શ્રીમા એક સર્વાેત્કૃષ્ટ ગુરુ હતાં. સમાજના ભિન્ન ભિન્ન વર્ણના અસંખ્ય લોકોને તેમણે આધ્યાત્મિક દીક્ષા આપી હતી. તેમાંના કેટલાક જપ નિયમિત કરતા નહીં. આધ્યાત્મિક જિજ્ઞાસુઓને કોઈ હાનિ પહોંચે નહીં તે માટે શ્રીમા પોતે તેમના વતી જપ કરતાં!
તેઓ એમ કહેતાં કે આપણાં સંતાનો ધૂળ-કાદવથી ખરડાયાં હોય તો શું આપણે તેમને સ્વચ્છ કરીને ખોળામાં બેસાડીશું નહીં? તે જ રીતે તેઓ પોતાની પાસે આવનાર સ્ત્રી કે પુરુષના ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના બધાની કાળજી લેતાં. સાચે જ, શ્રીમા પ્રેમનાં મૂર્તિમંત ગુરુ હતાં.
શ્રીમા ૬૭ વર્ષની જૈફ વયે કોલકાતામાં ઈ.સ. ૧૯૨૦માં મહાસમાધિ પામ્યાં. તેમના નશ્વર દેહનો અગ્નિસંસ્કાર ગંગાકિનારે બેલુર મઠમાં થયો.
તે જ ભૂમિ પર તેમના સ્મૃતિમંદિરનું નિર્માણ થયું, જ્યાં આજે પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ નમન કરવા આવે છે.
પવિત્ર અને શાંત જીવન કેવી રીતે જીવવું તેનું જ્વલંત ઉદાહરણ શ્રીમાનું જીવન છે. તેમણે તેમના જીવન દ્વારા બધા માટે પ્રેમ અને કરુણાનો આદર્શ શીખવ્યો.
સાચે જ, આપણી બધી જ નિષ્ઠાપૂર્ણ પ્રાર્થનાઓને સ્વીકારવા અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપવા શ્રીમા શારદાદેવી આપણી વચ્ચે હજુ પણ જીવંત છે.
તેમની કરુણાની નિશ્રામાં આપણા જીવનને પોષતું માર્ગદર્શન મળતું રહે! ઓમ તત્ સત્!!
આ પુસ્તક ઓનલાઇન ખરીદો