શ્રીરામકૃષ્ણને નામ-યશની પરવા ન હતી. તેમણે પોતાના જ્ઞાનને ફૂલની મહેંકની જેમ પ્રસરાવ્યું. જીવનનાં ઉચ્ચતર મૂલ્યો જાણવા નર-નારીઓના ટોળેટોળાં દક્ષિણેશ્વર ઊમટતાં હતાં. તેઓ ભગવાન સાથે વાતો કરતા, તેમની ભવ્યતાનાં વખાણ કરતા, ઈશ્વરીયભાવમાં નૃત્ય કરતા અને – આ બધામાં સૌથી આશ્ચર્યજનક – સમાધિમાં એકરૂપ થઈ જતા; આ બધું નજરે જોવાનો અનેરો લહાવો હતો!
શ્રોતાઓને સર્વાેચ્ચ સત્યનો ઉપદેશ આપવાનો ‘શ્રીગુરુ મહારાજ’નો માર્ગ સરળ-સહજ અને પ્રોત્સાહક હતો. દૈનંદિન જીવનના પ્રસંગોનો ઉપયોગ કરી, વાર્તાઓ કહી, ધર્મનાં ગહન સત્યોને મનોરંજન સાથે પીરસતા. તેઓ સહજ-સાદા અને સરળ હતા.
‘દીવો તેલ વિના પ્રકાશે નહીં; એમ જ મનુષ્ય ઈશ્વર વિના રહી શકે નહીં,’ એમ તેઓ કહેતા. તેઓ એમ પણ કહેતા, ‘નર સેવા એ જ નારાયણ સેવા’ – ગરીબોને આપવું, નમ્ર અને મગ્ન રહીને ઈશ્વરની સેવા કરવી, કેમ કે ઈશ્વર તેનાં બધાં સંતાનોમાં છે.
તેમના આધ્યાત્મિક વારસાનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરવા તેમની પાસે આવેલા તેજસ્વી યુવાનોના સમૂહને જગજ્જનની માએ મોકલ્યો હતો. આ બધાનો નેતા નરેન્દ્રનાથ, પછીથી જેણે સ્વામી વિવેકાનંદ બની સમગ્ર વિશ્વને આંજી દીધું. આ શિષ્યોએ સંપૂર્ણ હૃદય સાથે ‘ત્યાગ અને સેવા’ના આદર્શને સમર્પિત થઈને સૂતેલા ભારતને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાથી જાગૃત કરી ઢંઢોળ્યું. તેઓએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી, જેની માનવતાપૂર્ણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો