(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

જો લોકો સાધુસંગ કરે, તો સમજવું કે એમની પૂર્વજન્મની તપસ્યા હતી. તેથી તો સાધુનું મૂલ્ય સમજી શકે છે. સાધુ એટલે જે રાતદિવસ કેવળ એક ઈશ્વરનું જ નામસ્મરણ કરે છે, જેવી રીતે એક વકીલ મુકદ્દમો લઈને રહે છે, દાક્તર રોગીને લઈને રહે છે, તેવી જ રીતે સાધુ ઈશ્વરને લઈને રહે છે.

તેથી સાધુસંગ કરીને રહેવાથી બીજું બધું આપમેળે આવી મળશે. જેવી રીતે વાછરડાને પકડી રાખવાથી ગાય દોડી આવે છે, એવી રીતે સાધુને પકડી રાખવાથી ઈશ્વર-લાભ થાય છે.

પાઠક વાંચે છે, શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘શું જાણો છો, જરાક પણ કામના રહેવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. ધર્મની સૂક્ષ્મ ગતિ…

ઉપાય શું, એ પણ કહ્યું છે— વિદ્યામાયાનો આશ્રય લઈને પડ્યા રહેવું. શ્રી મ. (ભક્તોને) — જુઓ, ઠાકુર કહે છે, વાસના ત્યાગ કર્યા વિના ભગવાન–લાભ થતો નથી.

છતાં પણ જો એમની કૃપા, એમની દયા હોય તો, ત્યારે તો આ જ ક્ષણે સિદ્ધિલાભ થઈ શકે છે.

કૃપા કેવી રીતે થાય? એના માટે કોઈ પણ condition (શરત) નથી. એમની ઇચ્છા થાય તો જ એમની કૃપા થાય છે.

ઠાકુર કહેતા, ઈશ્વરનો સ્વભાવ બાળક જેવો છે. હાથમાં રત્ન છે. માગશો તો નહીં આપે. કોઈ તેની નજીકથી પસાર થઈ રહ્યું છે, તે માગશે નહીં, તો પણ એને બોલાવીને બધું જ આપી દેશે.

સાધુસંગ, તીર્થ, સાધુભક્તોની સેવા, ઈશ્વરની સેવા, દયા, જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય—આ બધું લઈને પડ્યા રહેવું જોઈએ.

કહે છે, એના પછી એક પગથિયું ચઢવાથી જ ઈશ્વર–દર્શન, બ્રહ્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાન થયા પછી જોઈ શકાય છે કે ઈશ્વર જ બધું થઈને રહ્યા છે. નિત્ય પછી લીલા. એક રસ્તા પર બે વેશ્યાઓ ઊભી હતી. તેમને જોતાં જ ઠાકુરે હાથ જોડીને પ્રણામ કર્યા. કેમ? કારણ કે, એમને સાક્ષાત્‌ ભગવતી રૂપે જુએ છે. આહા, આવી દૃષ્ટિ કોની છે, કેટલા લોકોની હોય છે?

મનનો નાશ થવાથી બ્રહ્મજ્ઞાન થાય છે. મનનો નાશ ક્યારે થાય છે? જ્યારે વાસના જાય ત્યારે. જ્યારે સોળ આના મન ઈશ્વરમય થઈ જાય છે, ત્યારે વાસના જાય છે. એને જ કહે છે મનનો નાશ, એનું નામ જ જ્ઞાન. હવે મનમાં છે મારું ઘર, મારો છોકરો—બધામાં મારું, મારું. જ્ઞાન થાય ત્યારે જુએ છે, ઈશ્વરનું ઘર, ઈશ્વરનો છોકરો—બધું ઈશ્વરનું, બધું જ ઈશ્વર. આને જ ચિત્તશુદ્ધિ કહે છે. મનનો નાશ, ચિત્તશુદ્ધિ અને જ્ઞાન એક જ બાબત.

ઠાકુર કહેતા, જે આંતરિક રીતે ઈશ્વરને જાણવા માગશે એનું જ થશે — ‘होबे–इ–होबे।’ (થશે જ, થશે). જે વ્યાકુળ છે, અને ઈશ્વર વિના કંઈ જાણતો નથી, એનું જ થશે.

ઈશ્વર સિવાય આટલા દૃઢ વિશ્વાસ સાથે કોણ કહી શકે? — ‘होबे–इ–होबे।’

શ્રી મ. (મોટા જિતેનને) — નરેન્દ્રને સ્નેહ કરે છે, એટલે એમની વાત પર ઠાકુર વિશ્વાસ કરે છે. ઈશ્વરીય દર્શનાદિ મનની ભૂલ છે—નરેન્દ્રે જેવી જ આ વાત કહી, તેવો જ ઠાકુરને સંશય થયો અને રડી, રડીને જગદંબાને એ વાત કહી. માએ દેખાડી દીધાં બધાં ચૈતન્યમય રૂપ—ચૈતન્ય, અખંડ ચૈતન્ય.

ઓહ, નરેન્દ્રને કેટલો પ્રેમ કરે છે.

એક ભક્ત — ઈશ્વર પણ જ્યારે અવતાર રૂપમાં અવિદ્યામાયાથી બદ્ધ થાય છે— ‘पंचभूतेर फांदे ब्रह्म पड़े कांदे।’ (પંચભૂતમાં પડે, તો બ્રહ્મ પણ રડે) તો પછી જીવ અને એનામાં શું અંતર?

શ્રી મ. — અવતાર મનમાં ઇચ્છા કરવા માત્રથી મુક્ત થાય છે, જીવનું એવું નથી.

ભક્ત — સાધારણ જીવ સિદ્ધ થયા પછી પણ શું અવિદ્યામાં પડી શકે છે?

શ્રી મ. — પડી શકે છે. તો પણ એનો ફરી જન્મ નહીં. અંદર જ્ઞાન રહે છે, ફક્ત પ્રારબ્ધ–ભોગ થાય છે. ઠાકુર એટલે કહેતા, બાપ છોકરાનો હાથ પકડી લે, પછી બેતાલ પડે નહીં. અવતાર વગેરેનો હાથ ઈશ્વર પકડી રાખે છે. એક મત છે, પ્રબળ પ્રારબ્ધના લીધે જન્મ થાય છે.

એમની કૃપાથી અચાનક સિદ્ધ પણ થઈ જાય છે, જેમ કે ગરીબનું બાળક અચાનક એક મોટા માણસની નજરમાં આવી ગયું અથવા હજારો વર્ષોથી બંધ ઓરડો સર્ચલાઇટ પડવાથી જેમ એક ક્ષણમાં પ્રકાશિત થઈ જાય છે; એવું જ.

શ્રી મ. શું વિચારી રહ્યા છે?

શ્રી મ. (સ્વગત) — ઈશ્વરની વિચિત્ર લીલા, કોણ સમજી શકે? આટલા લોકો ઠાકુર પાસે આવ્યા, કોઈ વીસ વર્ષ, કોઈ પચીસ વર્ષ. પરંતુ કોઈ એમને અવતાર તરીકે ઓળખી શક્યું નહીં. પરંતુ અંતરંગો પાસે પકડાઈ ગયા.

શ્રી મ. (ભક્તોને) — કોણ જાણતું હતું કે શરીરત્યાગ કરવાનો સંકેત આપી રહ્યા છે. આ જ, જે વાંચવામાં આવ્યું છે, ઠાકુર કહે છે, ‘અહીંયાંના જે લોકો છે, તે બધા આવી ગયા છે.’ એટલે કે અંતરંગ ભક્તો બધા આવી ગયા છે.

આ વાત મે માસમાં કહી હતી. એના છ માસ પછી જ બીમાર પડ્યા. એના દસ માસ પછી શરીર ગયું. એમણે લીલા–સંવરણનો સંકેત આપ્યો હતો. પરંતુ ભક્તો સમજી શક્યા નહીં.

કહ્યું હતું, આના પછી પણ લોકો આવશે. તેઓ બહારના. એમને મા કહી દેશે, આ કરો—આ રીતે ઈશ્વરને પોકારો.

એનો અર્થ—એમનાં દર્શનથી એનું કામ પણ થઈ જશે. પરંતુ અંતરંગોનું ડબલ કામ—સ્વયંનું કલ્યાણ અને જગતનું કલ્યાણ, બંનેય કરવું પડશે.

એક ભક્ત (શ્રી મ.ને) — ઠાકુર લગ્નનું અન્ન, શ્રાદ્ધનું અન્ન ખાવાની શા માટે મનાઈ કરતા હતા?

શ્રી મ. — લગ્નનું અન્ન ખાવાની મનાઈ એટલા માટે કે, એના સહભાગી બનવાથી ફરી સંસારનું પ્રલોભન થશે. અને શ્રાદ્ધનું કેમ ન ખવાય? એનાં બે કારણ છે. પહેલું કારણ છે, ‘મારું, મારું’ કરવું અજ્ઞાન છે. એનાથી જ શોક જન્મે છે. શોકનું અન્ન ખાવાથી અજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. આ અન્ન સાચો બ્રહ્માણ ખાઈ શકે છે—એના પેટમાં વૈશ્વાનર અગ્નિ જાગૃત થાય છે ને, એટલે હજમ થઈ જાય છે. અને બીજું કારણ કે, આટલો શોક અને આ બાજુ પંદર દિવસ વીત્યા ન વીત્યા ત્યાં તો ભોજન-ઉત્સવ. કેવી નિષ્ઠુરતા! કેવો શોક! મસ્તક મુંડાવીને પરિવારજનોને ભોજન કરાવે છે અને પછી પોતે પણ ખાય છે. શોક જાણે સમાતો નથી.

ઘણાયને નિયમ હોય છે કે, ઘરમાં શ્રાદ્ધ હોય તો ચણા–મમરા પલાળીને ખાય છે. તેઓ આવા શોકનું કોઈ પણ પ્રકારનું ભોજન કરતા નથી.

શ્રાદ્ધનો સંકલ્પ પોતાના શરીરના નામે કરવાથી મુસીબતમાં પડાય છે. બધું ભગવાનના નામે સમર્પિત કરવું જોઈએ. સત્‌ બ્રાહ્મણ ખાય તો મૃતકને પારલૌકિકનું ફળ મળે છે.

ભક્ત — સંન્યાસીગણ પણ આ જ મૃતોત્સવ તેરમા દિવસે કરે છે?

શ્રી મ. — સંન્યાસી આનંદોત્સવ કરે છે, બ્રહ્મોત્સવ. મૃત વ્યક્તિની નિર્વાણ મુક્તિ પર તે લોકો આનંદ કરે છે. તેઓ શોક–મોહમય સંસારનો ત્યાગ કરીને બ્રહ્મમાં લીન થઈ ગયા છે, એટલે આ આનંદ. સંન્યાસીઓને જીવિત અવસ્થામાં પણ આનંદ, મૃત્યુમાં આનંદ. એમણે શોક–મોહમય સંસારાશ્રમનો ત્યાગ કરીને પરમાનંદમાં આશ્રય લીધો છે. મૃત્યુ સમયે તેઓ આનંદપૂર્વક હસતાં હસતાં જાય છે. તેથી બીજા સાધુઓ પણ આનંદોત્સવ કરે છે. બધા ભગવાનને નિવેદન કરીને પ્રસાદ ગ્રહણ કરે છે. આપણા શશી મહારાજે (સ્વામી રામકૃષ્ણાનંદ) મૃત્યુ પૂર્વે આનંદથી એમ કહીને ગીત ગાયું હતું કે— ‘पोहालो दुःखरजनी’ (દુઃખભરી રાત્રિ સમાપ્ત થઈ). આ પ્રથમ પદ એમણે ગાયું હતું. બાકીના પદોની રચના ગિરીશ બાબુએ કરી હતી. પછી સંપૂર્ણ ગીત ગિરીશ બાબુએ સ્વયં ગાઈને શશી મહારાજને સંભળાવ્યું હતું. એમને સર્વત્ર આનંદ, જીવન–મરણ બધામાં.

શ્રી મ. (મોટા જિતેનને) — સંસારી લોકોની કેવી દશા છે, જુઓ. કેટલી inconsistencies (વિરુદ્ધ આચરણ) છે. માની સ્નેહ–મમતા કેટલી! આ બાજુ સ્નેહ, પેલી બાજુ નિષ્ઠુરતા. પુત્રને રોગ. મા બહુ વ્યાકુળ. એક જ્યોતિષે આવીને કહ્યું, નરબલિ આપવાથી પુત્ર સાજો થઈ જશે. શેરીમાં રહેતો છોકરો મિત્રને મળવા આવ્યો. તરત જ એની પકડીને માએ બલિ આપી દીધી! આહ, કેવી કોમળતા, કે કેવો સ્નેહ! એવી જ beautiful inconsistencies (સુંદર વિરુદ્ધ આચરણ) સંસારમાં છે.

શ્રી મ. — બ્રાહ્મસમાજના લોકો અને હજુ પણ પોલિટિશયન્સ કહે છે—all men are equal (બધા મનુષ્યો સમાન) છે. આ સાંભળીને ઠાકુરે કહ્યું, આહ, equal (સમાન) તો કેટલા! સમાતા નથી, જરા પણ. એક સાધુ ઘરે આવે ત્યારે ચાર પૈસા કે આઠ પૈસાનો ‘ખાબાર’ (ખાવાનું) લઈ આવે. અને જમાઈ બાબુ આવે ત્યારે શહેરની જેટલી પણ દુર્લભ વસ્તુઓ હોય બધી મગાવવામાં આવશે. ક્યાંકથી સમોસા, કૃષ્ણનગરના હલવા–પૂરી અને બાગબજારનું શું?

મોટા જિતેન બોલ્યા, ‘રસગુલ્લાં’. શ્રી મ. પણ સાથે સાથે સહાસ્ય બોલ્યા, ‘રસગુલ્લાં’.

શ્રી મ. (બધાને) — એક ગુરુને ગ્રંથ બાંધવા માટે કપડાના એક ટુકડાની જરૂર પડી. ગુરુપત્નીએ શિષ્યને કહ્યું, કારણ કે એની કાપડની દુકાન છે. શિષ્યે કહ્યું, ‘હા, મા! ટુકડા કરીશ એટલે મોકલાવી દઈશ.’ છ માસ થઈ ગયા. હજુ ટુકડો થયો નથી, ટુકડો થશે (બચશે) તો ગુરુનો ગ્રંથ બંધાશે (બધાનું હાસ્ય).

આ બધી beautiful inconsistencies (સુંદર વિસંગત આચરણો) ભક્તિની. ઠાકુરે આ બધું જોઈને જ સાવચેત કર્યા હતા. ગુરુ કરવા કોઈ નાનીસૂની વાત નથી. કહ્યું હતું કે, જેને ગુરુ–લાભ થયો છે એને પછી ભય નથી. ગુરુવાક્યમાં વિશ્વાસ જ એકમાત્ર ઈશ્વરલાભનો ઉપાય છે. જાણે અનંત સમુદ્રમાં જીવનરક્ષક નૌકા (lifeboat) આ વાત કોણ સમજશે? જેનો આશ્રય વિદ્યામાયા છે, જે ઈશ્વર માટે વ્યાકુળ છે. અન્ય લોકો અવિદ્યામાયામાં પડ્યા છે. ત્યારે એવું જ થાશે—છ માસ પછી કપડાનો એક ટુકડો ગુરુને આપશે.

લોકો કહે છે તેઓ બહુ દયાળુ છે. બજારથી કુલી લઈને આવ્યા છે. એમ મણ વજનનો ભાર માથા પર—તડકામાં પરસેવાથી રેબઝેબ. શેઠે ત્રણ પૈસા જ કાઢીને આપ્યા. અને વધુ એક પૈસા માટે કેટલી વિનંતી. શેઠ પીગળશે નહીં. એનો honest labour (સખત પરિશ્રમ). એને એક પૈસો પણ વધુ આપશે નહીં. આ બાજુ કહેવામાં આવે છે, શેઠ દયાળુ. આહા, કેટલી દયા, એકદમ ઊછળી રહી છે.

અને જુઓ ને, ઘરે બાળક અસ્વસ્થ હોય તો રાજ્યભરના બધા મોટા મોટા ડૉક્ટરો લાવશે. અને કોઈ નોકર બીમાર હશે તો પાછું વળીને પૂછશે પણ નહીં કે, શું થયું છે. આ બધી છે beautiful inconsistencies (સુંદર વિસંગત વ્યવહાર). ઠાકુર કહેતા, માયાના રાજ્યમાં થોડું આડું–અવળું રહે જ છે.

શ્રી મ. (ભક્તોને) — નારદ રામચંદ્રનાં દર્શન કરવા માટે ગયા. જોતાંવેંત જ સીતારામે સિંહાસનથી ઊતરીને નારદને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યાર પછી હાથ જોડીને બોલ્યા,… ‘પ્રભુ, અમે ભોગમાં ડૂબેલા છીએ, આપ લોકોનું શુભાગમન થાય તો જ અમને ચૈતન્ય થાય છે. આપ લોકોનું આગમન અમારા જેવા સંસારીઓના કલ્યાણ માટે છે.’ રામ humanity (મનુષ્યજાતિ)ના પ્રતિનિધિ રૂપે આ prayer (પ્રાર્થના) કરે છે. રાજા જનતાના representative (પ્રતિનિધિ) ને! એટલે બધા તરફથી સ્વાગત કરે છે.

સંસારમાં કપટતા છે જ, રહેશે જ.

(ક્રમશઃ)

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.