શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મહાશિવરાત્રી નિમિત્તે ચાર-પ્રહર પૂજા

મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ માહાત્મ્ય ધરાવે છે. આ દિવસે શિવભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને રાતે જાગરણ કરે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ રાતભર વિશેષ ચાર પ્રહર પૂજા કરવામાં આવી. પૂજા દરમિયાન રુદ્રપાઠ, શ્રીશિવમહિમ્ન સ્તોત્ર, વિવિધ સ્તોત્રો, શિવનામ સંકીર્તન તથા શિવભજનોનું ગાન કરવામાં આવ્યું તથા પ્રથમ બે પ્રહર દરમિયાન શિવ-નૃત્ય પણ કરવામાં આવ્યું. લગભગ ૧૦૦૦ જેટલા ભક્તો દર્શનાર્થે પધાર્યા. તેઓએ શિવજીને અભિષેક પણ કર્યો હતો.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૦મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી

ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસની ૧૯૦મી જન્મતિથિ તા. ૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વિશ્વભરના દરેક કેન્દ્રમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી. રાજકોટ સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમમાં  સૌપ્રથમ સવારે મંગલ આરતી બાદ વૈદિક પાઠ અને સ્તોત્ર પાઠ કરવામાં આવ્યાં. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી.

આ સાથે સાથે આશ્રમ પ્રાંગણમાં મંદિર ફરતે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં સાધુઓ તેમજ ભક્તજનો દ્વારા ભજન-કીર્તન સાથે નૃત્ય કરવામાં આવ્યું. ત્યારબાદ હોમ કરવામાં આવ્યો અને ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ‘શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ’ વિશે પ્રવચન આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે કર્યું. આ પાવન દિવસે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને વિશેષ અન્નભોગ પણ ધરાવવામાં આવ્યો. આ પવિત્ર દિવસે આશ્રમમાં લગભગ ૨૦૦૦ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો.

ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું અર્ધવાર્ષિક સંમેલન

ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું અર્ધવાર્ષિક સંમેલન તા. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર, કીમ (તાલુકો-ઓલપાડ, જિલ્લો-સુરત)ના યજમાનપદે યોજાયું હતું.

આ સંમેલનમાં રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર મઠ તરફથી નિયુક્ત નિરીક્ષક તરીકે રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજી પધાર્યા હતા. પરિષદના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી નિખિલેશ્વરાનંદજી, ઉપાધ્યક્ષો શ્રીમત્ સ્વામી ગુણાશ્રયાનંદજી અને શ્રીમત્ સ્વામી ઇષ્ટમયાનંદજી તથા વિશેષ આમંત્રિત શ્રીમત્ સ્વામી પ્રભુસેવાનંદજી અને શ્રીમત્ સ્વામી મંત્રેશાનંદજી ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ એ રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર મઠ દ્વારા સલાહકૃત પરિષદ છે. ભારતભરમાં હાલમાં આવી ૩૬ ભાવપ્રચાર પરિષદ છે, જે નિયત દસ સૂત્રીય માર્ગદર્શન મુદ્દાઓ હેઠળ ભક્તો, શુભેચ્છકો અને સ્વયંસેવકોએ સ્થાપેલાં કેન્દ્રોને સુચારુ સંચાલન માટે માર્ગદર્શન આપે છે. આ પરિષદની માળખાગત પદ્ધતિ અનુસાર પ્રથમ હરોળમાં પરિષદનાં સભ્યકેન્દ્રો, બીજી હરોળમાં નિરીક્ષણ હેઠળનાં કેન્દ્રો અને તૃતીય હરોળમાં આમંત્રિત કેન્દ્રો જોડાતાં હોય છે. દર છ મહિને અલગ અલગ સભ્યકેન્દ્રોના યજમાનપદે આ સંમેલન યોજાતાં રહે છે.

ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના આ સંમેલનમાં દસ સભ્યકેન્દ્રો પૈકી અંજાર, અંકલેશ્વર, ધાણેટી, ધરમપુર, કીમ, માંડવી, સુરત અને ઉપલેટા ઉપસ્થિત રહ્યાં હતાં, જ્યારે બે સભ્યકેન્દ્રો જામનગર કેન્દ્ર અને જૂનાગઢ કેન્દ્ર અને નિરીક્ષણ હેઠળનું એક ભાવનગર કેન્દ્ર ગેરહાજર રહ્યાં હતાં.  બે દિવસના આ સંમેલનમાં પ્રારંભે  ઉદ્‌ઘાટન સત્રમાં ધ્વજવંદન, સંઘગાન, અને સભ્યકેન્દ્રનાં પ્રતિનિધિ ભાઈબહેનોએ પોતાના કેન્દ્રની છેલ્લા છ માસની સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો તથા કેન્દ્રોને આગળ વધવા માટેના સ્વામીજીઓનાં પ્રેરક વક્તવ્યો યોજાયાં હતાં. કાર્યસત્રની બેઠકમાં કેન્દ્રોના વહીવટી મુદ્દાઓ ઉપરાંત ભાવપ્રચાર યુવા પરિષદ અન્વયે દરેક કેન્દ્રે યુવા વિભાગની રચના અને કાર્યપદ્ધતિ નક્કી કરવા નિયત માર્ગદર્શક મુદ્દાઓ અંગે ચર્ચાવિચારણા થઈ હતી. વિશેષમાં ગુજરાતમાં કેન્દ્રોની સંખ્યા વધારવા વધુ પ્રયત્નો કરવા નક્કી થયું હતું.

આ પ્રસંગે એક જાહેર કાર્યક્રમ અને એક યુવા શિબિર પણ યોજાઈ હતી, જેમાં સ્વામીજીઓનાં વક્તવ્યો આયોજિત થયાં હતાં.

કીમ કેન્દ્રનો રજત જયંતી મહોત્સવ

રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર, કીમ (તાલુકો ઓલપાડ,જિલ્લો-સુરત) તરફથી રજત જયંતી મહોત્સવનો પ્રારંભ આ વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસથી જ થઈ ગયો છે. તાજેતરમાં ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના અર્ધવાર્ષિક સંમેલનનું યજમાનપદ આ કેન્દ્રે  સ્વીકાર્યું હતું. રજત જયંતી મહોત્સવના ભાગરૂપે યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં અને અલગથી એક યુવા શિબિરમાં શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજી, શ્રીમત્ સ્વામી નિખિલેશ્વરાનંદજી, શ્રીમત્ સ્વામી ગુણાશ્રયાનંદજી, શ્રીમત્ સ્વામી પ્રભુસેવાનંદજી, શ્રીમત્ સ્વામી ઇષ્ટમયાનંદજી, શ્રીમત્ સ્વામી મંત્રેશાનંદજીએ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવવધારાનાં વિશિષ્ટ પાસાં સમજાવતાં પ્રાસંગિક અને યુવાઓને પ્રેરક વક્તવ્યો આપ્યાં હતાં.

કેન્દ્રના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાગરભાઈ લાડ તેમજ તેમનાં ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેન લાડ અને તેમના પરિવારજનોને કપરા કૌટુંબિક સંજોગોની વચ્ચે રહીને પણ તેમણે કરેલ સેવા અને સમર્પણને બિરદાવ્યાં હતાં અને વધુ ને વધુ  આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી. નવા કાર્યકર્તાઓને તૈયાર કરવા બદલ પણ તેઓની સરાહના કરવામાં આવી હતી.

આ કેન્દ્ર  ભાવપ્રચાર પરિષદનું સભ્યકેન્દ્ર છે, જે છેલ્લાં પચીસ વર્ષથી ગામની હોસ્પિટલના જરૂરતમંદોને ટિફિન પહોંચાડી અન્નદાન સાથે શૈક્ષણિક સેવા ઉપરાંત, ચોવીસ કલાક કાર્યરત પુસ્તકાલય ચલાવે છે, જે વિશિષ્ટપણે સ્તુત્ય સેવાપ્રકાર છે.

ધરમપુરમાં ખાતમુહૂર્ત સમારોહ

શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, ધરમપુર દ્વારા તા. ૨૪/૨/૨૦૨૫ના રોજ નવસંપાદિત જમીન પર ‘વિવેકાનંદ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ બનાવવા માટે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ ખાતમુહૂર્ત વિધિ રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજીના વરદ હસ્તે યોજાયો હતો.

આ વિધિમાં શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન, ધરમપુરના સ્થાપક ગુરુદેવ શ્રી રાકેશભાઈ ઝવેરી તેમજ શ્રીમત્ સ્વામી નિખિલેશ્વરાનંદજી, શ્રીમત્ સ્વામી ગુણાશ્રયાનંદજી, શ્રીમત્ સ્વામી પ્રભુસેવાનંદજી, શ્રીમત્ સ્વામી ઇષ્ટમયાનંદજી અને શ્રીમત્ સ્વામી મંત્રેશાનંદજી તથા ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ જોડાયા હતા.

આ પ્રસંગના જાહેર કાર્યક્રમમાં આ ટ્રસ્ટના સ્થાપક ડૉ. દોલતભાઈ દેસાઈએ ત્રીસ વર્ષથી આદિવાસીઓના વિસ્તારમાં રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા થકી સેવાકીય કાર્યોની વાત કહી હતી. ચેરમેન શ્રી ગિરીશભાઈ સોલંકી અન્ય ટ્રસ્ટીઓએ સહુનું સ્વાગત-સન્માન કર્યું હતું. શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજીએ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વૈશ્વિક ભાવધારાનું દર્શન ગણાવ્યું હતું. શ્રીમત્ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ કેન્દ્ર મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે એવું સ્વપ્ન પ્રગટ કર્યું હતું. અન્ય સ્વામીજીઓનાં પ્રાસંગિક વક્તવ્યો ઉપરાંત ‘વિવેકાનંદ લાઇટ એન્ડ સાઉન્ડ શો’ પણ યોજાયો હતો. શ્રી પ્રતિકભાઈ કોટકે કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું.

ધરમપુરનું આ કેન્દ્ર ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું સભ્યકેન્દ્ર છે જે કપરાડા, મામાભચા વગેરે આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહેલ છે.

Total Views: 119

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.