(વેદાંત સોસાયટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા પ્રકાશિત મૂળ અંગ્રેજી પુસ્તક “What the Disciples Said About It”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)
સ્વામી બ્રહ્માનંદ
આપણે માનવો પોતે આપમેળે કંઈ કરી શકવા સમર્થ નથી. આપણા માટે તો એકમાત્ર કરવા યોગ્ય કાર્ય છે: ઈશ્વરની પ્રાર્થના કરવી, સતત પ્રાર્થના કરવી. આમ, આપણે સર્વથા અહંકારનો ત્યાગ કરી શકીએ છીએ અને ઈશ્વરનું સતત સ્મરણ કરી શકીએ છીએ. આ ઈશ્વર જ પરમ સત્ય છે.
વ્યાકુળતાપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરો. માત્ર તેમની સમક્ષ નિખાલસપણે તમારી કામના વ્યક્ત કરો. ઈશ્વરના અસ્તિત્વ અંગે કોઈ શંકા ન સેવો. જેઓ નિર્મળ અને દીનહીન છે, તેઓ તેમનાં દર્શનથી સત્વરે ધન્ય બનશે.
જો તમે શ્રદ્ધાભક્તિપૂર્વક ભગવાનના શરણે જશો તો તેઓ નિશ્ચિતપણે તમારી સમક્ષ પ્રગટ થશે. અપરાધ બદલ અથવા તમે દીર્ઘકાળથી તેમને પોકાર્યા નથી તે બદલ ક્ષોભ અનુભવશો નહીં. તેઓ તો દયાઘન છે. બાળસુલભ પ્રકૃતિ સાથે તેમની સમીપ જાઓ તો તેઓ તમારા દોષોને દરગુજર કરશે, તેઓ તમારો સ્વીકાર કરશે.
અંત:કરણપૂર્વક ઈશ્વરને સમર્પિત થાઓ. તેમનું શરણ ગ્રહણ કરો. નિર્મળ અને નિષ્ઠાયુક્ત હૃદયથી તેમની નિરંતર સ્તુતિ કરો, ‘હે પ્રભુ, મારા માટે શું શુભ અને શું અશુભ છે, તે હું જાણતો નથી. હું સર્વથા તમારા પર નિર્ભર છું. મારા આધ્યાત્મિક જીવનની ઉન્નતિ માટે જે સર્વોત્તમ હોય તે મને આપો. મારા માટે સર્વોત્કૃષ્ટ શુભ હોય એવા માર્ગે મને દોરી જાઓ. મને શ્રદ્ધા-વિશ્વાસ આપો. હું નિરંતર તમારું સ્મરણ કરી શકું તેવું સામર્થ્ય આપો. હું તમારું ધ્યાન કરી શકું એવી ઊર્જા આપો.’
આપણે મનુષ્યનું તેનાં કર્મો દ્વારા મૂલ્યાંકન કરીએ છીએ, પરંતુ ઈશ્વર તેમના અંત:કરણને જુએ છે. આ નિશ્ચિતપણે જાણો: ‘જેઓ નિષ્ઠાપૂર્વક પ્રભુની પ્રાર્થના કરે છે, ઈશ્વર તેમનો સામે ચાલીને અંગીકાર કરે છે.’
તમે બેઠા હો, સૂતા હો, ભોજન કરતા હો, કે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હો; ગમે તે સ્થિતિમાં હો ઈશ્વરની અવિચ્છિન્નપણે સ્તવન કર્યા કરો: ‘હે પ્રભુ, મારા પર કૃપા કરો કે જેથી તમારી કરુણાને હું સમજવા અને સ્વીકારવા યોગ્ય બની શકું.’
એ નિશ્ચિતપણે જાણી લો કે ઈશ્વર જ તમારા સૌથી નજીકના સગા છે. તેમનાં દર્શન અને કૃપા માટે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરો. બાળકની જેમ સોળેસોળ આના મન દઈને રુદન કરશો તો તેઓ તમારો અશ્રુપાત સહી શકશે નહીં.
જેઓ વેપારબુદ્ધિથી લાભ મેળવવા માટે જ ઈશ્વરની પ્રાર્થના કરે છે, તેમને જો જવાબ ન મળે તો તેઓ સત્વરે પ્રાર્થના કરવાનું છોડી દે છે.
મન-પ્રાણપૂર્વક સાધના કરો. પ્રાર્થના, ઉપાસના, ધ્યાન, ઇત્યાદિ નિયમિતપણે કરો.
ઈશ્વરને અવિરત પ્રાર્થના કરો, ‘હે પ્રભુ, શું શુભ કે શું અશુભ તે હું જાણતો નથી; હું તમારો છું, મારા માટે જે યોગ્ય હોય તે કરો.’ પ્રાર્થના! નિરંતર પ્રાર્થના. પ્રભુને જ તમારું એકમાત્ર આશ્રયસ્થાન બનાવો.
સ્વામી શિવાનંદ
પ્રભુને સામર્થ્ય, જ્ઞાન અને વૈરાગ્ય માટે પ્રાર્થના કરો. એમની કૃપા માટે અને શ્રદ્ધા-ભક્તિ માટે અંત:કરણપૂર્વક યાચના કરો. દરેક માનવ કઠોર સાધના કરી ન શકે, પરંતુ પ્રાર્થના તો દરેક કરી જ શકે છે અને એના દ્વારા સર્વકંઈ પ્રાપ્ત કરી શકે છે. જો ધ્યાન કરવાનું મુશ્કેલ જણાતું હોય તો, પ્રાર્થનામય બનો.
જેમ વ્યક્તિ પારિવારિક સંબંધો સાથે ચીટકી રહે છે, તેમ તમે આધ્યાત્મિક સાધનાને વળગી રહો અને આ સાધનાકાળ દરમિયાન ઈશ્વરને પ્રાર્થના કરતા રહો, ‘હે પ્રભુ! અમે સંસારમાં છીએ, અમે દુર્બળ છીએ, આધ્યાત્મિક સાધન-ભજન વિહીન છીએ. અમારી પાસે નથી તો સમય કે નથી શક્તિ. તમારા સિવાય અમારું કોઈ નથી. અમારા પર કરુણા કરો કે જેથી અમે તમને યથાર્થપણે પોકારી શકીએ. જો તમે અમને યથાર્થ સામર્થ્ય નહીં આપો તો અમે તમારું ચિંતન કેવી રીતે કરી શકીશું?’ આવી નિરંતર પ્રાર્થનાથી એક દિવસ ઈશ્વર જરૂર કરુણાવાન બનશે અને પ્રતિસાદ આપશે.
ગમે તે પરિસ્થિતિમાં હો, અંત:કરણપૂર્વક તેમને પોકારો, ‘હે જગદંબા, મારા પર કરુણા કરો, મારા પર દયા કરો, તમારાં ચરણકમળમાં મને શ્રદ્ધા-ભક્તિ આપો.’ શ્રીઠાકુર કહેતા કે ઈશ્વર ગૃહસ્થોની પ્રાર્થનાનો સત્વરે પ્રતિસાદ આપે છે. શ્રીઠાકુર જાણે છે કે ગૃહસ્થોના મસ્તક પર ફરજોનો અતિભારે બોજ છે. ઈશ્વર સાંસારિક લોકો પર કરુણા કરવા અતિ તત્પર છે. ‘અરે! હજારો મણ વજન તેના મસ્તક પર છે અને છતાંય તે મારાં દર્શન ઇચ્છે છે!’ તેથી જ ઈશ્વર ગૃહસ્થો પર અતિ સરળતાથી પ્રસન્ન થાય છે. માટે હું કહું છું, વત્સ, થોડા સમય માટે પણ દરરોજ ઈશ્વરને પોકારો.
સ્વામી પ્રેમાનંદ
ઈશ્વરને પ્રાર્થના કરો, ‘હે પ્રભુ, મારા પર કૃપા કરો કે જેથી હું તમારા હાથનું યંત્ર બની શકું.’ ત્યાર પછી જ તમે સાચા કર્મયોગી બની શકશો.
મહામાયાની જંજાળ ફેંકી દેવી એ કેટલું મુશ્કેલ કાર્ય છે! રુદનપૂર્વક પ્રાર્થના કરો, ‘હે દયામયી મા, મારા પર કરુણા કરો. મને તમારાં દર્શન દો. મને માર્ગ બતાવો. હું સાધન-ભજનહીન છું. હું તમારું દુર્બળ સંતાન છું. મને ઉગારો! મારો ઉદ્ધાર કરો.’
સ્વામી તુરીયાનંદ
ઈશ્વર વિસરાઈ ન જાય તે માટે તેમની સર્વદા પ્રાર્થના કરો. એમની સ્તુતિ કરો, ‘સંસારિક કાર્યોમાં અટવાઈને તમને ન વિસારી બેસું, એવું કરો. હું જ્યાં પણ રહું ત્યાં નિરંતર તમારું સ્મરણ થતું રહે, એવું કરો.’
ઈશ્વરને એમ ન કહો, ‘મને આ આપો, મને તે આપો.’ આવી પ્રાર્થના સ્વાર્થપૂર્ણ ગણાશે. જ્યારે તમે કોઈ કાર્ય કરવા માગો છો કે કોઈ કાર્ય કરવા માગતા નથી ત્યારે તમારો અહંકાર જાગે છે. કેટલાક લોકો એવા છે કે જેઓ પ્રવૃત્તિથી પલાયનવૃત્તિવાળા છે. આવી મનોવૃત્તિ બંધનરૂપ બને છે, અને તેમની સ્વાર્થપરતા કાયમી બને છે. ઈશ્વરને ભક્તિ માટે પ્રાર્થના કરો. પરંતુ તેમનો આદેશ અનુસરવા સર્વદા તત્પર રહો. તેમને પ્રાર્થના કરો, ‘સર્વ પરિસ્થિતિઓમાં મારું મન તમારામાં જોડાયેલું રહો. તમારા ભક્તો સિવાય અન્ય કોઈના સંગમાં ન પડું તેવી કરુણા કરો.’
જો તમે અંત:કરણપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરશો તો તેઓ એનો પ્રતિસાદ આપ્યા વિના નહીં રહી શકે—આ મારું અફર વચન છે. પરંતુ તમારે ઢોંગી બનવાનું નથી…
તમારે પ્રાર્થના મન-પ્રાણપૂર્વક કરવી જોઈએ. નિરંતર અને અવિરત પ્રાર્થનાઓ દ્વારા તેમની શાંતિ હણી લો. ઈશ્વર સમક્ષ અવિચળ શ્રદ્ધા-ભક્તિની કામના કરો અને તમને સર્વકંઈ સુલભ થશે.
સ્વામી ત્રિગુણાતીતાનંદ
સંઘર્ષોથી ભરેલ આ જીવનમાં ઈશ્વરને પોકાર્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. કાયમ પ્રાર્થના કરો, ‘હે પ્રભુ, તમારું સ્વરૂપ ઉદ્ઘાટિત કરો, મને તમારાં દર્શન દો. હું અન્ય કંઈ ઇચ્છતો નથી, સ્વર્ગીય આનંદ સુધ્ધાં નહીં. હું માત્ર તમને જ ઇચ્છું છું.’ સાથે સાથે એવી પણ પ્રાર્થના કરવાની છે, ‘હે પ્રભુ! મારા મનમાંથી સર્વ ભોગવાસનાઓ દૂર કરો.’ જો તમે સ્વાર્થી હશો, સંકુચિત માનસવાળા હશો તો તમારી આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી.
સ્વામી અદ્ભુતાનંદ
‘હે પ્રભુ, તમારું નામસ્મરણ હું કદી ન ભૂલું. હું તમારું શરણ ગ્રહણ કરું છું. મને તમારી સેવામાં નિયુક્ત કરો અને મારા અહંકાર તેમજ મારા સંશયનો નાશ કરો. તમે મારા સ્વામી, ગુરુ, પિતા, માતા અને સર્વકંઈ છો. હું તમારું સંતાન છું. મને કૃતાર્થ કરો, મને તમારું યંત્ર બનાવો. મને તમારી ભુવનમોહિની માયામાં લિપ્ત ન કરશો. હે મારા વહાલા પ્રભુ, મેં કદી તમને નજરે નિહાળ્યા નથી, પરંતુ માત્ર તમારું નામ સાંભળ્યું છે. મને તમારો પોતાનો બનાવો.’ તમારે આ રીતે નિત્ય પ્રાર્થના કરવી જોઈએ, માત્ર ત્યારે જ તમે તેમની કૃપાના અધિકારી બનશો. એક વાર તેમના કૃપાપાત્ર બની જશો તો પછી તમારી ચિંતાનું કોઈ કારણ નહીં રહે. પ્રત્યેક પગલે તેઓ તમારું માર્ગદર્શન કરશે અને તમારે કેવું આચરણ કરવું, એ પણ બતાવશે.
મનુષ્યને મૂર્ખ બનાવવો અતિ સરળ છે, ઈશ્વરને નહીં. છુપાવવાના સઘળા પ્રયત્નો છતાં તેઓ તમારા દોષો જાણે છે. નિષ્કપટ હૃદયે પ્રભુની પ્રાર્થના કરો, ‘હે પ્રભુ, મારી સઘળી ક્ષતિઓ અને દુર્વૃત્તિઓનો નાશ કરો.’
સ્વામી અભેદાનંદ
જો કોઈ વ્યક્તિ વ્યાકુળતાપૂર્વક ઈશ્વર પાસે શ્રદ્ધા-ભક્તિથી પ્રાર્થના કરે છે તો તેઓ એની યાચના પૂર્ણ કરે છે. આ રીતે પ્રાર્થના કરો, ‘હે પ્રભુ! કૃપાપૂર્વક મને અવિચળ ભક્તિ અને અટલ શ્રદ્ધા આપો. મારું મન નિરંતર તમારા ચરણકમળ પ્રતિ આકર્ષિત રહ્યા કરે અને અન્ય કોઈ દિશાઓમાં ન ભટકે.’
સ્વામી રામકૃષ્ણાનંદ
અવિરત પ્રાર્થના કરો, ‘હે પ્રભુ! હું મારી ક્ષુદ્રતાને અને તમારી સર્વવ્યાપકતાને જાણું એવી કૃપા કરો. હું તમારા હાથનું યંત્રમાત્ર છું, તમે એને ચલાવનાર યંત્રી છો, એવું મને જ્ઞાન આપો.’ જ્યારે મનુષ્યને આવા પ્રકારનું જ્ઞાન લાધે છે ત્યારે તે યથાર્થપણે સુખી બને છે, કારણ કે તે પોતાને સુરક્ષિત સમજે છે. તે જાણે છે કે તેનાં સર્વ કાર્યો ઈશ્વર દ્વારા પરિચાલિત થઈ રહ્યાં છે, જેથી તે કદાપિ કુમાર્ગે નહીં જાય.
રુદનપૂર્વક ઈશ્વરને આ રીતે પ્રાર્થના કરો, ‘હે દયાળુ પ્રભુ, હું નિરાધાર અને અસહાય છું. મેં આ જન્મ અને પૂર્વજન્મમાં, જાણ્યે-અજાણ્યે જે પાપ આચર્યાં છે તે બદલ ક્ષમા કરો.’
સ્વામી સારદાનંદ
જ્યારે તમે તમારું મન ઈશ્વર પર સ્થિર કરવા અસમર્થ બનો ત્યારે તેમને અંત:કરણપૂર્વક પ્રાર્થના કરો, ‘હે પ્રભુ, હું મારી જાતે મનને સંયમિત કરવા અસમર્થ છું, તેથી તમે મારા મનને સ્થિર કરો. નિરાધાર એવો હું તમારા ચરણકમળમાં શરણ ગ્રહણ કરું છું.’
સ્વામી અખંડાનંદ
કેવી રીતે પ્રાર્થના કરવી તે શ્રીઠાકુર અમને શીખવતા. તેઓ પોતાની પાટ પર પગ લંબાવીને બેસતા અને બાળકની જેમ રુદન કરતા, ‘હે મા, આવો, આવો. હું તમારો વિયોગ સહન કરી શકતો નથી. તમારા સંતાનથી અળગાં રહીને તમે કેવી રીતે શાંતિ અનુભવી શકો? અન્ય ચીજોમાં પોતાને વ્યસ્ત રાખીને તમે મને કેવી રીતે ભૂલી શકો? આવો, ઓ મા, આવો, અને મને તમારા ખોળામાં લો!’ આવા પ્રસંગે તેઓ અબુધ બાળકની જેમ ચોધાર આંસુથી રડી પડતા અને બાળક પોતાની મા માટે કેવું વ્યાકુળ બને છે, તે બતાવતા. આવી મનોવૃત્તિ તેમનામાં એટલી બધી હદે જાગ્રત થતી કે તે મા વિનાના બાળકની જેમ બેબાકળા થઈ ઊઠતા.
થોડા વખત પછી શ્રીરામકૃષ્ણ શાંત થઈને કંપતા સ્વરે અશ્રુસહિત કહેવાનું શરૂ કરતા, ‘ઓ મા, હું સાધન-ભજનહીન છું. ઓ મા, મને જ્ઞાન આપો, મને ભક્તિ આપો. ઓ મા, મારું મન નિરંતર તમારા શ્રીચરણમાં રહે!’
મલિન ઓરડાની જેમ મનમાં પણ મલિનતા રહેલી છે. કેટલીક વાર તમારે ઝાડુથી અને કેટલીક વાર જળથી ઓરડારૂપી મનને સ્વચ્છ કરવાનું છે. મનની કેટલીક વૃત્તિઓને બળપૂર્વક દૂર કરવાની છે. વળી કેટલીક વૃત્તિઓને અશ્રુ દ્વારા સાફ કરવાની છે. અશ્રુપૂર્ણ પ્રાર્થનાઓ દ્વારા તમારે ઈશ્વરને કહેવાનું છે, ‘હે પ્રભુ! મારા મનમાં આવા દુર્વિચારો શા માટે આવે છે? આવા દુર્વિચારોને કારણે તમે મારા મનમાં કદાપિ વસી શકતા નથી. તેથી મારું મન નિર્મળ અને વિશુદ્ધ બનાવો. આવો, અને મને દર્શન દો.’ આંસુ સારતાં સારતાં તમારે આવી પ્રાર્થના કરવાની છે. શ્રીઠાકુરે અમને આમ શીખવ્યું છે.
સ્વામી સુબોધાનંદ
ઉત્કૃષ્ટ શ્રદ્ધા-ભક્તિ સાથે હવે તમે તેમને પ્રાર્થના કરો. તેઓ તમારું પથપ્રદર્શન કરશે. સ્વયં તેઓ તમને સર્વકંઈ આપશે—ભક્તિ, શ્રદ્ધા અને બીજું જે કંઈ ઇચ્છો તે.
સ્વામી વિજ્ઞાનાનંદ
આપણે નિષ્ઠાપૂર્વક વિશ્વાસને વળગી રહેવાનું છે, તેમાં ઓટ ન આવવી જોઈએ. વિશ્વાસના પૂર્ણ બળ સાથે સરળતા અને ધૈર્યપૂર્વક જગદંબાની આપણે પ્રાર્થના કરવી જોઈએ, જેથી આપણું હૃદય નિર્મળ બને. આમ થતાં જ જગદંબા નિશ્ચિતપણે આપણી પ્રાર્થનાનો પ્રતિસાદ આપશે.
Your Content Goes Here