ઈ.સ. ૧૮૭૨માં શ્રી શારદાદેવી દક્ષિણેશ્વરની મુલાકાતે આવ્યાં. જયરામવાટીમાં તેઓ પાડોશીઓ માટે દયાને પાત્ર બની ગયાં હતાં. શ્રીરામકૃષ્ણના અપૂર્વ મહિમાને સમજવામાં નિષ્ફળ લોકોએ અફવા ફેલાવી કે શ્રીશારદાનો પતિ ગાંડો થઈ ગયો છે. આ બધાને ક્યાં ખબર હતી કે આ ગાંડો માણસ અસંખ્ય સ્ત્રી-પુરુષો દ્વારા સમગ્ર વિશ્વમાં પૂજાશે! શ્રીશારદા આવા દિવ્ય પુરુષની પત્ની તરીકે ઘણી જ ભાગ્યશાળી બની હતી. લોકોની આવી આધારહીન વાતોથી શારદાદેવીને કોઈ અસર થઈ ન હતી. પોતાનો પતિ એક અસામાન્ય વ્યક્તિ છે તે તેમણે જાતે જ જોયું હતું. આવી અફવાઓ સાંભળી હતી તેમની સાથે દક્ષિણેશ્વર જઈને રહેવાની પોતાની એકમાત્ર ઇચ્છા હતી.

શ્રીમાને દક્ષિણેશ્વર આવેલાં જોઈને શ્રીરામકૃષ્ણને ઘણો આનંદ થયો. તેઓ ખરેખર શ્રીરામકૃષ્ણનાં પ્રથમ શિષ્યા હતાં. તેમણે શ્રીમાને આધ્યાત્મિક તેમજ સાંસારિક બાબતોની ઝીણી ઝીણી વિગતો સંભાળપૂર્વક શીખવી હતી. તેઓ જાણતા હતા કે શારદા પણ એક દિવ્ય વ્યક્તિ હતાં. તેઓ તેમની શક્તિ હતાં. શ્રીમાએ આધ્યાત્મિક વારસદાર તરીકે માનવસમાજને દોરવણી આપવાનું ચાલુ રાખવાનું હતું.

શ્રીરામકૃષ્ણે ફલહારિણી કાલીપૂજાના દિવસે ષોડશીપૂજા કરી હતી. પોતાના ઓરડામાં પવિત્ર આસન પર તેમણે શારદા માને બેસવા કહ્યું અને દેવી તરીકે તેમની પૂજા કરી. પૂજારી અને પૂજક બન્ને ઊંડા ધ્યાનમાં ડૂબી ગયાં. શ્રીરામકૃષ્ણે આ રીતે ઈશ્વરના માતૃ સ્વરૂપને સાર્થક કર્યું. તેમની મહાસમાધિ પછી શ્રીમાએ તેમનું જીવનકાર્ય આગળ ચાલુ રાખ્યું. શ્રીરામકૃષ્ણના બધા ભક્તો માટે તેઓ શ્રીમા બની રહ્યાં.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories