શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
નવરાત્રિ પર્વની ઉજવણી : ૩ થી ૧૨ ઑક્ટોબર દરમિયાન સંધ્યા આરતી બાદ મા દુર્ગાનાં વિવિધ આગમની ગીતો, મા અંબાની આરતી, સ્તુતિઓ તથા મહિષાસુરમર્દિની સ્તોત્રનો પાઠ વગેરે કરવામાં આવ્યાં.
૧૧ ઑક્ટોબરના રોજ શ્રીશ્રીદુર્ગાષ્ટમી નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. મંગલ આરતી બાદ વૈદિક સ્તોત્ર પાઠ થયા. શ્રીરામકૃષ્ણદેવ તથા શ્રીમા શારદાદેવીની વિશેષ ષોડશોપચાર પૂજા અને હોમ થયા બાદ ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. પૂજા સાથોસાથ ગરબા તથા ભજનોનું ગાન કરવામાં આવ્યું. પૂજા બાદ બપોરે ૧૩૦૦થી વધુ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. સાંજે શ્રીમા-નામ સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું તેમજ સંધ્યા આરતી પછી વિશેષ ભજનોનું આયોજન કરવામાં આવ્યું.
તા. ૧૩ ઑક્ટોબર વિજયા દશમીના દિવસે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો.
આશ્રમમાં મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ : રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી સપ્ટેમ્બર માસ દરમિયાન ધો. ૯ અને ૧૧ના ૯૫૧ વિદ્યાર્થીઓએ રાજકોટ આશ્રમની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને તેમના ધોરણ અનુસાર સ્વામી વિવેકાનંદનું જીવન પ્રદર્શન, સ્વામીજીના પ્રેરક પ્રસંગ પર નાટક, ચરિત્ર-નિર્માણ અંગે માર્ગદર્શન, પ્રેરણાદાયી વિડિયો ક્લિપ પ્રદર્શન, પુસ્તક વાંચન, ક્વિઝ, એકાગ્રતાની રમતો, યોગાસન-પ્રાણાયામ, મંદિરમાં ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. અંતમાં તેઓને પુસ્તક આપવામાં આવ્યા તથા નાસ્તો આપવામાં આવ્યો.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
૧૧ ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ કેન્દ્રના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૮૦ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૬૧ જરૂરિયાતમંદ દર્દીઓનાં ડૉ. કે. એ. ગરેજાની ઓજસ આઇ હૉસ્પિટલમાં ઑપરેશન થયાં હતાં.
Your Content Goes Here