(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. શ્રી હર્ષદભાઈ પટેલ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સંપાદકીય સહકાર સમિતિના સભ્ય છે. – સં.)

શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં ઉદ્‌ઘોષણા કરી છે કે ઈશ્વર યુગે યુગે અવતરે છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં શ્રીરામકૃષ્ણે કેટલાંક સ્થાનો પર પોતાના પુનઃ અવતરણ અંગે કરેલ સ્પષ્ટ સૂચનો જોવા મળે છે, વળી કેટલાંક સ્થળોએ તેમણે કરેલ પરોક્ષ વિધાનો જોવા મળે છે, ૨૪ ડિસેમ્બર, ૧૮૮૩ના રોજ ઠાકુરે શ્રી‘મ.’ને કહ્યું:

હજી એક વાર મારે આવવું પડશે. એટલા માટે હું (મારા) પાર્ષદોને સંપૂર્ણ જ્ઞાન આપતો નથી. (હસીને) તમને જો બધું જ જ્ઞાન આપી દઉં તો પછી તમે લોકો પણ જલદી મારી પાસે આવો પણ શેના?

૯ ઓગસ્ટ, ૧૮૮૫ના રોજ ઠાકુરે મહિમાચરણને કહ્યું હતું: જે બધા યુવકો અહીં આવે છે તેમણે બે બાબતો જાણી લેવી જોઈએ એટલે થયું. તો પછી તેમને વધુ સાધન-ભજન કરવાનું રહે નહીં. પહેલું હું કોણ; ત્યાર પછી તેઓ કોણ? છોકરાઓમાંથી ઘણાય (મારા) અંતરંગ. જેઓ અંતરંગ છે તેમની મુક્તિ થશે નહીં. માટે ફરી વાર વાયવ્ય દિશામાં માનવદેહ ધારણ કરવો પડશે. ૧૮૯૫માં સ્વામીજીએ સ્વામી રામકૃષ્ણાનંદને અમેરિકાથી પત્ર લખ્યો હતો, ‘શ્રીરામકૃષ્ણદેવે અવતાર ધારણ કર્યો તે દિવસથી સત્યયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે.’

શ્રીમાએ પણ સંમતિસૂચક શબ્દોમાં કહ્યું હતું, ‘ઠાકુરના આવિર્ભાવથી સત્યયુગનો પ્રારંભ થયો છે. ઘણાય પાર્ષદો તેમના સંગમાં આવ્યા છે. અગણિત લોકો જન્મે છે અને મરે છે. પરંતુ અંતરંગ પાર્ષદો અવતારકાર્ય સિદ્ધ કરવા તેમની સાથે આવે છે.’

સત્યયુગમાં લોકો સુખ અને શાંતિ ઝંખે છે. પરંતુ શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ થયે ૨૮ વર્ષ વીત્યાં હતાં અને પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લાખો લોકોનો સંહાર થયો. શ્રીમાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વરસાદ પડતા પહેલાં વંટોળ આવે છે, ધૂળના ગોટા ઉડાડીને વંટોળ લોકોની દૃષ્ટિને ધૂંધળી બનાવે દે છે, વૃક્ષો ઉખેડી નાખે છે અને ઘરબારનો વિનાશ કરે છે. પછી વરસાદનું આગમન થતાં ધૂળ ભોંયે બેસાડી દે છે કે જેથી લોકો પુનઃ સ્પષ્ટપણે જોઈને નિહાળી શકે છે, તેવી જ રીતે, અવતારનું આગમન થતાં ભયાનક વિનાશ દ્વારા સમાજમાંથી સઘળો અનાચાર, જૂઠાણું, પાખંડ, લોભ અને અશુભનો અંત આવે છે. એ સમયે ધર્મ અર્થાત્‌ સદાચારનું રાજ્ય પ્રવર્તે છે.

જેમ ઠાકુર યુગે યુગે અવતરે છે, તેમ શ્રીમા પણ ધર્મ-સંસ્થાપન અને જગ-કલ્યાણ અર્થે તેમની સાથે અવતાર ધારણ કરે છે.

મિદનાપુરના નલિન બિહારી સરકારે શ્રીમાને પૂછ્યું હતું, ‘મા, તમે બધા અવતારો સાથે આવો છો?’ શ્રીમાએ જવાબ આપ્યો હતો, ‘હા, મારા દીકરા.’

ઉપલબ્ધ નોંધો જોતાં શ્રીરામકૃષ્ણે ક્યારેય પ્રત્યક્ષ અને સ્પષ્ટ નિર્દેશ કર્યો ન હતો કે પોતે ફરીથી ક્યારે અવતરશે. કેટલાક લોકો કહે છે કે તેઓ પોતાની મહાસમાધિ બાદ ૧૦૦ વર્ષ પછી અવતરશે અને કેટલાકનું કહેવું છે કે, તેઓ ૨૦૦ વર્ષ પછી અવતરશે.

એવું લાગે છે કે તેઓ સત્વરે અવતાર ધારણ કરશે કારણ કે, વર્તમાન સમયમાં જગત હિંસા, ઘૃણા, તિરસ્કાર અને યુદ્ધના પ્રગાઢ અંધકારમાં અટવાયું છે. લોકો શાંતિ અને આનંદ માટે તડપે છે. શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘જ્યાં જ્યાં જગદંબાના રાજ્યમાં ગરબડ જણાય છે, ત્યાં ત્યાં મારે તેને રોકવા દોડી જવું પડશે, જેમ સરકારી અધિકારી કરે છે.’ તેથી ઈશ્વરે પીડિત માનવજાતની સેવાનું પોતાનું અવતારકાર્ય પૂર્ણ કરવા માટે યુગે યુગે અવતાર લેવો જ પડે.

શ્રીમાએ જુદા જુદા પ્રસંગોએ ઠાકુરના પુનઃ અવતરણ અંગે વિભિન્ન મંતવ્યો પ્રગટ કર્યાં હતાં. એક વાર તેમણે યાદ કરીને કહ્યું હતું, “ઠાકુરે કહ્યું હતું કે તેઓ ૧૦૦ વર્ષ પછી ફરીથી આવશે. તે દરમિયાન એ ૧૦૦ વર્ષ સુધી જેઓ તેમને ચાહે છે તે સંતાનોના હૃદયમાં નિવાસ કરશે. દક્ષિણેશ્વરમાંના તેમના ઓરડાની પશ્ચિમ તરફની અર્ધગોળાકાર ઓસરીમાં ઊભા રહીને વાયવ્ય દિશા તરફ આંગળી ચીંધીને આમ કહ્યું હતું. મેં તેમને કહ્યું હતું કે હું ફરીથી નહીં આવું. લક્ષ્મીએ પણ કહ્યું હતું કે તે નહીં આવે, ભલેને તમાકુના પાંદડાની માફક વાટીને તેમનો ભુક્કો કરી નાખવામાં આવે. ઠાકુરે હસીને કહ્યું હતું, ‘તમે આવવાનું કેમ કરીને રોકી શકવાનાં છો? કલમીના છોડની જેમ આપણાં મૂળ સંગાથે વીંટળાઈ ગયાં છે. એક ડાળી ખેંચો અને આખુંય ઝૂમખું તણાઈ આવશે.’”

શ્રીમાએ એમ પણ કહ્યું હતું, ‘ઠાકુરે કહ્યું છે કે તેઓ પોતાના ભક્તોના હૃદયમાં સૂક્ષ્મરૂપે ૧૦૦ વર્ષ સુધી વાસ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના ઘણા બધા ભક્તો ગૌર વર્ણના હશે.’ શ્રીરામકૃષ્ણ કેવી રીતે પુનઃ અવતરશે એ સંબંધિત તેમના પ્રત્યક્ષ વિધાનનો શ્રીરામકૃષ્ણ કથામૃત કે શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગમાં સમાવેશ થયેલો નથી. જો કે ૧૫ માર્ચ, ૧૮૮૬ની નોંધમાં શ્રી‘મ.’એ લખ્યું હતું:

શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘બાઉલ (સંપ્રદાય)ની કીર્તન મંડળી અચાનક આવી, કીર્તન કર્યાં, નાચ્યા, ગીત ગાયાં અને અચાનક ચાલી ગઈ! આવી અને ગઈ, કોઈએ ઓળખી નહીં.’

૯ ફેબ્રુઆરી, ૧૯૧૨ના રોજ ગૌરીમાએ કહ્યું હતું, “ઠાકુરે કહ્યું હતું કે તેઓ હજી બીજી બે વાર આવશે. એક વાર બાઉલ તરીકે આવશે. શ્રીમાએ કહ્યું, ‘હા, એમણે કહ્યું હતું કે ત્યારે મારા હાથમાં એમનો હુક્કો હશે, પથ્થરનું ભાંગેલું પાત્ર તેમના હાથમાં હશે; કદાચ ભાંગેલી કડાઈમાં રસોઈ થશે અને એ કોઈ દિશા તરફ જોયા વગર ચાલ્યા જશે.’”

શ્રીમાએ બોલવાનું ચાલુ રાખ્યું, “(ઠાકુરની મહાસમાધિ બાદ) અમે રેલવે દ્વારા વૃંદાવન ગયાં હતાં. લાટુ, યોગીન અને કાલી રેલવેમાંથી નીચે ઊતર્યા. ગોલાપ તેમને ગાડીમાંથી સામાન ઉતારીને આપી રહી હતી. હું ગાડીમાંથી ઊતરતી હતી ત્યારે ગોલાપે મારા હાથમાં લાટુનો હુક્કો આપ્યો. લક્ષ્મીએ મને યાદ દેવડાવ્યું, ‘કાકી, ઠાકુરે કહ્યું હતું તેમ આ તમારું હાથમાં હુક્કો લેવાનું થઈ ગયું,’”

તરત જ મેં કહ્યું, “‘ઠાકુર, ઠાકુર! આ મારું હાથમાં હુક્કો લેવાનું પૂરું થયું?’ આમ કહી મેં હુક્કો જમીન પર ફેંકી દીધો.”

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.