(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’નો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

ધર્મ અને વિજ્ઞાન

પ્રશ્નઃ આપે મુંબઈના આપના એક ભાષણમાં કહ્યું હતું કે ધર્મ પણ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે. તો શું ધર્મના પ્રયોગો પણ વિજ્ઞાનની જેમ સિદ્ધ કરી શકાય છે?

ઉત્તરઃ હા, ધર્મ પણ એક વિજ્ઞાન છે. ધર્મનો પ્રયોગ સર્વ–સામાન્ય માટે કઠિન છે, કારણ કે આમાં મન જ પ્રયોગ કરવા માટેનું સાધન છે, અને પ્રયોગની વસ્તુ પણ. પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ કુશળ પથ–પ્રદર્શકના નેતૃત્વમાં એકાગ્રતાપૂર્વક આ પ્રયોગ કરવામાં લાગી જાય, તો વિજ્ઞાનના પ્રયોગની જેમ આ પ્રયોગ પણ સિદ્ધ થઈ શકે છે.

પ્રશ્નઃ આજે મનુષ્ય વિજ્ઞાનના સહારે નવી સૃષ્ટિ રચી રહ્યો છે—તે નવા ઉપગ્રહ બનાવીને અંતરિક્ષમાં છોડી રહ્યો છે. કૃત્રિમ ગર્ભાધાન પણ સફળ થઈ ચૂક્યું છે. એવા પ્રયોગો થાય છે, જેમાં માતૃગર્ભનો આધાર લીધા વગર પણ પ્રયોગશાળામાં બાળકનો જન્મ થઈ શકશે. આવી સ્થિતિમાં ઈશ્વરનું સ્થાન ક્યાં હશે?

ઉત્તરઃ તાત્ત્વિક જ્ઞાનની દૃષ્ટિએ વેદાંતની જ્ઞાન–પદ્ધતિ સર્વશ્રેષ્ઠ છે. વેદાંતની દૃષ્ટિમાં પ્રત્યેક જીવ શિવ છે, દરેક આત્મા પરમાત્મા છે.

અજ્ઞાનને કારણે મનુષ્ય પોતાના ઈશ્વરત્વને જાણી શકતો નથી. એનો અર્થ એ થયો કે મનુષ્ય પણ ઈશ્વરની જ જેમ સર્વકંઈ કરવા સમર્થ છે, એનામાં અનંત શક્તિ છે. હા, તેણે આ શક્તિના પ્રકટીકરણનો ઉપાય જાણવો જરૂરી છે. મનુષ્ય બે સ્તર પર કાર્ય કરે છે—શરીર અને મન. જો તે અજ્ઞાનનાં બંધનોને કાપી શકે, તો તે બંને સ્તર પર અનંત શક્તિ પ્રાપ્ત કરી શકશે. શરીર ભૌતિક સ્તર છે અને એના આધારે જ વિજ્ઞાનની અલૌકિક શક્તિઓ પ્રગટ થઈ છે.

મનુષ્ય જે આ નવી સૃષ્ટિ રચી રહ્યો છે, ઉપગ્રહ વગેરે બનાવી રહ્યો છે—તે આ જ સત્યની પુષ્ટિ કરે છે કે મનુષ્યમાં અનંત શક્તિ રહેલી છે—જેવું બાહ્યજગતના સંદર્ભમાં છે, એવું જ આંતરિક (અધ્યાત્મ) જગતના સંદર્ભમાં પણ છે. જો કોઈ દિવસ ગર્ભની બહાર પ્રયોગશાળામાં બાળકનો જન્મ થઈ જશે, તો એનાથી ઈશ્વરને કોઈ તકલીફ નહીં પડે, પરંતુ એથી તો મનુષ્યનું ઈશ્વરત્વ જ સિદ્ધ થશે.

ગડબડ ત્યારે પેદા થાય છે, જ્યારે આપણે ઈશ્વરને વ્યક્તિ–વિશેષ સમજીએ છીએ અને એના વિશે કલ્પના કરીએ છીએ કે તે અમુક સ્થાન પર બિરાજમાન છે અને ત્યાંથી સંપૂર્ણ જગતનું કામકાજ સંભાળી રહ્યા છે. વાસ્તવમાં, ઈશ્વર એવા નથી. એ તો વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત ‘નિયમ’ (law) છે, અથવા તો આઇન્સ્ટાઇનની ભાષામાં કહીએ તો ‘સર્વોચ્ચ બુદ્ધિ’ (Supreme Intelligence) છે.

જેવી રીતે ધર્મ આ ‘સર્વોચ્ચ બુદ્ધિ’ અથવા ‘સર્વવ્યાપી નિયમ’ની શોધ કરે છે, એવી જ રીતે વિજ્ઞાન પણ એની જ શોધમાં છે. નવી સૃષ્ટિ રચવી કે ઉપગ્રહ બનાવવા અથવા પ્રયોગશાળામાં બાળક પેદા કરવું—આ બહાના હેઠળ, વાસ્તવમાં તો વિજ્ઞાન એ અનુસ્યૂત નિયમ કે ‘સર્વોચ્ચ બુદ્ધિ’ને જ પકડવા ઇચ્છે છે. જે દિવસે વૈજ્ઞાનિક એ સર્વાનુસ્યૂત નિયમને પકડી લેશે, તે દિવસે તે ખુદ ઈશ્વર જ બની જશે. ધર્મ પણ આ જ વાત કહે છે, મારા મત પ્રમાણે ધર્મ એટલે કે વેદાંત.

જો તમે આ દૃષ્ટિકોણથી વિચારશો, તો જણાશે કે વિજ્ઞાન અને ઈશ્વર કોઈ પરસ્પર વિરોધી તત્ત્વ નથી. વિજ્ઞાનનો અર્થ ફક્ત તેના ‘આવિષ્કારો’ ન થવો જોઈએ, પરંતુ વિજ્ઞાન એટલે જ્ઞાનની અનુસંધાનાત્મક પ્રવૃત્તિઓ.

જ્યારે આપણે ઇન્દ્રિય–ગ્રાહ્ય જગતને શોધખોળનો વિષય બનાવીને એ સર્વાનુસ્યૂત નિયમને પકડવા જઈએ છીએ, ત્યારે તે ‘વિજ્ઞાનની પદ્ધતિ’ કહેવાય છે અને જ્યારે મનને શોધનો વિષય બનાવીને એ તરફ અગ્રેસર થઈએ છીએ, ત્યારે તેને ‘ધર્મની પદ્ધતિ’ કહેવામાં આવે છે. આમ, સ્પષ્ટ છે કે મનુષ્યનું ઈશ્વરત્વ અકાટ્ય છે.

આ જ અર્થમાં વેદાંત કહે છે કે મનુષ્ય ઈશ્વર જ છે. અજ્ઞાનનું પડ દૂર કરવા માત્રથી જ તે છૂપાયેલું ઈશ્વરત્વ પ્રકટ થઈ જાય છે. વિજ્ઞાન ઉત્તરોત્તર મનુષ્યના આ જ ઈશ્વરત્વને પ્રકટ કરી રહ્યું છે.

પુનર્જન્મ તથા કર્મવાદ

પ્રશ્નઃ કર્મના સિદ્ધાંત અંગે આપના શું વિચાર છે?

ઉત્તરઃ કર્મ–સિદ્ધાંત અટલ છે. જેવું કર્મ, એવું ફળ. કર્મ કરવા પાછળનો જે આશય છે, એને અનુરૂપ જ ફળ મળે છે. તેથી આપણે કહી શકીએ કે ઇચ્છારહિત થઈને કરેલાં કર્મનું કોઈ ફળ નથી મળતું. પ્રશ્ન થઈ શકે કે શું કોઈ ઇચ્છારહિત બનીને કર્મ કરી શકે? જવાબ છે— હા.

જ્યારે આપણું કર્મ યંત્રવત્‌ થાય છે, એટલે કે શરીરથી તો આપણે કર્મ કરીએ છીએ, પરંતુ આપણું મન અન્યત્ર રહે છે, તો આ રીતે કરેલાં કર્મોનું કોઈ ફળ મળતું નથી. કર્મના બાહ્યરૂપ અનુસાર ફળ નથી મળતું, પરંતુ કર્મ પાછળના આશય અનુસાર ફળ મળે છે.

અહીંયાં એક બીજો પ્રશ્ન પણ થઈ શકે છે કે, જો કોઈ વ્યક્તિ ઉપરથી નઠારું લાગે એવું કર્મ કરે છે, પણ જો તે વ્યક્તિ એ કર્મ ઇચ્છારહિત બનીને કરે છે, અથવા તો એ કર્મ કરવા પાછળનો તેનો આશય શુભ છે, ત્યારે તો વ્યભિચારી વ્યક્તિ પણ એવું કહી શકે છે. ધર્મક્ષેત્રના કેટલાય આગેવાનો દુષ્કર્મ કરે છે, પરંતુ કહે છે કે મનથી અલિપ્ત છું.

આવી સ્થિતિમાં શું થશે? એનો જવાબ છે કે આ બધું છળકપટ છે. આવું કહેનાર વ્યક્તિ અન્યને તો છેતરે જ છે, પણ સાથે જ પોતાની જાતને પણ છેતરે છે. આ બધી ચર્ચા એક સાચી વ્યક્તિના સંદર્ભમાં કરી રહ્યા છીએ.

એટલે કે કર્મનો સિદ્ધાંત એ છે કે કર્મનું ફળ કર્મના બાહ્યરૂપ પર નિર્ભર રહેતું નથી, પરંતુ કર્મ કરવા પાછળના હેતુ અનુસાર ફળ મળે છે.

પ્રશ્નઃ કાર્ય માટે કારણ અપેક્ષિત છે. તેથી આપણો વર્તમાન આપણા ભૂતકાળનું પરિણામ છે. તો શું ભૂતકાળના પરિણામથી છુટકારો મેળવવો શક્ય છે?

ઉત્તરઃ એ સાચું છે કે સામાન્યતઃ કાર્ય–કારણનો નિયમ અકાટ્ય હોય છે, પરંતુ એ પણ સત્ય છે કે કાર્યની તીવ્રતાને વર્તમાન કારણના ફળસ્વરૂપે ઓછી કરી શકાય છે અને આ રીતે ભૂતકાળના પરિણામથી છુટકારો મેળવી શકાય છે. તમારા પ્રશ્નને અન્ય શબ્દોમાં કહીએ તો—શું સ્વતંત્ર ઇચ્છા જેવી કોઈ વસ્તુ છે, કે સર્વત્ર ભાગ્યનું ફળ મળે છે? ભાગ્ય અને ઇચ્છા–સ્વાતંત્ર્યનો વિવાદ બહુ જૂનો છે. પ્રારબ્ધવાદી એમ માને છે કે વર્તમાન સંપૂર્ણ રીતે ભૂતકાળનું જ પરિણામ છે, એટલે તે વર્તમાનને અટલ અને અપરિવર્તનીય માને છે.

એના પરિણામે, તે પુરુષાર્થ કરવાનું ટાળે છે. તે પ્રયત્ન કરવાનું વ્યર્થ માને છે અને અકર્મણ્ય તથા આળસુ બની જાય છે. કમનસીબે ભારત દેશ ઘણા સમયથી આ પ્રકારની વિચારધારાનો શિકાર રહ્યો છે. સ્વામી વિવેકાનંદે સિંહ–ગર્જના કરીને ભારતના પૌરુષત્વને જગાડ્યું છે અને ભારતવાસીઓને એ ઉપદેશ આપ્યો છે કે—મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે, અને એટલે જ તે પોતાના ભાગ્યમાં ઇચ્છાનુસાર પરિવર્તન લાવી શકે છે.

વર્તમાન જીવનની બધી ઘટનાઓ તથા ક્રિયાઓને ભૂતકાળનું પરિણામ માની લેવાથી, એ પણ માનવું પડશે કે આ જ ઘટનાઓ અને ક્રિયાઓ ભાવિ જીવનની ઘટનાઓ અને ક્રિયાઓનું નિર્માણ કરશે અને આ રીતે વ્યક્તિ માટે પોતાની ઇચ્છા મુજબ કરવાનું કશું રહેશે નહીં. આ વિચારધારા ખોટી છે. એ સાચું છે કે ભૂતકાળ જ આપણા વર્તમાનનું નિર્માણ કરે છે અને વર્તમાન આપણા ભવિષ્યનું, પરંતુ એ સાચું નથી કે માત્ર ભૂતકાળ જ આપણું ભવિષ્ય બનાવે છે.

આપણે આપણા વર્તમાનને ઇચ્છાનુસાર રૂપ આપી શકીએ છીએ. એક ઉદાહરણ દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે, કોઈ પત્તાં રમવા બેઠું છે. હવે એના હાથમાં જે પત્તું આવ્યું, એને તો ભૂતકાળનું પરિણામ માની શકાય છે. પરંતુ એ પત્તાને રમવાની જે આવડત હશે, એને વર્તમાનને બદલવાનો પ્રયત્ન કે ઇચ્છા–સ્વાતંત્ર્ય અથવા પુરુષાર્થનું નામ આપી શકાય છે.

શ્રીરામકૃષ્ણદેવ પોતાની સહજ–સરળ ભાષામાં કહેતા કે, જો પૂર્વ કર્મોના ફળસ્વરૂપે કોઈ વ્યક્તિના ભાગ્યમાં પગ કપાવાનું લખ્યું હોય, તો વર્તમાનનાં સારાં કર્મોને લીધે, ભગવાનની ભક્તિ કરવાને કારણે અને એમના શરણે જવાથી એનો પગ તો નહીં કપાય; પણ હા, કાંટો વાગ્યા પૂરતું રહેશે.

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.