(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. – સં.)

શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી, હું તમારી સાચુકલી મા છું. સ્વયં જગજ્જનનીએ અત્યારના માનવને કેટલો મોટો આધાર આપ્યો છે!! એટલે જ શાંતિ મેળવવા માટે, દિવ્યતા પ્રાપ્ત કરવા માટે તાપી, દુઃખી, સાધુ, ભક્તો શ્રીશ્રીમા શારદાદેવી પાસે ઉદ્‌બોધન કે જયરામવાટી દોડી જતા.

સને ૧૯૧૮ના નવેમ્બરમાં ‘ઉદ્‌બોધન’માં એક વખત રાત્રે દસ વાગ્યે સ્વામી સારદાનંદજીના કહેવાથી એક બ્રહ્મચારીએ નીચે ઊતરીને જોયું કે શ્રીમા શારદાદેવીના ગામના વૃદ્ધ નફરચંદ્ર કોલ એમનાં દર્શન કરવા આવ્યા હતા. સારદાનંદજીના કહેવાથી બ્રહ્મચારીએ એમના આગમનની ખબર શ્રીમા શારદાદેવીને આપી અને પછીથી એમની પાસે લઈ ગયા. શ્રીમા શારદાદેવીનાં ચરણો પકડી એ વૃદ્ધ રડવા લાગ્યા ને કહેવા લાગ્યાઃ ‘મા, ખૂબ વિપત્તિમાં પડી આપની પાસે દોડી આવ્યો છું. ઇન્ફલુએન્ઝાને લીધે મારી કેટલીક પૌત્રીઓ ને એક પૌત્ર મરી ગયાં છે ને હવે પાછી કેટલીક પૌત્રીઓ ને એકનો એક પૌત્ર સખત માંદાં પડ્યાં છે. મા, આપ આશીર્વાદ આપો કે મારો વંશ બચી જાય.’ શ્રીમા શારદાદેવી બોલ્યાંઃ ‘આ શું? તમે આવી આશંકા શા માટે કરો છો? તમે તો શ્રીમંત છો, ભાગ્યશાળી છો.’ નફરચંદ્ર બોલ્યાઃ ‘ના મા, હું કંઈ સાંભળવા નથી માગતો. આ ઉંમરે એકના એક પૌત્રના મૃત્યુનો શોક મારે ન સહેવો પડે એમ કરી આપો.’ આમ કહી ખૂબ રડવા લાગ્યા. શ્રીમા શારદાદેવી બોલ્યાંઃ ‘તમે આટલા બેચેન શા માટે થાઓ છો? ઊભા થાઓ. હું ઠાકુરને જણાવું છું.’ નફરચંદ્રે તોપણ પોતાની પ્રાર્થના ચાલુ રાખી ત્યારે ગંભીર અવાજે અભયદાન આપતાં શ્રીમા શારદાદેવી બોલ્યાંઃ ‘ના, તમારે ભય પામવાની જરૂર નથી.’ આંસુ લૂછી નફરચંદ્ર સહર્ષ નીચે ઊતરી ગયા. શ્રીમા શારદાદેવીએ એમને માટે ભોગમાં ધરાવેલી મીઠાઈઓ મોકલી. શ્રીમા શારદાદેવીના આશીર્વાદથી એ વૃદ્ધની ઇચ્છા પૂર્ણ થઈ.

એક યુવક બેલુર મઠમાં આવે છે. મહાપુરુષ મહારાજ તેમને શ્રીશ્રીમાનાં દર્શન કરવા માટે ઉદ્‌બોધનમાં મોકલે છે. ઉદ્‌બોધનમાં આવીને તપાસ કરતાં માલૂમ પડે છે કે આજે માનાં દર્શન નહીં થાય. ભક્ત બોલ્યો, ‘ઘણી મોટી આશા લઈને આવ્યો હતો. શ્રીમા વિશે કેટકેટલું સાંભળ્યું હતું! જગજ્જનની, જગદંબા છે, મારામાં કંઈક ખોટ હશે એટલે દર્શન ન થયાં. સાંભળ્યું કે ઉદ્‌બોધનની પાસે જ ભક્ત પ્રવર બલરામ બસુના ઘરે પરમ પૂજ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ તથા પરમ પૂજ્ય સ્વામી તુરીયાનંદ મહારાજ નિવાસ કરે છે.’ તેમનાં પુણ્યદર્શને જવાયું. બંને મહારાજે આશીર્વાદ આપી સાંત્વના આપી. સ્વામી તુરીયાનંદ મહારાજે કહ્યું: ‘એમ કાંઈ સહજતાથી માનાં દર્શન થાય? આ તો તારી વ્યાકુળતા વધારવા માટે જ માએ દર્શન નહીં દીધા હોય. હૃદયમાં અભાવ જણાશે ત્યારે ઠીક સમયે શ્રીમા દર્શન આપશે. ખૂબ રોઈ રોઈને પ્રાર્થના કરવી જોઈએ. મા પ્રસન્ન થઈ કૃપા કરી જરૂરથી દર્શન આપશે.’ શ્રીમાનાં દર્શન માટે આટલી બધી તૈયારીની જરૂર હોય એની તો મને કલ્પના જ ન હતી! આતુરતાપૂર્વક બીજા દિવસની રાહ જોવા લાગ્યો. ફરી ઉદ્‌બોધનમાં ગયો તો જાણવા મળ્યું કે આજે ફરી વિશેષ કારણોસર શ્રીશ્રીમાનાં દર્શન નહીં થાય! હૃદયમાં શૂન્યાવકાશ વ્યાપી ગયો. ખૂબ દુઃખ થયું. બલરામ બસુને ઘરે ગયો, ત્યાં પણ બંને મહારાજનાં દર્શન ન થયાં. એક એક દિવસ જાણે એક એક યુગ સમાન થયો. આખો દિવસ શ્રીમાને ખૂબ પ્રાર્થના કરી. બીજે દિવસે સવારે ગંગાસ્નાન કરી ધ્યાન કરવા બેઠો ત્યારે એક સુંદર માતૃમૂર્તિનાં દર્શન થયાં. બીજે દિવસે ફરી ઉદ્‌બોધનમાં ગયો, આજે શ્રીમાનાં દર્શન થશે તેવું જાણવા મળ્યું. હું પુરુષોની લાઇનમાં ઊભો રહી ગયો. એક એક પડિયામાં શ્રીમાએ પોતે તૈયાર કરેલ ફળપ્રસાદ ભક્તો માટે મોકલ્યો હતો તે પ્રાપ્ત થયો. સમય થતાં બધાને પ્રણામ કરવા માટે બોલાવવામાં આવ્યા. હું તો સૌથી છેલ્લે રહ્યો, એટલા માટે કે શ્રીમાનાં દર્શન વધુ સમય સુધી થાય.

તો વળી પાછું મનમાં થયું કે અરે, થોડા લોકોનાં દર્શન પછી વળી મા ચાલ્યા જશે તો! અને મને દર્શન નહીં થાય તો? પણ બીજો કોઈ ઉપાય હતો નહિ, દોડીને આગળ જવાય તેમ હતું નહીં. બધા પુરુષો એક એક કરીને શ્રીમાને પ્રણામ કરીને બીજી તરફ ચાલ્યા જતા હતા. હું સૌથી છેલ્લે હતો અને પ્રાર્થના કરતો હતો. શ્રીશ્રીમા આખા શરીરે શ્વેત વસ્ત્રથી ઢંકાયેલાં હતાં! તેમનાં ચરણકમળ પણ વસ્ત્રથી ઢંકાયેલાં હતાં! શ્રીશ્રીમાનાં ચરણ પાસે રહેલ લાકડાના કઠેડા ઉપર માથું રાખી આંસુ સાથે પ્રાર્થના કરવા લાગ્યો, ‘મા, તમારાં દર્શન નહીં થાય!’

અચાનક શ્રીશ્રીમાએ પોતાનો ઘૂંઘટ ખોલી નાખ્યો અને દર્શન આપ્યાં! સ્નેહ અને કરુણામયી માતૃમૂર્તિ! પોતાના હાથ વડે મારાં આંસુ લૂછી નાખ્યાં! હાથ વડે ચુંબન લઈ પોતાના હોઠ પર લગાડ્યાં. (બંગાળી રીતિ અનુસાર) શ્રીશ્રીમાનાં દર્શન કરીને ભાવવિભોર બની ગયો. અત્યંત સ્નેહભર્યા કંઠે શ્રીમાએ કહ્યું, ‘બેટા, પ્રસાદ મળ્યો?’ એટલું જ બોલી શકાયું, ‘હા, મા.’ શ્રીમાના મુખ સામે જોઈ હું અચંબિત બની ગયો! આજે સવારે ધ્યાનમાં જે માતૃમૂર્તિનાં દર્શન કર્યાં હતાં એ જ તો શ્રીમા છે!! શ્રીશ્રીમાને વધુ પૂછી ના શક્યો કે કંઈ બોલી ન શક્યો. ધીરે ધીરે દરવાજા તરફ ચાલતો થયો. ફરી શ્રીમાના તરફ દૃષ્ટિ કરી, શ્રીશ્રીમાની કરુણાપૂર્ણ દૃષ્ટિ હજુ પણ મારા પર જ હતી!! આજે ભલે હું શ્રીમાથી દૂર હોઉં પરંતુ શ્રીમાની કરુણાપૂર્ણ દૃષ્ટિથી હું ક્યારેય ઓઝલ નથી થયો! જય મા!! આ યુવક પાછળથી રામકૃષ્ણ મઠ-મિશનમાં જોડાયો અને સંન્યાસી બનીને સ્વામી અપૂર્વાનંદ નામ ધારણ કર્યું.

શ્રીશ્રીમા હવે તો દેહમાં નથી, તો પછી આપણે ક્યાં દોડીને જવું. પરંતુ હવે તો આપણે વધુ સુવિધા થઈ ગઈ છે: શ્રીમા સર્વવ્યાપક બની ગયાં છે! દુઃખી, તાપી, રોગી, ધની, દરિદ્ર, સાધક, સાધુ, ભક્તો બધાં માટે હંમેશાં માટે અબાધિતપણે દ્વાર ખુલ્લાં થઈ ગયાં છે! શ્રીમાએ પોતે કહ્યું છે, ‘જ્યારે તમે વિપત્તિમાં હો કે દુઃખી હો ત્યારે જાણજો કે મારે એક મા છે.’ શ્રીઠાકુરને પણ શ્રીમાએ કહી દીધું હતું કે મા કહીને જો કોઈ મારી પાસે આવશે, એમને હું ના પાડી શકીશ નહીં!! એક વાર શ્રીશ્રીમાએ ઉત્સવના દિવસે એક સાધુને કહ્યું કે અહીં હાજર બધાં લોકો વતી પુષ્પાંજલિ આપ, જે અહીં આવી શક્યા નથી તેમના વતી પણ પુષ્પાંજલિ આપ અને જે હવે આવવાના છે તેમના વતી પણ પુષ્પાંજલિ આપ! કેવી ઉદાર, વ્યાપક, પરિપૂર્ણ અને કરુણામય દૃષ્ટિ! આપણે બસ શ્રદ્ધા અને શરણાગતિથી એટલું જ સમજવાનું છે કે મારે એક મા છે. છાયા-કાયા સમાન! અમારા એક વરિષ્ઠ સંન્યાસીએ પોતાના ઓરડામાં શ્રીમાનો ફોટો રાખ્યો છે. જ્યારે પણ બહાર જાય ત્યારે જાણે પોતાના ઘરમાં મા બેઠાં હોય એવી રીતે માને કહે, ‘મા, બહાર જાઉં છું’, એમ કરીને ઓરડામાંથી બહાર નીકળે, કાર્ય પૂર્ણ કરી વળી પાછા જ્યારે પોતાના ઓરડામાં ફરી માની છબી પાસે જાય અને કહે, ‘મા, હું આવી ગયો!’ જાણે સાચુકલાં મા બેઠાં હોય, કેવી તો શ્રદ્ધા!

શ્રીશ્રીમાના સંન્યાસી શિષ્ય સ્વામી શાંતાનંદજી મહારાજ એક દિવ્ય મહાપુરુષ હતા! તેમને નાદબ્રહ્મ સંભળાતો. તેઓ બ્રહ્મજ્ઞ મહાપુરુષ હતા. વૃદ્ધાવસ્થામાં તેઓ વારાણસી આશ્રમમાં રહેતા હતા. ત્યાં તેમની સેવા બ્રહ્મચારી સલિલ ખૂબ જ પ્રેમ, શ્રદ્ધા અને નિષ્ઠાથી કરતા હતા. મહારાજની તબિયત બગડતાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે તેમને તે વખતે ભયંકર ગણાતો ચેપી રોગ ટીબી થયો છે. બ્રહ્મચારીને જાણ કરવામાં આવી કે હવે તે મહારાજ પાસે ન જાય. હવે દૂરથી તેમની સેવા કરવામાં આવશે, કારણ કે આ રોગ ભયંકર અને ચેપી છે. ચેપી રોગથી પોતાના પ્રાણની પરવા કર્યા વગર કોઈ પણ જાતના ખચકાટ વગર બ્રહ્મચારી મહારાજ સ્વામી શાંતાનંદજી મહારાજની સેવા પહેલાંની જેમ જ કરતા રહ્યા!

રોગ વકરતાં મહારાજને હવાફેર કરવાના બહાને રાંચીના ટીબી સેનેટોરિયમમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સુધી મહારાજને આ રોગ થયો છે તેની ખબર જ ન‌હોતી! જ્યારે તેમણે ‘સેનેટોરિયમ, રાંચી’ બોર્ડ વાંચ્યું ત્યારે તેઓ અવાક બની ગયા અને પોતાને શું થયું છે, શું રોગ થયો છે તેની તપાસ કરતાં એક કર્મચારી સહાયકે કહી દીધું કે તમને તો ટીબીનો ભયંકર રોગ થયો છે! મહારાજ વિચારવા લાગ્યા કે જે ઘનિષ્ઠતા અને આત્મીયતા સાથે આ બ્રહ્મચારી મહારાજે મારી જે સેવા કરી છે એ જોતાં તેને ચેપ લાગી જ ગયો હશે, અરેરે! આ તો હજુ જુવાન છે, આખું જીવન તેની સામે છે, પોતાના પ્રાણની પરવા કર્યા વગર તેમણે મારી સેવા કરી! પૂજ્ય મહારાજ અત્યંત ગંભીર અને મૌન બની ગયા અને ખાવા-પીવાનું છોડી શ્રીમા શારદાદેવીને પ્રાર્થના કરવા લાગ્યા. ખોરાક લેવા માટે બધા જ ઘણું સમજાવે છે, બ્રહ્મચારી મહારાજ રડે છે, પરંતુ મહારાજ પાણી પણ લેતા નથી! ત્રીજે દિવસે સવારે પાસે બેઠેલા બ્રહ્મચારી મહારાજ‌ પાસે પૂજ્ય મહારાજે પાણી માગ્યું, બ્રહ્મચારી મહારાજ ખૂબ જ રાજી થયા. તરત જ મહારાજને પીવા માટે પાણી આપે છે અને પૂછે છે, ‘મહારાજ, તમે શા માટે ખોરાક બંધ કરી દીધો અને મૌન બની ગયા હતા?’

પૂજ્ય મહારાજે કહ્યું, “શ્રીશ્રીમાને અંતરથી પ્રાર્થના કરી, ‘હે મા! આ બ્રહ્મચારીનું જીવન જોખમમાં આવી ગયું છે, તેની રક્ષા કરજો.’ ગઈકાલે રાત્રે શ્રીમા આવ્યાં અને કહ્યું, ‘મને ખબર નથી તે તારી સેવા કરે છે? તેને કશું નહીં થાય, તે ટીબીથી નહીં મરે!’ શ્રીશ્રીમાના અભયદાનથી મને શાંતિ મળી છે.” સાચે જ આ બ્રહ્મચારી મહારાજ અત્યારે રામકૃષ્ણ મઠ-મિશનના એક વરિષ્ઠ સંન્યાસી છે અને આજે પણ જીવે છે! શ્રીશ્રીમાની અમોઘ કૃપા!

શ્રીશ્રીમા શારદાદેવી આજે પણ પ્રાર્થના સાંભળે છે. લેખક સંન્યાસીને નર્મદા પરિક્રમા જવા માટે ખૂબ ઇચ્છા થઈ. નર્મદા પરિક્રમા અત્યંત લાંબી, કઠિન અને જોખમી છે. સંન્યાસી ઠાકુર અને શ્રીમાને ખૂબ પ્રાર્થના કરે છે. નિર્ધારિત દિવસે આશ્રમની ગાડી સંન્યાસીને રેલવે સ્ટેશનને પહોંચાડવા જવાની છે. હજુ તો સંન્યાસી આશ્રમના મેદાનમાં ઊભા છે ત્યાં કેટલાક ભક્તો તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા. તેમાંના એક ભક્તે શુભેચ્છાઓ આપી અને પોતાના થેલામાંથી લેમિનેશન કરેલ નાનકડો નર્મદામૈયાનો એક ફોટો સંન્યાસીના હાથમાં મૂકતાં કહ્યું, ‘મહારાજ, મેં પણ નર્મદા પરિક્રમા કરેલ છે, ત્યારે આ ફોટો મારી સાથે પૂજામાં રાખેલ હતો, એ તમને પણ પૂજામાં કામ લાગશે!’ સંન્યાસી એકદમ ભાવવિભોર થઈ ગયા અને મનમાં દૃઢતા સાથે એવું લાગ્યું કે જાણે શ્રીમાએ નર્મદામૈયાને અહીં બોલાવ્યાં છે અને જાણે કહેતાં હોય કે આ બાળકને સોંપું છું. ફરી પાછો સાજો-નરવો મોકલવાનો છે.’ અને ખરેખર શું કહું! નર્મદા પરિક્રમા વિશે વિધિ, વિધાન, નિયમો, સામગ્રી કશું જાણતો નહોતો પરંતુ બધું જ અનાયાસે જ્યારે જે જરૂરી હોય તે ગોઠવાઈ જતું હતું! દોઢ વર્ષ સુધી આપણા જ કોઈ આશ્રમમાં હોય તેવું લાગતું હતું! નર્મદામૈયાનો કોઈ વિશેષ અતિથિ હોય તેમ આનંદપૂર્વક પરિક્રમા પૂર્ણ કરી! રાજરાજેશ્વરી શ્રીશ્રીમાની અસીમ કૃપા!

એક ભક્તને પત્ની સાથે ખટરાગ થતાં, અદાલતના કાવાદાવામાં એવો તો ફસાયો! એને પણ કેટલુંય સાચું-ખોટું કરવું પડતું, પણ તેના મનને ખૂબ જ આઘાત લાગતો અને એકાંતમાં રડી રડી શ્રીશ્રીમાને પ્રાર્થના કરતો. થોડો વખત તો થયો પણ તે અદાલતની ચુંગલમાંથી બહાર નીકળી ગયો! પ્રાર્થનાની કેવી અમોઘ શક્તિ!! આવાં તો અનેક ઉદાહરણો છે!

પ્રાર્થના કરવાની પણ શું જરૂર? શું માને ખબર નથી કે પોતાના બાળકને અત્યારે શેની જરૂરિયાત છે? જો આપણે શ્રીશ્રીમાને પોતાની સાચુકલી મા માનીએ તો? મુખત્યારનામું આપીએ તો પ્રાર્થનાની પણ શું જરૂર? અનંત ધૈર્યની જરૂર! શ્રીમાએ કહ્યું છે, ‘ભદ્ર લોકેર એકટી કથા.’ સજ્જન માણસને વારેવારે કહેવું પડે નહીં, તે ભૂલે પણ નહીં અને મોડું પણ ન કરે!

કાં તો પાત્રતાના અભાવને કારણે કે કોઈ પ્રારબ્ધભોગના કારણે જ તો પ્રાર્થના સફળ થવામાં વિલંબ! પણ શ્રીશ્રીમાના દ્વારે ઝોળી ફેલાવી બેઠા છીએ, ‘મારો કે તારો, બધું તમારા હાથમાં મા! અમે કશું ન‌ જાણીએ.’ બંગાળી ગીતનો ભાવાર્થ છે:

‘સકળ તમારી ઇચ્છા, ઇચ્છામયી તારા તમે,
તવ કર્મ તમે કરો, લોકો બોલે કરીએ અમે…
પંકમાંહી બાંધો હાથી, પંગુથી ઓળંગાવો ગિરિ;
કોઈને આપો બ્રહ્મપદ; કોઈને કરો અધોગામી…
અમે યંત્ર, તમે ચાલક; અમે ઘર, તમે માલિક;
અમે રથ, તમે રથી; ચલાવો જેમ, તેમ ચાલી…’

હે મહાદેવી! યથાયોગ્યમ્ તથા કુરુ.

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.