મનુષ્યની સઘળી દોડધામ સાચું સુખ અને શાંતિ મેળવવા માટેની જ છે. તેને થાય છે કે ધનસંપત્તિમાં મને ખૂબ સુખ અને શાંતિ મળશે, એટલે એ મેળવવા દોડે છે. પણ ક્યાંયથી સુખશાંતિ મળતાં નથી. કસ્તુરીમૃગના જેવી જ તેની દશા છે. પોતાની નાભીમાં જે છે, તેને મેળવવા કસ્તુરીમૃગ સર્વત્ર ભટકે છે.

હિન્દી ભજનમાં કહ્યું છે,
‘નાભી કમલ મેં હૈ કસ્તુરી,
વૃથા મૃગ ફિરૈ બનકા રે.’

પોતાની અંદર જ જે રહેલું છે, તેને બહાર શોધવાથી તે કેવી રીતે મળે? એની શોધમાં બહાર ભટકી ભટકીને જીવન પૂરું થઈ જાય છે. મનુષ્યનું પણ એવું જ છે. સુખ અને શાંતિનો સ્રોત એની અંદર જ રહેલો છે. બહાર શોધવા માટે ભટકી ભટકીને અંતે મૃગની જેમ જ મૃત્યુ પામે છે. પણ સાચી શાંતિ મેળવી શકતો નથી.

શાશ્વત શાંતિ તો મનુષ્યના આત્મામાં રહેલી છે. જેમને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી હોય તેમણે આત્મામાં રહેવું જોઈએ. અલબત્ત, દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્તિના ઉપાયોનું આચરણ કરવાથી ટૂંકા ગાળામાં મન શાંત થઈ જાય છે. શાંતિનો અનુભવ થાય છે. પણ એ શાંતિ સ્થાયી બનતી નથી. ચેતનાના ભાગરૂપે બનતી નથી. સાચી અને સ્થાયી શાંતિ એક માત્ર ભગવાનમાં જ રહેલી છે. એટલે જ્યાં સુધી આપણી અંદર રહેલા ભગવાન સાથે આપણે એકરૂપ બનતા નથી, ત્યાં સુધી શાંતિ આપણે ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી.

કઠોપનિષદ (૫/૧૩)માં કહ્યું છેઃ

સાંખ્ય તત્ત્વજ્ઞાન પ્રમાણે પ્રકૃતિ….

नित्यो नित्यानां चेतनश्चेतनानाम्
एको बहूनां यो विदधाति कामान् ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ।।

‘જે સમસ્ત નિત્યચેતન આત્માઓનો પણ આત્મા છે, જે પોતે એકલો જ અનંત જીવોના ભોગોનું તેમના કર્માનુસાર વિધાન કરે છે, એવા એ અંતરમાં સ્થિત પરમાત્માને જે જ્ઞાની લોકો નિરંતર જુએ છે, તેમને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, અન્યને નહીં.’

શાશ્વત શાંતિ ભગવાને પોતાની પાસે રાખી છે. જેઓ ભગવાનને બોલાવે છે, એમને પ્રેમ કરે છે, એમને જાણે છે, તેમને જ તેઓ શાંતિ આપે છે. બીજું બધું મળી શકે છે.

ભગવાન ભોગ, ઐશ્વર્ય બધું જ આપે છે. પણ જો શાંતિ જોઈતી હોય તો પહેલાં અંતરમાં રહેલા ભગવાન સાથે એકરૂપ થવું પડે. પછી જ શાંતિ મળી શકે.

છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું છેઃ

‘यो वै भूमा तत्सुखम् न अल्पते सुखमस्ति।’

સીમિત વસ્તુઓથી આનંદ ન મળે, અનંતથી જ ખરેખર પરમ સુખની પ્રાપ્તિ થાય.

આ અનંતની પ્રાપ્તિ કેવી રીતે થાય? જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે એ જ આપણા અંતરમાં પણ રહેલા છે, આપણી સહુથી નજીકમાં નજીક રહેલા છે. એમને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. એકવાર અનંતમાં એનાં દર્શન થઈ જશે, પછી બહાર પણ સર્વત્ર એનાં દર્શન થશે. પણ તેઓ અંદરમાં રહેલા છે, પણ દેખાતા કેમ નથી? શ્રીરામકૃષ્ણને પણ ભક્તોએ આવો પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે તેમણે એક ટુવાલ લઈને પોતાનું મોઢું ઢાંકી દીધું અને પછી કહ્યું, ‘હવે તમે મને જોઈ શકતા નથી, તેથી શું હું તમારી નજીક નથી? આ પડદો આડે છે, એટલે જોઈ શકતા નથી.’ તેવી જ રીતે અજ્ઞાનરૂપી પડદાને લઈને મનુષ્ય પોતાની અંદર રહેલા પરમાત્માનાં દર્શન કરી શકતો નથી. આ અજ્ઞાનનો પડદો દૂર કરી દો અને તમને જણાશે કે પરમાત્મા તમારું પોતાનું જ સ્વરૂપ છે.

હવે આ અજ્ઞાનનો પડદો કેવી રીતે દૂર કરવો? આ પડદાને હટાવવા માટે કોઈ ઉપાય નથી. કોઈ ભક્તિ દ્વારા, કોઈ જ્ઞાન દ્વારા, કોઈ ધ્યાન દ્વારા તો કોઈ નિષ્કામ કર્મ અને સેવા દ્વારા આ અજ્ઞાનરૂપી પડદાને દૂર કરે છે. એ રીતે પરમાત્માની પ્રાપ્તિ માટે મુખ્ય ચાર માર્ગો રહેલા છે. રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ.

આમાંથી કોઈ પણ માર્ગનું અનુસરણ કરીને કે ચારેયનો સમન્વય કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ પ્રાપ્તિ અને શાશ્વત શાંતિ માટે આ ચારેય માર્ગ પ્રબોધ્યા છે.

રાજયોગઃ

મહર્ષિ પતંજલિએ પોતાનાં યોગસૂત્રોમાં રાજયોગની સાધના દ્વારા પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. આ યોગનાં આઠ સોપાનો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ સોપાનો ચઢતાં ચઢતાં પછી ધ્યાન સિદ્ધ થાય છે, ચિત્તરૂપી સરોવરના સઘળા તરંગો શમી જાય છે, મન ધ્યાનમાં લીન થઈ જાય છે. પછી આઠમું સોપાન – નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે, ત્યારે બધું જ બ્રહ્મમય બની જાય છે, અનંત સુખ, અનંત શાંતિ અને અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. રાજયોગમાં મન ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. મન ઉપરના સંયમ વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. આ અંગે શ્રીકૃષ્ણ ભગવાન ગીતામાં બીજા અધ્યાયના ૬૬મા શ્લોકમાં કહે છે, ‘જે મનોનિગ્રહી નથી, તેની બુદ્ધિ સ્થિર થતી નથી. આત્મયોગરહિત માનવને શાંતિ મળતી નથી અને અશાંતને સુખ ક્યાંથી મળે?’

જ્ઞાનયોગઃ

શ્રીરામકૃષ્ણદેવે જ્ઞાનયોગની સરળ સમજૂતી આપી છે. તેઓ કહે છે, ‘હંમેશા સત્ – અસત્નો વિચાર કરવો. ઈશ્વર જ સત્ એટલે કે નિત્ય વસ્તુ. બીજું બધું અસત્ એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’ – આ છે જ્ઞાનયોગ. આમાં ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં પછી તેની અનુભૂતિ થવા લાગે છે. તેની અનુભૂતિ થતાં પછી અજ્ઞાનનો પડદો હટી જાય છે. અને અંદર રહેલા પરમતત્ત્વનું દર્શન થાય છે. શ્રીરામકૃષ્ણદેવ જ્ઞાનમાર્ગીને વાંદરીનાં બચ્ચાંની સાથે સરખાવે છે. વાંદરીનું બચ્ચું પોતાની માને પકડી રાખે છે. બચ્ચાંની પકડ ઢીલી હોવાથી વખતે છૂટી પણ જાય અને બચ્ચું પડી જવાની પણ શક્યતા રહે છે. આમાં ઈશ્વરનું ચિંતન કરવાનો – તેમનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન વ્યક્તિએ જાતે જ કરવાનો રહે છે. એટલે વ્યક્તિએ પૂરી સાવધાની રાખવી પડે છે. નહિતર પતનનો ભય પણ આ માર્ગમાં રહેલો છે. પરંતુ સજાગ રહીને સ્વપ્રયત્ન કરવાથી જ્ઞાની જલદી સાક્ષાત્કાર કરી શકે છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણ કહે છે,

‘શ્રદ્ધાવાન, જ્ઞાનપરાયણ અને ઈંદ્રિય સંયમ કરવાવાળાને જ્ઞાન લાભ થાય છે અને તે શીા્ર જ પરમ શાંતિને પામે છે.’ (ગીતા – ૪/૩૮)

ભક્તિયોગઃ

ભક્તિ દ્વારા પરમાત્માનું મિલન કરવું – એ છે ભક્તિયોગ. આ માર્ગ પ્રેમનો માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘ભક્તિયોગ સ્વાભાવિક મધુર અને નમ્ર છે. જ્ઞાનયોગીની જેમ તે ઊંચે ચઢતો નથી. એટલે તેમાં એવા મોટા પતનનો ભય પણ નથી.’ શ્રીરામકૃષ્ણદેવ આ માર્ગને બિલાડીનાં બચ્ચાંનો માર્ગ કહે છે. બિલાડીનું બચ્ચું સંપૂર્ણપણે તેની મા ઉપર જ આધારિત હોય છે.

તેને તેની મા મોઢામાં પકડીને હેરવે ફેરવે છે. માની પકડ મજબૂત હોય છે, એટલે તેને પડી જવાનો બિલકુલ ભય રહેતો નથી. આ માર્ગ સહુથી સલામત છે. વળી ભગવાનને પ્રેમ કરવાથી પછી નીચે પડવાની કોઈ શક્યતા જ રહેતી નથી.

આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગોપીઓનું ગણાવી શકાય. શ્રીકૃષ્ણ પ્રત્યેના ઉત્કટ પ્રેમને પરિણામે ધ્યાન યોગીઓ વર્ષાેની તપશ્ચર્યાથી પરમાત્મા સાથે જે તદ્રૂપતા સાધી શકે તેવી તદ્રુપતા ગોપીઓએ સહજપણે સાધી હતી.

વળી નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવાથી ગમે તેવો પાપી મનુષ્ય પણ શાંતિ પ્રાપ્ત કરી શકે છે એ વાત શ્રીકૃષ્ણે ગીતાના નવમા અધ્યાયના ૩૦-૩૧ શ્લોકમાં જણાવી છે. તેઓ કહે છે, ‘મોટામાં મોટો કુકર્મી હોવા છતાં જે અનન્ય ભાવથી મારી ઉપાસના કરે છે, તેને સાધુ જ સમજવો જોઈએ. કેમકે તે હવે ઉત્તમ રસ્તે ચઢ્યો છે. હે કુંતીપુત્ર, તે થોડા જ વખતમાં ધર્માત્મા બની જાય છે અને નિત્યશાંતિને પ્રાપ્ત કરે છે. તું નિશ્ચયપૂર્વક જાણી લે કે મારા ભક્તનો કોઈ કાળે વિનાશ થતો નથી.’

કર્મયોગઃ

કોઈ પણ જાતના ફળની આશા વગર નિષ્કામ ભાવે કર્મ કરવાં, પરમાત્માને અર્પણ રૂપે કર્મ કરવાં – એ છે કર્મયોગ. નિષ્કામ ભાવે કર્મ કરતાં કરતાં મનુષ્યનો અહંકાર ખૂબ ઝડપથી ઓગળે છે. અન્યની સેવા કરતાં કરતાં ચિત્તની શુદ્ધિ થાય છે. મન શાંત બને છે. તેથી કર્મયોગ દ્વારા મનુષ્ય ઈશ્વરની નજીક ઝડપથી પહોંચી શકે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કેઃ ‘જેઓ બીજાંનાં દુઃખને દૂર કરવા કર્માે કરે છે, તેમનાં પોતાનાં દુઃખો આપોઆપ દૂર થઈ જાય છે. જે બીજાંને પ્રસન્ન કરે છે, તેને પોતાને પ્રસન્નતા આપોઆપ મળે છે. વળી અન્યની સેવા કરતાં, એમનાં દુઃખોને જોતાં સંસારની અસારતાનો અનુભવ થાય છે અને દુઃખમય સંસાર પ્રત્યે અનાસક્તિ કેળવાય છે.’

આ દુઃખોમાંથી મુક્ત કરનારી એકમાત્ર શક્તિ છે. તે છે, ભગવાન, એની પ્રતીતિ વારંવાર થાય છે. એથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દૃઢ બને છે અને આમ સેવા સાધના દ્વારા પણ સાક્ષાત્કારનો માર્ગ ઝડપી બને છે.

ગીતામાં કર્મફળના ત્યાગનો મહિમા સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે, ‘અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાનથી કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ત્યાગથી શીા્ર – શાંતિ પ્રાપ્ય થાય છે.’

આમાંના કોઈ પણ એક માર્ગ દ્વારા આત્મદર્શન થઈ શકે છે. પરંતુ આધુનિક માનવ માટે કોઈ એક માર્ગના અનુસરણમાં ઘણાં જોખમો રહેલાં છે. જ્યારે ચારેય યોગોનો સમન્વય કરીને સાધના કરવાથી દરેક માર્ગનાં જોખમોને નિવારી શકાય છે અને એક સાથે મનુષ્યનાં બધાં કરણો મન, બુદ્ધિ, હૃદય અને શરીરનો સંતુલિત ઝડપી વિકાસ થાય છે. પરમાત્માની પ્રાપ્તિ જલદી થઈ શકે છે. તેથી શાશ્વત શાંતિ પણ તે જલદી મેળવી શકે છે.

મા શુચઃ

પરમાત્માની પ્રાપ્તિ માટે બતાવેલા આ ચારેય યોગોની સાધના પદ્ધતિ દ્વારા અંતર્નિહિત પરમાત્માને આવૃત્ત કરનારો અજ્ઞાનનો પડદો હટાવી શકાય છે. પરંતુ તેમાં દરેક સાધના પદ્ધતિનું ચુસ્તપણે પાલન કરવું પડે. એમાં શિથિલતા ચાલતી નથી. પરંતુ જો કોઈ શિસ્તબદ્ધ રીતે આ સાધના પદ્ધતિનું આચરણ ન કરી શકે, તો શું તેના માટે શાંતિ અપ્રાપ્ય રહેશે? તો તો શાંતિ માટેની તેની ઝંખના ક્યારેય પરિપૂર્ણ નહીં બને? શું તેણે જન્મોજન્મ શાશ્વત શાંતિની શોધમાં બસ ભટક્યા જ કરવું પડશે?

ના, એવું નથી. યોગોની કઠિન તપશ્ચર્યા અને આકરા નિયમોનું પાલન ન કરી શકનાર માટે પણ ભગવાનની શાશ્વત શાંતિનાં દ્વાર ખુલ્લાં જ છે. શાંતિ ઝંખતા મનુષ્યને ભગવાને અભય વરદાન આપ્યું છે કે ‘ભલે તને કોઈ પ્રકારની યોગ્ય સાધના ન આવડતી હોય, ભલે તેં કોઈ જાતનાં વ્રત – તપ – જપ – ઉપવાસ ન કર્યાં હોય, ભલે તેં ક્યારેય મારી પૂજા – ઉપાસના ન કરી હોય, તો પણ શું થયું? તું ચિંતા ન કર, હું છું ને. બસ, તું મારી પાસે ચાલ્યો આવ. તને જે શાંતિ જોઈએ છે, જે આનંદ જોઈએ છે, તે હું તને આપીશ.’ ભગવાને અર્જુનના માધ્યમ દ્વારા સર્વ મનુષ્યોને આ અભય વચન આપ્યું છે. સર્વને માટે શરણાગતિનો સરળમાં સરળ રસ્તો બતાવી દીધો છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે.

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया।।
तमेव शरणं गच्छ सर्वभावेन भारत।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।

(ગીતા – ૧૮/૬૧-૬૨)

‘હે અર્જુન, ઈશ્વર સર્વના હૃદયમાં સ્થિત થઈને, શરીરરૂપી યંત્ર ઉપર ચઢાવેલાં પ્રાણીઓને પોતાની માયા વડે ઘુમાવી રહ્યો છે. હે ભારત, તું સર્વ પ્રકારે તેને શરણે જા. તેની કૃપાથી તને પરમ શાંતિ – નિત્યધામ પ્રાપ્ત થશે.’

અનન્યભાવે ભગવાનના શરણમાં જવાથી પછી કોઈ જ ચિંતા રહેતી નથી. તેઓ તો છે કૃપાના વત્સલ સાગર, શાંતિના અક્ષયધામ. એમની સમીપ જવાથી સંસારના ત્રિવિધ તાપો શમી જાય છે, મનના ઉછાળા શાંત થઈ જાય છે. એમના માત્ર એક જ કૃપાકટાક્ષથી આસક્તિનાં સર્વ બંધનો પણ છૂટી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણે સ્વમુખે અભય વરદાન આપ્યું છે.

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।।

(ગીતા – ૧૮/૬૬)

‘સર્વ ધર્માેને છોડીને તું મારા એકલાના જ શરણમાં આવ. હું તને સર્વ પાપોમાંથી મુત કરીશ. તું શોક ન કર.

આ રીતે ભગવાન પોતે જ આહ્વાન આપે છે, અભય આપે છે. પોતાના શરણમાં આવવા કહે છે અને વરદાન આપે છે કે તું દુઃખી શા માટે થાય છે, હું તને બધાં જ પાપોમાંથી મુત કરી દઈશ. પણ તું મારી પાસે આવી જા. જ્યારે ભગવાન સ્વયં આ રીતે એમની પાસે આપણને બોલાવી રહ્યા છે, તો ચાલો આપણે ભગવાનના શરણમાં જઈને એમના પરમ આનંદ અને શાશ્વત શાંતિના ભાગીદાર બનીએ..

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories