તે પદાર્થ (matter) પણ છે અને ચાર પ્રકારનાં બળ (force) પણ છે. આમ theory of relativity (સાપેક્ષતાનો સિદ્ધાંત) તથા quantum dynamics (અત્યંત સૂક્ષ્મ પરિબળોનું વિજ્ઞાન) આ બે સિદ્ધાંત છે, જે સંપૂર્ણ બ્રહ્માંડને વર્ણિત કરે છે. આમ, સ્વામીજીની થિયરીનું આધુનિક રૂપાંતરણ એ રીતે થશે કે નાના પાયા પર quantum dynamics થિયરી અને મોટા પાયા પર relativity થિયરી. આ બે થિયરી જાણી લેવાથી આપણે બ્રહ્માંડ અંગેનું મહત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું.

આપણો એ તર્ક છે કે એક બીજમાંથી વિરાટ વટવૃક્ષનું સર્જન થાય છે, અને અંતમાં વૃક્ષ ફરી બીજમાં સમાહિત થઈ જાય છે. આ પ્રમાણે બ્રહ્માંડની કોઈપણ વસ્તુનું જેમ કે, નદી, પર્વત, પશુ-પંખી, ગ્રહો, તારા કે મનુષ્ય દરેકની આ જ સ્થિતિ થાય છે. બીજમાંથી પ્રગટ થાય છે અને અંતે બીજમાં જ સમાઈ જાય છે. એટલે આદિ અને અંત, જન્મ અને મૃત્યુ એક સમાન છે—આ પ્રકારનો નિષ્કર્ષ આપણે કાઢી શકીએ છીએ. આ સંપૂર્ણ બ્રહ્માંડ તેના તારા, ગ્રહો વગેરે સાથે (Nebula State)માં ચાલ્યું જાય છે. આ ‘Nebula State’ જેને આજનું આધુનિક વિજ્ઞાન ‘Big bang’ કહે છે. આ ‘Big bang’માંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે, અને સંભાવના છે કે વિશ્વના અંતમાં એક ‘Big crunch’ થશે અને આ રીતે સંપૂર્ણ સૃષ્ટિ તેમાં સમાહિત થઈ જશે.

તો આપણે જાણી શકીએ છીએ કે આધુનિક વિજ્ઞાન અને વેદાંત વચ્ચે કેટલી સામ્યતા છે! આ જ કારણે આપણા ભારત દેશમાં વિજ્ઞાનના સ્વીકાર માટે કદી ધર્મને નકારવાની નોબત આવી નથી. અહીં ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં પૂરક છે. તેથી જ આપણા ઇસરોના વૈજ્ઞાનિકોને રોકેટનું મોડેલ લઈને દેવ-દેવીઓનાં મંદિરોમાં અર્પણ કરતાં આપણે નિહાળી શકીએ છીએ. આ જ આપણા હિંદુ ધર્મની તથા વેદાંતની મહાનતા છે!

આમાંથી આપણે શું શીખીએ છીએ? આપણે શીખીએ છીએ કે અભિવ્યક્ત અથવા સ્થૂળ અવસ્થા કાર્ય છે અને સૂક્ષ્મ અવસ્થા કારણ છે. હજારો વરસ પૂર્વે સઘળાં દર્શનોના મહાન જનક કપિલ મુનિએ બતાવી આપ્યું હતું કે વિનાશનો અર્થ થાય છે કારણમાં પાછા જવું. જો અહીં પડેલા ટેબલનો નાશ કરવામાં આવે, તો તે પોતાના કારણમાં પાછું જશેપેલા સૂક્ષ્મ આકારો અને પરમાણુઓ એકત્રિત થઈને જે આકાર બન્યો અને જેને આપણે ટેબલ નામ આપ્યું તેમાં પાછાં જશે; જો એક માણસ મરે તો જે તત્ત્વોએ તેને તેનું શરીર આપ્યું છે, તે તત્ત્વમાં તે મળી જશે; જો પૃથ્વીનો વિનાશ થાય તો જે તત્ત્વોએ તેને આકાર આપ્યો હતો તે તત્ત્વોમાં તે મળી જશે. જેને વિનાશ કહેવામાં આવે છે તે છે: એટલે કે પાછું કારણમાં જવું.

આપણે જોયું કે સ્વામીજી એક પછી એક ઉદાહરણ-ઉપમાઓ આપીને આપણને સમજાવે છે કે જેવી રીતે બીજમાંથી વૃક્ષ બને છે, ઈંડામાંથી પક્ષીનો જન્મ થાય છે, રેતીમાંથી પર્વત બને છે તથા અંતમાં વૃક્ષ એ જ બીજમાં સમાહિત થઈ જાય છે, પક્ષીમાંથી ફરી ઈંડું બને છે, અને પર્વતમાંથી ફરી રેતી બને છે—આ પ્રમાણે જીવનચક્ર ચાલતું રહે છે. આમ, આપણે જો કોઈ વસ્તુના આરંભ અને અંતને જાણી લઈએ તો તે વસ્તુ વિશેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે પૃથ્વી પરની દરેક વસ્તુનો આરંભ અને અંત મોટેભાગે એકસમાન જ હોય છે. જે બીજમાંથી વટવૃક્ષ પ્રગટ થયું, એ જ વટવૃક્ષમાંથી બીજાં બીજનો જન્મ થશે. તો આરંભની અને અંતની સ્થિતિ એકસરખી જ હશે.

આપણે આ સ્થિતિમાંથી શું શીખીએ છીએ? સ્વામીજી કહે છે જે પ્રગટ કે અભિવ્યક્ત થાય છે, તે કાર્ય છે અને તેની સૂક્ષ્મ અવસ્થા છે, એ કારણ છે. બીજ એ કાર્ય છે અને તેમાંથી વટવૃક્ષનો જન્મ થાય છે, તે તેનું પરિણામ છે. આથી જે વસ્તુ સ્થૂળકાય છે, જે નરી આંખે દેખાય છે તે પરિણામ છે અને જે સૂક્ષ્મ રૂપે છે તે કાર્ય છે. હજારો વર્ષો પહેલાં કપિલ નામના ઋષિ કે જેઓ સઘળાં દર્શનશાસ્ત્રોના જનક છે, તેમણે પ્રતિપાદિત કર્યું હતું કે મૃત્યુ શું છે? જે બીજમાંથી જન્મ થાય છે, તે જ બીજમાં પુનઃ સમાહિત થઈ જવું. બીજમાંથી વટવૃક્ષ બને છે અને જ્યારે તેનો વિનાશ કે અંત આવે છે ત્યારે એ ફરી પાછું બીજમાં પ્રવેશ કરે છે. એટલે ખરેખર તો વટવૃક્ષનો નાશ નથી થતો પરંતુ તેનું સારતત્ત્વ બીજરૂપે જીવંત રહે છે.

આપણી સામે આ ટેબલ છે. જો આ ટેબલ ભસ્મીભૂત થઈ જાય તો તે તેના બીજ રૂપમાં પાછું ફરશે, તેના મૂળ કારણમાં પાછું ફરશે. જે બધા નાના નાના અણુ-પરમાણુએ એકઠા થઈને આ ટેબલનો આકાર બનાવ્યો છે, તે તેમના મૂળ રૂપમાં સમાઈ જશે. પદાર્થ (matter) અને ઊર્જા (energy) આ બેમાંથી જ બધી વસ્તુઓ બને છે. તો ટેબલને ભસ્મીભૂત કરવાથી પદાર્થ (matter) તત્ત્વના રૂપમાં અને ઊર્જા (energy) અગ્નિ, પ્રકાશ કે ગરમીના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. આમ, તેનો નાશ નથી થતો, પરંતુ રૂપાંતરણ થઈ જાય છે.

આમ, મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેનું શરીર જે તત્ત્વોથી બનેલું છે, તેમાં જ તે મળી જાય છે. કોઈ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકને આપણે સાંભળીશું કે વાંચીશું તો તે કહેશે કે આપણે તારાઓના બનેલા છીએ. (We are made of star stuff.) તેઓ એવું શા માટે કહે છે? કારણ કે, આપણું ભૌતિક શરીર ઓક્સિજન, આયર્ન, નિકલ વગેરે તત્ત્વોનું બનેલું છે. તારાઓની ભીતરમાં ભઠ્ઠી હોય છે તેમાં તે તૈયાર થાય છે, અને જ્યારે જીવનચક્રના અંતમાં તારાઓનો વિસ્ફોટ થાય છે ત્યારે આ તત્ત્વો ચારેય તરફ વિખેરાઈ જાય છે. આ જ તત્ત્વોનું આ મનુષ્ય શરીર બનેલું છે, અને જ્યારે આ શરીરને અગ્નિમાં ભસ્મિભૂત કરવામાં આવે છે ત્યારે તે જ તત્ત્વોમાં આ શરીર ફરી વિલીન થઈ જાય છે.

ધારો કે આ પૃથ્વી પર આવો વિસ્ફોટ થયો ને પૃથ્વીનો વિનાશ થયો તો આ તત્ત્વો ફરી બ્રહ્માંડમાં તરતાં તરતાં કોઈ અન્ય ગ્રહ પર જશે અને ત્યાં માનવ-જીવનની શરૂઆત થશે. આ જ તત્ત્વોથી જ ફરી તેમનું શરીર બનશે. તો આ big bangમાંથી આવેલાં એટમ, પ્રોટોન, ન્યુટ્રોન વગેરેમાંથી જ બધી વસ્તુઓનું સર્જન થયું છે.

અમેરિકાના એ સમયના પ્રખ્યાત વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા સ્વામીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. તે પોતાની પ્રયોગશાળા છોડીને સ્વામીજીનાં વ્યાખ્યાનો સાંભળવા નિયમિત આવતા હતા. આ બ્રહ્માંડનો આરંભ અને અંત અર્થાત્‌ સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય અંગે આપણાં હિંદુ શાસ્ત્રોએ જે પ્રકારે વર્ણન કર્યું છે, તેના વિષયમાં આજનું આધુનિક વિજ્ઞાન શું કહે છે તે વિશે સ્વામીજીએ નિકોલા ટેસ્લાને કેટલાક પ્રશ્નો કર્યા હતા. તેના પ્રત્યુત્તરમાં નિકોલા ટેસ્લાએ સ્વામીજીને એક નાનો પત્ર લખીને પોતાની પ્રયોગશાળામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. સ્વામીજી આમંત્રણનો સ્વીકાર કરીને તેમની સાથે ચર્ચા કરવા ગયા હતા.

જો અહીં પડેલા ટેબલનો નાશ કરવામાં આવે, તો તે પોતાના કારણમાં પાછું જશે – પેલા સૂક્ષ્મ આકારો અને પરમાણુઓ એકત્રિત થઈને જે આ આકાર બન્યો અને જેને આપણે ટેબલ નામ આપ્યું તેમાં પાછાં જશે; જો એક માણસ મરે તો જે તત્ત્વોએ તેને તેનું શરીર આપ્યું છે તે તત્ત્વમાં તે મળી જશે; જો આ પૃથ્વીનો વિનાશ થાય તો જે તત્ત્વોએ તેને આ આકાર આપ્યો હતો તે તત્ત્વોમાં તે મળી જશે. જેને વિનાશ કહેવામાં આવે છે તે આ છેઃ એટલે કે પાછું કારણમાં જવું.

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.