(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘See God with Open Eyes’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

ઈશ્વર સાકાર છે કે નિરાકાર? આ ચિરંતન કૂટ પ્રશ્ન છે. ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મના મત મુજબ ઈશ્વર સાકાર નથી પરંતુ તે સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, સર્વવ્યાપકતા, કરુણા અને સામર્થ્ય જેવા ગુણોથી સંપન્ન છે.

અદ્વૈત વેદાંત અનુસાર બ્રહ્મ પરમ સત્તા છે, એકમેવાદ્વિતીયમ્‌, તે સત્‌-ચિત્‌-આનંદ છે. તે નામ-રૂપથી પર, નિર્ગુણ, આદિ-અંતરહિત છે. તે અવિકારી સત્ય છે; તે દેશ, કાળ અને નિમિત્તથી પર છે. છતાંય પોતાની અગમ્ય માયાનો આશ્રય લઈને તે અનંત-વ્યાપક બ્રહ્મ જગત અને જગતના જીવો રૂપે અભિવ્યકત થાય છે. આમ ‘એક’ અનેક થઈ પ્રગટે છે. બ્રહ્મ માયા સાથે સંયુક્ત થાય છે, ત્યારે તે ઈશ્વર કહેવાય છે.

દ્વૈતવાદ મુજબ ઈશ્વર સાકાર છે. ઈશ્વર સંસારના સર્જક, સંપોષક અને સંહારક છે. ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વોપરી, કરુણામય, કર્મફળદાતા ઇત્યાદિ છે.

સાકાર અને નિરાકારમાં કોઈ ભેદ છે? શ્રીરામકૃષ્ણદેવે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છેઃ

ઈશ્વર સાકાર અને નિરાકાર એમ બે ભિન્ન બાબત નથી. તે સાકાર પણ છે અને નિરાકાર પણ. ભક્ત માટે ઈશ્વર વિવિધ રૂપો ધારણ કરે છે. અસીમ સમુદ્રની કલ્પના કરો—જળનો અફાટ વિસ્તાર—ક્યાંય ભૂમિ દેખાતી નથી, કડકડતી ઠંડીને કારણે થીજી ગયેલા બરફના ટુકડા અહીં-તહીં દૃષ્ટિગોચર થાય છે.

તેવી જ રીતે પ્રગાઢ ભક્તિને કારણે ભક્ત માટે ઈશ્વર પોતે સાકાર રૂપ ધારણ કરીને તેની સમક્ષ પ્રગટ થાય છે. વળી પાછો સૂર્ય દેખાતાં બરફ ઓગળી જાય છે, એમ જ્ઞાનોદય થતાંવેંત સાકાર ઈશ્વર નિરાકાર થઈ જાય છે.

અગ્નિને પોતાનો કોઈ આકાર નથી, જેવું કાષ્ઠ તેવો આકાર ધારણ કરે છે. તેવી જ રીતે નિરાકાર ઈશ્વર ક્યારેક વિભિન્ન રૂપો ધારણ કરે છે.

ઈશ્વર એક છે પરંતુ તેનાં અનેકવિધ રૂપો છે. જેમ કે એક ગૃહસ્વામી વિવિધ રૂપે જોવા મળે છે—પિતા તરીકે એક, ભાઈ તરીકે વળી અન્ય રૂપ, પતિ રૂપે વળી ત્રીજા પ્રકારે; આમ ઉપાસનાના જુદા જુદા પ્રકાર અંતર્ગત એક જ ઈશ્વરનું ભિન્ન ભિન્ન રૂપે વર્ણન કરાય છે અને તેવા રૂપે બોલાવાય છે.

નાસ્તિકો ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી, જ્યારે અજ્ઞેયવાદીઓ ઈશ્વરના અસ્તિત્વ અંગે શંકા ધરાવે છે. જર્મન ચિંતક ફ્રેડરિક નિત્સેએ ઘોષિત કર્યું, ‘ઈશ્વર મૃત્યુ પામ્યો છે.’ અમેરિકન લેખક નીલ ડોનાલ્ડ વોશે લખ્યું છે, ‘આપણને નવા ઈશ્વરની જરૂર છે. પુરાણો ઈશ્વર કંઈ કામ કરતો નથી.’ કોટિ કોટિ માનવો વિચારે છે કે ઈશ્વરનું અસ્તિત્વ નથી કેમ કે આપણે તેને દેખતા નથી. વર્તમાન યુગમાં શ્રીરામકૃષ્ણદેવે આસ્તિકો તથા ઈશ્વરમાં ન માનનારા નાસ્તિકો, અજ્ઞેયવાદીઓ, સંશયવાદીઓ અને ભૌતિકતાવાદીઓને ધર્મનું પોતાના જીવન દ્વારા પ્રત્યક્ષીકરણ કરી બતાવ્યું. મને ઈશ્વર વિષયક દ્વિધાના વિચાર-વંટોળ અંગેની એક લોક-કથાનું સ્મરણ થઈ આવે છે.

એક રાજાએ તેના મંત્રીને ત્રણ દિવસના સમયગાળામાં ત્રણ પ્રશ્નોના જવાબ આપવાનું ફરમાન કર્યું.

(૧) શું ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે?

(૨) જો ઈશ્વર અસ્તિત્વ ધરાવતા હોય તો તેઓ કઈ દિશા તરફ જુએ છે?

(૩) તે શું કરી શકે છે?

મંત્રી રાજાના પ્રશ્નના ઉત્તર આપી ન શક્યા. મંત્રીના અનુચરે તેમને ખિન્ન જોઈને તેમના દુઃખનું કારણ પૂછ્યું. કારણ જાણીને અનુચરે કહ્યું , ‘મંત્રીજી, હું આ પ્રશ્નોના ઉત્તર જાણું છું. મને રાજા પાસે લઈ જાઓ.’ બીજા દિવસે મંત્રી અનુચરને લઈ રાજા પાસે જઈ પહોંચ્યા.

યુવાન અનુચરે રાજાને કહ્યું, ‘બે શરતે હું આ પ્રશ્નોના ઉત્તર આપીશ. પહેલી શરત એ કે તમારે રાજગાદી પરથી નીચે ઊતરવું પડશે અને હું તેના પર બિરાજીશ. બીજી શરત એ કે તમારે નીચે ભૂમિ પર બેસીને, હાથ જોડીને પ્રશ્નો પૂછવાના રહેશે.’ રાજા સંમત થયા.

રાજાએ પ્રશ્ન કર્યો, ‘શું ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે?’

અનુચરે જવાબ આપ્યો, ‘દૂધ ભરેલો પ્યાલો મગાવો અને મેજ પર મૂકો.’ આ મુજબ કરાતાં, અનુચરે પૂછ્યું, ‘હે રાજા, દૂધમાં માખણ છે ખરું?’

‘હા.’

‘તમે જોઈ શકો છો?’

‘ના, પરંતુ જો દૂધનું દહીં બનાવીને તેને વલોવવામાં આવે તો માખણ સપાટી પર તરી આવશે.’

‘આ થયો તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ. જો તમે સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક સાધના કરશો, તો તમે ઈશ્વરનાં દર્શન કરી શકશો.’

રાજા પ્રશ્નના ઉત્તરથી રાજી થઈ ગયા.

પછીથી રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘ઈશ્વર કઈ દિશા તરફ જુએ છે?’ અનુચરે મીણબત્તી સળગાવવાનું કહ્યું અને ત્યારબાદ પૂછ્યું, ‘પ્રજ્વલિત મીણબત્તીનો પ્રકાશ કઈ દિશામાં પથરાઈ રહ્યો છે?’

રાજાએ કહ્યું, ‘બધી દિશાઓમાં.’ અનુચરે પ્રત્યુત્તર આપ્યો, ‘એવી જ રીતે ઈશ્વર બધીય દિશાઓમાં જુએ છે.’ રાજાએ ઉત્તરનો સ્વીકાર કર્યો.

છેલ્લે રાજાએ અંતિમ પ્રશ્ન પૂછ્યો, ‘ઈશ્વર શું કરે છે?’ અનુચરે જવાબ આપ્યો, ‘ઓ રાજા! હું તમારા મંત્રીનો અનુચર છું. હાલ હું રાજગાદી પર બિરાજી રહ્યો છું અને તમે ભૂમિ પર બેઠા છો. જુઓ છો તો ખરા કે ઈશ્વર શું કરી શકે છે?’

સંશય માનવ-મનનો ભયાનક શત્રુ છે. આત્મસાક્ષાત્કારી ગુરુ પોતાના આશ્રિત શિષ્યના સંશયો દૂર કરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે.

ઈ.સ. ૧૯૨૫માં ઉદ્‌બોધન ભવનમાં સ્વામી સારદાનંદ પાસે બે વૈજ્ઞાનિકો આવ્યા હતા. તેમાંના એકે સ્વામીને પૂછ્યું, ‘ઈશ્વરનું અસ્તિત્વ છે?’

સ્વામીએ ઉત્તર આપ્યો, ‘હા.’

વૈજ્ઞાનિકે પૂછ્યું, ‘પુરાવો શું છે?’

‘ઋષિઓનાં આપ્તવચનો. અનુભૂતિ કર્યા પછી તેઓએ ઘોષણા કરી કે ઈશ્વરનું અસ્તિત્વ છે.’

‘શક્યતા છે કે તેઓએ ભૂલ કરી હોય.’

‘શું એ શક્ય છે કે બધાય ઋષિઓએ ભૂલ કરી હોય?’

‘હું મારી જાતે અનુભવ કર્યા વિના એ બાબત સ્વીકારું નહીં કે ઈશ્વરનું અસ્તિત્વ છે.’

સ્વામીએ જવાબ આપ્યો,

“વારુ, તમે સ્વયં જોયા પછી તો માનશોને? ધારો કે તમે ક્યારેય ઇંગ્લેન્ડ ગયા નથી. જેઓએ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી છે તેમની પાસેથી તમારે ઇંગ્લેન્ડ અંગે જાણવું પડશે. તમે જાતે જોયું ન હોવા છતાં તમે ઇંગ્લેન્ડના અસ્તિત્વનો ઇન્કાર કરી શકશો નહીં. એવી જ રીતે, ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે; જેઓએ તેમનો સાક્ષાત્કાર કર્યો છે તેમનાં વિધાનોનો તમારે અંગીકાર કરવો પડશે. ઈશ્વર-સાક્ષાત્કાર કર્યા પછી શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘મેં ઈશ્વરનાં દર્શન કર્યાં છે. તમે પણ આધ્યાત્મિક સાધના અને ઈશ્વર-દર્શનની વ્યાકુળતા દ્વારા તેનાં દર્શન કરી શકો છો.’ આ વૈજ્ઞાનિક યુગમાં ધર્મના પ્રત્યક્ષીકરણ દ્વારા માનવ-મનના સંશયનો નાશ કરવા શ્રીઠાકુર અવતર્યા હતા.”

સ્વામી સારદાનંદના વચન સાંભળીને વૈજ્ઞાનિકોનો સંશય દૂર થયો.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.