દુઃખનું કારણ અને નિવારણ
બેટા! જો સાંભળ, આત્મા ગમે તેટલો મહાન હોય તો પણ જ્યારે તે મનુષ્ય શરીરને પ્રાપ્ત થાય છે, ત્યારે તેણે બધાં જ શારીરિક દુઃખો સહન કરવાં પડે છે. ફેર માત્ર એટલો જ કે સામાન્ય લોકો અશ્રુઓ વહાવતા જાય છે જ્યારે મહાન આત્મા હસતાં હસતાં જાય છે. જાણે કે મૃત્યુ એ રમત હોય.
ગરીબો અને દુઃખી લોકો સદ્ભાગી છે.
બેટા, મનુષ્યને પ્રેમ કરવો એટલે સહન કરવું માત્ર. જેઓ ઈશ્વરને ચાહે છે, તેઓ જ ભાગ્યવાન છે અને તેમને જ દુઃખ નથી.
ઈશ્વર જે પીડા અને દુઃખ મોકલે તેને પ્રેમપૂર્વક માથે ચડાવવાં. એ જે ધારે છે તે જ થાય છે.
અન્ન માટેની ચિંતા એટલી ભારે હોય છે કે બુદ્ધિશાળીને પણ મૂરખ બનાવી દે છે.
લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છૂટકારો મળતો જ નથી. પરંતુ દુઃખ એ ઈશ્વર તરફની ભેટ છે.
આ દુનિયામાં એવું કોણ છે જેને દુઃખ સહન કરવાં ન પડ્યાં હોય!
સૃષ્ટિ પોતે જ દુઃખ પીડાથી સભર છે. પીડા ન હોય તો, આનંદને કેવી રીતે જાણી-સમજી શકાય?
કોઈપણ માણસ સદા દુઃખી હોઈ શકે નહિ. આ જગત પર કોઈપણ વ્યક્તિએ બધા દિવસો દુઃખમાં પસાર કરવાના હોતા નથી. પ્રત્યેક કર્મનું પોતાનું ફળ હોય છે અને તે અનુસાર સૌને તક સાંપડે છે.
માણસ પોતાનાં કર્માેનાં ફળ ભોગવે છે. એટલે આવી પીડા માટે બીજાંનો વાંક કાઢવાને બદલે, માનવીએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને એની કૃપા પર બધું છોડી દઈ જે કંઈ વીતે તેને ધીરજથી અને શાંતિથી સહન કરવા કોશિશ કરવી.
તું ડર નહિ. મનુષ્ય-જન્મ પીડાથી ભરેલો છે અને ઈશ્વરનું નામ લેતાં લેતાં મનુષ્યે એ સહન કરવાનું છે. દેહ-મનનાં દુઃખમાંથી કોઈપણ, ભગવાન પણ છટકી શકે નહિ!
મનુષ્યે તિતિક્ષાથી બધું સહન કરવું જોઈએ, બધું કાર્યકારણ સંબંધથી, વ્યક્તિનાં કર્મથી થાય છે. આ ભવનાં કર્માે ત્યાર પછીના ભવનાં કર્માે પર અસર કરે છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો