(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું. તે વક્તવ્ય અહીં પ્રસ્તુત છે. – સં.)
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પરમ આદરણીય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, દેશ-વિદેશના આદરણીય સંતો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!
ગુજરાતનો પુત્ર હોવાના નાતે હું આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું. હું મા શારદાદેવી, ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને તેમના પવિત્ર ચરણોમાં વંદન કરું છું. શ્રીમત્ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હું તેમના ચરણોમાં પણ પ્રણામ કરું છું.
મહાન વ્યક્તિત્વોની ઊર્જા ઘણી સદીઓથી વિશ્વમાં સકારાત્મક સર્જનનું વિસ્તરણ કરતી રહી છે. તેથી જ આજે સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી પર આપણે આવા પવિત્ર કાર્યના સાક્ષી બન્યા છીએ. લેખંબામાં નવનિર્મિત ‘પ્રાર્થના હોલ’ અને ‘સાધુ નિવાસ’ ભારતની સંત પરંપરાને પોષશે. અહીંથી સેવા અને શિક્ષણની યાત્રા શરૂ થઈ રહી છે, જેનો લાભ આવનારી ઘણી પેઢીઓને થશે. શ્રીરામકૃષ્ણદેવનું મંદિર, ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ અને ભક્તોનું નિવાસસ્થાન, આ બધાં આધ્યાત્મિકતા ફેલાવવા અને માનવતાની સેવાનું માધ્યમ બનશે. અને એક રીતે, મને ગુજરાતમાં બીજું ઘર મળ્યું છે. કોઈ પણ રીતે, હું સંતો વચ્ચેના આધ્યાત્મિક વાતાવરણમાં ખૂબ આનંદ અનુભવું છું. આ અવસર પર હું તમને બધાને અભિનંદન આપું છું અને મારી શુભેચ્છાઓ પાઠવું છું.
સાણંદના આ વિસ્તાર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. મારા ઘણા જૂના મિત્રો અને આધ્યાત્મિક ભાઈઓ પણ આ કાર્યક્રમમાં છે. મેં મારા જીવનનો ઘણો સમય તમારામાંથી ઘણા લોકો સાથે અહીં વિતાવ્યો છે, ઘણા બધા ઘરોમાં રહ્યો છું, ઘણા પરિવારોમાં માતાઓ અને બહેનો દ્વારા રાંધેલું ભોજન ખાધું છે, તેમના સુખ-દુઃખમાં સહભાગી બન્યો છું. મારા એ મિત્રોને ખબર હશે કે આપણે આ વિસ્તાર અને અહીંના લોકોમાં કેટલો સંઘર્ષ જોયો છે! આજે આપણે આ ક્ષેત્રનો જરૂરી આર્થિક વિકાસ જોઈ રહ્યા છીએ.
મને જૂનો સમય યાદ છે કે પહેલાં બસમાં જવાનું હોય તો સવારે એક બસ હતી અને સાંજે પણ એક જ બસ આવતી. તેથી જ મોટાભાગના લોકો સાયકલ દ્વારા જવાનું પસંદ કરતા હતા. તેથી જ હું આ વિસ્તારને સારી રીતે જાણું છું. જાણે કે હું તેના દરેક અંગ સાથે જોડાયેલો છું. હું માનું છું કે અમારા પ્રયાસો અને નીતિઓની સાથે આપ સૌ સંતોના આશીર્વાદ પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે. હવે સમય બદલાયો છે અને સમાજની જરૂરિયાતો પણ બદલાઈ ગઈ છે. હવે હું ઇચ્છું છું કે આપણો આ વિસ્તાર આર્થિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસનું કેન્દ્ર બને. કારણ કે, સંતુલિત જીવન માટે અર્થની સાથે આધ્યાત્મિકતા પણ એટલી જ જરૂરી છે. અને હું ખુશ છું, સાણંદ અને ગુજરાત આપણા સંતો અને મુનિઓના માર્ગદર્શન હેઠળ આ દિશામાં આગળ વધી રહ્યાં છે.
ઝાડનાં ફળ અને તેની શક્તિ તેનાં બીજ દ્વારા ઓળખાય છે. રામકૃષ્ણ મઠ એ વૃક્ષ છે, જેના બીજમાં સ્વામી વિવેકાનંદ જેવા મહાન તપસ્વીની અનંત શક્તિ રહેલી છે. તેથી જ તેનું સતત વિસ્તરણ માનવતાને જે છાંયો પ્રદાન કરે છે તે અનંત, અમર્યાદિત છે. રામકૃષ્ણ મઠના મૂળમાં રહેલા વિચારોને જાણવા માટે સ્વામી વિવેકાનંદને જાણવા ખૂબ જ જરૂરી છે, એટલું જ નહીં, દરેક વ્યક્તિએ તેમના વિચારોને જીવી બતાવવા પડશે. અને જ્યારે તમે એ વિચારો જીવવાનું શીખો છો, ત્યારે મેં જાતે અનુભવ્યું છે કે કેવી રીતે એક અલગ પ્રકાશ તમને માર્ગદર્શન આપે છે. સૌ જાણે છે કે રામકૃષ્ણ મિશન, રામકૃષ્ણ મિશનના સંતો અને સ્વામી વિવેકાનંદના વિચારોએ મારા જીવનને કેવી દિશા આપી છે! તેથી જ જ્યારે પણ મને તક મળે છે, ત્યારે હું મારા આ પરિવારમાં આવવાનો અને તમારી સાથે જોડાવવાનો પ્રયત્ન કરું છું. સંતોના આશીર્વાદથી, હું મિશન સંબંધિત ઘણાં કાર્યોમાં નિમિત્ત બન્યો છું. 2005માં મને વડોદરામાં ‘દિલારામ બંગલો’ રામકૃષ્ણ મિશનને સોંપવાનો લહાવો મળ્યો. સ્વામી વિવેકાનંદજીએ અહીં થોડો સમય વિતાવ્યો હતો. હું ભાગ્યશાળી છું કે પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પોતે હાજર હતા, કારણ કે મને તેમની આંગળી પકડીને ચાલતાં શીખવાની તક મળી, મને મારી આધ્યાત્મિક યાત્રામાં તેમનો સાથ મળ્યો. અને તે મારું સદ્ભાગ્ય હતું કે મેં તે બંગલાના દસ્તાવેજો તેમને સોંપ્યા હતા. તે સમયથી મને સ્વામી આત્મસ્થાનંદજી તરફથી સતત સ્નેહ મળી રહ્યો, મારા જીવનની અંતિમ ક્ષણ સુધી તેમનો પ્રેમ અને આશીર્વાદ મારા જીવનની મોટી સંપત્તિ છે.
સમયાંતરે મને મિશનનાં આયોજનો અને કાર્યક્રમોમાં ભાગીદાર બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે વિશ્વભરમાં રામકૃષ્ણ મિશનનાં 280 થી વધુ શાખાકેન્દ્રો છે, ભારતમાં લગભગ 1200થી વધુ રામકૃષ્ણ ભાવધારા સાથે સંકળાયેલાં પ્રચારકેન્દ્રો છે. આ કેન્દ્રો માનવ-સેવા કરવાના સંકલ્પના અધિષ્ઠાન તરીકે કામ કરી રહ્યાં છે. અને ગુજરાત લાંબા સમયથી રામકૃષ્ણ મિશનના સેવા-કાર્યનું સાક્ષી રહ્યું છે. કદાચ છેલ્લા ઘણા દાયકાઓમાં ગુજરાતમાં ગમે તેટલી કટોકટી આવી હોય, તમે હંમેશાં રામકૃષ્ણ મિશનને હાજર અને કાર્યરત જોશો.
જો હું બધી બાબતોને યાદ કરવાનો પ્રયત્ન કરું તો તે ઘણો લાંબો સમય લેશે. પરંતુ શું તમને યાદ છે કે તે સુરતમાં પૂરનો સમય હોય, મોરબીમાં ડેમ દુર્ઘટના પછીની ઘટનાઓ હોય કે ભુજમાં ભૂકંપ પછીના દિવસો, વિનાશના દિવસો હોય, કે દુકાળનો સમયગાળો હોય, અતિવૃષ્ટિનો સમયગાળો હોય… ગુજરાતમાં જ્યારે પણ આફત આવી છે ત્યારે રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા લોકો આગળ આવ્યા છે અને પીડિતોની વહારે થયા છે. રામકૃષ્ણ મિશને ભૂકંપથી નાશ પામેલી 80થી વધુ શાળાઓના પુનઃનિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગુજરાતની જનતા આજે પણ તે સેવાને યાદ કરે છે અને તેમાંથી પ્રેરણા લે છે.
સ્વામી વિવેકાનંદનો ગુજરાત સાથે ગાઢ આત્મીય સંબંધ રહ્યો છે, તેમની જીવનયાત્રામાં ગુજરાતનો મોટો ફાળો રહ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ ગુજરાતમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં જ સ્વામીજીને સૌ પ્રથમ શિકાગો વિશ્વધર્મ મહાસભા વિશે માહિતી મળી હતી. અહીં જ તેમણે અનેક શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરીને વેદાંતના પ્રચાર માટે પોતાને તૈયાર કર્યા. 1891 દરમિયાન, સ્વામીજી પોરબંદરના ભોજેશ્વર ભવનમાં કેટલાક મહિના રોકાયા હતા. ગુજરાત સરકારે સ્મારક મંદિર બનાવવા માટે આ ઇમારત પણ રામકૃષ્ણ મિશનને સોંપી હતી. તમને યાદ હશે કે ગુજરાત સરકારે 2012થી 2014 દરમિયાન સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતીની ઉજવણી કરી હતી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેનો સમાપન સમારોહ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભારત અને વિદેશના હજારો લોકો સહભાગી બન્યા હતા. મને સંતોષ છે કે સ્વામીજીના ગુજરાત સાથેના સંબંધોની યાદમાં, ગુજરાત સરકાર હવે ‘સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ’ના નિર્માણનું આયોજન કરી રહી છે.
ભાઈઓ અને બહેનો, સ્વામી વિવેકાનંદ આધુનિક વિજ્ઞાનના મહાન સમર્થક હતા. સ્વામી વિવેકાનંદ કહેતા કે વિજ્ઞાનનું મહત્ત્વ માત્ર વસ્તુઓ કે ઘટનાઓનું વર્ણન કરવામાં જ નથી, પરંતુ વિજ્ઞાનનું મહત્ત્વ આપણને પ્રેરણા આપવામાં અને વિકાસ કરવામાં રહેલું છે. આજે આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની વધતી જતી તાકાત, વિશ્વની ત્રીજી સૌથી મોટી ‘સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ’ તરીકે ભારતની નવી ઓળખ, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફનાં પગલાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં થઈ રહેલું આધુનિક બાંધકામ, ભારતે આપેલ વૈશ્વિક પડકારોના ઉકેલોની બાબતમાં આપણો ભારતદેશ; તેની જ્ઞાન-પરંપરાના આધારે, તેના વર્ષો જૂના ઉપદેશોના આધારે, આજે આપણો ભારતદેશ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.
સ્વામી વિવેકાનંદ માનતા હતા કે યુવાશક્તિ રાષ્ટ્રની કરોડરજ્જુ છે. સ્વામીજીનું તે નિવેદન, તે આહ્વાન ‘મને આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરેલા 100 યુવાનો આપો, હું ભારતનું પરિવર્તન કરીશ,’ તેનો સમય હવે આવી ગયો છે, આપણે તે જવાબદારી નિભાવીએ. આજે આપણે સુવર્ણયુગ તરફની નવી યાત્રા શરૂ કરી છે. આપણે ભારતના વિકાસ માટે અદમ્ય સંકલ્પ લીધો છે. આપણે તેને પૂર્ણ કરવો પડશે, તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવો પડશે. આજે ભારત વિશ્વનું સૌથી મોટું યુવારાષ્ટ્ર છે. આજે ભારતના યુવાનોએ વિશ્વમાં પોતાની ક્ષમતા અને સામર્થ્ય સાબિત કર્યાં છે.
તે ભારતની યુવાશક્તિ છે, જે આજે વિશ્વની મોટી કંપનીઓનું નેતૃત્વ કરી રહી છે. તે ભારતની યુવા શક્તિ છે, જેણે ભારતના વિકાસની જવાબદારી લીધી છે. આજે દેશ પાસે સમય છે, એક સંયોગ છે, એક સ્વપ્ન છે, એક સંકલ્પ છે અને અથાક પરિશ્રમની સંકલ્પથી સિદ્ધિની યાત્રા છે. તેથી, આપણે રાષ્ટ્રનિર્માણના દરેક ક્ષેત્રમાં નેતૃત્વ માટે યુવાનોને તૈયાર કરવાની જરૂર છે. આજે જરૂર છે ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોની જેમ આપણા યુવાનો રાજનીતિમાં પણ દેશનું નેતૃત્વ કરે. હવે આપણે રાજકારણને ફક્ત પરિવારના સભ્યો પર છોડી શકીએ નહીં, રાજકારણને તેમના પરિવારની સંપત્તિ માનનારાઓને રાજકારણ સોંપી ન શકીએ, તેથી અમે નવા વર્ષમાં એટલે કે 2025માં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પર 12 જાન્યુઆરી, 2025ના રોજ ‘યુવા દિવસ’ના અવસરે દિલ્હીમાં ‘Young Leaders Dialogue’નું આયોજન કરવામાં આવશે. જેમાં દેશમાંથી પસંદગીના 2000 યુવાનોને બોલાવવામાં આવશે. ટેક્નોલોજી દ્વારા દેશભરમાંથી કરોડો અન્ય યુવાનો તેમાં જોડાશે. યુવાનોના પરિપ્રેક્ષ્યમાં વિકસિત ભારતના સંકલ્પની ચર્ચા કરવામાં આવશે. યુવાનોને રાજકારણ સાથે જોડવા માટે રોડમેપ બનાવવામાં આવશે. અમારો સંકલ્પ છે કે અમે આવનારા સમયમાં એક લાખ પ્રતિભાશાળી અને મહેનતુ યુવાનોને રાજકારણમાં લાવીશું. અને આ યુવાનો 21મી સદીના ભારતીય રાજકારણનો નવો ચહેરો બનશે, તેઓ દેશનું ભવિષ્ય બનશે.
આ શુભ અવસર પર, આ ભૂમિને સુધારનાર બે મહત્ત્વપૂર્ણ વિચારોને યાદ રાખવા પણ જરૂરી છે. આધ્યાત્મિકતા અને દીર્ઘકાલીન વિકાસ. આ બે વિચારોનો સુમેળ સાધીને આપણે વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદે આધ્યાત્મિકતાની વ્યવહારિક બાજુ પર ભાર મૂક્યો હતો. તેમને એવી આધ્યાત્મિકતા જોઈતી હતી, જે સમાજની જરૂરિયાતો પૂરી કરી શકે. વિચારોની શુદ્ધિની સાથે સાથે પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા પર પણ ભાર મૂક્યો હતો. આર્થિક વિકાસ, સામાજિક કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન બનાવીને દીર્ઘકાલીન વિકાસનું લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
આ લક્ષ્ય સુધી પહોંચવામાં સ્વામી વિવેકાનંદના વિચારો આપણને માર્ગદર્શન આપશે. આપણે જાણીએ છીએ કે આધ્યાત્મિકતા અને દીર્ઘકાલીનતા બંનેમાં સંતુલનનું મહત્ત્વ છે. એક મનમાં સંતુલન બનાવે છે, જ્યારે બીજું આપણને પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાનું શીખવે છે. તેથી, હું માનું છું કે રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓ આપણાં અભિયાનોને વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ‘મિશન લાઇફ’ હોય, ‘એક પેડ઼ માઁ કે નામ’ જેવાં અભિયાનો હોય, આવાં અભિયાનોને રામકૃષ્ણ મિશન દ્વારા વધુ વિસ્તૃત કરી શકાય છે.
સ્વામી વિવેકાનંદ ભારતને એક સશક્ત અને આત્મનિર્ભર દેશ તરીકે જોવા માગતા હતા. દેશ હવે તેમના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી ગયો છે. આ સપનું શક્ય તેટલું જલદી સાકાર થાય એ માટે, એક મજબૂત અને સક્ષમ ભારત માટે, ફરી એક વાર માનવતાને દિશા આપવા માટે, દરેક દેશવાસીએ ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોને આત્મસાત્ કરવા પડશે. આવા કાર્યક્રમો અને સંતોના પ્રયાસો આ માટે એક મોટું માધ્યમ છે. આજની ઘટના માટે હું ફરી એક વાર તમને અભિનંદન આપું છું. હું તમામ આદરણીય સંતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને સ્વામી વિવેકાનંદજીના સ્વપ્નને સાકાર કરવામાં આજની નવી શરૂઆત, નવી ઊર્જા બની રહેશે, તેવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.
Your Content Goes Here