દીન, હીન અને લાચાર બનેલો માનવી પ્રારબ્ધના ખોળે જઈને બેસે અને પોતાના હાથ, પગ અને ચિત્ત નિષ્ક્રિય કરીને પુરુષાર્થ ત્યજીને પ્રભુ કૃપાની યાચના કરે તે કેવું? વળી એની યાચના કોઈ સાંસારિક પ્રયોજન માટે હોય કે પછી ભૌતિક સિદ્ધિ માટે હોય, એમાં એ ઈશ્વરને સામેલ કરે તે કેવું? દુરાચરણ કરનારને સજા થાય, ત્યારે તે ઈશ્વરકૃપા યાચે તે કેવું? ભૂલ કે દોષ પોતાના હોય અને ઈશ્વરની પાસે જઈને એ એને સજામાંથી છુટકારો અપાવવા માગણી કરે તે કેવું?
આ સંદર્ભમાં જૈન ધર્મની વિચારસરણી જુદી છે. તે સાંસારિક પ્રયોજનોની સિદ્ધિની ઈશ્વર પાસે માગણી કરતો નથી. એ વ્યક્તિના સ્વપુરુષાર્થમાં અર્થાત્ એના આત્મબળમાં માને છે. આમ જૈન ધર્મ એ આત્મા પર કેન્દ્રિત થયો છે. એ કહે છે કે, ‘દેહ અને આત્મા ભિન્ન છે. આ આત્મા અનાદિ છે, દેહ સાથે એનો સંબંધ છે તેમ છતાં એ આત્માને ઓળખી શકતો નથી. મોટેભાગે માનવી દેહ સુધી જ પહોંચે છે, જ્યારે એનો આત્મા એ સદૈવ જ્ઞાનરૂપ હોય છે.’ દેહ અને આત્માની ભિન્નતા બતાવીને સાધના કરનારે પોતાના દેહની અંદર બિરાજમાન અને શરીરથી ભિન્ન એવા પોતાના આત્મા પર નજર ઠેરવવી જોઈએ. એ આત્મા દેહરૂપી દેવળમાં વસે છે, પણ જેમ ઈશ્વરનાં દર્શન કરવા માટે સઘળું છોડીને મંદિરમાં જવું પડે છે, તેમ આત્માનાં દર્શન માટે દેહની આસપાસ ભમવાનું કે એની સતત ખેવના કરવાનું છોડી દેવું પડે છે, તો જ આત્મદર્શન થાય, તો જ આત્મવિકાસની કેડી મળે, મોક્ષમાર્ગ પ્રતિ ગતિ કરી શકાય.
આ દેહના મમત્વને કારણે માણસ બાહ્ય ભૌતિક જગતમાં જીવતો રહે છે અને પછી એનો સઘળો પ્રયત્ન બાહ્યજગતમાં સિદ્ધિ, પ્રસિદ્ધિ, કીર્તિ, સંપત્તિ કે વાસનાતૃપ્તિ મેળવવાનો હોય છે. આમ, દેહની આસપાસ ભમનારી વ્યક્તિ પોતાના ભૌતિક જગત પર પ્રભાવ પાડવા પ્રયત્ન કરે છે, તો આત્માને ઓળખનારી વ્યક્તિ પોતાના નિજ સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરે છે. આવા આત્માને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત કહ્યો છે અને આવા આત્માને મોક્ષ હોય છે, શરીરને નહીં. જેમ દેહ સાથે વસ્ત્રનો સંબંધ છે, તલવાર સાથે મ્યાનનો સંબંધ છે તે રીતે માનવીમાં દેહ અને આત્મા જુદા હોય છે અને તેવા આત્મામાં પરમાત્મા જગાડવાની વાત જૈનદર્શનમાં કરવામાં આવી છે. આને પરિણામે એમાં જાતિ કે વર્ણનું મહત્ત્વ નથી, પણ ચારિત્ર્યની મહત્તા છે. વળી આત્મતત્ત્વની દૃષ્ટિએ બધા સમાન હોવાથી ઊંચ-નીચનો કોઈ ભેદભાવ નથી. બ્રાહ્મણ કે શૂદ્ર, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક—જે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષના અધિકારી છે. ઈશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતા માનવીની ગુલામી દૂર કરવાનો અને આત્મોન્નતિ સાધીને મોક્ષ-પુરુષાર્થ કરવાનો ઉપદેશ જૈન ધર્મમાં આપવામાં આવેલો છે.
એણે કહ્યું, ‘દેવ ભલે મોટો હોય, ગમે તેવું તેમનું સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નથી. માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે!’
अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ।
अप्पाणमेव अप्पाणं, जड़त्ता सुहमेहए।।
એમણે કહ્યું કે દુર્જેય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેને બદલે જે એકલો પોતાની જાતને જીતે છે તેનો એ વિજય પરમ વિજય ગણાય છે.
આમ, વ્યક્તિ પોતે જ પોતાના ભાગ્યનો ઘડનારો છે, પણ એનું ભાગ્ય એના કર્મ મુજબ ઘડાતું હોય છે. એક અર્થમાં કહીએ તો જો એ પોતાના આત્માને ઉત્કૃષ્ટ માર્ગે લઈ જાય તો એ સ્વયં પરમાત્મા બની શકે છે. ‘તું પણ મહાવીર બની શકે છે’ એવો ભાવ આ ધર્મની વિચારણામાં સમાયેલો છે. પરિણામે જૈન ધર્મમાં ઈશ્વર કે તીર્થંકર જીવોનો ઉદ્ધાર કરી શકતા નથી, પણ તેઓ એના ઉદ્ધારનો માર્ગ બતાવે છે. એટલે કે આપણાં સ્થૂળ પ્રયોજનોને સિદ્ધ કરવાનું કાર્ય એ કરતા નથી, બલકે આપણા જીવનને એવો પ્રકાશનો પંથ બતાવે છે કે આવાં સ્થૂળ પ્રયોજનો સહેજે આકર્ષે નહીં. બાકી વ્યક્તિના જીવનમાં કર્મ એ પ્રભાવક હોય છે અને એ કર્મથી મુક્ત કરવાનો પ્રયત્ન વ્યક્તિએ સ્વયં કરવાનો હોય છે.
હિંદુ ધર્મના ભક્તિમાર્ગમાં જેમ પ્રભુ જગતના નાથ છે, તેઓ સઘળી ઇચ્છા પૂર્ણ કરનારા છે અને આખુંય જગત ઈશ્વરનું મંગલમય સર્જન છે એવી વિચારધારા જૈનદર્શનમાં જોવા મળતી નથી. જૈન ધર્મના તીર્થંકરો એ પ્રકારનું સંસારલક્ષી કાર્ય કરતા પણ નથી, પરંતુ ભક્તિમાર્ગની અસરને કારણે જૈન ધર્મમાં તીર્થંકરની કૃપા કે ઈશ્વરને નાથ કે પ્રીતમ તરીકે સ્વીકારવાનું વલણ જોવા મળે છે. અહીં તીર્થંકરને શરણે જવાની વાત નથી, પરંતુ એમના માર્ગે ચાલવા માટે જરૂરી તીર્થંકર પ્રત્યેની આસ્થા માટેની પ્રાર્થના છે. એના સ્તવન સાહિત્યમાં ઈશ્વરના શરણની વાત જોવા મળે છે અને એ અર્થમાં જોઈએ તો એનાં સ્તવનોમાં ભક્તિનું પ્રાધાન્ય, પ્રભુકૃપાની યાચના, તીર્થંકરનું શરણ તથા દાસ્યભાવે મુક્તિની માગણી અને પ્રભુને સ્વામી માનવાની ભાવના જોવા મળે છે.
જૈન સાહિત્યમાં સ્તુતિ, સ્તવન, પદ અને સજ્ઝાય જેવાં કાવ્યપ્રકારો દ્વારા આ પ્રાર્થના કરવામાં આવી છે. જૈન તીર્થંકરોનાં સ્તવનો વિશુદ્ધ અંતઃકરણથી, ભાવપૂર્વક ગાવાથી, સમ્યક્ત્વની શુદ્ધિનું તાત્કાલિક ફળ અને પરંપરાએ મોક્ષનું ફળ મળે છે. અર્થાત્ આરાધકને દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્ર્યબોધિનો લાભ પ્રાપ્ત થાય છે અને એ ભાવમંગલથી એને મુક્તિનું મહાસુખ મળે છે.
જૈનદર્શનની દૃષ્ટિએ પ્રાર્થના વિશેની આટલી ભૂમિકા જોયા બાદ હવે કેવી કેવી પ્રાર્થનાઓ પ્રાપ્ત થાય છે, તેનો વિચાર કરીએ.
પ્રાર્થના શબ્દનો અર્થ વિચારીએ તો પોતાના પ્રકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે જે કંઈ કરવામાં આવે તે પ્રાર્થના. માનવીનો પ્રકૃષ્ટ અર્થ કયો? એનો મુખ્ય પુરુષાર્થ કયો? શાશ્વત આનંદની પ્રાપ્તિનો એનો પ્રયાસ કયો? તો તે છે મોક્ષ. આપણી સંપૂર્ણ નિર્મળ અને સંપૂર્ણ જ્ઞાનાનંદથી ભરેલી અવસ્થા તેનું નામ મોક્ષપ્રાપ્તિ. અર્થાત્ આપણે આત્મસાધના કરતાં કરતાં સંપૂર્ણ જ્ઞાન-આનંદને પામીએ, સંપૂર્ણ નિર્મળ દશાને પ્રાપ્ત થઈએ અને એ દશા તે મોક્ષ. એના પ્રકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
આ પ્રાર્થના પૂર્વે કેટલીક શરતો હોય છે. જેમ કે સૌથી પહેલાં તો સાધકમાં નમ્રતા હોવી આવશ્યક છે. જો એનામાં લઘુતા ન હોય તો અહંકાર એના ચિત્ત પર સવાર થઈ જાય છે. જેના આંગણામાં અહંકાર હોય એને કદી આત્મદર્શન થતું નથી. આથી જૈન ધર્મમાં દર્શાવેલાં આઠ પ્રકારનાં જુદાં જુદાં અભિમાનને અળગાં કરીને પ્રાર્થનામાં પ્રવેશવું જોઈએ. જો અહંકાર કે અભિમાન હોય તો વ્યક્તિમાં સાચી શરણાગતિ પ્રગટ થતી નથી. આથી જ શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક ૨૬૪, ગાથા ૧૮) કહે છે,
‘પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય?’
આ રીતે જો એ અહંના અંધકારમાં ફસાઈ જાય તો એને અંતરાત્માનો પ્રકાશ પ્રાપ્ત થતો નથી અને તેથી એના જીવનમાં ભક્તિનું પ્રાગટ્ય થતું નથી અને જો ભક્તિનું પ્રાગટ્ય ન થાય, તો તીર્થંકરની શરણાગતિ ક્યાંથી પ્રાપ્ત થાય?
જો ચિત્તમાં ‘હું જ્ઞાની’, ‘હું મહાન’, ‘હું ધનવાન’, ‘હું સત્તાવાન’ —એવો ‘હું’ જ ઘૂમતો હોય તો એવા અજ્ઞાનજનિત ભાવો ધરાવતો ઉપાસક પ્રભુનું સાચું શરણ ગ્રહી શકતો નથી. એ અહંમાંથી નીકળીને અર્હમ્ તરફ જવો જોઈએ અને ત્યારે પ્રભુ પ્રત્યે એ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજની માફક કહેશે,
‘તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે;
વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે.
ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે.’
આ રીતે સાધકમાં એક સમર્પણભાવ હોવો જોઈએ અને એનો હેતુ તીર્થંકરની આજ્ઞાનું અવલંબન લઈને કલ્યાણમાર્ગ પામવાનો હોવો જોઈએ. અહંનું વિસર્જન થયા વિના આત્મજ્ઞાન થાય નહીં, આત્મજ્ઞાન વિના સાચું વ્રતપાલન થાય નહીં. સાચા વ્રત વિના સમ્યક્-ચારિત્ર્ય પ્રાપ્ત થાય નહીં, સમ્યક્-ચારિત્ર્ય વિના મોક્ષ થાય નહીં અને મોક્ષ વિના અનંત આનંદનો અનુભવ થાય નહીં. આને માટે જરૂરી દૃઢ ધર્મશ્રદ્ધા અને એવી દૃઢ શ્રદ્ધાથી એ પરમાત્માને પ્રાર્થના કરે છે,
‘પતિતઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર,
ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર.
જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન,
કરુણાનિધિ કૃપાળુ હે! શરણ રાખ હું દીન.’
(શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના)
આથી જૈન ધર્મમાં ભાવનું મહત્ત્વ છે. દાન, શીલ, તપ અને ભાવ એ એના ચાર સ્તંભો છે, પણ એમાં ભાવનું સૌથી વધુ મહત્ત્વ આંકવામાં આવ્યું છે, કારણ કે દાન, શીલ, તપની પાછળ સાચો ભાવ ન હોય તો સઘળું વ્યર્થ છે. આથી જે કંઈ કરીએ તે સાચા ભાવથી કરીએ,
‘ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન,
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.’
આમાં સંસારના સુખની કોઈ યાચના નહીં, બલકે પરમાર્થ મોક્ષમાર્ગ પ્રત્યેની ગતિ હોય છે. જૈન ધર્મમાં ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધાનું મહત્ત્વ છે, જેમ સ્વામી વિવેકાનંદે પરમાત્મામાં વિશ્વાસનું મહત્ત્વ કહ્યું છે. આમ, પ્રાર્થના એ સાધકની નમ્રતા, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક બની રહે છે. એ આ ભવમાં કે પરભવમાં કોઈ લૌકિક વૈભવની ઇચ્છા કરતા નથી.
હિંદુ ધર્મની માફક જૈન ધર્મની પ્રાર્થનામાં પણ પ્રભુ પ્રત્યે પોતાના દોષોનું નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત કરતી પ્રાર્થનાઓ મળે છે. ‘આ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ’ એમ કહીને પોતાનાં દુષ્કૃત્યોની ગણના કરીને એને મિથ્યા કરવાની વિનંતી અહીં સાધક કરે છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાનો પ્રાર્થનારૂપે પણ ઘણો વિસ્તાર થયો છે. ઉપયોગના સ્તરે નહીં, પણ યોગના સ્તરે સાધક પ્રાર્થના કરતો હોય છે અને શ્રી કુંદકુંદાચાર્યે (ભાવપાહુડ-૧૦૬)માં કહ્યું છે તેમ,
‘જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાયથી;
ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વ કે માયા તજી.’
આ રીતે ક્યારેક બાહ્ય જગત પ્રત્યે પોતે સેવેલા આકર્ષણ અંગે પ્રાર્થના દ્વારા પશ્ચાત્તાપ કરતો હોય છે. ભગવાનની સાક્ષીએ પોતાના એ દોષો વિસર્જિત કરતો હોય છે અને એથીયે વિશેષ એવા દોષો પુનઃ ન થાય તેવી પ્રતિજ્ઞા કરતો હોય છે,
‘હું અંતરમાં થઈ રાજી,
ખેલ્યો છું અવળી બાજી,
અવળી સવળી કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.’
આમ, અહંકાર અને માયાચારથી દૂર થઈ એ મોક્ષમાર્ગ તરફ જવાની ભાવના સેવે છે. પ્રાર્થનાનું અંતિમ લક્ષ્ય મોક્ષમાર્ગ છે. બીજાં પરદ્રવ્યોમાં વિહાર કરવો નહીં, પણ નિજને મોક્ષપંથે લઈ જવું તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ રીતે જૈન ધર્મમાં તીર્થંકરના ગુણોનું વર્ણન કરીને એની પ્રાપ્તિ સ્વ-જીવનમાં થાય એવો આશય રાખવામાં આવે છે.
યોગી આનંદઘનજીએ તો એમનાં સ્તવનોની પ્રથમ ગાથામાં ઈશ્વરની સ્તુતિ કરીને એ પછી આત્મસાધનાનાં સોપાન આપ્યાં છે, તો બીજી બાજુ તેઓ કહે છે કે તર્ક અને વિચારોની જળોજથામાં ગૂંથાયેલો સાધક ક્યાંય પહોંચતો નથી, ‘તરક વિચારે રે વાદ પરંપરા, પાર ન પહોંચે રે કોઈ’ એમ કહે છે. ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે, ત્યારે કેવી આનંદની અનુભૂતિ હોય છે એનું પણ આલેખન મળે છે.
આ સંદર્ભમાં જોઈએ તો જૈન ધર્મોમાં પ્રાર્થના એ પ્રયોગ અને અનુભવનો વિષય છે. એમાં સાધક પોતાના દોષો અંગે પ્રાયશ્ચિત્ત કરે છે. વળી પ્રાયશ્ચિત્તને જૈન ધર્મમાં એક અંગત તપ તરીકે દર્શાવ્યું છે. જૈન ધર્મના અનેક આચાર્યો અને શ્રાવકોએ ભક્તિ, પ્રાર્થના, આલોચના, પ્રાયશ્ચિત્ત અને મોક્ષમાર્ગ પ્રત્યેની ગતિ-પ્રગતિનાં કાવ્યો લખ્યાં છે. આમ, જૈન ધર્મની પ્રાર્થનાઓમાં તીર્થંકરોનાં મહિમાગાનોની સાથોસાથ એમના પ્રત્યેની સાધકની લઘુતાનું પ્રાગટ્ય જોવા મળે છે. સ્વજીવનમાં આત્મવિકાસ સાધવા માટે ઉત્તમ ગુણસંપદાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના જોવા મળે છે. પ્રાર્થનામાં કોઈ બાહ્ય સંપત્તિ, ભૌતિક સિદ્ધિ કે સાંસારિક પ્રયોજન નહીં, પણ ઉત્તમ આંતરિક ગુણસંપત્તિ મેળવવાની ઝંખના પ્રગટ થતી હોય છે. એમાં પણ પ્રભુને અનેક રૂપે આરાધવામાં આવ્યો છે. ક્યાંક પ્યારા પ્રિતમ તરીકે તો ક્યાંક ભવતારક તરીકે.
ઈશ્વર પાસે ભૌતિક પ્રાપ્તિની પ્રાર્થના હોતી નથી, કારણ કે જૈન ધર્મમાં તીર્થંકર સ્વયં વિતરાગ હોવાથી કશું આપતા નથી, એ આપે છે માત્ર પ્રકાશ અને એથી એમની પ્રાર્થના પ્રકાશ માટેની અને મોક્ષપ્રાપ્તિની યાચના માટેની જોવા મળે છે. પરમાત્માનું ધ્યાન કરવું; મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા જેવી ચાર ભાવનાઓ અને એથીય વિશેષ બાર ભાવનાઓ ભાવવી અને એમ કરતાં કરતાં પછી જેમ જેમ આગળ વધે તેમ તેમ શું થાય?
‘તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં,
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’
(શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૩૮, ગાથા-૫)
Your Content Goes Here