(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)
(ગતાંકથી આગળ)
શ્રીમાના ન્યાયાલયમાં
આવેશમાં આવીને તેણે આ ઉપરાંત પણ ઘણી બધી વાતો કહી અને પછી પૂછ્યું, ‘હા, તો તું શાંતિનો કયો ઉપાય બતાવી રહ્યો હતો?’
મેં કહ્યું, ‘મા, એ આ મુજબ છે. તું તારી દાદી તથા નાના માસ્ટરની સાથે શ્રીમા શારદાદેવી પાસે જા. તે જે પણ કહેશે તે તારા અને મારા કલ્યાણ માટે જ હશે. તું તેને સ્વીકારી લેજે અને તે જ પ્રમાણે કરજે. આમ કરવાથી તને ખૂબ શાંતિ મળશે.’
આ વાત માની દાદી તથા તેમની માને કહેવાથી તેઓ ખૂબ ખુશ થયાં. બંને શ્રીમા શારદાદેવી પાસે જવા રાજી થઈ ગયાં અને તે માટે જવાનો દિવસ પણ નક્કી થઈ ગયો. એવું નક્કી થયું કે ત્યાં એ કહી દેવું જ ઉચિત હતું કે મારી મા વિવાહ કરવાનો ઇન્કાર કરે છે, તે વાત જ બધી અશાંતિનું મૂળ છે. અને આ કારણથી બધા મારા ઉપર ગુસ્સે હતા કે હું જ તેને લગ્ન કરવાની મનાઈ કરું છું. તે બંનેએ મારી સાથે મળીને નક્કી કર્યું કે બંને માની સમક્ષ પોતાની ઇચ્છા પ્રગટ કરશે અને તેમનો જે કંઈ પણ આદેશ હશે, બંને તેને માન્ય રાખશે. નાના માસ્ટરે પણ આ વાતનો સ્વીકાર કર્યો તથા આ કામમાં ખૂબ મદદ કરી.
જેવા ખબર મળ્યા કે મા ખૂબ જલદી જયરામવાટી જવા રવાના થવાનાં છે કે તરત જ માની દાદી એમની મા તથા તેઓ પોતે નાના માસ્ટરને સાથે લઈને ઉદ્બોધન ગયા. તે દિવસે માની દાદીએ કોઈને બોલવા ન દીધા અને પોતે ખુદ બધી વાત મા શારદાદેવીને કરી. મારી વિરુદ્ધ પણ ઘણું કહ્યું, પરંતુ સદ્ભાગ્યે શ્રીમા સાથે મારો ઘનિષ્ઠ પરિચય ન હોવાને કારણે તેઓ સમજી શક્યાં નહીં. અંતે ગોલાપ-મા, યોગીન-મા વગેરેએ માની દાદીનો પક્ષ લઈને માને વિવાહ કરવાનો અનુરોધ કર્યો. શ્રીમાએ કહ્યું, ‘વિવાહ કરવામાં કોઈ દોષ નથી, પરંતુ સાધન-ભજન છોડીશ નહીં. ઠાકુરની કૃપાથી બધું બરાબર થઈ જશે.’ આમ કહીને, તેમણે માના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને તેમની હડપચી ચૂમીને પોતાનો હાથ ચૂમી લીધો. (આ વાત મને નાના માસ્ટર અને મા પાસેથી જાણવા મળી.)
ઉદ્બોધનથી પાછા આવીને માએ કહ્યું, ‘બેટા, હવે હું તને પ્રેમથી બોલાવીને ખવરાવી નહીં શકું. આથી જેટલા દિવસ આ ઘરમાં છું, મારી પાસે જ રહેજે. વિવાહ પછી તો કદાચ તને લક્ષ્મીનારાયણ કહીને બોલાવવાની તક પણ નહીં મળે.’ કેવો અદ્ભુત ભાવ હતો તેમનો, કેવી અદ્ભુત દેવી હતી તે!
તરત જ વિવાહની વાત પાકી થઈ ગઈ અને બે-ત્રણ મહિનાની અંદર વિવાહ થઈ પણ ગયો. મારી માના વિવાહમાં મેં ખૂબ ઉત્સાહથી રસોડું સંભાળવાનું કામ કર્યું. મારો ઉત્સાહ જોઈને સૌને આશ્ચર્ય થયું. ભારતમાં તો આવું દૃશ્ય જોવા ન મળે, પરંતુ જે દેશોમાં વિધવા વિવાહ પ્રચલિત છે ત્યાં તો આવાં દૃશ્યો દરરોજ જોવા મળતાં હશે. પરંતુ આમાં તફાવત હતો, કારણ કે મારી મા કુંવારી હતી.
તે સમયે એક વ્યક્તિ (જે પાછળથી મારો ધર્મનો ભાઈ બન્યો હતો) તેણે કહ્યું હતું, ‘ક્યારેય પુત્રને માના વિવાહમાં સમ્મિલિત થતો જોયો છે? આ તો આ સૃષ્ટિની બહારની જ વાત છે ભાઈ!’ તેના જવાબમાં મેં કહેલું, ‘કેમ? શું હર-પાર્વતીના વિવાહમાં ગણેશજી ઉપસ્થિત નહોતા? આ પણ એના જેવું જ છે.’
વિવાહ નક્કી થયાના થોડા દિવસો પહેલાં તો મા મને રોજ પોતાની સામે જ બેસી જમાડતી અને બધાને કહેતી, ‘જોજો, આને કોઈ તકલીફ પડવી ન જોઈએ.’ વિવાહને દિવસે સવારે પોતાની મોટી બહેનને સાથે લઈને તે મારી પાસે આવી અને મારો હાથ તેના હાથમાં સોંપીને કહ્યું, ‘દીદી, લક્ષ્મીનારાયણને તમને સોંપીને જઈ રહી છું, તેનું ધ્યાન રાખજો. પાછી આવું ત્યારે તેને અહીં જ જોઉં તે ખાસ ધ્યાન રાખજો.’ આગળ તે કંઈ બોલી શકી નહીં અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. ત્યાર પછી મારા મસ્તક ઉપર હાથ ફેરવતી ફેરવતી કહેવા લાગી, ‘બેટા, તારી મા પરાધીન છે, એટલે તને છોડીને જવા માટે મજબૂર છે, પરંતુ હું એવી ને એવી રહીશ, તેમાં કોઈ ફેરફાર નહીં થાય અને આજથી તું મારી મોટી બહેનમાં મને જ જોજે તથા તેમની વાત સાંભળજે. અને તોફાન-મસ્તી કરીને જેવું મને કષ્ટ આપતો એવું તેને આપતો નહીં.’ તે દિવસથી તેમની મોટી બહેનને હું ‘બડી મા’ કહીને બોલાવવા લાગ્યો.
લગ્નના બીજા દિવસે, પોતાને સાસરે જતાં પહેલાં માએ મને બોલાવ્યો. ખબર નહીં કેમ, પરંતુ અત્યંત દુઃખી થઈને હું ચૂપચાપ મારા ઘરમાં બેઠો બેઠો વિચારી રહ્યો હતો, ‘હે ઈશ્વર! ગર્ભધારિણી માને મૃત્યુ છીનવીને લઈ ગયું અને હવે આ માને તેનાં લગ્ન! હે પ્રભુ, શું મારા દુર્ભાગ્યની કોઈ સીમા જ નથી?’ જવાનો સમય થઈ રહ્યો હતો પણ તે મને મળ્યા વગર જાય નહીં. મોટેરાઓ નારાજ થઈ રહ્યા હતા અને યુવાનો અહીં-તહીં ભાગીને મને શોધી રહ્યા હતા. બડી-માએ મને શોધી કાઢ્યો અને કહ્યું, ‘જલદી ચાલ, તને મળ્યા વગર એ જશે નહીં અને જવાનો સમય વીતી રહ્યો છે.’ કોઈ અજ્ઞાત ભયથી હું અચેત જેવો થઈ ગયો હતો અને મારું આખું શરીર કંપી રહ્યું હતું. બડી-મા મારો હાથ પકડીને ત્રીજા માળે આવેલા ઓરડામાં લઈ ગઈ, ત્યાં મારી મા અપૂર્વ સાજ સજીને ઊભી હતી. કેટલીય સ્ત્રીઓ તથા સંબંધીઓ એકત્રિત થઈને આ અદ્ભુત દૃશ્ય જોઈ રહ્યા હતા. બધા વિચારી રહ્યા હતા કે આ છોકરો કોણ છે? બધાના મનમાં આ જ પ્રશ્ન હતો. થોડા પુરુષો પણ હતા. મેં તે દેવીમૂર્તિના ચરણોમાં નમીને મન-પ્રાણથી પ્રણામ કર્યા. હું ક્યાં હતો, શું કરી રહ્યો હતો, શું ઉચિત અને શું અનુચિત હતું—આ ભાવ મારા મનમાં નહોતો. બધા અવાક બનીને ક્યારેક મારી તરફ તો ક્યારેક માની તરફ જોઈ રહ્યા હતા. કોઈનામાં કંઈ પણ બોલવાનું સાહસ નહોતું. કેવું અદ્ભુત દૃશ્ય હતું! શું અદ્ભુત બીના હતી! અત્યારે તે સમયની વાત યાદ કરીને મને ખૂબ આશ્ચર્ય થાય છે. આવું દૃશ્ય આ પહેલાં આ જગતમાં કોઈએ જોયું નહીં હોય. મેં તો આવું ક્યાંય સાંભળ્યું નથી. માતૃભાવની આ પવિત્ર અભિવ્યક્તિની સામે બધાનાં મસ્તક નમી ગયાં.
બડી મા મારો હાથ પકડીને એક ઓરડામાં મને મૂકીને યાત્રાનું આયોજન કરવા ચાલ્યાં ગયાં. મને ખબર જ ન રહી કે તે ક્યારે ચાલ્યાં ગયાં. લગભગ દોઢ-બે વાગે બડી માએ મને ભોજન કરવા બોલાવ્યો. જઈને જોયું, અપરિચિત સ્ત્રી-પુરુષોની ભીડ હતી. બધા મને સરખી રીતે જોવા માટે ઊભા હતા. આ બધાને જોઈને મને શરમ આવી રહી હતી, પરંતુ બડી માએ બળપૂર્વક મને જમવા બેસાડી દીધો. મેં જેમ-તેમ ખાધું. બધી બાજુથી પ્રશ્નો આવી રહ્યા હતા—તું કોણ છે, ક્યાં રહે છે, વગેરે વગેરે. મેં તેમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો. પરંતુ બડી માએ જવાબો આપીને મને આ મુશ્કેલીમાંથી બચાવી લીધો.
મારી ધર્મની માનો પરિવાર
શ્રીશારદા માના આશીર્વાદથી તથા ઠાકુરની ઇચ્છાથી જેની સાથે માનો વિવાહ થયો હતો, તે પોતે પણ ઠાકુરના મોટા ભક્ત હતા અને ખૂબ ભલા તથા સરળ સ્વભાવના હતા. માએ તેમને મારા વિષે બધું જ કહી દીધું હતું. થોડા સમય પછી તેઓ માના ઓરડામાં આવ્યા, ત્યારે તેમનો પહેલો પ્રશ્ન હતો, ‘લક્ષ્મીનારાયણ કોણ છે? તેને મારી પાસે બોલાવો.’ મને જોઈને આશ્ચર્ય પામીને બોલ્યા, ‘મેં તો વિચાર્યું હતું કે લક્ષ્મીનારાયણ કોઈ નાનો બાળક હશે.’ મેં કહ્યું, ‘મા માટે તો હું એક નાના બાળક જેવો જ છું. તેમને માટે હું ક્યારેય મોટો નહીં થઈ શકું.’ તેમણે મારી સાથે ખૂબ આત્મીયતાથી વાત કરી. મેં કહ્યું, ‘અહીં ઉંમરનો પ્રશ્ન નથી, ભાવનું પ્રાધાન્ય છે. મારી માના તમારી સાથેના સંબંધને કારણે આપ પણ મારા માટે ખૂબ પૂજ્ય છો.’
ત્યાર બાદ, દુર્ગાપૂજા વખતે પણ શ્રી રાય મને પોતાના ઘેર લઈ ગયા હતા. માનાં સાસુ-સસરાએ મને ખૂબ પ્રેમ આપ્યો. માએ મને પહેલાં જ કહી દીધું હતું કે તેમને દાદા-દાદી કહીને બોલાવજે. તેમનો આદેશ માનીને આવું સંબોધન કરીને જ મેં પ્રણામ કર્યા. વૃદ્ધ દંપતીએ ખુશ થઈને મને વારંવાર આશીર્વાદ આપ્યા. અમે લોકો જમવા માટે બેઠા હતા. મારી નવી દાદી પાસે બેસીને મને પંખો નાખી રહ્યાં હતાં અને સ્નેહદૃષ્ટિથી મને જોઈને કહી રહ્યાં હતાં, ‘આ ખા, પેલું ખા. તારી મા તારી કેટલી ચિંતા કરી રહી હતી, અને કહેતી હતી કે તું ખૂબ દૂબળો થઈ ગયો છે. તને પાસે બેસીને પ્રેમથી ખવરાવવાવાળું કોઈ નથી.’ (ક્રમશઃ)
Your Content Goes Here