ધર્મ
જેવો ભાવ તેવો લાભ.
ભગવાનના નામનું બીજ કેટલું સૂક્ષ્મ! તેમાંથી આગળ જતાં ભાવ, ભક્તિ, પ્રેમ એ સર્વ કેવાં ઊપજે!
સાંભળ બેટા! તેઓ (ઠાકુર) જ મહેશ્વર અને વ્યક્તિના ઇષ્ટદેવ છે. તેઓ જ સર્વ દેવમય અને સર્વબીજમય છે. તેમનામાં મનુષ્ય બધાં જ દેવ અને દેવીઓની પૂજા કરી શકે. તમે તેમને ક્યા નામે સંબોધન કરો છો એ વાતનું બહુ મહત્ત્વ નથી.
મનુષ્યને ઈશ્વર મળે છે ત્યારે શું થાય છે! શું તેને બે શિંગડાં ઊગે છે? ના, નહીં જ. પણ તેનું મન પવિત્ર થાય છે અને પવિત્ર મન ઉપર જ જ્ઞાનરૂપી પ્રકાશનો ઉદય થાય છે.
અત્યંત બુદ્ધિમાન પુરુષો પણ દલીલ દ્વારા ઈશ્વરને પામી શક્યા નથી! શું ઈશ્વર એ દલીલનો વિષય છે?
મંત્રો અને ક્રિયાકાંડની વિધિઓ કશું જ નથી, બેટા, ભક્તિ જ સર્વસ્વ છે.
ઘણા માણસો બીજાં ક્ષેત્રોમાં અસંતોષ પ્રાપ્ત થવાથી જ ઈશ્વરનું શરણ શોધે છે. પરંતુ જેઓ પોતાનું ફૂલ જેવું કોમળ હૃદય બાલ્યાવસ્થાથી જ ઠાકુરને ચરણે ધરે છે તેઓ ખરેખર ધન્ય છે.
ઉપદેશ ગ્રહણ કરે તેવો આધાર કોઈ છે? આધાર જોઈએ; નહીં તો કશું વળે નહીં.
જે ક્ષણે ઈશ્વરની દયા થાય છે તે જ ક્ષણે તે આપે છે, તેની કૃપા જ બધું છે.
દીકરા, શું થોથાં વાંચી કોઈ શ્રદ્ધાવાન બની શકે છે? વધારે પડતું વાચન ગૂંચવે છે.
પૈસાદારે પોતાના પૈસા વડે પ્રભુની અને પ્રભુભક્તોની સેવા કરવી જોઈએ અને પ્રભુનામ રટીને ગરીબોએ ઈશ્વરભક્તિ કરવી.
ભાન ભૂલેલી માનવજાતને પોતાનો પથ બતાવવા પયગંબરો અને અવતારો જન્મે છે. જુદી જુદી પ્રકૃતિવાળા લોકોને તેઓ જુદું જુદું માર્ગદર્શન આપે છે. સત્યને પામવાના માર્ગાે અનેક છે. એટલે આ બધા ઉપદેશોનું મૂલ્ય સાપેક્ષ છે.
આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરી શકે તેવો સમર્થ શિષ્ય ક્યાં છે? સૌ પ્રથમ પાત્રતા જોઈએ, નહિ તો ઉપદેશ નિષ્ફળ નીવડે.
આ કળિયુગમાં તો ઈશ્વરને માત્ર દૃઢ સત્ય દ્વારા જ મેળવી શકાય.
આવું છે માણસનું જીવન, હમણાં છે ને જરા વારમાં નથી. કશુંયે સાથે જાય નહીં. એક માત્ર ધર્મ અને અધર્મ સાથે જાય; પાપ-પુણ્ય જ મૃત્યુ પછી સંગાથ કરે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો