મા, મારી મનની મૂંઝવણ દૂર કરો
(પ્રશ્નોત્તરી)
શિષ્યઃ કામ કે માંદગીને લઈને મારી સાધનાની નિયમિતતા જળવાતી નથી.
માઃ માંદગી આપણા હાથમાં નથી અને તું કામમાં જ ખરેખર બંધાયેલો રહેતો હો તો માત્ર ઈશ્વરને સ્મરી એને પગે લાગવાનું રાખ.
શિષ્યઃ જપ-ધ્યાન માટે ક્યો સમય ફાળવવો?
માઃ દિવસ-રાતના સંધિકાળે ઈશ્વરને સાદ કરવો તે સૌથી વિશેષ લાભદાયી છે. રાત જાય અને દિવસ ઊગે કે દિવસ જાય અને રાત પડે, આ સંધિકાળ છે. એ કાળે મન વિશુદ્ધ રહે છે.
પ્રશ્નઃ અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?
માઃ ‘મનમાં કરવો,’ પછી એમણે આગળ કહ્યું, ‘દીકરા, તારા હાથ અને હોઠ અટકી જશે અને તારું મન એકલું રટ્યા કરશે. આખરે તારું મન જ તારો ગુરુ થશે.’
પ્રશ્નઃ શું ફોટામાં ઠાકુર સાક્ષાત્ બિરાજે છે?
માઃ છાયા ને કાયા એક. છબી તો તેમની છાયા છે.
પ્રશ્નઃ શું તેઓ દરેક ફોટામાં પ્રત્યક્ષ હોય છે?
માઃ હા, વારંવારની પ્રાર્થના બાદ તેમની હાજરી પામી શકાય છે, જગ્યા પવિત્ર થાય છે.
પ્રશ્નઃ જો સ્ત્રી પોતાના પતિ સાથે દલીલો અને ચર્ચા કરીને, તેના પતિની ઇચ્છાનો કાંઈક અંશે વિરોધ કરીને, આત્મસંયમનું જીવન જીવવાનો પ્રયત્ન કરે, તો શું તે પાપ કહેવાય?
માઃ જો તે ઈશ્વરના માટે હોય, તો તે પાપ ન કહેવાય, માણસોએ ઇંદ્રિયોને તો કાબૂમાં રાખવી જ જોઈએ.
શિષ્યઃ મા, અહીં હોઉં છું ત્યાં સુધી મને સારું લાગે છે. સંસારી વિચારો થોડા મૂંઝવે છે. પણ ઘેર પાછો જાઉં ત્યારે કેટલાક ખરાબ વિચારો મને સતાવે છે. અપવિત્ર સોબતીઓના સંગમાં ભળતાં કુકર્માે આચરું છું. ગમે એટલો પ્રયાસ કરું છું પણ, કુવિચારોની પકડમાંથી છૂટતો નથી.
માઃ આ બધાનું કારણ તારા આગલા ભવના સંસ્કાર છે. શું ચપટી વગાડતાં કોઈ એમાંથી નીકળી શકે છે? સત્સંગ કરતો રહે. શુદ્ધ થવા યત્ન કર અને ધીમે ધીમે બધું થઈ રહેશે. ઠાકુરને પ્રાર્થના કર. હું તારી સાથે જ છું. આ જન્મમાં જ તેં મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે એ સમજી લે. તું શા માટે ડરે છે? યોગ્ય સમયે ઠાકુર તારું બધું સંભાળી લેશે.
શિષ્યઃ હું વિચારોને દૂર કરવા ઘણું મથું છું પણ મને સફળતા મળતી નથી.
ઉત્તરઃ તારા પૂર્વભવનાં કૃત્યોનું આ પરિણામ છે. શું જોરજુલમથી એને દૂર હડસેલી શકાય છે? સારી સંગત કેળવ. સારો થવા કોશિષ કર અને સમય જતાં તું વિજય મેળવીશ. ઠાકુરને પ્રાર્થના કર. હું પણ બેઠી છું.
શિષ્યઃ મને જપનો અભ્યાસ છે પણ મારા મનને એકાગ્ર કરી શકતો નથી.
માઃ તારું મન એકાગ્ર હોય કે નહિ, નામજપ ચાલુ જ રાખ. રોજ અમુક ચોક્કસ સંખ્યામાં જપ કરવાનો નિર્ધાર લાભદાયી થશે.
શિષ્યઃ આપણે પ્રભુનામ રટીએ છીએ ત્યારે, આપણું મન એનામાં શા માટે લાગી જતું નથી?
માઃ યોગ્ય સમયે એ પણ થશે. મન એકાગ્ર ન થાય તો પણ નામજપ છોડી ન દેવો. તારું કાર્ય તારે કર્યે જવું. વાયુ વગરને સ્થાને બળતી મીણબત્તીની જ્યોતની જેમ નામરટણથી મન એના ધ્યેયે ચીટકશે. પવન જ જ્યોતને અસ્થિર કરે. એ જ રીતે આપણા મોજશોખ અને આપણી તૃષ્ણાઓ આપણા મનને ડોલાવે.
માઃ ઠાકુરે શ્રાદ્ધનું – મરણોત્તર ક્રિયાઓનું – અન્ન ખાવાની ચોખ્ખી ના પાડી હતી; કારણ કે એ માણસની ભક્તિને અસર કરે છે. આવી બધી ક્રિયાઓમાં નારાયણ ભલે હાજર હોય, ઠાકુરે આવું અન્ન ખાવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
શિષ્યઃ તો અમારા નજીકનાં સગાઓની મરણોત્તર ક્રિયાઓ વખતે અમારે શું કરવું?
માઃ વારુ, તમારા નજીકનાં સગાઓના પ્રસંગોને તમે કેમ ટાળી શકો? એને ટાળી શકાય જ નહીં.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો