શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્‍યક્ષ હતા. સ્વામી શિવાનંદ હતા શ્રીરામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્‍યક્ષ. સ્વામી તુરીયાનંદે પ્રથમ અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો અને ત્યાર બાદ ભારત પરત આવી સાધન-ભજન તથા આત્મચિંતનમાં બાકીનું જીવન ગાળ્યું હતું. આ ત્રણેય યોગસાધનામાં પારંગત હતા અને તેઓએ યોગસાધનામાં સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. સ્વામી વિરજાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના છઠ્ઠા પરમાધ્‍યક્ષ હતા.

આ ચારેયના ઉપદેશોના સંકલનરૂપે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ૨૧ જૂને આંતરરાષ્ટ્રિય યોગ દિવસ છે. એ ઉપલક્ષે વાચકોના હાથમાં આ યોગ વિશેષાંક અર્પણ કરવાનું સદ્‌ભાગ્ય અમને પ્રાપ્ત થયું છે.

યોગનું પહેલું દ્વાર

યોગનું પહેલું દ્વાર છે વાણીનો સંયમ, અપરિગ્રહ, આશારહિતતા, ઇચ્છાનો ત્યાગ અને એકાંતપ્રીતિ.’ આ શ્લોકની મારા ઉપર ઊંડી અસર થયેલી. પહેલાં હું વાતો બહુ જ કરતો. જ્યારે મેં આ વાંચ્યું ત્યારે મને વિચાર આવ્યો કે, આ શું? હજુ તો મેં (સ્વામી તુરીયાનંદ) યોગના પ્રથમ દ્વારમાં પણ પ્રવેશ કર્યો નથી! તે પછી મેં વાણી ઉપર સંયમ રાખવાનો નિશ્ચય કર્યો. હું કોઈની સાથે વાત કરતો નહીં, એકલો રહેતો અને મને ઉત્તમ લાગે તેવું વર્તન કરતો. નવરાત્રિના નવ દિવસો દરમ્યાન એક પણ શબ્દ મેં ઉચ્ચાર્યો નહોતો.

(અધ્યાત્મ માર્ગ પ્રદીપ, ૪ નવેમ્બર, ૧૯૧૫)

ગુરુ માહાત્મ્ય

દીક્ષાનો મંત્ર કોણ જાણતું નથી? આ બધા મંત્રો તો પુસ્તકમાં છાપેલા છે. પરંતુ જાણે છે ભાઈ, એ જ મંત્ર સિદ્ધગુરુના મુખમાંથી નીકળતાં ચૈતન્યવંત બની જાય છે. એમ તો આ માત્ર શબ્દો જ છે. ગુરુ પોતાની શક્તિના બળથી મંત્રને ચેતનવંતો કરી શિષ્યની કુલકુંડલિની શક્તિને જાગૃત કરી દે છે. આ જ છે અસલી વાત.

(આનંદધામના પથ પર, ૧૯૩૨)

કુંડલિની જાગરણ

કુંડલિની આત્માની જ્ઞાનશક્તિ છે. ચૈતન્યમયી, બ્રહ્મમયી વગેરે નામથી તે બધા જીવોના અભ્યંતરમાં બિરાજી રહી છે પણ અત્યારે તે પ્રસુપ્ત અવસ્થામાં છે—જાણે કે સૂઈ રહી છે. તેનું સ્થાન ગુહ્યદેશમાં આવેલું આધારપદ્મ છે. ધ્યાન કરવા માટે યોગીઓના શરીરમાં છ પદ્મો છે. શરીરની અંદર જ ઇડા, પિંગલા અને સુષુમ્ણા નામની ત્રણ નાડીઓ પણ છે. કુંડલિની સુષુમ્ણા માર્ગમાં થઈને જ્યારે પરમશિવને મળે છે ત્યારે મનુષ્યને જ્ઞાન થાય છે. ઉપાસનાથી સંતુષ્ટ થયા પછી જ તે જાગૃત થાય છે.

તે જાગૃત થતાં અનેક દર્શન ઇત્યાદિ થાય છે. પરમશિવનું સ્થાન મસ્તિષ્કમાં છે. ગુહ્યદેશમાં રહેલ સર્પાકાર શક્તિ જાગૃત થઈને જ્યારે સુષુમ્ણામાર્ગમાં થઈને મસ્તિષ્કમાં પહોંચે છે અને ત્યાં બિરાજમાન પરમશિવની સાથે મળે છે ત્યારે જીવને ચૈતન્ય થાય છે. યોગ, ઉપાસના અને ધ્યાન વગેરે અનેક ઉપાયો દ્વારા તેને જાગૃત કરાય છે. તે જ્યારે જાગૃત થાય છે ત્યારે જ્યોતિદર્શન, દેવનાં રૂપદર્શન વગેરે અનેક અદ્‌ભુત આધ્યાત્મિક અનુભૂતિઓ થાય છે.

ગુહ્યમાં, લિંગમૂળમાં, નાભિમાં, હૃદયમાં, કંઠમાં અને ભ્રમરની વચ્ચે છ પદ્મો આવેલાં છે, તેમનાં નામ ક્રમશઃ આધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આહત, વિશુદ્ધ અને આજ્ઞા. શરીરમાં ડાબી બાજુ ઇડા, જમણી બાજુ પિંગલા અને વચ્ચે સુષુમ્ણા નાડી આવેલી છે. સુષુમ્ણાનો માર્ગ બંધ છે અને કુંડલિનીના જાગરણ સાથે જ તે ખૂલી જાય છે.

(આધ્‍યાત્મિક સંપદ: સ્વામી તુરીયાનંદના પત્રો, પત્ર ક્રમ 21)

આહ! ઠાકુરના મુખે આ ગીત (જાગો મા! કુલકુંડલિની) કેટલીય વાર સાંભળ્યું છે તેની ગણતરી નથી. કોઈક દિવસ શ્રીજગન્માતાને ચામર ઢોળતાં ઢોળતાં આ ગીત ગાતા હતા. કેટલા તન્મય થઈને આ ગીત ગાતા હતા! અમે બધા સ્તબ્ધ થઈ જતા હતા. તેમની બાહ્ય ચેતના લુપ્ત થઈ જતી હતી. ધીમે ધીમે ચામર ઢોળે છે અને મતવાલા થઈને તેઓ ગીત ગાય છે.

શું મધુર કંઠ તેમનો હતો! એ ભાવ પણ વર્ણવી શકાય તેમ નથી. બધા ગીતમાં તરબોળ થઈ જતા હતા. આટલી વ્યાકુળ પ્રાર્થના પછી શું મા ન જાગે? એ મા એ જ બ્રહ્મકુંડલિની. સ્વામીજી કહેતા, ‘જાણે છે, આ સમયે બ્રહ્મકુંડલિની પોતે જ જાગ્રત થયાં છે. જેની ઇચ્છાથી સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય થાય છે એ જ મહામાયા મહાકુંડલિની આ વખતે ઠાકુરના આહ્વાનથી જાગ્રત થયાં છે. વ્યક્તિગત કુંડલિની તો જાગ્રત થશે જ એમાં શંકા શી?’ આથી તો સમસ્ત વિશ્વમાં મહાજાગ્રતિની હલચલ મચી રહી છે અને એ આદ્યશક્તિ ઠાકુરના શરીરનો આશ્રય લઈને જગતના કલ્યાણ માટે લીલા કરે છે- હવે શી ચિંતા છે?

(આનંદધામના પથ પર, ૨૫ નવેમ્બર, ૧૯૨૦)

સાધના: જપ-ધ્‍યાન

ખૂબ જપ-ધ્યાન કરો. પહેલાં પહેલાં તો મન સ્થૂળ વસ્તુઓમાં લાગેલું રહે છે. જપ-ધ્યાન કરવાથી તે ધીમે ધીમે સૂક્ષ્મ વિષયોને ગ્રહણ કરતાં શીખે છે. શીતકાલ તો જપ-ધ્યાનનો સમય છે અને આ ઉંમર પણ એ માટે યોગ્ય છે. ‘ઈહાસને શુષ્યતુ મે શરીરમ્’ કહીને બેસી જાઓ. ભગવાન ખરેખર છે કે નહીં તે એક વખત ચકાસી તો જુઓ. થોડી થોડી તિતિક્ષાનો અભ્યાસ કરવો સારો છે—જેમ કે અમાસ કે એકાદશીના દિવસે એક ટંક જમવું. નિરર્થક ગપ્પાં માર્યા વગર આખો દિવસ ઈશ્વરનું સ્મરણ-મનન કરવું. ઊઠતાં-બેસતાં, બધો જ વખત.

આ રીતે કરવાથી જોશો કે કુલકુંડલિની શક્તિ ધીમે ધીમે જાગ્રત થઈ રહી છે. શું સ્મરણ-મનનથી વધારે સારી બીજી કોઈ વસ્તુ છે ખરી? માયાનાં આવરણ એક પછી એક હટી જશે અને ત્યારે જોઈ શકશો કે પોતાની અંદર જ કેટલી અદ્‌ભુત વસ્તુ છે, ત્યારે તમે સ્વયંપ્રકાશ બની જશો.

(ધ્યાન, ધર્મ અને સાધના, ડિસેમ્બર, ૧૯૧૫)

પ્રશ્ન: મહારાજ, કુંડલિની શક્તિ કેવી રીતે જાગ્રત થાય છે?

મહારાજ: જપ-ધ્યાન વગેરે દ્વારા જ જાગ્રત થાય છે અને કોઈ કોઈ કહે છે તેની એક વિશિષ્ટ સાધના છે, જે દ્વારા તે જાગ્રત થાય છે. પણ મારો વિશ્વાસ છે કે જપ-ધ્યાન દ્વારા જ જાગ્રત થાય છે. પણ જપ-ધ્યાન જ શ્રેષ્ઠ છે. જપ સમાન સહજ સાધન બીજું એકેય નથી. જપની સાથે સાથે ધ્યાન કરવું જોઈએ.

(ધ્યાન, ધર્મ અને સાધના, ૫ ફેબ્રુઆરી, ૧૯ર૧)

સાધના: પુરુષાર્થ

કોઈ પણ બાબત પહેલેથી જ નિશ્ચિત થઈ નથી. એક રીતે તો બધું જ આપણા અંગત પુરુષાર્થ ઉપર જ આધારિત હોય છે. યોગવાશિષ્ઠમાં પુરુષાર્થની ઊંચી પ્રશંસા કરવામાં આવી છે. હું એમ નથી કહેતો કે પ્રારબ્ધ સાવ કવિ કલ્પના છે. ‘દૈવં નિહત્ય કુરુ પૌરુષમાત્મશક્ત્યા’ ‘આત્મશક્તિ દ્વારા દૈવનો નાશ કરીને તમારા પૌરુષને પ્રકટ કરો.’ પુરુષાર્થ કરનારને પ્રારબ્ધ પણ અનુકૂળ થાય છે. જેઓ પોતાને મદદ કરે છે તેઓને ઈશ્વર પણ મદદ કરે છે.

(અધ્યાત્મ માર્ગ પ્રદીપ, ૩ જુલાઈ, ૧૯૨૦)

સાધના: શ્રદ્ધાનું માહાત્મ્ય

ધર્મના રાજ્યમાં શ્રદ્ધા જ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે. ગીતામાં ભગવાનનું વચન છે, श्रद्धावान्‌ लभते ज्ञानम्‌। કઠોપનિષદમાં નચિકેતાના હૃદયમાં શ્રદ્ધાનો ઉદય થયા પછી જ તેને સત્યપ્રાપ્તિ થઈ હતી. યોગશાસ્ત્રમાં પણ શ્રદ્ધાના મહિમાનાં ઘણાં વખાણ કરવામાં આવ્યાં છે. यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी આ વાત પણ સર્વત્ર જાણીતી છે. તેથી તમને જે કંઈ પણ લાભ થયો છે, જાણી લેવું કે તે તમારી શ્રદ્ધાને કારણે જ થયો છે.

(આધ્‍યાત્મિક સંપદ: સ્વામી તુરીયાનંદના પત્રો, પત્ર ક્રમ 34)

સાધના: અભ્યાસ

“યોગસૂત્રના પ્રણેતા કહે છે, ‘સ તુ દીર્ઘકાલનૈરંતર્યસત્કારાસેવિતો દૃઢભૂમિઃ’ સતત, અખંડ રીતે કાળજીપૂર્વક અભ્યાસ ચાલુ રાખવાથી એકાગ્રતા દૃઢ બને છે. આપણે દૃઢ એકાગ્રતા મેળવવી જોઈએ. ઊગતા છોડની આજુબાજુ કાંટાની વાડ રાખવી જોઈએ, પણ જ્યારે વૃક્ષ મોટું થાય ત્યારે તેની જરૂર નથી. આપણે લક્ષ્યની સ્થિરતા રાખવી જોઈએ. જેવું આપણે નક્કી કરીએ કે, અમુક માર્ગ ખરો છે, ત્યારે આપણે તેના માટે આપણું જીવન આપવા પણ મક્કમ રહેવું જોઈએ. આપણા ચારિત્ર્યમાં નિશ્ચય જોઈએ.

(અધ્યાત્મ માર્ગ પ્રદીપ, ૯ જુલાઈ, ૧૯૨૦)

“યોગશાસ્ત્રો કહે છે કે, બધી જ શક્તિ આપણામાં છે. યોગ્ય સાધના દ્વારા આપણે મનને સંયત રાખવું જોઈએ, માત્ર ત્યારે જ એની શક્તિઓ પ્રકટ થશે. આધ્યાત્મિક શક્તિ-સંચય માટે પૂર્ણ બ્રહ્મચર્યની જરૂર છે.

(અધ્યાત્મ માર્ગ પ્રદીપ, ૯ જુલાઈ, ૧૯૨૦)

 સાધના: નિષ્ઠા

સદ્‌ગુરુ સિદ્ધમંત્ર જ આપે, કે જે મંત્રો જપીને યોગી ઋષિઓ સિદ્ધ થયા હતા અને જે મંત્રો ગુરુ પરંપરાથી ચાલ્યા આવે છે. ગુરુ એક પોતાની કલ્પનાનું કંઈક જે તે તો આપે નહિ. માટે મંત્રમાં અવિશ્વાસ યા અશ્રદ્ધા રાખવી નહિ. લાંબા વખત સુધી જપ કરવા છતાંય જો મનની એકાગ્રતા યા પવિત્રતા ન આવે તો, જાણજો કે એ મંત્રનો દોષ નથી, પણ એનું કારણ છે તમારી પોતાની જ ત્રુટિ યા દોષ. એને સુધારવાનો પ્રયાસ કર્યા વગર કેવળ મોઢેથી જ જપ કર્યે જવાથી યા બીજો ગુરુ કરવાથી શું વળવાનું હતું? મન અને મુખ બેયને એક સાથે લગાડીને જપ કરવો જોઈએ, મન ને વાણી એક થવાં જોઈએ.

(પરમપદને પંથે, ક્ર. 69)

શરૂઆતમાં નિયમપૂર્વક જપ-ધ્યાન કરવાં જોઈએ. મન સ્વભાવથી જ કામ કરવામાં, મહેનત કરવામાં નારાજ, કેવળ બહાનાં ગોતીને કામ ટાળવા માગે. જે કામમાં તેને લગાડવા માગો એમાં ન લાગતાં બીજી બાજુએ દોડાદોડ કર્યા કરશે. જો કોઈ કામમાં નહિ લગાડો તો ખોટાં કામ યા નકામાં કામ કરશે.

વાતમાં કહે છે ને કે ‘કામ વિનાનું મન એ શેતાનનું કારખાનું!’ એ સાવ સાચી વાત. તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એવો એક routine—દૈનિક કાર્યક્રમ કરવો કે જેનું પાલન કરી શકાય, અને દૃઢ  સંકલ્પ રાખવો કે ગમે તે અવસ્થામાં પડો ને, બીજું ગમે તે કામ આવી પડે, પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. એ પ્રકારની નિષ્ઠા અને દૃઢતા જોઈએ.

આહારવિહાર, ભણવું, ગણવું, વ્યાયામ, નિદ્રા, કામકાજ, ધ્યાન, ભજન, એટલે સુધી કે ખુશીમજા, રમતગમત એ બધાં કામોનો એક નક્કી કરેલો સમય રહે. આડી અવળી રીતે ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વૃથા જવાનું. નિયમ બાંધીને મનને દૃઢભાવે હુકમ કરીને કહેવું: ‘અરે બાપલા, તું ઇચ્છે કે ન ઇચ્છે, તારે આ બધા નિયમો માનીને જ ચાલવાનું છે.’ થોડાક દિવસ મન વાંકું થઈ બેસશે, કોઈ રીતે અંકુશ માનવાનું નહિ, આમ તેમ નાસભાગ કરવાનું. પરંતુ તમારે કોઈ રીતે છોડવું નહિ, એને પકડીને પરાણે કામમાં લગાડવું, સાથે સાથે તેને સમજાવવું ય. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું.

અસીમ ધૈર્ય, ખંત અને ઇચ્છાશક્તિ જોઈએ. જ્યારે મન દેખશે કે, અરે બાપ રે, કોઈ રીતે આ બંધન તૂટે એમ નથી, ત્યાર પછી એ પોતાનું અક્કડપણું છોડશે અને ડાહ્યુંડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. આને કહેવાય અભ્યાસ-યોગ. એના વિના મનને વશ કરવાને, બીજો કોઈ ઉપાય નથી એ નક્કી જાણજો.

(પરમપદને પંથે, ક્ર. 173)

સાધના: પરમાર્થ કર્મ

ઘણાયનો એવો ખ્યાલ છે કે માનવસેવા, અને એવાં બધાં કાર્યો કર્યે શું વળવાનું હતું? તેના કરતાં તો દિન-રાત સાધના કરીને પહેલાં પ્રભુનાં દર્શન માટે પ્રયાસ કરીએ. એ તે કાંઈ બને! થોડાક દિવસ અભ્યાસ કરતાં સમજાઈ જાય કે કાર્યમાં એ સંભવે નહિ. પારકાના ભલા સારુ કામ કર્યા વિના ચિત્ત શુદ્ધ થાય શી રીતે? મન નિર્મળ થયા વિના તે શું સ્થિર અને શાંત થાય? અને તે વિના શું ધ્યાન સહેજમાં થાય?

મનમાં કેટલો કચરો ભર્યો પડ્યો છે, વિષયવાસનાની તરફ કેટલું આકર્ષણ ને આસક્તિ છે, સ્વાર્થપરાયણતા કેટલી છે, સહનશીલતા કેવી છે, એ બધાં ક્રમે ક્રમે વધે છે કે ઓછાં થતાં જાય છે, એ બધું જાણવાનો ઉપાય એકમાત્ર પરમાર્થ કર્મ અને પરમાર્થ કાર્ય દ્વારા મનનો પ્રતિકાર સહી લો.

સત્-અસત્‌નો વિચાર, અંતર્દૃષ્ટિ અને આત્મપરીક્ષાનો ભાવ અંદર હોય તો મન ક્રમે ક્રમે નિર્મળ અને નિષ્કામ થાય, અહંભાવનો નાશ થાય, હૃદયમાં પ્રેમ આવે. ત્યારે પછી કર્મમાં ફરજની ભાવના પણ રહે નહિ, કર્મ બંધનનું કારણ ન બનતાં, મુક્તિનું કારણ બને. અર્થાત્ કર્મ જ ત્યારે પછી પૂજન થઈને ઊભું રહે, કર્મ અને ઈશ્વરની ઉપાસનામાં, નારાયણ જાણીને જીવસેવામાં અને ભક્તિમાં ભેદ જણાય નહિ, એનું નામ ખરી ભક્તિ. અને એ મેળવવાનો કુદરતી ઉપાય છે કર્મયોગ.

(પરમપદને પંથે, ક્ર. 115)

સાધનાની શરૂઆતમાં તો કર્મ પણ જોઈએ અને સાધન-ભજન પણ જોઈએ, બેયનો હેતુ ભગવત્પ્રાપ્તિ, એ મનમાં પાકું કરી રાખજો. આદર્શ બરોબર ન હોય તો અનેક વિઘ્નો આવ્યા કરે ને કામમાં જ ગૂંગળાઈ જવાય; બધામાં એમ જ. એટલા માટે હમેશાં જાગ્રત રહેવું, સત્ અસત્‌નો વિચાર કરવો, પ્રાર્થનાપરાયણ થવું, ત્યાર પછી ઈશ્વર કૃપાથી એવી અવસ્થા થાય કે પછી સાધના ને કર્મમાં કશો ભેદ જણાય નહિ, ત્યારે પછી બધું કામકાજ સાધના થઈને ઊભું રહે.

(પરમપદને પંથે, ક્ર. 119)

યોગના અંતરાયો

પતંજલિ યોગસૂત્રમાં આવતા અંતરાયો વિશે કહે છે. આ અંતરાયો કયા કયા છે? તે આ પ્રમાણે છે: પહેલો ‘વ્યાધિ’, કોઈ ગાંડો થઈ જાય, કે સખત માંદગીમાં પટકાય કે જેથી પ્રગતિ રૂંધાય; બીજો ‘સ્ત્યાન’ (માનસિક જડતા); ત્રીજો ‘સંશય’, એટલે કે કોઈ વસ્તુ આવી છે કે તેવી, અથવા કોઈ એક કાર્યપ્રણાલી અભીષ્ટ પરિણામ લાવશે કે નહીં એ પ્રકારની શંકા; ચોથો ‘પ્રમાદ’ એટલે કે સમાધિ તરફ જે સાધના લઈ જાય તેનો અભ્યાસ છોડવો; પાંચમો ‘આળસ’ એટલે કે તમસ્ કે જડતાના અતિરેકને લીધે સાવચેતી કે પુરુષાર્થનો અભાવ; છઠ્ઠો ‘અવિરતિ’ એટલે કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ; સાતમો ‘ભ્રાન્તિદર્શન’ એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ તરીકે સમજણ; આઠમો ‘અલબ્ધભૂમિકત્વ’ એટલે કે સમાધિની ઉચ્ચ કક્ષાએ ન પહોંચી શકવું; એક વધારે વિઘ્ન છે તે છે ‘અનવસ્થિતત્વ’ એટલે કે કોઈ એક સમાધિની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી તેમાં સ્થિર રહેવાની અશક્તિ. આ બધા અંતરાયો મનને અસ્વસ્થ બનાવે છે અને યોગમાં વિઘ્નરૂપ બને છે. ઓમકારનું ધ્યાન કરવાથી આ બધા અંતરાયો દૂર થાય.

(અધ્યાત્મ માર્ગ પ્રદીપ, ૯ જુલાઈ, ૧૯૨૦)

સર્વ યોગ સમન્વય

જેઓ ઠાકુરનાં સંતાન હોવાનો દાવો કરે છે, તેઓની પાસે યોગ, ભક્તિ, કર્મ, જ્ઞાન બધું જ હોવું જોઈએ, કારણ કે ઠાકુર બધા ધર્મમાર્ગોના સમન્વય અને ઐક્યના પ્રતીક છે. કોઈ અમુક માર્ગને અનુસરવાથી જ માણસનો આધ્યાત્મિક વિકાસ થાય, તે ભૂતકાળનો નિયમ હતો. પણ હવે માણસે સર્વાંગી વિકાસ સાધવો જોઈએ, અને સાથે સાથે બીજાને સહી લેવા જેટલી અંતરની ઉદારતા જોઈએ.

(અધ્યાત્મ માર્ગ પ્રદીપ, ૨૮ ડિસેમ્બર, ૧૯૨૦)

અ.: “સ્વામી વિવેકાનંદને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ‘જ્ઞાન, ભક્તિ, કર્મ ને યોગમાંથી શ્રેષ્ઠ કયું?’ સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો, ‘એને માટે નકામી માથાકૂટ કરો મા! તમને જે ગમે તે એકને લઈને પૂરી શક્તિથી તેને અનુસરો.’”

તુરીયાનંદજી: “કામને ખાતર કામ કરો. તમારું સંપૂર્ણ મન એ કામ ઉપર કેન્દ્રિત થવું જોઈએ. એ કામને જ તમારો આદર્શ, જીવન-સર્વસ્વ બનાવો. સફળતા મળે કે નિષ્ફળતા તેની પરવા કદીય ન કરો.”

(અધ્યાત્મ માર્ગ પ્રદીપ, ૧૪ ઓક્ટોબર, ૧૯૧૯)

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.