(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. – સં.)

ઈ.સ. ૧૮૯૭ના એપ્રિલ માસનો અંતિમ સમય. ચાર-પાંચ દિવસ પહેલાં જ હું ઘર છોડીને આલમબજાર મઠમાં રહેવા લાગ્યો. તે સમયે ત્યાં જૂના સંન્યાસીઓમાંથી માત્ર સ્વામી પ્રેમાનંદ, સ્વામી નિર્મલાનંદ અને સ્વામી સુબોધાનંદજી હતા. થોડા દિવસો બાદ સ્વામીજી દાર્જિલિંગથી આવ્યા. તેમની સાથે સ્વામી બ્રહ્માનંદ, સ્વામી યોગાનંદ, સ્વામીજીના મદ્રાસી શિષ્ય આલાસિંગા પેરુમલ, કિડી અને જી.જી. નરસિંહાચારિયર વગેરે પણ આવ્યા હતા.

થોડા દિવસો પહેલાં જ સ્વામીજીએ નિત્યાનંદ સ્વામીને સંન્યાસ-દીક્ષા આપી હતી. તેમણે સ્વામીજીને કહ્યું, ‘આ વખતે અનેક છોકરાઓ પોતાનાં ઘર છોડીને મઠવાસી થયા છે. તેમના માટે એક નિર્દિષ્ટ નિયમ પ્રમાણે જ્ઞાનદાન દેવાની વ્યવસ્થા થાય તો સારું.’ સ્વામીજીએ કહ્યું, ‘હા, નિયમો બનાવવા તે સારું જ છે. બધાને બોલાવો.’ બધા ઓરડામાં એકત્ર થઈ ગયા ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘કોઈ એક વ્યક્તિ લખવાનું શરૂ કરો, હું બોલતો જાઉં છું.’ બધા એકબીજાની ઉપર ઢોળવા લાગ્યા પણ કોઈ આગળ આવ્યું નહીં. અંતે મને ધક્કો મારીને આગળ કર્યો.

તે સમયે મઠમાં લખવા-વાંચવાની પ્રવૃત્તિ ઉપર અણગમા-અનિચ્છાનો ભાવ હતો. બધા વિચારતા હતા કે સાધન-ભજન કરીને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ ઉદ્દેશ્ય છે. પાંડિત્યથી થોડાં નામ અને યશ મળે, પણ સાધકનો ઉદ્દેશ્ય તો તે નથી. હા, જે લોકોએ ઈશ્વરનો આદેશ મેળવેલ છે, તેઓ પ્રચાર આદિ કાર્ય કરે, તે લોકોને પાંડિત્યની થોડી જરૂરિયાત છે.

હું લખવા માટે તૈયાર થયો, તેથી સ્વામીજીએ પૂછ્યું કે, “શું આ મઠમાં જોડાવા આવ્યો છે કે પાછો ચાલ્યો જવાનો છે?” કોઈએ કહ્યું કે હું મઠમાં બ્રહ્મચારી બનવા માટે આવ્યો છું. મેં કાગળ-કલમ વગેરે લઈને શ્રીગણેશનું આસન ગ્રહણ કર્યું. નિયમ બોલતાં પહેલાં સ્વામીજીએ કહ્યું, “જુઓ, આપણે આ નિયમો બનાવીએ તો છીએ, પરંતુ આપણે પહેલાં એ સમજી લેવું પડશે કે આપણે નિયમો શા માટે બનાવીએ છીએ. આપણો મુખ્ય હેતુ છે—બધા નિયમોની પાર જવું. નિયમો બનાવવાનો અર્થ એ છે કે આપણામાં ઘણા કુ-નિયમો સ્વાભાવિકપણે હોય છે. આપણે આ સુ-નિયમો દ્વારા કુ-નિયમોને દૂર કર્યા પછી, બધા નિયમોથી પર જવાનો પ્રયત્ન કરવો પડશે, જેવી રીતે એક કાંટાથી બીજો કાંટો કાઢીને પછી બંને કાંટા ફેંકી દેવામાં આવે છે.”

ત્યાર બાદ નિયમો લખાવવાનું શરૂ થયું. એવી વ્યવસ્થા કરવામાં આવી કે સવાર-સાંજના સમયે જપ-ધ્યાન, બપોરે વિશ્રામ પછી શાસ્ત્રનું અધ્યયન અને રાત્રે બધાએ મળીને કોઈ એક પાઠક પાસેથી નક્કી કરેલ શાસ્ત્ર વગેરેનું શ્રવણ કરવું. એ પણ નક્કી થયું કે સવાર-સાંજ થોડી કસરત પણ કરવાની. એક એવો નિયમ પણ બનાવ્યો કે તમાકુ સિવાય બીજા કોઈ માદક પદાર્થનું સેવન કરવું નહીં.

લખાવવાનું પૂરું કરીને સ્વામીજીએ કહ્યું, “જો, આ નિયમોની સરસ અક્ષરે નકલ કરીને રાખજો—જોજો કે કોઈ નિયમ નકારાત્મકતાથી લખાઈ ગયા હોય તો, તેને સકારાત્મક કરી લેવા.” આ અંતિમ આદેશનું પાલન કરવામાં મને થોડી મુશ્કેલી પડી હતી. સ્વામીજીનો ઉપદેશ હતો કે કોઈને કંઈ ખરાબ વચન ન કહેવાં, નિંદા ન કરવી, દોષ ન જોવા. કોઈને ‘આ કરો ને આ નથી કરવાનું’ કહીને નિષેધાત્મક ઉપદેશ આપવાથી તેમની ઉન્નતિ થવામાં કોઈ સહાયતા નહીં મળે, પરંતુ જો તમને એક આદર્શ બતાવવામાં આવે તો સહજ ભાવથી ઉન્નતિ થઈ શકશે અને દોષ આપોઆપ નીકળી જશે, સ્વામીજીનો આ જ ઉદ્દેશ્ય હતો.

આજે બપોરે ઓરડો લોકોથી ભરાઈ ગયો હતો. ઓરડામાં બેઠેલા સ્વામીજીની શોભા અપૂર્વ હતી. ઘણા વિષયોની ચર્ચા ચાલતી હતી. અલીપુર અદાલતના વિખ્યાત વકીલ અને અમારા મિત્ર વિજયકૃષ્ણ બસુ પણ બેઠા હતા. વિજયકૃષ્ણ એ દિવસોમાં ઘણી સભાઓમાં અને ઘણી વાર અધિવેશનમાં પણ અંગ્રેજીમાં ભાષણ આપતા હતા. કોઈએ સ્વામીજીને તેમની વક્તૃત્વ-શક્તિ વિશે કહ્યું. સ્વામીજી બોલ્યા, “સારું છે, અહીં ઘણા લોકો ભેગા થયા છે, જરા ઊભા થઈને વ્યાખ્યાન આપો. આત્મા વિશે તમારી જે ધારણા છે, તેના વિશે બોલો.”

વિજયબાબુ જુદાં જુદાં બહાનાં બતાવવા લાગ્યા. પરંતુ સ્વામીજી તથા અન્ય લોકો તેમને ખૂબ આગ્રહ કરવા લાગ્યા. ૧૫ મિનિટ સુધી તેમને અનુરોધ કરવા છતાં તેમનો સંકોચ દૂર ન થયો નહીં અને લોકોની દૃષ્ટિ મારા ઉપર પડી.

હું મઠમાં જોડાયો તે પહેલાં ક્યારેક બંગાળીમાં ધર્મ-વિષયક વ્યાખ્યાન આપતો હતો. અમારી એક ‘વાદવિવાદ ક્લબ’ પણ હતી, જેમાં હું અંગ્રેજીમાં બોલવાનો અભ્યાસ કરતો હતો. કોઈએ આ બાબતનો ઉલ્લેખ કર્યો, તેથી બધાનું ધ્યાન મારા ઉપર ગયું. હું સંકોચ વગરના સ્વભાવવાળો છું. જ્યાં જવાથી દેવતા ડરે છે ત્યાં મૂર્ખાઓ પહોંચી જાય છે. તેથી તે લોકોને મને વધારે કહેવાનું બન્યું નહીં. હું ઊભો થયો અને બૃહદારણ્યક ઉપનિષદના યાજ્ઞવલ્ક્ય-મૈત્રેયી સંવાદમાં આવતા ‘આત્મતત્ત્વ’થી શરૂ કરીને લગભગ અડધા કલાક સુધી બોલતો રહ્યો. ભાષા કે વ્યાકરણની કોઈ ભૂલ થાય છે કે ભાષામાં કોઈ અસંબદ્ધતા આવે છે તે કંઈ પણ મેં વિચાર્યું નહીં. દયાવાન સ્વામીજી પણ આ બાબતો ઉપર ધ્યાન આપ્યા વગર મને ઉત્સાહિત કરતા રહ્યા.

ત્યાર બાદ સ્વામીજી દ્વારા તાજેતરમાં જ સંન્યાસીના રૂપમાં દીક્ષા પામેલા સ્વામી પ્રકાશાનંદજી લગભગ દસ મિનિટ સુધી ‘આત્મા’ વિશે બોલ્યા. તેઓ સ્વામીજીની વ્યાખ્યાન આપવાની શૈલીને અનુસરીને ખૂબ ગંભીર સ્વરમાં પોતાનું વક્તવ્ય આપવા લાગ્યા. સ્વામીજીએ તેમના વ્યાખ્યાનની પણ ખૂબ પ્રશંસા કરી.

આહા! સ્વામીજી ખરેખર કોઈના દોષ જોતા નહીં. જે લોકોમાં કોઈ ગુણ કે ક્ષમતા જોતા, તેમને તે પ્રમાણે પ્રોત્સાહન આપીને તેમની અંદર પડેલી શક્તિને પ્રગટ કરવાનો પ્રયાસ કરતા. પરંતુ વાચકો, તમે એવું ન સમજતા કે તેઓ બધાના દરેક કાર્યની પ્રશંસા કરતા. એવું ક્યારેય નહોતું. અમે ઘણી વાર તેમને પોતાના સ્નેહી ગુરુભાઈઓ તથા શિષ્યોના દોષ બતાવતા અને તે માટે કઠોર બની જતા પણ જોયા છે. પરંતુ આવું હંમેશાં અમારા દોષ દૂર કરવા માટે કે અમને સાવધાન કરવા માટે જ હતું, નહીં કે અમને હતોત્સાહિત કરવા માટે. આવો ઉત્સાહ, સાહસ અને આશા આપવાવાળા બીજા કોણ મળે? આવી વ્યક્તિ ક્યાંથી મળે જે પોતાના શિષ્યને લખી શકે, “હું જેટલો મહાન બન્યો છું, તેના કરતાં સો-ગણા પ્રમાણમાં મારા શિષ્યો મહાન બને. તમારામાંના દરેકે એક દિગ્ગજ બનવાનું છે—અવશ્ય બનવું જ પડશે.”

આ જ દિવસોમાં લંડનના શ્રી ઈ.ટી. સ્ટર્ડીએ સ્વામીજીએ ઇંગ્લેન્ડમાં આપેલા જ્ઞાનયોગ વિશેનાં વ્યાખ્યાનો નાની નાની પુસ્તિકાઓના રૂપમાં પ્રકાશિત કરવાનું શરૂ કરી દીધું અને તેની એક-બે નકલ મઠમાં પણ મોકલવા લાગ્યા. સ્વામીજી ત્યાં સુધી દાર્જિલિંગથી પાછા ફર્યા નહોતા. અદ્વૈત-તત્ત્વની અપૂર્વ વ્યાખ્યા બતાવતાં તેમનાં ઉદ્દીપનાપૂર્ણ વ્યાખ્યાનો અમે લોકો ખૂબ ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યા.

વૃદ્ધ સ્વામી અદ્વૈતાનંદજી અંગ્રેજીમાં બહુ સમજી શકતા નહોતા, પરંતુ નરેને (સ્વામીજીએ) વિદેશમાં જઈને વેદાંતના વિષયમાં જે કંઈ બોલીને લોકોને મુગ્ધ કર્યા હતા, તે વિશે સાંભળવાની તેમની બહુ ઇચ્છા હતી. તેથી અમે લોકો તેમના કહેવાથી તે પુસ્તિકાઓ વાંચીને, તેનો અનુવાદ કરીને, તેમને સંભળાવતા.

એક દિવસ સ્વામી પ્રેમાનંદજીએ નવા આવેલા સંન્યાસીઓ તથા બ્રહ્મચારીઓને કહ્યું, “તમે લોકો સ્વામીજીનાં આ વ્યાખ્યાનોનો બંગાળીમાં અનુવાદ કરી નાખોને!” ત્યારે અમે પોતાની પસંદગી પ્રમાણે અનુવાદ કરવાનું શરૂ કરી દીધું.

આ દરમિયાન સ્વામીજી દાર્જિલિંગથી પાછા આવી ગયા. એક દિવસ સ્વામી પ્રેમાનંદે સ્વામીજીને કહ્યું, “આ લોકોએ તમારાં વ્યાખ્યાનોનો અનુવાદ શરૂ કરી દીધો છે.” પછી અમારા તરફ ફરીને કહ્યું, “તમારામાંથી કોણ કયા વ્યાખ્યાનનો અનુવાદ કરવાના છો, તે કહો.” બધાએ પોતે કરેલા અનુવાદ લાવીને, એમાંથી થોડું થોડું સ્વામીજીને સંભળાવ્યું અને સ્વામીજીએ પણ આ બાબતે થોડી વાતો સમજાવી ને ક્યાં કયો શબ્દ વાપરી શકાય તો અનુવાદ સરસ લાગે તે બતાવ્યું.

એક દિવસ હું સ્વામીજી પાસે એકલો બેઠો હતો, ત્યારે તેમણે અચાનક જ મને કહ્યું, “રાજયોગનો અનુવાદ કર ને!” મારા જેવી અયોગ્ય વ્યક્તિને આવો આદેશ સ્વામીજીએ કેમ આપ્યો? ઘણાં વર્ષો પહેલાં હું રાજયોગની સાધના કરવાનો પ્રયત્ન કરતો હતો. કેટલાંક વર્ષો સુધી આ યોગ ઉપર મને એટલો પ્રેમ રહ્યો અને તેથી હું ભક્તિ, જ્ઞાન કે કર્મયોગને ઉપેક્ષાની દૃષ્ટિથી જોવા લાગ્યો હતો. વિચારતો હતો કે મઠના સાધુઓ યોગ વગેરે વિશે કંઈ જાણતા નથી, માટે લોકોને યોગ-સાધના કરવા પ્રોત્સાહિત કરતા નથી. સ્વામીજીએ લખેલ ‘રાજયોગ’ પુસ્તક વાંચીને મને લાગ્યું કે મારી તેના વિશે જે ધારણા હતી, તે મુજબ સ્વામીજીએ ઉત્તમ રીતે સમજાવ્યું છે; મને એ પણ લાગ્યું કે સ્વામીજીને રાજયોગ તો બહુ પ્રિય છે જ, પણ ભક્તિ અને જ્ઞાનયોગની સાથેનો તેમનો સંબંધ પણ સુંદર રીતે બતાવેલ છે. સ્વામીજી પ્રત્યેની મારી વિશેષ શ્રદ્ધા થવાનું આ પણ એક કારણ બન્યું. તો સ્વામીજીએ મારો રાજયોગ ઉપર અભ્યાસ થાય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય, તે કારણે શું મને અનુવાદ કરવા માટે પ્રોત્સાહિત કર્યો? કે પછી બંગાળમાં રાજયોગની ચર્ચાનો અભાવ જોઈને લોકોની અંદર આ યોગનો યથાર્થ પ્રચાર થાય તે હેતુથી મને પ્રોત્સાહિત કર્યો? પ્રમદાદાસ મિત્રને લખેલ એક પત્રમાં તેમણે લખ્યું હતું, “બંગાળમાં રાજયોગની ચર્ચાનો બિલકુલ અભાવ છે. જે થોડું ઘણું છે, તે માત્ર નાક દબાવવા જેવું જ છે.” અસ્તુ! સ્વામીજીની આજ્ઞા લઈને મારી અયોગ્યતા વગેરેની વાતો મનમાં લાવ્યા વગર મેં અનુવાદ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી.

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.