સ્વામી બ્રહ્માનંદજીનું પુસ્તક ‘ધ્યાન, ધર્મ અને સાધના’ એક અત્યંત સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં મહારાજજીએ ધાર્મિક જીવન સંબંધિત નાના નાના સૂત્ર રૂપે ખૂબ જ સુંદર ઉપદેશો આપેલા છે. જપ-ધ્યાન કઈ રીતે કરવા તથા આપણું આધ્યાત્મિક જીવન કેવા પ્રકારનું હોવું જોઈએ, તે વિશે એક પછી એક સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અહીં આપણે આ પુસ્તકમાંથી કેટલાક ઉદ્ધરણો પસંદ કરી એની ઉપર થોડુંક વિશ્લેષણ કરીશું. ઉદ્ધરણો અવતરણ ચિહ્‌નોમાં આપેલ છે.

“સ્થાન: બેલુર મઠ, ડિસેમ્બર, ૧૯૧૫. એ સમયે મઠમાં શ્રીમહારાજ, બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ), મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ), ખોકા મહારાજ (સ્વામી સુબોધાનંદ) વગેરે રહે છે.”

મઠમાં આ સમયે શ્રીમહારાજ અર્થાત્‌ રાજા મહારાજ અથવા તો રાખાલ મહારાજ યા તો સ્વામી બ્રહ્માનંદ. આપણા રામકૃષ્ણ સંઘના સાહિત્યમાં જ્યારેય પણ ફક્ત ‘મહારાજ’ કરીને લખ્યું હશે, તો તેનો અર્થ છે સ્વામી બ્રહ્માનંદજી. તેમનું સાચું નામ તો રાખાલ હતું.

સ્વામી બ્રહ્માનંદ (રાખાલ મહારાજ) એક સંપત્તિવાન જમીનદારના પુત્ર હતા. શ્રીઠાકુરે પ્રથમ દૃષ્ટિએ જ પારખી લીધું હતું કે આ બાળકની ભીતરમાં આધ્યાત્મિક સંપદ ભરપૂર માત્રામાં પડેલી છે. ઠાકુરને એક વાર પંચવટીમાં મા-કાલીએ દર્શન આપ્યાં, અને એક બાળકને તેમની ગોદમાં મૂકીને કહ્યું કે આ તારો પુત્ર છે. ઠાકુર તો આ સાંભળીને આકુળવ્યાકુળ થઈ ગયા અને મા-કાલીને કહેવા લાગ્યા કે, “અરે, મા! હું તો ત્યાગી છું. મારે બાળક ક્યાં થવાનું છે?” ત્યારે માએ કહ્યું કે, “ના, દૈહિક સંબંધથી નહીં, આ તારો માનસપુત્ર છે.”

આમ, માનસપુત્ર અર્થાત્‌ ઠાકુરનો જે આધ્યાત્મિક વારસો હતો, તેના અધિકારી (વારસદાર) હતા રાખાલ મહારાજ. આમ, ઠાકુરે તેમનો સ્વીકાર કર્યો. તેઓ ઠાકુર પાસે જ રહેવા લાગ્યા. એક વાર ઠાકુરે કહેલું કે રાખાલ એક રાજ્ય ચલાવી શકે છે. એ દિવસથી સ્વામીજીએ જાહેર કર્યું કે આજથી આપણે રાખાલને ‘રાજા’ કહીને સંબોધિત કરીશું. રાજ્ય એટલે કયું રાજ્ય? ઠાકુરનો કહેવાનો ભાવાર્થ હતો કે રાજ્ય અર્થાત્‌ આધ્યાત્મિક રાજ્યના રાજા, ભક્તોના રાજા તથા રામકૃષ્ણ સંઘના રાજા.

બાદમાં, સ્વામીજીએ રાખાલ મહારાજને સાચે જ રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમનું સાચું નામ હતું રાખાલ, બાદમાં રાજા મહારાજ અને સંન્યાસ પછી તેમનું નામ પડ્યું સ્વામી બ્રહ્માનંદ, તથા આપણા રામકૃષ્ણ સંઘ તથા સાહિત્યમાં તેઓ ‘મહારાજ’ના નામે ઓળખાય છે. આમ, તેમનાં ચાર નામ છે. આમ, જેવી રીતે આપણા સંઘમાં ‘સ્વામીજી’ શબ્દ સ્વામી વિવેકાનંદ સાથે યુક્ત છે, તેવી રીતે ‘મહારાજ’ અર્થાત્‌ સ્વામી બ્રહ્માનંદ યા રાખાલ મહારાજ.

“કેટલાક દિવસથી શ્રીમહારાજે નિયમ કર્યો છે કે સવારે ચાર વાગ્યે ઊઠીને પ્રાતઃકાર્ય પૂરાં કરીને સાડા-ચાર વાગ્યે બધા સાધુ બ્રહ્મચારીઓએ જપધ્યાનમાં બેસવું. બે કલાક જપ-ધ્યાન કર્યા બાદ મહારાજના નિવાસસ્થાને લગભગ એક કલાક ભજન-કીર્તન થતાં. સાધુ-બ્રહ્મચારીઓને સમયસર જગાડવા માટે મહારાજ પોતે ચાર વાગ્યા પહેલાં જ ઊઠી જતા અને ચારમાં દશ મિનિટ પહેલાં એક સેવકને ઘંટ વગાડવાનું કહેતા.”

કેટલાક સમયથી રાજા મહારાજે નિયમ બનાવ્યો છે કે પ્રાતઃકાળ ચાર વાગ્યે બધા સાધુ-બ્રહ્મચારીઓ નિદ્રાનો ત્યાગ કરશે અને પ્રાતઃકૃત્ય સમાપ્ત કરીને મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે ત્યાર બાદ જપ-ધ્યાન કરશે. બેલુર મઠમાં મંગળા આરતીનો સમય ગ્રીષ્મઋતુમાં ચાર વાગ્યાનો છે, જ્યારે શીતકાળમાં સાડા ચાર વાગ્યાનો હોય છે. અહીં ડિસેમ્બર માસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આથી ત્યારે શીતકાળ હોવાથી બેલુર મઠમાં આરતીનો સમય સાડા ચાર વાગ્યાનો હશે. એક-બે કલાક જપ-ધ્યાન કર્યા પછી બધા મહારાજના ઓરડામાં એકત્ર થઈને ભજન-કીર્તન વગેરે કરતા. બધા સાધુ-બ્રહ્મચારીઓને પ્રેરિત કરવા માટે અર્થાત્‌ એવું નહીં કે રાજા મહારાજ સ્વયં જ નિયમ બનાવીને તેનું પાલન નથી કરતા, તેઓ સ્વયં સાડા ચાર વાગ્યે મંદિરમાં આવવા માટે ચાર વાગ્યે ઊઠીને, આરતી માટેની બધી પૂર્વતૈયારી કરીને ચારમાં દશ મિનિટ પહેલાં એક સેવકને ઘંટ વગાડવાનું કહેતા, જેથી બધા સાધુ-બ્રહ્મચારીઓ નિદ્રાનો ત્યાગ કરી શકે.

“કોઈ કોઈ દિવસ ભજન પૂરાં થયા પછી તેઓ સાધના તથા અન્ય અનેક બાબતો પર ઉપદેશ આપતા.”

મંગળા આરતી બાદ બધા સાધુ-બ્રહ્મચારીઓ રાજા મહારાજના ઓરડામાં એકઠા થતા અને ભજન-કીર્તન કરતા, ત્યાર પછી કોઈ કોઈ વાર રાજા મહારાજ બધાને સાધન-ભજન સંબધિત ઉપદેશ આપતા. મહારાજ જે ઉપદેશ આપતા, તેનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છેઃ

“મહારાજ: ઇન્દ્રિયોના સ્વામી મનને વશમાં રાખવું જોઈએ. પછી મન અને બુદ્ધિ બંનેનો આત્મામાં લય કરી દેવો જોઈએ. મનનો સંપૂર્ણ નાશ કર્યા વગર કામ થશે નહીં. સાધુસંગને પરિણામે ઇન્દ્રિયો ચૂપ બેઠી છે, તેથી એવું ન વિચારવું કે તે સંયમિત બની ગઈ છે. સમાધિની પ્રાપ્તિ થયા વગર તેનું પૂરું દમન થતું નથી. થોડીક છૂટ આપશો તો જોશો કે ઇન્દ્રિયો બમણા વેગથી બહિર્મુખ બની દોડી રહી છે. એટલા માટે જ્યાં સુધી મન-બુદ્ધિની પેલે પાર ન જવાય ત્યાં સુધી પૂરી સાવચેતી રાખવાની જરૂર રહે છે.”

ઇન્દ્રિયોનું આધિપતિ જે મન છે, તેનું દમન કરવું જોઈએ. ત્યાર બાદ મન અને બુદ્ધિ બંનેનો આત્મામાં લય કરવો જોઈએ. મનને સંપૂર્ણ રીતે મારી નાખવું પડશે. સાધુસંગના પરિણામે ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવને છુપાવીને બેસી ગઈ છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે શાંત થઈ ગઈ છે. સમાધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયોનું આકર્ષણ સમાપ્ત નથી થતું. ઇન્દ્રિયોરૂપી ઘોડાને થોડા સમય માટે છૂટ્ટો દોર આપીને જુઓ તો ખબર પડશે કે ઇન્દ્રિયો વિશેષ જોર લગાવીને વિષયવાસના ભણી દોટ મૂકશે. માટે જ જ્યાં સુધી આપણું મન બુદ્ધિની પેલે પાર ન ચાલ્યું જાય, ત્યાં સુધી અત્યંત સાવધાનીપૂર્વક રહેવાનું પ્રયોજન છે.

આ એક ફકરામાં મહારાજજીએ ઘણું બધું સમજાવી દીધું છે. યોગશાસ્ત્રમાં સર્વપ્રથમ આવે છે યમ-નિયમ. ત્યાર બાદ આસન, પ્રાણાયમ તથા પ્રત્યાહાર. આ ત્રણ સોપાનો બાદ આવે છે—ઘારણા-ધ્યાન-સમાધિ—જેને ‘અષ્ટાંગ યોગ’ કહેવામાં આવે છે. તેને આપણે અલગ અલગ ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકીએ છીએ. યમ-નિયમનો અર્થ જ છે—મનને સંયમિત કરવું. આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારનો મૂળભૂત અર્થ છે, આપણા મન અને શરીરને સુનિયંત્રિત કરવું કે જેથી સાધન-ભજનનું જે સર્વોચ્ચ સ્તર-આયામ છે—ધારણા-ધ્યાન-સમાધિ—તેની તરફ જવા માટે આપણું મન સુસજ્જ થઈ શકે.

તો અહીંયાં રાજા મહારાજ સૌ પ્રથમ મન, બુદ્ધિ અને આત્મા વિશે વાત કરે છે. ઇન્દ્રિયો પર જેટલું આપણું નિયંત્રણ ઓછું હશે, તેટલું આપણું મન ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે દોટ મૂકશે. પરંતુ જો આપણે થોડો સમય આશ્રમમાં નિવાસ કરીએ, સાધુસંગ કરીએ તથા સાધન-ભજન કરીએ છીએ તો મનને સંયમમાં રાખવું સરળ બને છે. આમ, એક આધ્યાત્મિક વાતાવરણમાં રહેવાથી ઇન્દ્રિયો પોતાનું સાચું સ્વરૂપ છુપાવી દે છે. તેનો અર્થ એવો નથી કે ઇન્દ્રિયોનું વિષયભોગો પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય છે, પરંતુ થોડા સમય માટે એ આકર્ષણનો પ્રભાવ ઓછો થઈ જાય છે. પરંતુ જેવા આપણે આ આધ્યાત્મિક વાતાવરણની અસરથી દૂર જઈએ છીએ કે આ છુપાયેલું આકર્ષણ ફરી પોતાનું સ્વ-સ્વરૂપ પ્રગટ કરે છે. જેવા આપણે આપણાં સાધન-ભજનના દૈનંદિન કાર્યક્રમમાંથી દૂર ચાલ્યા જઈશું કે ઇન્દ્રિયો ફરી પોતાના મૂળ સ્વભાવમાં પ્રવેશ કરશે.

જેમ કે, ઠાકુર કહેતા કે જ્યારે આપણે ગંગાસ્નાન કરવા જઈએ છીએ ત્યારે આપણાં પાપ ગંગા કિનારેના વૃક્ષ પર બેસી જાય છે, અને જેવા આપણે ગંગાસ્નાન કરીને પરત ફર્યે છીએ ત્યારે એ પાપ છલાંગ લગાવીને ફરી આપણી કાંધ પર બેસી જાય છે. તો અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આધ્યાત્મિક સાધનામાં તો આ પ્રકારની બાધા-અવરોધો આવ્યા જ કરશે. સાધુ-સંન્યાસી હોય કે સંસારી બધાના જીવનમાં કોઈને કોઈ અડચણ કે મુશ્કેલી આવ્યા જ કરે છે, ત્યારે થોડા સમય માટે આપણા રોજબરોજના સાધન-ભજનના નિયમિત પ્રવાહમાં વિક્ષેપ પડે છે. આ સમયગાળામાં વિષયભોગો પ્રત્યેના આપણા આકર્ષણનો પ્રભાવ ફરી જોર પકડશે એવો ડર હરેક સાધકને સતાવે જ છે, તો આનો ઉપાય શું હોઈ શકે?

તેથી જ આધ્યાત્મિક જીવનમાં નિશ્ચિત દિનચર્યાનું ખૂબ જ મહત્ત્વ છે. સામાન્ય રીતે યુવકો આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પહેલાં સંલગ્ન થાય છે, બાદમાં સંન્યાસ લેવા પ્રેરિત થાય, પરંતુ હું તો મારા વિદ્યાર્થીકાળમાં કોઈ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નહોતો. હા, આપણા દર્શનશાસ્ત્રનાં પુસ્તકોનો બહુ અભ્યાસ કર્યો હતો. આ પુસ્તકોના વાંચનથી મનમાં એક છાપ અંકિત થયેલી હતી કે આશ્રમ કે મઠમાં એક ગુરુ હોય છે કે જે જિજ્ઞાસુ વ્યક્તિને પોતાની પાસે બેસાડીને તેનું વ્યક્તિગત માર્ગદર્શન કરે છે, તેના આધ્યાત્મિક પ્રશ્નોનું સમાધાન કરે છે વગેરે. તો હું પ્રથમ વાર બેલુર મઠ ગયો ત્યારે જોયું કે અહીં તો ટ્રેનિંગ સેન્ટર છે, જ્યાં એક વર્ગમાં આચાર્ય સમૂહમાં બધા બ્રહ્મચારીઓને માર્ગદર્શન-ઉપદેશ આપે છે. પણ હા, બેલુર મઠમાં સૌથી વિશેષ ભાર દૈનિક routine પર જ આપવામાં આવતો હતો. કોઈ ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન વિના મારા આધ્યાત્મિક જીવનનું ગઠન કઈ રીતે થશે, તે અંગે સતત ચિંતન-સંશય-દુવિધા મનમાં ચાલ્યા કરતાં.

પરંતુ આજે આટલાં વર્ષો બાદ મને સમજાયું છે કે ટ્રેનિંગ સેન્ટરમાં અમને દૈનિક સમયપત્રકને ચુસ્તપણે અનુસરવાની જે તાલીમ આપવામાં આવે છે, એ જ અમારી સાચી સંપદ છે, ધન છે. જ્યાં સુધી આપણે દૈનિક routineને અનુસરવાનું નહીં શીખીએ ત્યાં સુધી કોઈ પણ ગુરુના આધ્યાત્મિક ઉપદેશનું સાચું મૂલ્ય નહીં રહે. આપણે કેટલા સમય માટે જપ-ધ્યાન કરીએ છીએ, તે મહત્ત્વનું નથી પણ દિવસભરના એક નિશ્ચિત સમયપત્રકમાં બંધાઈ રહેવું અત્યંત આવશ્યક છે.

“ભગવાન છે, ધર્મ છે—આ બધી ખાલી વાતો નથી અથવા નીતિના રક્ષણ માટે નથી. સાચે સાચ તે છે. તે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય છે. એનાથી વધાારે સત્ય બીજું કંઈ જ નથી. ધર્માન્ધતા સારી નથી. ધીર, સ્થિર, સંયમી બનવું પડશે. ચાર વખત ધ્યાન કરવું—સવારે, સ્નાન પછી, સંધ્યા સમયે અને મધ્ય રાત્રીએ. ભગવાનપ્રાપ્તિ માટે ઘરબાર છોડીને આવ્યા છો તો તો તેમને મેળવવા માટે એકનિષ્ઠ બની પ્રાણના ભોગે પ્રયત્ન કરવો જોઈએ.”

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.