(૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી સુબોધાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)

સુબોધાનંદે અહીં આપેલી ઘટના વર્ણવી છેઃ ‘એક રાતે ઊંધા પડીને સૂતાં સૂતાં સ્વામીજી કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા, એ ખૂબ ગંભીર હતા, વાળુનો ઘંટ વાગ્યો પણ, સ્વામીજીએ સાંભળ્યો નહીં. અમે સૌ એમની રાહ જોતા હતા. એમને બોલાવવા જવા કોઈની હિંમત ન ચાલી ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ મને એ કામ કરવા કહ્યું. એમના ઓરડામાં હું શાંતિથી દાખલ થયો, એ ચોપડીના પૃષ્ઠનો ક્રમ જોઈ લીધો અને ધડાક દઈને એ પુસ્તક બંધ કરી દીધું.

ગુસ્સે થઈને સ્વામીજી બોલ્યાઃ ‘ખોકા, બદમાશ, શા માટે તેં મારું પુસ્તક બંધ કર્યું? હું ક્યાં હતો તે હવે મને કેવી રીતે ખબર પડશે?’ તરત જ મેં પુસ્તક ઉઘાડ્યું અને એમને એ વાંચતા હતા તે પૃષ્ઠ બતાવ્યું. પછી બોલ્યોઃ ‘હવે વાળુ કરવા ચાલોને. રાંધેલું ઠરી જશે અને બધા આપની રાહ જુએ છે.’ પછી એ ભોજનાલયમાં આવ્યા અને અમારી સાથે જમ્યા.’

સુબોધાનંદને પ્રવાસનો ખૂબ શોખ હતો. ૧૮૯૯ના પોતાના બેલુર મઠના નિવાસ દરમિયાન એ અલ્મોડા અને માયાવતી ગયા હતા અને બીજી વાર કેદારનાથ-બદરીનાથ પણ ગયા હતા. બીજે વર્ષે એ ચૈતન્યની જન્મભૂમિ નવદ્વીપ, દાર્જિલિંગ અને આસામમાં કામાખ્યા પણ ગયા હતા.

ઓરિસ્સાના ચિલ્કા વિસ્તારમાં ૧૯૦૮માં ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યાંના રાહતકાર્યમાં સુબોધાનંદે પોતાનાં મનપ્રાણ રેડી દીધાં હતાં. એમણે ચોખા, દાળ, કપડાં એકઠાં કર્યાં હતાં અને દુષ્કાળગ્રસ્ત લોકોમાં તે સઘળું વહેંચ્યું હતું. પોતાના ખોરાકની કે આરામની ચિંતા કર્યા વગર એમણે રાતદિવસ કામ કર્યું, એને પરિણામે એ પોતે જ માંદા પડી ગયા. શ્રીરામકૃષ્ણ એમની સમક્ષ પ્રત્યક્ષ થયા અને બોલ્યાઃ ‘આ કામ વધારે કરવું નહીં.’ આમ છતાં લોકોની હાલત સુધરી ત્યાં સુધી સુબોધાનંદે રાહતકાર્ય ચાલુ રાખ્યું હતું.

સુબોધાનંદને પૂજ્ય મા પ્રત્યે અત્યંત ભક્તિભાવ હતો. ગિરીશ ઘોષ અને નિરંજનાનંદ સાથે ૧૮૯૧માં એ જયરામવાટી ગયા હતા. પોતાની દક્ષિણ ભારતની યાત્રા પછી ૧૯૧૧માં શ્રીમા બેલુર મઠમાં આવ્યાં ત્યારે બ્રહ્માનંદે એમને માટે મહાન સ્વાગતનું આયોજન કર્યું હતું. મંદિર શણગારવામાં આવ્યું હતું અને સાધુઓ અને ભક્તો પૂજ્ય માના માર્ગે ક્રમબદ્ધ ઊભા રહી ગયા હતા. એ માર્ગે શ્રીમા ચાલે ત્યારે હાર તોડીને કોઈએ શ્રીમાની ચરણરજ લેવી નહીં એવી આજ્ઞા બ્રહ્માનંદે કરી હતી. પરંતુ, અચાનક કોઈ હાર પાછળથી ઘૂસીને, શ્રીમાની ચરણરજ લઈને ટોળામાં ભળી ગયું. નવાઈ પામી બ્રહ્માનંદ બોલ્યાઃ ‘કોણ છે એ? પકડો એને!’ સુબોધાનંદનો બાલસહજ સ્વભાવ જોઈ સૌ હસી પડ્યા.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.