આજકાલ બાળક નાનું હોય છે, ત્યારથી તેને વિવિધ પ્રકારની કળાઓ શીખવા જુદા જુદા વર્ગોમાં મોકલવામાં આવે છે. પરંતુ ક્યાંય ‘દરેક પરિસ્થિતિમાં શાંત કેવી રીતે રહેવું’ એ અંગેનો વર્ગ જોવા મળતો નથી. આથી મનુષ્યો જીવનની નિશાળમાં પડતાં, આખડતાં, ભાંગી પડતાં, નિરાશ થતાં થતાં આ કળા પોતાની જાતે શીખે છે. પરંતુ તેમાં જીવનનો ઘણો મોટો ભાગ ખર્ચાઈ જાય છે.

આથી નાનપણમાં જ બાળકને દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહેતાં શિખવવામાં આવે તો તે પોતાના જીવનનો ઘણો ઝડપી વિકાસ કરી શકે છે.

પ્રત્યેક મનુષ્યના જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ તો આવવાનાં જ, કેમકે જીવન એટલે જ સંઘર્ષ. સ્વામી વિવેકાનંદ જીવનની પરિભાષા આપતાં કહે છે કે ‘જીવન એટલે કચડી નાખવા મથતા સંજોગો વચ્ચે થતો વ્યક્તિત્વનો વિકાસ.’ વિપરીત સંજોગોથી જેઓ હતાશ અને નિરાશ થઈ જાય છે, તેઓ જીવનમાં આગળ વધી શકતા નથી. આથી દરેક પ્રકારના સંજોગોમાં મનને સ્વસ્થ રાખીને જેઓ કાર્ય કરતા રહે છે, તેઓ જ જીવનના યુદ્ધમાં વિજયી બને છે. જીવનના દરેક પ્રકારના સંજોગોમાં સ્થિર કેવું રીતે રહેવું?

દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ અને શાંત રહેવાની કળા આપણને ગીતા શીખવે છે. ગીતાના બીજા અધ્યાયમાં આપેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ધરાવનાર મનુષ્ય જ દરેક પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રહી શકે. શ્રીકૃષ્ણ કહે છે,

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते।। (ગીતા – ૨/૫૬)

દુઃખમાં જેને ઉદ્વેગ નથી અને સુખની જેને સ્પૃહા નથી, તથા રાગ, ભય અને ક્રોધ જેના છૂટી ગયા છે, એવો મુનિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય જ સર્વ પરિસ્થિતિમાં સમતા જાળવી શકે, શાંત અને સ્થિર રહી શકે. જ્યાં સુધી મનુષ્યની બુદ્ધિ સ્થિર થતી નથી, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી અને અશાંત મનુષ્યને કદી સુખ મળતું નથી. આથી સાચું સુખ અને શાંતિ જો મનુષ્યે મેળવવાં હોય તો તેણે સ્થિતપ્રજ્ઞ બનવું પડે. તો પ્રશ્ન એ થાય છે કે સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બની શકાય? સ્થિતપ્રજ્ઞ બનવા માટે સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો છે, તે લક્ષણોનું જીવનમાં આચરણ કરતાં કરતાં જ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની શકે. ફક્ત આ લક્ષણો – જેવાં કે દુઃખમાં ઉદ્વેગ નહીં, સુખની સ્પૃહા નહીં, રાગ, ભય અને ક્રોધથી મુક્ત – ને જાણવાથી સ્થિતપ્રજ્ઞ બની શકાતું નથી. એ રોજિંદા જીવન વ્યવહારમાં જીવાય ત્યારે જ સ્થિતપ્રજ્ઞ બનાય છે. તો રોજિંદા જીવનમાં ઊભી થતી જુદી જુદી વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહેવું તે હવે આપણે જોઈએ.

દુઃખ અને વિપત્તિના ડુંગર તૂટી પડે ત્યારે..:

દુઃખ અને વિપત્તિ આવે છે, ત્યારે ખરેખર મનુષ્યને એમ જ લાગે છે કે તેના ઉપર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. અને તે એના ભાર નીચે ચગદાઈ રહ્યો છે, ગૂંગળાઈ રહ્યો છે. આ સ્થિતિમાં માણસ વ્યગ્ર બની જાય છે. આમતેમ દોડાદોડી કરવા લાગે છે. પણ શાંત અને સ્થિર રહી વિપત્તિ અને મુશ્કેલીઓની સામે અડગ ઊભા રહીને સામનો કરતાં મુશ્કેલીઓ ચાલી જાય છે. સ્વામી વિવેકાનંદના જીવનમાં બનેલો એક પ્રસંગ છે. સ્વામી વિવેકાનંદ દુર્ગામંદિર પાસે ગંગાને કિનારે ફરતા હતા. અને તેમની પાછળ વાંદરા પડ્યા. એટલે તેઓ ખૂબ ઝડપથી દોડવા લાગ્યા. જેમ જેમ તેઓ ઝડપથી દોડવા લાગ્યા, તેમ તેમ તેમની પાછળ વાંદરા પણ ઝડપથી દોડવા લાગ્યા. દૂર ઊભેલા એક વૃદ્ધ સંન્યાસીએ આ દૃશ્ય જોયું અને બૂમ પાડી કહ્યું, ‘સાધુ, ભાગો મત. ડટે રહો.’ સ્વામી વિવેકાનંદે આ સાંભળ્યું અને તેઓ વાંદરાઓની સામે મુખ કરીને સ્થિરપણે ઊભા રહ્યા. એમના આશ્ચર્ય વચ્ચે વાંદરાઓનું ટોળું પણ તેમની સામે ઊભું રહી ગયું. પછી વાંદરાઓ એક એક કરીને ભાગી ગયા. સ્વામી વિવેકાનંદ લખે છે કે ‘આ અનુભવે મને જીવનનો મહત્ત્વનો પાઠ શીખવ્યો કે કોઈ પણ મુશ્કેલી આવે તો તેનાથી ડરીને ભાગવું નહીં, પણ હિંમતપૂર્વક તેની સામે થવું.’ ખરેખર મુશ્કેલીઓની સામે જેઓ અડગ રહી શકે છે, તેમની સામે મુશ્કેલીઓનું જોર ઓછું થઈ જાય છે.

જ્યારે જ્યારે જીવનમાં વિષમમાં વિષમ પરિસ્થિતિ આવે, ત્યારે ભાંગી પડવા કરતાં એ યાદ રાખવું જોઈએ કે ‘આ પણ જશે.’ આ સંદર્ભમાં એક વાર્તા છે. એક રાજાએ તેને ત્યાં આવેલા સાધુ મહાત્માની ખૂબ સેવા કરી. તેથી પ્રસન્ન થઈને મહાત્માએ તેને કહ્યું, ‘લે આ તાવીજ. તારી ડોકમાં પહેરી રાખજે. અને જ્યારે તું ખૂબ મુશ્કેલીમાં હો ત્યારે અને જ્યારે તું ખૂબ આનંદમાં હો ત્યારે આ તાવીજ ખોલીને વાંચજે. તેમાં મારો સંદેશ છે. એ તને જીવનમાં ખૂબ કામ લાગશે.’

રાજાએ મહાત્માની પ્રસાદી માનીને એ તાવીજનો સ્વીકાર કર્યો પોતાના ગળામાં એ પહેરી લીધું. એ વાતને ઘણો સમય વીતી ગયો. હવે બીજા રાજ્યના રાજાએ તેના રાજ્ય ઉપર હુમલો કર્યો અને તેને હરાવીને તેનું રાજ્ય લઈ લીધું. તેને પકડીને કેદ કરી લેવાની તૈયારી કરતા હતા, પણ તે રાજમહેલના ગુપ્ત દ્વારેથી જીવ બચાવીને ભાગ્યો. રાત્રિના અંધકારમાં લપાતો – છૂપાતો એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. પણ તેણે હવે બધું જ ગુમાવી દીધું હતું. તે નિરાશ થઈને આત્મહત્યા કરવા જતો હતો, ત્યાં તેને મહાત્માના શબ્દો યાદ આવ્યા, ‘ખૂબ દુઃખમાં હો ત્યારે મારો સંદેશો વાંચજે.’ તેણે તાવીજ ખોલ્યું. તેમાં બે માદળિયાં હતાં. એકમાં લખ્યું હતું, ‘અતિશય દુઃખની વેળાએ.’ બીજામાં લખ્યું હતું, ‘અતિશય સુખની વેળાએ.’ રાજાએ દુઃખના સંદેશ માટે તાવીજ ખોલ્યું. તેમાં એક ચબરખીમાં લખ્યું હતું, ‘આ સમય પણ જશે.’ મહાત્માના આ સંદેશ ઉપર રાજાએ વિચાર કર્યો અને તે આત્મહત્યાના માર્ગેથી પાછો ફરી ગયો. પછી જંગલમાં ગુપ્ત રીતે રહીને તેણે પોતાના વિશ્વાસુ માણસોને ભેગા કર્યા. આક્રમણ કરી પોતાનું જ નહીં, પણ એ રાજાનું રાજ્ય પણ મેળવી લીધું. ફરી સુખના દિવસો આવી ગયા. જ્યારે તે અતિશય આનંદમાં હતો, ત્યાં એને સાધુ મહાત્મા યાદ આવી ગયા. તેણે આનંદના સમયનો સંદેશ વાંચવા ફરી તાવીજ ખોલી માદળિયું કાઢ્યું તો તેમાં પણ એ જ સંદેશ હતો, ‘આ સમય પણ જશે.’ રાજાને પહેલાં તો આશ્ચર્ય થયું. પણ પછી ઊંડું ચિંતન કરતાં એને સમજાયું કે સુખ અને દુઃખ બંનેમાં મનુષ્યે સમતા રાખવી જોઈએ.

અમેરિકાના પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનના ઓરડામાં પણ આ જ અર્થનું વાક્ય મઢાવીને રાખેલું હતું. ‘This too shall pass’ – ‘આ પણ પસાર થઈ જશે.’ આ વિશે લિંકનને પૂછતાં તેમણે કહ્યું હતું – મુશ્કેલીઓ જ્યારે આવે છે, ત્યારે હું વિચાર કરું છું કે ‘આ પણ પસાર થઈ જશે.’ આથી મુશ્કેલીઓ મને ખળભળાવી મૂકતી નથી. અને જ્યારે સિદ્ધિ અને સફળતા મળે છે, ત્યારે આ વાક્ય મને ગર્વથી દૂર રાખે છે.’ ‘આ સમય પસાર થઈ જશે.’ આ એક જ વાક્ય લિંકનની જેમ આપણે પણ યાદ રાખીએ તો જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાનું બળ મળે છે.

આ ઉપરાંત જે કંઈ થાય છે, તે બધું જ ભગવાનની ઇચ્છાથી થાય છે. ભગવાન મંગલમય છે. બધાંનું મંગલ કરી રહ્યા છે. એમની ઇચ્છા માનીને આવેલી દુઃખદાયી પરિસ્થિતિને પણ જો સ્વીકારી લેવામાં આવે તો પછી એ પરિસ્થિતિ દુઃખદાયી રહેતી નથી. આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવની વાર્તા છે. એક વણકર હતો. તે રામનો ભક્ત હતો. બધું જ રામની ઇચ્છાથી થાય છે, તેમ માનીને ચાલતો હતો. એક વખત રાત્રે તે રામનું ભજન કરતો પોતાના આંગણામાં બેઠો હતો, ત્યાં ચોરીનો માલ લઈને ચાર ચોર આવ્યા. તેમના માલનું પોટલું ખૂબ ભારે હતું, તેથી તેઓ કોઈ મજૂરની શોધમાં હતા. એમણે આ વણકરને જોયો અને કહ્યું, ‘ચાલ ઊભો થા, પોટલું ઊંચકી લે અને અમે કહીએ, ત્યાં મૂકી જા.’ જેવી રામની ઇચ્છા કહીને તે ઊભો થયો. પોટલું લઈને ચોરની સાથે ચાલવા મંડ્યો. એટલામાં ચોરોને શોધી રહેલા પોલીસો આવ્યા. ચોરો તો નાસી ગયા. પણ પોટલા સહિત વણકર પકડાઈ ગયો. એની પાસે ચોરીનો બધો જ માલ હતો. એટલે તેને પકડીને જેલમાં પૂરી દીધો. લોકોને ખબર પડી, તો લોકો અરેરાટી કરવા લાગ્યા કે બિચારો, આવા ભોળો ભટાક રામનો ભગત. કોઈ દિવસ ચોરી કરે જ નહીં, એને જેલમાં કેમ નાખ્યો? પછી કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે તેને પૂછ્યું, ‘ખરેખર શું થયું હતું તે તું કહે.’ ત્યારે તેણે કહ્યું, ‘નામદાર, રામની ઇચ્છાથી હું મારા ઘરમાં બેસીને રામનું નામ લેતો હતો. ત્યાં રામની ઇચ્છાથી ચાર માણસો પોટલું ઊંચકીને આવ્યા. રામની ઇચ્છાથી એમણે મને આ પોટલું ઊંચકવા કહ્યું. રામની ઇચ્છાથી એ પોટલું ઊંચકીને હું તેમની સાથે ચાલવા લાગ્યો. રામની ઇચ્છાથી પોલીસો આવ્યા અને પેલા ચારેય ભાગી ગયા અને હું રામની ઇચ્છાથી પકડાઈ ગયો. રામની ઇચ્છાથી મને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને હવે રામની ઇચ્છાથી હું તમારી સામે ઊભો છું.’ ન્યાયાધીશે જોયું કે, આ તો ખરેખર રામનો ભગત છે. આ કદી ચોરી કરે નહીં. એટલે તેને છોડી મૂક્યો, ત્યારે તે ભગતે કહ્યું, ‘હજૂર, રામની ઇચ્છાથી હવે હું છૂટી ગયો.’ આ રીતે સુખમાં અને દુઃખમાં કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનની ઇચ્છાને જ જોવામાં આવે તો મન ક્યારેય વિચલિત થતું નથી. દરેક સ્થિતિમાં એ સ્વસ્થ અને શાંત રહી શકે છે.

વળી ભગવાન જે કંઈ કરે છે, તે મંગલમય જ કરે છે. આપણા ભલા માટે જ કરે છે, એ વિશ્વાસ જો દૃઢપણે મનમાં સ્થાપી દેવામાં આવે તો દુઃખ, વિપત્તિ પણ કૃપા અને આશીર્વાદમાં ફેરવાઈ જાય છે. આ સંદર્ભમાં એક રાજા અને પ્રધાનની વાર્તા છે. એક દિવસ તલવારની ધારની ચકાસણી કરતાં રાજાની એક આંગળી કપાઈ ગઈ, ત્યારે પ્રધાનથી બોલાઈ ગયું, ભગવાન જે કંઈ કરે છે, તે સારા માટે જ કરે છે. ‘મારી આંગળી કપાઈ ગઈ, એ શું સારું કર્યું?’ ગુસ્સે થઈને રાજાએ કહ્યું. પ્રધાનના આવા વિધાનથી તેને એટલો બધો ગુસ્સો ચઢ્યો કે તેણે પ્રધાનને જેલમાં પૂરી દીધો. આંગળીની સારવાર કરાવીને પછી રાજા જંગલમાં શિકાર કરવા ગયો. શિકારની શોધમાં તે તેના રસાલાથી આગળ નીકળી ગયો. ત્યાં કેટલાક તાંત્રિકોએ તેને પકડી લીધો અને તેમના અડ્ડામાં લઈ આવ્યા. ત્યાં યજ્ઞ ચાલતો હતો. અને યજ્ઞમાં નરબલિ હોમવાનો હતો. એ માટે રાજાને પકડવામાં આવ્યો હતો. રાજા બધી રીતે યોગ્ય હતો, પણ આંગળી કપાયેલી હોવાથી તે ખંડિત અંગવાળો હોવાથી તેને છોડી મૂકવામાં આવ્યો, ત્યારે રાજાને પ્રધાનના શબ્દો યાદ આવ્યા કે ‘ભગવાન જે કરે છે, તે સારા માટે જ છે.’ તેને થયું કે ભગવાને અગાઉથી મારી આંગળી કપાવીને મારા બચાવની વ્યવસ્થા કરી હતી! તે રાજમહેલમાં પાછો ફર્યો. તુરત જ પ્રધાન પાસે ગયો અને બધી હકીકત જણાવી પૂછ્યું, ‘મારી આંગળી કપાઈ એ તો જાણે મારા ભલા માટે જ થયું, પણ તમને જેલમાં નાંખીને ભગવાને તમારું શું ભલું કર્યું?’ ‘અરે મહારાજ, ભગવાન બહુ દયાળુ છે. મને જેલમાં નાંખીને એમણે મને પણ બચાવી લીધો. જો હું જેલમાં ન હોત તો તમારી સાથે હોત. તમે તો છૂટી ગયા હોત, પણ મને હોમી દીધો હોત! હવે સમજાયું કે ભગવાન જે કંઈ કરે છે, તે સારા માટે જ કરે છે!’ રાજાને અનુભવથી આ વાત બરાબર સમજાઈ ગઈ હતી. આથી ભગવાને જે પરિસ્થિતિમાં આપણને મૂક્યા છે, એ આપણા ભલા માટે હેતુપૂર્વક જ મૂક્યા છે, એ રીતે પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી દુઃખના ડુંગરો અદૃશ્ય થઈ ત્યાં કૃપાના મહાસાગરો વહેવા લાગે છે.

ક્રોધરૂપી ચાંડાળ મસ્તક ઉપર સવાર થાય ત્યારે…

ક્રોધ જ્યારે મસ્તક ઉપર સવાર થાય છે ત્યારે માણસની આંતરિક સ્થિતિ જ નહીં, પણ બાહ્ય દેખાવ અને રૂપ – રંગ પણ ફરી જાય છે, લાલઘૂમ આંખો, તંગ ચહેરો, ભારે ધમણની જેમ ચાલતો શ્વાસ, હાથની મુઠ્ઠીઓ જોર જોરથી પછાડવાની ક્રિયા – મુખમાંથી નીકળતા બંદૂકની ગોળી જેવા શબ્દો – આ છે ક્રોધના આગમનથી સર્જાતી બાહ્યસ્થિતિ. તો પછી મનમાં વિચારોનો પ્રચંડ વેગ, ઉગ્રતા, વિવેકહીનતા, સદ્ભાવનાનો લોપ – આ છે ક્રોધથી સર્જાતી આંતરિક સ્થિતિ. આથી જ ગીતામાં શ્રીકૃષ્ણે કામ, ક્રોધ અને લોભને નરકનાં દ્વાર કહ્યાં છે. આવો ક્રોધ મસ્તક ઉપર કબજો જમાવે ત્યારે શું કરવું?

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય નિરંજન એકવાર હોડીમાં બેસીને દક્ષિણેશ્વર જઈ રહ્યા હતા. હોડીમાં બેઠેલા લોકો શ્રીરામકૃષ્ણની નિંદા કરવા લાગ્યા. નિરંજને શરૂઆતમાં વિરોધ કરી, નિંદા બંધ કરાવવા પ્રયત્ન કર્યો. પણ તે લોકો કેમેય ચૂપ ન થયા. આથી નિરંજન અત્યંત ક્રોધે ભરાયા. સ્વભાવે ઉગ્ર અને શરીરે બળવાન નિરંજને એ લોકોને કહ્યું, ‘મારા ગુરુદેવની નિંદા કરો છો! હવે હું આ આખી હોડી જ ડુબાડી દઉં છું.’ એમના ગુસ્સાનો આવેગ જોઈને બધા ધ્રૂજી ઊઠ્યા. પછી બધાએ ખૂબ આજીજી કરીને તેમને એમ કરતા રોક્યા. પાછળથી શ્રીરામકૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું, ‘અરેરે, નિરંજન, ક્રોધ ચાંડાળ છે. શું ક્યારેય ક્રોધને વશ થવાય? સજ્જનોનો ક્રોધ તો પાણી ઉપર અંકાતી રેખાઓ જેવો છે. એ રેખાઓ પાણી ઉપર અંકાતાં જ પાછી સમાપ્ત થઈ જાય છે. હલકી બુદ્ધિવાળા લોકો કેટલીયે ખોટી વાતો કહેતા ફરે છે. એને લઈને વાદવિવાદ કરો તો જીવન એમાં જ વીતી જવાનું. આવા પ્રસંગોમાં તું લોકોને કીડા જેવા સમજીને એમની વાતોની ઉપેક્ષા કર. ક્રોધને વશ થઈ તું કેટલું મોટું વિપરીત કાર્ય કરવા તત્પર થયો હતો! ભલા, જરા વિચારી તો જો – એ બિચારા નાવિકોએ તારું શું બગાડ્યું હતું કે તું એ ગરીબો ઉપર અત્યાચાર કરવા તૈયાર થઈ ગયો?’ આમ અન્યનાં કટુવચનો કે કટાક્ષોને લઈને મનમાં જો ક્રોધ આવે ત્યારે એ હલકી બુદ્ધિવાળા લોકોની વાતોની સદંતર ઉપેક્ષા કરવાથી ક્રોધનો ચાંડાળ મસ્તકમાં પેસી શકતો નથી.

‘અરેરે, જોતો નથી, હું ગંગાસ્નાન કરીને ચાલ્યો આવું છું, અને તું મને અડક્યો? તારી આ હિંમત? ચાંડાળ થઈને બ્રાહ્મણ દેવતાના રસ્તામાં ઊભો રહ્યો?’ વહેલી સવારે ગંગાસ્નાન કરીને આવી રહેલા એક બ્રાહ્મણ રસ્તામાં આવી રહેલા ચાંડાળ સાથે અથડાઈ ગયા અને તેથી તેઓ એ ચાંડાળ ઉપર અત્યંત ગુસ્સે થઈ ગયા. જાણે એ ચાંડાળે મહાપાપ કર્યું હોય એમ તેને ભાંડવા લાગ્યા, ત્યારે હાથ જોડીને ચાંડાળે કહ્યું, ‘ભૂદેવ, હું તો જાતિથી ચાંડાળ છું. તમે મને અડકી જવાથી અભડાઈ ગયા. પણ તમે તો અભડાયેલા જ છો. આ ક્રોધરૂપી ચાંડાળને તો તમે મસ્તક ઉપર લઈને ફરો છો તેનું શું?’ બ્રાહ્મણ પાસે એનો જવાબ ન હતો. ઘણા માણસો આ રીતે ક્રોધરૂપી ચાંડાળને મસ્તક ઉપર લઈને જ ફરતા હોય છે. જરાક ધાર્યું ન થાય, કોઈ કંઈ જરા સરખું વાંકું બોલે કે તુરત જ આ ચાંડાળ જાગૃત થઈ તેની પાસે ન કરવાનાં કાર્યો કરાવી નાંખે છે અને પછી પસ્તાવાનો પાર રહેતો નથી.

જ્યારે મનમાં ક્રોધ આવે ત્યારે શું કરવું? સ્વામી વિવેકાનંદે ‘રાજયોગ’માં પાતંજલ યોગસૂત્રના વિવરણની વ્યાખ્યાની સમજૂતી આપતાં જણાવ્યું છે. આ સૂત્રનો અર્થ છે, જ્યારે યોગના વિરોધીભાવો જાગે ત્યારે તેના પ્રતિપક્ષી વિચારોનું વારંવાર ચિંતન કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘જ્યારે મનમાં ક્રોધનું એક મોટું મોજું આવે ત્યારે તેને કેવી રીતે કાબૂમાં લેવું? એના વિરોધી વિચારો સર્જીને તેને કાબૂમાં લઈ શકાય છે. એ વખતે મનમાં પ્રેમની વાતો લાવો. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે પત્ની પોતાના પતિ ઉપર ગરમ થઈ જાય છે. તે સમયે જો તેનું બાળક ત્યાં આવી જાય તો તેને ખોળામાં લઈને બાળકને ચૂમી લે છે. આથી તેના મનમાં બાળક પ્રત્યે પ્રેમનાં આંદોલનો સર્જાય છે. આ પ્રેમનાં આંદોલનો પહેલાં ઊઠેલા ગુસ્સાનાં આંદોલનોને દબાવી દે છે. ક્રોધ વખતે પોતાના ગુરુ, ઈષ્ટદેવ કે પોતાને અત્યંત પ્રિય એવી વ્યક્તિનું સ્મરણ કરવાથી પણ ગુસ્સાનો આવેગ ઓછો થઈ જાય છે. અથવા તો એમનો ફોટો જોયા કરવાથી પણ મન શાંત થઈ જાય છે. બીજો તાત્કાલિક ઉપાય એ પણ છે કે ક્રોધનાં આંદોલનો આવી રહ્યાં છે, એવો અનુભવ થાય કે તુરત જ જેમાં શ્રદ્ધા હોય તે પવિત્ર મંત્રનો દશ વખત જપ કરવાથી પણ ક્રોધનો વેગ તાત્કાલિક શાંત થઈ જાય છે. મંત્રજપમાં મનને શાંત કરવાથી અદ્ભુત શક્તિ રહેલી છે.

એક કિશોરી શ્રીરામકૃષ્ણ આશ્રમમાં નિયમિત આવતી હતી. શ્રીરામકૃષ્ણ મઠના અધ્યક્ષ મહારાજ ભક્તોને મંત્રદીક્ષા આપવાના હતા. આ કિશોરીને પણ મંત્રદીક્ષા લેવી હતી. પણ તેની માતાનો વિરોધ હતો. માતાને તે આશ્રમમાં લઈ આવી. આશ્રમના વરિષ્ઠ સંન્યાસીએ માતાના મનમાં રહેલી શંકાઓનું સમાધાન કરતાં તેણે મંત્રદીક્ષાની રજા આપી. એક વર્ષ બાદ એ માતા પોતે જ આશ્રમમાં આવીને પૂછવા લાગી કે મને ખબર મળ્યા છે કે ‘પ્રેસિડન્ટ મહારાજ’ આવ્યા છે, તો શું આ વખતેય મંત્રદીક્ષા આપવાના છે?

‘હા, પણ આપ કેમ પૂછો છો?’ સંન્યાસીએ પૂછ્યું.

‘મહારાજ, આ વખતે તો મારે પોતાને મંત્રદીક્ષા લેવી છે. મારી નાની ત્રણ દીકરીઓ છે, એને પણ મંત્રદીક્ષા મળે તેવું હું ઇચ્છું છું!’ આ વાત સાંભળીને સંન્યાસીને ભારે આશ્ચર્ય થયું, ત્યારે તેણે કહ્યું, ‘સ્વામીજી, ગયા વર્ષે મારી મોટી દીકરીએ અહીં મંત્રદીક્ષા લીધી. તે આમ ખૂબ ભલી છે. પણ તેના સ્વભાવમાં એક જ દોષ હતો. તે વારંવાર ગુસ્સે થઈ જતી. આશ્ચર્યની વાત એ છે કે મંત્રદીક્ષા લીધા પછી એના સ્વભાવમાં વિલક્ષણ પરિવર્તન થઈ ગયું છે. હવે તે ક્યારેય ગુસ્સે થતી નથી. હું પણ ગુસ્સાવાળી છું. મારા ક્રોધ ઉપર મારે કાબૂ મેળવવો છે. એથી હું દીક્ષા લેવા ઇચ્છું છું. મારી ત્રણેય નાની દીકરીઓને પણ દીક્ષા મળે, તો તેમના સ્વભાવમાં પણ આવું વિલક્ષણ પરિવર્તન આવી જાય તેમ ઇચ્છું છું.’

આમ પવિત્ર મંત્રજપનો મન ઉપર ખૂબ જ શાંતિદાયી પ્રભાવ પડે છે. મનનું ચીડિયાપણું કાયમ માટે દૂર થઈ જાય છે.

બીજા ઉપાયોમાં શા માટે પોતાને ક્રોધ આવે છે, તેનું વ્યક્તિએ વિશ્લેષણ કરવું જોઈએ. જો આખા મહિનાના બનાવોની યાદી બનાવવામાં આવે તો વ્યક્તિને જણાય છે કે ક્રોધની પરિસ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ એ હતું કે કેટલીક બાબતો તેની ઇચ્છા પ્રમાણેની બની ન હતી. તેથી વ્યક્તિએ પોતાના મનમાં એ ભાવ દૃઢ કરી દેવો જોઈએ કે જગતમાં દરેક વસ્તુ પોતાની ઇચ્છા પ્રમાણે બનતી નથી અને બની શકે પણ નહીં, તો પછી આક્રોશ ઓછો થઈ જાય છે, ચીડ ચાલી જાય છે.

એ ઉપરાંત ગયા મહિને કરેલા ક્રોધના પ્રસંગોના ફાયદા અને નુકસાનનું સરવૈયું કાઢવાથી જણાય છે કે ક્રોધથી ફાયદો થવાને બદલે વ્યક્તિને પોતાને જ નુકસાન થાય છે. પછી જ્યારે મનમાં ક્રોધનું મોજું આવે છે, ત્યારે એ નુકસાનને યાદ કરવાથી ક્રોધ ઓછો થઈ જાય છે.

જો દરરોજ પ્રાતઃકાળે વ્યક્તિ પોતાના મનને પવિત્ર ભાવો અને વિચારોથી ભરી દે, તો તેનું ચિત્ત સ્વસ્થ અને શાંત રહેશે. જો ચિત્ત સ્વચ્છ અને શાંત હશે, તો કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ અશાંત અને વિક્ષુબ્ધ કરી શકતી નથી. એટલા માટે સત્સાહિત્યનું અધ્યયન, ધ્યાન અને પ્રાર્થના દ્વારા પોતાના મનને શાંત અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવા પવિત્ર મનમાં એવો પ્રકાશ હોય છે કે ક્રોધનો ચાંડાળ એની છાયામાં આવતાં જ ઓગળી જાય છે.

પરિવારમાં કજિયા કંકાસ સર્જાય ત્યારે…

આધુનિક યુગમાં પરિવારો તૂટતા જાય છે. સંયુક્ત કુટુંબપ્રથા નષ્ટ થઈ રહી છે. તો નાનાં કુટુંબોમાં પણ માતા-પિતા અને સંતાનો વચ્ચે મતભેદો વધતા જાય છે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની વચ્ચે પણ વણસેલા સંબંધો જોવા મળે છે. જે ઘર શાંતિનું મંદિર ગણાતું, એ હવે અશાંતિનું સર્જન બની રહ્યું છે. તેમાં મિલકત, સ્વતંત્ર રહેવાની વૃત્તિનું જોર, મિડિયા દ્વારા પાશ્ચાત્ય ભોગવાદિતાનો પ્રભાવ અને નૈતિક મૂલ્યોનો હ્રાસ – આ બધાં પરિબળોને જવાબદાર ગણાવી શકાય.

એક ગૃહસ્થ ભક્તે પોતાના ગુરુમહારાજને એક દિવસ કહ્યું.

‘મહારાજ, જીવનમાંથી શાંતિ ચાલી ગઈ છે. રાત્રે ઊંઘ પણ આવતી નથી. કંઈ ઉપાય બતાવો.’

‘કેમ શી બાબત છે?’ સાધુ મહાત્માએ પૂછ્યું.

‘બાપજી, એ જ વાત. હવે તો હદ થઈ ગઈ. નાનાભાઈએ ગાળાગાળી શરૂ કરી દીધી છે. બાપુજીને એમ કે બેય દીકરા સંપીને રહેશે. એટલે મકાને ય ઉપર – નીચે બનાવ્યું છે. ઘરનું મકાન છોડીને ભાડે રહેવાય જઈ શકતા નથી. નાનો તો ઠીક, પણ એની વહુ-છોકરાંઓ પણ જ્યારે નીચેથી પસાર થાય ત્યારે ગાળો દેતાં જાય. વળી ઉપરથી કચરો અને એઠવાડ ફેંકે. સાચ્ચે હવે તો ત્રાસી ગયો છું. છૂટુંય નથી કરતો. બસ, એક જ વાત લઈને બેઠો છે. ‘આગળની બધી જમીન મને આપી દો. તો સહી કરું.’ આગળની જમીન એક હજાર વારની છે. પાછળનું આખું મકાન મારે લેવાનું. આવો ભાગ પાડું તો તેને મંજૂર છે. પણ આગળની જમીન રોડ ઉપરથી પસાર થાય – કિંમત કેટલી બધી આવે? પાછળ મકાનની પછી કોઈ કિંમત ન રહે. આવો અન્યાય કંઈ ચાલે? થાય છે કે કોર્ટ દ્વારા વહેંચણી કરાવું. તો પછી માનશે. ‘ભાઈ, મિલકતનો ઝઘડો તો મહાભારત કાળથી ચાલતો આવ્યો છે. એમાં કંઈ નવાઈ નથી. પણ મહાભારતનું પરિણામ શું આવ્યું? કૌરવો કંઈ ભોગવી શક્યા? જો તમારે શાંતિ જોઈતી હોય તો તેની કિંમત જમીનમાં ચૂકવવી પડશે. કોર્ટમાં જશો – તો ક્યારે નિવેડો આવશે? ત્યાં સુધી આ જ અશાંતિ અને વળી નિવડો આવ્યા પછી પણ શાંતિ મળવાની છે ખરી? કહેવાયું છે ને કે ‘જર, જમીન અને જોરુ, એ ત્રણ કજિયાનાં છોરું.’ એટલે રોજના લોહી ઉકાળા કરતાં આગળની જમીનને બદલે મકાન લઈને તમે વહેંચણી કરી લો એથી તમને જીવનમાં સુખશાંતિ રહેશે.’ તે ભક્તે પોતાના ગુરુની વાત માનીને પાછળનું મકાન ભાગમાં લઈ લીધું. ભલે જમીનના લાખો રૂપિયા ન મળ્યા, પણ તે મકાનમાં સુખશાંતિથી રહી શકે છે. આમ પરિવારમાં મિલકત, જમીન અંગે ઘણીવાર કજિયા કંકાસ થાય, તે સમયે કોઈ વડીલની સલાહ લઈને દરેકે થોડું જતું કરીને ભાગ સ્વીકારી લેવો જોઈએ. નહીંતર કોર્ટમાં પૈસાથી તો ખુવાર થઈ જવાય છે, પણ ઘણીવાર ચુકાદામાં એટલો વિલંબ થાય છે કે વહેંચણી કરનારી પેઢી જ આખી ગુજરી ગઈ હોય છે!

આધુનિક યુગમાં પરિવારમાં ગૃહિણીને ખૂબ કામ રહેતું હોય છે. તેથી તે ‘ટેન્શન’માં રહે છે. એમાંય જો તે નોકરી કરતી હોય તો તો સવારનો તેનો સમય એક સાથે અનેક કામો ખૂબ ઝડપથી કરવામાં વીતતો હોય છે. એ સમયે ઘરનું વાતાવરણ અશાંત બની જાય છે. એક સત્સંગી બહેનને કથા કરનાર મહાત્માએ પૂછ્યું. ‘સેવા – પૂજા બરાબર ચાલે છે ને, મા?’ ‘શું વાત કરું મહારાજ, સવારે રોજ બે કલાક લાલાજીની સેવા – પૂજા ભક્તિ કરું છું, પણ ઘરમાં એવી તો ધમાચકડી બોલતી હોય છે કે સેવા – પૂજામાં મન બરાબર લાગતું નથી. વહુને બે છોકરાંઓને તૈયાર કરીને નિશાળે મોકલવાનાં. દીકરો આઠ વાગ્યે ટિફિન લઈને જાય. એનું તૈયાર કરવાનું, એટલે એ તો રાડારાડ કરતી હોય. સવારે જો કોઈ તેની હડફેટે આવ્યું, તો તેનું આવી જ બન્યું સમજો. હું તો લાલાજીની સેવા લઈને બેસી જાઉં. પણ ઘોંઘાટથી તેમાં મારું મન લાગતું નથી.’

‘મા, બધાં ઊઠે તે પહેલાં સેવા – પૂજા કરી લો તો. અને પછી વહુને મદદ કરો. તમારા પૌત્રો એ તો જીવતા ગોપાલ છે. એની સેવા કરો. એને તૈયાર થવામાં મદદ કરો. તમને આનંદ મળશે. વહુનો રઘવાટ ઓછો થશે. પછી સમય મળે ત્યારે ફરી તમારા લાલાજીની સેવા કરો. જીવંત ગોપાલને ભૂલીને તમે વિગ્રહની સેવા કરો છો એટલે અશાંતિ છે. આમ કરી જુઓ. તમને બધાંને શાંતિ અને આનંદ મળશે.’ સાધુ મહાત્માએ રસ્તો બતાવ્યો પણ ખરેખર મોટા ભાગના પરિવારોમાં ઘરની ગૃહિણી ઉપર કામનો ભારે બોજો રહેવાથી તેનું મન હંમેશા વ્યગ્ર રહેતું હોય છે અને તેની અસર સમગ્ર પરિવાર ઉપર પડતી હોય છે. ઘરના સભ્યોએ એકબીજાંની અંદર રહેલી દિવ્યતાની અનુભૂતિ કરી, એમાં રહેલા ભગવાનને સહાય કરવી જોઈએ. માતાપિતા બાળકોમાં બાળગોપાલને જુએ, બાળકો માતાપિતાને દેવ સમાન માની તેમની આજ્ઞાનું પાલન કરે, તો પરિવારમાં કજિયા કંસાસ થતા નથી. પોતાનાં સંતાનોને ઉછેરવા માટે માતાપિતાએ નિઃસ્વાર્થ ભાવે જે ભોગ આપ્યો હોય છે, તેની અસર તેમનાં બાળકોના ચિત્તમાં જાણ્યે અજાણ્યે પણ પડતી હોય છે. જે માતાપિતા બાળકોના હિતમાં જ પોતાનું હિત વિચારતાં હોય છે, એનાં બાળકો કદી ઉદ્વત કે ઉચ્છૃંખલ થતાં નથી. પણ જો માતાપિતા બાળકોની ઉપેક્ષા કરતાં હોય, કે પોતાના સ્વાર્થ માટે તેમનો ઉછેર કરતાં હોય તો બાળકો મોટાં થતાં માતપિતાની આમાન્યાનું પાલન કરતાં નથી. માતાપિતાના હૃદયનો પડઘો એમનાં સંતાનોમાં હંમેશાં પડતો હોય છે. અમેરિકા ગયેલું એક દંપતી ત્યાંથી આવીને એક બહેનના ઘરે ગયું. સાધારણ સ્થિતિનાં એ પતિ-પત્નીને એમણે કહ્યું, ‘તમે ધન્ય છો.’ તમારા દીકરાએ આ કવર મને આપ્યું છે અને કહ્યું, ‘મારી માનાં ચરણોમાં આ રકમ મૂકજો. આ મારા પહેલા પગારની રકમ છે. મારી માએ મારા માટે કેટકેટલું સહ્યું છે.પણ મારાં માતાપિતાને કહેશો કે હવે તમારા દુઃખના દિવસો ગયા.’ બહેન તમારી વાત કરતાં કરતાં એ દીકરાની આંખમાં પાણી આવી ગયાં. શું તમારા પ્રત્યેની ભક્તિ છે! મને થયું કે મારો દીકરો પણ જો આવો હોત તો! પરંતુ એવાં સંતાનો માટે માતાપિતાનું તપ અને ત્યાગભર્યું જીવન અને બાળકો પ્રત્યેનો સાચો પ્રેમ જરૂરી છે.

કુટુંબમાં કજિયા કંકાસ ત્યારે જ થાય કે જ્યારે બે પક્ષો પડી ગયા હોય, અને બંને પોતાની જીદ ઉપર અડગ હોય, બંને એકબીજા ઉપર આરોપ લગાવતા હોય. આ સમયે કજિયા કંકાસ ટાળવા એક પક્ષે જતું કરી દેવું જોઈએ. એ સમયની જે પરિસ્થિતિ છે, તેને સ્વીકારી લેવી જોઈએ. તત્કાળ જો એ શક્ય ન હોય તો ચુપકીદી સેવવી જોઈએ. અથવા ઘરની બહાર થોડો વખત ચાલ્યા જવું. કોઈ વડીલ, કુલગુરુ કે હિતેચ્છુ સ્વજન પાસે જઈને મન ખાલી કરી દેવું. પણ જ્યારે ઘરમાં ઉગ્ર વાતાવરણ હોય ત્યારે શબ્દોનું ઇંધણ એમાં નાંખી આગને વધારે પ્રજ્વલિત કરવી નહીં. જો શબ્દો બોલવા જ હોય તો એવા શબ્દો કે જે શીતળ જળ સમાન હોય અને આગને બુજાવી દે તેવા હોય, તો જ બોલવા. નહીંતર મૌન સેવવું જોઈએ.

કજિયા કંકાસ ટાળવા માટે જો સહુથી વધારે જરૂર હોય તો તે છે, સહનશક્તિની. આજના યુગમાં સહનશક્તિ બહુ જ ઓછી થઈ ગઈ હોવાને પરિણામે પરિવારોમાં ક્લેશ વધતા જાય છે. યુવાન પેઢી સ્વતંત્રતા ઇચ્છે છે, અને માતાપિતા તેમને અંકુશમાં રાખવા ઇચ્છે છે. તેમાંથી સંઘર્ષ ઊભો થાય છે. પરસ્પર સમજૂતી, એકબીજાં પ્રત્યેનો પ્રેમ, જતું કરવાની ભાવના, ગઈ ગુજરીને ભૂલી જવાની વૃત્તિ અને સહનશીલતા દાખવવામાં આવે તો કજિયા કંકાસને નિવારી શકાય છે.

પરિવારમાં કજિયા કંકાસ ન થાય, પ્રેમ અને એકતાનું વાતાવરણ સર્જાય તે માટે શું કરવું જોઈએ?

જો કુટુંબના બધા સભ્યોની દર અઠવાડિયે એક મિટિંગ યોજવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ, મનદુઃખો તાત્કાલિક હલ થઈ જાય છે. એનાં મૂળ ઊંડાં જતાં નથી. આ મિટિંગમાં દરેક સભ્યને પોતાના મનમાં જે કંઈ હોય, તે હૈયાવરાળ કાઢવાની પૂરી છૂટ હોવી જોઈએ. તો પૂર્વગ્રહો, ગ્રંથિઓ, મનભેદ – બધું ઓગળી જાય છે. બધા સભ્યો વચ્ચે આમને – સામને જ બધી સ્પષ્ટતા થઈ જાય છે. તેથી મન ચોખ્ખાં થઈ જાય છે. તેમાં કોઈ રોષ કે ઘૂઘવાટ રહેતો નથી.

બીજું, ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જવું ખૂબ જરૂરી છે. જો દરરોજ સાંજે કુટુંબના બધા સભ્યો સમૂહ – પ્રાર્થના- કીર્તન- ધૂન વગેરે કરે અને પછી સમૂહભોજન કરે તો ઘરનું વાતાવરણ મંગલમય બની જાય છે. પ્રાર્થનાના પ્રભાવને લઈને ઘરનું સૂક્ષ્મ વાતાવરણ દિવ્યતાનાં આંદોલનોથી સભર રહે છે. તેથી કુટુંબમાં સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, સ્વાર્પણ અને ત્યાગની ભાવના વધે છે. એ જ રીતે सह नौ भुनक्तु એટલે બધા સભ્યો બેસીને જમે તેથી પણ એકતા વધે છે. બધા સમયે શક્ય ન હોય તો સાંજે એક વખત પણ બધાંએ સાથે બેસીને ભોજન કરવું જોઈએ.

ત્રીજું, પરિવારના સભ્યોએ હંમેશાં પોતાના વર્તનથી બીજા ઉપર શું અસર પડશે, તેનો વિચાર કરીને વર્તવું જોઈએ. ‘ના, હું તો સાચું જ કહી દઈશ. હું એની ભૂલ શું કામ છાવરું?’ આવો દુરાગ્રહ રાખીને બધું બધાંને કહી દેવાથી કુટુંબમાં ઉલ્કાપાત સર્જાઈ જતો હોય તો એવું ન કરવું જોઈએ. પણ ભૂલ કરનારને એકલાને પ્રેમપૂર્વક સમજાવવું જોઈએ.

‘सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्,
न ब्रूयात् सत्यं अप्रियम्’ (મનુસ્મૃતિ – ૪/૧૩૮)

આ વિધાન સ્મરણમાં રાખવું જોઈએ.

ચોથું, સાથે મળીને સદ્ગ્રંથોનું વાચન કરવું જોઈએ. સદ્ગ્રંથોના વાચનથી રામ – સીતાનો ત્યાગ, પ્રેમ, કુટુંબવત્સલતા – વગેરે આદર્શાે મનમાં આવે છે અને તેની કુટુંબ જીવન ઉપર ઘણી ઊંડી અસર પડે છે. આધુનિક યુગમાં દિવ્યદાંપત્યનો આદર્શ શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદામણિએ પૂરો પાડ્યો છે. એમનું જીવન વાંચવાથી પતિ અને પત્નીનું આદર્શ જીવન કેવું હોય છે તેનું દૃષ્ટાંત મળે છે. શ્રીરામકૃષ્ણદેવે ગામડા ગામની અભણ બાલિકા શારદાદેવીનું એવી રીતે ઘડતર કર્યું કે તેઓ જ્ઞાનદાયિની ગુરુ અને શ્રીરામકૃષ્ણ સંઘનાં માતા બન્યાં. શ્રીરામકૃષ્ણે પોતાની સાધનાની સિદ્ધિનું સમસ્ત ફળ એમનાં ચરણોમાં ધરી દીધું હતું. એમની ત્રિપુરાસુંદરી તરીકે પૂજા કરી હતી. શ્રીમા શારદાદેવીએ પણ શ્રીરામકૃષ્ણની અનન્ય ભાવે સેવા કરી હતી. તે એટલે સુધી કે તેઓ શ્રીરામકૃષ્ણની અવ્યક્ત ઇચ્છાને પણ જાણી જતાં અને એનું પાલન કરતાં. આવા ઉચ્ચ આદર્શાે નજર સમક્ષ રાખવાથી મન કલુષિત થતું નથી અને ઉચ્ચ જીવનની પ્રેરણા મળે છે.

પાંચમું, પરિવારની એકતા વધારવા માટે સમયે સમયે પ્રવાસ, તીર્થયાત્રા જરૂરી છે. બહારના વાતાવરણમાં જવાથી ઘરનાં ‘ટેન્શન’ ભુલાઈ જાય છે. અને બધાંનાં મન પ્રફુલ્લિત અને આનંદિત બની રહે છે.

છઠ્ઠું, બધા ઉપાયો અજમાવવા છતાં પણ જો મનભેદ સતત ચાલુ જ રહેતા હોય અને પરિસ્થિતિ તંગ રહેતી હોય તો, પરિસ્થિતિ વધારે બગડે અને એકબીજાનાં મોઢાં જોવાનોય સંબંધ ન રહે, એવી સ્થિતિ સર્જાય તે પહેલાં કુટુંબના સભ્યોએ પ્રેમપૂર્વક અલગ થઈ જવું. પરસ્પર સમજૂતી દ્વારા અલગ થઈ જવાથી પણ દરેકની શાંતિ જળવાઈ રહે છે.

આ રીતે પરિવારનાં સહુ સભ્યો દાદા – માતા – પિતા, યુવાન સંતાનો, પૌત્ર – પૌત્રીઓ – બધાં પોતાના માટે નહીં, પણ પરિવારના સભ્યોને આનંદ આપવા માટે જીવે તો પોતાને તો આનંદ મળે જ છે, પણ પરિવારમાં સહુને આનંદ મળે છે. એ પરિવાર આનંદ અને શાંતિનું સાચું ધામ બની જાય છે.

સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે…

જીવનમાં સહુથી વધુ દુઃખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના કુટુંબીજનો આઘાતથી ભાંગી પડે છે, વિહ્વળ અને અશાંત બની જાય છે. હજુ ગઈ કાલ સુધી તો જેઓ આપણી સાથે હસતા બોલતા હતા અને આજે ક્યાં જતા રહ્યા? શું ફરી એનો કદી મેળાપ નહીં થાય? આ વાત પરિવારજનો સ્વીકારી શકતા નથી. તેમના માટે અસહ્ય બની જાય છે. એકના એક યુવાન પુત્રના મૃત્યુના આઘાતથી તેના પિતાના બધા જ વાળ એક જ રાતમાં ધોળા થઈ ગયા. અકસ્માતમાં પુત્રનું મૃત્યુ થતાં માતા એ આઘાત જીરવી ન શકી અને તે પાગલ થઈ ગઈ. આવા તો અસંખ્ય કિસ્સાઓ સમાજમાં બનતા જોવા મળે છે. એમાં પણ જ્યારે અકાળે અવસાન થાય છે, ત્યારે સ્વજનો એ આઘાત સહી શકતાં નથી. આક્રંદ, આંસુ, દુઃખ અને ચિરવિરહની વેદનાની વ્યથા જિંદગીભર કુટુંબીજનો સહ્યા કરે છે. સમયે સમયે આ વિદાયનો ઘા રુઝાવાને બદલે તાજો થતો રહે છે. એક સ્વજનની વિદાયથી અનેક જિંદગીઓ દુઃખી દુઃખી થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ?

મૃત્યુના દુઃખમાંથી બહાર નીકળવાના બે માર્ગો:

જીવનમાં સહુથી વધુ નિશ્ચિત અને છતાંય અકળ એવી જો કોઈ બાબત હોય તો તે મૃત્યુ છે. તે નિશ્ચિત તો છે જ, કેમ કે જન્મેલા દરેકને મૃત્યુ પામવું જ પડે છે. પણ સાથે સાથે તે સહુથી વધારે અનિશ્ચિત પણ છે. એ ગમે ત્યારે જીવન ઉપર ત્રાટકીને હસતા રમતા જીવનનો તાત્કાલિક અંત લાવી દે છે. પછી મૃત્યુ પામનાર તો ચાલ્યું જાય છે, બધાં જ બંધનોને છોડીને, પોતાના દેહને પણ પૃથ્વી ઉપર છોડીને સૂક્ષ્મ લોકમાં ચાલ્યું જાય છે. પણ પાછળ રહેલાંનાં જીવન દુઃખી થઈ જાય છે. એ દુઃખ જિંદગીભર રહે છે. આ દુઃખમાંથી મુક્ત થવાના બે માર્ગો છે. તે આ પ્રમાણે છે.

પ્રથમ છે નકારાત્મક માર્ગઃ

આમાં દુઃખ આવી પડ્યું છે, તો રડવાનું અને ફક્ત રડવાનું જ. દુઃખી થયા કરવાનું. ભાગ્યને અને વિધાતાને દોષ દઈને આંસુ સાર્યા કરવાનાં. પછી સમય જતાં દુઃખ વિસરાતું જાય છે. પરિસ્થિતિ થાળે પડવા લાગે છે. મનુષ્ય પાછો સંસારની ઘરેડમાં નવી રીતે ગોઠવાઈને રોજિંદા જીવનનાં કાર્યો પૂર્વવત્ કરવા લાગે છે. મોટાભાગના લોકોના જીવનમાં આમ જ બનતું રહે છે અને જીવનું ચક્ર ચાલ્યા કરે છે.

બીજો માર્ગ છે ચિંતનનો માર્ગ – જ્ઞાનનો માર્ગઃ

આ બીજો માર્ગ એ બુદ્ધનો માર્ગ છે. દુઃખનો ઉપયોગ કરીને ચિંતન દ્વારા મૃત્યુના રહસ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ, સ્વજનની ચિરવિદાયથી જીવનમાં ભયાનક આઘાત લાગે ત્યારે રડવાને બદલે બુદ્ધિને સતેજ કરીને મૃત્યુ ઉપર ચિંતન કરવું જોઈએ. કેમ કે રડવાથી પોતાને તો દુઃખ થાય છે જ, પણ મૃતાત્માને પણ દુઃખ થાય છે.

પરંતુ એના બદલે જો પ્રાર્થના કરવામાં આવે તો પોતાના અંતરમાં તો શાંતિ મળે છે, પણ સદ્ગતના આત્માને પણ શાંતિ મળે છે. અંતરમાં શાંતિ આવતાં દુઃખ ઓછું થઈ જાય છે. અને ચિંતન ચાલવા લાગે છે કે આખરે મૃત્યુ શું છે?

કુમાર સિદ્ધાર્થના જીવનમાં આ ઘટના બની હતી. તેમણે કદી મૃતદેહને જોયો ન હતો. અગ્નિસંસ્કાર કરવા લઈ જતા શબને જોઈને તેમણે રથના સારથિને પૂછ્યું,

‘આ લોકો આ માણસને આમ બાંધીને ક્યાં લઈ જાય છે?’

‘આ માણસ મરી ગયો છે, એટલે તેને બાંધીને સ્મશાને લઈ જાય છે.’

‘પણ તેને બાંધ્યો છે, તો તે બોલતો કેમ નથી?’

‘કેમ કે તે મરી ગયો છે. હવે તે નિષ્પ્રાણ બની ગયો છે, એટલે હવે તે કદી બોલશે નહીં.’

‘તો હવે તેનું શું કરશે?’

‘હવે એને બાળી નાંખશે.’

‘અરેરે, તો પછી એને દુઃખ નહીં થાય?’

‘ના, એને હવે કંઈ જ નહીં થાય. તેનું બધું પતી ગયું છે. હવે તેને સુખ- દુઃખ એવી કોઈ લાગણી જ ન થાય.’

‘એમ? તો આની જેમ બીજા કોઈ મરે ખરા?’

‘અરે રાજકુમાર, બધા જ મરી જવાના. એક પણ માણસ એવો નથી કે જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ ન થાય.’

‘તો શું બધાં મરવા માટે જ જીવે છે?’

‘હા, દરેકનું અંતિમ ગંતવ્યસ્થાન એ જ છે.’

‘તો શું મારે પણ મરવું પડશે? મારા પિતા કપિલવસ્તુના રાજા શુદ્ધોધન, મારી પ્રિય યશોધરા, વહાલો પુત્ર રાહુલ, આ બધાંને મરવું પડશે? છંદક, શું તું અને હું પણ મરી જઈશું?’

‘હા, આપણે બધાં મરી જઈશું.’

‘પણ ક્યારે?’

‘એ ન કહી શકાય. મૃત્યુ તો ગમે ત્યારે આવીને માણસના પ્રાણને હરી લે. કોના પ્રાણને ક્યારે લઈ જાય એની કોઈનેય ખબર નથી હોતી.’

પછી એક રોગી અને એક વૃદ્ધને જોતાં કુમાર સિદ્ધાર્થે જાણ્યું કે દરેક મનુષ્યની આવી સ્થિતિ થાય છે અને પછી તે મરી જાય છે. આ જાણીને તેમના હૃદયમાં તીવ્રતમ આઘાત લાગ્યો. તેમનું ચિત્તતંત્ર ખળભળી ઊઠ્યું, તેઓ બેચેન બની ગયા. મૃત્યુના આઘાતે તેમને સાચા જ્ઞાનની શોધમાં પ્રેર્યા અને તે માટે તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું. અંતે નિર્વાણની પ્રાપ્તિ કરી બુદ્ધત્વને પામ્યા. આ છે મૃત્યુના દુઃખમાંથી સાચી રીતે મુક્ત થવાનો માર્ગ. એ વિશે ચિંતન કરવાથી હૃદયમાં ઊંડી સમજણ જાગે છે કે જેનો જન્મ નિશ્ચિત છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને જેનું મૃત્યુ નિશ્ચિત છે, તેનો જન્મ પણ નિશ્ચિત છે. આ સમજ આવતાં જીવન અને મૃત્યુ એ બંને એક ખેલ છે, તે સમજાઈ જાય છે.

મૃત્યુને પણ ખેલ તરીકે માનવુંઃ

મોટાભાગના લોકો જીવનને ખેલ માનીને પોતાનું જીવન પસાર કરી શકે છે. પણ તેઓ મૃત્યુને ખેલ તરીકે સ્વીકારી શકતા નથી. એટલે જ્યારે મૃત્યુનો સામનો કરવાનું આવે છે, ત્યારે બેબાકળા બની જાય છે. પણ વાસ્તવમાં મૃત્યુ પણ એક ખેલ જ છે. આથી જો જીવનના ખેલને સારી રીતે ખેલવો હોય તો મૃત્યુના ખેલનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને ખેલના નિયમોનું બરાબર પાલન કરવું જોઈએ. જો નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જ સાચી રીતે ખેલ રમી શકાય છે અને તેમાં સાચો આનંદ મળે છે. આથી સર્વપ્રથમ તો એ ખેલના નિયમો જાણવા જોઈએ.

ખેલના બે નિયમોઃ

જીવન અને મૃત્યુના ખેલના બે અફર નિયમો છે. એક છે કર્મનો નિયમ. અને બીજો છે પુનર્જન્મો નિયમ. આ નિયમો ચોક્કસ છે. કર્મનો નિયમ એમ કહે છે કે સારાં કર્મ કરશો તો તેનું ફળ સારું મળશે. ખરાબ કર્મ કરશો તો તેનું ફળ ખરાબ મળશે. બાવળ વાવો તો કાંટા જ લાગે. કેરી મળે નહીં. હવે જેઓ કર્મના કાયદાને સારી રીતે જાણી લે છે અને તેનું બરાબર પાલન કરે છે. તેઓ સારી રીતે જીવન જીવી શકે છે. તેઓ જીવનના ખેલના શ્રેષ્ઠ ખેલાડી તો બને જ છે, પણ મૃત્યુના ખેલના પણ શ્રેષ્ઠ ખેલાડી બને છે. પરમાત્માએ તેમને પૃથ્વી ઉપર આપેલો સમયખંડ ઉત્તમ કર્માેથી તેઓ ભરી દે છે. આથી તેમને જીવનનો સાચો આનંદ મળે છે. તેમનું ચિત્ત સદાય પ્રસન્ન રહે છે. જીવનનો બોજો લાગતો નથી. અને મૃત્યુનો ભય પણ રહેતો નથી. તેઓ મૃત્યુને આનંદથી આવકારી શકે છે. કેમ કે તેઓને ખાતરી હોય છે કે પરમાત્માએ આપેલું જીવનકાર્ય પૂરું કરીને હવે હું આનંદધામમાં જઈ રહ્યો છું. એને જવાનું દુઃખ હોતું નથી. સત્કર્માે દ્વારા જીવનને આનંદમય બનાવવા માટે કબીરજીએ પણ કહ્યું છેઃ

‘જબ તૂ આયા જગમેં,
જગ હંસે તુમ રોયે,
અબ ઐસી કરની કર ચલો,
તુમ હંસો જગ રોયે’.

એટલે કે સત્કર્માે દ્વારા એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે એવી વ્યક્તિનું મૃત્યુ થતાં જગત રડવા લાગે છે.

મરણનું સ્મરણ કરવુંઃ

જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? યક્ષે યુધિષ્ઠિરને પૂછેલા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન આ હતો. તેના ઉત્તરમાં યુધિષ્ઠિરે જણાવ્યું કે જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય તો એ છે કે દરરોજ પોતાની સામે અનેક મનુષ્યોને મૃત્યુ પામતા જોવા છતાં દરેક માણસ એમ માને છે કે પોતે કદી મરવાનો નથી. અને તે રીતે જ તે જીવન જીવે છે. નામ, યશ, કીર્તિ, સત્તા અને સંપત્તિ પાછળની તેની દોટ ક્યારેય અટકતી નથી. જીવનનો અંત આવે ત્યારે જ તેને ભાન થાય છે કે આ દોટ વ્યર્થ હતી, પણ ત્યારે તો બાજી હાથમાંથી સરી ગઈ હોય છે. આથી જો મનુષ્યે ખરેખર સાચી રીતે જીવવું હોય તો મરણનું સતત સ્મરણ કરવું જોઈએ. દરેક દિવસ એમ માનીને શરૂ કરવો જોઈએ કે આધ્યાત્મિક સાધનાનો એ પહેલો દિવસ છે, અને પૃથ્વી ઉપરનો છેલ્લો દિવસ છે. તો જ તે ઉત્તમ રીતે જીવી શકે.

સંત એકનાથજીના જીવનનો એક પ્રસંગ છે. તેમની પાસે એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો, ‘આપ બધી પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહી શકો છો? તમે મને શાંત રહેવાની કળા શિખવાડો.’ એકનાથજીએ તેના મુખ સામે જોયું અને પછી ગંભીર થઈને બોલ્યા, ‘અરે ભાઈ, એ હું તને નહીં શિખવાડી શકું. કેમ કે સાત દિવસમાં તો તું મરી જવાનો છે.’ આ સાંભળીને તેણે કહ્યું, ‘અરેરે, શું સાત જ દિવસ હવે મારે જીવવાનું છે. મારે તો હજુ ઘણાં કામ આટોપવાનાં છે.’ અને તે જતો રહ્યો. પછી સાતમે દિવસે એકનાથજી તેના ઘરે ગયા, તો તે માંદો પડીને પથારીમાં સૂતો હતો. એકનાથજીએ પૂછ્યું, ‘અરે, પથારીમાં કેમ સૂતો છે?’

‘હું ગઈકાલથી માંદો પડ્યો છું. આજે હવે મૃત્યુની રાહ જોઈ રહ્યો છું. આજે સાતમો દિવસ છે. મારો છેલ્લો દિવસ.’

‘કોણે કહ્યું?’

‘કેમ? તમે કહ્યું હતું ને કે સાતમે દિવસે તું મરવાનો છે.’

‘હા, પણ તું એ તો કહે કે આ સાત દિવસમાં તેં કોની કોની સાથે ઝઘડો કર્યો? તારું મન કેટલીવાર અશાંત થયું?’

‘અરે, મારી પાસે એવો સમય જ ક્યાં હતો? માથે મોત દેખાતું હતું એમાં હું કોની સાથે ઝઘડો કરું? અને કોનું ખરાબ લગાડું? બધું આટોપવામાં જ મારા છ દિવસો વીતી ગયા.’ ત્યારે એકનાથજીએ કહ્યું, ‘મરણને સતત સ્મરણમાં રાખવું એ જ છે, દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનો ઉપાય. અને એ જ છે જીવન જીવવાની કળાનું શિક્ષણ.’ આ સંદર્ભમાં કોઈએ સાચું જ કહ્યું છે કે –

‘જબ તક મૌત નજર નહીં આતી,
તબ તક જિંદગી રાહ પર નહીં આતી ।
જિસને ઉસકી નજર કો દેખ લિયા,
ઉસે દુનિયા નજર નહીં આતી ।।’

આમ મૃત્યુનું સ્મરણ જીવનને પવિત્ર રાખે છે, અને તેને ઊર્ધ્વગામી બનાવે છે, અને પછી એ જીવનમાંથી રચાય છે, મૃત્યુ પછીનું જીવન. એટલે પછી જે જીવનનો કાયદો છે, એ જ મૃત્યુનો કાયદો છે. અને તે છે પુનર્જન્મનો સિદ્ધાંત.

ખેલનો બીજો નિયમ – પુનર્જન્મનો સિદ્ધાંતઃ

જેઓ જન્મે છે, તેઓ અવશ્ય મૃત્યુ પામે છે અને જે મૃત્યુ પામે છે, તે અવશ્ય જન્મે છે. આ છે મૃત્યુનો કાયદો અને એ જ છે પુનર્જન્મનો સિદ્ધાંત. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આની સરસ સમજૂતી આપી છે. તેઓ કહે છેઃ

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।।

– અર્થાત્ જે જન્મે છે, તેનું મૃત્યુ નક્કી છે, તેમ મરનારનો જન્મ પણ નક્કી છે, માટે આ અટલ બાબતનો શોક કરવો યોગ્ય નથી.

હવે જે મૃત્યુ પામે છે, એ તો છે પંચમહાભૂતનું શરીર. અને એની અંદર જે આત્મા છે તે તો અજર અમર અવિનાશી છે. આથી આ સિદ્ધાંતમાંથી જ એક બીજો અફર સિદ્ધાંત મળે છે કે કદી કોઈ શરીર અમર રહી શકતું નથી અને કદી કોઈ આત્મા મરી શકતો નથી. ઘણા લોકો એવું કહે છે કે હિમાલયમાં યોગીઓ હજારો વર્ષાેથી સદેહે જીવી રહ્યા છે, તો તે સાચી વાત નથી. હા, તેઓ સૂક્ષ્મરૂપે જરૂર વિચરણ કરતા હોય. સિદ્ધ યોગીઓ કદાચ પોતાનો સૂક્ષ્મદેહ ટકાવી રાખે. પરંતુ કોઈનોય સ્થૂળ દેહ કાયમ ટકી શકતો નથી. જે જન્મે છે, તેને મૃત્યુ પામવું જ પડે છે. યોગીઓ કે અવતાર પુરુષો પોતાના આયુષ્યને થોડું લંબાવી શકે. પણ કેટલું? થોડાં વર્ષાે. આખરે તો તેમને પણ શરીર છોડવું જ પડે. કેમકે એ અફર નિયમ છે. પ્રસિદ્ધ પુરાણકથામાં સાવિત્રીએ પોતાની પ્રાર્થના દ્વારા યમરાજ પાસેથી મૃત સત્યવાનને પાછો મેળવ્યો. પણ એ કેટલા સમય સુધી? આખરે તો સત્યવાન અને સાવિત્રી બંનેને શરીર છોડવું જ પડ્યું. આ નિયમને આધીન થવું જ પડ્યું.

પ્રાર્થના દ્વારા કોઈ વ્યક્તિના ટૂંકા આયુષ્યને લંબાવી શકાય છે, પણ એને અમર બનાવી શકાતું નથી. મધ્યપ્રદેશમાં થોડા સમય પહેલાં બનેલી આ ઘટના છે. એક બહેનના પતિને મગજમાં ગાંઠ થઈ હતી. તેનું ઓપરેશન કલાકો ચાલે તેવું હતું. ડાૅકટરો ઓપરેશનનું જોખમ લેવા ઇચ્છતા ન હતા. ઓપરેશન પછી પણ તે બચે તેવી કોઈ શક્યતા ડાૅકટરોને જણાતી ન હતી. પણ તે બહેનને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હતી. તેમનું આખું જીવન પ્રાર્થનામાં વીત્યું હતું. તેમણે ડાૅકટરોને કહ્યું, ‘ભગવાન સાથેનો આ છેલ્લો ખેલ હું ખેલી લેવા ઇચ્છું છું. તમે તેમનું આૅપરેશન કરો.’ મદ્રાસની વેલોર હોસ્પિટલમાં તેમના પતિનું આૅપરેશન થયું. કલાકો સુધી તે ચાલ્યું. બધાંના આશ્ચર્ય વચ્ચે એ આૅપરેશન સફળ થયું અને એ માણસ સાજો થઈ ગયો અને તે હજુ જીવે છે! ડાૅકટરોને આ સમજાતું નથી કે આ ઓપરેશન કેમ સફળ થયું? તેમણે તેની વીડિયોફિલ્મ ઉતારી હતી, તે વિદેશોમાં મોકલાવી તો વિદેશોના ડાૅકટરોને પણ આશ્ચર્ય થયું કે આ માણસ કેવી રીતે બચ્યો? પણ તે બહેને ભગવાનને સતત પ્રાર્થના કરી હતી, તેનું એ પરિણામ છે. પ્રાર્થનાથી મૃત્યુને ટાળી શકાય છે, આયુષ્યને લંબાવી શકાય છે, પણ કાયમ માટે નહીં જ. એ વ્યક્તિનો ફરી સમય આવશે, ત્યારે તેણે શરીર છોડવું પડશે. આત્મા એકને એક શરીરમાં રહેતો નથી. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે,

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णा-
न्यन्यानि संयाति नवानि देही।।

‘જે રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રોને છોડીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તે જ રીતે આત્મા જીર્ણ થયેલા દેહને છોડીને નવો દેહ ધારણ કરે છે.’ આત્માને નવા નવા દેહ ગમે છે. આ જન્મના કર્મ પ્રમાણે તેને નવા જન્મમાં નવો દેહ મળે છે. એ જ જીવન અને મૃત્યુનો નિયમ છે. જો પરમાત્મા પોતે દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે તો તેમણે પણ આ નિયમ સ્વીકારવો પડે છે. એટલે કે પોતાનું કાર્ય પૂરું કરીને તેઓ પણ દેહનો ત્યાગ કરી દે છે.

આત્માને કદી મૃત્યુ નથીઃ

દેહને મૃત્યુ અનિવાર્ય છે, તો આત્માને મૃત્યુ ક્યારેય સ્પર્શી પણ શકતું નથી. આથી જ આત્મજ્ઞાની યોગીઓ મૃત્યુથી કદી ચલિત થતા નથી. અને દેહમાં કદી આસક્ત થતા નથી. તેમને જીવનની લાલસા હોતી નથી. તેઓ નિત્યમુક્ત હોય છે. જો કોઈ તેમના શરીરની હત્યા કરવા આવે તો પણ તેઓ ચલિત થતા નથી. બાદશાહ સિકંદરને આવા નિત્યમુક્ત મહાત્માનો અનુભવ થયો હતો. જ્યારે તે વિશ્વ વિજય કરવા નીકળ્યો, ત્યારે તેના ગુરુએ તેને કહ્યું હતું કે તું હિંદમાં જાય છે, તો ત્યાંથી કોઈ સાચા મહાત્માને મારા માટે લેતો આવજે. હિંદમાં વિજય મેળવ્યા પછી તેણે આવા મહાત્માની શોધ કરી. પોતાના મંત્રીને મોકલીને એ મહાત્માને તેડાવ્યા. પણ જ્યારે મહાત્માએ સિકંદર પાસે આવવાની ના પાડી દીધી, ત્યારે સિકંદર પોતે એમની પાસે ગયો. તેમને પ્રણામ કરીને કહ્યું, ‘તમે મારા દેશમાં ચાલો. હું તમને અપાર ધનસંપત્તિ આપીશ. તમારે હવે આ રીતે દિગંબર રહી જંગલમાં વૃક્ષની નીચે રહેવું નહીં પડે. તમને હું વિશાળ મહેલ આપીશ.’ ત્યારે એ સાધુ મહાત્માએ તેને કહ્યું, ‘હું શા માટે તારી સાથે આવું? મને અહીં કોઈ વાતની કમી નથી. વૃક્ષ મને ફળ આપે છે. નદી મને પાણી આપે છે. વસ્ત્રોની મને જરૂર નથી. હું સદાકાળ આનંદમાં છું.’ કદી કોઈની પાસે ના સાંભળવાને નહીં ટેવાયેલા સિકંદરને આ જવાબમાં અપમાન થતું જણાયું અને તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે મહાત્માને મારી નાખવા માટે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, ઉગામી. એ જોઈને એ જ સ્વસ્થતાથી મહાત્મા બોલ્યા, ‘તું કોને મારીશ? હું તો એ અજર અમર આત્મા છું, જેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી. પાણી પલાળી શકતું નથી અને પવન સુકાવી શકતો નથી. એ તો નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ અને અનાદિ છે.’ અને વળી કહ્યું, ‘હું બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, પણ ચિદાનંદરૂપ શિવ છું. તું મને શું મારી શકવાનો હતો?’ આત્મામાંથી નીકળતી આવી વાણી સિકંદરે કદી સાંભળી ન હતી. આ સાંભળીને તે હતપ્રભ બની ગયો. તેની તલવાર થંભી ગઈ. ત્યાં તો મહાત્માએ કહ્યું, ‘મૂર્ખ, તું પોતે જ જ્યાં તારા દેશમાં પહોંચી શકવાનો નથી, ત્યાં તું મને શું લઈ જવાનો હતો?’ પછી મહાત્માને પ્રણામ કરીને સિકંદર ત્યાંથી ચાલી નીકળ્યો. ખરેખર, તે પોતાના દેશમાં પહોંચી શક્યો નહીં. અધવચ્ચે જ મૃત્યુ પામ્યો. ત્યારે હિંદના સાધુઓની મહાનતાનો તેને ખ્યાલ આવ્યો હશે.

શરીર કદી અમર રહી શકતું નથીઃ

‘મારા પુત્રને કોઈ સજીવન કરી દો. મારો એકનો એક દીકરો, મારો લાડલો, મને છોડીને ચાલ્યો ગયો. હું એના વગર નહીં જીવી શકું.’ હાથમાં મૃતપુત્રને લઈને આક્રંદ કરતી કિસા ગૌતમીને જોઈને ભલભલાનાં હૃદય પીગળી જતાં હતાં. પણ તેના અકાળે મૃત્યુ પામેલા બાળપુત્રને મૃત્યુના દરબારમાંથી હવે કોણ પાછો લાવી શકે? ત્યાં કોઈએ કહ્યું, ‘ભગવાન બુદ્ધ પાસે સંજીવની શક્તિ છે, તેઓ તારા પુત્રને જરૂર જીવતો કરી આપશે. તું તેમની પાસે જા.’ હાથમાં મૃતપુત્રના દેહને લઈને કિસા ગૌતમી બુદ્ધ પાસે આવી. આક્રંદભરી આજીજી કરી પુત્રને સજીવન કરી આપવા કહ્યું.

‘હું તારા પુત્રને જરૂર જીવતો કરી દઉં. પણ એ માટે મારે થોડા રાઈના દાણા જોઈએ છે. એ તું લાવી આપીશ?’

‘રાઈના દાણા?’ એમાં શું? હમણાં જ લાવી આપું?’

‘પણ એક શરત છે, જે ઘરમાં ક્યારેય કોઈનું પણ મૃત્યુ ન થયું હોય એ ઘરમાંથી તારે રાઈના દાણા લાવવાના છે.’

‘ભગવન્ એય મોટી વાત નથી. હમણાં હું એ લાવી આપું છું.’ કિસા ગૌતમીની આંખમાં આશાની ચમક આવી ગઈ કે હવે એનો પુત્ર જરૂર સજીવન થઈ શકશે.

એ ઘરે ઘરે રાઈના દાણા લેવા માટે ફરવા લાગી. કોઈએ કહ્યું, ‘અમારા દાદા મરી ગયા છે.’ બીજા ઘરે ગઈ તો કહ્યું, ‘અમારા પિતા મરી ગયા છે.’ ત્રીજા ઘરે ગઈ તો ત્યાં કહ્યું, ‘થોડા દિવસ પહેલાં જ અમારા કાકા મરી ગયા છે.’ તો કોઈની યુવાન પુત્રી તો કોઈનો દીકરો મરી ગયો હતો. તે ઘરે ઘરે ફરી વળી. પણ એકેય ઘર એવું ન હતું કે જ્યાં કોઈ કરતાં કોઈ મર્યું ન હોય. તે સાવ નિરાશ અને હતાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી અને કહ્યું, ‘પ્રભુ, તમે મંગાવેલા રાઈના દાણા હું લાવી શકી નથી. કોઈ ઘર મૃત્યુ વગર ખાલી નથી.’ તો તને હવે સમજાય છે ને કે મૃત્યુ અનિવાર્ય છે! અને જે શરીર આત્મા છોડી દે છે, એ શરીરમાં આત્મા પાછો આવતો નથી. એટલે મૃત્યુનો સ્વીકાર કરવો જ રહ્યો. પછી ભગવાન બુદ્ધે કિસા ગૌતમીને દેહ કદી અમર રહી શકતો નથી તેનું જ્ઞાન આપી તેને પુત્રમોહ અને શોકમાંથી મુક્ત કરી. આથી જ જ્ઞાની માણસો શરીરમાં આસક્ત થતા નથી. પણ અમર આત્મા સાથે જ તેઓ સંકળાયેલા રહે છે.

નચિકેતાએ પ્રાપ્ત કરેલું મૃત્યુનું રહસ્યઃ

આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરનારા યોગીઓ અને સિદ્ધોને મૃત્યુ મૃત્યુરૂપ જણાતું જ નથી. જ્યારે શ્રીરામકૃષ્ણદેવે દેહત્યાગ કર્યો ત્યારે તેમનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદાદેવી રડવા લાગ્યાં. તેઓ બોલી ઊઠ્યાં, ‘મા કાલી, તું મને છોડીને ક્યાં ચાલી ગઈ?’ તેઓ શ્રીરામકૃષ્ણને સાક્ષાત્ કાલી માનતાં હતાં. તેમનું આક્રંદ જોઈને શ્રીરામકૃષ્ણદેવે એમને દર્શન દીધાં અને કહ્યું, ‘તમે શા માટે રડો છો? હું ક્યાં મરી ગયો છું? હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’ આ દર્શન પછી શ્રીમા શારદાદેવીને ખાતરી થઈ ગઈ કે શ્રીરામકૃષ્ણ ભૌતિક જગતના ઓરડામાંથી હવે સૂક્ષ્મ જગતના ઓરડામાં ગયા છે. તેમને કદી મૃત્યુ નથી. સૂક્ષ્મરૂપે તેઓ સદાય મારી સાથે છે. અવતારી પુરુષો સૂક્ષ્મરૂપે – ચેતનારૂપે હંમેશા વિદ્યમાન રહી શકે છે અને ભક્તોને માર્ગદર્શન પણ આપી શકે છે. કેમકે મૃત્યુ સિદ્ધ યોગીઓને માટે તો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાની સહજ ઘટના જ હોય છે. પરંતુ બધાંને કંઈ આ સમજ હોતી નથી. આથી જ તેમને મૃત્યુ ભયાવહ લાગે છે.

પરંતુ જો મૃત્યુને જાણવું હોય તો જીવનવિદ્યા જાણવી જોઈએ. બાળક નચિકેતાએ મૃત્યુના દેવ યમરાજ પાસેથી આ જીવનવિદ્યા જાણી મૃત્યુનું રહસ્ય પ્રાપ્ત કર્યું. કઠોપનિષદની આ સુપ્રસિદ્ધ કથા છે કે નચિકેતાના પિતાએ યજ્ઞ કરીને ઘરડી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી, ત્યારે બાળક નચિકેતાએ પિતાને આવું શા માટે કર્યું તે વિશે પૂછ્યું. વારંવાર ત્રણ વખત આ જ પ્રશ્ન પૂછતાં પિતા ચિડાઈ ગયા અને તેમણે નચિકેતાને કહ્યું ‘જા હું તને યમને દાનમાં આપું છું.’ પિતાની આજ્ઞાનું પાલન કરવા બાળક નચિકેતા યમલોકમાં આવ્યો, યમરાજા બહાર ગયા હતા, તેથી ભૂખ્યો- તરસ્યો ત્રણ દિવસ યમના દ્વારે બેસી રહ્યો. યમરાજા આવ્યા અને બાળકની આવી નિષ્ઠા જોઈને પ્રસન્ન થયા. તેને વરદાન માગવા કહ્યું, ત્યારે નચિકેતાએ કહ્યું, ‘મને જીવનવિદ્યા શિખવાડો, મૃત્યુનું રહસ્ય સમજાવો.’

‘અરે, તું તો હજુ બાળક છે, તારે એ જાણીને શું કરવું છે? ભલભલા ઋષિઓ, તપસ્વીઓ પણ એ જાણી શકતા નથી. એ બહુ જટિલ છે, તું એ વાત છોડી દે. બીજું કંઈ પણ માંગી લે.’

‘ના, મારે તો એ જ જાણવું છે. જો બીજા બધા એ જાણી શકતા નથી, તો તો મારે ખાસ એ જ જાણવું છે.’

‘અરે, એના બદલામાં તને રાજપાટ આપું, અપાર ધનસંપતિ હાથી-ઘોડા નર્તકીઓ આપું.’

‘ના, મારે કંઈ જ જોઈતું નથી. બસ, તમે મને જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાવો.’ અનેક પ્રલોભનો આપવા છતાં બાળક તેની ઇચ્છામાંથી ચલિત થતો નથી. એ જોઇને પછી યમરાજા વધારે પ્રસન્ન થયા અને તેને આત્મવિદ્યાનું જ્ઞાન આપ્યું. જ્યારે મનની બધી જ એષણાઓ છૂટી જાય, કોઈ પ્રલોભનો લલચાવી ન શકે, અંતરમાં આત્મજ્ઞાન મેળવવાની એકમાત્ર ઝંખના જ હોય ત્યારે, નચિકેતા કે કુમાર સિદ્ધાર્થ કે સ્વામી વિવેકાનંદની જેમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાય છે. ફક્ત ઉપરછલ્લી જિજ્ઞાસા હોય કે આકસ્મિક સંજોગોને ખાતર ઇચ્છા જાગી હોય તો આ રહસ્ય પ્રાપ્ત થતું નથી. કદાચ માનસિક જ્ઞાન મળે પણ એ જીવનમાં ઊતરતું નથી, એની અનુભૂતિ થતી નથી, તેથી તે ચેતનાનો ભાગ બનતું નથી.

યમરાજે નચિકેતાને કહ્યુંઃ

‘एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते।
दृश्यते त्वग्य्रया बुद्धया सूक्ष्मया सूक्ष्मदशिर्भिः।।’

– બધાં જ પ્રાણીઓમાં આ આત્મા રહેલો છે, પણ દેખાતો નથી. પરંતુ સૂક્ષ્મદર્શન કરનારાઓની એકાગ્રતાવાળી સૂક્ષ્મબુદ્ધિથી તે દેખાય છે. આ આત્માને કોઈ હણી શકતું નથી. તે શાશ્ચત છે. સનાતન છે. અજર-અમર છે. આ આત્મજ્ઞાન યમરાજે નચિકેતાને આપ્યું. અને તેની અંતર્દષ્ટિ ખૂલી જતાં તે મૃત્યુના રહસ્યને પણ જાણી શક્યો.

ખરેખર મૃત્યુથી જીવનનો અંત આવતો નથી. જીવન તો શાશ્વત છે. શરીરના અંતની સાથે જીવન કદી નાશ પામતું નથી. આ જ છે જીવનના અને મૃત્યુના નિયમો. જેઓ આ નિયમોને જાણીને પોતાના જીવનમાં તેનું પાલન કરે છે, તેઓ જીવનના સ્વામી બનીને જીવન અને મૃત્યુના ખેલમાં જીત મેળવી પોતાનો પૃથ્વી ઉપરનો ફેરો સાર્થક કરે છે. તેના સમગ્ર જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે. અને તેની ગતિ પરમ શાંતિ પ્રત્યે અવિરત થતી રહે છે.

હતાશા – નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે…

મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને ત્યારે મન એવું ભાંગી પડે છે કે કોઈકવાર તો આત્માહત્યાના વિચારો તરફ દોડે છે અને ત્યારે જીવનમાંથી રસ ઊડી જાય છે. આવા સમયે શું કરવું? આવા સમયે મનને પાછું રસ્તા ઉપર લઈ આવવા માટે ઘણા ઉપાયો અજમાવી શકાય છે. ઘણા લોકોએ આ ઉપાયો અજમાવીને નવું જીવન પ્રાપ્ત કર્યાના દૃષ્ટાંતો પણ જોવા મળે છે. એમાંના મુખ્ય ઉપાયો આ પ્રમાણે છે.

વિશ્વાસુ સ્વજન કે સાચા સલાહકાર પાસે જવુંઃ

કટોકટીના સમયે કોઈપણ ઉતાવળિયું પગલું ભરતાં પહેલાં પોતાને જેના ઉપર અત્યંત ભરોસો હોય એવાં પોતાના નજીકનાં સ્વજન પાસે ચાલ્યા જવું, નહીંતર કોઈ સાચા માર્ગદર્શક કે સલાહકાર પાસે જઈને પોતાની બધી મૂંઝવણ રજૂ કરી દેવી. પશ્ચિમના દેશોમાં તો લોકો મનોચિકિત્સકો પાસે જાય છે અને તેમની સલાહ લે છે. પણ આપણે ત્યાં લોકો હજુ મનોચિકિત્સકો પાસે જતાં અચકાય છે. તેથી પોતાનાં સ્વજન પાસે જઈને હૃદય ઠાલવી દેવું એ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ આગળ પોતાનું દુઃખ કહી દેવાથી જ મન હળવું થઈ જાય છે. અને અર્ધી સમસ્યા તો આપોઆપ ઓછી થઈ જાય છે. અને પછી ‘આ સમસ્યામાં મારા કોઈ સહાયક છે,’ એ ભાવના મનમાં આવતાં સમસ્યા એટલી જટિલ જણાતી નથી. ધીમે ધીમે સમસ્યા પણ હલ થઈ જાય છે અને મન પણ સ્વસ્થ થવા લાગે છે.

ક્યારેક તો મનનો બળવો એટલો જોરદાર હોય છે કે તે ક્યાંય જવા કે કોઈ પાસે ખાલી થવા પણ તૈયાર થતું નથી. બસ, ‘જીવ કાઢી નાખવા’ જ તત્પર બની ગયું હોય છે. તો તેવે વખતે જેને અત્યંત ચાહતા હોઈએ, કે જે વ્યક્તિ શ્રદ્ધાપાત્ર હોય, જે વ્યક્તિ પોતાને ઉત્કટ પ્રેમ કરતી હોય, તેનું સ્મરણ કરવું. પોતાના આત્મઘાતી પગલાંથી એને કેટલું બધું દુઃખ થશે, એનો વિચાર કરો. એવી વ્યક્તિનું સતત સ્મરણ કરવાથી પણ મનમાં શાંતિ આવવા લાગશે અને મન થોડું ઠંડું પડતાં પછી તે સ્વસ્થતાથી વિચારી શકશે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકના લેખક મહેન્દ્રનાથ ગુપ્ત કુટુંબીજનોના કડવાશભર્યા કલહ – કંકાસથી ત્રાસીને જીવનનો અંત આણવા વિચારી રહ્યા હતા. બસ, હવે તો આત્મહત્યા એ જ એક ઉપાય છે, એમ માનીને એક અંધારી રાત્રે તેમણે ઘર છોડ્યું અને નિરુદૃેશ અહીં તહીં ભટકતા રહ્યા. પ્રભાતે પોતાની બહેનને ત્યાં વરાહનગરમાં આરામ કર્યો. પછી પોતાના ભાણેજને લઈને એક બાગમાંથી બીજા બાગમાં લટાર મારતાં મારતાં તેઓ દક્ષિણેશ્વરમાં કાલીમંદિરે આવી પહોંચ્યા. ત્યાં શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશતાં જ તેમને લાગ્યું કે જાણે સાક્ષાત્ શુકદેવજી ભાગવતકથાનું વિવરણ કરી રહ્યા છે. ઓરડામાં હાજર રહેલા ભક્તો સાથે વાર્તાલાપ કરતા શ્રીરામકૃષ્ણના શબ્દોની તેમના મન ઉપર જાદુઈ અસર થઈ. તેમના મન ઉપરથી હતાશાનાં વાદળો દૂર થઈ ગયાં. તેમને ખાતરી થઈ ગઈ કે ‘ભગવાન તેમને બચાવી રહ્યા છે. હવે શા માટે દુનિયા છોડી દેવી જોઈએ?’ તેમને ગુરુ સાક્ષાત્ મળી ગયા. આપઘાતનો વિચાર કાયમ માટે ટળી ગયો. પછી તો શ્રીરામકૃષ્ણની સાથે તેમનો એવો અતૂટ સંબંધ સ્થપાયો કે તેમનું સમગ્ર જીવન સદંતર બદલાઈ ગયું. શ્રીરામકૃષ્ણના સઘળા વાર્તાલાપો તેઓ પોતાની ‘ડાયરી’માં રોજેરોજ લખતા હતા, જે પાછળથી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ રૂપે પ્રકાશિત થયા. આ કથામૃતે હજારો લોકોના જીવનમાં શાંતિનું સ્થાપન કર્યું છે. અનેકોને આત્મહત્યામાંથી બચાવ્યા છે. અસંખ્ય દુઃખી લોકોને નવજીવન બક્ષ્યું છે. આધ્યાત્મિક જીવનના અભિપ્સુઓને અમરતાનો રાહ ચીંધ્યો છે.

સુપ્રસિદ્ધ ફ્રેન્ચ ગાયિકા માદામ કાલ્વેના જીવનમાં પણ આવું જ બન્યું હતું. ૧૮૯૪માં શિકાગોમાં તેમને જીવનનો સહુથી મોટો આઘાત લાગ્યો. તેમની એકની એક દીકરી બળી જવાથી મૃત્યુ પામી. આ અસહ્ય દુઃખનો આઘાત તેઓ જીરવી શકતાં ન હતાં. તેમણે ત્રણ ત્રણવાર આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા. પણ ત્રણેય વાર તેમનાં પગલાં સ્વામી વિવેકાનંદના નિવાસ તરફ લઈ ગયાં. અનિચ્છાએ, કોઈ અદૃશ્ય પ્રેરણાથી તેઓએ સ્વામીજીની મુલાકાત માગી અને તેમને નવા આનંદમય જીવનની પ્રાપ્તિ થઈ. એ વિશે તેમના જ શબ્દોમાં જોઈએઃ

‘તે સમયે હું તન અને મનથી ભાંગી પડી હતી. આવી સ્થિતિમાં આવી પડેલા મારા કેટલાક મિત્રોને સ્વામીજી સહાયભૂત થયા હતા, એટલે મેં પણ તેમને મળવાનો નિર્ણય કર્યો.

મુલાકાતનો સમય માગી હું તેમના નિવાસે ગઈ, ત્યારે તુરત જ મને તેમના અભ્યાસ ખંડમાં લઈ જવામાં આવી. તેમની પાસે જાઉં તે પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે તેઓ મારી સાથે વાત શરૂ ન કરે, મને સંબોધે નહીં ત્યાં સુધી મારે મૌન રહેવું. તેથી તેમના ખંડમાં મેં પ્રવેશ કર્યો, ત્યારે એક ક્ષણ હું મૌન ઊભી રહી. એ બેઠા હતા. ધ્યાનસ્થ હતા. તેમનો ભગવો અંચળો જમીનથી સીધો પડ્યો હતો. પાઘડીથી સુશોભિત તેમનું મસ્તક સહેજ નમેલું હતું. આંખો જમીન ઉપર ખોડાયેલી હતી. થોડા વિરામ પછી, ઊંચે જોયા વિના તેમણે વાત શરૂ કરી.

તેમણે કહ્યું, ‘દીકરી! તું તો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છોને કાંઈ! સ્વસ્થ થા. સ્વસ્થ થવું આવશ્યક છે.’

પછી તદૃન સ્વસ્થ અવાજમાં વિક્ષિપ્ત થયા વિના અને તદૃન અસંગ રહીને, આ માણસે મારા ગુહ્ય પ્રશ્નો અને ચિંતાઓ વિશે વાત કરવા માંડી. મારા ખૂબ જ અંગત મિત્રોને પણ જેની ખબર નથી એમ હું માનતી હતી, તેવી બાબતો વિશે તેમણે વાત કરી. કેટલું અદ્ભુત.

છેવટે મેં પ્રશ્ન કર્યો, ‘આપે આ બધું કેવી રીતે જાણ્યું?’

‘મારા વિશે આ બધું આપને કોણે કહ્યું?’ હું જાણે નાનું બાળક હોઉં અને મૂર્ખાઈભર્યો પ્રશ્ન પૂછી બેઠી હોઉં, એમ તેમણે મારા પ્રત્યે શાંત સ્મિતથી જોયું.

તેમણે ધીમેથી જવાબ આપ્યો, ‘મને કોઈએ વાત નથી કરી. એની જરૂર હોય તેમ તને લાગે છે? હું ખુલ્લું પુસ્તક વાંચતો હોઉં એમ તારું ભીતરનું મન-હૃદય વાંચી શકું છું.’

છેવટે મારે વિદાય લેવાનો વખત થયો.

હું ઊભી થઈ ત્યારે તેમણે ફરી કહ્યું, ‘ફરી પ્રસન્ન અને સુખી બની જા. સ્વાસ્થ્ય સુધાર. તારી શાંત પળોમાં તારાં દુઃખ-દર્દને વિચાર મા. તેનો વિચાર ન કર. તારાં સંવેદનોનું કોઈ ને કોઈ પ્રકારની બાહ્ય અભિવ્યક્તિમાં રૂપાંતર કર. તારા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે તેની જરૂર છે. તારી કળા માટે તેની જરૂર છે.’

મેં વિદાય લીધી. હું તેમની વાણી અને વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત થઈ હતી. એમણે જાણે મારા મનને બધી ગૂંથોમાંથી મુક્ત કર્યું હતું અને તેના સ્થાને તેમના સ્પષ્ટ અને શાંતિદાયક વિચારો ગોઠવી દીધા. હું ફરી આનંદિત અને પ્રફુલ્લિત બની ગઈ.

આ રીતે કોઈ સંત-મહાત્મા કે સિદ્ધ પુરુષના આશ્રયે જવાથી મનમાં ચાલતાં તોફાનને તેઓ શાંત કરી દઈને વિચારોને યોગ્ય દિશામાં એવી રીતે વાળી દે છે કે જીવનનો નીચાણ તરફ વહેતો પ્રવાહ ઊર્ધ્વગામી બની જાય છે. આજે પણ જીવનની કટોકટીમાંથી ઊગારી લેવા માટે, સાચો માર્ગ બતાવવા માટે સાધુસંતો વિદ્યમાન છે. મોટાં શહેરોમાં તો ઘણી સેવાભાવી સંસ્થાઓ નિઃશુલ્ક માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહી છે. ઘણી જગ્યાએ તો ‘આત્મહત્યા કરતાં પહેલાં તાત્કાલિક ફોન કરો’ એવી તત્કાળ સેવા પણ ઉપલબ્ધ હોય છે. આથી કટોકટી જીવનનો અંત લાવી દે, તે પહેલાં કટોકટીમાંથી બહાર નીકળવા બાહ્ય સહાયનો આશરો લેવો અનિવાર્ય છે.

તે વાતાવરણમાંથી બહાર નીકળી જવુંઃ

જ્યારે હવા વગરની બંધ ઓરડીમાં કોઈને પૂરી દેવામાં આવે તો તે ગમે તેમ કરીને બહાર નીકળવા પ્રયત્ન કરશે અને બારીબારણાં તોડીને પણ તે બહાર ખૂલ્લામાં ચાલ્યો જશે. એ જ રીતે સંજોગોની ભીંસ એવી હોય કે માણસ ગૂંગળામણ અનુભવે, ત્યારે ખુલ્લામાં ચાલ્યા જવું જોઈએ. જ્યારે મનમાં ભારે વિસામણ ચાલી રહી હોય, ‘આ પાર કે પેલે પાર’નો નિકાલ લાવવા મન તત્પર હોય,ત્યારે એ સ્થળને તાત્કાલિક છોડીને બહાર નીકળી જવું જોઈએ. જો થોડા દિવસ પણ બહાર રહી શકાય તો ઘણું જ ઉત્તમ છે. તીર્થયાત્રાએ ચાલ્યા જવું, અથવા કોઈ પ્રેમાળ સ્વજનને ત્યાં બેચાર દિવસ રહી આવવું. નહીં તો કોઈ દેવસ્થાનમાં નદીકિનારે ચાલ્યા જવું, બેચાર દિવસનું સ્થળાંતર પણ મનની સ્થિતિને બદલી નાખવા પર્યાપ્ત બની રહે છે. જો બહાર જઈ શકાય તેવી સ્થિતિ ન હોય તો- પોતાના જ ગામમાં, નદીકિનારે કે ખુલ્લા મેદાનમાં – બસ, થોડો વખત શાંતિથી બેસી રહેવું. મનમાં કોઈ જ વિચાર ન કરવા. પ્રકૃતિના સાંનિધ્યમાં બેસવાથી પ્રકૃતિમાં રહેલી શાંતિનું અવતરણ થાય છે. કોઈ વૃક્ષની નીચે બેસવાથી પણ શીતળતા અને તાજગી મળે છે. બેચાર કલાક પણ આ રીતે બહાર જતા રહેવાથી મન ઉપર સવાર થયેલું ભૂત ભાગી જાય છે અને પછી સ્વસ્થ ચિત્તે વિચાર કરવાથી, એવું જણાય છે કે તેણે પોતે પરિસ્થિતિને જેટલી વિકટ માની લીધી હતી, એટલી વિકટ પરિસ્થિતિ નથી. બધાંનો ઉકેલ લાવી શકાશે. આમ હિંમત આવી જાય છે.

સદ્ગ્રંથોનું વાચનઃ

જીવનમાં ક્યારેક એવું પણ બને છે કે ચારે બાજુથી મુશ્કેલીઓનો મારો થવા લાગે છે. તે સમયે તાત્કાલિક કોઈ માર્ગદર્શક પાસે જવા જેવી પણ પરિસ્થિતિ હોતી નથી કે બહાર પણ નીકળી શકાય તેમ નથી હોતું. તો ત્યારે શું કરવું? એ સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતા, બાઈબલ, ભાગવત, ઉપનિષદ – એવા કોઈ પણ સદ્ગ્રંથ પાસે જવું. આ સદ્ગ્રંથો એ કંઈ નિર્જીવ પુસ્તકો નથી. પણ તે મહાન જ્ઞાનના વાહકો છે. વળી આ સદ્ગ્રંથો જેમણે લખ્યા છે, તેમની સૂક્ષ્મ ચેતનાને તેઓ ધારણ કરે છે. સદ્ગ્રંથોનું માત્ર એક પાનું પણ વાંચવાથી એના સર્જકોની મહાન ચેતનાના સૂક્ષ્મ સાંનિધ્યમાં આપણે મુકાઈ જઈએ છીએ. શ્રીમદ્ ભગવદ્ગીતા વાંચતાં સાક્ષાત્ ભગવાન કૃષ્ણની સન્મુખ સૂક્ષ્મ રીતે આપણે પહોંચી જઈએ છીએ અને ગીતામાંથી પરિસ્થિતિના ઉકેલ માટે ઉપયુક્ત વાણી આપણને ભગવાન શ્રીકૃષ્ણ આપે છે. ગીતાનો એકાદ શ્લોક, શ્રીરામકૃષ્ણ કથામૃતનો એકાદ પ્રસંગ, બાઈબલનું એકાદ વાક્ય પણ હતાશામાંથી ઊંચે લઈ જવા માટે પર્યાપ્ત થઈ જાય છે. સદ્ગ્રંથોનું વાચન કર્યા પછી આપણને ખબર પણ ન પડે તે રીતે મનની પરિસ્થિતિ બદલાઈ જાય છે. સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્રો સમાં વાક્યોનું એક બહુ જ નાનકડું પુસ્તક છે, શક્તિદાયી વિચાર. આમાંનાં વાક્યોમાં, થાકેલા, હારેલા, નિરાશ થઈ ગયેલા, જીવન જીવવાની ઇચ્છા ગુમાવી દીધેલા મનુષ્યોમાં પ્રચંડ તાકાત જાગૃત કરવાની પ્રબળ શક્તિ રહેલી છે. કટોકટીના સમયે આવાં પુસ્તકોનાં એકાદ – બે વાક્યો પણ જીવનમાં શક્તિનો સંચાર કરી દે છે. દા.ત. ‘આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે, નિર્બળતા સતત તાણ છે, યાતના છે, મૃત્યુ છે.’

‘નબળાઈનું ચિંતન કર્યા કરવું, એ નબળાઈ દૂર કરવાનો ઉપાય નથી. પરંતુ શક્તિનું ચિંતન કરવું એ એનો ઉપાય છે. મનુષ્યની અંદર પ્રથમથી જ જે બળ રહેલું છે, તેના પ્રત્યે તેને સભાન બનાવો.’

‘લક્ષ્યે પહોંચવાનો એક માત્ર માર્ગ આ જ છે કે પોતાની જાતને તેમજ બીજા સર્વ કોઈને કહેવું કે આપણે દિવ્ય છીએ. જેમ જેમ આપણે આનું રટણ કરતા જઈશું, તેમ તેમ શક્તિ આવતી જશે. પ્રથમ જે લથડિયાં ખાતો હશે, તે વધુ ને વધુ બળવાન બનતો જશે. અવાજનું જોર વધશે અને અંતે સત્ય આપણા હૃદયનો કબજો લઈ લેશે. આપણી નાડીઓમાં સત્ય વહેવા લાગશે, આપણાં શરીરોમાં સત્ય ઓતપ્રોત થઈ જશે.’

‘જે કંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ છે, તે તમારી પોતાની અંદર જ છે, માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ‘ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી.’ તમારી સામે અનંત ભાવિ પડેલું છે. હંમેશાં યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો, તે તમારા માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે. વળી જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવા તૈયાર હોય છે, તેમ બીજી બાજુ પ્રેરક આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે.’

સંતો, મહાત્માઓ અને મહાપુરુષોના જીવનના અનુભવોમાંથી પ્રગટેલી આવી જ્ઞાનધારા મનુષ્યના મન ઉપર ઘેરાયેલી સર્વ પ્રકારની મલિનતાઓને ધોઈ નાખે છે, મનને સ્વચ્છ, પવિત્ર અને વિશુદ્ધ બનાવી દે છે. એવા વિશુદ્ધ મનમાં પછી વ્યક્તિને પોતાના સાચા જીવનકાર્યનું જ્ઞાન થાય છે.

લશ્કરમાં કામ કરતો એક યુવાન મનથી સાવ ભાંગી પડ્યો હતો. ભારત- પાકિસ્તાનના યુદ્ધમાં તેના બધા સાથીદારો માર્યા ગયા હતા. વળી તે જે જીપને ચલાવી રહ્યો હતો, તેના ઉપર પણ બોમ્બ પડ્યો અને તે માંડ બચ્યો. પણ તેનું મન સાવ ઉદાસ થઈ ગયું. જીવનમાંથી હવે તેને રસ ઊડી ગયો. એક રાત્રે તે દિલ્હી રેલ્વે સ્ટેશનમાં ચાલતી ગાડીએ પાટા ઉપર કૂદીને આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યો હતો. પણ કોઈ રીતે તે રાત્રે પોતાના વિચારનો અમલ કરી શક્યો નહીં. હવે તેણે બીજા દિવસ ઉપર તે છોડ્યું. બીજે દિવસે તે છાપું લેવા કોઈ સ્ટેશનની દુકાને ગયો. ત્યાં બુકસ્ટોલ ઉપર તેમણે સ્વામી વિવેકાનંદના સુંદર ફોટાવાળું પુસ્તક જોયું. તેણે તે ખરીદી લીધું. તે પુસ્તક વાંચતાં તેના આત્મહત્યાના વિચારો ચાલ્યા ગયા. તેને નવું જીવન મળી ગયું. તેને તેના જીવનનો સાચો અર્થ મળ્યો. બીજાંઓને પ્રેમ કરવો, બીજાંઓની સેવા કરવી – એ જીવનનું પ્રયોજન તેને સમજાઈ ગયું. તેણે પછી સૈન્યમાંથી નિવૃત્તિ લઈ લીધી. તે મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નામના પોતાના ગામમાં પાછો આવ્યો. અનેક વિપરીત સંજોગોની વચ્ચે પણ તેણે હવે સેવાકાર્યો શરૂ કરી દીધાં. ધીમે ધીમે આખું ગામ બદલાઈ ગયું. એની આશ્ચર્યકારક સફળતાથી પ્રભાવિત થઈને તેને મહારાષ્ટ્રનાં ૩૦૦ ગામડાંઓના વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. એ યુવાન તે અન્ના હજારે, આજે મહારાષ્ટ્રના અસંખ્ય ગ્રામજનોના ઉદ્ધારક તરીકે પૂજાઈ રહ્યા છે.

કેરાલામાં – તિરુઅનંતપુરમ્માં એન.સી.સી.ના એક મેજર ભયાનક માનસિક હતાશામાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓનું લગ્નજીવન ખૂબ દુઃખી હતું. તેઓ વારંવાર કહ્યા કરતા, ‘ક્યારે હું મારી જાતને ગોળી મારી દઈશ, એ કહી શકતો નથી.’ તેમની આવી માનસિક દુર્દશાની વાત તેમના કર્નલે શ્રીરામકૃષ્ણ મિશન તિરુઅનંતપુરમ્ના એક સંન્યાસીને જણાવી. એ સંન્યાસીએ તે કર્નલને કહ્યું, ‘મેજરને કહેજો કે પહેલાં આ પુસ્તક વાંચી લે, પછી તેને જેમ ઇચ્છા થાય તેમ કરે,’ એમ કહી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું પુસ્તક ભેટ મોકલાવ્યું. પછી થોડા મહિના પછી એ કર્નલ જ્યારે સ્વામીજીને મળ્યા ત્યારે તેમણે કહ્યું, ‘સ્વામીજી આપના પુસ્તકે તો જાદુ કર્યો. મારા જુનિયરને બચાવી લીધો. એ હવે એમ કહે છે કે ‘આખી દુનિયા કહે તો પણ હું આત્મહત્યા જેવું પાપ નહીં કરું.’

આ છે સદ્ગ્રંથોનો પ્રભાવ. તે મનની સ્થિતિને જ સમૂળગી બદલી નાખે છે. એથી માત્ર જીવનની કટોકટીના સમયમાં જ નહીં પણ દરરોજ જેઓ આવા સદ્ગ્રંથોનું નિયમિત વાચન કરે છે, તેમના જીવનમાં કટોકટી આવતી નથી. એટલે કે ગમે તેવી મુશ્કેલીઓ તેમને ખળભળાવી શકતી નથી.

કટોકટીના સમયના અન્ય ઉપાયોઃ

કટોકટીના સમયે પ્રાર્થના, નામસ્મરણ અને ધ્યાન કરવાથી પણ મનમાં પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આવે છે, આંતરિક સ્થિતિ બદલાઈ જાય છે. આથી કંઈ પણ ઉતાવળિયું પગલું ભરવા કરતાં ચૂપચાપ ભગવાનનું નામ લેવું એ સરળમાં સરળ ઉપાય છે.

આ ઉપરાંત પણ બીજા ગૌણ ઉપાયો પણ છે, જેનો આ બધા ઉપાયોની સાથે સાથે અમલ કરવાથી મનની સ્થિતિમાં ખૂબ ઝડપથી બદલાવ આવે છે. એ ઉપાયોમાં એક તો છે, મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં બતાવેલો ઉપાય –

वितर्कबाधने प्रतिपक्षभावनम् ।।2.33।।

એટલે કે પ્રતિબંધક વિચારોને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું. જો આત્મહત્યાના વિચારો આવતા હોય તો જીવન કેવું સુંદર છે, મૂલ્યવાન છે, પ્રેમભર્યું છે, આવા વિચારો કરવાથી નકારાત્મક વિચારોનું જોર ઓછું થઈ જાય છે. નિરાશાના વિચારોને આશાસ્પદ વિચારોથી, નકારાત્મક વિચારોને વિધેયાત્મક વિચારોથી દૂર કરી શકાય છે. જો નકારાત્મક વિચારો પીછો છોડતા ન હોય તો મનને મનગમતી વસ્તુઓમાં પરોવી દેવું. એ માટે ભજન – સંગીત કે સુગમ – સંગીત એકાગ્ર થઈને સાંભળવું. આપણા સંગીતની સુરાવલિઓમાં મનને શાંત કરી દેવાની અદ્ભુત શક્તિ રહેલી છે.

આ ઉપરાંત જેનું મન ખૂબ વિષાદથી ભરાઈ ગયું હોય અને જેને ક્યાંય ચેન પડતું ન હોય, તેવી વ્યક્તિને બળજબરીથી પણ સારી વસ્તુઓ ખવડાવી દેવાથી તેનું મન શાંત થાય છે. આવેગ ઓછો થાય છે. જ્યારે વ્યક્તિ ભાવનાઓના અતિરેકમાં ડૂબેલી હોય, ત્યારે તે મનોમય કોષમાં હોય છે. અને આ કોષમાં તેનું મન આવેગમાં વહી રહ્યું હોવાથી નિયંત્રિત હોતું નથી. આ મનને જો સૂચનો દ્વારા વિજ્ઞાનમય કોષમાં લઈ જવામાં આવે તો મનની સ્થિતિ બદલાઈ જાય છે. પણ એ તો સિદ્ધ યોગીઓ જ કરી શકે. એવા યોગીપુરુષોને તો આવો પ્રશ્ન જ હોતો નથી. પરંતુ સામાન્ય મનુષ્યોના મનના સ્તરને બદલી શકાતું નથી. આથી જો એમને ભરપેટ ભોજન જમાડવામાં આવે તો ચેતના અન્નમય કોષમાં આવે છે અને ભાવનો અતિરેક દૂર થતાં પછી તે સ્વસ્થ રીતે વિચારી શકે છે.

આ રીતે આ બધા મુખ્ય અને ગૌણ ઉપાયો દ્વારા કટોકટીની સ્થિતિમાં મનને સ્વસ્થ કરી શકાય છે. પણ એક વખત કટોકટી પાર કરી એટલે ફરીવાર જીવનમાં નહીં આવે, તેવું તો બનતું નથી. કટોકટીઓ અને મુશ્કેલીઓ તો આવતી જ હોય છે. પણ મનની સ્થિતિ એવી હોવી જોઈએ કે ગમે તે પરિસ્થિતિ આવે તો પણ શાંતિ ન ગુમાવે. એવી મનની સ્થિતિ પ્રાપ્ત કરવા, શું કરવું જોઈએ?

કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ વિધેયાત્મક વલણ અપનાવવું જોઈએ. જ્યારે બધું જ ગુમાવી દેવામાં આવ્યું હોય છે, ત્યારે કશુંક તો બચી જ ગયું હોય છે. જે બચી ગયું હોય છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી હચમચી નહીં જવાય. ગ્લાસ અર્ધાે ખાલી છે, એમ જોવાને બદલે અર્ધાે ભરેલો તો છે, આટલો જ તફાવત દૃષ્ટિમાં કરવાની જરૂર છે. એથી મનને આગળ વધવાની શક્તિ અને હિંમત મળે છે.

તે ઉપરાંત કટોકટીના સમયે વ્યક્તિએ પોતાની આત્મશ્રદ્ધા જાગૃત કરવી જોઈએ. ‘દરેક વ્યક્તિની અંદર દિવ્યતા સુપ્તપણે રહેલી છે. તેને જાગૃત કરવી એ મનુષ્યનું ધ્યેય છે.’ સ્વામી વિવેકાનંદનું આ વાક્ય પ્રત્યેક કટોકટીમાંથી મનુષ્યને ઉગારી લેવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. કેમકે અંદર રહેલી દિવ્યશક્તિને જાગૃત કર્યા પછી કોઈ જ સમસ્યા માનવીને ક્ષુબ્ધ કરી શકતી નથી. આથી મનુષ્યે હંમેશા યાદ રાખવું જોઈએ કે પોતાની અંદર મહાન શક્તિ રહેલી છે. એ શક્તિથી અજાણ હોવાને લઈને જ તેને પરિસ્થિતિનો સામનો કરવાનો ભય લાગે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ સિંહના બચ્ચાની વાર્તા કહે છેઃ

એક સિંહણ જંગલમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે રસ્તામાં ઘેટાંનું ટોળું જઈ રહ્યું હતું. સિંહણે રસ્તો પાર કરવા છલાંગ લગાવી, ત્યારે તેના પેટમાં રહેલું બચ્ચું પડી ગયું. સિંહણ રસ્તાની સામે પાર પડી અને મરી ગઈ. આ બચ્ચું ઘેટાંનાં ટોળામાં મોટું થવા લાગ્યું. તે ઘેટાંની જેમ જ ઘાસ ખાવા લાગ્યું, બેં બેં કરવા લાગ્યું. એકવાર એક સિંહ ત્યાંથી પસાર થતો હતો. તેણે ઘેટાંના ટોળામાં નાનકડા સિંહને બેં બેં કરતો જોયો અને તેને આશ્ચર્ય થયું. તે તેની પાસે ગયો અને કહ્યું, ‘તું સિંહ છો, છતાં ઘેટાંની જેમ કેમ બેં બેં કરે છે?’ ત્યારે એ નાના સિંહે બેં બેં કરતાં કહ્યું, ‘હું તો ઘેટું છું. સિંહ નથી.’ મોટા સિંહે તેને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, છતાં તે નાનો સિંહ માન્યો નહીં. પછી મોટો સિંહ તેને તળાવને કાંઠે લઈ આવ્યો અને કહ્યું, ‘મૂરખ, આ પાણીમાં તારો પડછાયો જો. તારો ચહેરો ઘેટા જેવો છે કે મારા જેવો? – સિંહ જેવો છે?’ નાના સિંહે જ્યારે પોતાનો ચહેરો જોયો ત્યારે તેના અજ્ઞાનનો પડદો દૂર થયો અને તેને સમજાયું કે તે ઘેટું નથી પણ સિંહ છે, અને તેણે પછી સિંહની જેમ ગર્જના કરી. તે નીડર બની ગયો. જંગલનો રાજા બની ગયો.

આ વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદ સમજાવે છે કે જ્યારે આપણે આપણી આંતરશક્તિને ઓળખીશું, મિથ્યા ભ્રમને ખંખેરી દઈશું, ત્યારે જ સિંહનું બળ અનુભવીશું. સ્વામી વિવેકાનંદના આ શબ્દોમાં નિર્બળતા, હતાશા, નિરાશા, ચિંતાને હટાવીને મનુષ્યને અંદર રહેલી અનંત શક્તિને જાગૃત કરવાનું પ્રચંડ સામર્થ્ય રહેલું છે. તેઓ કહે છે, ‘તમે તો ઈશ્વરના સંતાન છો. અક્ષય સુખના અધિકારી છો. પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ, પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ, તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહ! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ એવા ભ્રમને ખંખેરી નાંખો, તમે તો અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો. તમે જડ પદાર્થ નથી, શરીર નથી, જડ પદાર્થ તમારો દાસ છે. તમે એના દાસ નથી.’ મનુષ્યની અંદર રહેલી આત્મશક્તિને જાગૃત કરવા વિવેકાનંદ આવાહન આપે છે. આત્મશક્તિ પછી હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાંઓને વિખેરીને મનુષ્યને ચિરશાંતિના પ્રદેશમાં લઈ જાય છે.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories