પ્રાર્થના
તમારા બધા જ બળથી ઈશ્વરની પ્રાર્થના કરો. માણસે કામ કરવું જોઈએ. કામ કર્યા વગર શું કાંઈ મેળવી શકાય? ઘરવ્યવહારની ફરજો અદા કરતાં કરતાં પણ માણસે પ્રાર્થના માટે સમય રાખવો જોઈએ.
પૂર્વકર્માેનું ફળ દરેકે ભોગવવું જ પડે પરંતુ, પ્રભુસ્મરણ આટલી સહાય કરે; પોતાનો પગ ભાંગવાને બદલે માણસને કાંટો વાગે.
માણસની બુદ્ધિ કેટલી? પોતાને ખરેખર જરૂર હોય તેના કરતાં એ બીજું માગે તેવો સંભવ પૂરો. અંતે એ શિવને બદલે વાંદરો સર્જે. ભગવાનનું શરણ લેવામાં શાણપણ છે. તમને જરૂરનું એ અવશ્ય આપશે. પરંતુ આપણે પ્રાર્થના તો ભક્તિ માટે અને કામનાના ત્યાગ માટે કરવી જોઈએ; કારણ, આવી પ્રાર્થના કદી નુકસાન કરતી નથી.
પ્રભુ તો વિશ્વવ્યાપી છે અને એને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ કૃપા કરે જ છે.
તમારે પ્રકાશ જોઈતો હોય કે તમારા માર્ગમાં કશી મુશ્કેલી કે શંકા ખડી થાય ત્યારે આંખમાં આંસુ સાથે ઈશ્વરને પ્રાર્થના કરો. ભગવાન તમારી બધી અપવિત્રતા દૂર કરશે. તમારી મનોવ્યથાનું શમન કરશે અને તમને પ્રકાશ આપશે.
જેને પ્રાર્થનાની ટેવ પડી હશે તે બધી મુશ્કેલી સરળતાથી પાર કરી જશે અને જીવનમાં કસોટીની પળોમાં શાંત અને ધીર રહેશે.
તારાં વર્તનમાં, બોલમાં અને કાર્યમાં પ્રામાણિક રહે. તું કૃપાવંત બનીશ! ધરતીનાં સૌ પ્રાણીઓ ઉપર એની કૃપાવર્ષા થયા જ કરે છે. એ યાચવાની જરૂર નથી. નિષ્ઠાપૂર્વક ધ્યાન કર અને તને એની અનંત કૃપા સમજાશે. પ્રભુ નિષ્ઠા સત્યપ્રિયતા અને પ્રેમ માગે છે. બહારના શાબ્દિક ઊભરા એને સ્પર્શતા નથી.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો