બાળ ગદાધર ખૂબ ચિત્તાકર્ષક હતો. જેવી રીતે ગોકુળમાં શ્રીકૃષ્ણ સહુના પ્યારા હતા તેવી રીતે કામારપુકુરમાં તે પ્યારો હતો. તેને લાડ-પ્રેમથી ‘ગદાઈ’ કહી બોલાવાતો. પ્રાચીન પુરાણો અને દંતકથાના પ્રસંગો અને વાર્તાઓ સાંભળવામાં તેને ઘણી રુચિ હતી. એ દિવસોમાં મહાપુરુષોની પરાક્રમ કથાઓ અને પુરાણ કથાઓને નાટકરૂપે ભજવવાનો ઉત્સાહ ગામલોકોમાં રહેતો. અભિનયકર્તાઓનાં ભાવ-ભંગિમા, હલનચલન અને તાલ-સૂર સાથેના સંવાદો તે ધ્યાનપૂર્વક જોતો-સાંભળતો. તેની સ્મરણશક્તિ અદ્ભૂત હોવાથી મિત્રો સમક્ષ તે સંવાદો દોહરાવતો ને પ્રસંગોની પુનઃ રજૂઆત કરતો.
જો કે પાંચ વર્ષની વયે તેને શાળામાં ભણવા મોકલ્યો પણ તેને અભ્યાસમાં વિશેષ રુચિ થઈ નહીં. તેને વધુ રુચિ તો જીવનનો અને પૂર્વે થયેલાં આધ્યાત્મિક પુરુષોનાં કાર્યાેનો અભ્યાસ કરવામાં હતી. જીવનમાં સાચે જ નિરક્ષર રહ્યો છતાંય પછીથી મહાન વિદ્વાનો અને જ્ઞાની પંડિતો દ્વારા અભણ ગદાધર પૂજનીય અને આદરને પાત્ર ગણાયો. કારીગરો પાસેથી તેણે દેવ-દેવીઓની મૂર્તિઓ ઘડવાની કળા શીખી હતી. આ મૂર્તિઓને રંગવાના કામમાં પણ તે પારંગત હતો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો