(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે.)
જ્યારે આપણને પોતાની અપૂર્ણતાનું ભાન થાય છે, આપણને પોતાની શક્તિની મર્યાદા સમજાય છે, જ્યારે પ્રયત્નો કર્યા પછી પણ આશાનું કિરણ દેખાતું નથી, જ્યારે સંસારનાં દુઃખ-ચિંતા આપણને દઝાડે છે, જ્યારે ચારે તરફ અંધકાર ઘેરી લે છે…..
ત્યારે હૃદયના અંતઃસ્થળમાંથી જે શબ્દ નીકળે છે, જે નિવેદન થાય છે, તે છે ‘પ્રાર્થના.’
હવે આ પ્રાર્થના કરીએ કોને? કોની પાસે પોતાના હૃદયની વેદના વ્યક્ત કરીએ, કોની પાસે પોતાનું મન ખોલીએ, કોણ એવું છે જે આપણી હતાશાને દૂર કરશે?? અવશ્ય એ જ કરશે, જે સર્વસમર્થ છે, જે બદલાની અપેક્ષા નથી રાખતો, જેનામાં પક્ષપાત નથી અને દયાળુ પણ છે. એને જ આપણે ઈશ્વર કહીએ છીએ, પરમપિતા કહીએ છીએ, નામ ભલે જે હોય તે! એ અહૈતુક કૃપાસિંધુ પાસે આપણું મન સ્થિર થાય છે અને આપણા આત્માને શાંતિ મળે છે.
ભગવાનના સ્વભાવ વિશે શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે સંસારમાં જો કોઈને માટે નવ્વાણું સારાં કામ કરો અને એક ભૂલ કરી તો તે એ એક ભૂલ ને જ યાદ રાખશે ..પરંતુ ભગવાન પાસે નવ્વાણું ભૂલો કરી અને એક સારું કામ કર્યું તો તે એ એક કામને યાદ રાખે છે. ઈશ્વર તરફ એક ડગલું આગળ વધો તો તે દસ ડગલાં આગળ વધે છે.
આવાં કેટલાંય ઉદાહરણ છે. ગજેન્દ્રનો પગ જ્યારે મગરે પકડ્યો, ત્યારે શરૂઆતમાં તો તે પોતાના મિત્ર, સગાંસંબંધીઓ પાસે મદદ માગતો રહ્યો પરંતુ જ્યારે પ્રાણાન્ત વેદના થવા લાગી ત્યારે અસહાય સ્થિતિમાં તે શ્રીવિષ્ણુની શરણમાં આવ્યો અને આપણે જોઈએ છીએ કે ઈશ્વરે તેની રક્ષા કરી અને તેની એ સ્તુતિ, એ પ્રાર્થના શ્રીમદ્ ભાગવતમાં ‘ગજેન્દ્ર-મોક્ષ’નામથી વિખ્યાત થઈ.
જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું, ત્યારે પહેલાં તેણે બધા પાસે મદદની યાચના કરી—ઇચ્છામૃત્યુનું વરદાન પામેલા પિતામહ ભીષ્મ, ચિરંજીવી કૃપાચાર્ય, શ્રેષ્ઠ દ્રોણાચાર્ય અને તે સમયે પૃથ્વીલોકના સૌથી શૂરવીર પોતાના પાંચ પતિ—બધા પાસે દયાની ભીખ માગી, પરંતુ કોઈ પણ એની સહાયતા કરી ન શક્યું. આખરે જ્યારે તેણે આ જગતના સ્વામી શ્રીકૃષ્ણને પોકાર્યા, ત્યારે તેની રક્ષા થઈ. એટલે પ્રાર્થના કરવી હોય તો એ પરમાત્મા પાસે કરવી; યાચના કરવી હોય, માગવું હોય તો ઈશ્વર પાસે માગવું; કારણ કે તે જ આપણી પ્રાર્થના સાંભળવા અને પૂર્ણ કરવા સમર્થ છે.
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ઈશ્વર કીડીના પગના ઝાંઝરનો અવાજ પણ સાંભળે છે. આટલું સાંભળવા છતાં મનમાં થાય છે કે, ‘ભગવાન! તું મારી પ્રાર્થના કેમ સાંભળતો નથી, કેમ મારી ઇચ્છા પૂરી કરતો નથી, જે હું માગું તે આપતો શાને નથી?’
જ્યારે પણ આપણી ઇચ્છા પૂરી નથી થતી, જ્યારે જે માગ્યું હોય તે મળતું નથી, ત્યારે મનમાં થાય છે કે કદાચ ભગવાન છે જ નહીં; કેમ કે તે હોય તો મારી પ્રાર્થના ચોક્કસ સાંભળત.
પરંતુ એવું છે નહીં… તે છે અને આપણી પ્રાર્થના સાંભળે પણ છે. જેની આજ્ઞાથી આકાશમાં સૂર્ય-ચંદ્રનો ઉદય અને અસ્ત થાય છે; નદી, સમુદ્ર તેની મર્યાદા કદી ઓળંગતાં નથી; જે આપણા હૃદયના ધબકારનો પણ અનુભવ કરે છે, જે આપણા પ્રાણોના પ્રાણ છે, અંતરાત્માનો અંતરાત્મા છે, તે નિશ્ચય આપણી પ્રાર્થના સાંભળે છે.
જ્યારે જવાબ નથી મળતો ત્યારે સમજવું કે તે આપણને એ જ આપે છે, જે આપણા માટે કલ્યાણકારી છે. નાનું બાળક કેટલીયે જીદ કરે, કેટલીય રડારોળ કરે, તોપણ માતા એના માટે ભલું હોય એ જ તેને આપે છે. જ્યારે સાંસારિક બાબતોમાં પણ એટલી તકેદારી રાખવામાં આવે છે તો ભગવાનની બાબતમાં શંકા કરવી જ ન જોઈએ. એ દયાળુ ચોક્કસપણે આપણું મંગળ જ ચાહે છે.
સ્વયમ્ પોતાના અંતઃકરણમાં ડોકિયું કરીને મનનું પરીક્ષણ કરીએ તો ધ્યાનમાં આવે છે કે આજ સુધી આપણે ઈશ્વર પાસે માગ્યું છે જ શું? એ જ કે ‘હે પ્રભુ! તું મારું દુઃખ દૂર કર. મને સુખસંપત્તિ આપ.’ ફક્ત અને ફક્ત સંસારની જ વાતો અને ચીજવસ્તુઓ. એ તો આપણા મલિન અને સ્વાર્થી મનની નીપજ છે. સમય વીત્યે સમજાય છે કે ઘણી બધી વાતો ઈશ્વરે સાંભળી જ નહીં, ઘણી વસ્તુઓ ઈશ્વરે આપી જ નહીં—એ તો સારું જ થયું. નહીંતર ઇચ્છા-કલ્પતરુની નીચે બેસવાથી અંતે વાઘ જ મળશે.
લૌકિક ચીજો તો બહુ માગી લીધી, હવે એમના ચરણોમાં ભક્તિ-પ્રેમ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના કરીશું. એમની પાસે માગીશું શુદ્ધ ભક્તિ અને શુદ્ધ પ્રેમ, અને આ બધું આપવા તો ઈશ્વર આતુર છે, એ ભક્તિના ભૂખ્યા છે… પ્રેમના-ભાવના ભૂખ્યા છે.
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહેતા હતા કે કેટલાય પ્રકારનાં રમકડાં આપીને ભગવાન આપણને ભ્રમમાં નાખી દે છે. એ બધાં રમકડાંને દૂર ફેંકીને એને જ પોકારો, તેઓ દોડતા આવીને તમને ગોદમાં ઉઠાવી લેશે. રમકડાં ઇચ્છશો તો રમકડાં મળશે, તેને ઇચ્છશો તો તે મળશે.
તો ચાલો… આજથી જ આપણા જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વરને આપણા જીવનનો ધ્રુવતારો બનાવીએ. દરેક ચીજ એમને જણાવીને કરીએ. સુખદુઃખમાં એમનું સ્મરણ કરીએ, એમનું અનુસરણ કરવાનો હર સમય પ્રયત્ન કરીએ, એમ કરતાં કરતાં આપણે જોઈ શકીશું કે પ્રાર્થના આપણો સ્વભાવ બની ગઈ છે.
શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે, બિલાડીનાં બચ્ચાં જેવા બનીએ. એને જ્યારે જે વસ્તુની જરૂર હોય ત્યારે તે મ્યાઉં મ્યાઉં કરે છે, અને તેની મા જ્યાં પણ હોય દોડીને આવીને તેને ઉઠાવે છે અને યોગ્ય સુરક્ષિત સ્થાનમાં રાખે છે.
‘योगक्षेमं वहाम्यहम्’ વાળો એ ઈશ્વર અવશ્ય આપણો પણ ભાર વહન કરી રહ્યો છે અને એવો દૃઢ વિશ્વાસ રાખો કે હું જે પણ અવસ્થામાં છું, જ્યાં પણ છું, જે પણ પરિસ્થિતિમાં છું, આ ક્ષણે એ દયાઘન પ્રભુએ મારી માટે પસંદ કરેલું આ ધરાધામ પરનું સૌથી યોગ્ય અને સુરક્ષિત સ્થાન છે.
આવો, આ વાત પર દૃઢ વિશ્વાસ કરીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે ‘હે પ્રભુ ! મારા માટે જે યોગ્ય હોય તે જ તું કર, મને એ જ આપજે જેનાથી તારું વિસ્મરણ ન થાય અને મને તમારા ચરણોમાં શ્રદ્ધાભક્તિ પ્રાપ્ત થાય.’
Your Content Goes Here