આજનો મનુષ્ય ખરેખર ઇચ્છે છે તો શાંતિ. પરંતુ રોજિંદા જીવનમાં, એવા એવા બનાવો બનતા રહે છે કે સ્થાયી શાંતિની વાત તો દૂર રહી, પણ થોડા સમય માટે પણ શાંતિ તેને મળતી નથી. ઘણીવાર ચારે બાજુથી ભીંસી નાંખે તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, ક્યાંયથી રસ્તો સૂઝતો ન હોય, ધંધામાં પાર્ટનરે દગો કરીને બધી મિલકત હડપ કરી લીધી હોય, કે સંતાનો ઉચ્છૃંખલ બની અવળા માર્ગે જઈ રહ્યાં હોય, અથવા તો જેને પ્રેમ કરી સર્વસ્વ અર્પણ કરી દીધું હોય, એવા પ્રેમીએ મુખ ફેરવી લીધું હોય, બીજાનું સારું કર્યું હોય છતાંય તેના તરફથી ટીકાઓની ઝડી વરસતી હોય, નોકરીમાં પ્રમાણિકતાને વળગી રહેવા માટે સહકાર્યકર્તાઓ અને અધિકારીઓના ખોફનો ભોગ બનવું પડતું હોય – આવું ઘણું ઘણું રોજિંદા જીવનમાં બનતું રહે છે, જે સમગ્ર ચિત્તતંત્રને ખળભળાવી મૂકે છે, અશાંત કરી દે છે. આવા પ્રસંગોએ શાંત કેવી રીતે રહેવું, મનને કેવી રીતે સ્થિર અને સ્વસ્થ રાખવું, એ કળા હસ્તગત કરનાર મનુષ્ય જીવનના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. આ વિજય મેળવવા માટે જીવનની જટિલ પરિસ્થિતિઓમાં શાંતિ કેવી રીતે જાળવવી એ માટેનાં કેટલાંક સૂત્રો છે. તેમાંનાં મુખ્ય આ પ્રમાણે છે.

ચિંતાનું ઓસડ – ચિંતન

મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે – ચિંતા. નાનાથી માંડીને મોટાં – બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને ધનની ચિંતા તો કોઈને તનની ચિંતા. આમ મનુષ્યના મનમાં ચિંતા કાયમી ઘર કરીને બેસી ગયેલી છે, જે તેને કોરી ખાય છે. એટલે જ એવું કહેવાયું છે કે ચિતા કરતાં પણ ચિંતા વધારે ખતરનાક છે. કેમ કે ચિતા તો મરેલાંને બાળે છે, જ્યારે ચિંતા તો જીવતાંને બાળી નાંખે છે. જ્યારે ચિંતાથી જીવતાં મનુષ્યો સતત બળી રહ્માં હોય તો શાંતિ કેવી રીતે મળે? પરંતુ જ્યારે મનુષ્ય ચિંતાગ્રસ્ત હોય છે, ત્યારે જ તેને સહુથી વધારે શાંતિની જરૂર રહે છે. તો આ પરિસ્થિતિમાં શાંતિ કેવી રીતે મેળવવી ?

ચિંતા ઉપર ચિંતન કરવુંઃ

કોઈપણ પરિસ્થિતિ વિશે ચિંતા કરવાથી તો દુઃખ અને અશાંતિ વધવાનાં જ. પણ તેના ઉપર ચિંતન કરવાથી ચિંતા ઓછી થઈ જશે. ચિંતા ઉપર ચિંતન કરવું, મનન કરવું, તેનું વિશ્લેષણ કરવું. આ વિશ્લેષણ કરવાથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે આપણે જે ચિંતા કરીએ છીએ, તે તદ્દન ખોટી છે. મનોવૈજ્ઞાનિકો તો એમ કહે છે કે આપણી ૮૦ ટકા ચિંતાઓ માત્ર કાલ્પનિક જ હોય છે. કાલ્પનિક ચિંતાઓથી દુઃખી થવું એ તો મૂર્ખતા જ ગણાય. જેનું અસ્તિત્વ જ નથી તેના વિશે ચિંતા કરી દુઃખી થવું કે પછી આનંદિત થવું એ મૂર્ખતા જ નહીં પણ પાગલપણાની નિશાની છે. આ સમજ જાગૃત થતાં પછી ચિંતા ચાલી જાય છે. મન ચિંતામાંથી મુક્ત થયા પછી સમસ્યાઓ હળવી બની જાય છે. અથવા તો તે પછી ધ્યાન આપવા જેવી બાબત પણ લાગતી નથી.

ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે વ્યક્તિને એવું લાગે કે તે ચારેબાજુ દુઃખથી ઘેરાઈ ગઈ છે, ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ વર્ષાે સુધી જ્યાં કામ કરે છે, તે મિલ બંધ થઈ જતાં તેની આવક બંધ થઈ જાય છે. ઘરમાં વૃદ્ધ માતાપિતા, પોતાની પત્ની અને બે બાળકોનું ભરણપોષણ કરવાનું છે. પુત્રે બારમા ધોરણની પરીક્ષા આપી છે. એને હવે કોલેજમાં મોકલવાનો છે. આ સ્થિતિમાં શું કરવું? હતાશ-નિરાશ થઈ જવાય તેવી પરિસ્થિતિમાં હંમેશા એ યાદ રાખવું કે ભગવાન એક દ્વાર બંધ કરે છે, તો બીજાં બે દ્વાર ખોલી આપે છે. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવાથી ભગવાન બીજું દ્વાર ખોલી આપે છે.

આ ઉપરાંત મનુષ્યે એમ વિચારવું જોઈએ કે જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. સુખ પણ કાયમી નથી, તેમ દુઃખ પણ કાયમી નથી. ભગવાન બુદ્ધ કહે છે, सर्वम् क्षणिकम्, सुखम् क्षणिकम् दुःखमपि क्षणिकम् બધું જ અસ્થાયી છે. એ સમજાયા પછી સુખ અને દુઃખ બંનેમાં તાટસ્થ્ય આવે છે. પછી કોઈ પણ જાતના બાહ્ય સંજોગો ખળભળાવી શકતા નથી. શ્રીમા શારદાદેવી પણ કહે છે કે ‘કોઈ પણ મુશ્કેલી કાયમ ટકતી નથી. પુલ નીચેના પાણીની જેમ સડસડાટ વહી જાય છે.’ મુશ્કેલી, દુઃખ ક્ષણિક છે, એમ માનવાથી મુશ્કેલી અને દુઃખોનું જોર ઓછું થઈ જાય છે.

ઘણી વખત મનુષ્યે ધાર્યું હોય તેના કરતાં કંઈક ઊલટું જ બને છે. તેથી મનુષ્ય ઉદ્વિગ્ન બની જાય છે. એક વિદ્યાર્થિનીને એમ.એ.ની પરીક્ષામાં યુનિવર્સિટીના પરિણામમાં પાંચ માકર્સ ઓછા આવવાથી તેનો ફર્સ્ટ ક્લાસ ગયો. આ પરિણામથી તેને ભારે આઘાત લાગ્યો. કેમકે જો ફર્સ્ટ ક્લાસ આવ્યો હોત તો તેને અમેરિકા આગળ અભ્યાસ માટેની સ્કોલરશિપ મળત અને તેને ખૂબ આગળ વધવાની તક હતી. આથી તે દિવસો સુધી રડતી રહી. પણ પછી તેને સારી કોલેજમાં અધ્યાપક તરીકે નોકરી મળી અને વિદ્યાર્થીઓને ભણાવવાના કાર્યમાં તેને ખૂબ રસ પડવા લાગ્યો. સાથે સાથે તે વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું પણ કાર્ય કરવા લાગી અને તે વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય બની ગઈ. પાછળથી તેને સમજાયું કે સારું થયું ફર્સ્ટ ક્લાસ ન આવ્યો, નહીંતર વિદેશમાં તેને વધારે પદવીઓ, ભૌતિક સુખ સમૃદ્ધિ મળ્યાં હોત, પણ આટલા બધા વિદ્યાર્થીઓનો પ્રેમ, કાર્ય કર્યાનો સંતોષ અને ચિત્તની પ્રસન્નતા અને શાંતિ તેને ન મળ્યાં હોત! આ સત્ય ઘટના દ્વારા એ જાણી શકાય છે કે ધાર્યું હોય એના કરતાં કંઈ જુદું બને તો ચિંતા – ઉપાધિ કરવા કરતાં, એનો સહજ સ્વીકાર કરીને, વિપરીત પરિસ્થિતિમાં પણ હસતે મુખે કાર્ય કરવામાં આવે તો વિપરીત પરિસ્થિતિ પણ સાનુકૂળ બની જાય છે. એક બાબત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે ભગવાન જે કંઈ કરશે તે સારા માટે જ કરી રહ્યા છે. તો પછી મનમાં અદ્ભુત શાંતિ આવે છે. અને ગમે તેવી પરિસ્થિતિ પણ મનુષ્યને વિચલિત કરી શકતી નથી. આથી જ્યારે ભવિષ્યમાં ચિંતા થાય કે હાય હવે શું થશે, ત્યારે માથે હાથ દઈને બેસવા કરતાં પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. આ માટે Do your best and leave the rest આ સૂત્ર યાદ રાખવું જોઈએ.

સત્યમેવ જયતે

જે લોકો ખોટાં કાર્યો કરે છે, અનીતિના માર્ગે ચાલે છે, કાવાદાવા, કુટિલતા, પ્રપંચ, હિંસા, આતંક આ બધાનું આચરણ કરે છે, તેમને જીવનમાં કદી સાચું સુખ કે શાંતિ મળતાં નથી. ખોટાં કાર્યો કરનારના મનમાં એક પ્રકારનો ભય છવાયેલો હોય છે. ભલે કદાચ બહારથી તેઓ સ્વસ્થ દેખાતા હોય, પણ તેમના મનમાં સહેજ પણ સ્વસ્થતા કે શાંતિ હોતાં નથી. ગીતામાં કહ્યું છે, अशान्तस्य कुतः सुखम्? – અશાંત મનુષ્યને સુખ ક્યાંથી મળે?

બીજાને છેતરીને ધન પડાવી લીધું હોય, માલમાં ભેળસેળ કરીને, લોકોના જાનને ખતરામાં મૂકીને પૈસા કમાયા હોય, બિલ્ડરોએ કાચાં મકાનો બાંધીને પૈસા બનાવી લીધા હોય, લાંચ રુશ્વત લઈને, અનેકનાં ખોટાં કામો કરીને અને કરાવીને બંગલા, મોટર કે ફાર્મહાઉસના માલિક ભલે બન્યા હોય, પણ અંતરમાં શાંતિ મળતી નથી. કેમકે ભગવાને દરેક મનુષ્યના અંતરમાં એક સૂક્ષ્મ કોમ્પ્યુટર મૂકેલું છે, જે એકેએક વસ્તુની નોંધ લેતું રહે છે. અસત્યનું આચરણ કરનારાઓ એમ માને છે કે ‘મારાં કુકર્માેની કોઈને ખબર નથી.’ બીજા જાણે કે ન જાણે, પરંતુ તેની આંતર-ચેતનામાં તો એ કુકર્માેનો સૂક્ષ્મ વીડિયો ઊતરી જ ગયો હોય છે. અને એકાંતની પળોમાં અથવા ગમે ત્યારે એ અપ્રગટ વીડિયો એના મનના પડદા ઉપર ઝબકે છે, ત્યારે એ વ્યક્તિ ભયભીત અને બેબાકળી બની જાય છે. આ સૂક્ષ્મ વીડિયો એની સુખશાંતિને હરી લે છે. ખોટાં કાર્યો કરનારનું સમગ્ર જીવન ભય, અસલામતી અને અશાંતિમાં જ પસાર થાય છે.

એક બિલર્િ્ડંગ કોન્ટ્રાકટરને એના ગુરુએ એક દિવસ કહ્યું, ‘ભાઈ, હંમેશા સાચું જ કરવું. ધંધામાં પણ ખોટું નહીં કરવું.’

‘પણ ગુરુ મહારાજ, અમારો ધંધો જ એવો છે કે સાચું કરનારનો ધંધો ચાલી શકે જ નહીં.’

‘કેમ ન ચાલે? કરી તો જુઓ.’ ગુરુએ કહ્યું.

‘પણ મારા પાર્ટનરો જ નહીં માને. અને હું એકલો પડી જઈશ.’

‘ખોટું કરાવનારા પાર્ટનરો કરતાં એકલા રહીને નીતિ અને પ્રમાણિકતાથી ધંધો કરવા સારો.’ ગુરુએ સમજાવતાં કહ્યું. તે કોન્ટ્રાકટરને ગુરુ મહારાજમાં શ્રદ્ધા હતી. એમના આદેશનું તેણે પાલન કરવાનું હતું. એટલે તેણે કહ્યું, ‘ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા, આશીર્વાદ આપો. આપની ઇચ્છા અને આદેશ પ્રમાણે હું સત્યના માર્ગે ધંધો કરી શકું.’ પછી તેણે પોતાના પાર્ટનરોને વાત કરી કે ‘હું ખોટું નહીં કરું.’

‘મૂરખ થયો છે તું? આ જામેલા ધંધાને બરબાદ કરી નાંખવો છે? અમે જેમ કહીએ તેમ કરવું પડશે.’

‘હવે હું એમ નહીં કરું.’ ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને લઈને તેણે પાર્ટનરોને સ્પષ્ટ જણાવી દીધું, પાર્ટનરોએ તેને કહ્મું , ‘તો અમારી સાથે તું ભાગીદારી નહીં કરી શકે.’ અને તે છૂટો થઈ ગયો. ગુરુનાં વચનોમાં વિશ્વાસ રાખી નાના પાયા ઉપર પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં બેત્રણ વર્ષ મુશ્કેલી પડી ગઈ, પણ ધીમે ધીમે તેને બિલર્િ્ડંગો બાંધવાના વધારે ઓર્ડરો મળવા લાગ્યા. પછી તેનો ધંધો સ્વતંત્ર રીતે પણ જામી ગયો. અગાઉ પૈસા તો મળતા હતા, પણ મનને શાંતિ મળતી ન હતી. હવે પૈસા ભલે થોડા ઓછા મળતા હતા, પણ મનમાં શાંતિ રહેતી હતી. અને અંતરમાં આનંદ રહેતો હતો કે પોતે હવે કંઈ જ ખોટું કરતો નથી.

જેઓ અસત્યનું આચરણ કરે છે, તેમને કદાચ શરૂઆતમાં સફળતા મળતી દેખાય છે, પણ લાંબે ગાળે કર્મના સિદ્ધાંત પ્રમાણે તેમને તેમનાં ખોટાં કર્માેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. જેઓ જૂઠાણાંનો આશરો લે છે, તેમને વધુ ને વધુ જૂઠાણાંઓનો આશરો લેવો પડે છે. એટલે તેમનાં ખોટાં કર્માેનું પ્રમાણ વધતું જ રહે છે અને પરિણામે તેમના મનમાં તેમને શાંતિ તો રહેતી નથી, પણ એક પ્રકારનો ભય અને અસલામતી સતાવ્યા કરતાં હોય છે. જેઓ સત્યનું આચરણ કરે છે, તેમને પ્રારંભમાં ઘણું સહન કરવું પડતું હોય છે. પરંતુ એમને સત્યપાલનનાં મીઠાં ફળો લાંબે ગાળે અવશ્ય મળે છે. અંતે તો સત્યનો જ જય થાય છે. સત્યનિષ્ઠાનું શુભ પરિણામ ભલે લાંબે ગાળે આવે, પણ તે જે શાશ્વત શાંતિ અને પરમ સુખ આપે છે, તેની આગળ સત્યપાલન માટે સહેલાં કષ્ટોનું મૂલ્ય ઘણું ઓછું ગણાય, આથી જેમને સાચાં સુખ અને શાંતિની પ્રાપ્તિ કરવી છે, એમણે હંમેશાં સત્યનું પાલન કરવું જોઈએ. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ‘સત્યમેવ જયતે’ એ સૂત્ર અપનાવીને સત્યનો પક્ષ કદી છોડવો ન જોઈએ.

પદ્મપત્રમિવાંભસા

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘સંસારમાં જળકમળવત્ રહેવું. કમળ કાદવમાં ખીલે છે, પાણીમાં રહે છે, પણ કાદવનો કે પાણીનો તેને સ્પર્શ પણ થતો નથી. તેનું આંતરિક સૌદર્ય, કાદવ કે જળથી ખરડાતું નથી. જે અલિપ્ત રહી શકે તે જ સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે.’

પરંતુ સામાન્ય મનુષ્યને માટે આ રીતે રહેવું ઘણું જ મુશ્કેલ છે. કેમ કે દરેક મનુષ્યમાં ભગવાને આસક્તિ મૂકેલી છે. આ આસક્તિ એટલે કોઈપણ વિચાર, વસ્તુ કે કાર્ય પ્રત્યે મનુષ્યનો એવો લગાવ કે જે એના સમગ્ર અસ્તિત્વનો કબજો લઈ લે. આ લગાવ મનુષ્યોને કાર્યમાં પ્રેરનારું અને જીવનની વિષમ પરિસ્થિતિઓમાં ટકાવી રાખનારું બળ છે. આ વિશે મહાભારતમાં એક સુંદર દૃષ્ટાંત કથા છેઃ ભયાનક જંગલમાં એક બ્રાહ્મણ ભૂલો પડ્યો. ત્યાં એક સ્ત્રી જાળ પાથરીને બેઠી છે. તેનાથી બચવા તે ભાગ્યો, તો એક અવાવરું કૂવામાં પડ્યો. પડતાં પડતાં તેના હાથમાં કૂવામાં લટકતી એક વેલ હાથમાં આવી ગઈ. એટલે તેને પકડીને તે લટકી રહ્યો. તેણે નીચે જોયું તો ફુંફાડા મારતો સાપ હતો. ઉપર જોયું તો તે જે વૃક્ષની વેલને પકડીને લટકી રહ્યો હતો, તે વૃક્ષને છ મસ્તક અને બાર પગવાળો હાથી હલાવી રહ્યો હતો. વળી તેણે જોયું તો કાળા અને ધોળા ઉંદરો એ વેલને કાપી રહ્યા હતા. એટલે હવે તે ગમે ત્યારે નીચે પડશે, તેવો તેને ભય હતો. અને નીચે તો હતો, યમદૂત જેવો સાપ.ઉપર હતો જંગલી હાથી, જંગલમાં હતી જાળ બિછાવેલી સ્ત્રી. આમ ચારે બાજુ ભય ને ભય જ હતો. એવામાં ઝાડ ઉપર રહેલા મધપૂડામાંથી તેણે મધનાં ટીપાં પડતાં જોયાં. તો બસ તે મોઢું ખુલ્લું રાખીને આ મધનાં ટીપાં ખાવા લાગ્યો.આ કથા સાંભળીને ધૃતરાષ્ટ્ર વિદુરને પૂછે છે કે ‘વિદુર ક્યાં છે આ બ્રાહ્મણ? શું ખરેખર આવું હોઈ શકે?’ ત્યારે વિદુર કહે છે કે આપણે બધા જ એ બ્રાહ્મણ છીએ. કૂવો એ અજ્ઞાન છે. કાળરૂપી સાપ ગમે ત્યારે ડસી લે છે. છ ઋતુઓ અને બારમાસવાળો સંવત્સરરૂપી હાથી આયુષ્યના વૃક્ષને સતત હલાવી જ રહ્મો છે. જે વેલ છે, તે આશારૂપી વેલ છે. તેનાથી પ્રત્યેક મનુષ્યો લટકી રહ્યા છે. ધોળા અને કાળા ઉંદર એ દિવસ અને રાત છે, જે આશાની વેલને સતત કાપ્યે જાય છે. ઉપરથી ટપકતું મધ એ જીવનની આસક્તિ છે. આટલા બધા ભયોની વચ્ચે પણ મનુષ્ય એ મધનાં ટીપાંને વળગી રહ્યો છે. પ્રતિક્ષણ દરેક મનુષ્ય કાળના મુખ પ્રત્યે જઈ રહ્યો હોવા છતાં જીવન જીવવાની લાલસા રૂપી મધમાં આસક્ત થઈને બધું જ ભૂલી જાય છે, કેમ કે આસક્તિમાં આનંદ રહેલો છે.

પરંતુ આ આનંદ સ્થાયી આનંદ નથી. આસક્તિનું કેન્દ્ર જ્યારે ખસી જાય છે, ત્યારે વ્યક્તિને પારાવાર દુઃખ થાય છે, કેમ કે એ કેન્દ્ર વસ્તુ કે વ્યક્તિ હોવાથી, તેને ખસી જતાં વાર લાગતી નથી. એક વખત એક યુવાન હાથમાં છરી લઈને શ્રીરામકૃષ્ણ આશ્રમના એક સંન્યાસી પાસે આવ્યો અને ટેબલ ઉપર છરી મૂકતાં કહ્યું,‘સ્વામીજી, આ છરી તમારી પાસે રાખો. જો મારી પાસે એ હશે, તો અનર્થ થઈ જશે.’ ‘કેમ રે? શી બાબત છે? તારે વળી છરીની જરૂર કેમ પડી?’ ‘સ્વામીજી, અત્યારે તો મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિની સામે અર્ધાે કલાક બેસીને આવ્યો છું, એટલે મન કંઈક શાંત થયું છે. નહીંતર આ છરીથી હું એનું ખૂન કરી નાંખવાનો હતો.’

‘પણ તારે કોઈનું ખૂન શા માટે કરવું પડે.?’

‘હા, સ્વામીજી, વાત એમ છે કે હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે પણ મને અત્યંત ચાહતી હતી. અમે લગ્ન કરવાનાં હતાં. અચાનક મેં તેને બીજા યુવાન સાથે જોઈ. તપાસ કરતાં ખબર પડી કે હવે તેની સગાઈ તે યુવાન સાથે નક્કી થઈ છે.મેં તેને પૂછ્યું, તો કહે, ‘હા, એ મને વધારે પસંદ છે. હું તેની સાથે લગ્ન કરીશ.’ આ સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો. એણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું. મારી લાગણીઓનો ગેરલાભ ઉઠાવ્યો. હવે હું તેને જીવતી નહીં છોડું. આથી મેં બજારમાં જઈ છરી ખરીદી. તેને મારવા જતો હતો. અહીં આશ્રમ પાસેથી પસાર થયો, તો મને એવું લાગ્યું કે જાણે મને કોઈ ખેંચી રહ્યું છે. એટલે હું અવશપણે મંદિર તરફ ગયો. મંદિરમાં બેઠો. જાણે કોઈ મને કહી રહ્યું હતું. ‘તું મારી સામે જો.’ હું મૂર્તિની સામે જોવા લાગ્યો અને થોડીવારમાં મારું મન શાંત થઈ ગયું. પછી જ્યારે હું બહાર નીકળ્યો તો મારાં પગલાં એના ઘરને બદલે આપોઆપ મારા ઘર તરફ જ વળ્યાં. પણ પછી થોડા દિવસ બાદ પાછું એ જ ભૂત મગજ ઉપર સવાર થઈ ગયું. છરી લઈ નીકળ્યો. રસ્તામાં આશ્રમ તો આવે જ. ફરી એ જ અવશપણે મંદિરમાં ખેંચાયો. ત્યાં બેઠો. મન શાંત થઈ ગયું અને પાછો ઘેર ગયો. આજે ત્રીજીવાર એવું બન્યું છે. જાણે કોઈ પ્રચંડ શક્તિ મને અહીંથી આગળ જવા જ દેતી નથી. અહીં આવું છું અને મન શાંત થઈ જાય છે. પણ પછી બેચાર દિવસ પછી મન પાછું હતું એવું ને એવું જ ઉગ્ર બની જાય છે. એથી થયું કે તમને જો આ છરી આપી દઉં તો અનર્થમાંથી બચી જઈશ.’

‘હા બેટા, ખરેખર તું બચી ગયો. ભગવાનની તારા ઉપર અનહદ કૃપા કહેવાય. નહીંતર આવેશમાં આવીને તું અધમ કૃત્ય કરી બેસત તો કેટલા બધા લોકો દુઃખી થઈ જાત અને તારું જીવન તો સાવ રોળાઈ જાત.’ પછી તેને સ્વસ્થ કરીને સ્વામીજીએ સમજાવ્યું કે એ એનો પ્રેમ નથી, પણ ભયંકર આસક્તિ છે. તેમણે કહ્યું કે ‘જો તેં ખરેખર એને પ્રેમ કર્યો હોત તો તેના આનંદમાં તારો આનંદ હોત. સાચો પ્રેમ કદી આવું ન કરે. તે તો પ્રેમીને ખાતર પોતાના જીવન સુદ્ધાંનો ત્યાગ કરી દે, તો આ તો એને તારી સાથેના સંબંધમાંથી મુક્ત કરવાની વાત હતી. પહેલાં તું જેના વગર એક ક્ષણ પણ રહી શકતો ન હતો, તેને હવે તું મારી નાંખવા તૈયાર થયો. આ પ્રેમ નથી પણ પ્રેમની વિકૃતિ છે, એમાંથી જલદીથી બહાર નીકળી જા.’ પછી સ્વામીજીના સત્સંગથી એ યુવાન સન્માર્ગે વળી ગયો. પણ આવા કહેવાતા પ્રેમની પાછળ પાગલ થતાં અને પછી આખું જીવન બરબાદ કરતાં યુવાભાઈબહેનો કંઈ ઓછા નથી. આવી ઘોર આસક્તિનું પરિણામ દુઃખમાં, ચિંતામાં, આત્મહત્યામાં અને જીવનની બરબાદીમાં આવે છે. સ્વામી વિવેકાનંદ ‘કર્મ અને તેનું રહસ્ય’ લેખમાં કહે છે.‘દુઃખનું કારણ આ છે કે આપણે મોહમાં પડીએ છીએ, આપણે પકડાઈ જઈએ છીએ.’ તેથી જ ગીતા કહે છે, ‘સતત કાર્ય કરો. કાર્ય કરો. પણ આસક્ત ન થાઓ. તેમાં સપડાઓ નહીં. જેના માટે જીવાત્મા ખૂબ જ ઝંખે, તેવી પ્રિય વસ્તુમાંથી પણ અનાસક્ત થવાની શક્તિ તમારામાં જન્માવો. વસ્તુ છોડી દેવી પડે, ત્યારે ભલે ગમે તેટલું દુઃખ થાય છતાં પણ જ્યારે ઇચ્છા થાય ત્યારે છોડી દેવાની શક્તિ કેળવો!’

સામાન્ય રીતે લોકો જેને પ્રેમ કહે છે, તે પ્રેમ નથી. પણ એક પ્રકારની સોદાબાજી છે, વ્યાપારિક લેવડદેવડ છે. પ્રેમ કરનારાઓ એવું માને છે કે ‘મેં એને આટલો બધો પ્રેમ કર્યો એટલે બદલામાં તેણે પણ મને આટલો જ પ્રેમ કરવો જોઈએ.’ આવી વૃત્તિ હોય તો એ પ્રેમ નથી પણ સોદો છે. સાચો પ્રેમ તો બસ કશાયની અપેક્ષા વગર આપતો જ રહે છે. બદલામાં એને કશું પણ જોઈતું નથી. જેને કોઈ અપેક્ષા જ નથી તેને પછી દુઃખ કે નિષ્ફળતા મળે કેવી રીતે? કંઈ જોઈતું હોય અને ન મળે તો દુઃખ અને નિષ્ફળતા છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કોઈપણ વસ્તુ માગો નહીં, બદલામાં કશાની અપેક્ષા રાખો નહીં. તમારે જે આપવાનું છે, તે તમે આપો. તે તમારી પાસે પાછું આવશે. પણ અત્યારે તમે તેનો વિચાર ન કરો. તે હજારગણું થઈને તમારી પાસે આવશે, પરંતુ તમારું ધ્યાન તેના તરફ લાગેલું ન હોવું જોઈએ. અને તો પણ આપવાની શક્તિ કેળવો. બસ, આપો અને ત્યાં જ એની સમાપ્તિ ગણો.’

પ્રેમ ફક્ત આપવાનું જ જાણે છે, એની સાથે ત્યાગ સંકળાયેલો છે. એમાં નિઃસ્વાર્થતા અને ઉદારતા રહેલી છે, જ્યારે આસક્તિમાં સ્વાર્થ અને સંકુચિતતા છે. પ્રેમમાં સ્વાર્પણ અને ત્યાગ છે, આસક્તિમાં માલિકીપણાની ભાવના છે. પ્રેમમાં સદાકાળ સહજ પ્રસન્નતા છે.આસક્તિમાં ક્ષણિક આનંદ, પછી દુઃખ ને દુઃખ જ છે. પ્રેમ હંમેશા ઊંચે ને ઊંચે લઈ જાય છે, તે છેક પરમાત્મા પાસે લઈ જવાની શક્તિ ધરાવે છે, જ્યારે આસક્તિ મનુષ્યને નીચે લઈ જાય છે, પરમાત્માથી દૂર ને દૂર લઈ જાય છે. પ્રેમ અને આસક્તિ વચ્ચેનો આ તફાવત સમજાઈ જાય તો પછી મનુષ્ય આસક્તિમાંથી જલદીથી મુક્ત થઈ શકે છે. જ્યાં સુધી આસક્તિ છે, ત્યાં સુધી કદી સાચું સુખ કે શાંતિ મળી શકતાં નથી.

આસક્તિનું ઉત્તમ ઉદાહરણ રાજા ભર્તૃહરિની અમરફળની કથા છે. એક સાધુએ રાજા ભર્તૃહરિને અમરફળ ભેટ આપ્યું. રાજાને પોતાની રાણી પિંગલા અત્યંત પ્રિય હતી, તેથી તેણે વિચાર્યું કે ‘રાણી વગર એકલો હું અમર થઈને શું કરીશ, એના કરતાં એ ફળ રાણીને જ આપું.’ આથી તેણે એ ફળ રાણીને આપ્યું. રાણી અશ્વપાલના પ્રેમમાં આસક્ત હતી, તેથી તેણે તે ફળ અશ્વપાલને આપ્યું. હવે અશ્વપાલ ગણિકાના પ્રેમમાં દીવાનો હતો. તેણે એ ફળ ગણિકાને આપ્યું. ગણિકાએ વિચાર્યું કે મારા જેવી સ્ત્રી આ ફળ ખાઈને શું કરશે? એના કરતાં રાજા અમર થશે તો અનેક સારાં કાર્યો એમના હાથે થતાં રહેશે. આથી તેણે એ ફળ રાજાને આપ્યું. જ્યારે રાજાને એ ફળ પાછું મળ્યું, ત્યારે તેમણે તપાસ કરાવી. તેમને બધી બાબતોની જાણ થતાં દુન્યવી પ્રેમ જોઈને તેમની આંખો ખૂલી ગઈ અને તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો અને સાધુ થઈ ગયા. ‘વૈરાગ્યશતકમ્’માં તેમણે આ વિશે એક શ્લોક લખ્યો છે કે ‘જેનું હું ચિંતન કરું છું, તે મારાથી વિરક્ત છે, તે અન્યને ઇચ્છે છે. અને વળી તે જણ પણ બીજામાં આસક્ત છે, અને તે બીજું અમારામાં આસક્ત છે. તેને (રાણીને), તે મનુષ્યને (અશ્વપાલને), એ ગણિકાને અને મને ધિક્કાર હો,’ આમ રાજા ભર્તૃહરિને સંસારની આસક્તિનો આવો અનુભવ થતાં એ જ ક્ષણે એમણે સંસારનો ત્યાગ કરી દીધો. પણ સામાન્ય રીતે મનુષ્યો આસક્તિને લઈને ખૂબ દુઃખી થતા હોવા છતાં તેમાંથી મુક્ત બની શકતા નથી.

હવે પ્રશ્ન એ થાય છે કે આ આસક્તિ કેવી રીતે આવે છે અને ક્યાંથી આવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહી શકાય કે આસક્તિ ગમે તે રીતે આવે છે અને ગમે ત્યાંથી આવે છે અને ગમે તે વ્યક્તિને આવી શકે છે. એક ચિંતકે હિન્દીમાં કહ્યું છે, आसक्ति कभी भी आ सकती है, किसी को भी आ सकती है। એવું નથી કે તે સામાન્ય મનુષ્યોને જ આવે છે. તે સંતો, ઋષિ-મુનિઓ અને તપસ્વીઓને પણ આવે છે. આપણી પુરાણકથાઓમાં આ અંગેનાં ઘણાં ઉદાહરણો જોવા મળે છે. જડભરત મૃગલામાં આસક્ત થયા હતા, વિશ્વામિત્ર મેનકામાં આસક્ત થયા હતા, પરાશર મુનિ મત્સ્ય કન્યા સત્યવતીમાં આસક્ત થયા હતા, નારદમુનિ વિશ્વમોહિનીમાં આસક્ત થયા હતા. અને આ દરેકને પોતાની આસક્તિનું ફળ ભોગવવું પડ્યું હતું. ભોગ્ય પદાર્થાેના દર્શન અને ચિંતનમાંથી આસક્તિનો જન્મ થાય છે. અને તેનું પરિણામ સર્વનાશમાં આવે છે. ગીતાના બીજા અધ્યાયના ૬૨-૬૩ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને આ અંગેની સ્પષ્ટ સમજૂતી આપતાં કહ્યું છેઃ

‘વિષયોનું ચિંતન કરનારા પુરુષોને પછી વિષયોમાં આસક્તિ ઊપજે છે. આસક્તિ વધતાં પછી વિષયોની કામના જાગે છે. કામનામાં અવરોધ ઊભો થતાં પછી ક્રોધ ઊભો થાય છે. ક્રોધ વધતાં મોહ થાય છે. મોહ વધવાથી સ્મૃતિભ્રમ થઈ જાય છે. સ્મૃતિભ્રમ થતાં બુદ્ધિનો નાશ થાય છે.’ આમ વિષયોનું ચિંતન એ આસક્તિનું મૂળ છે. અને સર્વનાશ એ તેનું પરિણામ છે. આવી આસક્તિમાંથી કેવી રીતે મુક્ત બની જળકમળવત્ રહી શકાય? આ માટે શું કરવું જોઈએ?

આસક્તિમાંથી મુક્ત થવાના ઉપાયોઃ

આસક્તિમાંથી સામાન્ય રીતે મુક્તિ મેળવવી મુશ્કેલ છે. પણ જાગૃતપણે સતત પ્રયત્ન કરનારને માટે તે પછી મુશ્કેલ રહેતી નથી. એમાંથી મુક્ત થવા માટેના ઉપાયો આ પ્રમાણે છે.

કશાની અપેક્ષા રાખવી નહીંઃ

અપેક્ષા હોય તો દુઃખ આવે જ. અપેક્ષા પ્રમાણે ન થાય તો મનુષ્ય દુઃખી દુઃખી થઈ જાય છે. આસક્તિમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવતાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આપણે સપડાઈ જઈએ છીએ તે આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુઃખ મળે છે, એ દુઃખ આપણે પ્રેમ રાખીએ છીએ તેને લીધે નહીં, પણ બદલામાં પ્રેમની અપેક્ષા રાખીએ છીએ, તેને લઈને છે. જ્યાં અપેક્ષા નથી, ત્યાં દુઃખ નથી. ઇચ્છા – અપેક્ષા સર્વ દુઃખોનું મૂળ છે. ઇચ્છાઓ સફળતા અને નિષ્ફળતા બંને નિયમોથી બંધાયેલી છે. ઇચ્છાઓ દુઃખ લાવે જ.’ આથી જો નિઃસ્વાર્થ ભાવે કાર્યો કરવામાં આવે અને કોઈ અપેક્ષા જ ન હોય તો દુઃખ રહેતું નથી.

અનાસક્ત થવાની શક્તિ કેળવવીઃ

જે રીતે મનુષ્યમાં આસક્ત થવાની શક્તિ રહેલી છે, તે રીતે તેનામાં અનાસક્ત થવાની શક્તિ પણ રહેલી છે. પરંતુ એ શક્તિને વિકસાવવામાં આવી નથી.સ્વામી વિવેકાનંદ કહે છે, ‘મનુષ્ય પોતાની સર્વ શક્તિથી કોઈપણ બાબતમાં ઓતપ્રોત થઈ શકે અને જરૂર જણાય ત્યારે બધાંથી અળગો પણ થઈ શકે.’ આવો જ મનુષ્ય પ્રકૃતિ પાસેથી વધુમાં વધુ લાભ ઉઠાવી શકે.’એટલે કે બધામાં ઓતપ્રોત થવાની સાથે એટલા જ પ્રમાણમાં અલગ થઈ શકવાની શક્તિની પણ જરૂર છે. જેમને આ રીતે અનાસક્ત થતાં આવડે છે, તેઓ આસક્તિનો આનંદ લઈ શકે છે અને સાથે સાથે તેનાં દુઃખોમાંથી મુક્ત પણ રહી શકે છે. તેમને કોઈ વ્યક્તિ કે વસ્તુ બાંધી શકતાં નથી. એ વ્યક્તિ કે વસ્તુ તેમની પાસે હોય ત્યાં સુધી તેઓ એમની સાથે હોવાનો આનંદ લે છે, પણ જ્યારે તે ચાલ્યાં જાય છે, ત્યારે ન હોવાનું લેશમાત્ર દુઃખ તેમને હોતું નથી.

અલિપ્ત રહેવુંઃ

અલિપ્ત રહેવું, એટલે સંસારનો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યા જવું, એ નથી. કેમ કે જંગલમાં જવાથી કંઈ મનમાં રહેલી આસક્ત થવાની શક્તિ ચાલી જવાની નથી. જંગલમાં આસક્તિની વસ્તુ કે પાત્ર બદલાય, પણ મૂળ તો આસક્તિ જ હોય છે. સંસારની વચ્ચે રહીને, અનાસક્ત રહેવું હોય તો અલિપ્ત થતાં શીખવું પડે. જળકમળવત્ રહેવું એટલે કે સંસારની બાબતોથી ખરડાયા વગર, સ્થિર ભાવે સઘળાં કાર્યો કરતા રહેવું. તો પ્રશ્ન એ થાય છે કે સંસારની વચ્ચે રહીને અલિપ્ત કેવી રીતે રહી શકાય? આ માટે શ્રીરામકૃષ્ણદેવ મોટા ઘરની કામવાળીનું ઉદાહરણ આપે છે. જેમ મોટા ઘરની કામવાળી શેઠના દીકરાને ‘મારો હરિ, મારો હરિ’ કહે છે, પણ મનમાં તો સમજે છે કે આ મારો હરિ નથી. મારો હરિ તો ત્યાં ઝૂંપડામાં છે. મારું સાચું ઘર એ ઝૂંપડું જ છે, આ બંગલો નથી. આ રીતે મનુષ્ય પણ ભલે બંગલામાં એટલે કે સંસારમાં રહે, પણ મનમાં તો સમજે કે આ મારું સાચું ઘર નથી. આ મારાં સાચાં સગાંવહાલાં નથી. પણ મારું સાચું ઘર ત્યાં ભગવાન પાસે છે. આમ સમજીને જો મનુષ્ય સંસારમાં રહે તો તે સંસારથી અળગો રહી શકે છે. ખરેખર કમળની જેમ ખરડાયા વગર સંસારરૂપી કાદવની વચ્ચે પણ રહી શકે છે. માત્ર તેણે આ પ્રકારની દૃષ્ટિ કેળવવાની રહે છે. એ માટે શરૂઆતમાં જાગૃતપણે પ્રયત્ન કરવાનો રહે છે. શ્રીરામકૃષ્ણદેવ આગળ કહે છે કે ‘તમારા મનમાં સંસાર ન હોવો જોઈએ. તમે ભલે સંસારમાં હો, તેનો વાંધો નહીં. પાણીમાં નાવ હશે, તો વાંધો નથી. પણ નાવમાં પાણી જશે તો ડૂબી જશે.’ તેઓ બીજું ઉદાહરણ પાણીમાં તરતી કાચબીનું આપે છે. તેઓ કહે છે, ‘ભલે કાચબી પાણીમાં તરતી હોય, પણ તેનું ચિત્ત તો કાંઠા ઉપર જ હોય છે. જ્યાં તેણે ઇંડાં મૂક્યાં હોય છે.’ આ રીતે મનુષ્ય ભલે સંસારમાં હોય પણ જો એનું ચિત્ત ભગવાનમાં હોય તો તેને સંસાર ચોંટી શકતો નથી.

પરિસ્થિતિથી પોતાની જાતને અલગ કરવીઃ

આસક્તિથી ઘેરાયેલા મનુષ્યો પોતાનો વિવેક ગુમાવી બેસે છે. એમાં પણ લાગણી પ્રધાન લોકોને જો ફટકો પડે તો તેઓનું કોમળ હૃદય એ સહન કરી શકતું નથી. તેમને તો જીવનમાંથી પછી રસ જ ઊડી જાય છે. ત્યાં મનની સમજાવટ કે ચિંતન કામ લાગતાં નથી. તેમનું મન આઘાતમાંથી સહેલાઈથી બહાર નીકળી શકતું નથી. મોટાભાગના મનુષ્યો પોતાના મન આગળ હારી જાય છે. ભગવાન બુદ્ધ કહે છે કે ‘સહસ્ર સૈનિકો સામે લડવું સહેલું છે. પણ મન સામે લડવું ખૂબ જ અઘરું છે. કેમ કે મનમાં તો હજારો જન્મોના સંસ્કારો પડેલા હોય છે. એ માથું ઊંચું કરે ત્યારે તેની સામે લડવાની તાકાત ભલભલા મનુષ્યોમાં પણ હોતી નથી.’ તો આવા સમયે શું કરવું?

આવા સમયે પોતાની જાતને પરિસ્થિતિથી અલગ કરી દેવી. તટસ્થતાપૂર્વક પરિસ્થિતિનું અવલોકન કરવું. મનને સમજાવીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી લેવું. દા.ત. આપણે ટ્રેનમાં બેઠા હોઈએ અને જો બાજુના ડબ્બામાં આગ લાગી હોય તો આપણે શું કરીએ? આગ ઓલવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને છતાંય જો આગ ન ઓલવાય તો આપણા ડબ્બાને બાજુના ડબ્બાથી અલગ કરી દઈએ છીએ. જીવનમાં પણ એમ જ કરવાનું છે. ટ્રેનના ડબ્બાની જેમ જ આપણે આપણી જાતને અલગ કરી દેવાની છે. જેવી આપણે આપણી જાતને પરિસ્થિતિથી અલગ કરી કે એ જ ક્ષણે આપણને હેરાન – પરેશાન કરતાં બળોનું જોર અર્ધું તો તાત્કાલિક ઓછું થઈ જાય છે. એ પછી મનથી વિચાર કરતાં સંકલ્પપૂર્વક આસક્તિનાં પરિબળોમાંથી જલદીથી મુક્ત થઈ શકાય છે.

દિશા બદલી નાખવીઃ

જો મનનો સ્વભાવ એવો હોય કે તેને કોઈમાં આસક્ત થવું બહું જ ગમતું હોય, હૃદય કોઈને પ્રેમ કર્યા વગર રહી શકતું ન હોય તો શું કરવું? તો આસક્તિમાંથી કેવી રીતે મુક્ત થવું? એને માટેનો સરળ માર્ગ બતાવતાં શ્રીરામકૃષ્ણદેવ કહે છે,‘મોડ ફિરિયે દાવ.’ એટલે કે દિશા બદલી નાખવાની, આસક્તિનું પાત્ર બદલી નાંખવાનું. હૃદયને પ્રેમ કરવો ગમે છે તો ભલેને તે પ્રેમ કરતું, પણ ક્ષણભંગુર પદાર્થાે કે અલ્પાયુષી મનુષ્યને નહીં, પણ અમર એવા પરમાત્માને પ્રેમ કરવાનો. ભગવાનમાં આસક્તિ રાખવાની અને જેમ ભગવાનમાં આસક્તિ વધતી જશે તેમ અન્ય આસક્તિઓ એની મેળે છૂટતી જશે. મહાન ભક્ત ધનુર્દાસની બાબતમાં આમ જ બન્યું હતું.

તે સમયે શ્રીરંગમ્માં મોટો ઉત્સવ હતો. અસંખ્ય લોકો આવ્યા હતા. રામાનુજાચાર્ય પણ આ ઉત્સવમાં આવ્યા હતા. પ્રભુ શ્રીરંગમ્નો વરઘોડો નીકળ્યો હતો. કાવેરી નદીમાં સ્નાન કરીને રામાનુજાચાર્ય પ્રભુનો વરઘોડો જોવા આવ્યા. ત્યાં તેમણે એક વિચિત્ર દૃશ્ય જોયું. એક પડછંદ મનુષ્ય એક યુવતી ઉપર છત્ર ધરીને પાછા પગે ચાલી રહ્યો હતો. આથી તેમને આશ્ચર્ય થયું. તેમણે સેવકને એ યુવકને બોલાવી લાવવા કહ્યું. સેવકે પાછા આવીને રામાનુજાચાર્યને કહ્યું કે એ યુવક કહે છે કે ‘હું નહીં આવું. હું મારી પ્રેયસીને જોયા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી.’ આ સાંભળીને રામાનુજાચાર્ય હસ્યા. બીજા દિવસે સેવકને કહ્યું, ‘તું એને ખૂબ સમજાવીને પ્રેમપૂર્વક અહીં લઈ આવ.’ આખરે તે આવ્યો, ત્યારે રામાનુજાચાર્યે તેને પૂછ્યું, ‘તું શું કરી રહ્યો છે તેની તને ખબર છે?’

‘હા, હું મારી પ્રિયતમાને પ્રેમ કરી રહ્યો છું, એને જોયા વગર હું એકક્ષણ પણ રહી શકતો નથી.’

‘એ તો બહુ સરસ. પણ તું મને એ કહીશ કે એ યુવતીમાં તને એવું તે શું ગમ્યું કે તું એના વગર રહી શકતો નથી?’

‘મહારાજ, એનાં નેત્રો અતિ સુંદર છે. એની એ જાદુભરી મોહક આંખોમાં અપાર આકર્ષણ ભરેલું છે. એ નેત્રો જોયા વગર હું રહી શકતો નથી.’

‘અરે, હું તને એનાથી પણ વધારે સુંદર નેત્રો બતાવું તો?’

‘એનાથી વધારે સુંદર નેત્રો કોઈનાં હોઈ શકે જ નહીં.’

‘ચાલ મારી સાથે.’ એમ કહીને તેઓ તેને ભગવાન શ્રીરંગમ્ના મંદિરમાં લઈ ગયા. આરતીનો સમય હતો. અંધારું થઈ ગયું હતું. મંદિરના ગર્ભદ્વારમાં દીપક પ્રજ્વળતો હતો. એ દીપકના તેજમાં તેણે ભગવાન શ્રીરંગમ્નાં નેત્રો જોયાં, ‘અહાહા! આવાં અદ્ભૂત નેત્રો!’ બસ, તેણે એ અદ્ભૂત નેત્રો જોયા જ કર્યા. આરતી પૂરી થઈ ગઈ તો – પણ તે નેત્રોના આકર્ષણથી આકર્ષાઈને ત્યાં ઊભો જ રહ્યો. માંડ માંડ તેને ઘેર લઈ ગયાં. પણ એ નેત્રોનું એવું અદમ્ય આકર્ષણ તેના અંતરમાં જાગી ગયું હતું કે બીજે દિવસે સવારે તે મંદિરમાં પહોંચી ગયો. ત્યાં ઊભાં ઊભાં તેણે એ સુંદર નેત્રો જોયા જ કર્યાં. એ પ્રેયસીને ભૂલી ગયો. તેનું આકર્ષણ છૂટી ગયું. તેની પ્રેયસી હિડિંબા તેને શોધતી મંદિરમાં આવી પહોંચી. તેને પાછો લઈ જવા અનેક પ્રયત્નો કર્યા, પણ બધા વ્યર્થ ગયા. ઊલટું તેણે હિડિંબાને કહ્યું, ‘અરે, આ સુંદર નેત્રો તું પણ જો. તને પણ એ નેત્રોમાંથી અલૌકિક પ્રેમ મળશે.’ તે પાછો ન જ ગયો. હિડિંબાનો દાસ શ્રીરંગમ્ ભગવાનનો દાસ બની ગયો. પછી તો તે રાનુજાચાર્યનો માનીતો શિષ્ય ધનુર્દાસ બની ગયો. આમ ફક્ત આસક્તિનું પાત્ર બદલવાથી સમગ્ર જીવન બદલાઈ જાય છે.

શ્રીરામકૃષ્ણદેવને તેમના અંતરંગ શિષ્ય હરિપ્રસન્ને એક દિવસ પૂછ્યું, ‘ઠાકુર, મનમાંથી વાસનાઓ કેવી રીતે જાય?’

‘અરે, પૂર્વ તરફ આગળ વધવા માંડ,પશ્ચિમ એની મેળે છૂટી જશે.’ શ્રીરામકૃષ્ણે વાસનામાંથી મુક્ત થવાનો સરળમાં સરળ ઉપાય બતાવી દીધો. તેમણે સમજાવ્યું હતું કે વાસનાઓ વિશે વિચાર કરવો કે એની સાથે લડવું-ઝગડવું, એથી તો એના ઉપર ધ્યાન આપ્યું કહેવાય. એના કરતાં ભગવાનના રસ્તે ચાલવા માંડવાનું, એટલે વાસનાઓ આપઆપ છૂટી જશે.

રામચરિતમાનસના રચયિતા મહાન સંત ગોસ્વામી તુલસીદાસના જીવનમાં પણ આવું જ બન્યું હતું. યુવાન વયે તુલસીદાસ પોતાની પત્ની રત્નાવલીમાં એટલા બધા આસક્ત હતા કે પત્નીને એક દિવસ માટે પણ પિયર જવા દેતા નહીં. એક દિવસ તેઓ બહાર ગયા હતા, ત્યારે રત્નાવલીને તેડવા તેનો નાનો ભાઈ આવ્યો અને કહ્યું,‘મા બીમાર છે. તને બોલાવી છે.’ આ સાંભળીને રત્નાવલી એક ચિઠ્ઠી લખીને ભાઈ સાથે પિયર ચાલી ગઈ. તુલસીદાસ જ્યારે ઘરે આવ્યા ત્યારે રત્નાવલીને ન જોતાં બેબાકળા બની ગયા. ચિઠ્ઠી વાંચી, તેમનાથી રહેવાયું નહીં એટલે તેમણે શ્વસુર ગૃહની વાટ પકડી. રસ્તામાં નદી આવતી હતી. મહામુશ્કેલીએ નદી પાર કરી. મધ્યરાત્રિએ સસરાના ઘરે આવી પહોંચ્યા. કેટલીયે વાર બારણું ઠોક્યું, પણ કોઈએ ખોલ્યું નહીં. આખરે રત્નાવલીએ સાદ ઓળખ્યો. અને બારણું ખોલ્યું. પતિને જોઈને તેને શરમ આવી અને ઠપકો આપતાં તેણે કહ્યું,

लाभ न लागत आपुको, दौरे आये हुँ साथ,
धिक् धिक् ऐसे प्रेमको, कहाँ कहौ मैं नाथ।
अस्थि चरम-मय देह मम, तामें जैसी प्रीती,
तैसी जो श्रीराम में होत, न तौ होत भवभीति।।

આ વાક્યો તુલસીદાસને હૃદય સોંસરવાં ઊતરી ગયાં. તેમનું મર્મસ્થાન વીંધાઈ ગયું અને તે જ ક્ષણે તેમના અંતરમાં શ્રીરામ પ્રત્યેનો પ્રેમ જાગી ઊઠ્યો અને તત્ક્ષણ તેઓ રામને પામવા ચાલી નીકળ્યા. પછી તેમને પાછા વાળવા માટે રત્નાવલીની આંસુભરી વિનંતિઓ પણ કામયાબ ન નીવડી. તેમના પ્રેમનું, તેમની આસક્તિનું કેન્દ્ર બદલાઈ ગયું. સ્ત્રીની જગ્યાએ પરબ્રહ્મ સ્વરૂપ શ્રીરામ આવી ગયા. અને તેથી જગતને મળ્યા મહાન કવિ, સંતશિરોમણિ ગોસ્વામી તુલસીદાસજી, જેમના રામચરિતમાનસે અસંખ્ય લોકોના જીવનને પ્રભુ પ્રત્યે વાળવામાં મહાન ભાગ ભજવ્યો. આથી એમ પણ કહી શકાય કે જેટલી આસક્તિ વધારે ઉત્કટ, પછી ભલે તે વ્યક્તિમાં કે વસ્તુમાં હોય, તેટલી જ મહાન સંત થવાની શક્યતા પણ વધારે. ફક્ત એની દિશા જ બદલવાની રહે છે. ભગવાન પ્રત્યેની દિશા પકડવાથી તો મનુષ્ય પોતે સમૂળગો બદલાઈ જાય છે. તેની સર્વ આસક્તિઓ છૂટી જાય છે. શ્રીરામકૃષ્ણ મઠ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદજી એમના પુસ્તક ‘પરમ પદને પંથે’માં લખે છે, ‘ભક્ત જેમ ભગવાનને છોડીને રહી શકે નહીં, તેમ ભગવાન પણ ભક્તને છોડીને રહી શકે નહીં. પ્રેમાસક્ત યુવક – યુવતીની પેઠે. પરંતુ યુવક – યુવતીનો પ્રેમ રૂપ ઉપરનો અને ગુણ ઉપરનો, પોતાનાં સુખ અને સ્વાર્થની ખાટી ગંધભર્યો. જરાક આડાં-અવળાં ગયે યા હાલચાલમાં મેળ ન મળ્યે એ પ્રેમ લાંબો ટકે નહીં, કડવાશ મૂકી જાય. પરંતુ ઈશ્વરીય પ્રેમ સાવ નિષ્કામ, અપાર્થિવ, અંતહીન. એ પ્રેમસુધા જેટલી પીવાય તેટલી પિપાસા વધતી જાય. કોઈ રીતે આશા મટે નહીં. પ્રેમ,પ્રેમપાત્ર, પ્રેમિક અભેદ થઈ જાય. એકાકાર થઈ જાય ત્યારે એકમાત્ર આનંદ જ બાકી રહે.’ આ રીતે ભગવાનને પ્રેમ કરવાથી ભગવાન પોતે જ મળે છે અને ભગવાનની જ્યાં હાજરી હોય છે, ત્યાં દુઃખ કે અશાંતિ હોય જ ક્યાંથી? આમ સંસારમાં જળકમળવત્ રહીને, સુખદુઃખથી પર થઈને કે પછી ભગવાનમાં સંપૂર્ણ આસક્ત થઈને સાચાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.

જો જસ કરની તો તસ ફલ ચાખાઃ

જ્યારે જીવનમાં કોઈ અણધારી વિપત્તિ આવે છે, ત્યારે સામાન્ય રીતે મનુષ્યના મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે જીવનમાં આટલું બધું દુઃખ શા માટે છે? ભગવાન તો દયાળુ છે અને વળી પાછા તેઓ તો સર્વશક્તિમાન છે, તો દયા દાખવીને મનુષ્યોનાં દુઃખ દૂર કેમ કરી દેતા નથી? રાજકુમાર સિદ્ધાર્થના મનમાં પણ આ પ્રશ્ન ઊઠ્યો હતો કે ‘જગતમાં આટલું બધું દુઃખ કેમ છે?’ આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું અને પ્રશ્નનો ઉકેલ મેળવી બુદ્ધ બન્યા.આ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે આપણે પણ એ સ્થિતિમાં પહોંચવું પડે, કેમ કે આપણું નાનકડું મન અનંત અને અસીમ એવાં ભગવાનનાં કાર્યોને કેવી રીતે સમજી શકે? પોલ ડેવિસે ‘The Mind of God’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે આ સીમિત મનથી ભગવાનના મનને જાણી શકાતું નથી. એ તો સમાધિની સ્થિતિમાં મન જ્યારે શાંત અને નીરવ થઈ જાય, ત્યારે એ સ્થિતિમાં ઈશ્વરના મનને સમજી શકાય. પણ બધા મનુષ્યો કંઈ સમાધિ અવસ્થામાં જઈ શકે નહીં. તો પછી શું ઈશ્વરનાં કાર્યોને અને જીવનમાં આવતાં દુઃખોને ક્યારેય સમજી નહીં શકાય?

ના, એવું નથી. જીવનમાં આવતાં દુઃખો અને આઘાતોને સમજવા માટે માનસિક જગતમાં અફર એવો નિયમ છે. એ નિયમને સમજવાથી દુઃખોનો પ્રશ્ન મન દ્વારા થોડે ઘણે અંશે સમજી શકાય છે. જે નિયમ ને ‘રામચરિતમાનસ’માં તુલસીદાસજીએ આ રીતે વર્ણવ્યો છે કે ‘જો જસ કરની તો તસ ફલ ચાખા’- એટલે કે જેવાં કર્માે કરો તેવું જ ફળ મળે. આ નિયમને કર્મના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.

જેમ ભૌતિક જગતમાં સ્થૂળ પદાર્થાેની બાબતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રવર્તે છે કે ઉપરથી ફેંકવામાં આવેલો પદાર્થ વચ્ચે કોઈ અવરોધ ન આવે તો નીચે જ પડે છે. એ જ રીતે માનસિક જગતનો નિયમ છે કે જેવું કર્મ કરો તેવું ફળ પામો. ‘કરો તેવું પામો.’ ભૌતિક અને માનસિક જગતના આ બંને નિયમો અફર છે. એને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે એથી એની સચ્ચાઈમાં કંઈ ફેર પડતો નથી. સારાં કર્માે કરનારાને સારું ફળ મળે અને ખરાબ કર્માે કરનારને ખરાબ ફળ મળે છે. આમાં લાંચ આપીને કોઈ છટકી શકતું નથી. પણ તો પછી એક પ્રશ્ન એ ઊઠે છે કે સત્યનું પાલન કરનારાઓ, પ્રભુના ભક્તો આ બધાંને જીવનમાં બહુ દુઃખ પડે છે, જ્યારે દુષ્ટ લોકો સુખી જણાય છે. આમ કેમ થાય છે? આ વિરોધાભાસને સમજવા આપણે કેવા કેવા પ્રકારના કર્માે, કેવી કેવી રીતે ફળ આપે છે, તેની સમજ મેળવવી પડશે.

ત્રણ પ્રકારનાં કર્માેઃ

ક્રિયમાણ કર્મઃ ભૂખ્યો માણસ જમી લે એટલે તુરત જ તૃપ્તિ મળી જાય છે. કોઈ આગમાં હાથ નાખે તો તાત્કાલિક દાઝી જાય છે – જે કર્મ કરતાં તાત્કાલિક ફળ મળે એ ક્રિયામણ કર્મ.

સંચિત કર્મઃ જે ક્રિયામણ કર્માે સંચિત થઈ જાય અને પછી ફળ આપે તે સંચિત કર્મ છે. દા.ત. જો કોઈ દાન આપે, અને દાનની જાહેરમાં પ્રશંસા ન થાય તો તે સંચિત કર્મ બની ગયું. અને તે તેના ખાતામાં જમા થઈ જાય છે. પણ જો જાહેરમાં પ્રશંસા થઈ ગઈ તો એ ક્રિયામણ કર્મ બની જતાં જમા થતું નથી.

પ્રારબ્ધ કર્મઃ સંચિત કર્માે જ્યારે ફળરૂપે આવે છે, ત્યારે તે પ્રારબ્ધ કર્મ બને છે. પ્રારબ્ધ કર્મ એટલે બીજું કંઈ નહીં પણ પૂર્વે કરેલો પુરુષાર્થ. અગાઉ કરેલો પુરુષાર્થ સંચિત કર્મરૂપે જમા થઈને પછી ભાગ્ય રૂપે આવે છે. આથી જેવાં કર્માે કર્યાં હશે, તેવું ભાગ્ય ઘડાશે. દરેકને તેના સંચિત કર્મ પ્રમાણે ફળ મળે છે. ભગવાનના સુપર કોમ્યૂટરમાં બધાંની નોંધ લેવાય છે. દરેક કર્મ પ્રમાણે તેનાં ફળ પણ નક્કી જ હોય છે. પણ તે ફળ ક્યારે મળશે તે અગાઉથી જાણી શકાતું નથી. દરેક વ્યક્તિનું એક ગુપ્ત ખાતું રહેલું છે. તેમાં સારાં અને ખરાબ કાર્યોનું ફળ જમા થાય જ કરે છે. એમાં પાછું એવું નથી કે ખરાબ કર્માેનું ફળ પછી થોડું સારું કર્મ કરીને ભૂંસી નાંખી શકાય. આ ગુપ્ત ખાતામાં બંને પ્રકારનાં ફળ જમા થયા કરે છે, અને તે પ્રમાણે દરેકને ભોગવવાં પડે છે.

કર્મનું ફળ કેવી રીતે મળે છે?

કર્મનું ફળ જીવનમાં બે રીતે આવે છે. એક તો મનમાં સંસ્કારરૂપે અને બીજું વિશ્વમાં વ્યાપકરૂપે. તેમાં પ્રથમ વિશે જોઈએ તો જેવા મનના સંસ્કાર તેવી તેની ગતિવિધિ બને છે. જેઓ સત્કાર્યો કરે છે, પોતે દુઃખ વેઠીને અન્યની સેવા કરે છે, તેમના મનમાં અજ્ઞાત રીતે પણ આ સત્કાર્યોની છાપ પડે છે. તેથી મનમાં પ્રસન્નતા અને ઉલ્લાસ રહે છે. મનની શક્તિ વધે છે. મન વધુને વધુ સારાં કાર્યો કરવા ઉત્સાહિત રહે છે. આ થયા સત્કાર્યના સંસ્કાર અથવા તો તેની મનમાં પડેલી છાપ. સત્કાર્યોના સંસ્કારથી સદ્બુદ્ધિ થાય છે. સદ્બુદ્ધિથી બીજાં અનેક શુભ કાર્યો થાય છે. આમ શુભ કાર્યોનું પ્રમાણ ઉત્તરોતર વધતું રહે છે. એથી ઊલટું ખરાબ કાર્યો કરનારના મનમાં ખરાબ સંસ્કારો પડે છે. આ ખરાબ સંસ્કારો વધારે ખરાબ કર્માેમાં ખેંચી જાય છે. તેથી મનમાં અશાંતિ આવે છે, વ્યગ્રતા આવે છે, અસલામતી આવે છે. તેવું મન વધારે ને વધારે નીચે ખેંચી જાય છે. પછી તેવો મનુષ્ય વધુ ને વધુ દુષ્કૃત્યો કરતો રહે છે.

બીજી રીતે કર્મનું ફળ વિશ્વમાં વ્યાપકરૂપે મળે છે. સારાં કર્માે કરનારને સત્કાર્યનું કદી ખરાબ ફળ મળતું નથી. તેમ ખરાબ કર્માે કરનારને એનું કદી સારું ફળ મળતું નથી. તો પછી જગતમાં ખરાબ કર્માે કરનારા સુખી કેમ છે?

દુષ્ટ લોકો સુખી કેમ છે?

આ પ્રશ્નના જવાબ માટે આપણે સંચિત કર્માે જોવાં પડે છે. જો કોઈ વ્યક્તિના પૂર્વજન્મોનાં સંચિત સત્કર્માેને લઈને તેનું પુણ્યનું ખાતું વધારે સધ્ધર હોય તો આ જન્મમાં ખરાબ કર્માે કરવા છતાં એને દુઃખ મળતું નથી. પરંતુ જ્યારે એમનાં પુણ્યો ખર્ચાઈ જાય છે, પછી એમનાં કુકર્માેનું ફળ મળવું શરૂ થઈ જાય છે અને દુષ્કર્માેનું ફળ અવશ્ય મળે જ છે. ઘણી વખત ખૂનીઓ નિર્દાેષ છૂટી જતા હોય છે, પુરાવાના અભાવે કે શકનો લાભ આપીને ન્યાયાધીશ તેને છોડી મૂકે છે, પણ તે ભગવાનની કોર્ટમાં છૂટી શકતો નથી. અલબત્ત, જ્યાં સુધી તેના પુણ્યના ખાતામાં રહેલું પુણ્ય ખર્ચાઈ જતું નથી, ત્યાં સુધી તેને દુઃખરૂપી સજા થતી નથી. અને ત્યાં સુધી ખૂની નિર્દાેષ હોય એમ અમનચમન કરતો હોય છે. પણ પુણ્ય ખલાસ થઈ જતાં પછી કોઈ ને કોઈ રીતે તેને એ કુકર્માેનાં ફળ ભોગવવાં જ પડે છે.

પરંતુ કયાં કર્માેનું ફળ ક્યારે કેટલા પ્રમાણમાં મળશે, તે અગાઉથી જાણી શકાતું નથી. એમાં એવું છે કે ફળ જેટલાં મોડાં મળે તેટલાં વધારે મળે. દુષ્કૃત્યો અને સત્કૃત્યો બંનેમાં એવું છે. તેથી દુષ્કૃત્યોનાં ફળ જેટલાં વહેલાં ભોગવી લેવામાં આવે, તેટલું ઓછું ફળ જમા થાય છે. દા.ત. કોઈને એક તમાચો આપણે માર્યો હોય અને બદલામાં બે તમાચા તેણે તુરત જ મારી લીધા તો એ ફળ તાત્કાલિક મળી ગયું અને ઓછું મળી ગયું. પણ જો તાત્કાલિક તમાચા ન મળ્યા અને જમા થયા તો ભવિષ્યમાં દશ તમાચા કે વધારે માર ખાવો પડે. પણ એ જ રીતે સત્કર્માેનું ફળ જેટલું મોડું મળે તેટલું વધારે સારું. કેમ કે તે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળે છે. દા.ત. કોઈએ સત્કર્મ કર્યું અને તેની જાહેરમાં પ્રશંસા થઈ તો એ ફળ તેને તુરત જ મળી ગયું પણ જો એ ફળ જમા થયું હોય તો વર્ષાે પછી એના મનની ઉચ્ચ સ્થિતિ રૂપે શુભ સંસ્કારો રૂપે મળે છે. જેમને સત્કર્માેના ફળની બિલકુલ આશા નથી એમને તો લાંબે ગાળે અનંત સુખ પરમ શાંતિ રૂપે એ ફળ મળે છે. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં નિષ્કામ કર્મ કરવા કહે છે. તેઓ કહે છે, ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.’ – કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફળની ઇચ્છા રાખવી યોગ્ય નથી. ફળની ઇચ્છા માટે કર્મ કરનારાઓને તેઓ કૃપણોઃ ફલહેતવઃ કહે છે. એટલે કે જેઓ ફળનો હેતુ રાખીને કર્મ કરે છે તેઓ કૃપણ એટલે કે દીન જ છે. આથી કર્માેનાં બંધનમાંથી જો મુક્ત થવું હોય તો ફળની આશા વગર કર્માે કરવાથી અનંત ફળ મળે છે!

નાનાં બાળકોને દુઃખ-દર્દ શા માટે?

જો કર્મ પ્રમાણે ફળ મળતાં હોય તો નાનાં બાળકોએ કંઈ જ ખરાબ કર્માે કર્યાં હોતાં નથી. પણ ઘણાં નાનાં બાળકો દુઃખ-દર્દથી પીડાતાં હોય છે. કોઈને પોલિયો થયો હોય છે. કોઈને થેલેસિમિયા હોય છે. કોઈ મંદબુદ્ધિનાં હોય છે. એમને શા માટે આવું દુઃખ પડે છે? આ પ્રશ્નનો ઉત્તર પણ આપણને કર્મનો સિદ્ધાંત જ આપે છે. ભલે આ જન્મમાં નાનાં બાળકોએ કોઈ દુષ્કર્માે કર્યા નથી, પણ અગાઉના જન્મોનાં સંચિત કર્માેનું ફળ તેમને ભોગવવું પડે છે. ઘણી વખત મનુષ્યો દુઃખમાંથી છૂટી જવા આત્મહત્યા કરે છે, પણ એથી શું તેઓ ખરેખર દુઃખમાંથી છૂટે છે ખરા? આત્મહત્યા કરનારાઓ દેખીતી રીતે તો પોતાનું જીવન ટૂંકાવીને દુઃખ મુક્તિ મેળવીલે છે, પણ એથી કંઈ તેઓ તેમને જે ભોગવવાનું છે એ દુઃખમાંથી જરા પણ મુક્ત થતા નથી. ઊલટાનું તેમણે ભગવાને આપેલું જીવન હાથે કરીને ટૂંકાવી નાંખ્યું હોવાથી એ મહાપાપ એમના ખાતામાં ઉમેરાતાં બીજા જન્મમાં, આ જન્મમાં દુઃખ હતું તેના કરતાં પણ ઘણું વધારે દુઃખ ભોગવવું પડે છે. મૃત્યુ પણ મનુષ્યને એના કર્મનાં ફળ ભોગવવામાંથી મુક્ત કરી શકતું નથી. આ હકીકત સમજાતી ન હોવાથી મનુષ્ય દુઃખમાંથી મુિક્ત મેળવવા આત્મહત્યાનો આશરો લે છે.

એ જ રીતે સાધના કે તપ કરતાં જો કોઈ મનુષ્ય મૃત્યુ પામે તો તેનું ફળ પણ અટકી જતું નથી. તે બીજા જન્મમાં અવશ્ય મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, ‘शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते।’ -એટલે કે બીજા જન્મમાં તેને પવિત્ર શ્રીમંત ઘરમાં જન્મ મળે છે. અથવા તો તેઓ બુદ્ધિમાન યોગીઓના કુળમાં જ જન્મે છે. ભગવાને એમ પણ કહ્યું છે કે શુભકર્માે કરનારો કોઈપણ મનુષ્ય ક્યારેય દુર્ગતિને પામતો નથી. આ લોકમાં અને પરલોકમાં એનો વિનાશ થતો નથી. આમ સત્કર્માે અને દુષ્કર્માેનાં ફળ મનુષ્યની સાથે જન્મોજન્મ સંકળાયેલાં રહે છે. માટે કર્માેની બાબતમાં મનુષ્યે સાવધાન રહેવું જરૂરી છે.

દુઃખને જોવાની દૃષ્ટિ

‘આવું દુઃખ મને જ કેમ આવ્યું?’ આમ વિચારીને માણસ વધારે દુઃખી થાય છે. પણ જો તે કર્મનો નિયમ જાણતો હોય તો દુઃખને જોવાની તેની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે. કેમ કે હવે તે જાણી શકે છે, ‘આ તો ભૂતકાળનાં કે ગતજન્મોનાં મારાં સંચિત કર્માેનું ફળ છે. એથી આ દુઃખ જેટલું જલદી ભોગવાઈ જાય તેટલું વધારે સારું’,જેમને જ્ઞાન દૃષ્ટિ છે, તેઓને દુઃખ ભોગવવાથી ખુશી થાય છે કે એટલું પાપનું ખાતું ઓછું થયું.ઊલટું જ્યારે સુખ આવે છે, ત્યારે તેમને ગ્લાનિ થાય છે કે હવે ખાતામાંથી પુણ્ય ઓછું થઈ રહ્યું છે. આ રીતે સાચી સમજ આવવાથી સુખ અને દુઃખ પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ જતાં દુઃખ પછી વધારે પીડાકારક રહેતું નથી.

આ ઉપરાંત ‘કર્મના નિયમ’દ્વારા બીજી એક સમજ પણ જાગ્રત થાય છે કે આપણે જે કંઈ દુઃખ ભોગવીએ છીએ તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ. નથી ભગવાન જવાબદાર કે નથી નસીબ જવાબદાર. પણ ભૂતકાળમાં કરેલાં આપણાં કર્માે જ આ દુઃખને માટે જવાબદાર છે. આ સમજ આવતાં અન્ય ઉપરનું દોષારોપણ આપોઆપ અટકી જાય છે, ફરિયાદો ઘટી જાય છે. તેથી આંતરિક શક્તિ વધે છે, દુઃખ સહન કરવાની શક્તિ પણ વધે છે. ઉપરાંત જો મારાં દુઃખને માટે હું જવાબદાર હોઉં તો આ દુઃખ મારે જ ભોગવી લેવું જોઈએ! એ સમજથી દુઃખ ભોગવવાની શક્તિ વધી જાય છે અને એનું એ જ દુઃખ હોવા છતાં માનસિક રીતે એ દુઃખની માત્રા ઓછી થઈ જાય છે.

વળી વ્યક્તિ એમ પણ વિચારતી થઈ જાય છે કે ‘આ વર્તમાનનું દુઃખ ભૂતકાળનાં કર્માેનું પરિણામ છે. તો પછી જો મારે ભવિષ્યમાં દુઃખ ન ભોગવવું હોય તો વર્તમાનમાં એવાં દુષ્કૃત્યો કરવાં ન જોઈએ.’ આથી દુષ્કૃત્યો ઉપર આપોઆપ નિયંત્રણ આવી જાય છે.

ઉજ્જવળ ભવિષ્યની પ્રેરણા

વર્તમાનનું દુઃખ ભોગવતાં ભોગવતાં વ્યક્તિમાં એક આત્મવિશ્વાસ પણ જાગે છે. વ્યક્તિ એવું વિચારતી થઈ જાય છે કે આ વર્તમાન દુઃખ મારાં પૂર્વનાં કર્માેનો સંચય થઈને મને પ્રારબ્ધરૂપે મળ્યું છે, તો પછી મારાં વર્તમાન કર્માેથી હું મારા ભવિષ્યના પ્રારબ્ધનું નિર્માણ અવશ્ય કરી શકીશ. મારું ભવિષ્ય મારાં અત્યારનાં કર્માે દ્વારા ઘડાશે! આ સમજ જાગ્રત થતાં વ્યક્તિમાં એક અદ્ભુત શક્તિનો સંચાર થવા લાગે છે. પછી તે વર્તમાન દુઃખના બોજા હેઠળ કચડાતાં, રિબાતાં, દુઃખ રડતાં, આંસુ સારતાં જીવન વિતાવવાને બદલે ઉત્તમ કર્માે દ્વારા ભવિષ્ય નિર્માણના કાર્યમાં લાગી જશે અને એથી એનું વર્તમાન દુઃખ આપોઆપ ઓછું થઈ જશે. વ્યક્તિને જ્યારે ખબર પડે છે કે ‘મારા જીવનનું સ્ટીયરિંગ વ્હીલ મારા જ હાથમાં છે અને હું ધારું તે રીતે તેને લક્ષ્યાંકે પહોંચાડી શકું તેમ છું.’ ત્યારે તે દુઃખ રડવામાં અને માથે હાથ દઈને બેસી રહેવામાં સમય વેડફી નાંખવાને બદલે વર્તમાન સત્કાર્યો દ્વારા ભવિષ્યને ઘડવામાં લાગી જશે. તે માટેની તેનામાં અપૂર્વ હિંમત આવી જશે.

આ ઉપરાંત મનુષ્યમાં કર્મ અને તેનાં ફળ વિશે ચિંતન કરતાં કરતાં તેનામાં અંતર્દષ્ટિ ખીલે છે. તેને થાય છે કે શું આ કર્મના વહેતા પ્રવાહમાં પોતે હંમેશા વહ્યે જ જવાનું છે? કર્મનાં સારાં કે માઠાં ફળ ભોગવવાં જીવનમરણના ચક્રમાંથી વારંવાર પસાર થયા જ કરવાનું છે? શું આમાંથી ક્યારેય મુક્ત થઈ શકાશે નહિ? આ ચિંતનમાંથી એની સમક્ષ ખુલી છે એક નવો માર્ગ. કર્મ અને તેનાં ફળના નિયમની પેલે પારનો માર્ગ અને તે છે ભગવદ્કૃપાનો માર્ગ, શરણાગતિનો માર્ગ.

કૃપા હી કેવલમ્ઃ

ભગવાનની અદ્ભુત સ્વયંસંચાલિત વ્યવસ્થા તો છે જ કે ‘કરે તેવું પામે.’ આ વ્યવસ્થામાં ભગવાન પોતે પણ દખલ કરતા નથી. તેઓ પોતે પણ જો અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર આવે તો તેમને પણ કર્મ પ્રમાણે ફળ ભોગવવાં જ પડે. ભગવાનના દશે અવતારોની કથા દ્વારા આ જાણી શકાય છે. તો પ્રશ્ન થાય છે કે શું કર્મફળમાંથી કોઈ રીતે એને મુક્તિ મળી શકે નહીં? ભગવાનના નિયમો એટલા બધા ચુસ્ત અને જડ છે કે તેમાં કોઈ જ પરિવર્તન થઈ શકે નહીં ? અલબત, સામાન્ય મનુષ્યો માટે તો આ નિયમ અફર છે જ, પણ એમ છતાં આ નિયમો જડ નથી. એમાં પરિવર્તન લાવી શકાય છે. મનુષ્ય પોતાના અંતરની તીવ્રતમ પ્રાર્થના દ્વારા, નામજપ દ્વારા આમાં પરિવર્તન લાવી શકે છે. શ્રીમા શારદાદેવી કહે છે કે ‘જેઓ ભગવાનના નામનું સતત રટણ કરે છે, તેમના વિધિએ લખેલા લેખ વિધાતા પોતે પોતાના હાથેથી ભૂંસી નાખે છે. એટલે કે ભાગ્યને પલટાવવાની, પ્રારબ્ધ કર્માેમાંથી મુક્તિ આપવાની શક્તિ ભગવાનની કૃપામાં રહેલી છે. જેઓ ભગવાનના શરણમાં આવે છે, અને તેમની કૃપા પ્રાપ્ત કરે છે, તેઓ કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે.’

કોને કૃપા મળેે?

જેઓ ભગવાનના સંપૂર્ણ શરણાગત છે, સાચા ભક્ત છે, તેઓ જ કૃપાપાત્ર છે. પણ જેઓ સ્વાર્થી વૃત્તિવાળા છે, ભગવાનનું ભજન-પૂજન પણ સ્વાર્થ માટે જ કરતા હોય છે,એવા ભક્તોને કૃપા મળતી નથી. શ્રીરામકૃષ્ણદેવ આવા ભક્તોને પટવારી બુદ્ધિના ભક્તો- એટલે કે વ્યાપારી બુદ્ધિવાળા ભક્તો કહે છે.તેઓ એમ કહેતા હોય છે કે ‘બધું જ ઈશ્વરની ઇચ્છાથી થાય છે. હું ભ્રષ્ટાચાર કરું તો એ પણ ઈશ્વરની ઇચ્છાથી થાય છે. એણે મને એવી બુદ્ધિ આપી, એવું સુઝાડ્યું, એટલે મેં એવું કર્યું. એમાં મારો કોઈ દોષ નથી. મારી કોઈ જવાબદારી નથી.’ આવા લોકો કરે છે, પોતાની મરજી પ્રમાણે અને જવાબદારી ભગવાન ઉપર નાખી દે છે. આ વિશે શ્રીરામકૃષ્ણદેવ એક સુંદર દૃષ્ટાંતકથા કહે છે, ‘એક માણસે સુંદર બગીચો બનાવ્યો, પણ એક ગાય દરરોજ બગીચામાં ઘૂસીને છોડાવાઓ ખાઈ જતી. એક દિવસ તેને ખૂબ ગુસ્સો ચઢતાં, જેવી ગાયને જોઈ કે પાસે પડેલું એક લાકડું ઉપાડીને જોરથી ગાયને માર્યું અને ગાય મરી ગઈ.તેથી હવે ગોહત્યાનું પાપ તેની પાસે આવ્યું. ત્યારે તેણે એ પાપને કહ્યું, ‘ગાય કંઈ મેં નથી મારી. મારા હાથે મારી છે. અને હાથના દેવતા તો ઈન્દ્ર છે. તેથી તું ઈન્દ્રદેવ પાસે જા.’ ગોહત્યાનું પાપ ઈન્દ્રદેવ પાસે પહોંચ્યું. ઈન્દ્રે બધી હકીકત જાણી. પછી તે બ્રાહ્મણનું રૂપ લઈને તે માણસ પાસે આવ્યો અને બગીચાનાં વખાણ કરી કહ્યું, ‘વાહ, આવો સુંદર બગીચો કોણે બનાવ્યો?’ ‘મેં બનાવ્યો.’ તેણે કહ્યું, ‘આવાં સુંદર વૃક્ષો કોણે વાવ્યાં?’ ‘મેં વાવ્યાં.’ તેણે અભિમાનથી કહ્યું અને પછી ઈન્દ્રે પૂછ્યું, ‘આ ગાય કોણે મારી?’ ‘તો તેણે કહ્યું ‘ઈન્દ્રે મારી.’ ‘વાહ રે! આ બધું તેં કર્યું અને ગાય ઈન્દ્રે મારી? લે, આ તારું ગોહત્યાનું પાપ.’ આમ કહીને ઈન્દ્રે તેને ગોહત્યાનું પાપ આપી દીધું અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા.

આ દૃષ્ટાંતકથા એ બતાવે છે કે માણસો મોટેભાગે સારું કર્યાનો યશ પોતે લે છે અને દુષ્કૃત્યોની જવાબદારી ઈશ્વર ઉપર નાંખી દે છે. આવા મનુષ્યો અને ભક્તોને માટે કૃપા કામ કરતી નથી. એમને તો કર્માેનાં ફળ ભોગવવાં જ પડે છે.

શરણાગત ભક્તો અને કૃપા

જેઓ ભગવાન ઉપર સંપૂર્ણપણે નિર્ભર છે, એવા શરણાગત ભક્તોને માટે ભગવાનની કૃપાધારા નિરંતર વહે છે. આવા ભક્તોના મનમાં કદી એવો વિચાર આવે જ નહીં કે ‘પાપ કરીએ તો તેની જવાબદારી મારી નહીં પણ ભગવાનની.’ એમના મનમાં પાપનો વિચાર પણ આવતો નથી. જેમ નિષ્ણાત નૃત્યકારના પગ કદી બેતાલ પડતા નથી તેમ ભગવાનને આધીન ભક્તની ચેતના ભગવાન સાથે એકાકાર હોવાથી તેનાથી કદી ખોટું આચરણ થતું નથી. જીવનમાં આવતાં સઘળાં સુખદુઃખોને ભગવાનની પ્રસાદી માનીને આવા ભક્તો આનંદથી સ્વીકારી લે છે. નરસિંહ મહેતાના જીવનમાં કેટકેટલાં દુઃખો આવ્યાં હતાં. એકનો એક પુત્ર મરી ગયો.ભક્તિમતી સતી સાધ્વી એવી પત્નીનું મૃત્યુ થયું, ત્યારે સહેજ પણ વિચલિત થયા વગર કે ભગવાન આગળ ફરિયાદ કર્યા વગર તેમણે ગાયું કે ‘ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રીગોપાળ!’ આ છે સંપૂર્ણ શરણાગત ભક્તનો ભાવ. તેમનામાં એવી અતૂટ શ્રદ્ધા હોય છે કે ભગવાન જે કંઈ કરે છે, તે મંગલ જ હોય છે. એ રીતે જોતાં સામાન્ય મનુષ્યોને જે દુઃખરૂપ જણાય છે તે ભક્તોને જણાતું હોતું નથી. પ્રહ્લાદ, સુધન્વા, નરસિંહ મહેતા, મીરાંબાઈ, સુરદાસ આ બધા ભક્તોને સામાન્ય મનુષ્યોની દૃષ્ટિએ તો કેટલું બધું દુઃખ હતું! પરંતુ તેઓ ભગવાનની ઇચ્છા માનીને સઘળાં દુઃખો સ્વીકારી લે છે, એવા જ ભક્તોનું સઘળું યોગક્ષેમ ભગવાન વહન કરે છે. એમના માટે જ કૃપાનો માર્ગ ખુલ્લો થાય છે. ભગવાનની કૃપા અનેક જન્મોનાં બંધનો એક જ જન્મમાં કાપી નાખે છે. આ ભગવદ્ કૃપાના કાયદાને લઈને જ તો દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી અને અધમમાં અધમ મનુષ્યોને માટે પણ દિવ્યતાના દરવાજા ખુલ્લા રહે છે. પરંતુ મનુષ્યે એ કૃપાને પાત્ર બનવું જોઈએ અને તે માટે સતત પ્રયત્ન કરવો જોઈએ.

મુઝસા બૂરા ન કોઈઃ

જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ સતત બીજાના દોષ જોતા રહે છે, એમનું જીવન પણ પછી એ ખામીઓવાળું બની જાય છે. કેમ કે અન્યની ભૂલો અને ખામીઓ સતત નિરીક્ષણ કરતાં, એનું ધ્યાન કરતાં,અન્યને રસપૂર્વક એની વિગતો આપતાં, એમનું મન સતત આ દોષોમાં જ રચ્યું રહે છે. અને તેથી પછી એ દોષો એમની ચેતનામાં સંક્રમિત થઈ જાય છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, ‘यति तत्कत् सरूपताम्’ – એટલે કે માણસ જેનું ધ્યાન કરે છે, ચિંતન કરે છે, તેના જેવો તે બને છે. બીજાના દોષોનું જેઓ ધ્યાન કરે તો તે એ દોષોવાળો બની જાય છે. અને એથી એની શાંતિ તો ગુમાવી દે છે, પણ અન્યની શાંતિને પણ હરી લે છે.

એને કંઈ આવડતું નથી, ખાલી મોટી વાતો જ કરે છે, એ તો ભારે કંજૂસ છે. એના તો ચાવવાના જુદા અને બતાવવાના જુદા છે -એને હું ઓળખુંને? કામ કરે કંઈ નહીં અને જાણે બધું પોતે કર્યું હોય એવો દેખાવ કરતાં તેને ભારે આવડે છે- આમ શું ઘરમાં કે શું બહાર -સમાજમાં, ઓફિસમાં, બેંકમાં, લગભગ દરેક સ્થળે બધા એકબીજા પર દોષારોપણ સતત કર્યા કરતા હોય છે. જ્યાં દૃષ્ટિ જ દોષદેખી બની ગઈ હોય ત્યાં પછી કોઈનું કંઈ સારું દેખાતું જ નથી. જો માણસ પોતાના સમયનું વિશ્લેષણ કરે તો તેને મળેલા ફુરસદના સમયનો મોટોભાગ આ દોષ-દર્શનમાં જ વીતતો હોય છે. જ્યાં મન બીજાના દોષોથી ભરેલું હોય ત્યાં એવા મનમાં શાંતિ ઊતરે ક્યાંથી? શાંતિને આવવા માટે જગ્યા તો જોઈએ ને? અહીં તો બીજાએ શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ – એ બીજાઓથી મન આખું ભરેલું છે, ત્યાં પોતાના માટે જગ્યા પણ ક્યાં છે? બીજા બધા ખરાબ, હલકા, ભ્રષ્ટાચારી, વિશ્વાસઘાતી છે, માત્ર પોતાનામાં જ બધા ગુણો છે એમ મનુષ્ય માને છે. આ સંદર્ભમાં એક સંતે કહ્યું હતું કે જ્યારે તમે બીજાના દોષો સામે આંગળી ચીંધો છો, ત્યારે યાદ રાખજો કે તેની સામે તો એક આંગળી તકાય છે, પણ બાકીની ત્રણ આંગળી તમારી તરફ રહે છે, એ ધ્યાન રાખો. એટલે કે જે અવગુણો બીજામાં છે, તેના કરતાં ત્રણગણા અવગુણો તમારી અંદર છે, એનું તો પહેલાં જુઓ. કબીરજીએ પણ કહ્યું છે,

‘ બૂરા જો દેખન મૈં ચલા, બૂરા ન દિખા કોઈ
જો દિલ દેખા આપના, મુઝસા બૂરા ન કોઈ’.

સંત કબીર બૂરા મનુષ્યને શોધવા નીકળ્યા તો તેમને કોઈ ખરાબ માણસ જ ન મળ્યો. પણ પોતાની અંદર જોતાં તેમને જણાયું કે મારા જેવો ખરાબ તો બીજો કોઈ નથી. એટલે કે બીજાના દોષ જોવા કરતાં પોતાના દોષ જોવા જોઈએ.

શ્રીમા શારદાદેવીએ પોતાની અંતિમ વિદાયના ત્રણ દિવસ પૂર્વે એક ભક્ત સ્ત્રીને ઉપદેશ આપતાં કહ્યું હતું, ‘દીકરી, જો શાંતિ ઇચ્છતી હોય તો કોઈના દોષ જોઈશ નહીં. દોષ પોતાના જોજે. આ જગતમાં કોઈ પારકું નથી. બધાં પોતાનાં છે.’ ખરેખર જેઓ જગતમાં બધાંને પોતાનાં માને છે અને કોઈના દોષ જોતાં નથી, એમને કોઈ જાતનો ભય હોતો નથી, કોઈ ઉદ્વેગ થતો નથી. અન્યના દોષ જોવા જેવી તદ્દન નકામી બાબતમાં તેમનો સમય અને શક્તિ વેડફાતાં નથી. એ સમય શક્તિનો ઉપયોગ અન્ય મહત્વનાં કાર્ય માટે કરી શકવાથી એમના પોતાના જીવનનો ઝડપી વિકાસ કરી શકે છે. વળી એમના મનમાં કોઈના દોષોનો કૂડો-કચરો ન હોવાથી મન સ્વચ્છ અને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે. વળી વ્યક્તિ પોતાના દોષ પ્રત્યે જાગ્રત થવાથી એની નબળાઈઓ અને ખામીઓને દૂર કરવા તે પ્રયત્નશીલ બને છે. જેમ જેમ મનુષ્ય પોતાના દોષો દૂર કરતો જાય છે, તેમ તેમ તેને જીવનમાં વધુ ને વધુ આનંદ મળતો જાય છે. કંઈક મેળવ્યાની તૃપ્તિ અનુભવે છે. એના જીવનમાં વધુ ને વધુ શાંતિ ઊતરી આવે છે. મહાત્મા ગાંધીજીના ઓરડામાં ત્રણ વાંદરાઓની મૂર્તિ હતી. તેમાં એકના બંને હાથથી આંખો ઢાંકેલી હતી, બીજાના બંને હાથથી કાન ઢંકાયેલા હતા અને ત્રીજાના બંને હાથ મુખ ઉપર હતા. એ એમ સૂચવતા હતા કે કોઈનું બૂરું જોવું નહીં, કોઈનું બૂરું સાંભળવું નહીં અને કોઈનું બૂરું બોલવું નહીં. જો મનુષ્ય પોતાના જીવનમાં આ ત્રણ વાંદરાની વાત ચરિતાર્થ કરે તો એને જીવનમાં શાંતિ તો મળે જ, પણ સાથે સાથે જીવનનો આનંદ પણ મળે જ.

નિંદક નિયરે રાખીએ

સામાન્ય મનુષ્યોના મનમાં હંમેશાં બીજાઓ શું કહે છે, એનો ભારે ડર રહેતો હોય છે. તેઓ પોતાની રીતે જીવન જીવતા નથી. પણ બીજાઓ ટીકા ન કરે, એથી પોતાની ઇચ્છા ન હોય તે રીતે જીવન જીવે છે. દા.ત.એક વ્યક્તિ સામાન્ય ક્લાર્ક છે. તેને હજુ નાના બે દીકરાઓને ભણાવવાના છે. પણ મોટી દીકરીનાં લગ્ન કરવાનાં છે. સમાજમાં ટીકા ન થાય, એટલે પ્રોવિડન્ડ ફંડમાંથી પૈસા ઉપાડીને પણ એકાદ લાખ રૂપિયા લગ્નમાં ખર્ચી નાખે છે. પછી આખી જિંદગી ઢસરડો કરવામાં જ ગાળે છે. પણ ‘લોકો શું કહેશે’ એની નિંદાના ડરથી, તે પોતાનું અને પોતાના બે પુત્રોનું ભવિષ્ય બરબાદ કરી નાખે છે. નિંદાનો ભય મનુષ્યની શાંતિને હરી લે છે. વાસ્તવમાં ખરેખર માણસને અશાંત કરી મૂકે તેવી કોઈ પરિસ્થિતિ હોતી નથી, પણ નિંદાનો ડર મનુષ્યને નિરાંતે જીવવા દેતો નથી. બધો જ વખત બીજા શું કહેશે એની ચિંતા મનુષ્યને સતાવ્યા કરતી હોય છે. એક કોલેજ કન્યા દર રવિવારે ઉપનિષદ ઉપરના સત્સંગ વર્ગમાં જાય છે. તો તેની બહેનપણીઓ ટીકા કરતાં તેને કહે છે, ‘અત્યારથી આવી ભક્તાણી ક્યાં થઈ ગઈ? અત્યારે તો આપણા મોજમઝા કરવાના, હરવા ફરવાના દિવસો છે. રવિવારે, પિકનિક પાર્ટીમાં આવવાને બદલે તું આશ્રમમાં ક્યાં જવા માંડી?’ અને આમ રોજેરોજ તેને ટીકાનો ભોગ બનવું પડે છે. ઓફિસમાં એક ક્લાર્ક સમયસર આવે છે, કોઈ કામ પેનર્િ્ડંગ રાખતો નથી. બધું વ્યવસ્થિત બરાબર કરી નાંખે છે.આવનાર માણસોને ધક્કા ખવડાવતો નથી. એમની પાસેથી ‘ચા’નો કપ પણ પીતો નથી. તો આવો કાર્યનિષ્ઠ ક્લાર્ક બધાંને ખૂંચે છે. તેની ટીકા કરવાનું કોઈ ચૂકતું નથી. આવાં તો જીવનમાં અનેક દૃષ્તાંતો મળે છે. તો પછી તે સમયે કરવું શું? પોતાનું ધ્યેય છોડીને, પોતાનું કર્તવ્ય, સિદ્ધાંતો, આદર્શ છોડીને સામાન્ય લોકો જેવા બનીને તેમના પ્રવાહમાં ભળી જવું કે પછી ટીકાનાં બાણોને સતત સહ્યા કરવાં?

આ સંદર્ભમાં ભગવાન બુદ્ધના જીવનમાં બનેલો એક પ્રસંગ માર્ગદર્શક બને છે. તે સમયે ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન બુદ્ધનો શિષ્ય બન્યો એવું જ્યારે તેણે જાણ્યું, ત્યારે તેનો ક્રોધ આસમાને પહોંચ્યો અને ભગવાન તથાગત પાસે જઈ પહોંચ્યો અને બેફામ ગાળો દેવા લાગ્યો. ભગવાન બુદ્ધે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો અને પ્રશાંત ચિત્તે બધી ગાળો સાંભળી લીધી. આખરે બ્રાહ્મણ જ્યારે થાકીને બોલતો બંધ થયો, ત્યારે ભગવાન બુદ્ધે બ્રાહ્મણને પૂછ્યું, ‘હે બ્રાહ્મણ દેવતા, તમારે ઘરે કોઈ અતિથિ આવે ત્યારે તમે તેમને ભોજન સામગ્રી આપો છો ખરા?’ બ્રાહ્મણે તરત જ જવાબ આપ્યો, ‘અવશ્ય, હું અતિથિધર્મ બરાબર જાણું છું, હું અતિથિને ખાવા-પીવાનું આપું છું, તેમજ અન્ય જરૂરી વસ્તુઓ પણ આપું છું.’ ભગવાન બુદ્ધે પૂછ્યું, ‘હે બ્રાહ્મણ દેવતા, જો તે અતિથિ તમારી વસ્તુઓ ન સ્વીકારે તો કહેશો કે આ વસ્તુ કોની પાસે રહેશે?’ ‘કેમ વળી, મારી પાસે જ રહેશે.’ ‘બ્રાહ્મણે કહ્યું. ભગવાન બુદ્ધે સ્મિત કરતાં કહ્યું,‘હે બ્રાહ્મણ દેવતા, તમે મારી પાસે ગાળોની ભેટ લાવ્યા હતા, પણ હું રોષે ભરાયો નહીં, સ્વસ્થ રહ્યો, તમારી ગાળોનો સ્વીકાર કર્યો નહીં, એટલે આ ગાળોની ભેટ પણ તમારી પાસે જ રહેશેને?’ બ્રાહ્મણ પાસે આનો કોઈ ઉત્તર ન હતો. આ પ્રસંગ આપણને એ શીખવે છે કે કોઈ નિંદા કરે, ગાળો આપે, પણ જો આપણે એનો સ્વીકાર ન કરીએ, એટલે કે આપણા ચિત્તતંત્રમાં એ ગાળોથી સહેજ માત્ર પણ પ્રતિક્રિયા ન થાય તો એ ગાળો અને નિંદા જેણે આપી છે, તેને જ પાછી મળે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે તેને આશીર્વાદ આપો. જરા વિચારો તો ખરા, તેઓ તમારા આ લુચ્ચા અહંને ભૂંસી નાંખીને તમારું કેટલું ભલું કરી રહ્યા છે.’ જે કાર્ય સાધનાથી નથી થતું એ કાર્ય નિંદા કરનારથી થાય છે, અને તે છે અહંને ઓગાળવાનું કાર્ય. આથી મનુષ્યે નિંદા કરનારી વ્યક્તિઓનો તો આભાર માનવો જોઈએ. આ ઉપરાંત શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે નિંદક જેની નિંદા કરે છે, તેના ખાતામાં નિંદકનું જે કંઈ પુણ્ય હોય છે, તેમાંથી તેટલું જમા થઈ જાય છે. એટલે કંઈ પણ પુણ્ય કાર્ય કર્યા વગર ફક્ત નિંદા સહન કરી લેવાથી નિંદા કરનારનું પુણ્ય મળી જાય છે. અથવા તો જેની નિંદા કરે છે, તેના ખાતામાં જો પાપકર્મ જમા થયેલા હોય તો તે નિંદકના ખાતામાં જતાં રહે છે. આ વિશે એક રાજાની વાર્તા છે.

એક રાજાના મનમાં જન્મમરણના ફેરામાંથી કેવી રીતે મુક્તિ મળે, એ પ્રશ્ન ઊઠ્યો. તેણે ઘણાંને આ પ્રશ્ન પૂછ્યો પણ કોઈએ સંતોષકારક ઉત્તર આપ્યો નહીં. એક દિવસ તેને એક સાધુ મળ્યા. તેમને પૂછતાં તેમણે કહ્યું. ‘હા, મારી પાસે એનો જવાબ છે. એક તો આપ આપનાં પાપકર્માેમાંથી મુક્ત થાઓ. સારાં કાર્યો કરો. પ્રાયશ્ચિત કરો. અને બીજો માર્ગ છે કે કોઈ આપનાં પાપકર્માેનું ફળ પોતાના ખાતામાં લઈ લે અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે તે આપની નિંદા કરે.’

ત્યારે રાજાએ સાધુને પૂછ્યું કે ‘એ તો કહો કે મારાં પાપકર્માેનું ફળ કેટલુંક છે?’ સાધુએ રાજાને કહ્યું, ‘આંખો બંધ કરી ઊંચું જુઓ અને કહો શું દેખાય છે?’ ‘અરે, આ તો છાણનો મોટો ડુંગર દેખાય છે!’ ‘રાજાએ કહ્યું, ‘હા, તો એ જ છે, આપનાં પાપકર્માેનું ફળ.’ આંખ ખોલીને રાજા ઉદાસ થઈ ગયા અને તેમને થયું કે આટલાં બધાં પાપકર્માેમાંથી મુક્તિ મેળવવી તો લગભગ અશક્ય છે. પણ પછી થયું મહાત્માજીએ કહ્યું છે તો લોકો મારી નિંદા કરે એ રસ્તો અજમાવી જોઉં. પણ રાજા તો અત્યંત લોકપ્રિય હતો. પ્રજા રાજાની ક્યારેય ટીકા કરતી નહીં. પણ હવે રાજાએ એક બ્રાહ્મણ કન્યાનું અપહરણ કરાવ્યું. અલબત્ત, તેને મહેલમાં રાણીની પાસે પોતાની પુત્રીની જેમ રાખી પણ આ વાત અત્યંત ગુપ્ત હતી. બ્રાહ્મણ કન્યાના અપહરણને લઈને હવે લોકો રાજાની ફાવે તેવી વાતો કરવા લાગ્યા. રાજાની ખૂબ નિંદા થવા લાગી. થોડા સમય પછી સાધુ પાછા આવ્યા ત્યારે રાજાએ કહ્યું, ‘હવે તો મારાં પાપકર્માે ધોવાઈ ગયાંને?’ ત્યારે ફરી સાધુએ રાજાને હવે કેટલાં પાપકર્માે છે, તે બતાવ્યાં. રાજાએ જોયું તો છાણનો ડુંગર ગાયબ થઈ ગયો હતો! પણ હજી એક નાનકડી ઢગલી બાકી રહી ગઈ હતી! ‘આમ કેમ? હજુ આટલું પાપકર્મ કેમ બાકી રહી ગયું?’ રાજાએ સાધુને પૂછ્યું. ધ્યાનમાં સાધુએ જોયું. પછી કહ્યું, ‘રાજન્, આપના રાજ્યમાં એક કુંભાર છે, તેણે આપની નિંદા નથી કરી. જો તે આપની નિંદા કરે તો આપનું આ પાપ એના ખાતામાં ચાલ્યું જતાં આપ તુરત જ મુક્ત થઈ જશો.’

રાજા વેશપલટો કરીને કુંભારના ઘરે ગયા. વાતચીત કરતાં કહ્યું, ‘તમારો રાજા તે કેવો પાપી કહેવાય? પુત્રી જેવી કન્યાનું અપહરણ કર્યું!’ તેઓ કંઈ આગળ બોલવા જતા હતા ત્યાં જ ધીમું હસીને કુંભારે કહ્યું, ‘મહારાજ, મને માફ કરો. આપે કરેલું આપે જ ભોગવવું પડશે. આપની નિંદા કરીને હું એ પાપકર્મફળને મારા ખાતામાં ઉમેરવા માંગતો નથી અને એટલે જ હું નિંદાથી દૂર રહ્યે છું!’ રાજા એ આત્મજ્ઞાની કુંભારનાં ચરણોમાં પડ્યા અને કહ્યું, ‘તમે જ્ઞાની છો. મારી આંખો ખોલી છે. હવે હું પોતે તો નિંદા નહીં કરું પણ કોઈનેય નિંદા કરવા પ્રેરીશ પણ નહીં. હું મારા પાપકર્મફળને હવે ભોગવીને મુક્ત થઈ જાઉં એવા આશીર્વાદ આપો.’

ભલે આ વાર્તા છે, પણ એ દ્વારા એ પ્રતિપાદિત થાય છે કે નુકસાન તો નિંદા કરનારને બે રીતે છે. એક તો એનું પુણ્યકર્મ જેની નિંદા કરે છે, તેને મળે છે, અને બીજું જેની નિંદા કરે છે, તેનું પાપકર્મફળ પણ તેને મળે છે. આથી નિંદા કરનાર પ્રત્યે તો મનુષ્યે વધારે કૃતજ્ઞ રહેવું જોઈએ.

ઘણા લોકોનો સ્વભાવ જ નિંદા કરવાનો હોય છે. તેમને નિંદા કર્યા વગર ચેન પડતું નથી. બીજાની નિંદા કરવામાં જ એમનો આનંદ રહેલો હોય છે. આવા લોકો પ્રત્યે દુર્લક્ષ જ સેવવું જોઈએ. જો એમની વાતો ઉપર ધ્યાન આપવામાં આવે તો બાપ-બેટાની, ગધેડાની વાર્તા જેવું થાય. બાપે દીકરાને ગધેડા ઉપર બેસાડ્યો અને પોતે પગે ચાલીને જતો હતો. તો લોકોએ દીકરાની નિંદા કરી કે બાપને ચલાવે છે અને પોતે બેઠો છે. પછી દીકરાએ બાપને બેસાડ્યો તો લોકોએ બાપની નિંદા કરી. પછી બંને ગધેડા ઉપર બેઠા, તો બિચારા ગધેડા ઉપર અત્યાચાર કરે છે, એમ કહીને નિંદા કરી. પછી બંને ચાલવા લાગ્યા. તો બંનેની મૂર્ખતા વિશે નિંદા કરી. લોકોની નિંદા ઉપર ધ્યાન દેવાનું પરિણામ એ આવ્યું કે બંનેએ ગધેડાને ઊંચક્યો અને જ્યારે નદીના પુલ ઉપરથી પસાર થતા હતા, ત્યારે ગધેડો નદીમાં પડી ગયો. આમ લોકોની નિંદા ઉપર ધ્યાન આપનારા કદી સુખશાંતિથી જીવી શકતા નથી.

એક વૈરાગી સાધુની વાત છે. એ સાધુ અકિંચન હતો. પોતાની પાસે કોઈ વસ્તુ રાખતો નહીં. એક દિવસ ઝાડની નીચે પથ્થરનું ઓશીકું રાખીને સૂતો હતો. પાણી ભરવા જઈ રહેલી કેટલીક યુવતીઓએ આ જોયું. અંદરોઅંદર કહ્યું, ‘જોયો પેલો વૈરાગી સાધુ, ભાઈસાહેબને ઓશીકા વગર ચાલતું નથી. એટલે પથ્થરનું ઓશીકું બનાવ્યું છે.’ પાણી ભરીને પાછી આવી ત્યારે તેમણે જોયું કે સાધુએ માથા નીચેનો પથ્થર ખસેડી લીધો છે. આ જોઈને ફરી તેઓ એકબીજીને કહેવા લાગી, સાધુઓ બધાંનો ત્યાગ કરી શકે છે, પણ અહંકારનો ત્યાગ કરી શકતા નથી. આપણે વાતો કરી એટલે ભાઈસાહેબને ખોટું લાગી ગયું અને પથ્થર ખસેડી લીધો! આમ જેને ટીકા કરવી છે. તે કોઈપણ રીતે ટીકા કરે જ છે. ગામને મોઢે ગરણું બાંધી શકાતું નથી. એ જાણીને નિંદા પ્રત્યે ધ્યાન આપવું ન જોઈએ.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકને કહ્યું હતું, ‘મારા ઉપર ટીકાના જેટલા પત્રો આવે છે, તેમનો જવાબ દેવાની વાત તો દૂર રહી પણ જો તેમને ફક્ત વાંચું તોપણ મારે બીજું બધું કામકાજ છોડી દેવું પડે. હું તો મારાથી શક્ય એટલી સારી રીતે કામ કરું છું. જો અંતમાં હું સફળ થાઉં તો અન્ય લોકોએ મારા વિરુદ્ધમાં કહેલું બધું ફોગટ છે અને જો અંતમાં હું ખોટો પુરવાર થાઉં તો હજારો દેવો સોગંદપૂર્વક મારી સચ્ચાઈ પુરવાર કરવા મથે તોય કંઈ ફેર પડશે નહીં.’ આ વાત ધ્યાનમાં રાખીને વ્યક્તિએ નિંદા પ્રત્યે બિલકુલ ધ્યાન આપ્યા વગર સચ્ચાઈપૂર્વક પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ.

બંગાળના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કોઈએ કહ્યું કે અમુક માણસ તમારી ખૂબ નિંદા કરે છે, એ સાંભળીને થોડીવાર તેઓ વિચારમગ્ન થઈ ગયા અને પછી બોલ્યા કે ‘મને તો યાદ નથી આવતું કે મેં તેનું કંઈ ભલું કર્યું હોય?’ એનો અર્થ એ કે જેમની તેઓ સહાયતા કરતા તેઓ જ પાછળથી તેમની નિંદા કરતા. પણ એથી તેમના સ્વભાવમાં કંઈ ફેર પડ્યો નહીં. તેઓ હંમેશા બીજાનું ભલું કરતા જ રહ્ય. ઈશુ ખ્રિસ્તને જ્યારે શૂળી ઉપર ચઢાવ્યા – એ સ્થિતિમાં પણ તેમણે તેમને વધસ્તંભે જડનારાઓ માટે પ્રભુને કહ્યું, ‘હે પિતા, તેઓ શું કરી રહ્ય છે, તેની તેમને ખબર નથી. તું તેમને માફ કરજે.’મહાત્માઓ તો અન્યની નિંદા સહીને પણ તેમનું ભલું જ કરતા હોય છે. એક સાધુએ તળાવમાં પડેલા વીંછી ઉપર દયા કરીને તેને બહાર કાઢ્યો- વીંછીએ તેને ડંખ માર્યો એટલે તે હાથમાંથી ફરી પાણીમાં પડી ગયો. ફરી સાધુએ બહાર કાઢ્યો – પાછો વીંછીએ ડંખ માર્યો. આમ ઘણીવાર થયું એટલે તળાવની પાળે બેઠેલા એક માણસે સાધુને પૂછ્યું,‘આ વીંછી તમને વારંવાર ડંખ મારે છે, છતાં તમે તેને કેમ બચાવો છો?’ ત્યારે સાધુએ કહ્યું,‘વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો અને સાધુનો સ્વભાવ છે અન્યનું ભલું કરવાનો. વીંછી પોતાનો સ્વભાવ છોડતો નથી તો મારે શા માટે મારો સ્વભાવ છોડવો જોઈએ?’ નિંદા કરનારા મનુષ્યો વીંછી જેવા હોય છે. તેઓ પોતાનો સ્વભાવ છોડતા નથી. આવા મનુષ્યો તો માનસિક રોગ કે વિકૃતિના ભોગ બનેલા હોય છે. એટલે આવા દર્દી પ્રત્યે તિરસ્કાર કે ઉપેક્ષા નહીં પણ હમદર્દી જ દાખવવી જોઈએ. તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ એમને સદ્બુદ્ધિ આપે અને આ નિંદારોગમાંથી મુક્ત કરે. આ વિશે પણ એક સુપ્રસિદ્ધ વાર્તા છે કે એક ભક્ત હોડીમાં જઈ રહ્યે હતો. હોડીમાં બેઠેલા બીજા લોકો પૂરા સંસારી હતા. તેઓ ભક્તિની ઠેકડી ઉડાવવા લાગ્યા. ભક્ત નિર્વિકાર ચિત્તે પ્રભુ સ્મરણ કરતો બેસી જ રહ્યે. હોડી નદીની મધ્યમાં પહોંચી, પણ આ લોકોની નિંદા ન અટકી. છેવટે ભગવાનથી ન રહેવાયું. તેઓ તુરત જ ભક્તની સન્મુખ પ્રગટ થયા અને કહ્યું. ‘જો તું કહે તો હમણાં જ આ હોડી પલટાવીને આ બધાને ડૂબાડી દઉં અને તને બચાવી લઉં.’ ત્યારે ભક્તે હાથ જોડીને કહ્યું, ‘પ્રભુ પલટાવવી જ હોય તો હોડી નહીં પણ આ લોકોની બુદ્ધિ પલટાવી દો. એનાથી સમસ્યાનો ઉકેલ આવી જશે.એ બિચારાઓની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એટલે તેઓ આપનો મહિમા સમજી શક્યા નથી.’ આમ ભક્તો,સંતો, સાધુજનોને પણ નિંદાનો ભોગ તો બનવું જ પડે છે. સામાન્ય મનુષ્યો એમની ગતિવિધિને સમજી શકતા ન હોવાથી તેઓને વિશેષ ટીકાપાત્ર બનવું પડે છે. પરંતુ તેમને નિંદા કરનારાઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ કે રોષ હોતો નથી. તેઓ પોતાના ધ્યેયમાં, ભક્તિમાં મસ્ત હોય છે. એટલે જ કહેવાયું છે કે,

‘‘હાથી ચલે બાજારમેં કુત્તે ભોંકે હજાર,
સાધુ કો દુર્ભાવ નહીં નિંદે ચાહે સંસાર.’

સ્વામી વિવેકાનંદે જ્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને શિવજ્ઞાનથી જીવસેવાનાં કાર્યોનો પ્રારંભ કર્યો, ત્યારે સંન્યાસીઓને દર્દીઓને સેવા કરતા, હિસાબ-કિતાબ રાખતા જોઈને લોકો ખૂબ ટીકા કરતા. સ્વામી વિવેકાનંદે પોતાના બે શિષ્યો સ્વામી કલ્યાણાનંદજી અને સ્વામી નિશ્ચલાનંદજીને રોગીઓની સારવાર કરવા માટે હરદ્વાર મોકલ્યા. રામકૃષ્ણ મિશનના સાધુઓને ત્યારે અન્ય સાધુઓ અને લોકો ભંગી સાધુ કહીને બોલાવતા અને તેમને સાધુજમાતથી અલગ જ સમજતા. ધીરે ધીરે આ સેવાની મહેક પ્રસરવા લાગી. લોકો સેવાનું મૂલ્ય સમજ્યા અને હવે તો અન્ય સાધુ અને સંન્યાસીઓ પણ સેવા કાર્યમાં લાગી ગયા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે દરેક મહાન કાર્યને ત્રણ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. વિરોધ, ઉપેક્ષા અને સ્વીકાર. કોઈપણ વ્યક્તિ જ્યારે દૃઢસંકલ્પ થઈ ક્રાંતિકારી પરિવર્તન લાવવાવાળા શુભ કાર્યનો પ્રારંભ કરે છે, ત્યારે નિંદાનો વંટોળ આવવાનો જ છે. તેણે બહાદુરીપૂર્વક પ્રશાંત ચિત્તે આમાંથી પસાર થવું પડશે. એટલે જ કહ્યું છે, ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.’ સત્યના માર્ગે જનાર સહુ કોઈને તેના જીવનકાળ દરમિયાન લોકનિંદાનો ભોગ તો બનવું જ પડે છે.

એટલા માટે જ્યારે કોઈ આપણી નિંદા કરે, ત્યારે આપણે આટલું જરૂર કરીએ.

૧. શાંત ચિત્તથી, જરાપણ મગજની સમતુલા ગુમાવ્યા વગર બધું સાંભળીએ. ભાવનામાં તણાયા વગર બુદ્ધિપૂર્વક વિચાર કરીએ.

૨. અન્ય કોઈએ કરેલી આપણી નિંદાની વાત જ્યારે આપણા સુધી આવે, ત્યારે તે બદલાઈ તો નથી ગઈને, તેની ખાતરી કરી લઈએ. કેમ કે ઘણા લોકોને મીઠુંમરચું ભભરાવીને બોલવાની ટેવ હોય છે. તો વળી, કેટલાક લોકોને બે પક્ષોની નિંદાની વાતો એકબીજાને કહીને ઝગડો કરાવવાની ટેવ હોય છે.

૩. સત્ય હકીકત જાણ્યા પછી તેનું પૃથ્થકરણ કરીએ કે તેણે આ નિંદા શા માટે કરી? પ્રત્યક્ષ, પરોક્ષ કે આંશિક રૂપે જો એને માટે આપણે કારણભૂત હોઈએ તો તુરંત જ આપણો દોષ સ્વીકારીને નિંદક પાસે ક્ષમા પ્રાર્થીએ. આથી જે લોકો આપણા કલ્યાણ માટે નિંદા કરે છે (જોકે તેની સંખ્યા જૂજ હોય છે!) તેમની કૃપાદૃષ્ટિ આપણા ઉપર વધુ રહેશે અને જેઓ ઈર્ષા અથવા અન્ય કારણોથી નિંદા કરવા પ્રેરાયા હશે, તેમનો જુસ્સો પણ ક્ષમા માગવાથી ધીમો પડી જશે.

૪. જો નિર્મમ આત્મવિશ્લેષણ પછી એમ લાગે કે આપણો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ દોષ નથી, વિના કારણે જ નિંદકે નિંદા કરી છે, તો સમજવું કે નિંદક ઈર્ષા, રાગદ્વેષ વગેરે માનસિક રોગોથી પીડાય છે. તો આવા દર્દી પ્રત્યે દયાભાવ રાખીએ અને તેનો રોગ મટે તે માટે પ્રાર્થના કરીએ.

૫. નિંદક પ્રત્યે આપણે કૃતજ્ઞતાની ભાવના રાખીએ. તેઓ આપણા શુદ્ર અહંને ભુંસાવીને આધ્યાત્મિક સાધનામાં સહાયરૂપ થઈ રહ્યા છે, વળી અજાણતાં પણ તેઓ પોતાનું પુણ્ય આપણા ખાતામાં અને આપણું પાપ એમના ખાતામાં જમા કરાવી રહ્યા છે.

૬. ‘સત્યમેવ જયતે’ અને ‘કરે તેવું પામે’. આ સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખી ધીરજપૂર્વક નિંદા સહન કરીએ અને ક્રિયા-પ્રતિક્રિયાના વિષચક્રમાંથી બચવાનો પ્રયત્ન કરીએ.

૭. ‘ગામને મોઢે ગરણું ન બંધાય’ એ ઉક્તિને ધ્યાનમાં રાખીને નિંદાથી વિચલિત થયા વગર મક્કમપણે સત્યના માર્ગે આગળ ધપીએ.

અંતમાં કબીરજીની આ વાણીને અનુસરીને નિંદકોને આપણી પાસે રાખીને આપણા સ્વભાવને નિર્મળ બનાવીએ.

‘‘નિંદક નિયરે રાખિએ, આંગન કુટિ છવાય,
બિન પાની સાબુન બિના, નિર્મલ કરે સુભાય’’

આ રીતે નિંદાથી અશાંત બનવા કરતાં નિંદા આપણને હંમેશાં સજાગ રાખે છે. શુદ્ધ અને નિર્મળ બનાવે છે, આપણા સંકલ્પને વધારે દૃઢ બનાવે છે, એ ભાવના મનમાં દૃઢ કરવાથી પછી નિંદા ક્યારેય વિક્ષુબ્ધ કરી શકશે નહીં.

તેન ત્યકતેન ભુંજીથાઃ

ધન અને સંપત્તિની ભૂખ એવી છે કે ક્યારેય શમતી નથી, પણ સતત વધતી જ જાય છે. જિંદગી આખી સતત દોડધામ કરે છે અને સત્તા, સંપત્તિ મેળવે છે, પણ સુખ, શાંતિ અને સાચો પ્રેમ ગુમાવી દે છે. સંપત્તિ એકઠી કરવાની લાલસામાં માણસ પોતાનો આત્મા ગુમાવી દે છે. ઈશુ ખ્રિસ્ત કહે છે કે જો માણસ આત્માના ભોગે આખી દુનિયા મેળવે તો તેથી તેને શો લાભ થાય? પૃથ્વી ઉપર આવીને જે મેળવવાનું છે, જેને માટે એનો જન્મ થયો છે, એ જ ગુમાવીને પછી સંપત્તિનો મોટો પહાડ મેળવે એથી એણે મેળવ્યું શું? મૃત્યુ પથારી ઉપર રહેલા વિશ્વવિજયી રાજા સિકંદરને જીવનના અંતે આ સત્ય સમજાયું હતું, પણ ત્યારે એની પાસે જીવનને સુધારી લેવાનો સમય જ બચ્યો ન હતો. આથી તેણે કહ્યું,‘જ્યારે મારો જનાજો કાઢો, ત્યારે મારા બે હાથ બહાર રાખજો. જેથી લોકો એ જોઈ શકે અને જાણી શકે કે આખી દુનિયાનો જીતનારો આટલો મહાન બાદશાહ પણ સાવ ખાલી હાથે જઈ રહ્યો છે!’

અલબત્ત, મેળવેલું ધન કે સંપત્તિ કોઈ મનુષ્ય પોતાની સાથે મુત્યુ પછી લઈ જઈ શકતો નથી. પરંતુ એ ધન સાથે સંકળાયેલી અનેક બાબતો તેના ચિત્તમાં સૂક્ષ્મરૂપે સાથે જાય છે. જો ધનની લાલસા હોય, અસંતોષ હોય, ધન ન વાપરી શક્યાનું દુઃખ હોય કે પછી અનીતિના માર્ગે ભેગા કરેલા ધનની પાછળ રહેલાં દુષ્કર્માેનું પાપ હોય તો આ બધું ચિત્તના સંસ્કારરૂપે તેની સાથે જાય છે. બીજા જન્મોમાં પછી આ સંસ્કારો પ્રમાણેનું જીવન ઘડાતું રહે છે.એ જ રીતે જો ધનનો સદુપયોગ કર્યો હોય, ગરીબોના કલ્યાણ માટે ધન વાપર્યું હોય તો આ સત્કાર્યો દ્વારા તેની ચેતના વિશાળ બને છે. તેના શુભ સંસ્કારો તેની સાથે જાય છે. અને તેનું આ જીવન તો સુખશાંતિમાં વીતે છે, પણ પછીના જીવનમાંય તેને સુખશાંતિ જ મળે છે. આથી શ્રીમંતો માટે સુખશાંતિ મેળવવાનો એક માર્ગ એ પણ છે કે અન્યના ઉત્કર્ષ માટે, કલ્યાણ માટે ધનનો ઉપયોગ કરવો, જે માર્ગ સ્વામી વિવેકાનંદે અમેરિકાના મહાન ઉદ્યોગપતિ રોકફેલરને બતાવ્યો હતો.

અમેરિકામાં એક દિવસ સ્વામી વિવેકાનંદ પોતાના અભ્યાસ-ખંડમાં પુસ્તક વાચનમાં એકાગ્ર હતા. એ અકાગ્રતા એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તોપણ ખબર ન પડે. તેઓ વાચનમાં તલ્લીન હતા, ત્યાં તેમના ટેબલ ઉપર ટકટકાટ થયો એટલે તેમણે સામે નજર કરી, તો કીમતી સૂટમાં સજ્જ થયેલો, ચહેરા ઉપર ગુસ્સાના ભાવવાળો એક અમેરિકન સામે ઊભો હતો. પોતાની સામે આ રીતે એકાએક આવી ઊભેલા મનુષ્યને જોઈને સ્વામીજીને આશ્ચર્ય તો જરૂર થયું, પણ તેઓ કંઈ પણ આશ્ચર્ય વ્યક્ત કરે તે પહેલાં જ તેણે કહ્યું,‘હું રોકફેલર છું.’ આ બોલતી વખતે તેના મનમાં તો એમ જ હતું કે પોતાનું નામ સાંભળીને ભારતનો આ સાધુ ઊભો થઈ જશે અને એને ખૂબ માન આપશે. કેમ કે એ હતો એ સમયનો, અમેરિકાનો સહુથી વધારે પૈસાદાર ઉદ્યોયપતિ, પેટ્રોલિયમ ઉદ્યોગનો રાજા. આખા અમેરિકામાં એના નામનો ડંકો વાગતો હતો. સહુ કોઈ એની મુલાકાત માટે આતુર રહેતા. તેના બદલે તે પોતે સામે ચાલીને આ સંન્યાસીને મળવા આવ્યો હતો. એટલે આ સંન્યાસી તેને ખૂબ માન આપશે, તેવી ધારણા હતી પણ બન્યું તેની ધારણાથી વિપરીત જ.

સ્વામીજીએ તટસ્થભાવે તેને પૂછ્યુું, ‘વોટ ડુ યુ વોન્ટ?’-તમારે શું જોઈએ છે? સ્વામીજીના આવા પ્રશ્નથી તેને આંચકો લાગી ગયો. તેનો અહંકાર ઘવાયો. આથી તેણે કહ્યું. ‘આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ’ – મારે કંઈ જોઈતું નથી. એટલે સ્વામીજીએ તુરત જ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘ધેન વ્હાય યુ હેવ કમ હીયર?’ – તો પછી તમે શા માટે અહીં આવ્યા છો? રોકફેલર પાસે આનો કોઈ જવાબ ન હતો. અપેક્ષા કરતાં તદ્દન જુદું જ બન્યું હોવાથી તે આ પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં. તેના મનમાં ગડમથલ ચાલવા લાગી. એટલે સ્વામીજીએ કહ્યું,‘તમે નથી જાણતા, પણ હું જાણું છું કે તમે શા માટે અહીં આવ્યા છો? તમારા મનમાં શાંતિ નથી એટલે તમે શાંતિ મેળવવા માટે અહીં આવ્યા છો.’ આ વાત સાંભળીને તેને આશ્ચર્ય થયું. કેમ કે તેના મનમાં બિલકુલ શાંતિ ન હતી, અને તેના મિત્રોના કહેવાથી તે સ્વામીજી પાસે શાંતિ માટે જ આવ્યો હતો પણ સ્વામીજીને તેના મનની વાતની કેમ ખબર પડી ગઈ, એ તેને સમજાયું નહીં. ત્યાં તો ફરી સ્વામીજીએ તેના મનમાં મૂંઝવતી સમસ્યાઓ કે જેની વાત એણે ક્યારેય કોઈનેય કરી ન હતી તે વિશે કહ્યું. એથી તેને ભારે આશ્ચર્ય થયું અને આ સંન્યાસી કોઈ સામાન્ય સાધુ નથી તેની પ્રતીતિ થઈ. પછી એણે હવે થોડા નરમ બનીને સ્વામીજીને પૂછ્યું, ‘મારા મનમાં રહેલી આ બધી વાતો તમે કઈ રીતે જાણી શક્યા?’ ત્યારે સ્વામીજીએ તેને કહ્યું, ‘મને તમારા મનની ખબર છે એટલે. દરેકનું મન એ વિશ્વમનનો એક ભાગ છે. જેનું મન વિશ્વમન સાથે એકાકાર છે, તેઓ કોઈનાય મનને પોતાના મનની જેમ જ જાણી શકે છે.’ આવી વાતોથી રોકફેલરને ખૂબ આશ્ચર્ય થયું, પણ હવે તેને સ્વામીજી વિશ્વાસ મૂકવા જેવા લાગ્યા. એટલે તે તેમની વાત સાંભળવા લાગ્યો. સ્વામીજીએ તેને કહ્યું, ‘જો તમારે મનની સાચી શાંતિ જોઈતી હોય તો તમારી પાસે જે સંપત્તિ છે, તેનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે કરો. તમે તમારી સંપત્તિના માલિક નથી પણ રખેવાળ છો. આ વિપુલ સંપત્તિ તમને અનેકના કલ્યાણ કરવા માટે આપવામાં આવી છે. તેથી તમે જો એ રીતે જ તેનો ઉપયોગ કરશો તો તમને સાચી શાંતિ મળશે.’ સ્વામીજીની વાત તેણે સાંભળી તો ખરી પણ ત્યારે તેને તે સ્વીકારવા જેવી ન લાગી.અને તે મનની શાંતિ મેળવ્યા વગર જ પાછો ગયો.

થોડા દિવસ બાદ તે ફરીથી સ્વામીજીને મળવા આવ્યો. ત્યારે તેના હાથમાં એક કાગળ હતો. તેણે સ્વામીજીના હાથમાં એ કાગળ મૂક્યો. તેને એમ કે હવે સ્વામીજી ખુશ થશે, અને તેનો આભાર માનશે. કેમ કે એ કાગળમાં તેણે કરેલાં દાનોની જાહેરાત હતી. સ્વામીજીએ કાગળ કાગળ વાંચી લીધો પણ કંઈ બોલ્યા નહીં. એટલે રોકફેલરે કહ્યું, ‘સ્વામીજી, તમારે મારો આભાર માનવો જોઈએ. તમારી વાતનો સ્વીકાર કરીને મેં આ સંપત્તિનું દાન કર્યું છે.’ ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘મિ. રોકફેલર, આભાર તો તમારે મારો માનવો જોઈએ કે મેં તમને સાચી શાંતિનો માર્ગ બતાવ્યો છે.’ એ પછી તો રોકફેલરે પોતાની સંપત્તિનો મોટોભાગ લોકકલ્યાણનાં કાર્યમાં વાપર્યો. પોતાની આત્મકથામાં પણ તેણે લખ્યું છે.‘આપણે જેટલા બીજાની સેવા કરીશું, તેટલી આપણને વધારે શાંતિ મળશે.’ શાંતિનો આ માર્ગ તેને સ્વામી વિવેકાનંદ પાસેથી આ રીતે મળ્યો હતો.

તમે તમારી મિલકતના માલિક નથી પણ ટ્રસ્ટી છો. ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટના ગાંધીજીએ આપેલા આ સિદ્ધાંતની રજૂઆત સો વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે અમેરિકાના એ મહાન ઉદ્યોગપતિ રોકફેલર સમક્ષ કરી હતી. પરંતુ આ સિદ્ધાંત ભારતીય સંસ્કૃતિ માટે કંઈ નવો નથી. આપણી મહાન સંસ્કૃતિનો પાયો જ આ સિદ્ધાંત ઉપર ઊભેલો છે. ઈશોપનિષદનો પ્રથમ શ્લોક જ આ સિદ્ધાંતને પ્રગટ કરે છે.

ईशावास्यमिदं सर्वं यत् किञ्च जगत्यां जगत्।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्।।

‘ આ જગતમાં જે કંઈ પણ જીવન છે, તે ઈશ્વરનું વસાવેલું છે. તેથી તેના નામથી ત્યાગ કરીને તું ભોગવ, અન્યના ધનની સ્પૃહા ન કર.’

આ એક જ શ્લોકમાં ધનની પ્રાપ્તિ, ઉપભોગ અને વહેંચણીનો સિદ્ધાંત આવી જાય છે. આધુનિક સમાજવાદનાં મૂળ પણ આ શ્લોકમાં રહેલાં છે. અહીં ધનસંપત્તિ મેળવવાની મનાઈ કરવામાં આવી નથી. પણ ત્યાગીને ઉપભોગ કરવાની વાત છે. પોતાની પાસે જે કંઈ છે, તેમાંથી બીજાને આપીને પછી ઉપભોગ કરવાની વાત છે. તો પછી બીજાનું આંચકીને, બળજબરીથી પડાવી લેવાની તો વાત જ ક્યાં રહી? બીજાના ધનની સ્પૃહા જ કરવાની નથી. અનીતિનું, અણહક્કનું, બીજાની માલિકીનું, અન્યનું શોષણ કરીને, બીજાને દુઃખ આપીને કશું જ મેળવવાની વાત જ રહેતી નથી. અહીં તો ધર્મ અને નીતિના માર્ગે જે મળે, તેમાંથી અન્યને થોડું આપીને પછી પોતે ઉપભોગ કરવો એ મનુષ્યધર્મની વાત કહેવામાં આવી છે.

આપણી ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલા છે ચાર પુરુષાર્થાે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સુખશાંતિપૂર્વક જીવવા માટે મનુષ્યોને આ ચારેય પુરુષાર્થાેની અત્યંત આવશ્યકતા છે. ધર્મનું પાલન કરતાં કરતાં સંપત્તિનું ઉપાર્જન કરવું અને કામની પૂર્તિ કરી પ્રજાતંતુને આગળ ધપાવવો અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી પરમાત્મામાં મળી જવું. – આ જીવનકાર્ય અને તેને માટેની આચારસંહિતા આપણા ઋષિ – મુનિઓએ વેદ – ઉપનિષદોમાં સ્પષ્ટપણે આપી દીધી છે. આ આચારસંહિતાનું પાલન કરતાં કરતાં પોતાના જીવનનો હેતુ તો સિદ્ધ થાય છે જ પણ સમાજનુંય કલ્યાણ થાય છે. એમાં જો કોઈનામાં તીવ્રતમ વૈરાગ્ય હોય અને કેવળ ઈશ્વરપ્રાપ્તિ એ જ લક્ષ્ય હોય તો ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થાેને અતિક્રમીને કેવળ મોક્ષ માટે સંસાર છોડી સંન્યસ્ત ગ્રહણ કરી શકે, એ માર્ગ પણ ઋષિ-મુનિઓએ આપેલો છે. પરંતુ એ માર્ગ કંઈ સામાન્ય મનુષ્યો માટેનો નથી. સામાન્ય મનુષ્યોએ તો જીવનમાં આ ચારેય પુરુષાર્થ કરવાના રહે છે. એટલે કે આપણા ઋષિ-મુનિઓએ અર્થાેપાર્જન કે કામની પણ અવગણના કરી નથી. પણ સર્વનો શ્રેષ્ઠ ઉપયોગ એવી રીતે કરવાનું કહ્યું છે કે જેથી આત્મકલ્યાણની સાથે સાથે જગતનું હિત પણ થાય. જ્યાં સુધી ભારતના લોકોના જીવનમાં આ ચારેયનો સમન્વય હતો, ત્યાં સુધી ભારત દેશ દરેક ક્ષેત્રમાં મહાન હતો. પણ કાળક્રમે તેનામાં પરિવર્તન આવ્યું. હજારો શ્રેષ્ઠ મનુષ્યો સંન્યસ્ત દીક્ષા લઈને ભિક્ષુઓ અને મુનિઓ બનવા લાગ્યા. પરિણામે ઉચ્ચ કક્ષાનું બુદ્ધિધન સમાજમાં રહેવાને બદલે વનો, જંગલો અને અરણ્યોમાં ચાલ્યું ગયું. સમાજ દુર્બળ બની ગયો, સંપત્તિ અને શક્તિવિહીન બની ગયો. તેથી બહારનાં આક્રમણો – શક -હૂણ- મુસ્લિમ અને ખ્રિસ્તીઓની સામે ટક્કર ન ઝીલી શક્યો. પરિણામે ભારત દેશ ગુલામ બની ગયો.

જીવનમાં માત્ર દુઃખ જ છે, માટે જીવનને છોડી દો, અને જંગલમાં જઈને મોક્ષ માટે આરાધના કરો, આ જીવનમાંથી મુક્તિ મેળવી લો. આ છે નિષેધાત્મક માર્ગ. આવા નિષેધાત્મક વલણને પરિણામે ભારત દરિદ્ર બન્યો. એનાથી વિપરીત બીજો માર્ગ કે જીવનમાં આવ્યા છો, તો મોજમઝા કરી લો. કાલની કોને ખબર છે, માટે જેટલું ભોગવાય તેટલું ભોગવી લો – આ છે ભોગવાદ. ચાર્વાકનો મત.

‘यावत् जीवेत् सुखम् जीवेत्, ऋणं कृत्वा घृतम् पिबेत्।’

બીજા જન્મની તો કોઈને ખબર નથી., માટે આ જન્મમાં જ બધું ભોગવી લો. દેવું કરીને પણ ઘી ખાઓ! એટલે કે પાસે પૈસા ન હોય તો ઉછીના પૈસા લઈને પણ મોજમઝા કરો. – આ ભોગવાદે પણ સમાજને મૂલ્યહીન બનાવી દીધો.આમ ત્યાગવાદ અને ભોગવાદ એ બે અંતિમ છેડાઓએ ભારતના પતનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

અત્યારે પણ ભારતની કુલ વસ્તીના ૪૦ ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવી રહ્યા છે. એટલે કે એમની પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી સંતોષાતી નથી. લાખો લોકોને બે ટંક ભરપેટ ખાવાનું પણ મળતું નથી, ત્યારે બીજી બાજુ શ્રીમંતોને ત્યાં નાણાં ક્યાં વાપરવાં એ સમસ્યા છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ હલ ન થાય ત્યાં સુધી કોઈપણ સમાજ કે દેશમાં સાચાં સુખશાંતિ સ્થાપી શકાય જ નહીં. આજથી એકસો દશ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું, તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એક પત્રમાં તેમણે લખ્યું હતું,‘આ બધા વિચારોને લીધે, ખાસ કરીને દેશની ગરીબી અને અજ્ઞાનના વિચારોને લીધે મને આખી રાત ઊંઘ ન આવી. કન્યાકુમારીમાં ખડકની એક શિલા ઉપર બેસીને મેં એક યોજના ઘડી કાઢી. અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ, અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ નહોતા કહેતા કે ‘ભૂખ્યા પેટે ધર્મ આચરી શકાય નહીં. પેલા દરિદ્ર લોકો પશુ જેવું જીવન જીવી રહ્યા છે. એનું કારણ કેવળ અજ્ઞાન છે. આપણે યુગોથી તેમનું શોષણ કરતા આવ્યા છીએ.તેમને પગતળે કચડતા આવ્યા છીએ.’ આ દરિદ્રતાને દૂર કરવા માટે શ્રીમંતોએ ત્યાગ અને સેવાનો આદર્શ અપનાવવો જોઈએ. એ વાત સ્વામીજીએ ભારપૂર્વક જણાવી છે. ભારતીયોના આત્માને ઢંઢોળતાં તેમણે કહ્યું હતું, ‘તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહિ કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઈંદ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહિ કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે. ભૂલતો નહીં કે હલકી ગણાતી જાતિઓ, અજ્ઞાન, રંક, અભણ, ચમાર કે મહેતર આ બધાં તારાં નજીકનાં સગાંઓ છે.’ આમ સ્વામી વિવેકાનંદે દરિદ્રનારાયણની સેવા કરવાનો અનુરોધ કર્યો. પછી મહાત્મા ગાંધીજીએ સંપત્તિ દ્વારા સેવા કરવા એ સમયના મોટા ઉદ્યોગપતિઓ બિરલા, બજાજ વગેરેને અનુરોધ કર્યો અને ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટના સિદ્ધાંતને વ્યવહારમાં ફરીથી અમલી બનાવ્યો.

આજે વિશ્વના સહુથી વધુ ધનાઢ્યોમાંના એક, માઈક્રોસોફ્ટ કંપનીના ચેરમેન બિલગેટ્સે પોતાની સઘળી સંપત્તિ ગરીબોના કલ્યાણ માટે દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. આ દાનની પ્રેરણા તેમને ભારતમાં આવ્યા પછીથી થઈ હતી. તેઓ દરરોજ રાત્રે સૂતાં પહેલાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચે છે તેમ તેમણે વર્તમાનપત્રોમાં જણાવ્યું હતું. સંપત્તિ દ્વારા જનકલ્યાણની ભાવનાનો ઉદય આ પુસ્તકોના વાચન પછી તેમનામાં થયો હશે એમ કહી શકાય.

સામ્યવાદ ઉપર આધારિત અર્થતંત્ર કેટલું પાંગળું છે, અને તેમાં સામાન્ય પ્રજા કેટલી દુઃખી હોય છે, તે રશિયાની નિષ્ફળતાએ પુરવાર કરી આપ્યું છે. તો બીજી તરફ મૂડીવાદ ઉપર આધારિત મેનેજમેન્ટ પણ નિષ્ફળ થતું જાય છે. તાજેતરમાં મેનેજમેન્ટના અમેરિકાના સુવિખ્યાત સલાહકાર પીટર ડ્રકરે એક લેખ લખ્યો છે, ‘કે શું મૂડીવાદનો અંત આવશે?’ મૂડીવાદના રાક્ષસે અત્યારે ભલભલા ઉદ્યોગોને મંદીની ગર્તામાં ધકેલી દીધા છે. વિકસિત દેશોને પણ હવે બેકારીનો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. એટલે હવે વિશ્વના દેશો ઉદ્યોગોની સમસ્યા કાયમી ધોરણે હલ કરવા માટે ભારતીય મેનેજમેન્ટ તરફ વળ્યા છે. પહેલી ઓગસ્ટ’૯૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લેખ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વૈદિક મેનેજમેન્ટ એક નવો મંત્ર બની ગયો છે. મેનેજમેન્ટમાં ભારતીય મેનેજમેન્ટને ‘ફોર્થવેવ’ કહેવામાં આવે છે. જેમાં પ્રથમ મોજું હતું બ્રિટીશ મેનેજમેન્ટનું. બીજું મોજું આવ્યું અમેરિકન મેનેજમેન્ટનું, ત્રીજું મોજું આવ્યું જાપાનીઝ મેનેજમેન્ટનું, અને હવે જે છેલ્લે ચોથું મોજું આવ્યું છે તે છે, ભારતીય મેનેજમેન્ટનું – વૈદિક મેનેજમેન્ટનું. બાકીનાં બધાં મેનેજમેન્ટોમાં પૈસો તો મળે જ છે, પણ શાંતિ મળતી નથી. પરંતુ હવે લોકો એવી કાર્યપ્રણાલી ઇચ્છે છે, જેમાં શાંતિ અને સમૃદ્ધિ બંને મળે અને તે માત્ર ભારતીય મેનેજમેન્ટમાં જ મળે છે.આથી અમેરિકાની ઘણી મોટી કંપનીઓ હવે ભારતીય મેનેજમેન્ટ તરફ વળી છે.

આપણો પ્રાચીન આદર્શ છે, ત્યાગીને ભોગવી જાણો. એમાં ઉપભોગનો નિષેધ નથી, પણ સાથે સાથે અન્યને માટે ત્યાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ આધ્યાત્મિકતાના પાયા ઉપર રચાયેલો ટ્રસ્ટશિપ મેનેજમેન્ટનો સિદ્ધાંત હવે વિશ્વના દેશોએ અપનાવ્યા વગર છૂટકો જ નથી. કેમ કે આ એકમાત્ર સિદ્ધાંત એવો છે જે સાર્વત્રિક સમૃદ્ધિનો સિદ્ધાંત છે, જેમાં માલિકો અને મજુરો વચ્ચે કોઈ ભેદ નથી. તેથી ઉત્પાદનની કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી. ધનની અસમાન વહેંચણી અને તેનાથી સર્જાતાં દૂષણો ઊભાં થતાં નથી. પરિણામે ઉત્પાદનની વૃદ્ધિ થતી રહે છે. તેથી સર્વની સમૃદ્ધિ વધતી રહે છે. આ સમૃદ્ધિમાં ફક્ત માલિકોનો હિસ્સો સમાજનો હિસ્સો હોય, એવા સમાજમાં કોઈ ભૂખ્યું, દુખ્યું નહીં હોય, ‘સર્વેઽત્ર સુખિનઃ સન્તુ’ની ભાવના સાકાર બનતી હશે, એ સાચો દૈવી સમાજવાદ હશે. એની જ્યારે પૂર્ણ સ્થાપના થશે ત્યારે ભારતના ઋષિઓનું દર્શન ‘વસુધૈવ કુટુમ્બકમ્’ કે ‘યત્ર વિશ્વં ભવત્યેકનીડમ્’- સાકાર બનશે.

જે સહે તે રહે

રોજ સવારે વર્તમાનપત્ર ઉપર નજર નાખતાં બેચાર કિસ્સાઓ તો એવા હોય છે કે, પિતાએ ઠપકો આપતાં પુત્રે કરેલી આત્મહત્યા, પરીક્ષામાં નાપાસ થતાં અગાશીએથી પડતું મૂકીને મૃત્યુ પામેલી બારમા ધોરણની વિદ્યાર્થિની, ધંધામાં ખોટ જતાં વેપારીએ હોટલમાં કરેલો આપઘાત, ગરીબી સહન ન થતાં ત્રણ બાળકો અને પત્નીને રઝળતાં મૂકીને ટ્રેનની નીચે પડતું મૂકી મરી ગયેલો યુવાન – આવા તો રોજરોજ અનેક સમાચારો મળતા રહે છે. આવું કેમ બને છે? શું મુશ્કેલીઓ એટલી બધી હોય છે કે જેનાથી માણસને મરવું પડે?

ખરેખર મુશ્કેલીઓ એટલી વિકટ હોતી નથી, જેટલી તેને માનવામાં આવે છે કેમ કે મુશ્કેલીઓને સહન કરી શકે તેવી મનની સ્થિતિ ન હોવાથી નાની એવી મુશ્કેલી પણ વ્યક્તિને ખૂબ મોટી જણાય છે. આજે શિક્ષણ વધ્યું છે, પણ સમજણ વધી નથી. પદવીઓ વધી છે, પણ મૂલ્યો વધ્યાં નથી. જીવનમૂલ્યોનો લોપ થતાં મનુષ્યને જીવનના ઝંઝાવાતોમાં અડીખમ ઊભા રહેવાનું શિક્ષણ મળતું નથી. તેના પરિણામે નાની એવી સમસ્યાનો સામનો પણ આજે મનુષ્ય કરી શકતો નથી. તેથી જ માનસિક તનાવ, માનસિક રોગો, આત્મહત્યા,કુટુંબ કલેશ, શારીરિક બીમારીઓ વગેરેનું પ્રમાણ ઉતરોત્તર વધતું જ જાય છે.

સહનશીલતા એ મનુષ્યનો સહુથી મોટો ગુણ છે એમ શ્રીમા શારદાદેવી કહે છે. જીવનમાં જેઓ સહી લે છે, તેમના માટે કોઈ મુશ્કેલી હોતી નથી. પણ જેઓ સહન કરી શકતાં નથી, તેઓ બધું ગુમાવે છે. આજે કુટુંબો ભાંગી રહ્યાં છે, તેની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે સહનશીલતાનો અભાવ છે. સત્તરમા સૈકામાં ઓ ઓસાન નામના પ્રધાનના પરિવારમાં લગભગ એક સો માણસો પ્રેમપૂર્વક સંપથી રહેતા હતા. આ પરિવારના સંપ વિશે એમ કહેવાતું હતું કે ઓસાનના ઘરનો કૂતરો પણ બીજા કૂતરા સાથે ઝઘડતો નથી. ત્યાંના સમ્રાટને આ વાતની ખબર પડી એટલે તેઓ પ્રધાનના ઘરે ગયા. તેમના પરિવારના આવા અદ્ભુત સંપનું રહસ્ય શું છે, તે જાણવા કહ્યું. વયોવૃદ્ધ પ્રધાને પોતાના પૌત્રને કાગળ પેન્સિલ લાવવા કહ્યું. ધ્રૂજતે હાથે તેમણે આ સંપનાં કારણો લખી આપ્યાં. રાજા કાગળ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયો. એ કાગળમાં સોવાર એક જ શબ્દ લખ્યો હતો અને તે શબ્દ હતો- સહનશીલતા. પરિવારની શાંતિનું રહસ્ય છે, સહનશીલતા.

અત્યારે સમાજમાં ખૂબ ઝડપી પરિવર્તનો આવી રહ્યાં છે. ઓલ્વિન ટોફલરે પોતાના પુસ્તક ‘ફયુચર શોક’ માં ઝડપથી થઈ રહેલાં આ સામાજિક પરિવર્તનોની અવળી અસરો વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ કારણે પેઢી પેઢી વચ્ચેનું અંતર વધી રહ્યું છે, પરસ્પર સમજણ ઘટી રહી છે, સ્વાર્થવૃત્તિથી વધી હોવાને પરિણામે બીજાંઓ વિશે વિચાર કરવાની વૃત્તિ ઘટી રહી છે. પાશ્ચાાત્ય સંસ્કારોનો પ્રભાવ, જડવાદી સભ્યતાનું આક્રમણ, ટી.વી. ચેનલો ને મિડિયાના પ્રભાવને લઈને જીવનની બદલાઈ ગયેલી પરિભાષા, આધ્યાત્મિક શિક્ષણ અને સંસ્કારોનો અભાવ – આ બધાંને પરિણામે આધુનિક યુગમાં મનુષ્યને બક્ષિસરૂપ મળેલો મહાન સદ્ગણ – સહનશીલતાનો લોપ થતો જાય છે અને તેનું પરિણામ એ આવે છે કે જરા સરખી મુશ્કેલીનું દબાણ પણ લોકો સહન કરી શકતા નથી.

આજે વૈજ્ઞાનિક ઉપકરણોએ માનવજીવનને અનેક સુવિધાઓ આપી છે. જીવનને સરળ બનાવ્યું છે. એક સૈકા પહેલાંની જ વાત કરીએ તો સ્ત્રીઓનું જીવન કેટલું મુશ્કેલ હતું! વહેલાં પરોઢિયે ઊઠીને ચાર વાગ્યે ઘંટીએ દળવું પડતું. ઘરનાં તમામ કાર્યો જાતે કરવાં પડતાં. સંયુક્ત કુટુંબમાં બધાંની સેવા કરવી પડતી, છતાં તે સમયે સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ આટલું બધું ન હતું! કેમ કે સ્ત્રીઓ ભલે શાળા- કોલેજમાં ભણેલી ન હતી. પણ તેમનો આદર્શ હતો – સીતા, સાવિત્રી, દમયંતિ. આ સતીઓના જીવનમાં કેવાં કેવાં દુઃખો પડ્યાં હતાં, એ જાણીને તેમની અદ્ભુત સહનશીલતામાંથી તેમને બળ મળતું અને તેઓ હસતા મુખે બધું સહન કરી શકતી, પછી તો તેમનો સ્વભાવ જ સહન કરવાનો બની જતાં એમને દુઃખ જેવું કે સહન કરવા જેવું જ લાગતું નહીં. પણ આજે ભલે જીવનમાં સુવિધાઓ – સગવડો વધી છે, પણ દુઃખો ઘટ્યાં નથી. ઊલટું કહેવાતી સ્વતંત્રતાની ભાવનાને લઈને યુવાન પેઢી, ‘હું શું કામ સહન કરું? હું શું કામ બંધનમાં રહું? મારી મરજી પ્રમાણે જ કરીશ.’ -આમ વિચારીને કંઈ જ સહન કરતી નથી, અને પછી જિંદગીભર તેનાં પરિણામો ભોગવ્યા કરે છે.

જો વ્યક્તિને સુખ-શાંતિ-પ્રેમ જોઈતાં હોય તો સહન કરતાં શીખી લેવું પડશે. સહનશીલ બનવા માટે બીજા કશાની જરૂર નથી. ફક્ત મન ઉપર સંયમ રાખવાની જરૂર છે. કોઈએ એક આકરો શબ્દ કહ્યો, તો સામે બેચાર શબ્દો એથીય વધારે આકરા કહી દેવા બહુ જ સહેલા છે. પણ એ આકરો શબ્દ સાંભળી લેવો, ગળી જવો, એની કોઈ જ પ્રતિક્રિયા ન કરવી – એ સંયમ છે. એ મુશ્કેલ છે. પણ એકવાર જો આ સંયમ મન ઉપર આવી જાય તો પછી સહનશક્તિની જાદુઈ ચાવી હાથમાં આવી જાય છે. અને આ ચાવીથી દરેક પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. ગરીબ ઘરનો એક યુવાન પાંચ વર્ષનો કરાર કરીને શેઠની દુકાનમાં કામ કરવા દુબઈ ગયો. ત્યાં આખો દિવસ કામ કરવાનું. ભયંકર ગરમી, તેના જેવા બીજા ત્રણ યુવાનો સાથે એક રૂમમાં રહેવાનું. – ત્યાં તેને જરા પણ ફાવતું ન હતું. રોજ રાત્રે ઘર યાદ આવે અને એમ થાય કે આના કરતાં દેશમાં મજૂરી કરીને પેટ ભરીશ. પણ અહીં નથી રહેવું, ચાલ્યા જવું છે. પણ નાનપણમાં દાદા રોજ રાત્રે રામાયણની કથા વાંચતા તે સાંભળી હતી. એ સંસ્કારો તેના આંતરમનમાં દૃઢ થઈ ગયેલા હતા તેથી જ્યારે ઘરે જવાની ઇચ્છા થાય ત્યારે મનમાં કહેતો રામને તો ચૌદ વર્ષનો વનવાસ હતો, એ તો રાજા હતા, તોય એમને કેટકેટલાં દુઃખ પડ્યાં. તેમણે તો એમ કહ્યું ન હતું કે ‘હું આવું નહીં સહન કરું, હું રાજાનો દીકરો છું.’ આમ રામના ચરિત્રને યાદ કરતાં તેણે ત્યાં પાંચ વર્ષ કાઢી નાખ્યાં અને પછી તો પોતાની સ્વતંત્ર દુકાન કરી અને આજે ખૂબ શ્રીમંત બની ગયો. પણ જો પરિસ્થિતિ સહી ન હોત તો આજે અહીં ક્યાંય ભટકતો હોત! આમ સહનશક્તિ કેળવવા માટે મહાપુરુષોનાં જીવનચરિત્રનું વાચન ખૂબ જ જરૂરી છે. તેથી ખ્યાલ આવે છે કે મહાપુરુષોએ કેટકેટલાં કષ્ટો સહન કર્યાં, જીવનમાં આવતી તમામ વિપત્તિઓનો હસતે મુખે સામનો કર્યો, ત્યારે તેઓ મહાન બન્યા. જે સહે છે, તે જ પામે છે, તેને જ મહાનતા મળે છે. શ્રીરામકૃષ્ણદેવનો મહત્વનો સંદેશ એ છે કે ‘જે સહે તે રહે. જે ન સહે તે ન રહે. ‘અન્ય અક્ષરો એક પણ ‘સ’ ત્રણ. શ, ષ અને સ. અર્થાત્ સહન કરો, સહન કરો અને સહન કરો.

બીતી તાહિ બિસાર દે

એક જગ્યાએ લગ્ન હતાં. મંડપમુહૂર્ત થઈ ગયું હતું. દીકરીની જાન આવવાની હતી. તેને માટેની બધી તૈયારીઓ થઈ રહી હતી. ત્યાં વૃદ્ધ માતાએ પુત્રને બોલાવીને કહ્યું, ‘બેટા, ચાલને મારી સાથે. તારાં કાકા-કાકીને તેડી આવીએ.’ ‘મા, એ વાત નહીં બને. તમને ખબર તો છે કે બાપુજીના મૃત્યુનો મલાજોય કાકાએ રાખ્યો ન હતો. ત્યારે જેમ ફાવે તેમ બોલીને જુદા થઈ ગયા. આપણે હવે એમની સાથે કંઈ લેવાદેવા નહીં. અત્યારે કામ ઓછું છે કે ત્યાં સમય બગાડવા જાઉં? પાછા ત્યાં જઈનેય એમનાં કઠોર વચનો સાંભળવાનાં? ના, મા. અત્યારે એ વાત કરો જ નહીં.’

‘દીકરા, એને જે કહેવું હોય તે કહે, પણ હું મોટી છું. આપણા ઘરે આ પહેલો પ્રસંગ છે. તારા બાપુજી હોત તો તેમને તેડી આવ્યા હોતને? જો તું નહીં આવે, તો મારે એકલીએ પણ જવું પડશે. ગઈ ગુજરી ભૂલીને એમને મનાવી લેવાનો આ શુભ પ્રસંગ છે. જો ચૂકી જઈશું તો ક્યારેય મન મેળ નહીં સધાય. તારી માની આ એક ઇચ્છા પૂરી કરી દે. તું મારી સાથે ચાલ.’ કચવાતે મને પુત્ર માતા સાથે કાકાના ઘરે ગયો. મનમાં હતું કે જો કાકા ફાવે તેમ બોલશે, તો માનો હાથ પકડીને તુરત જ પગથિયાં નીચે ઊતરી જઈશ. પણ તેના ધાર્યા કરતાં ઊલટું જ બન્યું. તેનાં કાકીએ કહ્યું. ‘તેઓ તો ક્યારનાય ઊંચાનીચા થાય છે અને કહે છે કે પોતાના ઘેર લગ્ન છે, પણ કોઈ તેડવા નથી આવ્યું તો હવે કેમ જાઉં?’ અને એના આશ્ચર્ય વચ્ચે એના કાકા પોતાનાં ભાભીના પગમાં પડીને રડવા લાગ્યા. આ દૃશ્ય જોઈને એની આંખમાં પણ પાણી આવી ગયાં. એને થયું કે માની શાણી સલાહ ન માની હોત તો ખરેખર આવો સુમેળ જોવા ન મળત! પોતાની સાથે જ કારમાં તે કાકા – કાકીને તેડી લાવ્યો. આ સત્ય ઘટના એમ બોધ આપે છે કે ભૂતકાળમાં કોઈએ કહેલાં વચનો પકડીને બેસી રહેવાથી તો મતભેદ, વૈમનસ્ય અને સંઘર્ષ વધે છે, પણ ભૂતકાળની વાતોને ભૂલીને – જો વર્તન કરવામાં આવે તો ક્લેશ કે મતભેદ લાંબું ટકતા નથી અને જીવનને ખળભળાવી દેતા નથી. આથી જ હિંદીમાં કહેવત છે કે ‘બીતી તાહિ બિસાર દે. આગેકી સુધ લેઈ’ – એટલે કે જે વીતી ગયું છે તેને ભૂલી જાવ અને આગળનું વિચારો.

પરંતુ માણસનું મન ભૂતકાળને પકડી રાખે છે. એમાં પણ કોઈએ કરેલું અપમાન કે કડવાં વેણ જિંદગીભર મનમાં સંગ્રહી રાખે છે. જાણે કે મન આવી દુઃખદાયી વસ્તુઓને સંગ્રહવાનું સ્થળ ન હોય! જો મનમાં બધાંના આવા કટુ શબ્દો જ સંગ્રહાયેલા હોય તો એ મનમાં સુખશાંતિ આવે ક્યાંથી? જીવન તો વહેતા પ્રવાહ જેવું છે. અને તે સતત વહેતું રહે તો જ નિર્મળ અને સ્વચ્છ રહે છે. જેમ નદીના પ્રવાહમાં ઊભા રહીએ તો તેનું પાણી ક્ષણે ક્ષણે બદલાય છે, એવું જ કાળના પ્રવાહમાં જીવનનું છે. તે ક્ષણે ક્ષણે બદલાય છે. ક્ષણ પહેલાં મનુષ્યની ચેતનાની જે સ્થિતિ હોય છે, તે ક્ષણ પછી નથી હોતી. એટલે થોડા સમય પહેલાં ગુસ્સા અને આવેગમાં આવેલા મનુષ્યે જેમ તેમ શબ્દો બોલી નાંખ્યા હોય, પણ પછી તે સમૂળગો બદલાઈ જ ગયો હોય, તો તેના આવેશમાં બોલાયેલા શબ્દોને પકડીને દુઃખી થવું એ નરી મૂર્ખાઈ ગણાય. કેમ કે એ શબ્દો કહેનાર અને અત્યારે જે છે, તે બંને જુદા છે. આથી મનુષ્યે જે કંઈ પણ બની ગયું હોય તેને યાદ રાખીને દુઃખી થવું ન જોઈએ. અરે, વ્યક્તિએ પોતે ભૂતકાળમાં કંઈ ભૂલો કરી હોય, અને તેનો તીવ્ર પશ્ચાત્તાપ પણ કરી લીધો હોય, પછી એ ભૂલોને વારંવાર યાદ કરીને પોતાની જાતને કોસ્યા કરવી ન જોઈએ. ભૂતકાળના બનાવો, ઘટનાઓ, ભૂલો એમાંથી જે શીખવાનું છે, તે શીખીને મનુષ્યે વર્તમાનનાં ઉજ્જવળ કાર્યો દ્વારા સુંદર ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. ભૂતકાળને પકડીને બેસી રહેવાનું નથી. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘જો હું તમને એવો ઉપદેશ આપું કે તમે સ્વભાવે પાપી છો, કારણ કે તમે અમુક ભૂલો કરી છે. અને તમારે ઘેર જઈ, શરીરે ચીંથરાં વીંટીને, રાખ ચોળીને જિંદગી આખી રોદણાં જ રોયાં કરવાં, તો તેથી તમને કંઈ જ ફાયદો નહીં થાય. તેથી તો તમે વધારે નબળા બનશો… જો ઓરડો હજાર વર્ષથી અંધારાથી ભરેલો હોય અને તમે આવીને રડવા કે શોક કરવા લાગો કે અરેરે અહીં અંધારું છે, તો શું તેથી અંધારું દૂર થઈ જશે? તમે દીવાસળી પેટાવો એટલે એક પળમાં પ્રકાશ આવી જશે. એટલે કે મનુષ્યે ભૂતકાળ અંગે રુદન કરવા કરતાં એવાં કાર્યો કરવાં જોઈએ કે જેથી ઉજ્જવળ ભવિષ્ય કંડારાય. વ્યક્તિ માટે, કુટુંબ માટે અને સમાજને માટે આ પ્રગતિનો માર્ગ છે, સુખ અને શાંતિનો માર્ગ પણ આ જ છે.

કાલ કરે સો આજ કર

‘સ્વામીજી, મારી દીકરી આખી રાત સૂઈ શકતી નથી. તેને એટલું બધું ટેન્શન થઈ ગયું છે. અને જે વાંચે છે, તે હવે યાદ રહેતું નથી. બસ, આખો દિવસ ચિંતા કર્યા કરે છે કે ‘હવે પરીક્ષામાં હું શું કરીશ?’ રામકૃષ્ણ મિશનના એક વરિષ્ઠ સંન્યાસી પાસે માતા પોતાની ટી.વાય.બી.કોમ.માં ભણતી પુત્રીને કંઈક માર્ગદર્શન મળે અને તેનું ટેન્શન દૂર થાય, એ હેતુથી લઈ આવી. સ્વામીજીને બધી હકીકત જણાવી.

ટી.વાય.બી.કોમ.ની પરીક્ષાને પંદર દિવસની વાર હતી અને હવે તેણે વાંચવાનું શરૂ કરતાં કંઈ સમજ પડતી ન હતી. પહેલાં તો સ્વામીજીએ ઠપકો આપતાં કહ્યું, ‘આખું વર્ષ મોજમજા કરો અને છેલ્લી ઘડીએ વાંચવા બેસો તો યાદ ક્યાંથી રહે? આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાય? આખું વર્ષ પહેલેથી નિયમિત રહ્યાં હોત, રોજેરોજનું ‘લેશન’ રોજ કરતાં હોત તો આ દશા ન થાત.’ આમ તેની પરિસ્થિતિનું ભાન કરાવીને પછી કહ્યું, ‘ બેટા, હજુ પણ તારા હાથમાં પંદર દિવસ છે. ચિંતા કરવી છોડી દે. વર્ગમાં પ્રોફેસરોએ જે અગત્યના મુદૃાઓ આપ્યા હોય એ બરાબર સારી રીતે તૈયાર કરવા માંડ. નિરાશ થયા વગર એકાગ્રતાપૂર્વક વાંચીશ તો તને યાદ રહી જશે અને તું પરીક્ષામાં સારી રીતે લખી શકીશ.’ એ વિદ્યાર્થિની ઉત્સાહ સાથે પાછી ફરી અને એ રીતે તૈયારી કરવા લાગી.

મોટાભાગના વિદ્યાર્થીઓ, યુવાન કાર્યકર્તાઓનું વલણ છેલ્લી ઘડીએ કાર્યો કરવાનું હોય છે. જ્યારે હાથમાં સમય હોય છે, ત્યારે શું ઉતાવળ છે, નિરાંતે પછી કરીશું એમ કહીને બધાં કામો મુલતવી રાખે છે. પછી બધાં કામો એક સાથે ભેગાં થઈ જાય છે. એમાંનાં કેટલાંક તો તાત્કાલિક કરવાં પડે તેવાં હોય છે. અને ત્યારે મગજ ઉપર પ્રચંડ દબાણ આવી જાય છે. હાંફળા ફાંફળા બની ઉતાવળે બધાં કામો કરે છે, એક સાથે બધાં કામ કરવાથી કામ પણ સારાં થતાં નથી અને મનમાં પણ શાંતિ રહેતી નથી. વળી કામો પૂરાં ન થાય એટલે સ્વભાવ ચીડિયો થઈ જાય છે. ઓફિસર હોય તો પોતાના હાથ નીચે કામ કરનારા માણસો ઉપર ગુસ્સો ઠાલવે છે. ઘરમાં પત્ની અને બાળકો ઉપર ગુસ્સો ઠલવાય છે. આમ સમયસર કામ ન કરવાને પરિણામે ઓફિસની, ઘરની અને પોતાના મનની શાંતિ ગુમાવાય છે. આથી જ કાર્યના બોજામાંથી જો મનને મુક્ત રાખવું હોય, મનની શાંતિને જાળવવી હોય તો જીવનમાં આ સૂત્ર અપનાવવું જરૂરી છે કે ‘કાલ કરે સો આજ કર.’ જે કાર્ય આજે થઈ શકે તેમ હોય તે કાલ ઉપર મુલતવી રાખવાં જોઈએ નહીં.

આજના ઝડપી યુગમાં તો માણસને એક સાથે કેટલાં બધાં કામ કરવાં પડતાં હોય છે. એટલે માણસે ‘ટાઈમ મેનેજમેન્ટ’ કરવું જરૂરી છે. ઓછા સમયમાં વધારે ઝડપથી કાર્યો કરવાની શક્તિ આ યુગમાં માણસે વિકસાવવી પડશે. તે માટેનું આ પ્રથમ સૂત્ર છે કે આજનાં કાર્યો આજે જ કરી લેવાં. આવતી કાલ કદી આવતી નથી. જેઓ કાર્યોને કાલ ઉપર ઠેલી દે છે, તેઓ કાળના પ્રવાહ ઉપર તરી શકતા નથી, પણ કામના બોજા હેઠળ પછી એ પ્રવાહમાં ડૂબી જાય છે. સમયનું બરાબર વ્યવસ્થિત રીતે આયોજન કરી, મહત્ત્વનાં કાર્યોને પ્રથમ પસંદગી આપી, ઓછા મહત્ત્વનાં કાર્યોને રદબાતલ કરી દેવાથી કાર્યોનો બોજો લાગતો નથી. સમય બચે છે. શક્તિનો દુર્વ્યય થતો અટકે છે. એથી બીજાં મહત્ત્વનાં કાર્યો પણ વધારે સારી રીતે થઈ શકે છે.

ઓછા સમયમાં ખૂબ વધારે કાર્યો કરવાં હોય અને વળી ઝડપથી કાર્યો કરવાં હોય અને પાછાં કોઈ પણ જાતના તણાવ વગર કરવાં હોય તો કેવી રીતે કરવાં? આ માટે સ્ટીફન કોવી પોતાના પુસ્તક ‘ધ સેવન હેબીટ્સ ઓફ હાઈલી ઈફેકટીવ પીપલ’માં સાતમી ટેવ વિશે એક ઉદાહરણ આપીને કહે છે કે ‘સ્વયંની ધાર કાઢતા રહો.’ એક કઠિયારો લાકડાં કાપતો હતો. કાપતાં કાપતાં તે ખૂબ થાકી ગયો. તેની કુહાડીની ધાર બુઠ્ઠી થઈ ગઈ. પણ તો ય તે લાકડાં કાપ્યે જતો હતો. કોઈ શાણા માણસે તેને કહ્યું, ‘તું ખૂબ થાકી ગયો છે, થોડો વખત વિશ્રામ કરી લે. તારી કુહાડીની ધાર તેજ કરી લે. પછી તું ખૂબ વધારે લાકડાં કાપી શકીશ.’ ત્યારે કઠિયારાએ કહ્યું, ‘તમારી વાત તો સાચી છે ભાઈ, પણ જુઓ છોને આ ઢગલો કેટલો મોટો છે! આરામ કરું અને ધાર કઢાવું તો પછી આ લાકડાં ક્યારે કાપું?’ એમ કહીને બુઠ્ઠી થયેલી ધારવાળી કુહાડીથી તે લાકડાં કાપતો રહ્યો! ભારે પરિશ્રમ કરતો રહ્યો. પણ ધાર કઢાવવાનો તેને સમય ન હતો. મોટા ભાગના મનુષ્યો આ કઠિયારા જેવા જ છે. બસ, બુઠ્ઠી ધારથી લાકડાં નથી કપાતાં તો પણ કાપ્યે જ જાય છે. મનની ધાર સજાવવા માટે પ્રાર્થના અને ધ્યાનની દસ મિનિટનો સમય પણ એમની પાસે નથી. સતત પ્રવૃત્તિ અને દોડધામમાં અને કામના ભારે બોજા હેઠળ એમની આ કુહાડી એવી તો બુઠ્ઠી થઈ જાય છે કે પછી લાકડું તો શું પણ એક છોડિયું પણ કાપી શકાતું નથી. તનાવ – ચિંતા, બ્લડ પ્રેશર, નર્વસ બ્રેકડાઉન – આ બધાંથી પછી મન સાવ ખતમ થઈ જાય છે. આવી સ્થિતિ આવે તે પહેલાં મનની ધાર કાઢવા માટેનો સમય ફાળવી લેવો જોઈએ. પ્રાર્થના, ધ્યાન, જપ-કીર્તન આ બધાં મનની શક્તિ વધારવાનાં અમોઘ સાધનો છે. એની પાછળ થોડો પણ સમય આપવાથી એ સમય બગડતો નથી પણ મનની ધાર સતેજ થતાં ઓછા સમયમાં ખૂબ વધારે ઝડપથી કાર્યો થાય છે. મન શાંત થાય છે. એકાગ્રતા વધે છે. તેથી જે કામને પહેલાં કલાકો લાગતા હતા, તે હવે મિનિટોમાં થઈ જાય છે. તેને પરિણામે ચોવીસ કલાકના સમયમાં – ચાર કલાક – આ ઝડપથી કામ કરવાને લઈને વધી જાય છે.

મનને નાની વયમાં જ આ રીતે સતત સતેજ કરતા રહેવું જોઈએ. એટલે કે નાનપણથી જ પ્રાર્થના-ધ્યાન વગેરેની ટેવ પાડવી જોઈએ. પણ જ્યારે વિદ્યાર્થીઓ, યુવાનોને આ વિશે કહેવામાં આવે છે, ત્યારે તેમનો જવાબ હોય છે, ‘હમણાં તો કેટલું બધું કામ છે. બિલકુલ સમય નથી. પછી કરીશું.’ પણ ‘પછી કરીશું’ એ ન કરવા માટેનું એક સરસ મજાનું બહાનું છે. ‘સમય નથી’ -એ ટ્રમ્પકાર્ડ છે, જે આજના મોટાભાગના લોકો અપનાવી રહ્યા છે. સ્વામી વીરજાનંદજી મહારાજ ‘પરમ પદને પંથે’ પુસ્તકમાં કહે છે, ‘જીવન તો આજ છે અને કાલ નથી, ઘડીકમાં છે અને ઘડીકમાં નથી, કોણ કહી શકે તેમ છે કે તમે વૃદ્ધાવસ્થા સુધી જીવવાના અને એ વખતે પછી સમય મળવાનો! માટે જે કરવાનું હોય તે અત્યારથી જ કરી લો. કાલ સારુ રાખી મૂક્યે પછી એ કાલ કોઈ કાળે આવવાની નથી.’

મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે ભગવાનને દરરોજ ફક્ત પંદર મિનિટ જ આપવામાં આવે તો આ પંદર મિનિટ પછીથી સમગ્ર જીવનને બદલી નાંખશે. પણ આ પંદર મિનિટ જેટલી શક્ય તેટલી વહેલી ભગવાનને આપવી જોઈએ. આમાં વિલંબ કરવાથી વ્યક્તિને પોતાને કેટલું મોટું નુકશાન જાય છે, તેનો જો વ્યક્તિને ખ્યાલ હોય તો તે એમાં એક ક્ષણનો પણ વિલંબ કરે નહીં. અફસોસની વાત તો એ છે કે એને એનો ખ્યાલ જ નથી! ‘ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ પુસ્તકમાં થોમસ કેમ્પિસ કહે છે, ‘અત્યારનો સમય ઘણો જ કીમતી છે. અત્યારનો સમય તારણનો છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે સમયમાં તું સનાતન જીવન માટે પુણ્યો એકઠાં કરી શકે છે, તેનો વધારે સદુપયોગ કરતો નથી.પછી એવો વખત આવશે કે જ્યારે તું સુધરવા માટે એક દિવસ અથવા તો એક ઘડીની જ ઝંખના કરશે, પણ તે તને મળશે કેમ, તે હું જાણતો નથી.’ એ જ પુસ્તકમાં આગળ લખ્યું છે. હજુ લાંબુ જીવન છે, પછી નિરાંતે ભગવાનનું નામ લઈશું એમ માનનારા મનુષ્યોને ઉદૃેશીને જણાવ્યું છે, ‘અરે મૂર્ખ, જ્યાં તને એક દિવસની પણ ખાતરી નથી, ત્યાં લાંબુ જીવવાનો વિચાર કેમ કરે છે? કેટલા બધા લોકો આ રીતે ઠગાયા છે, અને અચાનક દેહમાંથી ઝડપી લેવાયા છે!… બધા માણસોનો અંત મૃત્યુ છે, માનવીનું જીવન પડછાયાની જેમ ઓચિંતું સરી જાય છે… માટે હે વ્હાલા, અત્યારે તારાથી થઈ શકે તે બધું અત્યારે જ કરી નાખ. કેમ કે તું ક્યારે મરી જઈશ તેની તને ખબર નથી. મૃત્યુ પછી તારું શું થશે તે પણ તું જાણતો નથી. તને વખત છે. ત્યાં સુધીમાં તું શાશ્વત સંપત્તિ એકઠી કરી લે.’

આમ મનુષ્યને જો શાશ્વત સંપત્તિ, શાશ્વત શાંતિ જોઈતી હોય તો રોજેરોજ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. એમાં ‘હમણાં નહીં, કાલે કરીશ’ એવી મનોવૃત્તિ નહીં ચાલે. મનનાં અનેક બહાનાં તો તૈયાર જ હોય છે, અને વખત તો ચાલ્યો જ જાય છે. એટલે

‘‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ,
પલમેં પ્રલય હોગા, બહુરિ કરેગા કબ.’

આ પંક્તિને યાદ રાખીને કાલ ઉપર ભરોસો મૂક્યા વગર જો આજથી જ મનને સ્વસ્થ અને શાંત રાખવા ભગવાનની પ્રાર્થના – ચિંતન – મનનમાં જોડી દઈએ તો સંસારનાં દુઃખ, તનાવ, કષ્ટ કે અશાંતિ રહેશે નહીં. શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજી કહે છે કે ‘…તો પછી તમારું જીવન એટલું સુંદર રીતે ગૂંથાઈ જશે કે સંસારનાં દુઃખ, કષ્ટ કે અશાંતિ તમને કોઈ પ્રકારે સ્પર્શી શકશે નહીં. બસ, આનંદ, આનંદ જ રહી જશે. તમે અપાર આનંદના અધિકારી બની જશો.’

મામનુસ્મર યુધ્ય ચ

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ફક્ત અર્જુનને જ નહીં, પણ અર્જુનને પ્રતિનિધિ બનાવીને સમગ્ર માનવજાતિને જીવન જીવવાની અદ્ભુત કળા બતાવી છે. તેઓ એમ કહેતા નથી કે જીવનના કુરુક્ષેત્રમાંથી નાસી જાઓ. તેઓ તો એમ કહે છે કે જીવનનું યુદ્ધ લડો અને તે પણ ઉત્તમ રીતે લડો. મનની સંપૂર્ણ સ્વસ્થતાથી લડો. યુદ્ધના મેદાનમાં સ્થિરતા, સ્વસ્થતા અને શાંતિ કેવી રીતે જાળવવાં? જીવનની વિષમ પરિસ્થિતિઓમાં કઈ રીતે સ્થિર રહેવું? આ માટેનો દિવ્યમંત્ર ભગવાને સ્વમુખે આપ્યો છે કે‘મામનુસ્મર’ અને તે પણ સર્વ સમયે. ભગવાને એમ નથી કહ્યું કે સવારે પૂજા – પાઠના સમયે જ તું મારું સ્મરણ કરજે. એમણે તો સર્વ કાળે – એટલે કે તું જે કંઈ કાર્ય કરતો હોય ત્યારે પણ સતત મારું સ્મરણ કર અને યુદ્ધ લડ. આપણે પણ જીવનનું યુદ્ધ જો ભગવાનનું સતત સ્મરણ કરતાં કરતાં લડીએ તો અર્જુનની જેમ યુદ્ધમાં વિજય તો મળે જ છે, પણ સાથે સાથે ભગવાન સ્વયં પણ મળે છે.

ભગવાનનું નામ એ સર્વ પ્રકારના રોગોની દિવ્ય ઔષધિ છે. ગાંધીજી જ્યારે નાના બાળક હતા, ત્યારે તેમને ખૂબ બીક લાગતી હતી. ત્યારે દાસીએ બાળક મોહનને કહ્યું, ‘તું રામનું નામ લઈશ, તો ભૂતપ્રેત બધું ભાગી જશે. રામનામમાં એવી શક્તિ છે.‘ બાળક મોહને શ્રદ્ધાપૂર્વક આ નામ સ્વીકારી લીધું. આ નામના રટણથી તેનો ભય ચાલ્યો ગયો અને પછી તો આ રામનામ એમના જીવનના અંત સુધી સાથે રહ્યું. અનેક મુશ્કેલીઓ, કટોકટીઓ, સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી મહાન લડતમાં પણ રામનામે ગાંધીજીને અપાર શક્તિ પ્રદાન કરી. હરિઃ ૐ આશ્રમના શ્રીમોટાને ફેફરાનો રોગ થયો હતો. આ રોગ તેમણે ગુરુએ આપેલા મંત્રના સતત જપ દ્વારા મટાડ્યો હતો. માનસિક દર્દાેને દૂર કરવાની તો અદ્ભૂત શક્તિ નામજપમાં રહેલી છે.

એક વખત શ્રીમા શારદાદેવી જયરામવાટીમાં શાક સુધારી રહ્યાં હતાં. એક બ્રહ્મચારી શ્રીમાને પત્રો વાંચીને સંભળાવી રહ્યા હતા. એક ભક્તે લખ્યું હતું, ‘મા, મારા મનમાં શાંતિ નથી. મારું મન ઈશ્વરમાં લાગતું નથી.’ ત્યારે શ્રીમાએ શાક સુધારવાનું બાજુએ મૂકીને હાથ લંબાવીને ભારપૂર્વક કહ્યું કે તું એને લખી નાંખ કે ‘રોજ દિવસમાં પંદર વીસ હજાર વાર ઈશ્વરના જપ કરે અને થોડો સમય આવું કર્યા પછી જો મનમાં શાંતિ ન થાય તો મને લખે.’ આમ મનની શાંતિ મેળવવાનો સરળમાં સરળ ઉપાય શ્રીમાએ નામજપનો બતાવ્યો છે.

સંસાર વ્યવહારમાં તો અનેક સમસ્યાઓ આવ્યા જ કરે છે. મનુષ્ય નિરાશ થઈ જાય છે. ઘણી વખત તો ખૂબ મથવા છતાં સમસ્યાઓ હલ થતી નથી, અને તેથી હારીને મનુષ્ય આત્મહત્યા જેવું પગલું ભરવા તૈયાર થાય છે. પણ જેઓ ભગવાનનું નામ લે છે, તેઓ આવી નિરાશામાં પણ ટકી જાય છે. શ્રીમા શારદાદેવીએ સંસારની સર્વ સમસ્યાઓનો ઉકેલ બતાવતાં એક ભક્તને કહ્યું હતું, ‘ચૂપચાપ ઈશ્વરનું નામ લેવું, ભગવાનનાં નામનો જપ કરવો. એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે.’ જીવનથી ભાગી જવાથી કોઈ સમસ્યાઓ હલ થતી નથી.ઘણા લોકો જીવનથી કંટાળીને કહે છે કે ‘અમારે સંન્યાસ લેવો છે. અમારે બધું છોડી દેવું છે. પછી અમારે કોઈ સમસ્યા જ ન રહે.’ પણ આ તો પલાયનવાદ છે. જીવનથી કંટાળીને, હારીને સંન્યાસ લેવાથી કદાચ બહારથી બધું છૂટી ગયેલું દેખાય, પણ અંદરની સ્થિતિ બદલાતી નથી. એટલે બહારથી બધું છોડી દેવાથી કંઈ મનમાં તાત્કાલિક શાંતિ આવી જતી નથી. એને માટે મનની સ્થિતિ બદલવી પડે છે. મનને ઊંચી સ્થિતિમાં લઈ જવા માટેનું જો કોઈ સરળમાં સરળ અને સહુ કોઈ અપનાવી શકે તેવું સાધન હોય તો તે છે ભગવાનના નામનો જપ.

ભાગ્યને બદલી નાંખવાની પ્રચંડ શક્તિ ભગવાનના નામમાં રહેલી છે. શ્રીમા શારદાદેવી કહે છે,‘વિધાતાએ લખેલા લેખને ભૂંસવાની શક્તિ પણ નામજપમાં રહેલી છે. વિધાતાએ લખેલા લેખ વિધાતા સિવાય કોઈ જ ભૂંસી શકતું નથી, પણ ભગવાનના નામનું સતત રટણ કરનારાના વિધાતાએ લખેલા લેખ વિધાતા પોતાના હાથેથી ભૂંસી નાંખે છે.’ રામનામે જ વાલિયા લૂંટારાના વિધાતાએ લખેલા લેખ ભૂંસીને તેને મહાન ઋષિ વાલ્મીકિ બનાવી દીધા, એ કથા તો સર્વવિદિત છે.

સામાન્ય રીતે તો જ્યારે વિપત્તિ આવે, દુઃખ આવે ત્યારે જ ભગવાનનું નામ મનુષ્યને યાદ આવે છે. એટલે જ તો કબીજી કહે છે કે,

‘‘દુઃખમેં સુમિરન સબ કરે, સુખમેં કરે ન કોઈ,
જો સુખમેં સુમિરન કરે, તો દુઃખ કાહે કો હોઈ,’

સુખમાં માણસને ભગવાનનું નામ યાદ આવતું નથી. સુખમાં તો માણસ ભોગવિલાસ અને મોજમઝામાં જ રચ્યો પચ્યો રહે છે. પણ દુઃખમાં પછી કહેવા લાગે છે કે ‘હે ભગવાન, મને બચાવો.’ ભલે દુઃખ અને વિપત્તિમાં પણ જો ભગવાનને યાદ કરે તો ભગવાન જરૂર બચાવી લે છે. ‘ધ્યાન, ધર્મ અને સાધના’ નામના પુસ્તકમાં સ્વામી બ્રહ્માનંદજી કહે છે, ‘જ્યાં ભગવાનનું નામ આવે છે,ત્યાં પાપ ટકતું નથી. અપવિત્રતા રહેતી નથી. કપાસના ઢગલામાં દીવાસળી મૂકવાથી જેમ સમસ્ત કપાસ ક્ષણભરમાં ભસ્મીભૂત થઈ જાય છે, તેમ એક ક્ષણમાં બધાં પાપોને ભસ્મભૂત કરવાની શક્તિ ભગવાનના નામમાં રહેલી છે.’

પરંતુ ફક્ત દુઃખમાં જ નહીં પણ સુખમાંય જો ભગવાનનું નિત્ય સ્મરણ કરવામાં આવે તો મનમાં અદ્ભુત શાંતિ રહે છે અને ચિત્ત પ્રસન્ન રહે છે. એટલે જ શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ‘ઈશ્વરનાં નામ, ગુણગાન હંમેશા કરવાં જોઈએ. અને સત્સંગ, ઈશ્વરના ભક્ત અને સાધુની પાસે અવારનવાર જવું જોઈએ.’ ઈશ્વરનું નામ લેવાથી, ઈશ્વરના સૂક્ષ્મ સ્વરૂપ સાથે મનુષ્યનું અનુસંધાન થઈ જાય છે. જેમ કોઈ વ્યક્તિને યાદ કરતાં તેની આકૃતિ સૂક્ષ્મ રીતે મનના પડદા ઉપર આવે છે અને તે વ્યક્તિ સાથે અદૃશ્ય સંબંધ બંધાઈ જાય છે. એ જ રીતે ઈશ્વરનું નામ લેવાથી ચિત્તમાં ઈશ્વરની અદૃશ્ય છબિ અંકિત થઈ જાય છે. સૂક્ષ્મ રીતે ઈશ્વર સાથે સંબંધ સ્થપાઈ જાય છે. ઈશ્વર તો છે સર્વશક્તિમાન, એમની સાથેનો સંબંધ જોડાઈ જતાં પછી અદૃશ્ય રીતે જ મનુષ્યમાં અદ્ભુત શક્તિ આવે છે. એ શક્તિ આવતાં – એને મૂંઝવતી સમસ્યાઓ, અશાંત કરી મૂકતી પરિસ્થિતિ એટલી વિકટ જણાતી નથી. પછી વધુને વધુ નામસ્મરણ કરતાં – ભગવાનની શક્તિ – શાંતિ – પ્રેમ-કરુણા-કૃપા, આવી ભગવાનની દૈવી બક્ષિસો એને મળે છે. એની આંતરિક સ્થિતિ બદલાઈ જતાં પછી કોઈ મુશ્કેલી જણાતી નથી. કોઈ સમસ્યા તેને મૂંઝવી શકતી નથી.જે વ્યક્તિ ભગવાનનું નામસ્મરણ કરતાં કરતાં જીવનનાં બધાં કાર્યો કરે છે, એને જીવનમાં પરમ શાંતિ તો મળે જ છે, પણ એ શાંતિના દાતા સ્વયં ભગવાન મળે છે. એ વાત ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના આઠમા અધ્યાયના સાતમા શ્લોકમાં કરી છેઃ

तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।
मय्यपिर्तमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयः।।7।।

‘તે માટે સર્વકાળમાં તું મારું સ્મરણ કરતો રહે અને યુદ્ધ કર. મારામાં મનબુદ્ધિ અર્પણ કરવાથી ચોક્કસ તું મને જ પામીશ.’

આમ સીધું, સાદું, સરળ જણાતું, સહેલાઈથી ઉચ્ચારાતું, કોઈ પણ પરિસ્થિતિમાં લઈ શકાતું ભગવાનનું નામ, જેમ સૂર્ય ઘનઘોર કાળાં વાદળાંઓને વિખેરીને પ્રકાશ પાથરી દે છે, તેમ જીવનમાં છવાયેલાં હતાશા, નિરાશા, ચિંતા અને મુસીબતોનાં વાદળાંને વિખેરીને હૃદયમાં એવો દિવ્ય પ્રકાશ પાથરી દે છે, કે પછી એ પ્રકાશમાં અજ્ઞાનનાં કોઈ બળો ટકતાં નથી અને જીવન આનંદથી ભરપૂર બની રહે છે.

ઈશ્વરની શાંતિને હણી લો

બાળક રડવા લાગે છે, એટલે મા તેને ચોકલેટ આપીને જતી રહે છે, કે તેનું બાળક ચોકલેટથી શાંત થઈ જાય. પણ બાળકે ચોકલેટ ફેંકી દીધી અને રડવાનું ચાલુ જ રાખ્યું, એટલે મા પાછી આવીને તેની પાસે બેચાર રમકડાં મૂકી જાય છે, પણ બાળક રમકડાં સામે ય જોતું નથી અને તે રડ્યા જ કરે છે. એટલે પછી મા, બધાં કામ છોડીને એને તેડી લે છે, અને ગોદમાં લઈને પ્રેમથી થપથપાવીને બાળકને શાંત કરી દે છે. માએ બાળકને ગોદમાં લેવું જ પડ્યું, કેમકે એણે રડીને માને બેચેન કરી મૂકી હતી, માની શાંતિ હણી લીધી હતી. માએ થાકીને, કંટાળીને પણ, એને ચૂપ કરવા માટે પણ તેને ગોદમાં લેવું પડ્યું. બસ, ભગવાન પાસે પણ આ જ રીત અજમાવવાનું શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી કહે છે, ‘ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કાર્ય છે. તમારે ખરા અંતઃકરણથી તેમ કરવું જોઈએ. તમારી સતત પ્રાર્થનાથી જાણે કે તમે ઈશ્વરને અસ્થિર કરી મૂકો,’ એટલે કે જ્યારે વિપરીત સંજોગો આવે, માણસનું મન અશાંત અને વ્યગ્ર બની જાય, ત્યારે ભાંગી પડવાને બદલે, નિરાશ થઈ જવાને બદલે મનુષ્યે ભગવાનને અશાંત અને વ્યગ્ર કરી મૂકવા જોઈએ. ભગવાનને તીવ્રતમ પ્રાર્થના દ્વારા સતત નિવેદન કર્યા જ કરવું જોઈએ કે પછી ભગવાન પણ માતાની જેમ રડતા બાળકને ચૂપ કરવા, છાનું રાખવા માટે પણ ગોદમાં ઉઠાવી લે છે.

મહાભારતની કથામાં દ્રૌપદીના જીવનમાં જે કટોકટી આવી તે તો કટોકટીની પરાકાષ્ઠા કહેવાય. રાજ્યની ભરી સભામાં વડીલોની હાજરીમાં રાજકુલવધૂનાં ચીર ખેંચાય એના જેવી નારી જીવનની દુર્દશા બીજી કોઈ હોઈ શકે જ નહીં. તે સમયે તેણે સહાય માટે સર્વ વડીલોને વિનંતી કરી. પણ કોઈએ સહાય ન કરી. આખરે આર્તભાવે તેણે શ્રીકૃષ્ણને પોકાર્યા. એ પોકાર એવો તીવ્રતમ હતો કે શ્રીકૃષ્ણ ભગવાને એને તત્કાળ સહાય કરી.

જેમણે જેમણે આતુર ભાવે ભગવાનને પોકારીને ભગવાનને બેચેન બનાવી દીધા છે, એમને ભગવાને જરૂર પોતાની ગોદમાં ઊંચકી લીધા છે. મીરાંએ ભગવાનને તીવ્રતમ ઉત્કટતાથી પોકાર્યા, તો મીરાં શ્રીકૃષ્ણને પામ્યાં. એવું પણ કહેવાય છે કે દ્વારકાધીશે મીરાંને સદેહે પોતાની અંદર સમાવી લીધાં. એવું જ ચૈતન્ય મહાપ્રભુનું પણ થયું હતું. કૃષ્ણના વિરહમાં તેઓ પાગલ બની ગયા હતા. એમની આંખોનાં આંસુ સુકાતાં ન હતાં. ભગવાન જગન્નાથ મંદિરના ગરુડ સ્તંભ ઉપર કલાકો સુધી ઊભા રહીને તેઓ અનિમેષ જગન્નાથની મૂર્તિને જોયા કરતા. જે સ્તંભને પકડીને તેઓ ઊભા રહેતા એ સ્તંભ ઉપર એમના હાથની છાપો – પથ્થરમાં ઊઠી ગઈ હતી એવું કહેવાય છે. કૃષ્ણ કૃષ્ણ કરતાં એમનું સમગ્ર જીવન કૃષ્ણમય બની ગયું હતું. આવો ઉત્કટભાવ હોય તો પછી ભગવાન આવે જ ને! એમને માટે પણ એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથે એમને સદેહે સમાવી લીધા.

‘મા, મા, આજનો દિવસ પણ નકામો ગયો. તેં આજે પણ દર્શન ન દીધાં. આ ક્ષણભંગુર જીવન તો ચાલ્યું જાય છે, તું શું ક્યારેય દર્શન નહીં દે? શું તું આ દીન બાળક ઉપર ક્યારેય કૃપા નહીં વરસાવે?’ આમ કહીને દક્ષિણેશ્વરના કાલીમંદિરના નાના પૂજારી ધૂળમાં આળોટવા લાગતા. અને માનાં દર્શન ન થવાથી તીવ્રપણે આક્રંદ કરતા. તેમના મુખ ઉપર ઉઝરડા પડી જતા. પણ તેમને કંઈ ભાન જ ન રહેતું. આથી લોકો તેમને પાગલ બ્રાહ્મણ કહેતા હતા. ‘હે મા, તું સાચી છો કે પછી પથ્થરની મૂર્તિ છો? તું મૃણ્મયી છો કે ચિન્મયી છો, તું ખરેખર છો કે પછી કલ્પના જ છો? જો હોય તો મને દર્શન કેમ નથી આપતી? તારા વગર મારા પ્રાણ વ્યાકુળ બની ગયા છે.’ આમ રોજેરોજ પ્રાર્થના કરવા છતાં માનાં દર્શન થતાં ન હતાં, એટલે એક દિવસ આ પાગલ પૂજારીએ માના મંદિરમાં રહેલું ખડગ હાથમાં લઈને, ‘મા, તારાં દર્શન વગર જીવવું નકામું,’ એમ કહીને પોતાની ડોક ઉપર ઉગામ્યું, ત્યાં તો એ માટીની મૂર્તિમાંથી ઝળહળ થતું જ્યોર્તિમય રૂપ પ્રગટ્યું. તેમના હાથમાંથી ખડગ પડી ગયું. તેઓ પોતે પણ નીચે પડી ગયા. એ પછી શું બન્યું એની વાત એમણે આ રીતે કરી છે,… ‘અને હું બેભાન થઈને પછી જમીન ઉપર ઢળી પડ્યો. એ પછી એ દિવસ અને બીજો દિવસ શી રીતે પસાર થયો, તેની મને ખબર નથી. પરંતુ મારું અંતર એક અપૂર્વ અને વિશુદ્ધ આનંદના પ્રવાહમાં નાહી રહ્યું હતું. જગદંબાની હાજરીનો મને અનુભવ થઈ રહ્યો હતો, જગદંબાનો સાક્ષાત્કાર કરનાર આ પાગલ પૂજારી હતા શ્રીરામકૃષ્ણ.’ આમ તીવ્રભાવે પોકારી પોકારીને જેમણે ઈશ્વરની શાંતિને હણી લીધી છે, એમને ઈશ્વર અચૂક મળ્યા છે.

આ તો ઈશ્વરને મેળવવાની ઉત્કટ ઝંખનાવાળા અસામાન્ય મનુષ્યોની વાત થઈ. પણ સામાન્ય મનુષ્યો પણ પોતાની દૈનિક જીવનમાં ઈશ્વરને જો નિત્ય પ્રાર્થના કરે તો તેમનાં મન શાંત અને સ્થિર બને છે. પછી ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તેઓ સ્વસ્થ રહી શકે છે. તાજેતરમાં ભુજમાં ધરતીકંપ થયો. એક સદ્ગૃહસ્થનો દરરોજ સવારે ભગવાનની આરાધના – પ્રાર્થના કરવાનો નિયમ હતો. તે પ્રમાણે પ્રાર્થનામાં બેઠા હતા. ધરતીકંપ આવ્યો. પત્નીએ તેમને કહ્યું, ‘ચાલો, ચાલો, જલદી બહાર નીકળી જઈએ.’ ત્યારે તેમણે પત્નીની વાત સ્વસ્થતાથી સાંભળીને કહ્યું, આમ રઘવાયા થવાથી કંઈ નહીં વળે, એમ કહીને પત્નીનો હાથ પકડીને ચૂપચાપ બહાર નીકળી ગયા અને જેઓ વ્યગ્ર થઈને ઘરમાંથી માલમિલકત રહેવા રોકાયા તેઓ થોડી જ ક્ષણોમાં મકાન પડતાં અંદર જ દટાઈ ગયા!

પ્રાર્થનાએ એમને એ સ્વસ્થ રહેવાની શક્તિ અને અનાસક્તિ આપી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રાર્થના અને નામસ્મરણ ટકી રહેવાનું બળ આપે છે. ગાંધીધામમાં ભુકંપ વખતે એક બહેન અને તેની પુત્રી કાટમાળમાં દટાઈ ગયાં. બાર વર્ષની દીકરી ઉપર મોટો પથ્થર આવી રહ્યો હતો, એ જોતાં દટાયેલી સ્થિતિમાં પણ પોતાના બે હાથેથી જોરથી ધક્કો મારીને એને હડસેલી દીધો. પછી માતા – પુત્રી એ સ્થિતિમાં ભગવાનનું સતત સ્મરણ કરતાં રહ્યાં. કેટલીય વાર બચાવો – બચાવોની બૂમો પાડી પણ કોઈએ સાંભળી નહીં. અવાજ બેસી ગયો. પછી ભગવાનની જેવી મરજી કહી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં. અને મદદ આવી પહોંચી, નવ કલાકે કાટમાળમાંથી માતા અને પુત્રી સલામત બહાર નીકળ્યાં! આ છે પ્રાર્થનાની શક્તિ. પ્રાર્થનાથી માણસનો ભગવાન સાથેનો એક સેતુ રચાઈ જાય છે. ભગવાન આગળ સાચા ભાવે નિવેદન કર્યા પછી ભગવાન એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે માણસ મુશ્કેલીઓને જલદીથી પાર કરી શકે છે. પ્રાર્થનાથી માણસની આંતરિક શક્તિ વધે છે. તેનામાં આત્મવિશ્વાસ જાગે છે કે ‘ભગવાન હવે મારી સ્થિતિ જાણે છે,’ બસ, આટલી બાબત જ વ્યક્તિને કટોકટી પાર કરવા પૂરતી થઈ પડે છે.

રવીન્દ્રનાથ ટાગોરની પ્રાર્થના છેઃ ‘હે, પ્રભુ સંકટોના સમયે, તમે મારું રક્ષણ કરો, એ મારી પ્રાર્થના નથી, પણ સંકટ જોઈને હું ડરું નહીં એટલું જ હું ઇચ્છું છું.

મારા ઉપર જે બોજો છે, તે હળવો થાય એવી સહાયતા હું નહીં ઇચ્છું, પણ એ બોજો ઉઠાવવાની મને શક્તિ મળે એ હું ઇચ્છું છું.

… દુઃખ અને ભયથી મારું મન વ્યગ્ર બને તો તમે મને સાંત્વના આપજો, એવી મારી માગણી નથી, પણ એ દુઃખો ઉપર વિજય મેળવી શકું એવી શક્તિ મને મળે એ હું માગું છું.’ આવી પ્રાર્થના કરવાથી ભલે દુઃખ દૂર ન થયું હોય તો પણ એ દુઃખ સહન કરવાની શક્તિમાં અવશ્ય વધારો થાય છે. આવી શક્તિ મળતાં પછી એ દુઃખનું જોર ઓછું થઈ જાય છે.

પ્રાર્થના એ તો ભગવાન સાથેનો સીધો વાર્તાલાપ છે. વિશ્વનું સંચાલન કરનારી એ મહાન અદૃશ્ય શક્તિ સાથેનો સંવાદ છે. આ સંવાદ કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થિતિમાં થઈ શકે છે. ખ્રિસ્તી ધર્મના મહાન સંત બ્રધર લોરેન્સના જીવનની વાત છે. તેઓ લશ્કરમાં હતા. લશ્કરમાં એમનો એક પગ કપાઈ ગયો. પછી તેઓ ઈસુના સંઘમાં જોડાયા. સંઘમાં ૨૬ વર્ષ સુધી તેમણે માત્ર રસોડામાં જ કામ કર્યું. તેમને જીવનમાં કંઈ પણ મુશ્કેલી આવે, કંઈ ન સમજાય તો તેઓ ભગવાન સાથે વાતો કરતા. ‘હે ભગવાન, તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. મને કંઈ ખબર પડતી નથી. તમે મને સમજાવો. તમે શિખવાડો. તમે રસ્તો બતાવો.’ આમ ખરા હૃદયથી ભગવાનને તેઓ જે કંઈ કહેતા, તે જાણે ભગવાન સાંભળતા હતા, તેવું તેમને પછી જણાવા લાગ્યું. તેમના આશ્ચર્ય વચ્ચે તેમને મુશ્કેલીમાં માર્ગ મળતો રહ્યો, જે કંઈ સમજાતું ન હતું તે પછી અંતરમાં આપોઆપ સમજાવા લાગ્યું. આમ ભગવાન સાથે વાતો કરતાં કરતાં તેમણે પછી ભગવાન સાથે એકાત્મતા સાધી લીધી અને તેઓ ખ્રિસ્તી ધર્મના મહાન સંત બન્યા. તેમનું પુસ્તક છે – ‘પ્રભુમય જીવન’ The Practice of the Presence of God – આ પુસ્તક દ્વારા પ્રભુ સાથેની તેમની આત્મીયતાનો ખ્યાલ આવે છે. તેમાં તેઓ કહે છે, ‘શરૂઆતમાં જ્યારે સંઘમાં જોડાયો ત્યારે ભગવાનનું સ્મરણ મારા માટે જેટલું મુશ્કેલ હતું, તેટલું જ મુશ્કેલ હવે મારા માટે ઈશ્વરનું વિસ્મરણ બની ગયું છે.’

એક રશિયન યાત્રિકના અનુભવો ‘એકલપંથી’ નામના ગુજરાતી પુસ્તકમાં પ્રકાશિત થયા છે. મૂળ રશિયન ભાષામાં લખાયેલા આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ‘ધ વે ઓફ એ પિલગ્રિમ’ છે. ૧૯મી સદીનો એક ગરીબ રશિયન જેને ઘરબાર નથી, મિલકત નથી, અપંગ હોવાથી કંઈ કામધંધો કરી શકે તેમ નથી, તે ખભે એક નાનકડી બેગ લઈને ભગવાનની શોધમાં નીકળી પડે છે. બાઈબલમાં લખ્યું હતું તે વાક્ય ‘અવિરત પ્રાર્થના કરતા રહેજો.’ તેના મનમાં દૃઢ થઈ ગયું. પણ આ વાક્ય તેને સમજાતું ન હતું. કેટલાય પાદરીઓને પૂછ્યું. પરંતુ તેને ક્યાંયથી સંતોષકારક જવાબ મળ્યો નહીં. અંતે એક વૃદ્ધ પાદરીએ તેને પ્રાર્થના શીખવાડી. ‘પ્રભુ ઈસુ મારા ઉપર કૃપા કરો.’ આ પ્રાર્થના સતત કેવી રીતે કરવી તેની વિધિ પણ બતાવી. શરૂઆતમાં આ રીતે સતત પ્રાર્થના કરવાનું મુશ્કેલ લાગ્યું. પણ પછી તો બધો જ વખત મનમાં આ પ્રાર્થનાનું રટણ ચાલવા લાગ્યું. પછી તેણે એ વૃદ્ધ પાદરીને કહ્યુંઃ ‘હવે મને બાઈબલનું એ વાક્ય બરાબર સમજાઈ ગયું છે કે કોઈપણ કામ કરતાં કરતાં પ્રાર્થના અટકવી ન જોઈએ.’ આ અવિરત પ્રાર્થનાથી તેના ઉપર જિસસની એવી કૃપા થઈ કે તે પ્રભુને પ્રાપ્ત કરી શક્યો.

ગાંધીજી પ્રાર્થનાને મનનો ખોરાક કહે છે. પણ કેટલા લોકો મનને આ ખોરાક આપે છે? મન બિચારું આ ખોરાકના અભાવે દુર્બળ અને માંદલું બની જાય છે. પ્રાર્થના, ધ્યાન, ભક્તિ, સત્સંગ, નામસ્મરણ, સ્વાધ્યાય – આ બધાં મનને પુષ્ટ કરનારા આહારો છે. પણ મનને મોટેભાગે આવા આહારથી વંચિત રાખવામાં આવે છે. તેથી તે દુર્બળ અને રોગિષ્ટ બની જાય છે. પછી તેની સ્થિતિ એવી બની જાય છે કે જરા સરખી વિટંબણા આવે તો પણ તે ભાંગી જાય છે. નિરાશ – હતાશ થઈ જાય છે અને આત્મહત્યાના માર્ગે દોરી જાય છે અને બધું જ ખતમ કરી નાંખે છે. આવી સ્થિતિ સર્જાય તે પહેલાં મનને પ્રાર્થના દ્વારા પોષણ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. બહુ મોડું થઈ જાય એ પહેલાં ભગવાન સાથેનો તંતુ પ્રાર્થના દ્વારા જોડી દેવો જોઈએ. જે ક્ષણે અંતરમાં શાંતિ અને સાચું સુખ પામવાની ઝંખના જાગે – એ જ ક્ષણે ભગવાનને પ્રાર્થના આરંભી દેવી જોઈએ.

ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં

બહાર ભટકતી ચિત્તવૃત્તિને અંદર રહેલા આત્મસ્વરૂપમાં એકાગ્ર કરવી એ છે ધ્યાન. ધ્યાનમાં વ્યક્તિ પોતાના આંતરસ્વરૂપ સાથે સંપર્કમાં આવે છે, એટલે તે સમય પૂરતી બાહ્ય વસ્તુઓ છૂટી જાય છે. જ્યારે વ્યક્તિ ભારે મુસીબતોમાં સપડાઈ ગઈ હોય, ક્યાંયથી રસ્તો સૂઝતો ન હોય, બહારની મદદના સઘળા દરવાજા બંધ થઈ ગયા હોય, ત્યારે તે પોતાના અંદર દરવાજા ખખડાવે, તો ત્યાંથી તેને સાચો માર્ગ મળે છે. સાચો ઉકેલ મળે છે. આ અંતરના દરવાજા ખોલવાની ચાવી ધ્યાનમાં રહેલી છે. બાઈબલમાં વાક્ય છે કે ‘ખખડાવો એટલે ખૂલશે, માગો એટલે મળશે.’ પણ મોટેભાગે મનુષ્યો આ અંતર્દ્વાર ખખડાવવાને બદલે બહાર જ ભટકે છે અને બહાર જ માગે છે, એટલે સાચાં સુખ અને શાંતિ મળતાં નથી.

આજે મોટાભાગના મનુષ્યો માનસિક તાણ અનુભવે છે. મનમાં અશાંતિ અનુભવે છે. જીવનમાં એટલી દોડધામ વધી ગઈ છે કે તેમને સાચો આરામ કે હળવાશ મળતાં નથી. કામનો સતત ભાર આજના મનુષ્યને શારીરિક રીતે પણ થકવી નાંખે છે. ચીડિયો સ્વભાવ, રોગિષ્ઠ અને દુર્બળ શરીર, અશાંત મન અને અસલામત જીવન એ આધુનિક મનુષ્યનાં સામાન્ય લક્ષણો બની ગયાં હોય તેવું લાગે છે. આ સ્થિતિમાંથી મનુષ્યને બહાર કાઢવા માટે આજે વિશ્વભરમાં યોગ કેન્દ્રો, ધ્યાન કેન્દ્રો શરૂ થયાં છે. વિકસિત દેશોના શ્રીમંત લોકો ઊંચી ‘ફી’ આપીને પણ આવાં કેન્દ્રોમાં જોડાઈને માનસિક શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. ધ્યાન મનુષ્યને પ્રગાઢ શાંતિ અને સ્વસ્થતા આપે છે, આજના યુગના માનસિક તનાવમાંથી મુક્ત કરે છે. ધ્યાન વિશે સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કલાકેકની ધ્યાનાવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો લાગશે. તમારા શરીર યંત્રને સારામાં સારો આરામ આપવાનો એક માત્ર રસ્તો તે છે. ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહીં આપે, ગાઢમાં ગાઢ નિદ્રામાં સુદ્ધાં મન કૂદ્યા જ કરતું હોય છે. માત્ર ધ્યાનમાં પેલી થોડી મિનિટો દરમિયાન જ મગજ લગભગ બંધ પડે છે. માત્ર એક જરાક જેટલી પ્રાણશક્તિ ચાલતી હોય છે, ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો, ત્યારે તમને કાપીને કોઈ ટુકડા કરી નાંખે છતાં પણ જરાય ખબર નહીં પડે, તમને એ અવસ્થામાં એવો આનંદ આવશે. તમે પોતાને સાવ હલકા ફૂલ હો, તેવું અનુભવશો. ધ્યાનમાં આપણને આવો સંપૂર્ણ આરામ મળે છે.’ આમ શારીરિક અને માનસિક આરામ મેળવવા માટે વ્યક્તિએ બીજું કંઈ પણ કરવા કરતાં થોડો સમય પોતાના અંતરમાં ડૂબકી મારી દેવી જોઈએ. એટલે કે બહારના વાતાવરણમાં પ્રસરેલી પોતાની ચેતનાને અંતરમાં એકાગ્ર કરતાં કોઈ પણ જાતનું ‘ટેન્શન’ દૂર થઈ જાય છે.

સામાન્ય પરિસ્થિતિમાં પણ મનુષ્યે રોજ સવાર – સાંજ નિયમિત રીતે ધ્યાન કરવું જોઈએ. આ વિશે શ્રીમા શારદાદેવી કહે છે, ‘ધ્યાન અને પ્રાર્થના કરવાની પણ ખૂબ જરૂર છે. ઓછામાં ઓછું સવારે અને સાંજે તો એ બધું કરવું જ જોઈએ. આ જાતનો અભ્યાસ એ હોડીના સુકાન જેવો છે. સાંજે પ્રાર્થનામાં બેસતી વખતે આખા દિવસમાં પોતે સારાં કે નરસાં કેવાં કામો કર્યાં છે તેનો માણસ વિવેકબુદ્ધિથી વિચાર કરી શકે છે. તમારા કામકાજની સાથોસાથ જો તમે ધ્યાન કરો નહીં, તો પછી તમે શુભ કરી રહ્યા છો કે અશુભ, તેની તમને ખબર કેમ પડે?’ ધ્યાનમાં આંતર્નિરીક્ષણ થાય છે, મનનું વિશ્લેષણ થાય છે. આપણાં કાર્યો આપણા ધ્યેયની દિશામાં થઈ રહ્યાં છે કે નહીં તે જાણી શકાય છે. ધ્યાનથી જાગૃતિ આવે છે. જો ખોટી દિશામાં નૌકા જઈ રહી હોય તો દિશા ખોટી છે, એની જાણ થતાં તુરત જ હોડીનું સુકાન ફેરવીને યોગ્ય દિશા પકડી શકાય છે. આથી મનુષ્યના જીવનમાં ધ્યાન અનિવાર્ય બની રહે છે.

ધ્યાનથી માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. ‘ધ્યાન, ધર્મ અને સાધના’ નામના પુસ્તકમાં સ્વામી બ્રહ્માનંદજી જણાવે છે, ‘ધ્યાનથી ફક્ત મનમાં જ શાંતિ આવે છે, તેવું નથી, તેનાથી શારીરિક લાભ પણ થાય છે. રોગ – દોષ દૂર થાય છે. શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન વગેરે કરવું જોઈએ. પાશ્ચાત્ય દેશોમાં ધ્યાનની સ્વાસ્થ્ય ઉપર શી અસર થાય છે તે અંગે અનેક સંશોધનો થઈ રહ્યાં છે. ડાૅકટરોએ પરીક્ષણો કરીને જોયું છે કે ધ્યાન દ્વારા હૃદયના અનેક પ્રકારના રોગો દૂર થાય છે. બ્લડપ્રેશર સ્વાભાવિક થાય છે, શરીરના અવયવોમાં સામંજસ્ય આવે છે. તેથી માનસિક તણાવ પણ ઓછો થાય છે. કેટલાક વિચારકો નિયમિત ધ્યાનના અભ્યાસથી દીર્ધાયુ બની શકાય છે, તેની પ્રક્રિયાની વૈજ્ઞાનિક સમજ પણ આપે છે.

ધ્યાનથી બાહ્ય મનની ગતિવિધિને તો જાણી શકાય છે. પણ સાથે સાથે અવચેતન મનમાં રહેલી વૃત્તિઓની પણ સમજણ મેળવી શકાય છે. અવચેતન મનમાં પડેલા જન્મજન્માંતરના સંસ્કારો કેવી રીતે બાહ્ય મનમાં ગમે ત્યારે ફૂટી નીકળે છે, એની સમજ વ્યક્તિ માત્ર ધ્યાન દ્વારા જ મેળવી શકે છે. આવું જ્ઞાન થતાં તે આ સંસ્કારોના પ્રભાવમાંથી જલદીથી મુક્ત પણ થઈ શકે છે. મન જ્યારે પ્રગાઢ શાંતિમાં પહોંચે છે, ત્યારે આ સ્થિતિમાં તે ચેતન અવસ્થામાંથી અતિચેતન અવસ્થામાં પહોંચી જાય છે. ત્યાં મનના ગુણધર્માે બદલાઈ જાય છે. ત્યાં મન સ્થળ, કાળ અને કારણથી (Time, Space and causation)થી પર થઈને અનંતમાં પહોંચી જાય છે. ત્યાં તે પરમ સત્યનો સાક્ષાત્કાર કરે છે. અને શાશ્વત શાંતિને પામે છે. આ છે ધ્યાનની સર્વાેચ્ચ સ્થિતિ. સમાધિની સ્થિતિ. બધા કંઈ આ અવસ્થાને પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ ધ્યાનનો નિયમિત રીતે થોડો સમય અભ્યાસ કરવાથી મન ઉપર નિયંત્રણ આવે છે, અવચેતન મનની મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. અને રોજિંદા જીવનમાં શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરી શકાય છે.

હવે પ્રશ્ન એ ઊઠે છે કે ધ્યાન ક્યારે કરવું?

સ્વામી વિવેકાનંદ કહે છે કેઃ ‘રોજ તમારે ઓછામાં ઓછો બે વાર ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. તે માટે સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. રાત્રિ વીતીને પ્રભાત થાય અને દિવસ આથમીને સંધ્યા થાય, ત્યારે વાતાવરણ પ્રમાણમાં શાંત હોય છે. એ સમયે તમારા શરીરમાં પણ શાંતિ ઊતરી આવશે. આ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જ જોઈએ.’ ધ્યાન માટે વહેલી સવારનો બ્રાહ્મમુહૂર્તનો સમય વધારે અનુકૂળ રહે છે. એ સમયે બહારનું વાતાવરણ શાંત હોય છે. શરીર પણ ઊંઘ અને આરામ મેળવીને સ્વસ્થ અને તાજગીભર્યું હોય છે. વળી શરીર શાંત પણ હોય છે. ઉપરાંત રાજસી અને તામસિક પ્રકૃતિવાળા લોકો નિદ્રાધીન હોય છે. કેમકે તેમની પ્રકૃતિ જ મોડા સૂઈને મોડા ઊઠવાની હોય છે. આથી વાતાવરણમાં વિક્ષેપ પાડનારાં પરિબળોનો સામનો કરવો પડતો નથી. ઊલટું સાત્ત્વિક પ્રકૃતિવાળા મનુષ્યો, સાધકો, યોગીઓ બ્રાહ્મમુહૂર્તમાં ઈશ્વરની આરાધના કરતા હોય છે, તેથી એ સમયે ઈશ્વર પ્રત્યે અભિમુખ કરનારા સૂક્ષ્મ તરંગો વહેતા હોય છે, જે ધ્યાનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ રીતે ધ્યાન માટેનો શ્રેષ્ઠ સમય બ્રાહ્મમુહૂર્તનો ગણાવી શકાય.

ધ્યાન અંગેનો બીજો એક પ્રશ્ન એ પણ ઊઠે છે કે ધ્યાન માટે કેવું સ્થળ હોવું જોઈએ?

શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વર પ્રાપ્તિના ઉપાયો બતાવતાં, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકના પ્રથમ ભાગમાં કહે છે, ‘ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં.’ આમ તો ધ્યાન મન દ્વારા જ થાય છે, પરંતુ શ્રીરામકૃષ્ણદેવ શરૂઆતમાં એકાંતમાં ધ્યાન કરવાનું કહે છે. ઉદાહરણ આપતાં તેઓ સમજાવે છે, કે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. નાના છોડને જો વાડ ન કરીએ તો ગાય-બકરાં ખાઈ જાય. મન કાચું હોય ત્યારે એકાંતમાં જઈને ઈશ્વરચિંતનરૂપી વાડથી તેને ચારે બાજુ રક્ષણ આપવું જોઈએ, નહીંતર સંસાર વ્યવહારનાં કાર્યો અને આસક્તિ મનને ઈશ્વરના ધ્યાનમાં એકાગ્ર થવા દેતાં નથી.

મન ઉપર બાહ્ય વાતાવરણનો ઘણો જ પ્રભાવ પડે છે. નદીકિનારે, ગિરિતળેટીમાં કે ગિરિશૃંગે, ગુફામાં કે અરણ્યમાં જનસમાજથી દૂર રહીને ઈશ્વરનું ધ્યાન કરવાથી ધ્યાન જલદી લાગે છે. સંસારના કોલાહલથી દૂર પવિત્ર – શાંત – એકાંતમાં મન જલદીથી શાંત અને એકાગ્ર બની જાય છે. એટલા માટે જ સ્વામી વિવેકાનંદે હિમાલયમાં માયાવતીમાં અદ્વૈત આશ્રમની સ્થાપના કરી છે.

જો આજના યુગમાં એકાંતમાં જઈને ધ્યાન કરવું શક્ય ન હોય તો શું કરવું? તો પછી ઘરના ઓરડામાં કે ખૂણામાં બેસીને ધ્યાન કરી શકાય છે. ‘ધ્યાન અને તેની પદ્ધતિ’ એ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ જણાવે છે કે ‘જેમની શક્તિ – સ્થિતિ હોય તેઓ કેવળ આ સાધના માટેનો એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એ ઓરડામાં સૂવું નહીં. તેને પવિત્ર રાખવો. નાહી – ધોઈને શરીર અને મન શુદ્ધ થયાં ન હોય, ત્યાં સુધી એ ઓરડામાં જવું નહીં. એ ઓરડામાં હંમેશા પુષ્પો રાખવાં. યોગીને માટે આવું વાતાવરણ ઉત્તમ છે. મનમાં સાત્ત્વિક ભાવ જગાવે તેવાં ચિત્રો રાખવાં. સવાર – સાંજ ધૂપ કરવો. એ ઓરડામાં કજિયો, કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય, માત્ર તેમને જ અંદર પેસવા દેવા. એ રીતે ઓરડામાં ધીમે ધીમે પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે. એથી તમે જ્યારે શોકગ્રસ્ત હો, દુઃખી હો, સંશયમાં હો, અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે તે ઓરડામાં પ્રવેશતાં જ મન શાંત થઈ જશે.’ ધ્યાન માટેનું વાતાવરણ વ્યક્તિએ પોતે જ પોતાના ઘરમાં બનાવવાનું છે. આવો પવિત્ર ઓરડો ધ્યાન મંદિર બની રહે છે. એ ઓરડામાં શાંતિના, પવિત્રતાના ઉજ્જવળ પ્રકાશના એવા તરંગો પથરાયેલા હોય છે કે એમાં પ્રવેશતાં જ વ્યક્તિને શાંતિની અનુભૂતિ થવા લાગે છે. પરંતુ આજના યુગમાં બહુ જ નાનાં ઘરોમાં આવો અલગ ઓરડો રાખવો શક્ય ન હોય તો ઓરડાનો એક ખૂણો એવો અલગ રાખવો. અને જો એ પણ શક્ય ન હોય તો બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને શાંતિ અને એકાંતનો લાભ લઈને ધ્યાન કરવું.

શરૂઆતમાં ધ્યાન લાગતું નથી. કેમકે મનનો સ્વભાવ જ ચંચળ છે. અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને કહે છે કે આ અતિચંચળ મનને રોકવું એ તો વાયુને રોકવા જેવું દુષ્કર કાર્ય છે. તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે અર્જુન તારી વાત સાચી છે. મન ચંચળ છે. તેને વશમાં કરવું ઘણું જ મુશ્કેલ છે. પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તે જરૂર વશ થાય છે. પાતંજલ યોગસૂત્રમાં પણ કહ્યું છે,

स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ।।1.14।।

એટલે કે લાંબા સમય સુધી આદરપૂર્વક નિરંતર પુષ્કળ અભ્યાસ કરવાથી એ દૃઢ બને છે. શ્રીરામકૃષ્ણદેવને પણ ભક્તે આવો પ્રશ્ન પૂછ્યો હતો કે ‘સંસારમાં રહીને ઈશ્વરનું ધ્યાન કરવું બહુ જ મુશ્કેલ કેમ લાગે છે?’ ત્યારે તેમણે તુરત જ કહ્યું, ‘કેમ? અભ્યાસ યોગ.’ અભ્યાસ યોગથી પછી એ મુશ્કેલ રહેતું નથી. તેનું ઉદાહરણ આપતાં તેમણે સમજાવ્યું કે દેશમાં ભાડભુંજાનાં બૈરાઓ પૌંઆ ખાંડે, એ કેટલી બાજુ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડ્યા કરે છે. બાઈ નીચે એક હાથેથી ડાંગર સંકોરતી જાય છે. બીજે હાથે છોકરાને ખોળામાં ધવરાવે છે. એ વખતે વળી ઘરાક આવે છે. આ બાજુ સાંબેલું પડ્યે જ જાય છે અને એ સાથે તે ઘરાકની સાથે વાત પણ કરે છે, ‘તો પછી આગલા પૈસા બાકી રહ્યા છે, તે ચૂકતે કરી જાઓ અને પછી નવો માલ લઈ જાઓ.’

જુઓ, છોકરાને ધવરાવવું, સાંબેલું પડ્યા કરે તેની નીચેની ડાંગર સંકોરવી અને ખંડાયેલી ડાંગર ભરીને ઉપાડી લેવી અને તે સાથે ઘરાકની સાથે વાતો કરવી આ બધું તે એક સાથે કરી રહી છે. આનું નામ અભ્યાસ યોગ. પરંતુ તેનું પંદર આના મન સાંબેલામાં હોય છે. કદાચ તે હાથ ઉપર પડે તો! બાકીના એક આના મનમાં તે બીજાં બધાં કામો કરે છે. તેમ જેઓ સંસારમાં છે, તેમણે પંદર આના મન ભગવાનને આપવું ઉચિત. નહીંતર સર્વનાશ. કાળના પંજામાં સપડાવું પડે.

આમ અભ્યાસ દ્વારા મનને ભગવાનમાં એવું એકાગ્ર કરી શકાય છે કે પછી ધ્યાન સતત ચાલ્યા કરે છે. જેમનું મન ઈશ્વરમાં લાગેલું છે, તેમને દુનિયાની કોઈ પરિસ્થિતિ અશાંત કરી શકતી નથી. ઈશ્વરે મનુષ્ય સુખ – શાંતિ – આનંદ – પ્રેમ સંવાદિતાથી ઉત્તમ રીતે જીવન જીવી શકે એ માટેનાં સરળ સાધનો ધ્યાન – પ્રાર્થના – નામજપ – ભજન – કીર્તન મનુષ્યને બક્ષિસ રૂપે આપ્યાં છે. આમાંના કોઈ પણ એક સાધન દ્વારા પણ મનુષ્ય પોતાના જીવનમાં સાચું સુખ અને શાંતિ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.

તાલભંગ ન હો પાય…

જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે માણસ સમતુલા ગુમાવી બેસે છે, હાંફળા ફાંફળા બની દોડાદોડ કરવા લાગે છે કે ‘આમ કરું, તેમ કરું, આની પાસે જઈ વાત કરું, આની મદદ મેળવું.’ અને પછી આવેશમાં આવી વગર વિચાર્યાં પગલાં ભરી જિંદગીભર પસ્તાય છે. જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિના સમયે મનુષ્ય બીજું કંઈ પણ ન કરે પણ ફક્ત ધીરજ રાખીને સમય પસાર થઈ જવા દે, તો પણ મુશ્કેલીઓ આપોઆપ પસાર થઈ જાય છે. શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું કે, ‘કોઈ મુશ્કેલી કાયમ માટે બેઠી રહેતી નથી. તે બધી પુલ નીચેના પાણીની માફક સડસડાટ વહી જાય છે.’ આથી મુશ્કેલીઓથી ગભરાયા વગર માણસે ધીરજપૂર્વક સમય પસાર કરી લેવો જોઈએ. ગાઢમાં ગાઢ અંધકાર પછી સૂર્યોદય હંમેશા થાય છે જ. દુઃખ પછી સુખ આવવાનું જ છે. એમ માનીને દુઃખ સહી લેવું જોઈએ. ઉતાવળે કોઈ પગલું ભરવું ન જોઈએ. નહીંતર પછી જિંદગીભર પસ્તાવું પડે છે, અને મનમાં સતત ચૂભ્યા કરે કે ‘થોડી ધીરજ ધરી હોત તો બધું સારું થઈ ગયું હોત.’ આ સંદર્ભમાં એક સુંદર વાર્તા છેઃ

રાજ દરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા, રાજકુમાર, રાજકુમારી, નગરશેઠ અને બધા દરબારીઓ નૃત્ય જોઈ રહ્યાં છે. તે સમયે એક સંન્યાસી પણ ત્યાં આવી ચઢ્યો અને નૃત્ય જોવા લાગ્યો. નૃત્યાંગના નાચી નાચીને સાવ થાકી ગઈ. રાત પૂરી થવા આવી તો પણ કોઈએ તેને કંઈ ઈનામ આપ્યું નહીં. આથી તે હવે પોતાનું નૃત્ય બંધ કરી દેવાનો વિચાર કરી રહી હતી. તેણે ગીત ગાતાં ગાતાં નટને પોતાનો આ વિચાર જણાવ્યો કે,

રાત તો અબ બીત ચલી, થક ગઈ પૈંજની મોરી,
નટી કહે સૂનો વામદેવ, ઈનામ મિલા ન કોઈ.

આ સાંભળીને નટ ગભરાયો. જો અત્યારે આ નાચવાનું બંધ કરી દેશે તો આખી રાત જે મહેનત કરી છે, તે પાણીમાં જશે. એટલે એને કોઈ પણ હિસાબે તેમ કરતાં રોકવી પડશે. એટલે તેણે વિચારીને બીજું ગીત ઉપાડ્યું.

બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય,
નટ કહે સૂનો નટી, તાલભંગ ન હો પાય.

અને ચમત્કાર થયો. સંન્યાસીએ પોતાનો એકમાત્ર ધાબળો ઈનામ રૂપે ફેંક્યો. ત્યાં તો નગરશેઠે પોતાની હીરાની વીંટી ફેંકી. રાજકુમારે પોતાની કિંમતી ચાદર તેના ઉપર ફેંકી અને રાજકુમારીએ પોતાના ગળાનો કિંમતી હાર ઈનામ રૂપે ફેંક્યો. રાજા તો આશ્ચર્યમાં પડી ગયા કે આ શું? આ બધા નૃત્યાંગના ઉપર આટલા બધા પ્રસન્ન કેમ થઈ ગયા? બધાંને તેણે તેનું કારણ પૂછ્યું. સંન્યાસીએ કહ્યું, ‘બધું ત્યાગ કરીને ખૂબ તપશ્ચર્યા કરી. પણ આત્મજ્ઞાન ન થયું, એટલે હું સંન્યાસ છોડીને ગૃહસ્થ થવાનો વિચાર કરી રહ્યો હતો. ત્યાં આ ગીતે મને બચાવી લીધો કે ‘બહુત ગઈ થોડી રહી’, તો પછી આ થોડાને માટે હું મારા સંન્યાસી જીવનને શા માટે ધૂળધાણી કરું?’

નગરશેઠે કહ્યું, ‘ઘણા દિવસથી મારા દીકરાના કંઈ સમાચાર નથી. મેં માન્યું કે માલ ભરેલા વહાણ સહિત તે સમુદ્રમાં ડૂબી ગયો હશે. મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું. એમ માનીને મેં ઝેર પીવાનો વિચાર કર્યો હતો, પણ ગીતે મારી આંખ ઉઘાડી દીધી કે ‘બહુત ગઈ થોડી રહી, અને આ થોડી પણ હવે ચાલી જશે.’ જો મારો પુત્ર કદાચ જીવતો પણ હોય અને પાછો આવે તો મારે શા માટે ધીરજ ગુમાવવી જોઈએ? આમ આ ગીતે મને જીવતદાન આપ્યું.’

રાજકુમારીએ કહ્યું, ‘પિતાજી, તમારા કંજૂસ સ્વભાવને લઈને તમે મને પરણાવતા ન હતા. એટલે આજે વહેલી સવારે મેં ભાગી જવાનો વિચાર કર્યો હતો. પણ ગીત સાંભળીને મને થયું કે તમે તો હવે વૃદ્ધ થયા છો, કેટલો સમય જીવશો? તો પછી આ થોડા સમય માટે હું નાહકનું કલંક શા માટે લગાડું?’

રાજકુમારે કહ્યું, ‘પિતાજી, ઘણા દિવસથી હું વિચારતો હતો કે તમે વૃદ્ધ થયા હોવાથી તમે હવે મને રાજગાદી આપશો. પણ મારી ધીરજ ખૂટી ગઈ. આથી મેં આજે તમને મારી નાંખવાનો વિચાર કર્યો હતો. પણ આ ગીતે મને પિતૃહત્યાના પાપમાંથી બચાવી લીધો. મને થયું કે હવે તો તેઓ ઘરડા થયા છે. કેટલા દિવસ જીવશે? આટલા દિવસો રાહ જોઈ તો થોડા દિવસો વધારે રાહ જોઉં. નકામું પિતૃહત્યાનું પાપ શા માટે વહોરું?’

આ સાંભળીને રાજાએ પણ નટ અને નટીને વિશેષ પુરસ્કાર આપીને રાજી કરી દીધાં. અને પછી રાજકુમારને ગાદીએ બેસાડી, રાજકુમારીનાં લગ્ન પણ કરાવી દીધાં. આમ ફક્ત એક જ ગીતે કેટલા બધાંનાં જીવન બચાવી દીધાં!

જીવનમાં જ્યારે કપરા કાળમાંથી પસાર થવાનું આવે, ધીરજ ખૂટી ગઈ હોય, પરિસ્થિતિ અસહ્ય બનતી જતી હોય, ત્યારે માણસ ઉતાવળમાં ન કરવાનું કરી બેસે છે. તે વખતે આ શબ્દો યાદ કરવા જોઈએ કે ‘બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય.’ તો પછી એ જીવનમાં ક્યારેય તાલભંગ નહીં થાય. ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે.

જો કુછ હૈ, સો તૂ હી હૈ

‘નરેન, તું શું ઇચ્છે છે?’ શ્રીરામકૃષ્ણદેવે પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા, તેમને એક દિવસ પૂછ્યું.

‘હું તો હંમેશા સમાધિમાં લીન થઈને રહેવા માગું છું. શરીર ટકી રહે તે માટે વચ્ચે વચ્ચે સમાધિમાંથી બહાર આવીને થોડું ખાઈને ફરી સમાધિના આનંદમાં લીન થઈ જાઉં એવું ઇચ્છું છું.’

બીજા કોઈ ગુરુ હોત તો પોતાના શિષ્યની આવી સમાધિમાં જ લીન રહેવાની ભાવના જોઈને રાજી રાજી થઈ ગયા હોત. પણ આ ગુરુ અનોખા હતા. તેમણે રાજી થવાને બદલે કહ્યું, ‘અરેરે, ધિક્કાર છે તને, હું તો ઇચ્છતો હતો કે તું એક વિશાળ વટવૃક્ષની જેવો બનીશ, જેની છાયા તળે લાખો નર-નારીઓ શાંતિ પામશે. પણ તું તો કેવળ પોતાની મુક્તિ અને પોતાના આનંદની જ કામના કરી રહ્યો છે. અરે, સમાધિ કરતાં પણ ઉચ્ચતર સ્થિતિ છે, શું તું પેલું ભજન ગાતો નથી – ‘જો કુછ હૈ, સો તૂ હી હૈ.’

આ ભજન મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરે લખેલું હતું. શ્રીરામકૃષ્ણદેવ અને નરેન્દ્રનાથ બંનેનું પ્રિય ભજન હતું. આમ તો આ સૂફી ગીત છે. પણ તેમાં વેદાંતનું દર્શન પ્રગટ થાય છે. સર્વવ્યાપક ઈશ્વરને અનુલક્ષીને કવિ કહે છે.

‘તુઝ સે હમને દિલકો લગાયા, જો કુછ હૈ, સો તૂ હી હૈ,
એક તુઝકો અપના પાયા, જો કુછ હૈ, સો તૂ હી હૈ.’

આ ઉપરાંત પણ આ ગીતમાં, જે કંઈ છે, તે સઘળું ઈશ્વર જ છે. તે દરેકમાં રહેલો છે, આથી દરેક જીવ સમાન છે, એક જ ચૈતન્યસત્તા સમસ્ત જગતમાં વ્યાપ્ત છે, – વેદાંતનું આ સત્ય કવિએ પ્રગટ કર્યું છે. આજના વૈજ્ઞાનિકો પણ હવે સમસ્ત જગતમાં વ્યાપેલી એક જ ચૈતન્ય સત્તાનો સ્વીકાર કરતા થયા છે. મહાન વૈજ્ઞાનિક શ્રોડિંજર પણ કહે છે કે,

‘Consciousness is singular of which plural is unknown’ – ચેતના એક જ છે, તે અનેક ન હોઈ શકે. શ્રીરામકૃષ્ણદેવે આ ગીત દ્વારા નરેન્દ્રને જણાવ્યું કે ફકત સમાધિનો આનંદ પૂરતો નથી, પણ દરેકમાં રહેલા ઈશ્વરનો અનુભવ કરવો, એ ઈશ્વરની સેવા કરવી એ એથી પણ મોટી વાત છે.

એક દિવસ શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે વૈષ્ણવ સંપ્રદાયની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે ‘નામમાં રુચિ, વૈષ્ણવોની સેવા અને જીવ ઉપર દયા – આ ત્રણ વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય ઉપદેશ છે.; પણ જીવ ઉપર દયા બોલતી વખતે તેઓ ભાવદશામાં આવી ગયા અને પછી અર્ધબાહ્ય દશામાં કહેવા લાગ્યા કે ‘જીવ ઉપર દયા? પૃથ્વી ઉપર સળગતો એક ક્ષુદ્ર કીડો બીજા જીવો પ્રત્યે દયા બતાવે? તું વળી દયા બતાવનાર કોણ? ના, દરેક જીવ શિવરૂપ છે. જીવની શિવજ્ઞાને સેવા કરવી જોઈએ. નરેન્દ્રનાથે ગુરુદેવના આ શબ્દોમાં અદ્ભુત પ્રકાશ જોયો અને કહ્યું, ‘જો મને તક મળશે તો આ મહાન સત્યને હું જગત સમક્ષ રજૂ કરીશ.’ અને તેમને તક મળી. અમેરિકાથી પાછા આવ્યા પછી તેમણે શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને તેમાં શિવજ્ઞાને જીવસેવાના આદર્શને મૂર્તિમંત કર્યો. એક દિવસ એમને મળવા માટે કોલકાતામાં એક યુવાન આવ્યો. તેણે કહ્યું, ‘સ્વામીજી, અનેક ઉપાયો કર્યા, પણ મારા મનમાં શાંતિ આવતી નથી.’ ‘શાંતિ મેળવવા તું શું કરે છે?’ સ્વામીજીએ તેને પૂછ્યું. ‘હું તો ઓરડાનાં બારીબારણાં બંધ કરી, આંખો બંધ કરીને, ધ્યાનમાં બેસીને, મનને ખાલી કરવાનો પ્રયત્ન કરું છું.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘બેટા, જો તારે શાંતિ જોઈતી હોય, તો સર્વ પ્રથમ તારા ઓરડાનાં બંધ બારીબારણાંને ખોલી નાંખ. પછી આંખો ખોલીને જો, પડોશમાં કોણ કોણ દુઃખી છે, ભૂખ્યા, ગરીબ નિરાધાર છે, રોગી છે, તેની સેવા કરવાનું શરૂ કરી દે. તને તુરત જ મનની શાંતિ મળશે.’

શાંતિ મેળવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાંની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાનો છે. આજે મનુષ્ય બહુ જ દુઃખી અને અશાંત છે, તેનું કારણ તેની સ્વાર્થવૃત્તિ છે. તે માત્ર પોતાનો જ વિચાર કરે છે. પોતાનો જ લાભ જુએ છે. આથી તેની મનોવૃત્તિ અત્યંત સંકુચિત થઈ જાય છે. તેની અંદર રહેલા શાંતિના સ્રોતની આડે સ્વાર્થનો ભયાનક અવરોધ એવો સજ્જડ બની જાય છે કે અંદરની શાંતિનો પ્રવાહ બિલકુલ બહાર આવી શકતો નથી.પણ જો મનુષ્ય નિઃસ્વાર્થ બને, બીજાંની સેવા કરે. તો તેને વિશાળતા પ્રાપ્ત થાય છે. તેની નકારાત્મક વૃત્તિઓ નાબૂદ થાય છે. અને તેની અંદરનો શાંતિનો પ્રવાહ સમગ્ર અસ્તિત્વમાં ફરી વળે છે. આથી જો કોઈ થોડીક પણ નિઃસ્વાર્થ ભાવે સેવા કરે, તો તેમને તત્કાળ થોડીક પણ શાંતિ મળી જાય છે. જેઓ પોતાનું સમગ્ર જીવન અન્યની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં સમર્પિત કરી દે છે, તેમને તો સ્વયં ભગવાન પણ મળી જાય છે.એટલે જ સ્વામી વિવેકાનંદ તેમના ‘રાજયોગ’ના પુસ્તકમાં નિસ્વાર્થતા ઉપર બહુ જ ભાર મૂકે છે. તેઓ કહે છે, ‘માનવજીવન વિશેનો સમગ્ર વિચાર એક જ શબ્દમાં વર્ણવી શકાય, નિઃસ્વાર્થતા,’ આગળ તેઓ કહે છે કે ‘આપણે શા માટે નિઃસ્વાર્થ બનવું જોઈએ?’ એનો સાચો જવાબ એ છે કે આ જગત એ અનંત મહાસાગરનું એક બિંદુ માત્ર છે. અનંત શૃંખલાની એક કડી માત્ર છે. એટલે કે મનુષ્ય જે કંઈ અન્યને આપે છે, તે તેને પાછું મળે છે. કેમ કે બધાં એક જ તત્ત્વથી જોડાયેલાં છે. જેમ શૃંખલાની કડી એ શૃંખલાથી અલગ નથી, તેમ એક મનુષ્ય બીજાથી અલગ નથી. આથી જો તે નિઃસ્વાર્થ ભાવે બીજાંની સેવા કરે, તો એથી એનું પોતાનું જ કલ્યાણ કરે છે. કેમ કે વેદાંતની દૃષ્ટિએ, ‘બીજા તો કોઈ છે જ નહીં.’ મનુષ્ય બીજાને જે આપે છે, તે તેની પાસે પાછું આવે છે.‘ડાયેનેમો’માં જેમ ફરી ફરીને પાછું આવે તેમ આ સૂક્ષ્મ જગતમાં પણ વ્યક્તિ જે કંઈ વિચારો અને કાર્યો અન્યને માટે કરે છે, એ બધાં એની પાસે પાછાં આવે છે. એટલે જો નિઃસ્વાર્થ બીજાંની સેવા કરી તેને સુખશાંતિ આપ્યાં હોય તો તે સુખશાંતિ વૃદ્ધિ પામીને એની પાસે આવે છે. એ જ રીતે જો અન્યને દુઃખ આપ્યું હોય તો એ દુઃખ પણ વૃધ્ધિ સાથે પાસે આવે છે. આથી જો પોતાનાં દુઃખ દૂર કરવાં હોય તો બીજાંના દુઃખ દૂર કરવાં. એ માર્ગ દુઃખ દૂર કરવાં માટે સહુથી સહેલો છે. જેઓ અન્યમાં રહેલા પ્રભુની સેવા કરે છે, યોગીનારાયણ, દરિદ્રનારાયણ, દુઃખીનારાયણની સેવા કરે છે – એમને સેવા કરતાં કરતાં જ, ‘જો કુછ હૈ, સો તૂ હી હૈ’નું દર્શન થવા લાગે છે. આમ સેવા દ્વારા તેમને વ્યાપક બ્રહ્મની અનુભુતિ થાય છે. સમાધિ દ્વારા જે પ્રાપ્ત થાય છે. તેનાથી પણ ઊંચી વિજ્ઞાનમય અવસ્થા સેવા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.

પરંતુ ધારો કે કોઈ અન્યની સેવા કરવા સમક્ષ ન હોય તો અન્યના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. એથી પણ શાંતિ પ્રાપ્ત થાય છે. કેમ કે અન્યનું કલ્યાણ એ અંતે તો પોતાનું જ કલ્યાણ છે. સ્વામી વિવેકાનંદે પોતાના ‘રાજયોગ’માં આવી પ્રાર્થનાની રીત બતાવી છે. તેઓ કહે છે, ‘સીધા અને ટટ્ટાર બેસો. અને સહુથી પહેલું કાર્ય સમગ્ર સૃષ્ટિમાં પવિત્ર ભાવનાઓનો પ્રવાહ મોકલવાનું કરો.’ મનમાં બોલો, ‘સૌ સુખી થાઓ, સૌ નીરોગી રહો. સૌ શાંતિ પામો. સૌનું કલ્યાણ થાઓ.’ એ પ્રમાણે પૂર્વ,પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશાઓમાં એ ભાવના મોકલો. તમે જેમ જેમ એ ભાવના વધારે કરશો તેમ તેમ તમને વધુ ફાયદો થશે. આખરે તમને જણાશે કે પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો ઉપાય બીજા નીરોગી રહે તેવી ભાવના સેવવાનો છે. અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય તે જોવાનો છે.’ આમ જે બીજાંઓને સુખી કરે છે, એમને પછી શાંતિની શોધમાં ક્યાંય ભટકવું પડતું નથી. સંસ્કૃતમાં કોઈએ ભગવાનને પ્રાર્થના કરતાં દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની જે આકાંક્ષા સેવી છે, તે આપણે પણ સેવીએ.

न त्वहं कामये राज्यं न स्वर्गं ना पुनर्भवम्।
कामये दुःखतप्तानां प्रणिनामातिर्नाशनम्।।

‘મારે રાજ્ય નથી જોઈતું. સ્વર્ગ નથી જોઈતું. મોક્ષ પણ નથી જોઈતો. હે ભગવાન, દુઃખીજનોનાં દુઃખોને દૂર કરવાની જ મારી આકાંક્ષા છે.’

જેમના હૃદયમાં આવી આકાંક્ષા છે, એમના હૃદયમાં સુખ અને શાંતિ હંમેશાં માટે આવીને વસે છે.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories