(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે.)

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ હતું. એમના મતે પ્રાર્થના એ સાધક અને એના ઇષ્ટદેવ, ભગવાન વચ્ચેના વાર્તાલાપની ભાષા છે અને ભગવાન સાથે વ્યવહાર રાખવાની અત્યંત સરળ પદ્ધતિ છે. વિશ્વના બધા જ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. જપ-ધ્યાન કરવાં, કેવી રીતે કરવાં, કયો મંત્ર કરવો, આના માટે એક ગુરુની આવશ્યકતા છે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં એક સુંદર પ્રસંગ છે.

“ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ વેણીપાલના સિંથિના બગીચામાં પધાર્યા છે. આજ સિંથિના બ્રાહ્મ-સમાજનો અર્ધ-વાર્ષિક મહોત્સવ. ચૈત્રી પૂર્ણિમા. (૧૦ વૈશાખ) રવિવાર તા. ૨૨મી એપ્રિલ ૧૮૮૩. બપોર પછી. કેટલાય બ્રાહ્મભક્તો હાજર છે. ભક્તો ઠાકુરને વીંટળાઈને દક્ષિણબાજુની ઓસરીમાં બેઠા છે. સંધ્યા પછી આદિ-બ્રાહ્મ-સમાજના આચાર્ય શ્રીયુત્ બેચારામ ઉપાસના કરવાના છે.

બ્રાહ્મભક્તો વચ્ચેવચ્ચે ઠાકુરને પ્રશ્નો કરતા રહે છે.

બ્રાહ્મભક્ત: મહાશય, ઉપાય શું?

શ્રીરામકૃષ્ણ: ઉપાય અનુરાગ, અર્થાત ઈશ્વરને ચાહવો અને પ્રાર્થના.

બ્રાહ્મભક્ત: અનુરાગ કે પ્રાર્થના?

શ્રીરામકૃષ્ણ: પહેલાં અનુરાગ, પછી પ્રાર્થના.

બોલાવને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના!

શ્રીરામકૃષ્ણ સૂર સાથે આ ગીત ગાય છે.

અને હમેશાં ઈશ્વરનાં નામગુણગાન, કીર્તન, પ્રાર્થના કરવાં જોઈએ. જૂનો લોટો રોજ માંજવો જોઈએ, એક વાર મોં શું વળે? અને વિવેક, વૈરાગ્ય, સંસાર અનિત્ય એ જ્ઞાન થવું જોઈએ.”

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના બીજા ખંડના બીજા અધ્યાયમાં માસ્ટર મહાશય નોંધે છે:

“પાડોશી (એક ભક્ત): મહાશય, સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ: જરૂર પામી શકાય. પણ જે કહ્યું તે સાધુસંગ, અને નિરંતર પ્રાર્થના કરવાં જોઈએ. ઈશ્વરની પાસે રડવું જોઈએ. મનનો મેલ બધો ધોવાઈ જાય તો ઈશ્વરનાં દર્શન થાય. મન જાણે કે ધૂળ ચડેલી લોઢાની સોય, ઈશ્વર જાણે કે લોહચુંબક પથ્થર. ઉપરની ધૂળ ધોવાઈ ગયા વિના લોહચુંબકની સાથે સોય જોડાય નહિ. રુદન કરતાં કરતાં સોય પરની માટી ધોવાઈ જાય. સોય પરની માટી એટલે કે કામ, ક્રોધ, લોભ, પાપી વિચારો, વિષયવાસના. એ માટી ધોવાઈ જતાંવેંત સોયને લોહચુંબક ખેંચી લે, અર્થાત્ ઈશ્વર-દર્શન થાય. ચિત્તશુદ્ધિ થાય ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. તાવ આવ્યો છે, દેહમાં કેટલાય ઝેરી રસો ભેગા થયા છે, ત્યારે માત્ર કવીનાઈનથી શું વળે? સંસારમાં ઈશ્વર-દર્શન ન થાય શા માટે? સત્સંગ, રડી રડીને પ્રાર્થના, વચ્ચે વચ્ચે એકાંત નિર્જન સ્થળમાં વાસ, આ બધાંથી થાય.”

ઠાકુર કહેતા કે, ‘જેની પાસે સમય છે, તેઓ ધ્યાન-ભજન કરે. જે એ ન કરી શકે તે બે વખત પ્રણામ કરે. તેઓ તો અંતર્યામી છે. તેઓ તો સમજે છે કે બીચારા શું કરે? ઘણું કામ કરવું પડે છે. એમને બોલાવવાનો સમય નથી. તો એમને મુખત્યારનામું સોંપી દો.’

આ પ્રાર્થનાનું બહુ જ મહત્ત્વનું સ્વરૂપ છે. આપણે બધાય પ્રાર્થના તો કરીએ છીએ. ક્યારેક એવું મનમાં થાય છે કે શું ઠાકુર આપણી પ્રાર્થના સાંભળે છે? આ વિશેનો 19 સપ્ટેમ્બર, 1884ના રોજનો હાજરા મહાશયનો પ્રસંગ ટાંકીએ:

“હાજરા – (ભક્તિ માટે) પ્રાર્થના કર્યે શું ભગવાન સાંભળે?

શ્રીરામકૃષ્ણ – એક સો વાર! જો સાચી હોય, જો અંતરની હોય. સંસારી માણસ જે રીતે સ્ત્રીને માટે આકુળવ્યાકુળ થાય ને રડે, એ રીતે ઈશ્વરને માટે કોઈ ક્યાં રડે છે?”

ખરેખર તો આપણી અંદરની સાંસારિકતા આ પ્રાર્થનાને વ્યાકુળતા ભરેલી કે અંતરના ઊંડાણમાંથી થવા દેતી નથી, ઉપરછલ્લી પ્રાર્થના હોય છે. શ્રીઠાકુરે હાજરાને કહ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં જે શેઢા હોય છે તેના પરથી આપણે ચાલીએ છીએ. આ શેઢા ખરેખર તો ક્યારામાંથી પાણી ન નીકળી જાય તે માટે હોય છે. પરંતુ આ શેઢામાં કાણાં હોય છે. એમાંથી જેમ પાણી નીકળી જાય છે, તેવી જ રીતે વાસનારૂપી કાણામાંથી હૃદયની વ્યાકુળતા નીકળી જાય છે અને પ્રાર્થના હૃદયગ્રાહ્ય હોતી નથી.

આ પ્રાર્થના હૃદયના ઊંડાણમાંથી, મનમાંથી, અકપટ, અકૃત્રિમ હોવી બહુ જ જરૂરી છે. આવી અકપટ વ્યાકુળતા ભરેલી હૃદયગ્રાહી પ્રાર્થના કેવી રીતે કરવી તે ઠાકુરે એક વાર ગંગાધર (સ્વામી અખંડાનંદ)ને કહ્યું હતું.

અખંડાનંદજી પોતાની સ્મૃતિકથામાં લખે છે કે, “એક વાર બીજા કેટલાક શિષ્યો સાથે મેં દક્ષિણેશ્વરમાં રાત પસાર કરી અને ઠાકુરે અમને સૌને ધ્યાનમાં બેસાડ્યા – અમારા ઇષ્ટની સાથે સંવાદ સાધતાં અમે વારંવાર હસતા કે સમાધિ ભાવમાં રડતા. એ યુવાનીના દિવસોમાં જે વિશુદ્ધ આનંદ અમે અનુભવતા તે વર્ણનાતીત છે. જ્યારે પણ હું ઠાકુર પાસે જાઉં ત્યારે એ અચૂક પૂછે, ‘પ્રાર્થના કે ધ્યાન કરતી વેળા તને રુદન આવ્યું હતું?’ મેં આના ઉત્તરમાં એક દિવસ ‘હા’ કહી ત્યારે એ કેવો તો આનંદ પામ્યા હતા!’ ‘પસ્તાવાનાં કે દુઃખનાં આંસુ નાક પાસેના આંખોના ખૂણામાંથી વહે અને આનંદાશ્રુ આંખોને બીજે ખૂણેથી’, એમ તેઓ કહેતા. અચાનક એમણે મને પૂછ્યું, ‘પ્રાર્થના કેમ કરવી એ તું જાણે છે?’ આમ બોલીને, અસ્વસ્થતાપૂર્વક એ પોતાના હાથ-પગ પછાડવા લાગ્યા, જાણે મા માટે નાનું બાળક અધીર બન્યું છે. પછી એમણે પોકાર કર્યો, ‘મા, મા, મને જ્ઞાન અને ભક્તિ આપ. મારે બીજું કંઈ જ ન જોઈએ. તારા વિના હું જીવી નહીં શકું.’ આમ અમને પ્રાર્થના કરવાનું શીખવતી વખતે તેઓ નાના બાળક જેવા દેખાતા હતા. એમની છાતી આંસુથી ભીની થઈ ગઈ અને એ ગહન સમાધિમાં સરી પડ્યા. મારે માટે જ ઠાકુરે એમ કર્યું હતું તેની મને ખાતરી થઈ ગઈ.”

ઠાકુરની પ્રાર્થના કેવી હૃદયદ્રાવક હતી, “એક દિવસ દક્ષિણેશ્વર મંદિરમાં જઈને ઠાકુર જગદંબાને કહેવા લાગ્યા, ‘મા, તું કેવળ મુખ દ્વારા બોલીએ તે સાંભળે છે? મારું હૃદય ભીનો ટુવાલ નીચોવીયે એવી રીતે નિચોવાઈ રહ્યું છે, તે શું તું જોતી નથી?’ હૃદયના અંતરતમમાં ભગવાન પ્રત્યે અનુરાગ આવે તો ભગવાનને પ્રાર્થના કરીએ તેમાં શક્તિ હોય. માતૃભક્ત શ્રીરામપ્રસાદ કહેતા કે ભક્તિના બળે હું બ્રહ્મમયી માની જમીનદારી ખરીદી શકું છું!

આંતરિક પ્રાર્થના હૃદયમાં ભગવાન પ્રત્યે અનહદ પ્રેમ હોય તો આવે, એમ શ્રીઠાકુર કહેતા.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના બીજા ભાગના બારમા ખંડના દસમા અધ્યાયમાં આ બાબત અંગે સુંદર પ્રસંગ છે:

“શીખો (દક્ષિણેશ્વર કાલીમંદિરનાં દર્શને આવેલા અંગ્રેજ સરકારની શીખ પલટનના સિપાઈઓ) બોલ્યા કે ‘ઈશ્વર દયાળુ!’

મેં કહ્યું કે ‘ઈશ્વર તો આપણો માબાપ, એ વળી દયાળુ શેનો? છોકરાંને જનમ દઈને માબાપ પાલન પોષણ કરે નહિ, તો શું બ્રાહ્મણ શેરીના માણસો આવીને કરવાના? આવા ભક્તની પાકી શ્રદ્ધા હોય કે ઈશ્વર આપણી મા, આપણો બાપ!’”

ઠાકુરની પ્રાર્થનાની રીત વિશેષ પ્રકારની હતી. ઠાકુર કહેતા કે, ‘જે પ્રાર્થના મંગલકારક હોય તે ઈશ્વર પૂરી કરે છે.’

ઠાકુરે મા જગદંબાને કરેલ પ્રાર્થનાનું સ્વરૂપ તો જુઓ! શ્રીઠાકુર કહેતા, “મેં માની પાસે કેવળ ભક્તિ માગી હતી. ફૂલ હાથમાં લઈને માને ચરણે મૂક્યાં અને બોલ્યો હતો કે મા, આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તો તમારું પવિત્ર, આ લો તમારું અપવિત્ર, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ, મને શુદ્ધ ભક્તિ આપો.”

શ્રીઠાકુરે કેવળ નિર્મળ, નિષ્કામ, અહેતુકી ભક્તિ માગી હતી. ઠાકુર અત્યંત કરુણ સ્વરે પ્રાર્થના કરતા, ‘મા, હું તમારો શરણાગત, શરણાગત! દેહસુખ મને જોઈએ નહિ. મા, માનપાન મને જોઈએ નહિ. મા, (અણિમા વગેરે) અષ્ટ સિદ્ધિ મને જોઈએ નહિ. મા, માત્ર એટલું કરો કે તમારાં ચરણકમલમાં મને શુદ્ધ ભક્તિ આવે, નિષ્કામ, અમલા, અહેતુકી ભક્તિ! અને મા, તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન થાઉં! તમારી માયાના સંસારમાં કામ-કાંચનની ઉપર પ્રેમ ક્યારેય ન થાઓ! મા, તમારા વિના મારું બીજું કોઈ નથી! હું ભજનહીન, સાધનહીન, જ્ઞાનહીન, ભક્તિહીન; કૃપા કરીને મા, તમારાં શ્રીચરણકમલમાં મને ભક્તિ આપો!’

ઠાકુર કહેતા કે ભગવાન કલ્પતરુ છે, તેથી સદા સર્વદા પ્રાર્થના તો કરવી પણ સાંસારિક ભોગ્ય વસ્તુ માગવી નહીં, કારણ કે વિષયો છે વિષ સમાન અને આ વિષયોનું સુખ માણસને માયાના બંધનમાં બાંધે છે. નિ:સ્વાર્થ પ્રાર્થના કરવી, સ્વાર્થપૂર્ણ નહીં.

આવી રીતે આપણે સૌ ભક્તોએ કેવી પ્રાર્થના કરવી એ શ્રીઠાકુરે બતાવી દીધું છે. ઠાકુર કહેતા, ‘જીવનનો ઉદ્દેશ ઈશ્વરપ્રાપ્તિ.’ તેથી સાધકે એ માટે જ પ્રયત્ન કરવો જોઈએ.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.