(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
બીજો પ્રસંગ ૧૯૦૧ની સાલમાં બનેલો. સ્વામી વિવેકાનંદે બેલુર મઠમાં દુર્ગાપૂજાનું આયોજન કરેલું ત્યારનો. બંગાળમાં દુર્ગાપૂજા નિમિત્તે પશુ-બલિદાનની જે પ્રથા ચાલી આવેલી તે તેમણે બેલુર મઠમાં યોજાનારી દુર્ગાપૂજામાં પણ ચાલુ રાખીને આયોજન કરેલું. સ્વામીજી આ અંગે માની સંમતિ લેવા ગયેલા. માએ તરત જ સંમતિ આપતાં કહેલું કે દીકરા, ચોક્કસ પૂજા કરો, શક્તિની પૂજા કર્યા વગર આ દુનિયામાં કશું જ થઈ શકતું નથી પરંતુ દીકરા, આ પૂજામાં તમે પશુ-બલિદાન ન આપતા. તમે બધા સાધુઓ છો. સંન્યાસ, સંસ્કાર ગ્રહણ કરતી વખતે તમે બધાએ દુનિયાનાં પ્રાણીમાત્રને અભયદાન આપવાનું વ્રત લીધેલું છે. આમ, માએ સ્વામીજીને સંન્યાસવ્રતની યાદ કરાવીને પશુ-બલિદાન ન કરવાની સૂચના આપી અને સ્વામીજીએ તુરત જ માની ઇચ્છાને માથા પર ચઢાવીને પોતે લીધેલા નિર્ણયમાં ફેર કરેલો.
કોમળ હૃદય : આ પ્રસંગ છે બેલુર મઠના રસોડાને લગતો. એક વખત રસોડામાં કામ કરતા રસોઇયાએ કોઈક વસ્તુની ચોરી કરી તેથી સ્વામી વિવેકાનંદે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ રસોઇયાએ મા પાસે જઈને પોતાના કુટુંબની ગરીબ હાલત અને જરૂરિયાતોની આપવીતી કહી સંભળાવી.
તે સાંભળીને માનું હૃદય દ્રવી ગયું અને સ્વામી પ્રેમાનંદ માના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે તેમની સાથે રસોઇયાને પાછો મોકલીને સ્વામીજીને સંદેશો કહેવડાવ્યો કે તમે બધા તો ઘરબાર વગરના સંન્યાસીઓ છો, તમે તો ઝાડ નીચે પણ જે કાંઈ મળે તે ખાઈ- પીને રહી શકો છો પણ આ રસોઇયો બહુ જ ગરીબ છે, તેને તમે પાછો નોકરીમાં રાખી દેશો.
જડ નિયમ બંધનોથી પાર : એક વખત એક બ્રહ્મચારીએ કંઈક અજુગતું કામ કરેલું તેથી તેમને સ્વામી શિવાનંદ મહારાજ મઠમાંથી કાઢી મૂકશે એ બીકે કોઈને પણ કહ્યા વગર, કપડાંલત્તાં લીધા વગર, મેલાં કપડાં અને લુખ્ખા વાળ સાથે પગે ચાલતા જયરામવાટી મા પાસે પહોંચી ગયા. બ્રહ્મચારી પાસેથી બધી વાત સાંભળીને તેમણે બેલુર મઠમાં સ્વામી શિવાનંદ મહારાજને પત્ર લખાવ્યો કે, આ બ્રહ્મચારીએ કંઈક અપરાધ તો કર્યો છે તો દીકરા, મા કોઈ દિવસ કંઈ દીકરાનો દોષ જુએ ખરી, એને કંઈ કહેતો નહીં. વળતી ટપાલે સ્વામી શિવાનંદ મહારાજનો જવાબ આવ્યો કે તમે એ બ્રહ્મચારીને મોકલી આપશો. હું એને નહીં વઢું. મઠમાં પહોંચતાં જ પૂ. મહારાજ એમને ભેટી પડ્યા અને કહ્યું, “બેટા, તું મારી સામે ફરિયાદ કરવા માટે હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો?”
સાલ ૧૯૧૯માં બાંકુડા જિલ્લામાં ભયંકર દુષ્કાળ પડેલો ત્યારનો આ પ્રસંગ છે. રામકૃષ્ણ સંઘના સાધુઓએ દુષ્કાળ-પીડિત લોકો માટે કામ શરૂ કરેલું. આ કામમાં જોડાયેલા માના એક શિષ્ય તે દિવસનું કામ પતાવીને માના આશીર્વાદ લેવા મા પાસે ગયેલા. માએ ચાલી રહેલાં રાહતકામ વિશે પૂછતાછ કરી. શિષ્યે જણાવ્યું કે તેઓ ગરીબ લોકો, વૃદ્ધો અને ગર્ભાવસ્થા અથવા પ્રસૂતા બહેનો કે જેઓ કોઈ કામ કરી શકે તેમ નથી કે જેઓને કોઈ કામ મળી શક્યું નથી તેઓને કૂપન આપે છે; જે લઈને તેનો નિશ્ચિત દિવસ, જગ્યા અને સમયે ચોખા, દાળ અને ક્યારેક બહેનોને સાડી પણ આપે છે.
જે લોકોને રાહત મળી રહી છે તે ખરેખર લાયક જ છે તે માટે તેઓ ઘરની મુલાકાત પણ કરે છે. એક દિવસ આ લોકોના ઘરની મુલાકાત માટે જે તે ફળિયામાં ગયા ત્યારે કોઈ પણ વ્યક્તિ એ ઘરમાં હાજર ન હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે બધા એક ખેતરમાં કામ કરવા ગયા છે. હવે તે શિષ્યના શબ્દોમાં જ વાંચીએ.
“કયા ખેતરમાં આ લોકો ગયા છે તે જાણીને હું ત્યાં ખેતરમાં ગયો. ઘૂંટણ સુધી કાદવમાં લોકો રોપણી કરી રહ્યા હતા. મને દૂરથી જોઈને એક સ્ત્રી રોપણી કરવાનું છોડી, ભાગી જઈને અનાજના ઢગલા પાછળ સંતાઈ ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે આગલી રાત્રે તે સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો છે. તે નવજાત બાળકને કપડામાં લપેટીને એક ખૂણામાં મૂકીને તે રોપણીનું કામ કરી રહી છે. આ સાંભળીને દુઃખી હૃદયે આ છુપાઈ ગયેલી બહેન પાસે હું ગયો અને રૂંધાતા કંઠે હું એટલું જ કહી શક્યો કે મા, તું ડરીશ નહીં. તને મળવાપાત્ર અનાજ અમે તને આપીશું જ. આ સાંભળતાં તેનામાં જાણે કે બોલવાની કંઈક હિંમત આવી. બે હાથ જોડીને એ કહેવા લાગી, “બાપુ, બહુ મુશ્કેલીમાં છું. આજે જો હું કામ કરું તો મને બશેર અનાજ મળે. એ માટે નછૂટકે મારા નવજાત બાળકને લઈને હું કામ કરવા આવી છું.” આ સાંભળીને મા હચમચી ગયાં. તેમણે કહ્યું, “આ પ્રસૂતા આવા નવજાત બાળકની સાથે ખેતરમાં કેવી રીતે કામ કરી શકે?” પછી મને માએ કહ્યું, “બેટા, તેં નક્કી કરેલા નિયમમાં છૂટછાટ લઈને જે નિર્ણય લીધો તે સારું જ કર્યું. ઠાકુર તારું કલ્યાણ કરશે.”
સામાન્ય રીતે જેની પાસે પૈસા ન હોય તેને ગરીબ કહેવામાં આવે છે. જ્યારે માએ ગરીબ શબ્દની વ્યાખ્યા સ્પર્શી જાય એ રીતે આપેલી છે. આશ્રમમાં ગરીબ માણસો માટે ચાલતી હોસ્પિટલો કે સ્કૂલોમાં સેવાઓનો લાભ લેવા તત્પર પૈસાપાત્ર લોકો, ગુરુની સેવામાં પૈસા ખર્ચવા પડશે એવા વિચારથી ગુરુની માંદગી વખતે ગુરુને મળવાનું ટાળનારા પૈસાપાત્ર ભક્તો—માટે શિષ્યોએ કરેલી ટીકાઓ અને વ્યક્ત કરેલા દુઃખદર્દ બદલ માએ કહેલું કે આવા લોકો પણ પૈસાની રીતે નહીં પરંતુ ભાવના અને લાગણીથી ગરીબ છે; માટે તેઓનો પણ તિરસ્કાર ન કરતાં માગેલી મદદ આપવી જ જોઈએ.
આશ્રમનો વહીવટ સારી રીતે સંભાળવા ઘણી વાર સાધુ-બ્રહ્મચારીઓને સીધાસામગ્રીની ખરીદી કરવા શહેરના મોટા બજારમાં જવું પડતું. જ્યારે તેઓ પોતાનું કામ પૂરું કરીને પાછા ફરતા ત્યારે બહુ મોડું થઈ જતું. મા આશ્રમના બીજા બધા સભ્યોને તેમનું ભોજન પૂરું કરવાની સલાહ આપીને પોતે રસોડામાં જ તે શિષ્યની રાહ જોતાં બેસી રહેતાં. આવો જ બીજો એક પ્રસંગ કોલકાતાના ‘ઉદ્બોધન’ ભવનમાં બનેલો. આશ્રમનો વહીવટ સરળ રીતે ચાલ્યા કરે તે માટે સવારે ઊઠવાના, પૂજા આરતીના, નાસ્તા અને જમવાના, મુલાકાતો વગેરેના નીતિનિયમો બનાવવામાં આવ્યા હતા. આ આશ્રમમાં માતાજી સાથે તેમના શિષ્યો અને સ્ત્રીભક્તો રહેતાં હતાં. તે ઉપરાંત જરૂર જણાય ત્યારે બેલુર મઠના રામકૃષ્ણ મિશનના બ્રહ્મચારીઓ પણ બપોરના ભોજન માટે આવતા. આજથી ૧૦૦ વર્ષ પહેલાં બેલુર મઠના સાધુ-બ્રહ્મચારીઓને ખરીદી કરવા કોલકાતા જવું પડતું. તે જમાનામાં તેઓની પાસે ન હતી કોલકાતામાં કોઈ વાહનવ્યવસ્થા કે ન હતી કોઈ બસ કે ટ્રામની સગવડ. આવવા-જવા માટે વાહનવ્યવહાર તરીકે હોડીનો જ ઉપયોગ થતો. વળી હોડીમાં જવા-આવવાનો સમય પણ ગંગામાં આવતી ભરતી-ઓટ કે બપોરના હોડી ચલાવનારના આરામના સમય ઉપર આધારિત રહેતો.
એક દિવસ બેલુર મઠથી એક બ્રહ્મચારી માતાજીના આશ્રમમાં ખબર આપ્યા વગર બધાનું ભોજન પૂરું થઈ ગયું પછી જમવા માટે આવ્યા. આથી ત્યાંના વહીવટકર્તાઓ બહુ ચિડાઈ ગયા અને બહુ જોરજોરથી તેમને ધમકાવવા લાગ્યા. માતાજીએ વચમાં પડીને કહ્યું કે મારા દીકરાને જમવાનું બહુ મોડું થઈ ગયું છે. એને જલદી જલદી ખાવાનું આપી દો.
મોડું થઈ ગયું છે અને મારો દીકરો રખડી- રખડીને આવ્યો છે. આ બ્રહ્મચારી મઠનું કામ પતાવીને આશ્રમમાં ભોજન માટે આવ્યા ત્યારે નક્કી કરેલ સમય મર્યાદા સાચવી ન શકેલા ત્યારે બનેલો આ પ્રસંગ છે. આમ, સંયુક્ત કુટુંબોમાં તેમજ સંસ્થાઓમાં મુખ્ય માણસે નિયમોમાં બંધાઈ ન જતાં જરૂર પડ્યે વ્યક્તિ, સમય અને સંજોગો અનુસાર અપવાદો કરવા જરૂરી છે, તેવો વ્યાવહારિક સંદેશો આવા પ્રસંગો દ્વારા મા આપી રહ્યાં છે.
દીર્ઘદૃષ્ટિ : મા શારદાએ દીર્ઘદૃષ્ટિ વાપરીને લીધેલા નિર્ણય સંદર્ભનો એક પ્રસંગ વાંચીએ. માના જન્મસ્થળે નવાં બંધાયેલાં મકાનો પર ગ્રામપંચાયતે રૂા. ૪નો ચોકીદારી ટેક્સ લગાડેલો.
પહેલા વર્ષે તો માની ગેરહાજરીમાં તેમના શિષ્યોએ આ ટેક્સ ભરી દીધેલો. પણ બીજા વર્ષે જ્યારે ટેક્સ ભરવાનો આવ્યો ત્યારે મા ત્યાં હાજર હતાં. માએ શિષ્યને ટેક્સ ભરવાની ના પાડી અને કહ્યું કે અત્યારે તો આપણે ટેક્સના પૈસા ભરવાની વ્યવસ્થા કરી શકીશું પણ થોડાં વર્ષો પછી જે બ્રહ્મચારીઓ અહીંયાં રહેતા હશે તેઓએ ભિક્ષા ઉપર જ બધો વહીવટ ચલાવવો પડશે, ત્યારે તેઓને મુશ્કેલી પડશે. માએ આગ્રહ કરીને પોતાના નામે ટેક્સ-કલેક્ટરને ટેક્સ માફી માટે અરજી કરાવી. પેલા શિષ્યને માનો આ આગ્રહ સમજી શકાયો નહિ. જો કે એ વર્ષે ટેક્સ પણ ભરવો પડ્યો પરંતુ ત્યાર બાદ ધર્માદા ઉપર ચાલતા આશ્રમને ટેક્સમાંથી મુક્તિ મળી ગઈ.
ટીમમાં કામ કરતી વખતે સંસ્થાઓમાં ઘણી વાર સાથીદારોના અભિપ્રાયો જુદા પડતા હોય છે. ક્યારેક કોઈ એક વ્યક્તિ ઉતાવળા અને અધીરા સ્વાભાવને લીધે ટૂંકા ગાળાના લાભાલાભ વિશે વિચારીને સંસ્થાના ઉપરીના લાંબા ગાળાના વિચારો ન સમજી શકવાથી સંસ્થામાં ગૂંચવાડા, મૂંઝવણો અને ક્યારેક સંધર્ષો પણ ઊભાં કરી દે છે. આ પ્રસંગમાંથી માએ સમયસૂચકતા અને દીર્ઘદૃષ્ટિ વાપરીને, આગ્રહ કરીને જે નિર્ણય લીધો તે સફળ નેતૃત્વ માટેનું આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
(ક્રમશઃ)
Your Content Goes Here