માત્ર સુવિખ્યાત સાહિત્યકાર જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી મનસુખભાઈ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં તા. ૨ નવેમ્બર, ૧૯૪૨ના રોજ થયો. તેમને મૂલ્યલક્ષી કેળવણીના આધિકારિક વ્યક્તિ કહી શકાય. અને આ વિષયમાં જ્યાં પણ કંઈ ચર્ચા-વિચારણા કરવામાં આવતી હોય, ત્યાં તેમને અવશ્ય આમંત્રણ આપવામાં આવે છે. કારણ કે તેમણે સ્વયં એ મૂલ્યોને અનુભવ્યાં છે અને જીવનમાં ઉતાર્યાં છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘The Greater the struggle, The Greater the person who comes out of it’ – ‘સંઘર્ષ જેટલો મહાન હશે, એ સંઘર્ષ કરીને બહાર નીકળેલો મનુષ્ય પણ તેટલો જ મહાન હશે.’

શ્રી મનસુખભાઈ સલ્લાનું જીવન આ વાક્યનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. માત્ર પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. જ્યાં સુધી પિતાજી જીવિત હતા, ત્યાં સુધી એટલા સંપત્તિવાન હતા, તે વિશે શ્રી મનસુખભાઈ સલ્લા કહે છે, ‘મારી માતાના શરીર પર ઓછામાં ઓછું એક કિલો સોનું રહેતું. પિતાજીના મૃત્યુ પછી પરિસ્થિતિ બદલાતી ગઈ અને છેવટે ભરપેટ ભોજન મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. મારાં માતુશ્રીની કેટલીક વિશિષ્ટતાઓ હતી. તેમણે ક્યારેય કોઈની પાસે હાથ ન ફેલાવ્યો, હિંમત ન હાર્યાં, પરાવલંબી ન રહ્યાં, આત્મનિર્ભર રહી મજૂરી કરી બાળકોને ભણાવ્યાં.’

શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ, શ્રી મનસુખભાઈ ગાંધીજીની બુનિયાદી તાલીમના આદર્શ પર શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા ભાવનગર પાસે સણોસરા ખાતે ઊભી થયેલી ‘લોકભારતી’ સંસ્થામાંથી ૧૯૫૯થી ૧૯૬૩ દરમિયાન અભ્યાસ કરી સ્નાતક થયા. ત્યાર બાદ સ્વયં ગાંધીજી દ્વારા અમદાવાદમાં નિર્માણ પામેલ ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૬૫-૬૬માં અભ્યાસ કરી એમ.એ. થયા. તેમની શૈક્ષણિક કારકિર્દી બહુ ઉજ્જ્વળ રહી.

મૂલ્યલક્ષી કેળવણી માટેની સુપ્રસિદ્ધ સંસ્થા ‘લોકભારતી’ સાથે તેઓ વર્ષો સુધી સંલગ્ન રહ્યા છે. ‘લોકભારતી’, સણોસરામાં તેઓ દીર્ઘકાળ (૧૯૬૭થી ૧૯૮૨) સુધી વ્યાખ્યાતા હતા અને ત્યાં જ તેઓએ ૧૯૮૨થી ૨૦૦૩ સુધી આચાર્યપદ શોભાવ્યું. ત્યાર બાદ તેઓ રુરલ સ્ટડીઝ ફેકલ્ટીના ડીન બન્યા. પછીથી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના એડમિનિસ્ટ્રેટીવ સેક્રેટરી અને ત્યાર બાદ સાહિત્ય એકેડેમી, દિલ્હીની જનરલ કાઉન્સીલના સભ્યપદે પણ સેવારત રહ્યા. આમ, આવી અનેકવિધ જવાબદારીઓનું તેમણે વહન કર્યું. હાલ તેઓ ૮૨ વર્ષની ઉંમરે પણ કાર્યશીલ છે. આજે પણ તેઓ સકારાત્મક વિચારસરણી ધરાવતા હોવાથી અને મૂલ્યનિષ્ઠ હોવાને કારણે અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન છે અને અનેક કાર્યક્રમોમાં આમંત્રણને માન આપીને લોકોને સંબોધિત કરે છે. આ ઉપરાંત શ્રી મનસુખભાઈ ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ છે, મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિના સભ્ય તેમજ સી.એન.વિદ્યાલયની જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે, તેની એડવાઈઝરી કમિટીના પ્રમુખ છે.

શ્રી મનસુખભાઈએ ૧૨ જેટલાં પુસ્તકો લખ્યાં છે તેમજ ૬ જેટલાં પુસ્તકોનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત ૫૧થી પણ વધુ લેખો અને ૧૮ નવલિકાઓ પણ પ્રકાશિત થયાં છે. કુલ ૧૮ પુસ્તકોમાંથી ‘અનુભવની એરણ પર’, ‘માણસાઈની કેળવણી’ અને ‘તુલસીક્યારાના દીવા’, આ ત્રણ પુસ્તકો સન્માનિત થયાં છે.

અનેક પુરસ્કારો શ્રી મનસુખભાઈને પ્રાપ્ત થયા છે. ૨૦૧૦માં ‘ભાઈતાઈ શિક્ષણ એવોર્ડ’, ૨૦૧૧માં શિશુવિહાર ભાવનગર તરફથી ‘માનભાઈ શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ, ૨૦૧૨માં ‘અનંતરાય રાવળ શિક્ષક એવોર્ડ’ ૨૦૧૫માં અચલા ફાઉન્ડેશન તરફથી ‘સારસ્વત પુરસ્કાર’, ૨૦૧૫માં જ વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા ‘દર્શક સાહિત્ય સન્માન’ વગેરે સન્માનો તેમણે પ્રાપ્ત કર્યાં. આ ઉપરાંત પી.ડી.પી. યુનિવર્સિટી, ગાંધીનગર તરફથી ૨૦૧૭માં તેમને ‘શિક્ષણ સન્માન’ પ્રાપ્ત થયું અને ૨૦૧૯માં નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા તેમને ‘નર્મદ ચંદ્રક’ પણ અર્પણ કરાયો.

તેમણે ૧૯૯૨-૯૩ના વર્ષ દરમિયાન ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ. માટે ગુજરાતી પાઠ્યક્રમ બનાવ્યો. એટલું જ નહીં, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના માત્ર સંપાદક તરીકે જ નહીં પરંતુ એડવાઈઝર તરીકે પણ સેવા આપી, જે તેમનું વિશેષ પ્રદાન છે.

શ્રી મનસુખભાઈ સલ્લાએ એક લેખ લખ્યો હતો, ‘ભારતીય સમાજના પુનરુત્થાનના અગ્રણી સ્વામી વિવેકાનંદ’. આ લેખમાં તેઓ પોતાના પરના સ્વામીજીના પ્રભાવ વિશે કહે છે:

“માધ્યમિક શાળાના શિક્ષણ દરમિયાન સ્વામી વિવેકાનંદ શબ્દ દ્વારા મારી સામે આવ્યા, પરંતુ તેમનો શબ્દ અંતરતમમાંથી ઊગેલો હતો. એ માત્ર નિર્જીવ શબ્દ ન રહ્યો, પણ સમસ્ત પ્રાણને સ્પર્શતો હોય એવો અનુભવ થયો. તેણે મારા અંતરતમને – આત્માને હચમચાવી નાખ્યો. ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ એ તો ઉપનિષદનું વાક્ય છે, અને ઘણાએ એનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ જ્યારે સ્વામીજીએ પોતાની વાણી દ્વારા ભારતવાસીઓ સમક્ષ એ મંત્ર કહ્યો, ત્યારે જે જાગૃતિ દેશમાં આવી, તેવી ક્યારેય આવી ન હતી. સ્વામીજીનું આહ્વાન સમસ્ત રાષ્ટ્રને જગાવનાર હતું. હું એ મારું સદ્‌ભાગ્ય ગણું છું કે મારા ઘડતરકાળમાં જ મને સ્વામીજીનું સાહિત્ય મળ્યું, મારા ચરિત્રનિર્માણ સમયે જ મને સ્વામીજીનું સાહિત્ય મળી ગયું. જાતિ, વર્ણ, ધર્મ, દેશ સાથે સંકળાયેલી માનવીય મર્યાદાઓ ખસેડી દઈને વિશાળ અને વૈશ્વિક ધ્યેય માટેનું આહ્વાન તેમની વાણી આપી રહી હોય તેવું અનુભવાયું.”

સ્વામીજીના શિકાગો સર્વધર્મસભાના વક્તવ્યની શરૂઆતના સંબોધનની જાદુઈ અસર કેમ થઈ એ વિશે તેઓ કહે છે :

“મને એવું લાગે છે કે તેમણે સ્વયં બધી જ સીમાઓને પાર કરીને વૈશ્વિકતાને પોતાના હૃદયમાં સમાવી લીધી હતી. અને વૈશ્વિકતા તેમની નસેનસમાં હતી. તેથી શ્રોતાઓને ખરેખર એવું લાગ્યું કે સ્વામીજીની વાણી તેમનાં હૃદયને સ્પર્શી રહી છે.

ઉચ્ચ શિક્ષણમાં અને કેળવણી ક્ષેત્રે જીવનકાર્ય કરતાં અવારનવાર મારે સ્વામીજીનાં લખાણોનો અભ્યાસ થતો રહ્યો. ત્યારે સૌથી મુખ્ય અનુભવ એ થયો કે વર્તમાન શિક્ષણનું આપણું દર્શન અત્યંત ખંડિત અને એકાંગી છે. એટલે કે સ્વામીજીના અનુસાર મનુષ્યના આત્મ-તત્ત્વની અભિવ્યક્તિ એ જ સાચી કેળવણી છે. આજનું ભણતર એ કેળવણી નથી.”

વધુમાં તેઓ લખે છે :

“સ્વામીજીના રાજયોગ અને મનુષ્યત્વના વિકાસ અંગેનાં લખાણો વાંચતાં સમજાયું કે આત્મ-તત્ત્વની કેળવણી માટે શરીરની સુદૃઢતા અનિવાર્ય છે.

કુદરત અને વૈશ્વિક સંવાદિતાવાળું જીવન જ પોષક અને ટકે એવું છે, એ સંદેશ વધુને વધુ સ્પષ્ટ થશે. સ્વામીજીની યોગ અને ઊર્ધ્વ-જીવનની વાત મનુષ્યજાતને આ સંદર્ભમાં સમજાવી જરૂરી બને છે.”

સ્વામીજીએ નાસ્તિકતાની વ્યાખ્યા જ સમૂળગી બદલી નાખી, માટે એ બહુ પ્રેરક બની રહે તેમ છે.

સ્વામીજીની અન્ય વિશેષતાઓ વિશે શ્રી મનસુખભાઈ કહે છે : સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને સમજાવ્યું કે પૃથ્વી પરનો એક પણ માણસ અભાવગ્રસ્ત હોય, અન્યાય વેઠતો હોય, બીમાર અને અજ્ઞાની હોય, ત્યાં સુધી તમે નારાયણને ઓળખ્યા નથી. સ્વામી વિવેકાનંદે ગાંધીજી પહેલાં ઘણાં વર્ષો અગાઉ દરિદ્ર-નારાયણની વિભાવના આપી. આ કારણે સ્વામી વિવેકાનંદના વિચારો ભારતીય પ્રજા માટે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. એને સેવીશું તો આપણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટટ્ટાર રહી શકીશું. જીવનમાં શું ગૌણ છે અને શું મુખ્ય છે, તેના વિવેકમાં સ્પષ્ટ રહી શકીશું, જીવનનું કેવું સ્વરૂપ ધારક બની શકે તે વહેલું સમજાશે અને વ્યાપકતા તરફ સહેજે યાત્રા કરી શકીશું.”

આમ, શ્રી મનસુખભાઈ સલ્લાએ સ્વામી વિવેકાનંદ પ્રતિ પોતાની શ્રદ્ધા પ્રકટ કરી છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ’ વિષય પર તા. ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ એક સેમિનાર યોજાયો હતો. તેમાં તેમણે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.

શ્રી મનસુખભાઈ મૂલ્યનિષ્ઠ શિક્ષણના તેમનાં ઉમદા કાર્યોમાં વધુને વધુ અગ્રસર થતા રહે, તે માટે ઈશ્વરના આશીર્વાદ તેમના પર વરસતા રહે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના.

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.