આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે અવનવી શોધખોળો કરી છે. ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો છે. મંગળ ગ્રહ ઉપર અંતરિક્ષયાન મોકલીને ત્યાંની માહિતી મેળવી રહ્યો છે. અવનવા અદ્ભુત વૈજ્ઞાનિક પ્રયોગો તે દરેક ક્ષેત્રમાં સફળતાપૂર્વક કરી રહ્યો છે. આમ છતાં એક વસ્તુની ઊણપને લીધે માનવ દુઃખી છે અને તે છે શાંતિ.

મનુષ્ય આજે પોતાના દીવાનખાનામાં સોફા ઉપર બેઠાં બેઠાં કોઈ પણ દેશમાં, કોઈ પણ વ્યક્તિ સાથે એક સેકન્ડમાં સંપર્ક કરી શકે છે. આવી અદ્ભુત ક્રાંતિ ‘કોમ્યુનિકેશન ટેક્નોલોજી’માં આવી છે. ઈ-મેઈલ, સાઈબર સ્પેસ, ઈન્ટરનેટ વગેરે દ્વારા તે સમસ્ત વિશ્વની અદ્યતન માહિતી પોતાના ઘરમાં બેસીને મેળવી રહ્યો છે, પણ વિડંબના એ છે કે એ જ સોફામાં બેઠેલાં પતિ-પત્ની, ભાઈ-ભાઈ કે સાસુ-વહુ વચ્ચે કોઈ કમ્યુનિકેશન નથી, મનનો મેળ નથી!

આજના યુગમાં માનસિક તનાવ દિનપ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં કલેશ, ભવિષ્યની ચિંતા વગેરે અનેક કારણોને લઈ માનસિક તાણ સતત વધતી જ જાય છે. આ માનસિક તનાવને લઈને ઘરમાં, ઓફિસમાં કે કારખાનામાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે. આધુનિક માનવ આ સમસ્યાઓનો સામનો કરવાને બદલે જીવનમાંથી નાસી જવાનો એટલે કે આત્મહત્યાનો માર્ગ લે છે. જાપાનમાં શરૂમી વાતારુ (Tsurumi wataru) નું પુસ્તક ‘Kanzen jisatsu Manual or the complete Manual of Committing Suicide’ આત્મહત્યા કરવા માટે માર્ગદર્શન આપતું પુસ્તક ખૂબ પ્રસિદ્ધ બન્યું છે. તેની ત્રણ લાખ નકલ વેચાઈ ગઈ. એવું જ હેમલોક સોસાયટીના સંસ્થાપક ડેરેફ હમ્ફ્રીસે લખેલું ‘The final Exist’ પુસ્તક પણ અમેરિકામાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. તેમાં આત્મહત્યા કરવાના વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા છે. ફ્રાન્સમાં આત્મહત્યા કરનારાઓ માટે સૂચનો આપતું પુસ્તક (Suicide – User’s Instructions) ‘બેસ્ટ-સેલર’નીવડ્યું હતું. ફ્રાન્સમાં દર વર્ષે લગભગ એક લાખ પાંત્રીસ હજાર લોકો આત્મહત્યા કરે છે. ઓસ્ટ્રેલિયામાં વર્ષે લગભગ દોઢ લાખ યુવક-યુવતીઓ આત્મહત્યાનો પ્રયાસ કરે છે, હવે આ પ્રમાણ વધવાનું. કારણ કે ઓસ્ટ્રેલિયા વિશ્વમાં પ્રથમ દેશ છે કે જેણે આત્મહત્યાની કાનૂની છૂટ આપી છે. જો કે આ છૂટ મૃત્યુશય્યામાં અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ પૂરતી જ છે. વિશ્વમાં દરરોજ દોઢ હજાર લોકો આત્મહત્યા કરે છે. આમ તો દરેક દેશમાં છેલ્લા બે દાયકામાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. તેમ છતાં જે દેશોની સરેરાશ વાર્ષિક આવક ઘણી વધારે છે, એવા વિકસિત દેશોમાં આ પ્રમાણ વધ્યું છે.

આત્મહત્યા કરવા માટે માનવી શા માટે પ્રેરાતો હશે એનું કારણ વિચારતાં લાગે છે કે આધુનિક માનવીની જરૂરિયાતો વધી ગઈ છે. સાથોસાથ તેની મહત્ત્વાકાંક્ષા પણ વધી છે. આ જરૂરિયાતો અને મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે તે આંખો મીંચીને દોડાદોડી કરે છે. પૂરતો આરામ પણ લેતો નથી. તેનું સ્વાસ્થ્ય કથળતું જાય છે. માનસિક અશાંતિ અને ટેન્શન વધતાં જાય છે. પરિણામે તે આત્મહત્યા કરવા પ્રેરાય છે.

અમેરિકા અને જાપાન જેવા આર્થિક રીતે સમૃદ્વ દેશોમાં ભારત કરતાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસે એક અલગ પ્રકારનો સર્વે કર્યો હતો. તા.૧૧-૧૨-૧૯૯૮ ના ‘ગુજરાત સમાચાર’માં આ વિશે જણાવ્યું હતું કે દુનિયામાં સહુથી સુખી દેશ કોણ? આ સર્વેનાં પરિણામો ઘણાં જ આશ્ચર્યજનક આવ્યાં! જેની માથાદીઠ આવક કદાચ સહુથી ઓછી હશે એવા બાંગ્લાદેશનો આમાં પહેલો નંબર હતો! જ્યારે માથાદીઠ આવક જેની વધારે છે, તેવા અમેરિકાનો ૪૬મો નંબર હતો, બ્રિટનનો ૩૨મો નંબર હતો અને ભારતનો પાંચમો નંબર હતો. આ બતાવે છે કે જેમ આર્થિક સમૃદ્વિ વધે છે, તેમ સુખ વધે એવું હોતું નથી.

જાહોજલાલીમાં રાચતા વિકસિત દેશોના લોકો આરામદાયક પથારીમાં સૂવે છે, તો પણ ઊંઘની ગોળીઓ લીધા વગર તેમને ઊંઘ આવતી નથી. વધુ ને વધુ ઊંઘની ગોળીઓ લેવા છતાં ઊંઘ ઓછી ને ઓછી થતી જાય છે. માનસિક તનાવથી બચવા લોકો જાતજાતની ડ્રગ્સનું સેવન કરવા લાગ્યા છે. રોબર્ટ ડી રો પોતાના પુસ્તક ‘Mind and Medicine’ માં સુંદર વાત કહે છે કે પૈસાથી આજકાલ બધું ખરીદી શકાય છે, પણ દુઃખની વાત એ છે કે કોઈપણ કેમિસ્ટની દુકાનમાંથી શાંતિનું પૅકેટ વેચાતું મળતું નથી.

આજકાલ તો ઉદ્યોગ-ધંધાઓમાં મંદી, આંતરરાષ્ટ્રીય હરીફાઈ, મજૂરોના પ્રશ્નો વગેરેને લઈને પણ અશાંતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. માનસિક તનાવને લઈને મૅનેજમેન્ટના ક્ષેત્રે પણ સ્ટ્રેસ મૅનેજમેન્ટ મહત્ત્વનો વિષય બની ગયો છે. દેશ-વિદેશમાં અનેક કંપનીઓએ પોતાના અમલદારો અને અૅાફિસરોના માનસિક તનાવને દૂર કરવા વર્ગો પણ શરૂ કર્યા છે. આ સમસ્યા એટલી વિકટ છે કે ‘વૂડુ ડોલ્સ’ જેવા કેટલાક વિચિત્ર ઉપાયો પણ અપનાવી રહ્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કેટલીક કંપનીઓ આ માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક એલિસ એલબર્ટ દ્વારા પ્રતિપાદિત આર.ઈ.ટી. વિધિ (R.E.T. – Rational Emotive Theory)નો ઉપયોગ કરી રહી છે, ‘બિઝનેસ ટુ ડે’ (જાન્યુ. ૨૦-૧૯૯૬)માં જણાવ્યું હતું કે લાર્સન એન્ડ ટુબ્રો (L&T), ડી.સી.એમ. (DCM) સેમટેલ ઈન્ડિયા, એચ.પી.સી.એલ. (HPCL), બી.એચ.ઈ.એલ. (BHEL) વગેરે અનેક મોટી કંપનીઓએ આ માટે ધ્યાન અને યોગનો સહારો લીધો છે. વૈશ્વિકરણ થયા બાદ ગળાકાપ હરીફાઈને લઈને મેનેજરોમાં માનસિક તનાવ વધી રહ્યો છે. ઈન્ટરનેશનલ સર્વે રિસર્ચ કોર્પાેરેશન, શિકાગોના સર્વેક્ષણ અનુસાર હવે અમેરિકાની ૪૦ ટકા કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે નિયમિત કાર્યક્રમોનું આયોજન કરે છે.

(ઈન્ડિયન એકસપ્રેસ ઓકટો – ૧૩ -૧૯૯૬)

એમસ્ટરડેમ મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ શ્રી થીસને અનેક કંપનીઓમાં ધ્યાન અને કુંડલિની યોગ કરાવી રહ્યા છે. પોતાના પુસ્તક ‘Rhythm of Management’માં તેમણે આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.

માનસિક તાણ દૂર કરવા ધ્યાન બહુ જ ઉપયોગી છે. એ અંગે ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. જાપાનના ન્યુરોસાઈક્યાટ્રિસ્ટ શ્રી કાસ્માત્સુ અને શ્રી હીરાઈએ ઈ.ઈ.જી. દ્વારા ઝેન સાધુઓ ધ્યાન કરતા હતા, ત્યારે ધ્યાનની મગજ ઉપરની અસરો વિશે પ્રયોગો કર્યા. તેમણે પહેલાં તો ૧૦ થી ૧૨ સી.પી.એસ.ના અલ્ફા તરંગો જોયા. પછી તરંગોની ફ્રીકવન્સી ઘટીને ૯ થી ૧૦ સી.પી.એસ. થઈ ગઈ અને પછી ૪ થી ૭ સી.પી.એસ.ના થીટા તરંગો દેખાયા. થીટા તરંગો ચિત્તની પ્રશાંતિની માત્રાના સૂચક છે. આમ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે ધ્યાન મનને શાંત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર ડો.હાર્બટ બેન્સને પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે ધ્યાનની મન ઉપર એટલી હદ સુધી અસર થાય છે કે તેથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. આ શોધખોળનાં પરિણામો તેમણે ‘The Relaxotion Responses’નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યાં છે.

સામાન્ય રીતે મગજને ૨૦ ટકા રક્ત જોઈએ છે, પણ જો મગજમાં તનાવ હોય તો વધારે રક્ત જોઈએ. મગજ આ રક્ત પેટ કે કરોડરજ્જુના સ્નાયુઓમાંથી લઈ લે છે. આથી અલ્સર, રક્તચાપ, હૃદયરોગ, સ્પોન્ડીલીસીસ વગેરે રોગો થાય છે. ડો. દીપક ચોપરાએ પોતાનાં સુપ્રસિદ્ધ પુસ્તક ‘The quantum Healing, the ageless body and Timeless Mind’, વગેરેમાં ધ્યાનનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર કેવો પ્રભાવ પડે છે, તેની રસપ્રદ માહિતી આપી છે.

આમ આધુનિક યુગમાં ધ્યાનશિબિરો, યોગશિબિરો, તનાવ દૂર કરવાના વર્ગોનું પ્રમાણ વધતું જાય છે. કેમ કે મનુષ્ય પોતાની જાતને સલામત માનતો નથી. ભલે સુખસગવડનાં સાધનો વધ્યાં છે, પણ સલામતીની ભાવના ઘટતી જ જાય છે. જીવનની નિશ્ચિંતતા અને હળવાશ મનુષ્યે ગુમાવી દીધી છે. મોટાં શહેરોમાં તો પતિ જ્યારે સાંજે ઘરે નોકરીએથી હેમખેમ પાછો આવે ત્યારે જ પત્નીને નિરાંત થાય છે. તેનું આખું જીવન અકસ્માત, હુલ્લડ, તોફાન, દુર્ઘટનાઓના ભયમાં જ વીતતું હોય છે. વળી ભવિષ્યની ચિંતા પણ મનુષ્યને કોરી ખાય છે. વિદ્યાર્થીઓને ઈચ્છિત વિદ્યાશાખામાં એડ્મિશન મળશે કે કેમ, અભ્યાસ પૂરો કરી લીધા પછી સારી નોકરી મળશે કે કેમ અને નોકરી મળ્યા પછી એ ટકી રહેશે કે કેમ, આ બધી ચિંતાઓ સતાવતી રહે છે. યુવાનોને ઈચ્છિત પાત્ર મેળવવાની ચિંતા, પ્રૌઢોને પોતાનાં સંતાનોને ઠેકાણે પાડવાની ચિંતા, વૃદ્ધોને તો પોતાના જીવનની જ સતત ચિંતા અને અસલામતીનો અનુભવ સતત થતો રહે છે. જેમની પાસે પૈસા છે, તેઓ તો સહુથી વધારે અસલામતી અનુભવે છે. ધનસંપત્તિ ચાલી જવાની ચિંતા, ગુંડાઓ અપહરણ કરે કે હત્યા કરી નાંખે એ ભય અને ફફડાટ તો અતિ શ્રીમંત માણસને સતત અનુભવાતો હોય છે. સંપત્તિની જેમ જ સત્તા ધરાવનાર માણસ પણ સત્તા ક્યારે ચાલી જશે તેના ભય અને ચિંતામાં જ જીવતો હોય છે. આ રીતે જોતાં નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક આજે ચિંતાથી ઘેરાયેલાં જોવા મળે છે.સ્વસ્થતા, સ્થિરતા કે શાંતિ તો ભાગ્યે જ જોવા મળે છે.

તાજેતરમાં અમદાવાદમાં એક બેંક નિષ્ફળ જતાં તેના હજારો થાપણદારોનું જીવન અસલામત બની ગયું. મહામહેનતે બચાવેલી મૂડી જેના આધારે વૃદ્ધાવસ્થા આરામથી ગાળી શકાશે, એમ માનીને બેંકમાં વ્યાજે મૂકેલાં નાણાં પાછાં નહીં મળે, એ ચિંતાથી અસંખ્ય લોકો દુઃખી બની ગયા. એ જ રીતે શેરબજારમાં મંદી આવતાં કેટલાય લોકોએ શેરમાં રોકેલાં નાણાં ડૂબી ગયાં અને કેટલાયે આ આઘાત ન જીરવી શકતાં આપઘાત કર્યો. આ રીતે પાસે પૈસા હોવા છતાં પણ એવી કોઈ નિશ્ચિંતતા નથી કે એ પૈસા માણસને જીવનમાં કામ લાગશે. ધનસંપત્તિ, સત્તા, માનવસંબંધો – આ બધું ક્યારે છેહ દઈને ચાલ્યુંં જશે તે કહી શકાતું નથી. અને તેથી જ આજે મનુષ્યનું જીવન સહુથી વધારે અસલામત બની ગયું જણાય છે. આવી સ્થિતિમાં મનુષ્યને સુખશાંતિ ક્યાંથી મળે?

આધુનિક યુગની એક બીજી મોટી સમસ્યા હોય તો તે છે જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર – ‘જનરેશન ગેપ’. ‘પણ મારા પપ્પા મને સમજતા જ નથી. એ કહે છે, ‘તું ‘લો’ ની પરીક્ષાઓ આપીને વકીલ બની જા. મારી ઓફિસમાં આવીને બધું શીખ’, પણ મને એ કાયદાઓમાં જરાય રસ નથી. મારે તો DCM અને MCM, કરવું છે. તમે પપ્પાને સમજાવો.’ આવા કેટલાય યુવાનો પોતાનાં માતાપિતા પોતાને સમજતાં નથી એની ફરિયાદ લઈને આવે છે, તો સામે પક્ષે માતાપિતાની પણ ફરિયાદ છે કે એમનાં સંતાનો એમનું કહેવું માનતાં નથી. અને આમાંથી જ સર્જાય છે સંઘર્ષ, ખેંચતાણ, તનાવ અને મતભેદ. માતાપિતા અને ઘરના વડીલો કહે છે કે અમે જેમ કહીએ તેમ જ તમારે કરવું જોઈએ. અને યુવાન પેઢી તેમ કરવા તૈયાર નથી થતી, તેમને પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ પ્રમાણે જીવનમાં કરવું છે. યુવાનોને એવું લાગે છે કે માતાપિતા સતત ટકટકાટ કર્યા કરે છે. તેથી તેઓ ચિડાયેલા જ રહે છે. આમ બે પેઢી વચ્ચેનો સંઘર્ષ કુટુંબ – પરિવારમાં અશાંતિ સર્જે છે અને પરિવારનું વાતારણ કલુષિત બની જતાં કુટુંબમાં ગમે તેટલી સમૃદ્ધિ હોય તો પણ સુખશાંતિ હોતાં નથી.

હવે તો ‘મિડિયા’ના આક્રમણને લઈને જગતમાં બનતા બનાવોની, જગતમાં થતાં પરિવર્તનોની જાણ તત્કાળ થઈ જતી હોવાને લઈને બાળકો જલદી પુખ્ત બનતાં જાય છે અને આ ‘જનરેશન ગેપ’ બહુ જ જલદી આવી જાય છે. માનસશાસ્ત્રનાં એક પ્રોફેસરબહેને પોતાના સંભાષણમાં જણાવ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં હું જ્યારે કોલેજમાં ‘લેક્ચરર’ તરીકે આવી,ત્યારે હું મારા વિચારો અને રીતરસમોથી આ ‘જનરેશન ગેપ’ અનુભવી રહી હતી. મને થતું હતું કે મને કોઈ સમજી શકતું નથી. પણ હવે ફક્ત પાંચ જ વર્ષમાં મને લાગે છે કે મારા વિદ્યાર્થીઓ આગળ મારા વિચારો અને રહેણીકરણી જૂની – પુરાણી જણાય છે. એટલું ઝડપી પરિવર્તન આવી રહ્યું છે કે પાંચ જ વર્ષમાં આ ‘જનરેશન ગેપ’ નો અનુભવ થાય છે.’ પશ્ચિમના દેશોમાં અને અમેરિકામાં તો હવે નાનાં બાળકોને પણ માતાપિતા કંઈ કહી શકતાં નથી. કેમ કે તેઓ હવે માતાપિતાની વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ પણ કરી શકે છે. આ ‘જનરેશન ગેપ’ ને લઈને કુટુંબમાં પ્રેમ ત્યાગ, સમર્પણ, વડીલોની આમન્યાનું પાલન, આ બધાં મૂલ્યો ઘટતાં જાય છે. અને તેના પરિણામે સુખશાંતિ અને આરામ આપનારાં ઘરો આગની ભઠ્ઠી જેવાં બની જતાં હોય છે.

મનુષ્યનાં સુખશાંતિને ગ્રસી જનારો એક ભયંકર રાક્ષસ આધુનિક યુગમાં ઊભો થયો છે. આ રાક્ષસ એવો વિકરાળ છે, કે તેનું પેટ ક્યારેય ભરાતું નથી. અને તે છે ‘ઉપભોકતાવાદ’. આધુનિક માનવ ઉપભોક્તાવાદ સકંજામાં ભયંકર રીતે સપડાઈ ગયેલો છે. જેમ જેમ સુખસગવડનાં સાધનો વધતાં જાય છે અને વિકસતાં જાય છે, તેમ તેમ તેને વધુ ને વધુ પ્રમાણમાં મેળવવાની ઘેલછા પણ વધતી જાય છે. બંગલા, મોંઘી મોટરગાડીઓ, કીમતી વસ્ત્રો, મૂલ્યવાન આભૂષણો, સુખોપભોગનાં, મનોરંજનનાં સર્વ સાધનો, વિમાનોની આરામદાયી મુસાફરી, વિદેશોનો વૈભવી પ્રવાસ- આ બધાંની ઘેલછા, ધનસંપતિ વધતાં વધતી જ જાય છે. અને પછી તેની પૂર્તિ માટે વધારે ધન કમાવાની જરૂર પડે, વધારે ધન મળે એટલે વધારે ઉપભોગ થાય, આમ સંપત્તિ અને ઉપભોગનું વિષચક્ર રચાય અને આ વર્તુળ ઉત્તરોતર મોટું ને મોટું જ થતું જાય છે.

આજે મોટાભાગના મનુષ્યો એવું માને છે કે,

M is directly proportionate to H.

M એટલે Money – રૂપિયો. ધનસંપત્તિ.
H એટલે Happiness – સુખ.

પૈસા- ધનસંપત્તિ – આ બધું સીધું સુખ સાથે સંકળાયેલું છે.એટલે કે જેમ પૈસા વધારે તેમ સુખસંપત્તિ વધારે. મોટાભાગના લોકોની આવી માન્યતા હોવાથી તેઓ પૈસા મેળવવા રાતદિવસ સખત પરિશ્રમ કરે છે, દોડાદોડી કરે છે. તેમના જીવનનું મુખ્ય ધ્યેય જ વધુ ને વધુ પૈસો કમાવવાનું જ બની જાય છે. અને પછી તેઓ ગમે તે માર્ગે પૈસા ભેગા કરવા ઇચ્છે છે. આમ પૈસા મેળવવાની લાલસા તેમને ભ્રષ્ટ બનાવી દે છે. એક વખત પણ પૈસા મેળવવા અનૈતિક માર્ગ લીધો, એટલે આ માર્ગે પ્રથમ ભોગ દેવાય છે, આંતરિક શાંતિનો અને બીજો ભોગ દેવાય છે, જીવનની સલામતીનો. એકવાર પણ અવળા માર્ગે ચાલ્યા એટલે પછી આ માર્ગથી પાછું વળી શકાતું નથી. અને માણસ ઇચ્છે તો પણ તેના સાગરીતો તેને આ માર્ગમાંથી જીવતો તો બહાર જવા દેતા જ નથી. આમ ભ્રષ્ટ માર્ગે કદાચ અઢળક સમૃદ્ધિ મળે, પણ જીવનનું સાચું સુખ અને શાંતિ ક્યારેય મળતાં નથી, તો આ સંપત્તિ શા કામની?

બીજું, પૈસાની ઘેલછા જેમને વળગે છે, તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી. જેટલી સંપત્તિ વધારે, તેટલી ઇચ્છાઓ પણ વધારે. અને વધારે ધન કમાઈને દુનિયામાં પ્રથમ દશ ધનાઢ્યોમાં નામ મેળવવાની ઘેલછા પણ આજકાલ શ્રીમંતોમાં વધતી જાય છે. ઓકસફર્ડ ડિક્શનરીમાં આજના યુગમાં એક નવો શબ્દ ઉમેરાયો છે, ઈન્ફલુએન્ઝા. આ એક પ્રકારના તાવનું નામ તો સાંભળ્યું હતું, પણ આ શબ્દ છે, એફલુએન્ઝા. આ નવો રોગ, જુદા પ્રકારનો છે. તે ‘એફલુઅન્ટ’ માણસોને થાય છે. એટલે કે સમૃદ્ધ લોકોનો આ રોગ છે. આ રોગમાં સમૃદ્ધિ વધતાં તેને વધુ મેળવવાની ભૂખ વધતી જાય છે. અને આ લાલસામાં માણસ પાગલ બની જાય છે. તેને જો કુબેરનો ભંડાર પણ મળી જાય તો પણ ઓછો પડે છે. અસંતોષની આ ભૂખ માણસને આર્થિક પ્રાણી બનાવી દે છે. એને પૈસા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. કેમ વધારે પૈસા મેળવવા એના જ વિચારોમાં તે રાતદિવસ રચ્યો પચ્યો રહે છે. આજના આ ઉપભોક્તાવાદે આ નવી જાતનો માનસિક રોગ સર્જ્યાે છે, તેનું નામ છે, ‘ન્યુગીન ન્યુરોસીસ’. આમાં મનુષ્યનો સઘળો વ્યવહાર આર્થિક માપદંડથી જ થાય છે, તેમાં મનુષ્ય પૈસાનો ગુલામ બની જાય છે. જાણે પૈસાનું ભૂત એના મસ્તક ઉપર સવાર થઈ જાય છે. પૈસા આગળ પછી ઘરબાર, પુત્રપરિવાર બધું જ ગૌણ બની જાય છે. આ ‘હીડોનીસ્ટીક પેરેડોકસ’ અસ્તિત્વમાં આવ્યું છે. આમ ભોગવાદના રાક્ષસે પોતાનું વિકરાળ મોઢું ખોલ્યું છે, અને તેની કરાળ દંષ્ટ્રામાં ભલભલા ચવાતા જાય છે. છતાં એને ક્યારેય તૃપ્તિ થતી જ નથી.

જાપાનમાં સમૃદ્ધિ વધારવા માટે ત્યાંના કામદારોએ, ઓફિસરોએ રાતદિવસ પરિશ્રમ કર્યો અને અમેરિકાના ઉદ્યોગોને પાછળ રાખી દીધા. પણ પરિણામ શું આવ્યું? સમૃદ્ધિ વધી પણ શાંતિ ગુમાવી દીધી. ત્યાં ઉત્પાદન વધારવા માટે મહિનાઓ સુધી અધિકારીઓ, કામદારો ફેકટરીઓમાં જ રહેતા હતા. પછી મહિનાઓ બાદ જ્યારે તેઓ પોતાના ઘેર ગયા, ત્યારે જોયું તો તેમની પત્નીઓ બીજે ચાલી ગઈ હતી. બાળકો ઉચ્છૃંખલ થઈ ગયાં હતાં. પરિવારો ભાંગી ગયા હતા. ધર્મ છૂટી ગયો હતો. સંસ્કારો લોપ થવા લાગ્યા હતા અને ભોગવાદ પેસી ગયો હતો. આ આઘાત જીરવી ન શકવાથી કેટલાય લોકો માનસિક રોગોના ભોગ બની ગયા. આજે જાપાનમાં ૪૪ વર્ષથી વધારે વય ધરાવતા ૪૨ ટકા એકિઝક્યૂટિવો માનસિક રીતે અસ્વસ્થ છે. ત્યાં સો જેટલી નવી ‘મેન્ટલ હોસ્પિટલો’ ખોલવામાં આવી છે. દુનિયામાં સહુથી વધારે સમૃદ્ધ ગણાતા ત્રણ દેશો કે જેમની માથાદિઠ આવક સહુથી વધારે છે, તે અમેરિકા, જાપાન અને સ્વીડનમાં આત્મહત્યાનું અને માનસિક રોગોનું પ્રમાણ સહુથી વધારે છે. આ ઉપરથી કહી શકાય છે કે જેમ સમૃદ્ધિ વધે છે, તેમ સુખ વધતું નથી.

રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે પોતાના યુવાન પુત્ર નહુષની યુવાની પોતાની વૃદ્ધાવસ્થા આપીને મેળવી. એ યુવાનીમાં ખૂબ ભોગો ભોગવ્યા. આખરે એ યુવાની પણ ચાલી ગઈ અને પાછી વૃદ્ધાવસ્થા આવી ગઈ તો પણ ભોગોનો અંત ન આવ્યો, ત્યારે તેને જ્ઞાન થયું કે અગ્નિમાં ઘીની આહુતિ આપતાં અગ્નિની જવાળાઓ વધે છે, તેમ ઇચ્છાઓને પૂરી કરતાં ઇચ્છાઓ પણ વધતી જ જાય છે. મનુષ્યના જીવનનો અંત આવી જાય છે, પણ ઇચ્છાઓનો કદી અંત આવતો નથી. આ સંદર્ભમાં ટોલ્સ્ટોયની એક વાર્તા છે. એક માણસને એમ કહેવામાં આવ્યું કે સાંજે સૂરજ આથમે ત્યાં સુધીમાં તું જેટલી જમીન ઉપર દોડીશ તેટલી જમીન તારી માલિકીની થઈ જશે. આથી તે માણસ ખૂબ ઝડપથી દોડવા લાગ્યો. હાંફવા લાગ્યો તોય દોડતો રહ્મો. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં તોય દોડતો રહ્મો કે બસ આટલું દોડી લઉં તો આટલી વધારે જમીન મારી થઈ જાય. પછી તો તેના પગ લથડિયાં ખાવા લાગ્યા તોય પરાણે દોડતો રહ્મો કે હજુ વધારે આટલી જમીન લઈ લઉં. સાંજ પડી ત્યારે તો તેણે કેટલી બધી જમીન મેળવી લીધી હતી! સૂરજનું જ્યારે છેલ્લું કિરણ પડ્યું, ત્યારે તે જમીન ઉપર ફસડાઈ પડ્યો અને થોડી જ વારમાં ધમણની જેમ ચાલી રહેલો તેનો શ્વાસ શમી ગયો અને તે ત્યાં જ મરી ગયો. જ્યારે તેને દફનાવવામાં આવ્યો ત્યારે તો માત્ર છ જ ફૂટ જમીન તેની હતી! આ વાર્તા માનવનો અસંતોષ અને સંપત્તિ ની ભૂખને પ્રગટ કરે છે. દોડી દોડીને મનુષ્ય સંપત્તિ મેળવે છે પણ પછી તેને ભોગવવાનો તેની પાસે સમય જ રહેતો નથી. અને જો સમય હોય છે, તો તન અને મન ભોગવવા જેવાં રહ્માં હોતા નથી!

વધારે સંપત્તિ મેળવવાની દોટમાં માણસ પોતાના વર્તમાનનાં સહજ સુખો અને સ્વભાવિક આનંદોને ગુમાવી દે છે. આ વિશે એક હોડીવાળાની સુંદર કથા છે. એક દિવસ બપોરના સમયે એક હોડીવાળો પોતાની હોડીને નાંગરીને નદી કિનારે વૃક્ષની છાયામાં નિરાંતે સૂતો હતો. ત્યાં એક વેપારી આવ્યો. તેણે હોડીવાળાને જગાડીને કહ્મું, ‘અરેરે, તું આમ ધંધો કરવાનું મૂકીને બપોરે ઊંઘે છે? તારે તો દૂર દૂર સુધી જવું જોઈએ અને ખૂબ માછલાં પકડવાં જોઈએ,’

‘પણ શેઠજી, મને આજના દિવસનું ગુજરાન ચાલે તેટલી રકમ મળી ગઈ છે. હવે મારે વધારે જરૂર નથી.’

‘અરે, તું તો કેવો મૂરખ છે. તું વધારે માછલાં પકડીશ, તો તને વધારે પૈસા મળશે.’

‘પછી તું મારી પાસે આવજે. હું તને શેરમાં અને જુદી જુદી સ્કીમોમાં પૈસાનું રોકાણ કેવી રીતે કરવું તે બતાવીશ અને તેથી તારા પૈસા અનેકગણા વધી જશે અને એનાથી તને નિયમિત વ્યાજ મળતું રહેશે. એટલે તને નિશ્ચિત રકમ દર મહિને મળતી રહેશે.’

‘પછી?’

‘પછી તારે કોઈ ચિંતા નહીં રહે. તું નિંરાંતે ઊંઘી શકીશ.’

‘શેઠજી, અત્યારે એ તો હું કરી રહ્યો છું. એના માટે આટલી બધી દોડધામ કરવાની શી જરૂર છે? તમે જાવ અને મને નિરાંતે ઊંઘવા દો.’ અને શેઠ હોડીવાળાની મૂર્ખાઈ ઉપર બબડાટ કરતા ચાલ્યા ગયા પરંતુ હોડીવાળાને જે સમજાયું હતું, તે શેઠને સમજાતું ન હતું. આજે મોટાભાગના મનુષ્યો આ શેઠ જેવા જ છે કે ભવિષ્યમાં નિંરાંતે ઊંઘવા માટે વર્તમાનની નિષ્ફિકર આનંદભરી ઊંઘને છોડીને વિશેષ ધનની લાલસામાં દોડે છે. અને પછી જ્યારે ધન મેળવી લે છે, ત્યારે ઊંઘ જ જતી રહે છે.

આજના ઉપભોક્તાવાદના રાક્ષસે ભવિષ્યની મોહક ભ્રમજાળ એવી રચી કે ભલભલા મનુષ્યો એમાં ફસાઈને વર્તમાનનાં સુખ-શાંતિને ગુમાવી દે છે. આથી સુખશાંતિની શોધમાં નીકળેલા આધુનિક માનવે ઉપભોક્તા-વાદના રાક્ષસની પકડમાંથી મુક્ત થવું પડશે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક એરિકફોમના મંતવ્ય અનુસાર માનવ આજે ઉપભોક્તાવાદનો શિકાર બનીને પોતે જ એક ભોગ્ય પદાર્થ બની ગયો છે. તો પછી એને સાચું સુખ અને શાંતિ કેવી રીતે મળી શકે? શાંતિની શોધ માટે તે બહાર આમતેમ ભટકી રહ્મો છે, પણ બહાર સુખશાંતિ મૃગજળ જેવાં છે. માત્ર આભાસ જ છે અને મૃગની જેમ તેને પકડવા દોડે છે, અને તે હાથમાંથી દૂર સરકી જાય છે. ખરી વસ્તુ તો તેની અંદર જ છે. સાચી શાંતિ અને સાચો આનંદ તેની અંદર છે. અખૂટ શાંતિનો મહાસાગર એની અંદર જ આવેલો છે. કબીરનું સુંદર ભજન છે, ‘મોકો કહાં તૂ ઢૂંઢે બંદે મૈ તો તેરે પાસમેં…’ એમ પોતાની પાસે જ રહેલી શાંતિને તેણે પ્રાપ્ત કરવાની છે. પોતાના દૈનંદિન જીવનમાં કેવી રીતે શાંતિ મળે અને શાશ્વત શાંતિ કેવી રીતે મેળવી શકાય તે વિશે આપણે હવે જોઈએ.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories