જેવી રીતે શરીર મનના હાથમાંનું સાધન છે, તેવી રીતે મન આત્માના હાથમાંનું સાધન છે. જડ પદાર્થ એ બહારની બાજુની ગતિ છે, મન એ અંદરની બાજુની ગતિ છે. દરેક પરિવર્તનનો આદિ અને અંત, કાળની અંદર જ થાય છે. આત્મા જો પરિવર્તનરહિત હોય તો તે પૂર્ણ હોવો જોઈએ; જો પૂર્ણ હોય તો તે અનંત હોવો જોઈએ; અને જો તે અનંત હોય તો તે એક જ હોવો જોઈએ; અનંત બે ન હોઈ શકે. તેથી આત્મા એક જ હોઈ શકે. જો કે તે વિવિધરૂપે દેખાય છે, છતાં ખરેખર તે એક જ છે. જો મનુષ્ય સૂર્ય તરફ જાય તો પ્રત્યેક પગલે તે જુદો સૂર્ય જોશે અને છતાં પણ સૂર્ય તો તે એક જ છે.

अस्ति, ‘હોવાપણું’ બધી એકતાનો પાયો છે; અને પાયો મળી આવે એટલે તરત જ પૂર્ણતા આવે છે. જો બધા રંગોને એક જ રંગમાં લાવી શકાય તો ચિત્રકામ જ અટકી જાય. સંપૂર્ણ ઐકય એ વિરામ છે. આપણે બધી અભિવ્યક્તિઓથી એક જ સત્તાને સૂચિત કરીએ છીએ. તાઓ ધર્મના અનુયાયીઓ, કોન્ફયુશિયસના અનુયાયીઓ, બૌદ્ધો, હિંદુઓ, યહૂદીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જરથુષ્ટ્રના અનુયાયીઓઃ બધાએ આ સોનેરી ઉપદેશ કર્યો અને લગભગ એક જ શબ્દમાં માત્ર હિંદુઓએ જ તેને તર્કશુદ્ધ ભૂમિકા આપી, કારણ કે તેઓએ તેના કારણને જોયુંઃ માણસે બીજાઓને ચાહવા જોઈએ, કારણ કે તે બીજાઓ તે પોતે જ છે. સઘળું કેવળ એક જ છે.

દુનિયાએ જાણેલા બધા મહાન ધર્મગુરુઓમાંથી માત્ર લાઓત્સે, બુદ્ધ અને ઈશુ જ પેલા સોનેરી નિયમથી પર ગયા અને કહ્યુંઃ ‘તમારા શત્રુઓનું ભલું કરો’; ‘જેઓ તમને ધિક્કારે તેમનું ભલું કરો.’

સિદ્ધાંતો અસ્તિત્વમાં હોય જ છે; આપણે તેમને નવા ઊભા કરતા નથી, માત્ર તેમને શોધી કાઢીએ છીએ… ધર્મ એકમાત્ર સાક્ષાત્કારમાં જ સમાયેલો છે. વાદો એ પદ્ધતિઓ છે, ધર્મ નથી. બધા જુદા જુદા ધર્મો જુદી જુદી પ્રજાઓની આવશ્યકતાઓને અનુકૂળ થવા માટે સંકલિત કરાયેલા એક જ ધર્મનાં વ્યવહારુ સ્વરૂપો માત્ર છે. સિદ્ધાંતો કેવળ ઝઘડાઓ ઉત્પન્ન કરે છે અને આમ ઈશ્વરનું જે નામ શાંતિ લાવનાર હોવું જોઈએ તે દુનિયાના અર્ધા રક્તપાતનું કારણ બન્યું છે. સીધા મૂળ પર જ જાઓ. ઈશ્વરને જ પૂછો કે તું કોણ છો? જો જવાબ ન આપે તો તેનું અસ્તિત્વ જ નથી; પણ દરેક ધર્મ શીખવ્યા કરે છે કે ઈશ્વર ઉત્તર આપે છે.

કહેવા જેવું કંઈક તમારા પોતાને માટે પણ રાખો, નહીં તો બીજાઓએ શું કહ્યું છે તેનો તમને ખ્યાલ શી રીતે આવી શકે? જૂના વહેમોને વળગી ન રહો; નવાં સત્યો માટે સદાય તૈયાર રહો. ‘જેઓ પોતાના બાપદાદાએ ખોદેલા કૂવામાંથી ખારું પાણી પીએ અને બીજાઓએ ખોદેલા કૂવામાંથી શુદ્ધ પાણી ન પીએ તેઓ મૂર્ખાઓ છે.’ જ્યાં સુધી આપણે પોતે ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરીએ ત્યાં સુધી તેના વિશે આપણે કંઈ જ ન જાણી શકીએ. દરેક માણસ મૂળે તો પોતે પૂર્ણ છે; મહાપુરુષોએ આ પૂર્ણતા પ્રકટ કરી છે, પણ આપણામાં તે ગુપ્ત રહેલી છે. જો આપણે ઈશ્વરને ન જોઈએ તો મોઝીઝે ઈશ્વરને જોયો તે આપણે કેમ સમજી શકીએ? જો ઈશ્વર કોઈકને પણ કદી મળ્યો હોય તો તે મને પણ મળે જ. હું સીધેસીધો જ ઈશ્વર પાસે જઈશ; મને તેની સાથે વાત કરવા દો. હું કોઈ માન્યતાને ભૂમિકા તરીકે નહિ સ્વીકારું; તે તો નિરીશ્વરવાદ અને ઈશ્વરનિંદાનું પાપ થાય. જો ઈશ્વર બે હજાર વર્ષ પૂર્વે અરબસ્તાનના રણમાં એક મનુષ્ય સાથે બોલ્યો હોય તો તે આજે મારી સાથે પણ બોલે જ; નહિ તો ઈશ્વર મરી નથી ગયો તે હું કેમ જાણી શકું? તમારાથી બને તે રસ્તે ઈશ્વર તરફ આવો; માત્ર તમે આવો. પણ આવતાં આવતાં કોઈને ધક્કો મારીને પાડી ન દો.

જ્ઞાની લોકોએ અજ્ઞાનીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. જે જ્ઞાની છે તે એક કીડી માટે પણ પોતાનો દેહ આપવા તૈયાર થાય છે, કારણ કે તે જાણે છે કે શરીર કંઈ નથી.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories