૧. કાર્ય કરવું તે ઘણું સારું છે, પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે… તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શાેથી ભરી દો; તે વિચારો અને આદર્શાેને દિવસરાત તમારી સમક્ષ રાખો; તેમાંથી જ મહાન કાર્યો જન્મશે.
૨. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એક એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે.
૩. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.
૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિષે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌંદર્ય છે… જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી.
૫. નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો; હલકટ સંસ્કારોને દબાવવાનો એકમાત્ર ઉપાય એ જ છે.
૬. જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમજ બીજે પક્ષે પ્રેરક આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે.
૭. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો.
૮. ખરાબ વિચારો ભૌતિક દૃષ્ટિએ જોતાં, રોગનાં જંતુઓ છે.
૯. શરીર તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે. આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે.
૧૦. સારા અને નરસા વિચારના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર બનાવીએ તેમજ સદ્વિચારોનું સાધન બનાવીએ, તો સદ્વિચારો આપણામાં પ્રવેશ કરશે. સારો માણસ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહીં હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે; યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવાં કીટાણુંઓ જેવા જ ખરાબ વિચારો છે.
૧૧. જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો