(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે. – સં.)
“ યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા….”
માનવ-ઇતિહાસ તરફ નજર કરીએ તો પુરાણકાળથી સર્વત્ર સ્ત્રીઓની શક્તિપુંજ ગણીને વિવિધ દેવીઓના રૂપે પૂજા થતી આવી છે. પ્રાચીનકાળમાં ગાર્ગી, મૈત્રેયી જેવી બ્રહ્મવાદિની સ્ત્રીઓએ તેમજ ઋષિ-પત્નીઓએ આપેલ બૌદ્ધિક પ્રદાન પણ ઊંચું હતું. કાળક્રમે એક યા બીજા કારણસર સમાજ પુરુષપ્રધાન બનતો ગયો. સ્ત્રીઓની શક્તિઓની અવગણના થવા માંડી. સ્ત્રીઓની આજની પરિસ્થિતિ માટે જવાબદાર કોણ?
આ સવાલનો જવાબ મળે છે કે સ્ત્રીઓની આજની પરિસ્થિતિ માટે સ્ત્રી અને પુરુષ બંને જવાબદાર છે. હવે બીજો સવાલ સહેજે મનમાં ઊઠે છે કે આમાં બદલાવની શરૂઆત કોણ કરશે.
સ્ત્રીઓના સશક્તીકરણ આડે આવતા અવરોધો છે—માનસિક નબળાઈ, શારીરિક નબળાઈ, રૂઢિ-રિવાજોનું જડતાપૂર્વક પાલન, શિક્ષણ-કૌશલ્ય કુશળતા ઓછી, માહિતી-જાણકારીનો અભાવ. ટીમમાં કામ કરવાની અણઆવડતને મા શારદાના જીવનપ્રસંગો દ્વારા તેમણે કેવી રીતે દૂર કર્યા તેની વાત કરીશું.
સ્વાવલંબન : સામાન્ય રીતે સ્ત્રીઓ બીજી વ્યક્તિ પાસે હાથ લંબાવવાનું પસંદ કરતી નથી. પછી તે આર્થિક મદદ હોય કે રોજબરોજનાં ઘરનાં કામકાજ. આજે ઘણી બધી સ્ત્રીઓ પરાવલંબી બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. જાતે મહેનત કરીને રસોઈ કરવામાં; ટી.વી., વીડિયો જોવામાંથી સમય ફાળવીને કે એશઆરામ ઓછો કરીને, કુટુંબના સભ્યોની સંભાળ રાખવામાં ઘણી વાર તેઓ નાનમ અનુભવે છે.
મા શારદાના જીવનની વાત કરીએ તો પતિ શ્રીરામકૃષ્ણદેવના દેહાંત પછી શ્રીમાને કુટુંબમાંથી સંગાથ આપવાવાળું કોઈ નહોતું. કોઈ શ્રીમાના ભરણપોષણ માટેની જવાબદારી લેવા તૈયાર નહોતું. ભત્રીજા રામલાલે કાલીમંદિરના ખજાનચી વગેરેને સમજાવેલું કે માને તો ભક્તો પાસેથી પૂરતા પૈસા મળે છે. વળી, નિઃસંતાન વિધવાને એના કરતાં વધારે પૈસાની જરૂર નહિ હોય.
આ કારણસર મંદિરમાંથી માને જે પેન્શનના પૈસા મળતા હતા તે પણ બંધ થઈ ગયેલા. તેમના શિષ્યોએ આ રકમ બંધ ન થાય તે માટે પ્રયત્નો કરવા આગ્રહ પણ કરેલો. માએ તે લોકોને કહેલું કે બંધ કર્યા છે તો ભલે કર્યા, એ રૂપિયા લઈને હું શું કરવાની? માએ પોતાનું ગુજરાન ચલાવવા જમીનના નાના ટુકડામાં શાકભાજી અને ડાંગર ઉગાડીને કેટલાક દિવસો વિતાવેલા.
પતિના ઘણા બધા શ્રીમંત ભક્તો હોવા છતાં માના ઘણા દિવસો એવા ગયા હતા કે ભાતમાં મીઠું નાખવાના પણ પૈસા ન હોય. ફાટેલી સાડી જોડી જોડીને ક્યારેક ક્યારેક માની સાડી ૧૮ ગાંઠવાળી થઈ ગયેલ. આમ ખૂબ કષ્ટ હોવા છતાં પોતાના કષ્ટની વાત કોઈને પણ ન કહી કે કોઈની પાસે પૈસા માટે હાથ ન લંબાવ્યો.
ઘણાં વર્ષો પછીની વાત છે. માના શિષ્ય રાસબિહારી મહારાજ માને મળવા જતા ત્યારે કોઈક વાર માને રોટલી બનાવતાં, તો કોઈક વાર ચોખા ખાંડવામાં મદદ કરતાં જોતા હતા. આ પ્રમાણે લગભગ રોજ બનતું. એ જોઈને તેમણે માને પૂછેલું, ‘મા, તમે શા માટે આ રીતે ગુલામી કરો છો?’ માએ જવાબ આપ્યો, ‘આદર્શ બતાવવાને માટે મારા હિસ્સા કરતાં પણ મેં ઘણું વધારે કામ કર્યું છે.’
શારીરિક નબળાઈ: સામાન્ય રીતે બહેનો પોતાની જાતને શરમાળ, કમજોર અને મનથી નબળી માનતી આવી છે. ભણેલી-ગણેલી કહેવાતી સશક્ત, શહેરોમાં રહેતી બહેનોને રાતના સમયે ઘરની બહાર એકલા જવામાં ડર અને સંકોચ થતો જોવા મળે છે.
૧૯મી સદીના જૂના જમાનામાં જ્યારે સ્ત્રીઓએ પડદા પાછળ રહેવું પડતું હતું, રસ્તાઓ પણ વાહન-વ્યવહાર અને વીજળીના અભાવને લીધે સૂમસામ રહેતા હતા ત્યારે તે જમાનામાં એક વાર માતાજી ગંગાસ્નાન કરવા માટે કેટલીક સ્ત્રીઓ સાથે ગયેલાં. રસ્તો લાંબો અને નિર્જન હતો.
વચમાં ભયંકર લૂંટારુઓનો પ્રદેશ આવ્યો. એમણે બીજી સ્ત્રીઓને તેમની ફિકર કર્યા વગર ઝડપથી આગળ પહોંચી જવાનું કહ્યું, અને પોતે નિર્જન પ્રદેશમાં એકલાં અટૂલાં ચાલતાં રહ્યાં. થોડી વારમાં તો અંધકારમાંથી એક ઊંચો પડછંદ માણસ એમણે પોતાની તરફ આવતો જોયો. એ લૂંટારુ હતો. એણે બીક બતાવવા મોટા અવાજે પૂછ્યું, ‘એઈ, આવે વખતે ત્યાં કોઈ ઊભું છે? ક્યાં જવું છે?’ પેલો પાસે આવ્યો. માએ હિંમત અને પ્રેમથી કહ્યું, ‘બાપુ, મારા સંગાથીઓ આગળ ચાલ્યા ગયા છે. વળી મને લાગે છે કે હું રસ્તો પણ ભૂલી ગઈ છું. તમારા જમાઈ દક્ષિણેશ્વરમાં કાલી મંદિરમાં રહે છે. તમે મને એમની પાસે લઈ જશો?’ લૂંટારાની સ્ત્રી પણ આવી પહોંચી. માતાજીએ ભરોસાથી એનો હાથ પકડીને કહ્યું, ‘મા, હું તમારી દીકરી શારદા છું, સારે નસીબે તમે બન્ને અહીં આવી પહોંચ્યાં, નહિ તો હું શું કરત?’
માતાજીની સમયસૂચકતા, નિ:સંકોચપણું, સરળ વર્તન, સંપૂર્ણ ભરોસો તથા વિશ્વાસ અને પ્રેમભરી વાતોથી “બાગદી” જાતિના લૂંટારુ દંપતીનું હૃદયપરિવર્તન થયું. એ બંને એમનાં જાણે કે માતા-પિતા બન્યાં. બીજે દિવસે માને તેમના સંગાથી યાત્રાળુઓ પાસે મૂકવા એમની સાથે દૂર સુધી ચાલ્યાં. ત્યાર પછી પણ એ બંને ત્રણ વાર દીકરી જમાઈને મળવા કંઈક ને કંઈ ભેટ લઈને દક્ષિણેશ્વર ગયાં હતાં.
શિક્ષણ અને કૌશલ્ય ઓછું: આજનાં સુધરેલાં કહેવાતાં કુટુંબોમાં મા-બાપ ક્યારેક દીકરીઓને આગળ ભણાવવા ખૂબ ઇચ્છે છે અને દીકરીઓ શાળામાં અવ્વલ નંબર લાવતી હોય છે. આમ છતાં મા-બાપ વગદાર ઘરના છોકરા સાથે અભ્યાસ અધૂરો મુકાવીને પરણાવી દે છે.
મા શારદાએ તે જમાનામાં સુધીરાદીદી જેણે લગ્ન કર્યાં નહોતાં અને નિવેદિતા સ્કૂલનાં પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી સુંદર રીતે બજાવી રહ્યાં હતાં તેનાં વખાણ કરતાં કહેલું કે, ‘કેવી સરસ છોકરી છે, એકલી એકલી ગાડીમાં ફરે છે અને એકલી પોતાની જાત ઉપર ઊભી રહી છે.’
મા શારદાને શાળાનું પગથિયું ચઢવાની તક મળી નહોતી છતાં તેઓ સૂતર, શણ અને રેશમમાંથી સુંદર ઓશીકાં, તકિયા અને પંખા બનાવતાં. આવો પોતે જાતે બનાવેલો પંખો તેમણે પરદેશી શિષ્યા સિસ્ટર નિવેદિતાને ભેટ આપેલો. તેણે આ પંખાને પ્રેમથી જીવનપર્યંત સાચવી રાખેલો. આમ મા શારદા જાણે કે, સ્ત્રીઓ માટે શિક્ષણ, કૌશલ્ય, કેળવણીની હિમાયત કરતાં હોય તેવું લાગે છે.
માહિતી અને જાણકારીનો અભાવ: કહેવાય છે કે Knowledge is Power (જ્ઞાન એ શક્તિ છે). સ્ત્રીઓમાં કોઠાસૂઝ વધુ હોવા છતાં માહિતીના અભાવને લીધે, તેઓને કાયદાઓએ અધિકાર આપ્યા હોવા છતાં તેનો સારી રીતે ઉપાયોગ કરી શકતી નથી.
મા શારદાએ આશ્રમના બ્રહ્મચારીઓમાં વધુ માહિતી અને જાણકારી મેળવવાની ઇચ્છા વધારવા ઘણા પ્રયત્નો કરેલાં. તે કહેતાં: “જુઓ, પરદેશથી ઘણા ભક્તો અહીં આવશે. તેથી તમે અંગ્રેજી ભાષા શીખી લો.” ભવિષ્યમાં અંગ્રેજી ભાષામાં વાતચીત કરવાની જરૂર પડી શકે તે માટે બ્રહ્મચારીઓને અંગ્રેજી ભાષા શીખવાનો તેઓ આગ્રહ રાખતાં. મા શારદાએ બ્રહ્મચારીઓને અંગ્રેજી શિખવાડવા માટે પહેલાં સ્વામી ધર્માનંદ અને તે પછી ઢાકાના શ્રીકૃષ્ણભૂષણની એક શિક્ષક તરીકે નિમણૂક કરેલી.
ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૮માં મહાયુદ્ધના સમાચાર પણ તેઓ શિષ્યો પાસેથી જાણી લેતાં. એક દિવસ સ્વામી અરૂપાનંદ શ્રીમાને પ્રણામ કરવા આવ્યા ત્યારે સામાન્ય ખબરઅંતર પૂછ્યા પછી શ્રીમાએ પૂછ્યું: “બેટા, લડાઈના શું ખબર છે? જિદંગીનો કેવો ભયંકર વ્યય! લોકોને મારવા માટે કેવાં મોટાં મશીનો શોધ્યાં. અસંખ્ય નાનાં યંત્રો અને મશીનો ઉપરાંત ટેલિગ્રાફી, ટ્રેનની સગવડ વગેરેની તો લોકોના હિતને માટે જરૂરી છે જ. પણ બેટા, છતાં આપણા દેશમાં અનાજ અને કપડાંની તંગી ઘણી બધી છે. જૂના વખતમાં આટલી બધી તંગી ન હતી.” આમ અભણ મા દેશ-વિદેશમાં શું સારું તેમજ હાનિકારક થઈ રહ્યું છે તે વિશેની બધી માહિતી અને જાણકારી મેળવતાં હતાં.
ટીમમાં કામ કરવાની અણઆવડત: સામાન્ય રીતે સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દેરાણી-જેઠાણી, પિતરાઈ બહેનો કે સગી બહેનો, કાકી-ભત્રીજી, શેઠાણી-નોકરાણી વચ્ચેના સંબધો ઇચ્છનીય હોતા નથી. આ બધાંનાં મૂળ કારણો સ્ત્રીઓની ટૂંકી દૃષ્ટિ, સંકુચિત સ્વભાવ અને ઈર્ષ્યા જેવી વૃત્તિઓ કદાચ હશે. પરસ્પર વિશ્વાસ અને આદર જાળવીને એકબીજાને પૂરક બનીને, ખભેખભા મિલાવીને કામ કરી શકવાની શક્તિ વધુ-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આજે સ્ત્રી સશક્તીકરણના જમાનામાં કેટલીક સ્ત્રીઓ ભગવાને સ્ત્રીશરીરમાં આપેલા વિશિષ્ટ ગુણો જેવા કે સહનશીલતા, ધીરજ, સેવા, ત્યાગ, પવિત્રતાને નબળાઈમાં ખપાવે છે.
સહનશીલતા અને ધીરજ રાખીને પરિસ્થિતિને કાબૂમાં રાખવાના અસંખ્ય પ્રસંગો મા શારદાના જીવનમાં જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવના મૃત્યુ બાદ વિવિધ સ્વભાવવાળા કુટુંબીઓ સાથે તેમનો પનારો પડ્યો. શ્રીમાને પેન્શન રૂપે મળતી સાત રૂપિયાની માસિક આવક બંધ કરાવી દેનાર શ્રીરામકૃષ્ણનો ભત્રીજો રામલાલ, શ્રીમાના સ્વાર્થી ભાઈઓ, ધૂની અને વિચિત્ર સ્વભાવની ભત્રીજીઓ, છૂતાછૂતની ગ્રંથિથી પીડાતી ભત્રીજી નલિની અને ગાંડી વિધવા ભાભી અને તેમની જીદી દીકરી—આ બધાનો સઘળો ભાર ઉપાડવા છતાં પણ ક્યારેક મા તરફ તે સહુનું સ્વાર્થીપણાનું વલણ રહેતું. એક વાર તો પગલી મામી સુરબાળા સળગતું લાકડું લઈને માને મારવા દોડી હતી. કોઈ પણ પ્રતિકાર કે ફરિયાદ વગર શ્રીમાએ શાંત ચિત્તે તે દુ:ખો સહન કર્યાં. મા કહેતાં કે આફતો તો હંમેશાં જીવનમાં આવતી જ રહે છે પણ એ કાયમ રહેતી નથી. પુલ નીચેથી વહેતા પાણીની જેમ એ જતી રહે છે. દુઃખ એ તો ભગવાન તરફથી મળેલી ભેટ છે.
સેવા અને ત્યાગભાવના: સ્ત્રીઓમાં સેવાવૃત્તિ સહજ રીતે બાલ્યાવસ્થાથી જોવા મળે છે. દીકરી નાની હોય તો પણ તેના ભાઈ-ભાંડુઓ અને માતાપિતાની કાળજી લેવામાં તેને મજા આવતી હોય છે, મોટી થઈને ઘરના વડીલો તેમજ અતિથિઓ અને પતિની પણ તે જ સેવા કરતી જોવા મળે છે. આજે ઘણી વાર કહેવાતી સશક્ત સ્ત્રીઓને કુટુંબના સભ્યોની કાળજી લેવાનો ભાર લાગવા માંડ્યો છે. પોતાના નિજી સ્વાર્થ અને સુખસગવડોને પૂરી કરીને સશક્ત બનવાની અભિલાષા એ સેવે છે.
મા શારદાના જીવનમાં બાળપણથી જ દુઃખી અને પીડિત લોકોની નિસ્વાર્થ સેવા અંગેના ઘણા પ્રસંગો છે. એક વખત ભયંકર દુષ્કાળ પડતાં તેમના દયાળુ પિતાશ્રીએ બાર મહિનાના ભરેલા ચોખા દુષ્કાળ પીડિતો માટે વાપર્યા. ઘરમાં જ ગરમાગરમ ખીચડી બનતી અને નાની શારદા દુષ્કાળપીડિત ગરીબોને ગરમ ગરમ ખીચડી પીરસતી. એ ખીચડીને ઠંડી કરવા તે નાના નાના હાથથી પંખો નાખીને પ્રેમથી ખીચડી ખવડાવતી.
પવિત્રતા અને પ્રેમ : આજે સ્ત્રી સશક્તીકરણના નેજા હેઠળ નારીમુક્તિ આંદોલન ચાલી રહ્યું છે. તેમાં ક્યારેક મુક્તિનો અર્થ સ્વચ્છંદતા કરીને કેટલીક સ્ત્રીઓ ગૌરવ અનુભવે છે. કુટુંબોમાં પડતાં ભંગાણો અને મા-બાપ વગરનાં બાળકોની પરિસ્થિતિ બહુ દયાજનક બની રહી છે.
મા શારદા પવિત્રતાની સાક્ષાત્ મૂર્તિ હતાં. શ્રીરામકૃષ્ણે પોતાના સહજીવનના સંદર્ભમાં કહેલું, ‘એ જો આટલાં પવિત્ર અને સંયમી ન હોત તો હું મારો સંયમ ગુમાવી બેસત.’ પશ્ચિમી શિષ્યા ભગિની નિવેદિતાએ માની પવિત્રતા, પ્રેમ અને માધુર્યનું વર્ણન કરતાં શ્રીમાને લંડનથી સાલ ૧૯૧૦માં પત્ર લખેલો:
મા, તમે કેવાં સ્નેહથી છલકાતાં છો, તમારો એ પ્રેમ અમારા સ્નેહની પેઠે નથી તો ઉછાંછળો, નથી તો ઉગ્ર, પણ એક સૌમ્ય શાંતિ છે; સૌનું કલ્યાણ કરતી, કોઈનું એ અમંગળ ન વાંછતી એવી સોનેરી આભા જેવો…. ખરેખર, તમે શ્રીપ્રભુની સૌથી અદ્ભુત કૃતિ છો. તમારી સામે અમારે ખૂબ શાંત થઈને, ચૂપ બનીને બેસી રહેવું ઘટે. જરાતરા ગમ્મત-મસ્તીની પળો સિવાય! સાચે જ શ્રી પ્રભુની અદ્ભુત કૃતિઓ બધી નીરવ હોય છે. ધીરા પગલે ચૂપચાપ આપણા જીવનમાં પ્રવેશતી જેમ કે, બગીચાનાં ફૂલોની મીઠી સુગંધ, હવા, સૂર્યપ્રકાશ જેવી તમારી આ સ્મૃતિ, રાગ અને દ્વેષના દ્વન્દ્વથી રહિત શિખરવાસી શાંતિ સમી છે ને મા? કમળપત્ર પર પડેલા ઝાકળના બિંદુની જેમ સંસારથી અળગી રહીને શ્રીપ્રભુમાં થરકી રહેલી!
Your Content Goes Here