(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત સ્વામી ધર્મેશાનંદનાં માસ્ટર મહાશય અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

બીજા એક દિવસે મેં તેમને કહ્યું, ‘ઠાકુર ભગવાન છે, પરંતુ તેમની ઉપર મારો વિશ્વાસ થતો નથી.’ શ્રી ‘મ.’એ કહ્યું, ‘શું કહે છે! આટલું વાંચીને, ઠાકુરનાં સંતાનોનો સંગ કરીને પણ ઠાકુર ભગવાન છે, એવો વિશ્વાસ ન આવ્યો? રામાયણના સાતેય કાંડ વાંચ્યા પછી તું કહી રહ્યો છે કે સીતા કોની પત્ની હતી?’ જે પણ હોય, ક્યારેક મનની આવી અવસ્થા થઈ જાય છે. મને પણ આવું થયેલું. યાદ આવે છે કે ૧૮૮૨ કે ૧૮૮૩ની એક બપોરે ભોજન બાદ ઠાકુર પથારી ઉપર સૂતા છે. હું પલંગ ઉપર બેસી તેમના પગ પર હાથ ફેરવી રહ્યો છું અને વિચારી રહ્યો છું—આ સામાન્ય માણસની જેમ ભોજન લે છે, હરે-ફરે છે, સૂવે છે, સામાન્ય માણસની જેમ વ્યવહાર કરે છે—આ કઈ રીતે જગતના સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયકર્તા હોઈ શકે? શું તેઓ મનુષ્યરૂપમાં મનુષ્ય ઉપર કૃપા કરવા માટે આવ્યા છે—જગતનો ઉદ્ધાર કરવાને માટે? આ કેવી રીતે સંભવ છે? આ દેહધારી મનુષ્ય છે. હું આવું વિચારી રહ્યો હતો ત્યાં અચાનક ઠાકુર ઊઠીને બેઠા થયા અને કહ્યું, ‘માસ્ટર, તમે શું વિચારી રહ્યા છો?’ ત્યાર પછી પોતાના હૃદય ઉપર હાથ રાખીને કહ્યું, ‘અહીં સર્વસ્વ છે. એનું ચિંતન કરવાથી જ તું સઘળું પ્રાપ્ત કરી લઈશ.’ આ વાત ત્રણ ત્રણ વખત કહી તેઓ સમાધિમાં ડૂબી ગયા.

લાંબા સમયની સમાધિ પછી તેઓ નીચેની ભૂમિકા ઉપર આવી મા જગદંબાની સાથે વાતચીત કરવા લાગ્યા, ‘મા, હું તો કંઈ પણ જાણતો નથી. તેં જેમ બોલાવ્યું, તેવું જ બોલ્યો. હું તો બાળક છું. મા, શું મેં કાંઈ ભૂલ કરી? તું જ મારા મુખ દ્વારા બોલી.’ જુઓ, આનાથી જ સમજ્યો કે ઠાકુર ભગવાન છે. મા જગદંબા અને ઠાકુર એક છે.

શ્રી‘મ.’ને ધ્યાનપૂર્વક જોયા છે કે તેમની સત્યને માટે ઘણી જ નિષ્ઠા હતી. ક્યારેય પણ તેમને ક્રોધ કરતા જોયા નથી. છતાં પણ કોઈના દ્વારા વચન આપ્યા બાદ, તેનું પાલન ન થતાં તેઓ નારાજગી અનુભવતા. એક દિવસ એક ભક્તની સાથે ક્યાંક જવાનું હતું, પરંતુ તે ભક્તે કોઈ જાણ ન કરી અને આવ્યો પણ નહીં. ત્યારે શ્રી‘મ.’એ અત્યંત ક્રોધ કર્યો અને કહ્યું, ‘સત્ય પ્રત્યે નિષ્ઠા નહીં રહેવાથી કંઈ પણ થઈ ન શકે. ઠાકુર સત્યસ્વરૂપ હતા.’ તેમની આ વાત મને હજુ પણ યાદ છે.

શ્રી ‘મ.’ એક તપસ્વીની જેમ રહેતા હતા. તેઓ સ્વાવલંબી હતા. પોતાનું ભોજન એક કૂકરમાં તૈયાર કરતા. તેમાં ભાત અને શાકભાજી બાફતા હતા. દૂધ પીતા હતા. કહેતા કે દૂધ પીવાથી બુદ્ધિ વિકસે છે. રાત્રે એક નોકરને મોકલીને એક પાઉંરોટી મગાવતા. તેમાંથી થોડી શાક અને બાકી દૂધની સાથે લેતા. ભક્તો સંદેશ, રસગુલ્લાં, વગેરે લાવતા હતા. હું જતો ત્યારે મને પણ ખાવા માટે આપતા. એક દિવસ મને સંદેશ ખાવા માટે આપ્યાં. મેં કહ્યું, ‘મને ખાવાની ઇચ્છા નથી.’ તેમણે હસતાં હસતાં કહ્યું, ‘જો, અરુચિમાં રુચિ માટે સંદેશની સૃષ્ટિ અને તને તે સંદેશમાં અરુચિ! સારું, રહેવા દે, તારે ખાવાની જરૂર નથી.’

હું વિચારવા લાગ્યો કે શ્રી‘મ.’ મને કેટલા ભાવથી ખવડાવે છે અને હું તેમને કંઈ પણ ખવડાવી ન શક્યો. શ્રી‘મ.’ અંતર્યામી હતા. તેઓ મારા મનની વાત સમજી ગયા. સાંજે સૌ ભક્તો ચાલ્યા ગયા પછી તેમણે મને કહ્યું, ‘જો, મને બીમારી થઈ છે. શરીર એટલું સ્વસ્થ નથી. દિવસે તો ભોજન બનાવી ખાધું. પરંતુ રાતે શું ખાવું, બોલ તો?’ મેં કહ્યું, ‘મને જ્યારે ટાઇફૉઇડ થયેલો ત્યારે હું મિલ્ક-રોલ પાઉંરોટી દૂધની સાથે ખાતો. તે જલદી પચી જાય છે.’ તેમણે કહ્યું, ‘તે મને લાવીને કોણ આપશે?’ હું એક મિલ્ક-રોલ પાઉંરોટી ચાની દુકાનેથી ખરીદી લાવ્યો. સારી દુકાનેથી ન લાવી શક્યો. તેમણે પાઉંરોટી ઉપર ગંગાજળ છાંટીને દૂધ સાથે ખાધી.

તેના આગલા દિવસે મૉર્ટન ઇન્સ્ટિટ્યૂટ પહોંચીને જોયું કે શ્રી‘મ.’ નીચેના ઓરડામાં એક ગૃહસ્થ ભક્તની સાથે વાતો કરી રહ્યા છે. મને જોઈને તેમણે દૂર એક બેંચ ઉપર બેસવા માટે કહ્યું. ત્યાર બાદ તે ભક્તની સાથે વાતચીત પૂરી કરી, તેઓ મને ચોથા માળે તેમના ઓરડામાં લઈ ગયા. સીડીથી ઉપર ચડતાં તેમણે મારા ખિસ્સામાં પાઉંરોટી જોઈ. મેં તેમને આપી. ઉપરના માળે ઘણા ભક્તો તેમની રાહ જોઈ રહ્યા હતા. તે દિવસે તેઓએ વિવિધ પ્રકારના ઈશ્વરીય પ્રસંગો સંભળાવ્યા. ત્યાર બાદ રાતે ૯ વાગ્યે સૌ ચાલ્યા ગયા પછી તેઓએ મને રોકાવા કહ્યું. તે દિવસે કોઈ ભક્ત મા જગદ્ધાત્રીનો વિવિધ પ્રકારનો પ્રસાદ લઈ આવ્યો હતો. તેમણે તે પ્રસાદ મને આપ્યો. મેં આપેલ પાઉંરોટી ઉપર થોડુંક ગંગાજળ છાંટીને દૂધ સાથે ખાઈને તેમણે કહ્યું, ‘બહુ સારી પાઉંરોટી છે.’ આ રીતે મેં શ્રી‘મ.’નો ઘણો જ પ્રેમ-સ્નેહ સંપાદિત કર્યો હતો.

શ્રી‘મ.’ ઇચ્છતા હતા કે સંન્યાસી કાયમ ઈશ્વર ઉપર નિર્ભર રહે, કોઈ ગૃહસ્થ ઉપર નહીં. હું ઉદ્બોધન, બાગબજારથી ત્રણ-ચાર માઈલ ચાલીને શ્રી‘મ.’ની પાસે જતો હતો. સુખલાલ બાબુ નામના એક ભક્ત મને ટ્રામભાડા માટે એક આનો આપતા. એક દિવસ મારે પરત આવવું હતું, પરંતુ શ્રી‘મ.’ સુખલાલ બાબુ સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હતા. ત્યારે હું પગપાળા પરત ફર્યો.

એક વખત સ્વામી વિશ્વાનંદ મુંબઈથી એક સંપત્તિવાન શેઠને શ્રી‘મ.’ પાસે લઈને આવ્યા. તેઓએ તેમને ઈશ્વરની અનેક વાતો જણાવી. ત્યાર પછી જ્યારે તે લોકો જવા લાગ્યા, ત્યારે શ્રી‘મ.’એ વિશ્વાનંદ મહારાજને કહ્યું, ‘જુઓ, સાધુની પાછળ પાછળ ભક્તોએ જવું સારું છે, પરંતુ ધનવાન ભક્તની પાછળ પાછળ સાધુએ જવું સારું નથી. કદાચ તમારા પ્રત્યે તેની શ્રદ્ધા ન રહે, તો તમારી વાતો પ્રત્યે પણ તેની શ્રદ્ધા નથી રહેવાની. ઈશ્વર પર નિર્ભર રહેવું, ધનવાનો ઉપર નહીં.’

એક દિવસ સવારે ૧૧ વાગ્યે શ્રી‘મ.’ની પાસે ગયો. તેઓ તે સમયે ખુલ્લા બાથરૂમમાં બેસીને ડોલમાં પાણી ભરીને સ્નાન કરી રહ્યા હતા. મેં જોયું કે વજનદાર ડોલ ઉપાડવા સમયે તેમને કષ્ટ થતું હતું. લોટાને ડોલમાં ડુબાડી પાણી કાઢી સ્નાન કરી રહ્યા છે. મેં કહ્યું, ‘આપ આટલું કષ્ટ વેઠીને સ્નાન શા માટે કરો છો?’ તેઓએ કહ્યું, ‘તો શું કરું? અહીં મારી સંભાળ રાખવા કોઈ નથી.’ મેં કહ્યું, ‘આપ બેલુર મઠ જઈને રહો, સૌ કોઈ તમને સારી રીતે રાખશે.’ તેમણે મને ઠપકો આપતાં કહ્યું, ‘શું બોલે છે? સાધુની સેવા લઉં? સાધુ કેટલો મહાન હોય છે.

मेरुसर्षपयोर्यद्यत् सूर्यखद्योतयोरिव।

सरित्सागरयोर्यद्यत् तथा भिक्षुगृहस्थयोः॥

પર્વત અને સરસવમાં જે તફાવત છે, પ્રચંડ સૂર્ય અને આગિયામાં જે તફાવત છે, વિશાળ સમુદ્ર અને ગાયનાં નાનાં પગલાંમાં જે તફાવત છે, સંન્યાસી અને ગૃહસ્થમાં તેવો જ તફાવત છે. ગૃહસ્થ ક્યારેય પણ સંન્યાસીની સેવા નહીં લે.’ આ પ્રકારે તેઓ અમને સંન્યાસી અને ગૃહસ્થના આદર્શ સમજાવતા હતા.

શ્રી‘મ.’ ઈસુ ખ્રિસ્તની ઘણી વાતો કરતા હતા. તેમણે કહ્યું હતું, “કૃષ્ણ જે પ્રમાણે ગાયોને ચરાવતા, ઈસુ પણ તે પ્રમાણે ઘેટાં ચરાવતા. એક વખત ઘેટાનું બચ્ચું ભૂલું પડ્યું. તેઓ ઘણી તપાસને અંતે ઘેટાના બચ્ચાને શોધી ગોદમાં લઈ આવી રહ્યા છે; ત્યારે બીજાં ઘેટાં તેમની પાછળ આવવા લાગ્યાં. ઈસુએ કહ્યું, ‘જુઓ, ઘેટાંની વચ્ચે કેવો પ્રેમ છે! આ ઘેટાનું બચ્ચું રસ્તામાં ભૂલું પડી ગયેલું. જે ઈશ્વર ઉપર નિર્ભર રહે છે, ઈશ્વર તેને સાચા માર્ગે લાવી રક્ષા કરે છે. A good shepherd goes to search for a sheep gone astray. આથી, ઈશ્વર પ્રતિ નિર્ભર બનો, પછી તમારા ઉપર કોઈ ભય નહીં રહે.’”

Don’t sell your birthright. એટલે કે તમારો જન્મસિદ્ધ અધિકાર વેચવો નહીં. તમારા જન્મસિદ્ધ અધિકારની કાયમ રક્ષા કરવી. આ પ્રસંગમાં શ્રી‘મ.’એ ઈસુનું એક ઉદાહણ આપેલું, “એક ધનવાન વ્યક્તિના બે પુત્રો વિદેશમાં વેપાર કરવા ગયા. રણ-વિસ્તારના રસ્તામાં નાના પુત્રનાં પાણી અને ભોજન ખલાસ થઈ ગયાં. તેણે મોટા ભાઈ પાસે જઈને કહ્યું, ‘મને પાણી અને ભોજન આપ.’ ત્યારે મોટાભાઈએ કહ્યું, ‘હું જળ અને ભોજન દઈ શકું છું, પરંતુ તારે પૈતૃક સંપત્તિમાંથી અડધો ભાગ દેવો પડશે.’ તેઓ અત્યંત ધનવાન વ્યક્તિ હતા.”

શ્રી‘મ.’એ અમને પૂછ્યું, ‘શું હવે નાનો દીકરો પોતાની પૈતૃક સંપત્તિ તેને આપી દેશે?’ અમે કહ્યું, ‘પૈતૃક સંપત્તિ નહીં આપવાથી તો તે પાણી અને ખોરાક વિના મરી જશે.’ શ્રી‘મ.’એ કહ્યું, ‘ત્યારે તો નાના ભાઈએ કાયમ મોટાભાઈના ગુલામ તરીકે રહેવું પડશે. ના, birthright આપવા કરતાં મરવું સારું છે. આપણો જન્મસિદ્ધ અધિકાર ભગવાન પાસે છે. આપણો મૂળભૂત સ્વભાવ અવિનાશી આત્મા છે અને તેનો આપણે અનુભવ કરીશું. જુઓ, વિવેક-વૈરાગ્ય જ ખરી વસ્તુ છે. ભોજન-વસ્ત્રને ખાતર તેને ન ભૂલીએ. મૃત્યુ સુધી ભગવાન પાસે આત્મજ્ઞાન માટે પ્રાર્થના કરવી પડશે, ઝંખના કરવી પડશે.’

શ્રી‘મ.’ ઈસુનું એક અન્ય દૃષ્ટાંત કહેતા હતા, ‘Follow me એટલે કે મને અનુસરો. એક મોટો ધંધાર્થી હતો. તેણે સંપૂર્ણ ધંધો વેચીને એક હીરો ખરીદ્યો. તે હીરાની કિંમત કરોડો રૂપિયાની હતી. તે ઇચ્છત તો પોતાનો ધંધો ફરી શરૂ કરી શકત. જાણો છો, તે હીરો શું છે? તે છે ભક્તિ. જુઓ, ત્યાગ વિના ભક્તિ થતી નથી. તે પ્રમાણે પૂરું મન એકાગ્ર કરીને ઈશ્વરને અર્પણ કરવાથી જ ઈશ્વર મળે છે.’ આ પ્રમાણે તેઓ વિવિધ વાર્તાઓ દ્વારા અમને ઉપદેશ આપતા હતા.

હું ઉદ્બોધનમાં હતો ત્યારે ક્યારેક ક્યારેક બેલુર મઠમાં મહાપુરુષ મહારાજ પાસે જતો હતો. શ્રી‘મ.’એ મને કહેલું, ‘ગુરુવાક્યમાં શ્રદ્ધા અને ગુરુસેવા આધ્યાત્મિક માર્ગ માટે અત્યંત જરૂરી છે. ગુરુ જેમ કહે છે, તેમ જ કરજે. તે તમારી પ્રવૃત્તિને જાણતા હોય છે. એટલે જે માર્ગ તેઓ બતાવે તે જ તારા માટે કલ્યાણકારી હશે.’ ૧૯૨૫માં મને મહાપુરુષ મહારાજ દ્વારા દીક્ષા મળી. ત્યાર પછી ૧૯૨૮માં બ્રહ્મચર્ય અને ૧૯૩૩માં સંન્યાસ મળ્યો. દીક્ષા બાદ હું સમજ્યો, દીક્ષાનો મુખ્ય ઉદ્દેશ—ભગવાનને પોતાના બનાવી લેવા. ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ ભેદ નથી—અનાદિકાળનો સંબંધ છે. તેઓ અંતર્યામી છે. તેઓ આપણું બાહ્ય-આંતરિક સઘળું જાણે છે. શ્રી‘મ.’ કહેતા હતા, ‘ગુરુ અને ઇષ્ટ ધર્મજીવનના મુખ્ય સ્તંભ છે. ગુરુ જાદુગર છે, જે ક્ષણભરમાં તમારા હજારો ગાંઠવાળાં બંધનો ખોલી નાખે છે.’

શ્રી‘મ.’ સાચે જ ઋષિ હતા. મૉર્ટન ઇન્સ્ટિટ્યૂટની અગાશી ઉપર ફૂલ, વૃક્ષ—છોડ લગાવી વન બનાવેલું, જેથી વિશાળ ભૂરા આકાશને છોડીને અન્ય કશું ના દેખાય. આ પ્રમાણે અગાશીને આશ્રમ બનાવીને ઋષિની જેમ રહેતા હતા.

સાંજ પડતાં જ શ્રી‘મ.’ શરીરના રુંવાડાં તપાસીને કહેતા, “જુઓ, અત્યારે સાધન-ભજનનો સમય છે. अन्या वाचो विमुञ्चथामृतस्यैष सेतुः—હાલ તમામ વાતો મૂકી આત્મજ્ઞાનને જાણો, આ જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે. ઠાકુરની પાસે કોઈ ઘડિયાળ નહોતી. તેઓ શરીરનાં રુંવાડાં જોઈને કહેતા કે સંધ્યા થઈ છે કે નહીં?”

મેં ઠાકુરના અન્ય શિષ્યોનાં પણ દર્શન કર્યાં છે. હું એક દિવસ સ્વામી અભેદાનંદજી મહારાજનાં દર્શન કરવા ગયો હતો. તે સમયે તેઓ ધ્યાન પૂર્ણ કરીને ટહેલી રહ્યા હતા. મેં તેમને પ્રણામ કરીને આશીર્વાદ આપવા પ્રાર્થના કરી. મેં કહ્યું, ‘મહારાજ, હું પુરી જાઉં છું. આશીર્વાદ આપો, જેથી ભક્તિ પ્રાપ્ત થાય.’

સ્વામી અભેદાનંદજી મહારાજે કહ્યું, ‘જો, અતિ ભ્રમણ કરવાથી ભક્તિ પ્રાપ્ત થતી નથી. એક સ્થાને બેસીને જપ-ધ્યાન કરો અને ઠાકુરને પ્રાર્થના કરો.’

એક વખત સારગાછિમાં સ્વામી અખંડાનંદજી મહારાજની પાસે ગયો હતો. ત્યાં ઘણો જ તાવ આવ્યો હતો. ત્યાર પછી ઘણા દિવસે સાજો થયા બાદ અખંડાનંદજી મહારાજે મને કહ્યું,

मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः।

आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारतः॥

જો, ભગવાને કહ્યું છે કે, સહન કરો. વ્યાધિને શરીરનો અતિથિ સમજવો. અતિથિ ઘરમાં આવે છે ને ચાલ્યો પણ જાય છે. તે કાયમ માટે નથી રહેતો. મનોબળ દૃઢ રાખજે. વ્યાધિને જો અતિથિ માનશો તો વધારે દુઃખ નહીં થાય.

કલકત્તામાં વિદ્યાર્થીકાળમાં હું મારા મિત્ર સુરેન્દ્રની સાથે ઠાકુરના ગૃહસ્થ શિષ્ય ભાઈ ભૂપતિની પાસે ગયો હતો. તેઓ ગૃહસ્થ હોવા છતાંય એક દિવ્યભાવમાં રહેતા હતા. બન્ને હાથ વડે સૌને આશીર્વાદ આપતા. ક્યારેક તેઓ આઠ-દસ કલાક ‘હરિ હરિ’ જપતા. તેમના કેટલાક શિષ્યો હતા.

પરીક્ષા પછી હું ભાઈ ભૂપતિની પાસે—તેઓ મનની વાતો જાણી શકે છે કે નહીં—તેની પરીક્ષા કરવા માટે ગયો. મેં મનમાં નક્કી કર્યું કે જો તેઓ કહેશે, ‘હા, success મળશે’ ત્યારે માનીશ. ભાઈ ભૂપતિએ અચાનક કહ્યું, ‘હા, success મળશે.’  આ ઘટનાએ મારી અંદર ઈશ્વર પ્રતિ શ્રદ્ધા વધારી દીધી.

કૈલાસાનંદજીએ કહ્યું હતું કે મેં એક વખત ભાઈ ભૂપતિને પૂછ્યું, ‘ઠાકુર શેનાથી ખુશ થાય છે?’ તેમણે જવાબ આપ્યો, ‘કોઈ માનવીના કામિની-કાંચનના ત્યાગ કરવામાત્રથી ઠાકુર ખુશ થાય છે.’

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.