(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)
શ્રીમાની કૃપા (૧૯૧૪)
એ જ વર્ષે, રામકૃષ્ણ સંઘનાં પરમ પૂજનીય માતા શ્રીમા શારદાદેવીનાં દર્શન કરવાની તીવ્ર ઇચ્છા મારી ધર્મ-માને થઈ. તે સમયે મા ઉદ્બોધન ભવનમાં રહેતાં હતાં. ઈ.સ. ૧૯૦૮થી જ મઠના વરિષ્ઠ સંન્યાસીઓ, ખાસ કરીને પૂજનીય બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદજી) સાથે મારી ઓળખાણ હતી. ૧૯૧૦થી હંમેશાં હું દર શનિવારે મઠમાં જતો અને સાંજે પાછો ફરતો. ઈ.સ. ૧૯૧૪-૧૫થી દર શનિવારે હું મઠમાં રોકાઈ, રવિવારે બપોરે બડી-મા સાથે ભોજન લેવા જતો.
આ પહેલાં પણ ઘણી વખત શ્રીમાનાં દર્શન થયાં હતાં. લગભગ ઈ.સ. ૧૯૧૩માં જ દુર્ગાપૂજા સમયે મા બેલુર મઠ પાસેના નીલાંબર બાબુના મઠમાં હતાં. દશમીની રાત્રે ત્યાં ઘણા લોકોની ભીડ એકત્રિત હતી. બધા લોકો એક સાથે માનાં ચરણસ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યા હતા, જેથી તેમને ખૂબ કષ્ટ થઈ રહ્યું હતું. આ જોઈને મને સાથે રાખી, પૂ. શરત્ મહારાજ (સ્વામી શારદાનંદજી) એક દરવાજે ઊભા રહીને, તથા પૂ. કૃષ્ણલાલ મહારાજ (સ્વામી ધીરાનંદજી) બીજા દરવાજે ઊભા રહીને ભીડને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. આમ, ફક્ત એક જ વખત મને માના દ્વારપાળનું કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.
મારી ધર્મ-મા પોતાને માની પાસે લઈ જવાનું કહેવા લાગી. જવાનો દિવસ નિશ્ચિત થયો, પરંતુ અત્યારે યાદ નથી કે કયાં કારણોસર હું તેમની સાથે નહોતો જઈ શક્યો. તેઓ નાના માસ્તરને પોતાની સાથે લઈ ગયાં. શ્રીમાએ તેમને જોઈને જ પૂછ્યું, ‘આ કોની છોકરી છે? ખૂબ સુંદર ભાવ છે! તું અમુક દિવસે આવજે, તને દીક્ષા આપીશ.’ માની આ કેવી અહેતુક કૃપા હતી! પરંતુ ગોલાપ-મા અને યોગીન-માએ એમ કહીને દીક્ષાનો વિરોધ કર્યો કે તેનો વિવાહ થયો નથી અને કુંવારી છોકરીને દીક્ષા આપવી યોગ્ય નથી. આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે તેની તો મને ખબર નથી. શ્રી માએ પણ તેમના આ વિરોધને સ્વીકૃતિ આપ્યા વગર કહ્યું કે ‘એમાં કોઈ દોષ નથી, તું આવજે, હું તને દીક્ષા આપીશ.’ મારી ધર્મ-માએ નિર્ધારિત દિવસે અને સમયે જઈને મા પાસેથી દીક્ષા લીધી અને એમની કૃપાપાત્ર બનીને ધન્યતા અનુભવી.
મારા જીવનનો ઉદ્દેશ્ય હતો—બ્રહ્મચારી રહેવું અને ત્યાગાશ્રમ અપનાવીને સંન્યાસ લેવો. મારી ધર્મ-માની પણ પ્રબળ ઇચ્છા હતી કે પોતે દીક્ષા લઈને આજીવન કુંવારી રહે અને પોતાનું સંપૂર્ણ જીવન ભગવાનના નામનું સ્મરણ કરતાં કરતાં વ્યતીત કરે.
ઘણા સમયથી તેની વિવાહયોગ્ય ઉંમર થઈ હતી અને તેના ઘરના બધા લોકો ચિંતિત હતા કે ધાર્મિક જીવનથી પ્રેરાઈને તે જો રામકૃષ્ણ મિશનમાં જોડાઈ જશે તો ખૂબ મુશ્કેલ થશે. તે જ વખતે મેં પણ રામકૃષ્ણ સંઘના મહારાજ પાસે સંન્યાસ લેવાનો નિશ્ચય કર્યો હતો. માની વૃદ્ધ દાદી તથા મા મને કાયમ કહ્યા કરતી, ‘તું કહીશ તો તે લગ્ન કરી લેશે, કારણ કે તારા પ્રતિ તેને ખૂબ મમતા છે. સંબંધ બાંધવા માટે કેટલાયનાં કહેણ આવે છે.’ હું જવાબ આપતો, ‘જ્યારે મને ખુદને વિવાહ કરવાની કોઈ ઇચ્છા નથી, ત્યારે હું તેમને વિવાહ કરવાનું કઈ રીતે કહી શકું? સૌભાગ્યવશ આવી મા જેને મળી હોય, તેને ખોવા માટે કોઈ તૈયાર ન થાય. આથી તેમને જે પણ કહેવાનું હોય, તમે જ કહો.’
ખબર નથી બીજા લોકોને આ વાત કેવી લાગશે, પરંતુ વાસ્તવમાં ઘટના અદ્ભુત રીતે આ પ્રમાણે બની હતી. માની દાદીએ પોતાનો ઊભરો ઠાલવતાં કહ્યું, ‘બેટા, આ દીક્ષાથી જ સર્વનાશ થયો છે. અમારા પરિવારમાં હજુ સુધી એવી કોઈ છોકરી પેદા નથી થઈ, જે મા-બાપ અને ગુરુનું કહ્યું ન માને અને પોતાનું મનમાન્યું કરે. જુઓ તો ખરા, બધાની મનાઈ છતાં દીક્ષા લઈ આવી. અમારા કુળગુરુ તો છે, જેમ અમે બધા કુટુંબીઓએ લીધી તેમ આ પણ તેમની પાસેથી જ દીક્ષા લઈ શકત, અને એટલી ઉતાવળ પણ શું હતી? લગ્ન થાય, બાળ-બચ્ચાં થાય પછી જ દીક્ષા લેવી જોઈએ.’ દાદીના મનમાં એ વાત દૃઢતાપૂર્વક ઠસી ગઈ હતી કે આ બધાના મૂળમાં હું જ છું, તેથી મોકો મળતાં જ તે મારી વિરુદ્ધમાં આવું બધું બોલ્યા કરતાં હતાં.
તે વખતે મારી નાની માના વિશેષ આગ્રહથી તેમજ વૃદ્ધ પિતાના આદેશ મુજબ મારી ધર્મની માની રજા લઈ બે મહિના માટે હું હજારીબાગ ગયો. વિચાર્યું હતું, ‘માથી થોડા દૂર રહેવાથી માની અશાંતિ થોડી ઓછી થશે.’ પરંતુ ત્યાંથી પાછા આવીને જોયું તો બધું પૂર્વવત્ હતું.
મેં જોયું કે મારા કારણે માને ઘણું કષ્ટ થઈ રહ્યું હતું. તેણે પોતાની દાદી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને પોતાનો અધિકાંશ સમય પૂજા તથા ધ્યાનમાં વિતાવતી હતી. એક દિવસ આવેશવશ તેણે દાદીને સંભળાવી દીધું, ‘ખબરદાર, જો કોઈએ મારા પુત્રની વિરુદ્ધ કંઈ કહ્યું છે તો! જેણે જે પણ કહેવું હોય, તે મને કહે.’ આ વાત સાંભળીને મને ચિંતા થઈ, પરંતુ પાછળથી એક ઉપાય પણ સૂઝ્યો. એ દિવસે નાના માસ્ટરે પણ મને કહ્યું હતું, ‘શાંતિ નથી, કોઈ રસ્તો કાઢો, ક્યાંક તે (મા) કંઈ કરી ન બેસે.’ મને પણ ભય લાગ્યો—ક્યાંક આત્મહત્યા કરી લેશે તો? આ ભય લાગવાનું બીજું કારણ પણ હતું; ક્યારેક ક્યારેક તે કહ્યા કરતી, ‘જુઓ, સ્ત્રીના જીવનમાં કોઈ સ્વતંત્રતા નથી, ન તો તે કોઈ સારા કામમાં ઉપયોગી થઈ શકતી! આ શરીરમાં બંધન સિવાય બીજું કશું નથી. તને બોલાવું છું તો તું પણ નથી આવતો. કંઈ ખાવાનું તને આપવાનું મન થાય, તો તારી કેટલી રાહ જોવી પડે! ઇચ્છા થાય કે તને ઠપકો આપી, ઘેરથી પકડી લાવું! લોકોએ જે કહેવું હોય તે કહે, પરંતુ બહાર સડક ઉપર હું નથી નીકળી શકતી. આ જ તો છે સમાજનું બંધન. લક્ષ્મીનારાયણ, જો તું સમયસર નહીં આવે તો તને બોલાવવા માટે હું કોઈને મોકલવાની નથી!’ આમ એક દિવસ તેમણે પોતાની નારાજગી આ રીતે પ્રગટ કરી હતી.
આમ, બે-ત્રણ વખત બોલાવવા છતાં હું જઈ શક્યો નહોતો. એક દિવસ, કોઈ કૌટુંબિક ઝઘડાથી નિરાશ થઈને મને ચિડાઈને કહ્યું હતું, ‘આ શરીર ઉપર હવે કોઈ મમતા નથી.’ મારું મન આશંકાથી ફફડી ઊઠ્યું, ‘હે ભગવાન! શું મને માતૃહત્યાનું પાપ લાગશે? એક સ્નેહમયી મા આપી તો ખરી, પણ સાથે સાથે આવાં વિઘ્નો પણ કેમ આપ્યાં? મારા કારણે જ તેમના મનમાં આટલી અશાંતિ છે. હંમેશાં અકારણ આટલો બધો ક્લેશ થાય છે.’
એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર હું તત્કાલ માની પાસે ગયો. તે વખતે બપોરના અઢી કે ત્રણ વાગ્યા હશે. જઈને જોયું તો તે અભ્યાસ કરવાના નીચેના ઓરડામાં કોઈ ચિંતામાં મગ્ન ખૂબ ગંભીર થઈને બેઠી હતી. હું ઓરડામાં ક્યારે પ્રવેશ્યો તેની પણ તેને ખબર ન પડી. તેની આવી અવસ્થા જોઈ મને મારી શંકા સાચી લાગી. મેં કહ્યું, ‘મા!’ મારી તરફ જોઈને સ્મિતસહ તેણે કહ્યું, ‘બેટા, હવે ક્યાં તારી મા!’ આમ કહીને તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. હું તો ભયથી વિચલિત થઈ ગયો. કહ્યું ‘મા, જો તું મને સાચોસાચ પ્રેમ કરતી હો, તો મને સ્પર્શીને કહે કે હું જે કંઈ પૂછીશ, તેનો એકદમ સાચો ઉત્તર આપીશ.’
તેણે મારા મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, ‘હા બેટા, હું તારાથી કંઈ પણ છુપાવીશ નહીં.’ ત્યારે થોડું સાહસ કરીને મેં પૂછ્યું, ‘શું ખરેખર તું આત્મહત્યા કરવાનો વિચાર કરી રહી છો?’ થોડી વાર તે મારી સામે એકીટશે જોઈ રહી, પછી આવેગપૂર્ણ સ્વરમાં બોલી, ‘બેટા, ભગવાનની કૃપાથી પ્રસવ-પીડા ભોગવ્યા વગર તારા જેવું સંતાન મળ્યું. તને પામ્યા પછી થયું કે સંતાન તો મળી ગયું, પછી લગ્ન કરવાની શી જરૂર છે? શાંતિથી ભગવાનના નામનો જપ કરીશ અને જ્યાં સુધી આ દેહ રહેશે, ત્યાં સુધીનો સમય તારી સાથે આનંદથી વિતાવીશ, પરંતુ કદાચ પ્રભુની ઇચ્છા આવી નથી. ખૂબ અશાંતિ અનુભવી રહી હતી, પરંતુ એવો વિચાર પણ આવતો હતો કે જો આમ કરીશ તો લોકો તને વ્યર્થ જ કષ્ટ દેશે અને તે હું કેવી રીતે સહન કરી શકીશ?’
આ બધી વાતો તે એટલી ગંભીરતા સાથે આવેગપૂર્ણ થઈને કહી રહી હતી કે હું એકદમ અભિભૂત થઈ ગયો. તેનાં ચરણો પકડીને બોલ્યો, ‘મા, તને મારા સોગંદ, ભગવાનના સોગંદ, આવું ક્યારેય નહીં કરતી. સોગંદ લે કે આવી વાત બીજી વખત ક્યારેય નહીં કરે. આ અશાંતિ દૂર કરવાનો ઉપાય મને સૂઝ્યો છે. પહેલાં તું સોગંદ લે, પછી કહીશ કે એ ઉપાય શું છે!’ માએ મારા મસ્તક ઉપર હાથ મૂકીને શપથ લીધા કે તે મનમાંથી આત્મહત્યાનો ભાવ દૂર કરવાની કોશિશ કરશે અને તે પછી ખૂબ વ્યાકુળતાથી રડવા લાગી. તેણે કહ્યું, ‘બેટા, લક્ષ્મીનારાયણ, કદાચ હું તારી મા બનવાને લાયક નથી. લોકોએ મારો ભાવ જોયો નથી. મને ખરેખર આશ્ચર્ય થાય છે કે હું તારી ગર્ભધારિણી માતા નથી. કોઈ કોઈ તો કહે પણ છે કે તું આના માટે આટલું કરે છે, તે તારી સેવા કરવા (વૃદ્ધાવસ્થામાં) આવશે? આ કલિયુગમાં પોતાનો ખુદનો છોકરો પણ કંઈ કરતો નથી, તો બીજાની તો વાત જ શી કરવી? ત્યારે હું કહું છું કે ભલે તે મારો આ જન્મનો પુત્ર નથી, પરંતુ બીજા કોઈ જન્મમાં તો અવશ્ય હતો, તેમાં કોઈ સંદેહ નથી. હું જરૂર તેની મા હતી. જો આવું ન હોય તો તેણે મને ‘મા’ કહીને બોલાવવાનું શરૂ કર્યું તે પહેલાં જ, તેને જોતાંવેંત તેના તરફ સ્નેહ અને આકર્ષણ શા માટે થાય છે? તેનું કારણ શું છે? તે મારો જ પુત્ર છે. તે પોતાની મા તરફનું કર્તવ્ય જરૂર બજાવશે.’
Your Content Goes Here