‘હું’ ન હોય તો બહાર ‘તમે’ ન હોઈ શકો. એ ઉપરથી કેટલાક દાર્શનિકો એ નિર્ણય ઉપર આવ્યા કે જ્ઞાતા સિવાય બાહ્ય જગતનું અસ્તિત્વ જ નથી; ‘તમે’નું અસ્તિત્વ માત્ર ‘હું’ની અંદર જ છે. બીજાઓએ એવી દલીલ કરી છે કે ‘હું’ ને ‘તમે’ દ્વારા જ જાણી શકાય અને તેઓ પણ તેટલા જ તર્કયુક્ત છે. આ બંને વિચારો અર્ધ સત્ય છે; પ્રત્યેક એક ભાગમાં ખોટો છે અને એક ભાગમાં ખરો છે. શરીર જેટલું ભૌતિક અને પ્રકૃતિની અંદર છે, તેટલો જ વિચાર પણ ભૌતિક અને પ્રકૃતિની અંદર છે. જડ દ્રવ્ય અને મન બંને એક ત્રીજી એકતામાં રહે છે કે જે પોતે પોતાના જ જડ દ્રવ્ય અને મન એવા બે ભાગ કરે છે. આ એકતા એ છે આત્મા, સાચો આત્મા.

એક વસ્તુ છે ‘સત્’ યાને ‘क्ष’ કે મન અને જડ દ્રવ્ય એ બંને રૂપે પોતાને વ્યક્ત કરે છે. દૃશ્ય જગતમાં તેની ક્રિયાઓ જેને નિયમ કહેવામાં આવે છે તે અમુક નક્કી થયેલી પ્રણાલીઓ અનુસાર થતી હોય છે. એક તરીકે તે સ્વતંત્ર છે, અનેક તરીકે તે નિયમમાં બદ્ધ છે; આ બધાં બંધન હોવા છતાં મુક્તિનો વિચાર સદાય હાજર હોય છે, એ છે નિવૃત્તિ અથવા ‘આસક્તિમાંથી પાછું હઠવું.’ જે ભૌતિક શક્તિ તૃષ્ણા દ્વારા આપણને સંસારનાં કર્મોમાં પ્રવૃત્ત કરે છે, તે પ્રવૃત્તિ કહેવાય છે.

જે કર્મ આપણને જડ પદાર્થના બંધનમાંથી મુક્ત કરે છે તે નીતિમાન કર્મ છે અને જે આપણને જડ પદાર્થના બંધનમાં નાખે તે અનીતિમાન કર્મ છે. આ સંસાર આપણને અનંત ભાસે છે તેનું કારણ એ છે કે દરેક વસ્તુ વર્તુળાકારે છે; જ્યાંથી આવી હતી ત્યાં જ તે પાછી ફરે છે. વર્તુળ પાછું ત્યાં જ મળી જાય છે, તેથી અહીં કોઈ પણ સ્થળે શાંતિ કે આરામ નથી. આપણે વર્તુળમાંથી બહાર નીકળી જવું જોઈએ. પ્રાપ્ત કરવાનું ધ્યેય એકમાત્ર મુક્તિ જ છે…

* * *

અનિષ્ટ રૂપ બદલે છે, પણ મૂળ સ્વરૂપે એક જ રહે છે. પ્રાચીન કાળમાં બળનું રાજ્ય હતું, આજે ચાલાકીનું છે. ભારતમાં કંગાલિયત અમેરિકા જેટલી દુઃખદાયી નથી લાગતી કારણ કે અહીં અમેરિકામાં ગરીબ માણસ પોતાની ખરાબ સ્થિતિનો તફાવત વધુ મોટા રૂપે દેખે છે.

શુભ અને અશુભ એકબીજા સાથે ન છૂટે તેવી રીતે જોડાયેલાં છે; એક વગર અન્યને લઈ ન શકાય. આ વિશ્વમાં શક્તિનો એકંદર સરવાળો એક સરોવર જેવો છે; ઊંચો ઊઠતો દરેકેદરેક તરંગ સાથે સાથે એક ખાડો પણ ઉત્પન્ન કરતો હોય છે. એકંદર સરવાળો બધી રીતે એકસરખો જ રહે છે, એટલે કે એક માણસને સુખી બનાવવાનો અર્થ બીજાને દુઃખી બનાવવો એ છે. બાહ્ય સુખ ભૌતિક છે અને તેનો પુરવઠો ચોક્કસ પ્રમાણમાં જ છે; તેથી બીજા કોઈ પાસેથી તેટલું છીનવી લીધા સિવાય એક કણ પણ કોઈ મેળવી શકે નહિ. માત્ર ભૌતિક જગતથી પર રહેલું સુખ જ અન્યને નુકસાન કર્યા વિના મેળવી શકાય છે. ભૌતિક આનંદ કે સુખ તે માત્ર ભૌતિક શોક કે દુઃખનું રૂપાંતર માત્ર જ છે.

જે લોકો તરંગમાં જન્મ્યા છે અને તેને વળગી રહે છે, તેઓ પાછળનો ખાડો અને તેમાં શું છે તે જોઈ શકતા નથી. જગતને સારું અને વધારે સુખી બનાવી શકશો તેમ તમે કદી પણ નહિ માનતા. ઘાણીનો બળદ તેના મોં સામે બાંધી રાખેલ ઘાસના પૂળાને કદીય પહોંચી શકતો નથી; તે માત્ર તેલીબિયાં પીલીને તેલ કાઢે છે એટલું જ. તે પ્રમાણે આપણે પણ આપણને સર્વદા ભમાવી રહેલી સુખની ભૂતાવળ પાછળ દોડ્યા કરીએ છીએ, પણ આપણે માત્ર પ્રકૃતિની ઘાણી જ ચલાવીએ છીએ, પછી મરી જઈએ છીએ અને પાછા ફરીથી શરૂ કરીએ છીએ. જો આપણે અનિષ્ટને ટાળી શકીએ તો કંઈ પણ વધુ ઉચ્ચ વસ્તુની આપણે કદી ઝાંખી સરખી પણ ન કરી શકીએ; આપણે સંતોષ માની લઈશું અને મુક્ત થવા માટે કદી પ્રયત્ન નહિ કરીએ. જ્યારે મનુષ્યને ભાન થાય છે કે જડ પદાર્થમાં સુખની બધી શોધ નિરર્થક છે, ત્યારે ધર્મની શરૂઆત થાય છે. સઘળું માનવજ્ઞાન ધર્મનો એક ભાગ માત્ર છે.

માનવશરીરમાં સારા અને નરસાનું ત્રાજવું એટલું સમતોલ છે કે મનુષ્યને તે બંનેમાંથી પોતાની મુક્તિ સાધવાની ઇચ્છા કરવાની તક છે.

મુક્ત હોય તે કદીય બદ્ધ હોય નહિ; તેણે મુક્તિ કેવી રીતે મેળવી તે પ્રશ્ન જ તર્કયુક્ત નથી. જ્યાં બંધન નથી ત્યાં કાર્યકારણ પણ નથી. ‘સ્વપ્નમાં હું લોંકડી બન્યો અને કૂતરો મારી પાછળ પડ્યો.’ હવે હું એમ કેમ પૂછી શકું કે કૂતરો શા માટે મારી પાછળ પડ્યો? લોંકડી તે સ્વપ્નનો એક અંશ હતી અને કૂતરો સ્વાભાવિક નિયમ પ્રમાણે જ પાછળ પડ્યો; પણ બંને સ્વપ્નનાં જ છે અને સ્વપ્નથી બહાર તેમનું કોઈ અસ્તિત્વ નથી. વિજ્ઞાન અને ધર્મ એ બંને આપણને બંધનમાંથી બહાર લાવવા માટે સહાય કરનારા પ્રયત્નો છે; માત્ર ધર્મ વધારે પ્રાચીન છે અને આપણને એવો વહેમ છે કે તે વધારે પવિત્ર છે. એક રીતે તેમ છે પણ ખરું, કારણ કે નીતિને તે અતિશય આવશ્યક મુદ્દો બનાવે છે, જ્યારે વિજ્ઞાન તેવું કશું કરતું નથી.

‘પવિત્ર હૃદયવાળા ધન્ય છે, કારણ કે તેઓ ઈશ્વરને જોશે.’ જો બધા ગ્રંથો અને પયગંબરો ગુમ થઈ જાય તો પણ આ એક જ વાકય માનવજાતનો ઉદ્ધાર કરી શકે. હૃદયની આ પવિત્રતા ઈશ્વરનું દર્શન કરાવશે. વિશ્વના સમગ્ર સંગીતનો આ પ્રધાન વિષય છે. પવિત્રતામાં કોઈ બંધન નથી. પવિત્રતા વડે અજ્ઞાનનાં આવરણ દૂર કરો; પછી આપણે જેવા ખરેખર છીએ તેવા પ્રકટ થઈશું અને જાણીશું કે આપણે કદીય બંધનમાં હતા નહિ. અનેકને જોવું એ જ દુનિયાનું મહાન પાપ છે. સઘળાંને આત્મા તરીકે જુઓ અને બધાંને ચાહો; અલગતાનો સઘળો ખ્યાલ કાઢી નાખો…

* * *

જેમ એક ઘા કે ફોલ્લો મારા શરીરનો ભાગ છે, તેમ આસુરી માનવ પણ મારા શરીરનો જ ભાગ છે; આપણે તેની માવજત કરીને તેને સારોસાજો કરવાનો છે. તેથી એ આસુરી મનુષ્ય ‘સારો’ ના થાય અને ફરી એક વાર સુખી અને તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેની માવજત કરો અને મદદ કરો.

જ્યારે આપણે સાપેક્ષ ભૂમિકા પર વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ માનવાનો અધિકાર છે કે દેહ તરીકે આપણને સાપેક્ષ વસ્તુઓથી દુઃખ થાય, તેવી જ રીતે તેમનાથી આપણને સહાય પણ મળે. અતિશય સૂક્ષ્મ સ્વરૂપ પામેલા આ સહાયના વિચારને આપણે ઈશ્વર કહીએ છીએ. સહાયના સઘળા વિચારોનો એકંદરે સરવાળો ઈશ્વર છે.

જે બધું સારું, દયામય અને મદદરૂપ છે તેનું ભાવરૂપ મિશ્રણ ઈશ્વર છે; એકમાત્ર એ જ ખ્યાલ હોવો જોઈએ. આત્મા તરીકે આપણને શરીર નથી, તેથી એમ કહેવું કે ‘હું ઈશ્વર છું અને ઝેર મને નુકસાન નહીં કરે’ તે વાહિયાત વાત છે. જ્યાં સુધી આપણને શરીર છે અને આપણે તેને જોઈએ છીએ, ત્યાં સુધી આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો નથી. નદી અદૃશ્ય થયા પછી નાની ઘૂમરીઓ રહે ખરી? સહાય માટે આક્રંદ કરો એટલે તે મળશે; છેવટે તમને ભાન થશે કે સહાય માટે આક્રંદ કરનારો અદૃશ્ય થયો છે, તે જ પ્રમાણે સહાયક પણ અદૃશ્ય થયો છે અને ખેલ ખતમ થઈ ગયો છે. માત્ર આત્મા જ બાકી રહ્યો છે.

એક વખત આમ બન્યા પછી પાછા આવો અને તમારી મરજી પડે તેમ ખેલ કરો. પછી આ શરીર કંઈ જ અનિષ્ટ નહિ કરી શકે, કારણ કે જ્યાં સુધી અનિષ્ટ તત્ત્વો બળી ગયાં ન હોય ત્યાં સુધી મુક્તિ આવતી નથી. કચરો બધો બળી ગયો હોય છે અને પછી માત્ર ‘ઉષ્ણતા અને ધુમાડા વિનાની જ્વાળા’ જ રહે છે.

પૂર્વપ્રાપ્ત વેગ શરીરને ચલાવ્યા કરે છે, પણ તે માત્ર સારું જ કરી શકે, કારણ કે મુક્તિ આવી તે પહેલાં બધું ખરાબ નીકળી ગયું હોય છે. ક્રૂસ પરનો મરણને આધીન થતો ચોર પોતાનાં ગત કર્મોનાં ફળ ભોગવતો હતો. તે યોગી હતો અને લપસી પડ્યો હતો; પછી તેને ફરી જન્મ લેવો પડ્યો; ફરી તે લપસ્યો અને ચોર બન્યો; પરંતુ પૂર્વ જન્મમાં જે શુભ કર્મ તેણે કરેલું તેનું ફળ મળ્યું અને મુક્તિ મળી શકે તેવી પળ આવી ત્યારે તેને ઈશુનો ભેટો થયો અને તેના એક શબ્દથી તે મુક્ત બન્યો.

બુદ્ધે પોતાના મોટામાં મોટા શત્રુને મુક્તિ આપી કારણ કે બુદ્ધનો અસાધારણ ધિક્કાર કરવાને કારણે તે સતત બુદ્ધનો જ વિચાર કરતો હતો; એ વિચારે તેના મનને પવિત્ર બનાવ્યું અને તે મુક્તિ માટે યોગ્ય બન્યો. માટે બધો વખત ઈશ્વરનો જ વિચાર કરો; તે તમને પવિત્ર બનાવશે.

* * *

(આમ, અમારા પ્રિય ગુરુદેવના સુંદર ઉપદેશો પૂરા થયા. બીજે જ દિવસે સોમવારે તેઓ થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક છોડીને ન્યૂયોર્ક પાછા ફર્યા.)

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories