તે ઘણીવાર ચિત્કારી ઊઠતા, ‘અરે મા, તું ક્યાં છો? શું તારાં દર્શનની એક તક મને આપીશ?’ મંદિરમાં ઉપસ્થિત લોકો એવું માનતા કે તેણે પોતાની મા ગુમાવી છે એટલે કદાચ આવી નિરાશામાં હશે.
એક દિવસ તે એટલા નિરાશ અને ઉદાસ હતા કે તે મોટેથી રડી પડ્યા ‘અરે! મા કાલી, જો મને દિવ્ય દર્શન ન થાય તો પછી મારા જીવનનો શો અર્થ?’ એમ કહીને મંદિરના એક ખૂણામાં લટકતું ખડગ લઈને પોતાના જીવનનો અંત લાવવા પ્રયત્ન કર્યાે. દૈવી કૃપા! શ્રીરામકૃષ્ણ સાથે શું બન્યું? તે જાણે બેભાન થઈ ભોંય પર પડ્યા. મંદિર, બગીચો, મકાન અને બીજું બધું અદૃશ્ય થયું. એક મહાપ્રકાશ તેમના તરફ આવી રહ્યો છે! ક્ષણમાત્રમાં એ તેજ એમની સાથે એકરૂપ બની ગયું. પ્રકાશ મધ્યે તેમણે જોયું – સર્વશક્તિમાન, સર્વજ્ઞાની દેદીપ્યમાન મા સ્વયં છે! મા કાલીના વદન પર પ્રસન્ન હાસ્ય હતું. રામકૃષ્ણે અવર્ણનીય આનંદ અને રોમાંચનો અનુભવ કર્યાે. પછીથી આવાં દર્શન તેમને ઘણીવાર થતાં. દિવસ અને રાત તે મા વિશે જ વિચારતા. બીજા લોકોની નજરે આવું વર્તન જરા અજાણ્યું હતું! જગજ્જનની મા સાથે તે ખરેખર વાતો કરી રહ્યા છે તે આ લોકો કેવી રીતે સમજી શકે!
આ પુસ્તક ઓનલાઇન ખરીદો