ગદાધરને છ કે સાત વર્ષની વયે એક રોમાંચક અનુભવ થયો હતો. એક દિવસ તે ડાંગરના ખેતરમાં સાંકડી કેડી પરથી મમરા ખાતો ખાતો જઈ રહ્યો હતો. તેણે આકાશ ભણી દૃષ્ટિ કરી. તેણે કાળાં વાદળોની વચ્ચે સફેદ બગલાઓની એક હાર ઊડતી જોઈ. આ નયનરમ્ય દૃશ્ય જોઈ તેને લાગ્યું કે સંભવતઃ આવું સૌંદર્ય જ ઈશ્વર હશે. તેને એટલો આનંદ અને રોમાંચ અનુભવ્યો કે તે બેભાન થઈને પડી ગયો. પછીથી આ ઘટનાને યાદ કરતાં શ્રીરામકૃષ્ણ કહેતા કે આ તેમની પ્રથમ આધ્યાત્મિક અનુભૂતિ હતી.
એક વખત શિવરાત્રી નિમિત્તે ગામમાં નાટકનું આયોજન થયું હતું. તે રાત્રે ગદાધરે ભગવાન શિવનો વેશ ભજવવાનો હતો. અંગે રાખ ચોળીને, રુદ્રાક્ષ માળા ગળામાં પહેરીને, હાથમાં ત્રિશૂળ લઈને તે દર્શકો સમક્ષ ઉપસ્થિત થયો. પણ તે કોઈ શબ્દ ઉચ્ચારી ન શક્યો. એક પૂતળાની માફક સ્થિર ઊભો રહ્યો. તે શિવના પાત્ર સાથે તદાકાર બની ગયો હતો. દર્શકોએ અનુભવ્યું કે તે ‘ગદાઈ’ નહીં, પણ સાક્ષાત્ ‘શિવ’ તરફ જોઈ રહ્યા છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો