૧. સુખ અને દુઃખ એ એક જ સિક્કાની ઊલટી અને સૂલટી બાજુઓ છે. જે સુખને સ્વીકારે તેણે દુઃખને પણ સ્વીકારવું જ જોઈએ.
દુઃખ વગરનું સુખ આપણે મેળવી શકીએ એવો મૂર્ખાઈભર્યાે ગાંડો વિચાર આપણા સહુમાં ઘર કરી રહેલો છે; આ વિચારે આપણને એટલા બધા ભરખી લીધા છે કે ઇંદ્રિયો પર આપણો કાબૂ રહેતો જ નથી.
૨. પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.
૩. માથે દુઃખનો મુકુટ પહેરીને સુખ મનુષ્યની પાસે આવે છે; જે સુખનું સ્વાગત કરે તેણે દુઃખનું પણ સ્વાગત કરવું પડે.
૪. જ્યાં સુધી મનની અંદર ઇચ્છા રહેલી છે, ત્યાં સુધી સાચું સુખ મળી શકે જ નહિ.
૫. દરેકના જીવનમાં સમાધાનવૃત્તિ હોવી જ જોઈએ, આ સનાતન પાઠને શીખી લઈને તેનું પાલન કરશે તો લોકો અત્યંત સુખી જીવન ગાળી શકશે.
૬. ઇંદ્રિયપરાયણ જીવનથી ઊંચા જવાની આપણી અશક્તિ, શારીરિક ભોગો માટેનાં વલખાં જ જગતની બધી ભયંકરતા અને દુઃખોનું કારણ છે. મનની આવી બેફામ દોડાદોડીને કાબૂમાં રાખવાનું, તેને ઇચ્છાશક્તિના શાસન તળે મૂકવાનું અને એમ કરીને તેના જુલમી હુકમોમાંથી આપણી જાતને મુક્ત કરવાનું આપણને શીખવનાર શાસ્ત્ર તે મનોવિજ્ઞાન છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો