(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે. – સં.)

મારા સમગ્ર જીવન પર અસર કરે એવું એક ગંભીર પગલું લેવા હું એક વખત તૈયાર થઈ ગયો હતો, ત્યારે સ્વામીએ મને ચેતવ્યો. કોઈ પણ પ્રકારની લાગણીથી ખેંચાઈને મારે નિર્ણય ન લેવો જોઈએ પરંતુ એ નિર્ણયની સમગ્રતયા અસર વિશે બરાબર વિચારી લેવું જોઈએ. તેમણે કહ્યું, “એક શિકારી હતો. આખો દિવસ જંગલમાં ભટક્યા પછી પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં. નિરાશ થઈને થાકી-હારીને એણે એક વૃક્ષ નીચે લંબાવ્યું. તેનું શિકારનું સાથી બાજ પક્ષી એની બાજુમાં બેઠું હતું. શિકારી ખૂબ જ તરસ્યો થયો હતો પરંતુ ક્યાંય પાણી મળે એવું જણાતું ન હતું. ત્યાં તો તેણે જોયું કે વૃક્ષ ઉપરથી પાણીનાં ટીપાં નીચે પડી રહ્યાં હતાં. ખુશ થઈને એણે એનો પ્યાલો એની નીચે મૂક્યો. ટપ, ટપ ટીપાં નીચે પડતાં ગયાં અને પ્યાલો ભરાઈ ગયો. આતુર થઈને શિકારીએ જેવો પોતાનો હાથ એ પ્યાલો લેવા લંબાવ્યો ત્યાં તો બાજ પક્ષીએ ઝાપટ મારીને એને ઢોળી નાખ્યો. બધું પાણી ઢોળાઈ ગયું. ખૂબ જ નારાજ થઈને શિકારીએ બાજ પક્ષીને ઠપકો આપ્યો. અને પાછો પેલો પ્યાલો ટીપાં એકત્રિત કરવા માટે મૂક્યો. પાછો ધીમે ધીમે એ પ્યાલો ભરાયો અને તરસ્યા શિકારીએ જેવો એને હાથમાં લીધો ત્યાં તો પેલા બાજ પક્ષીએ ફરીથી ઝાપટ મારીને એને ઢોળી નાખ્યો. હવે શિકારીનો પિત્તો ગયો અને એક ભયંકર પ્રહાર કરીને એણે બાજ પક્ષીને મારી નાખ્યું. ફરી પેલો પ્યાલો એણે ભરાવા મૂક્યો અને એ ભરાતો હતો ત્યારે આ પાણી ક્યાંથી આવે છે એ જોવા એણે ઉપર જોયું. અને એણે શું જોયું? એક મોટો સાપ વૃક્ષની ઊંચી ડાળીએ ટીંગાતો હતો અને એના ખુલ્લા રહી ગયેલા મુખમાંથી ટીપે ટીપે ઝેર નીચે પડતું હતું. પેલા બાજ પક્ષીએ બે વખત એનો જીવ બચાવ્યો પરંતુ એણે એ જીવનદાતા પક્ષીને ઉતાવળમાં મારી નાખ્યું. ભારે દુઃખ અને પશ્ચાત્તાપ સાથે એણે પછી એના એ વર્ષોના સાથી જીવનરક્ષક સાથીદારને ભૂસમાધિ આપી. તો તમે જોયું?” સ્વામીએ કહ્યું, “તમારા જે ઉત્તમ મિત્ર હોઈ શકે એને તરછોડી ન દો. બરાબર વિચાર કરી લો.” કહેવાની જરૂર છે ખરી કે આવી કથાઓએ મને વિચાર કરતો કરી દીધો?

અને એવા તો ઘણા નાના નાના પ્રસંગો હતા જેમનાથી હું ખૂબ પ્રભાવિત થતો રહ્યો. એક સાંજે હું વેદાંત હોમમાં આવ્યો અને કહ્યું, “સ્વામી, આજે રાતે સંગીતનો એક સરસ જલસો છે, તમને એ ગમશે. તમે તો ક્યારેય અમારું પાશ્ચાત્ય સંગીત સાંભળ્યું નથી. ચાલો, આપણે સાથે જઈએ.”

“પરંતુ તમે આવી બધી બાબતો પ્રતિ લક્ષ જ શા માટે આપો છો?” સ્વામીએ કહ્યું, “તમે આવું બધું તો ઘણું કરી લીધું. આપણે તો અહીં જ જમાવીએ, કંઈક રસપ્રદ વાંચીએ અને સરસ વાતો કરીએ. જો આપણે ‘મા’ મેળવવી છે તો આપણે હવે આવા બધા મનોરંજન છોડવા જોઈએ.”

“ચોક્કસ, સ્વામી”, મેં કહ્યું, “મને અહીં તમારી સાથે સમય ગાળવાનું ખૂબ જ ગમશે, આ તો મને લાગ્યું કે કદાચ તમને આમાં રસ પડશે.” અને પછી અમે સાથે એક પ્રસન્નતાસભર સાંજ માણી. પરંતુ મને વિચાર આવ્યો, “સ્વામીનો વૈરાગ્ય કેટલો સાચો છે! અહીં તેઓ એક નવા દેશમાં આવ્યા છે, અને છતાં અહીંના જોવાલાયક સ્થળો કે એવી બાબતો માટે એમને કોઈ જ આકર્ષણ નથી. આવા વિષય માટે એમને કોઈ નવું  જોવા-જાણવાનું કુતૂહલ જ જાણે નથી. તેઓ તો સ્વતઃ સ્વયં જ પૂર્ણતઃ સુખી છે અને ‘મા’ની વાતોમાં જ માત્ર રસ ધરાવે છે. તેમના જેવું કોઈ બીજું અમને ક્યાંથી મળશે?”

સ્વામી તુરીયાનંદની સાદગી સર્વને પ્રભાવિત કરી દેતી. અમે એક નાનકડા નિરામીષ રેસ્ટોરાંમાં સાથે જતા. એ એક શાંત સ્થળ હતું અને બહુ થોડા લોકો ત્યાં જતા. અમે તેથી ત્યાં મુક્ત મને વાતો કરી શકતા. એના ભોજનકક્ષની વ્યવસ્થા એક યુવાન બહેન સંભાળતી. એ એક સરળ, પ્રસન્ન, નિર્દોષ, ગ્રામીણ પ્રદેશમાંથી આવેલી યુવતી હતી. એના મુખ પર હંમેશ સ્મિત રહેતું અને બધાને તે મીઠો આવકાર આપતી રહેતી.  સ્વામી તુરીયાનંદને એ ગમતી. તે એકદમ સહજ, ખુલ્લા સ્વભાવની હોવાની સાથે નિર્દોષ, શુદ્ધ ચારિત્ર્ય ધરાવતી હતી. એક વખત સ્વામીએ એને પૂછ્યું, “તમારું નામ શું છે?” “મારું નામ મેરી છે” એણે કહ્યું. “ઓહ, કેવું સરસ!” સ્વામી બોલ્યા. “મેરી તો જિસસની માતા હતી.” એ યુવતી એટલી તો પ્રસન્ન થઈ. “વારુ, સ્વામીજી, મેં તો એ વિશે વિચાર્યું જ ન હતું. આ તો જાણે જોડતી કડી જેવું છે, નહીં? તમે મને કેવી સરસ યાદ અપાવી.” “ઓહ સાચું.” સ્વામી તુરીયાનંદ બોલ્યા, “હું હવે હંમેશાં તમને ભગવાન જિસસના માતા તરીકે જોઈશ. એ પણ સંન્યાસી હતા, અને એમણે અન્યને માટે એમનું સમગ્ર જીવન અર્પી દીધું હતું.” આ યુવતી પછી તો સ્વામીની ભક્ત બની ગઈ. જ્યારે પણ સ્વામીને આવતા જોતી ત્યારે એ ખૂબ પ્રસન્ન થતી. સ્વામી તુરીયાનંદ બધા પર કોઈને કોઈ રીતે એમની કાયમી છાપ મૂકી જતા.

સ્વામી એમનાં પોતાના અંગત જીવન અને નીજી અનુભવો વિશે ભાગ્યે જ વાત કરતા. મોટે ભાગે તો તેઓ એમના ગુરુ અને સ્વામીજી વિશે જ વાતો કરતા રહેતા. એમના સ્વામીજી માટેના પ્રેમ, ભક્તિ અને અનુરાગની કોઈ સમા ન હતી. પરંતુ હું જ્યારે એમની સાથે એકલો હોઉં ત્યારે કવચિત્‌ તેમના પોતાના વિશે પણ તેઓ કહેતા.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.