(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે ક્યાંય પ્રસિદ્ધ થયાં નથી. સ્વામી વિવેકાનંદ વિશે ૧૯૦૨ના અરસામાં તત્કાલીન એકમાત્ર ગુજરાતી સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા સમાચારો વાચકો જાણે તે હેતુથી આ લખાણો ક્રમશઃ પ્રકાશિત કરી રહ્યા છીએ. -સં.)
મુંબઈ સમાચાર, ૨૦મી ફેબ્રુઆરી, ૧૮૯૭
(પાનાં નં.૫)
તાર સમાચાર:
સ્વામી વિવેકાનંદની કલકત્તા ખાતે થયેલી પધરામણી વેળા તેમને આપવામાં આવેલો આવકાર.
(મુંબઈ સમાચાર માટે તારનો ખાસ સંદેશો)
કલકત્તા, તા. ૧૯મી ફેબ્રુઆરી
સ્વામી વિવેકાનંદ આજે સવારે સાડા સાત વાગતે ખાસ ટ્રેનમાં મદ્રાસથી સિયાલદાહ આવી પહોંચ્યા હતા, જે વેળા તેમને આવકાર આપવા માટે સ્ટેશન ઉપર હાજર રહેલાઓમાં માનનીય શ્રી આનંદા ચાર્લુ, શ્રી ચીરનમિત્ર અને રાજા વિનયકિશન હતા. તેમનાં દર્શન કરવાને મોહલ્લાઓમાં આશરે દશ હાજર માણસ ભેગા મળ્યા હતા. સ્વામી જે ગાડીમાં બિરાજ્યા હતા, તે લોકો ખેંચી ગયા હતા.
મુંબઈ સમાચાર, ૧૯૦૨, જુલાઈ-૦૮
(પાનાં નં. ૦૨)
અગ્રલેખ:
પ્રસિદ્ધ વેદાન્તી સ્વામી વિવેકાનંદના મરણ પામવાના મળેલા માઠા સમાચાર—તેમની જિંદગીનું ટૂંકું વૃત્તાંત.
વેદાન્ત ફિલસૂફીના ઊંડા અભ્યાસી, હિંદુ ધર્મના વ્યાવહારિક સુધારક; યુરોપ, અમેરિકા, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને પ્રાચીન આર્યધર્મ અને ખાસ કરીને મહર્ષિ વ્યાસ અને શંકરાચાર્યની વેદાન્ત ફિલસૂફીની મહત્તાના સંબંધમાં વ્યાખ્યાન આપનાર અને અંગ્રેજી ભાષાના વક્તા સુપ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ બી.એ.ના મરણના ખબર આપતાં અમને દિલગીરી ઊપજે છે. તેઓ ગયે શુક્રવારે એટલે ગઈ તા. ૪થીને દિને સાયંકાળે કલકત્તાની નજદીક આવેલા હાવરાના કસબામાં દેવલોક પામ્યા હતા. ૧૯મી સદીમાં જે મહાન ધાર્મિક સુધારકો હિન્દુસ્તાનમાં થઈ ગયા છે તેમાંના એક તરીકે સ્વામી વિવેકાનંદ ગણાવી શકાય. રાજા રામમોહનરાય, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી દયાનંદ સરસ્વતી, બાબુ કેશવચંદ્ર સેન, મેડમ બ્લેવેટ્સ્કી, સ્વામી વિશુદ્ધાનંદ સરસ્વતી તથા અન્ય નરનારીઓ હિન્દુસ્તાનમાં ગઈ સદીમાં એવાં થઈ ગયાં છે કે જેઓએ સમસ્ત હિન્દના લોકોને ધાર્મિક સિદ્ધાંતો ઉપર વિચાર કરવાને આકર્ષ્યા હતા, નહીં કે ઉશ્કેર્યા હતા.
સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તા ખાતે થયો હતો… શાળામાં અને કોલેજમાં તેઓની કારકિર્દી ઝળકતી હતી. તેઓએ બી.એ.ની ડિગ્રી સંપાદન કીધા બાદ આર્યધર્મના સિદ્ધાંતો તરફ તેમનું લક્ષ્ય વિશેષ ખેંચાયું હતું. એવું બન્યું કે તેમને રામકૃષ્ણ પરમહંસ નામના એક મહાત્માનો મિલાપ આ અરસામાં થયો. આ મહાત્માનું જીવનચરિત્ર મરહુમ પ્રોફેસર મેક્સમૂલરે થોડા જ વર્ષ ઉપર તે જ મહાત્માએ કહેલી કહેવતોના સંગ્રહ સહિત પ્રસિદ્ધ કર્યું હતું. તે ઉપરથી માલૂમ પડે છે કે મહાત્મા રામકૃષ્ણ પરમહંસ એક વિશિષ્ટ અને અસાધારણ પ્રકૃતિવાળા મનુષ્ય હતા. તેઓનો જન્મ કલકત્તા પાસે થયો હતો અને તેઓએ ત્યાં આવી કાલીના એક નવા બંધાયેલા મંદિરમાં પોતાનો વાસ કીધો હતો. કાલીમાતાના તેઓ દૃઢ ઉપાસક હતા અને કલાકો સુધી તેના ચિન્તનમાં તેઓ નિમગ્ન રહેતા… સહસ્ર લોકો તેમનાં દર્શન માટે જતા. તેમાં સ્વામી વિવેકાનંદ પણ એક હતા. પરમહંસના વચનથી સ્વામી વિવેકાનંદ ઘણા આકર્ષાઈ ગયા હતા અને તેઓએ તેમનો સંગ કરવામાં જ પોતાનું શ્રેય માન્યું. રામકૃષ્ણ પરમહંસ સર્વધર્મ સત્ય ઈશ્વરને મેળવવાના જુદા જુદા સ્વરૂપ પણ અંતિમમાં એક જ ઈશ્વરને ઓળખાવનારા માનતા હતા. તેઓ પ્રાકૃતિક સુખની બિલકુલ દરકાર કરતા નહીં. એક ભક્તે તેમને એક કિંમતી શાલ ઉપકારવશ થઈ ઓઢાડી હતી પણ તે તેમણે ફેંકી દીધી. આવા નિસ્પૃહી મહાત્માનાં દર્શનથી વિદ્વાનોને કેમ જ આકર્ષણ થયા વિના રહે? ન્યુ ડિસ્પેન્શેસન ચર્ચના સ્થાપક મરહુમ વક્તા બાબુ કેશવચન્દ્ર સેન પણ તેમની પાસે વારંવાર જતા અને તેમણે રામકૃષ્ણ પરમહંસની ઘણી પ્રશંસા કીધી છે. આવી લાવણ્યતાથી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા બાદ ગુરુનું મૃત્યુ સમાધિ દશામાં થયું હતું.
શિકાગોના પ્રદર્શનની ધાર્મિક સભા અને સ્વામી વિવેકાનંદ
પરંતુ સ્વામી વિવેકાનંદને ૧૮૯૨-૯૩ના વરસ પહેલાં હિન્દુસ્તાનમાં તો શું પરંતુ બંગાળમાં પણ લોકો પૂરેપૂરા જાણતા ન હતા. ઈ.સ. ૧૮૯૨-૯૩માં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલા શિકાગો શહેરમાં કોલંબસે અમેરિકા ખંડ શોધ્યાને બરોબર ચારસો વરસ થયાં તેની ખુશાલીમાં દુનિયામાં આગળ કદી પણ નહીં ભરાયું હોય એવડું ગંજાવર વિધવિધ સામગ્રીઓનું પ્રદર્શન ભરાયું હતું. આખી દુનિયાએ તે પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તે પ્રદર્શનમાં એક ધાર્મિક સભા પણ બોલાવવામાં આવી હતી. આખી પૃથ્વી ઉપર ચાલતા ધર્મો, સમ્પ્રદાયો અને પંથોના પ્રતિનિધિઓને તે ધર્મ પરિષદમાં ભાગ લેવાને આમંત્રણ કરવામાં આવ્યું હતું. તે વખતે ધર્મ સંબંધી અનેક નિબંધો વાંચવામાં આવ્યા હતા અને વ્યાખ્યાનો આપવામાં આવ્યાં હતાં… તેઓની સાથે હિન્દુસ્તાનમાં જૈનો તરફથી મરહુમ વીરચંદ રાઘવજી ગાંધી, બૌદ્ધો તરફથી રાઈટ રેવરંડ મિ. એચ. ધરમપાલ, બ્રાહ્મોસમાજ તરફથી રેવરંડ પ્રતાપચંદ્ર મજમુદાર, પારસીઓ તરફથી એરવદ શેરીઆરજી, દાદાભાઈ ભરૂચા વગેરે ગયા હતા. તે સઘળાઓમાં વિવેકાનંદ જેટલું નામ કોઈએ કાઢ્યું ન હતું. તેઓ સર્વોત્તમ વક્તા હતા.
અમેરિકામાં તેમણે કીધેલું કામ
… એક ધર્મચુસ્ત હિંદુ, જેઓને તેઓ મ્લેચ્છ અથવા યવન સમજે તે ભગવાં વસ્ત્ર પહેરી તેઓને ભાઈઓ અને બહેનો કહે એ સાંભળી તેઓને આનંદાશ્ચર્ય છૂટ્યો હતો અને તેની ઊલટમાં તેઓએ જોરભેર તાળી પાડી હતી, જે કેટલીક મિનિટો સુધી ચાલુ રહી હતી. બાદ તેમણે પોતાને આપેલા માન માટે હિન્દના કરોડો હિંદુઓ તરફથી અમેરિકાવાસીઓનો ઉપકાર માન્યો હતો. તેમણે તે વખતે સાર્વજનિક સહનશીલતાને દરેક ધર્મના અંગ રૂપ વર્ણવી હતી.
ખ્રિસ્તીઓને મળેલો ઠપકો
તે ધાર્મિક મહાસભાના કામનું એક પ્રકરણ પૂરું થતાં તેની આખરે તેમને ખ્રિસ્તીઓ પર ટીકા કીધી હતી. તેમણે જણાવ્યું કે તમો બૂતપરસ્તી ‘હીધન’ના આત્માને બચાવવાને મિશનરી ઉપદેશકો મોકલો છો, પણ તેઓનાં શરીરને ભૂખમરાથી બચાવવા કેમ પ્રયત્ન નથી કરતા? હિન્દમાં છેલ્લા ભયંકર દુષ્કાળ વખતે હજારો ભૂખમરાથી મરણ પામ્યા છતાં ખ્રિસ્તીઓએ કાંઈ કીધું નહીં. આખા હિન્દમાં તમો દેવળો ખડાં કરો છો પણ પૂર્વના દેશમાં જરૂર ધર્મની નથી, તે તો ત્યાં પૂરતો છે—પણ જરૂર તો રોટીની છે. ભૂખે મરતા લોકોને ધર્મ આપવો એ તો અપમાન કરવા બરાબર છે. બાદ તેમણે અવતારો ઉપર કેટલીક ટીકા કીધી હતી.
ધાર્મિક પાર્લામેન્ટમાં તેમનું છેલ્લું ભાષણ
શિકાગોના પ્રદર્શનની ધાર્મિક પાર્લામેન્ટની છેલ્લી બેઠક વખતે તેમણે પોતાનું વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે એક ધર્મ બીજાનું ભક્ષણ કરે તે હું ચાહતો નથી. એક ધર્મ બીજામાં ગરક થઈ જાય તેવી મારી ઇચ્છા નથી. જેમ જમીન, પાણી, હવા, અગ્નિ મળી એકબીજામાં બદલાઈ જતાં નથી પણ બીજ વડે તેમાંથી એક નવી જ વસ્તુ છોડ—ઝાડ ઊગે છે તેમ જ સર્વધર્મમાંથી સર્વ સામાન્ય સાર્વજનિક ધર્મ પેદા થવો જોઈએ, જે ધર્મ એક બીજાનું હરણ કરવા ચાહે છે તેઓની હું દયા ખાઉં છું અને અંતઃકરણથી ધિક્કારું છું. સ્વામી (તેમને મિ. તરીકે કહેવામાં આવતું હતું) વિવેકાનંદનાં ધાર્મિક કોંગ્રેસ સન્મુખનાં ભાષણો ઊલટથી સાંભળવામાં આવતાં હતાં પણ તેમના વિચારો ખાસ કરીને આખરના થોડા જ પસંદ કરતા હતા.
હિન્દુ ધર્મ ઉપર સ્વામી વિવેકાનંદનું ભાષણ
શિકાગોની ધાર્મિક સભામાં સ્વામી વિવેકાનંદનું સૌથી ઉપયોગી ભાષણ હિન્દુ ધર્મ ઉપર હતું. તે જ ભાષણે તેમની પ્રસિદ્ધિ વધારી. તેમાં તેમણે વેદ અનંત અનાદિ કેવી રીતે છે, તે સમજાવ્યું હતું. અને વેદાન્તનું રહસ્ય સમજાવ્યું હતું. વેદન્તીઓમાં બે પક્ષો છે. એક ઈશ્વરને જીવથી જુદો મને છે, જ્યારે બીજો પક્ષ તેઓને વાસ્તવિક રીતે એક જ માને છે. સ્વામી વિવેકાનંદ બીજા પક્ષના હતા. અનેક ઉપમાઓની આ સૃષ્ટિ માયારૂપ જૂઠી છે, પ્રપંચરૂપ છે, તે તેમણે બતાવ્યું હતું અને આપણે સર્વે ઈશ્વરરૂપ જ છીએ પણ માયાને લીધે જ જુદા લાગીએ છીએ, તેમણે તે ઘણી જ છટાથી સમજાવ્યું હતું. પણ સવાલ એ ઊભો થયો કે જ્યારે સર્વે જ બ્રહ્મરૂપ છે અને બ્રહ્મજ્ઞાન રૂપે છે તો અજ્ઞાન અંધકારરૂપ માયા જેવી વસ્તુ ક્યાંથી આવી? આ જે છેલ્લા સવાલનો સંતોષકારક નિર્ણય આપવાને તેમણે પોતાની અશક્તિ જાહેર કીધી હતી અને તે બાબત માની જ લેવાનો આગ્રહ કીધો હતો.
(ક્રમશઃ)
Your Content Goes Here